Showing posts with label Osho. Show all posts
Showing posts with label Osho. Show all posts

Saturday, August 6, 2011

શું ઓશો કોઈ ચમત્કારી વિદ્યા જાણતા હતા? પોતાના પર કાળા જાદુનો પ્રયોગ થયો છે એવું તેઓ શા માટે માનતા હતા?


રજનીશ તેમની કોલેજ લાઇફમાં કેવા હતા? સંભોગથી સમાધિની એમની ફિલસુફી પાછળ કઇ વ્યક્તિની પ્રેરણા છે? એમને દિવ્યજ્ઞાન ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થયું? 
આ સંસ્મરણોમાં તમામ એવી વાતો છે જે રજનીશનો આપણે કદી ન જોયો હોય એવો ચહેરો દેખાડે છે...

આ લેખના પ્રથમ ભાગમાં આપણે ઓશો  વિશેની અનેક અજાણી, ઓછી જાણીતી વાતો માણી. આ બીજો ભાગ કદાચ પહેલા ભાગ કરતા પણ વધુ રસપ્રદ વિગતો બયાં કરે છે. કારણ કે, તેમાં ચિરંતન બ્રહ્મચારીની સાથે ઓશોના બે અત્યંત અંગત મિત્રોના સંસ્મરણો પણ ભળ્યા છે...
લાંબો-લાંબો એમનો એ વિશિષ્ટ કોટ, દાઢી અને ચહેરાના હાવભાવ.... ઓશોનું વ્યક્તિત્વ તમને ક્યા મહાન સર્જકની યાદ અપાવે છે?  "તેમના પર રવીન્દ્રનાથ ટાગોરનો જબરદસ્ત પ્રભાવ હતો" ચિરંતન બ્રહ્મચારી પાસે આવી અનેક 'અંદર કી બાત' છે. અંગત વાતચીતમાં ઓશો ઘણી વખત ટાગોરને યાદ કરતા. સ્મૃતિઓ અનેક છે. કેટકેટલું યાદ કરવું? આપણે મુદ્દો મુકીએ છીએ: 'અચ્છા, ઓશો અનેક વિદ્યાઓ જાણતા હતા એવી વાતમાં કેટલું તથ્ય?" ચિરંતનભાઈના કાન સરવા થાય છે. એક ઊંડો શ્વાસ લઇ તેઓ કહે છે, "હું જે અનુભવ તમારી સામે મુકું છું એના પર તમે વિશ્વાસ નહિ કરો! એક વખત તેમને પોતાના અનુયાયીઓને મ્હેણું માર્યું કે, એમનામાં પ્રતિબધ્ધતા નથી! મને થયું કે, તેઓ મને પણ ટોણો મારી રહ્યાં છે. એમનાંથી રિસાઈ હું આશ્રમ છોડી ચાલી નીકળ્યો. રાત તો સમુદ્રના કાંઠે વિતાવી. સવાર થઇ તો હું કોઈ અજબ ખેંચાણ મેહસૂસ કરતો હતો. મારા પગ આપમેળે આશ્રમ તરફ વળવા લાગ્યા. મારી જાત પર મારો કાબુ નહોતો. હું જાણતો હતો કે, કોઈ મને આશ્રમ તરફ રીતસર ખેંચી રહ્યું છે પરંતુ તેનો પ્રતિકાર કે ઇનકાર કરી શકું એટલી શક્તિ મારામાં નહોતી. મને ખ્યાલ હતો કે, હું સ્વયંભુ ત્યાં જઈ રહ્યો નથી. કોઈ રોબોટને જાણે કમાન્ડ અપાયો હોય અને તેણે આદેશનું પાલન કર્યું હોય એમ હું આશ્રમ પાછો ફર્યો. ઓશોએ મને આવકાર્યો અને કહ્યું, 'ભાઈ, મેં જે મહેણું માર્યું હતું એ તારા માટે નહોતું! એમને ખ્યાલ આવી ગયો હતો કે, મને શું પેટમાં દુખ્યું હતું. હા! તેઓ મેસ્મેરિઝમ જાણતા હતા. સામેની વ્યક્તિ સહકાર ના આપે તો પણ તેને વશમાં કરવાની તાકાત તેમનામાં હતી" પાછલા વર્ષોમાં ખુદ પર કાળો જાદુ કરવામાં આવ્યો હોવાની વાત પણ તેમણે કેટલાક અંગત શિષ્યોને કરી હતી. પોતાના પર બ્લેક મેજિકનો પ્રયોગ કોણે કર્યો છે એ વિશે પણ તેમને ખ્યાલ હતો પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે, જે માથે પડ્યું છે તે સહન કરી લેવું, તેનો જવાબ ના આપવો.
"ખેલ કો મૈ યુદ્ધ કા અહિંસાત્મક સંસ્કરણ કહેતા હું!" રજનીશના મોમાંથી વાતવાતમાં એક વનલાઈનર સરી પડ્યું અને ચિરંતનભાઈ તથા અન્ય શિષ્ય રવિશંકરના મોમાંથી 'વાહ વાહ' નીકળી ગયું. આજે પણ ચિરંતનભાઈ એ પ્રસંગને યાદ કરે છે ત્યારે હસી પડે છે: "ગુરુજીની કોઈ વાત સારી લાગે તો કંઈ આપણે મુશાયરામાં બેઠા હોઈએ તેમ વાહ વાહ ના કરાય! પરંતુ ઓશોની વિનોદવૃત્તિ બહુ સારી હતી એટલે એમને આવી વાતોનું માઠું લાગતું નહિ. એમની સેન્સ ઓફ હ્યુમર ગજબની હતી. આશ્રમ પર ક્યારેક કોઈ બોલકા ભક્તો આવી ચડતા તો રજનીશજીની હાલત ખરાબ કરી નાંખતા. આવા પ્રખર વક્તાના ભાગે પણ કશું જ બોલવાનું ના આવ્યું હોય એવું ક્યારેક બનતું. પેલો ભક્ત કલાકો સુધી બડબડ કર્યા પછી જ્યારે જતો હોય ત્યારે ઓશો હળવેકથી કહે'આજ તો બાતચીત મેં બડા આનંદ આયા!' પેલા મહેમાન સિવાય બાકીના બધા આ રમુજ સમજી ગયા હોય એટલે એના ગયા પછી બધા બહુ હશે. ક્યારેક એવું બનતું કે, અખા દિવસમાં આશ્રમ પર એક પણ શિષ્ય ના આવ્યો હોય. રાત્રે બધા બેઠા હોય ત્યારે ઓશો રમુજમાં કહેતા:' આજ તો અપની દુકાન મેં બોની ભી નહિ હુઇ!'
"ઓશોની પ્રથમ કાર હતી: "સ્ટાન્ડર્ડ." એ પછી ઈમ્પાલા આવી. આ કાર તેમને શિષ્યા માં યોગલક્ષ્મીના ભાઈએ આપી હતી. જો કે, ત્યારે આશ્રમની આવક ખાસ ઉલ્લેખનીય નહોતી. સાંઠના દાયકામાં તો રજનીશ સાવ નાના-નાના ગામડે પ્રવચન માટે જતા ત્યારે બળદ ગાડાનો ઉપયોગ કરતા! સંઘર્ષ એમને બહુ નજીકથી જોયેલો. એટલે જ માનવીય સંબંધોનું તેમને પૂરેપૂરું મુલ્ય હતું. પોતે હમેશા એક મુસ્લિમ દરજી પાસે વસ્ત્રો સિવડાવતા. અચાનક એ  દરજી મૃત્યુ પામ્યો અને રજનીશને એટલી હદ્દે આઘાત લાગ્યો કે, વર્ષો સુધી એમણે સીવેલા વસ્ત્રો પહેર્યા નહિ! "એમનામાં પ્રખર બુદ્ધિમતા, તર્ક, સંવેદનશીલતા અને દુરંદેશીનું અદ્ભુત સંયોજન હતું!" ચિરંતનભાઈ વાતનો દૌર આગળ વધારે છે: "જબલપુરના તેમના પ્રાધ્યાપકે રજનીશની ઉત્તરવહી વાંચ્યા પછી પોતાની ઈન્ડીપેનની ટાંક તોડી નાંખી હતી!  પેલા પ્રોફેસરે શપથ લીધા હતા કે, જે દિવસે તેમને કોઈ અદ્ભુત ઉત્તરવહી વાંચવા મળશે અને લાગશે કે, આ વિદ્યાર્થી પાસે તો ભલભલા માસ્તરોનું જ્ઞાન પણ ફિક્કું ગણાય - તેઓ નિવૃત્તિ લઇ લેશે. ટાંક તોડી તેઓ બીજા જ દિવસે નોકરી છોડી ગયા! ઓશોમાં જ્ઞાન નો તેજપુંજ હતો. તમે વિચારો, એ માણસે ધુમ્રપાનને પણ ધ્યાનની વિધિ ગણાવ્યું હતું! એમણે એ સાબિત કરી આપ્યું હતું કે, તેઓ કહે એ રીતે કોઈ સ્મોકિંગ કરે તો એ પણ એક ધ્યાનક્રિયા બની જાય! એક જ વ્યક્તિએ ધ્યાન ની ૧૨૦ વિધિ આપી હોય એવું ભારતમાં અગાઉ કદી બન્યું નથી. ઓશોએ એ કામ કર્યું હતું. વિરાટ કાર્ય!" 

ચિરંતનભાઈ સાથે કલાકો સુધી વાતો ચાલે છે. "ઘણાં વર્ષે આટલો આનંદ આવ્યો!" , તેઓ જાતે જ બોલી ઉઠે છે. ઓશો તો કેરેક્ટર જ એવું છે. અને અમને થોડા સમય પહેલા વાંચેલા સંસ્મરણોનું સ્મરણ થાય છે. હજુ એ શબ્દો ભુલાયા નથી. ઓશોના પરમ મિત્રએ લખેલા એ શબ્દો :"સમયના પારદર્શક આવરણોમાં વિતેલા દિવસોની સ્મૃતિઓ જાણે ધૃજી રહી છે. ચેતનાનાં કોઈ ધુમિલ, અજાણ્યા ખુણે એ સ્મરણો પડખા ફેરવી રહ્યાં છે. મનમાં કોઈ જબરી ઉથલપાથલ થયા કરે છે. યાદોના પડછાયાઓ સતત ઢંઢોળ્યા કરે છે. પ્રેમ કંઈ ચિત્તને મુક્ત કરતો નથી. એ સતત આપણને બંધનમાં રાખે છે અને રજનીશનો ઘેઘુર સ્વર સતત સંભળાયા કરે છે"  ઓશો. નામ સાંભળ્યાવેંત જ તેમની ફિલસુફી યાદ આવી જાય. પંડીતો, બાવાઓ, ધર્મગુરૂઓ, રાજકારણીઓ અને પાખંડીઓ સામે સદાય બંડ પોકારતું એક વિરાટ વ્યક્તિત્વ. આ તો આપણાં મનમાં એમની  જે છબી છે એવી વાત થઇ. પરંતુ ઓશોની કિશોરાવસ્થા, યુવાની અને કોલેજકાળ કેવા હતા એ વિશે બહુ ઓછી માહિતી મળે છે. એમના કોલેજકાળના પરમ મિત્ર ડૉ. કાંતીકુમાર જૈન અને ડૉ. કૈલાશ નારદે એમના ઓશો સાથેના સંસ્મરણો લખ્યા છે. જેનાં દ્વારા ઓશોના વ્યક્તિત્વના સાવ અજાણ્યા પાસા વિશે પણ મળે છે.
ચિરંતનભાઈના અને મેં વાંચેલા ઓશોના મિત્રના સંસ્મરણો બેઉ અહી મુકીએ તો કેમ! 'નેકી ઔર પૂછ પૂછ!" જાતે જ મારી જાતને જવાબ આપી દઉં છું અને પેલા સંસ્મરણો અહીં મૂકી પણ દઉં છું: હિતકારીણીમાં તેઓ ઇન્ટરમાં ભણતા હતા. વર્ગમાં એક વખત પ્રોફેસર ડૉ. શિવનંદન શ્રીવાસ્તવ સાથે  એમને જીભાજોડી થઇ ગઇ. મુદ્દો હતો: બ્રેડલે.  ડૉ. શ્રીવાસ્તવ પણ જ્ઞાની. શંકર બ્રેડલેનાં તુલનાત્મક દર્શન પર શોધનિબંધ લખીને ડોક્ટરેટ થયા હતા. રજનીશ પ્રત્યે તેમને ખુબ લાગણી પણ રજનીશને પોતાની બુદ્ધિમતા પર જબરદસ્ત ગર્વ. એટલે ગુરૂ સાથે જ બાખડી પડયા. ડૉ. શ્રીવાસ્તવે કહ્યું કે તને એટલી બધી જ ખબર પડતી હોય તો મારા કલાસમાં આવવાની જરૂર જ શી છે ? પ્રોફેસરે રજનીશની ફરીયાદ પ્રિન્સીપાલને કરી. ત્યાં અગાઉથી પ્રિન્સીપાલ પાસે રજનીશ વિરુદ્ધની ફરિયાદોનો ઢગલો થયેલો જ હતો. અને એ ફરિયાદ યુવતિઓએ કરેલી હતી !

પરમજ્ઞાનની પ્રાપ્તિ પછીના ઓશોની તસવીર 
કોલેજના પ્રથમ માળ પર આવેલા વર્ગમાં જવા માટે લાકડાનો દાદરો હતો. લાકડાના દાદરા વચ્ચે ખાસ્સી જ્ગ્યા ખાલી હોય છે. એ આપણને ખ્યાલ છે. હવે જ્યારે યુવતિઓ ઉપરનાં માળે જતી હોય ત્યારે કોલેજના યુવકો દાદરા નીચે ઉભા રહીને ઉંચી મુંડી કરીને બધું ભાળ્યા કરતા ! આ ટોળકીમાં રજનીશ સૌથી આગળ પડતા હતા ! પ્રિન્સીપાલ સમક્ષ આવી ઘણીબધી યુવતિઓએ ફરીયાદ કરી હતી. અને ઘણી યુવતિઓએ ફરીયાદ કરવાનું ઉચિત માન્યું ન હતું. કારણ કે રજનીશની ચેષ્ઠાઓ તેમને ગમતી ! એની મોટી જાદુઇ આંખો અને પ્રખર બુદ્ધિમતાએ અનેક યુવતિઓ પર કામણ પાથર્યા હતા. રજનીશને પ્રિન્સીપાલે પરીક્ષા આપવાની મંજુરી તો આપી પણ બીજા વર્ષે તેને એડમિશન અપાયું નહીં. 

રજનીશે એ પછી નજીકની જ ડી. એન. જૈન કોલેજમાં પ્રવેશ લીધો. અહીં ફક્ત યુવકો જ ભણતા હતા. બોયઝ કોલેજ હતી તેથી તેમની વિરૂદ્ધ ફરિયાદનો સવાલ ન હતો. ૧૯૫૬માં એમણે બી.એ. પૂર્ણ કર્યું અને એમ.એ. કરવા મધ્યપ્રદેશના સાગર શહેરમાં ગયા. એમને હોસ્ટેલ તરીકે ટીનના છાપરાવાળુ બેરેક મળ્યું. દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકો માટે બનાવાયેલી આ છાવણી હવે કોલેજને ફાળવી દેવાઇ હતી જેમાં વિદ્યાર્થીઓ રહેતા હતા. એમ.એ.ના વિદ્યાર્થીઓને સ્વતંત્ર બેરેક ફાળવાતું. રજનીશે પોતાનાં બેરેકમાંની ટાઇલ્સ કઢાવી નાંખી ત્યાં રેતી પાથરી દીધી હતી. રેતી પર તેઓ આસન, પ્રાણાયમ અને હઠયોગ કરવા લાગ્યા હતા. કુંડલિની જાગરણ એમનું પ્રથમ લક્ષ્ય હતું. રૂમમાં એમણે એક મંચ જેવું બનાવ્યું હતું જેના પર તેઓ ખુરસી રાખી સાંધ્ય પ્રવચન કરતા ! એમના શ્રોતાઓમાં બી.એ. અને એમ.એ.ના વિદ્યાર્થીઓ જ હતા ! નવા કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓ એમની વાકછટાથી રીતસર અંજાઈ જતા. પ્રવચન પુરૂં થાય પછી રજનીશ પેલા પાટીયા પરથી ખુરસી હટાવી લેતા અને એ પાટીયું જ એમનો પલંગ બની જતું.

સાગર યુનિવર્સિટીમાં એ અરસામાં હોનોલૂલૂથી પ્રો. શ્રીકૃષ્ણ સક્સેના આવ્યા હતા. એ એક જબરદસ્ત કેરેક્ટર હતું ! એમના ગલોફામાં હંમેશા પાન ભરેલા રહેતા હોંઠ પણ કાયમ લાલચટ્ટક હોય. સુટ પહેર્યો હોય અને ભડકીલા રંગના શર્ટ પહેર્યા હોય. મોંમાંથી વહેતા પાનના લાલ રસને રૂમાલથી સતત લુછયા કરતા હોય. તેઓ જાતજાતની ટાઇ પહેરતા. નગ્ન સુંદરીઓની પ્રિન્ટવાળી ટાઇ. નૃત્ય કરતી અપ્સરાની મુદ્રાવાળી ટાઇ. દુધીયા સુટ, લાલ ટાઇ, કથ્થઈ રૂમાલ અને સફેદ વાળ ધરાવતા સકસેના સાહેબને જુઓ તો કોઇ મેઘધનુષ જાણે ફરવા નીકળ્યું હોય એવું લાગે. 

ફ્રી પિરિયડમાં સકસેના સાહેબ તેમના સાથી પ્રોફેસરો સાથે શેર/શાયરીની મહેફીલો જમાવતા. કામસુત્ર, વાત્સ્યાયન અને કાલિદાસ  જેવા વિષયો વારંવાર ચર્ચામાં આવતા. સાંજના સમયે એમનાં ઘેર રીતસર મહેફિલો જામતી. તેઓ પરમ ભૌતિકવાદી, સુખવાદી હતા. એમને ત્યાં બધું જ ખુલ્લું હતું. મુક્તપણે જે કોઈ આવે જે કોઈ ચર્ચા થાય તેનો બિલકુલ છોછ નહોતો. જીવનથી તેઓ છલોછલ હતા.

તેમના આગમનથી સાગર જેવા નાના શહેરમાં નવી હવાની લહેરખી ફેલાઈ હતી. સકસેના સાહેબને સાગરમાં બધાં પ્રો. સેકસેના કહેવા માંડ્યા હતા. રજનીશ દરરોજ અવશ્ય તેમની મહેફિલોમાં જતા ડૉ. કાન્તિ જૈન લખે છે. રજનીશના જીવનદર્શન પર પ્રો. સકસેનાનો જબરદસ્ત પ્રભાવ છે. પ્રો. સકસેનાની વાતોમાંથી, એમની ફિલોસોફી અને લાઈફ સ્ટાઈલમાંથી રજનીશે ઘણું ગ્રહણ કર્યું.

ચાર્વાકની ફિલસુફી રજનીશને ગમતી. એક સાંજે તેઓ જમવા માટે જૈન કેન્ટીન પહોંચ્યા. સંપન્ન પરિવારોના સંતાનો ત્યારે પોતાની સાથે એક નાની ડબ્બીમાં ઘી ભરી આવતા અને રોટલી પર ચોપડતા. કેન્ટીનમાં સત્યમોહન નામનો તેમનો એક પરિચીત જમવા બેઠો હતો. રજનીશ તેમના ટેબલ પર સામેની ખુરસીમાં ગોઠવાયા. જમવાનું આવ્યું. સત્યમોહને પોતાની ઘીની ડબ્બી રજનીશને આપી. રજનીશે કહ્યું: ઘી ખાને કી નહીં, પીને કી ચીજ હૈ ! ઋણ કૃત્વા ધૃતં પીબેત.
કોલેજના બીજા વિદ્યાર્થીઓ એકબીજાની કંપનીમાં ગપ્પા મારતા ત્યારે રજનીશને એકાંત ગમતું. સૂર્યાસ્ત સમયે તેઓ છાત્રાલયની પાછળના ભાગે આવેલી ટેકરીઓ પર પહોંચી જતા. ટેકરી પર સ્થિત એકમાત્ર વૃક્ષ નીચે ઉભા રહી તેઓ કેટલીય વાર સુધી આકાશ ભણી તાકી રહેતા. એમની ભીતર એક જબરી ઉથલપાથલ હતી. એમને પોતાની ભીતર એક દિપ પ્રગટાવવાની પ્રબળ ઈચ્છા હતી એવું કાન્તિ જૈન લખે છે. ડૉ. જૈન લખે છે : આકાશ ભણી નિરખતા એમને સુજાતા યાદ આવી જતી. એક સુજાતા જો ગૌતમને બુદ્ધ બનાવી શકતી હોય તો અનેક સુજાતાઓનાં કારણે તેઓ ઓશો બનીને દેખાડશે. બુદ્ધનું દર્શન એમને બહુ ફિકકું લાગતું. તેઓ પોતે બુદ્ધયતાથી આગળ જઈને દેખાડશે. નક્કી કરી લીધું હતું કે એમની યશોધરા પણ નહીં હોય અને રાહુલ પણ નહીં: રાજપાટ તો છે જ નહીં કે છોડવું પડે ! પેલા વૃક્ષ નીચે એક સુર્યાસ્તે તેઓ ઉભા રહી પોતાની અંદર તેજપુંજ જગાવવામાં મગ્ન હતા. ટેકરી પર ઉભા તેઓ સાવ શુન્યાવસ્થામાં પહોંચ્યા અને ત્યાં જ બેહોશ થઈ ઢળી પડયા. રાત થઈ, રજનીશ પાછા ન આવ્યા એટલે સાથી વિદ્યાર્થીઓ તેમને શોધવા નીકળ્યા. પેલા વૃક્ષ નીચે તેઓ બેહોશ અવસ્થામાં પડયા હતા. પણ કદાચ ભીતર એક પ્રચંડ ચેતના જાગી ઉઠી હતી. વિદ્યાર્થીઓએ એમને ઢંઢોળ્યા નહીં પરંતુ સમાધીમાંથી સ્વયં તેઓ બહાર આવે એ માટે રાહ જોવા લાગ્યા. અડધી રાત્રે તેઓએ આંખો ખોલી. એમને ચોતરફ તેજ દેખાવા લાગ્યું. રજનીશની જ્ઞાનપ્રાપ્તિના સમાચાર કોલેજમાં ફેલાઈ ગયા. એમની સાંધ્યસભામાં શિષ્યો (કોલેજના વિદ્યાર્થીઓ)ની સંખ્યા વધી ગઈ અને આચાર્ય રજનીશ બનવા તરફ એમના પગલા મંડાયા હવે તેઓ ધોતીની જગ્યાએ લુંગી પહેરવા લાગ્યા. અને એકદમ લાંબા ઝભ્ભા પહેરતા. ચંપલની જગ્યાએ ચાખડી આવી ગઈ હતી. ઝભ્ભાના ગજવામાંથી એક ખિસ્સામાં તેઓ કાજુ ભરી રાખતા, બીજામાં ખારીશીંગ. પોતે ખારીશીંગ ખાતા પણ જે સામે મળે તેને કાજુ આપતા રહેતા.
અધ્યાત્મ પ્રત્યે રજનીશને પ્રથમથી જ ખેંચાણ. વતન ગાડખારા છોડીને તેઓનો પરિવાર જબલપુર આવ્યો ત્યારે પાડોશમાં રહેતા કૈલાશ સાથે એમને દોસ્તી જામી ગઈ. ગામમાં એ સમયે એક સાધુ આવ્યા હતા. તબેલામાં પડ્યા રહેતા. કોઈ ખાવાનું આપે તો જમી લેતા નહીંતર મોંમાં એકસાથે ત્રણ-ચાર બીડી ખોસીને કશ લીધા કરતા. રજનીશ તેમની સામે બેસી રહેતા. પડોશી મિત્ર કૈલાશની સાયકલ પાછળ બેસી પહોંચી જતા. કૈલાશને રહસ્યકથાઓ, ચમત્કારની કથાઓમાં બહુ રસ હતો તેથી કશુંક જાણવા મળશે પેલા સાધુ પાસેથી, એવું વિચારીને એ પણ રજનીશનો સાથે આવી જતા. સાધુનું નામ મગ્ગાબાબા હતું.
કોલેજ તેમનાં ઘેરથી આઠ કિલોમીટર દૂર હતી. કૈલાશના ઘેર ખાવા ખિચડી ન હતી પણ સાયકલ હતી ! એના દિવંગત પિતા વારસામાં બે જ વસ્તુ છોડી ગયા હતા: સાયકલ અને ગરિબી. કોલેજ જતા રસ્તામાં  અમૃત ભંડાર નામની મિઠાઈની દુકાન આવતી. કૈલાશને મિઠાઈનો શોખ હતો એ રજનીશને ખ્યાલ. સાયકલ  તેઓ અચુક ત્યાં ઉભી રખાવે. ત્યાંથી રસગુલ્લા ખરીદે અને કૈલાશને ખવડાવે. પોતે ક્યારે પણ ન ખાય. દોસ્તી નિભાવવાનું તેઓ જાણતા હતા.
ગરિબ ઘરનાં કૈલાશ પાસે જુના કપડાં ખરીદવાના ફદીયાં પણ નહોતા તો પછી ભણવાના પૈસાની તો વાત જ ક્યાં કરવી ! રજનીશ પોતાના એકાઉન્ટમાંથી એમને લાઈબ્રેરીમાંથી પુસ્તકો અપાવતા, જમાડતા. એ કૈલાશ નારદ આજે ટોચના લેખક બની ચુક્યા છે. પોતે જે કંઈ છે એ રજનીશના પ્રતાપે એવું તેઓ સ્વીકારે છે. પણ રજનીશનો વિયોગ આજે પણ તેમને કઠે છે. ડો. કૈલાશ બહુ વ્યથાપૂર્વક લખે છે: "સમયના પારદર્શક આવરણોમાં વિતેલા દિવસોની સ્મૃતિઓ જાણે ધૃજી રહી છે. ચેતનાનાં કોઈ ધુમિલ, અજાણ્યા ખુણે એ સ્મરણો પડખા ફેરવી રહ્યાં છે. મનમાં કોઈ જબરી ઉથલપાથલ થયા કરે છે. યાદોના પડછાયાઓ સતત ઢંઢોળ્યા કરે છે. પ્રેમ કંઈ ચિત્તને મુક્ત કરતો નથી. એ સતત આપણને બંધનમાં રાખે છે અને રજનીશનો ઘેઘુર સ્વર સતત સંભળાયા કરે છે."

Thursday, August 4, 2011

ઓશોઆશ્રમ અને ગરિબાઈ!


રજનીશ અને પેડર રોડ અને 

પાંચ હજાર રૂપિયા અને આખો મહિનો 

સાવ અનાયાસ જ બધું બન્યું. ઓચિંતી મુલાકાત પછી એક યાદગાર સહવાસ અને પછી સ્મૃતિપટ પર કોતરાઈ ગઈ એ અવિસ્મરણીય ક્ષણો. ચિરંતન બ્રહ્મચારી જાણે ટાઈમ ટ્રાવેલ કરી રહ્યાં છે. રજનીશ બન્યા પછીના એ શરૂઆતના વર્ષો... એમની આંખ  સામે જ બધું  ભજવાઈ રહ્યું છે જાણે. મુંબઈના પેડર રોડ પર આવેલા બહુમાળી બિલ્ડિંગના  સોળમાં માળે આવેલો એ આશ્રમ. તેની અંદર પ્રવેશ કરતા જ એક તરફ હતો ઓશોનો શયનખંડ. બરાબર તેની બાજુમાં જ હતો ચિરંતન બ્રહ્મચારીનો રૂમ. ઓશોના સંન્યાસી તરીકેનું એમનું નામ હતું: સ્વામી કૃષ્ણ કબિર. વર્ષો  સુધી તેઓ ઓશોની નિશ્રામાં રહ્યાં. આગળ જતાં ઓશોના પિતરાઈ બહેન ક્રાંતિ (મા યોગ ક્રાંતિ) સાથે એમણે  લગ્ન પણ કર્યા. એટલે આમ જુઓ તો તેઓ ઓશોના બનેવી થાય.
રજનીશનો એ સાવ પ્રારંભીક તબક્કો. હજુ એમનું નામ ઘેર-ઘેર જાણીતું નહોતું. ચિરંતન બ્રહ્મચારી ઓશોના એ કાળના સાક્ષી છે. ઓશો સાથેના એમના અનુભવોનો એક ખજાનો છે તેમની પાસે. એ સ્મરણો વાગોળતાં તેઓ કોઈ અલગ જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. અત્યારે ચિરંતનભાઈ અમદાવાદ રહે છે. હમણાં જ રાજકોટ ખાતે "અકિલા"માં તેમની મુલાકાત થઇ. ઓશો વિષે એમણે અનેક એવી વાતો કરી જે આપના જેવા ઓશોચાહક માટે પણ બહુ જાણીતી ના ગણાય. અહી એમની વાતોમાંથી કેટલીક રસપ્રદ વિગતો મૂકી રહ્યો છું.  
ઓશોને અતિ કિંમતી ઘડીયાળોનો શોખ હતો એ બહુ જાણીતી વાત છે. આમાની બે અતિ કિંમતી ઘડીયાળો તેમણે ચિરંતન બ્રહ્મચારી અને તેમના પત્નીને આપી છે. ઉપરાંત ઓશોએ આપેલી ખુરશી તથા હસ્તાક્ષર કરીને આપેલી ડાયરી પણ આપી છે. કિંમતની દ્રષ્ટિએ આ બેઉ ઘડિયાળો અમૂલ્ય છે. હીરા જડીત રાડો કંપનીની ઘડીયાળ અને "ઓમેગા  સી-માસ્ટર" બ્રાન્ડની આ ઘડીયાળો ઓશો જાતે પોતાના કાંડા પર ધારણ કરતા હતા. કોઇ ખમતિધર ઓશોપ્રેમી જ આ ઘડિયાળોનું મુલ્ય ચૂકવી શકે. આજે ઓશોનાં કેટલાક દુર્લભ પુસ્તકો પણ ઇન્ટરનેટ પર અઢી  ત્રણ લાખ રૂપિયાના ભાવે વેંચાઇ રહ્યા છે ત્યારે આ ઘડિયાળોની કિંમત તો કરોડમાં થવા જાય.  

ચિરંતન બ્રહ્મચારીએ આજે પણ આ બધી ચીજવસ્તુઓ સાચવીને રાખી છે. આ ઘડિયાળો ઓશોએ ધારણ કરી હોય તેવા ફોટોગ્રાફસ અને વીડીયો પણ તેમની પાસે છે. ચિરંતનભાઇ પોતાની પત્નીની કેન્સરની બિમારીમાં પોતાની બચતની છેલ્લી પાઇ પણ ખર્ચ કરી ચૂકયા છે. આજે એમની પાસે કશું જ નથી. અમદાવાદથી રાજકોટ આવવુ હોય તો પણ ટિકિટ માટે વિચાર કરવો પડે એવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં કોઇ ધનાઢય ઓશોપ્રેમી તેનું પુંરતુ મુલ્ય ચુકવી આ અમુલ્ય ઘડિયાળો ખરીદી લે તો બધાનું ભલું થાય એમ છે. તેના દ્વારા ચિરંતનભાઇની  જિંદગી પણ સુધરી જાય અને ઓશોનાં ચાહકને એક એવી અદભૂત પ્રસાદી મળે. જેની તેમણે કદી કલ્પના પણ ન કરી હોય !

ઓશો સાથેની એ પ્રથમ મુલાકાતઃ 
હિન્દુસ્તાન મેં વિચાર મર ગયા હૈ !


લગભગ ૧૯૬૮ની સાલની વાત છે. રજનીશજી ત્યારે માથેરાન શિબિર માટે જઇ રહ્યાં હતા. મુંબઇથી માથેરાન જતા નેરલ નામનું સ્ટેશન આવે છે. ઓશો ત્યાં ઉતર્યા હતા. ચિરંતન બ્રહ્મચારી પણ એ જ સ્ટેશન પર હતા. તેઓ રજનીશજીને મળ્યા અને બે દિવસ અગાઉ અમદાવાદના એક અખબારમાં છુપાયેલા અને લેખ અંગે વાત કરી. એ આખા પાનાનાં લેખમાં તર્ક લડાવી ઓશોને સામ્યવાદી સાબિત કરાયા હતા. આ લેખ અંગેની વિગતો સાંભળતા જ રજનીશજીએ કહ્યું: ‘ શું કરીએ ! હિન્દુસ્તાન મેં વિચાર મર ગયા હૈ. સોચ કી ક્ષમતા નહી રહી !’ એ મુલાકાત પછી ચિરંતન બ્રહ્મચારી ઓશોનાં રંગે એવા રંગાઇ ગયા કે વર્ષો સુધી તેમનાં સાંનિધ્યમાં રહ્યાં. 

ઓશોએ અખબારમાં પણ નોકરી કરી હતી !

ઓશોની  અનેક અજાણી વાતોનો ચિરંતનભાઇ પાસે ખજાનો છે. કોલેજમાં ઓશો અભ્યાસ કરતા ત્યારે તેમણે ફીનાં પૈસા ભરવા અને હાથ છુટ્ટો રહે એ માટે એક અખબારમાં નોકરી કરી હતી. મધ્યપ્રદેશમાં તેઓ રહેતા. જાણીતા હિન્દી અખબાર, નવભારતમાં તેઓ પ્રુફરીડર તરીકે કામ કરતા. ફરસાણનો જબરો શોખ હતો. દરરોજ રાત્રે અચૂક ફરસાણ જોઇએ જ. નાનપણથી જ તર્કમાં તેઓ અવ્વલ હતા. સાગર ટાઉન નજીકના શકકરમાં એક વખત કોમ્યુનિસ્ટોનું સંમેલન હતું. રજનીશ ત્યારે યુવાવસ્થામાં હતા. એમણે કેટલાક પ્રશ્નો તૈયાર કર્યા ધારદાર  અણિયાળા. સંમેલનમાં સ્ટેજ પર ચડી ગયા અને કહ્યુ કે, ‘ મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે !’ પેલાઓએ મંજૂરી આપ્યા સિવાઇ કોઇ છુટકો જ નહોતો ! એમણે એવા સવાલો કર્યા કે પેલા બધા ડઘાઇ ગયા અને જેમ તેમ કરી રજનીશને ત્યાંથી રવાના કર્યા. સવાલો પૂછવામાં તેઓ એકકા હતા તો જવાબો આપવામાં પણ લાજવાબ હતા ! અલિગઢ મુસ્લિમ યુનિ.ના ૪૦ વિદ્યાર્થીઓ એક વખત તેમનો ‘ દાવ લેવાનું નકકી કરીને જ પ્રશ્નો પૂછવા મુંબઇ આવ્યા તેમના પ્રથમ સવાલનો જવાબ જ ઓશોએ એવો આપ્યો કે, બાકીના સવાલો કર્યા વગર પેલા અભિભૂત થઇને રવાના થયા !’

ઓશોની દિનચર્યા : વેઇટ લિફિટંગથી લઇને પુસ્તકો અને ભોજન 

સવારે સાડા પાંચ  છ વાગ્યે ઉઠયા પછી ઓશો ડમ્બેલ્સ-વેઇટ લિફિટંગ જેવી કસરતો કરતા નાની વયે સંગ્રહણીનો રોગ થયો હતો. તેથી ભારે ભોજન લેતા નહી. ચા પીધા પછી સફરજન લેતા દરરોજ તેઓ માત્ર એક જ અખબાર વાંચતા: ‘ફ્રી પ્રેસ જર્નલ’. સાડા આઠ નવથી મુલાકાતીઓ આવવાનું શરૂ થાય. સવારે ૧૦:૩૦ એમનો ભોજનનો સમય. બપોરના બારથી ત્રણ આરામ કરે. જાગ્યા પછી દર કલાકે થોડી સોડા પીવે. પ્રવચન અને ગોષ્ઠિ ચાલે. સાંજે સાત વાગ્યે ભોજન લેવાનું. દિવસભરમાં જયારે સમય મળે ત્યારે પુષ્કળ વાંચન કરે. ‘ઇન્ડિયા બુક હાઉસ’ના તેઓ સૌથી મોટા ગ્રાહક હતા. ખાલી ઈમ્પાલા લઇને જતા અને પુસ્તકોથી છલોછલ ગાડી લઇ પાછા આવતા. વાંચનની સ્પીડ ગજબની હતી. કોઇ પૂછે કે ‘ આટલું ઝડપથી કેવી રીતે વાંચો છો’ તો જવાબ આપતા :‘ મૌલિક સર્જન હોય એ જ હું આખુ વાંચુ અને જગતમાં મૌલિક કૃતિઓ બહુ જૂજ રચાય છે!’ જમાનાથી તેઓ એટલા આગળ હતા કે, સિંતેરની સાલમાં પણ તેઓ પેપરલેસ ઓફીસની વાતો કરતા. સ્પેશિયલાઇઝેશનની વાત કરતા તેઓ કહેતા કે, ‘ ભવિષ્યમાં ડાબી અને જમણી આંખોના મોતિયા માટે પણ અલગ  અલગ ડોકટરો હશે.!’

માત્ર પાંચ હજાર રૂપિયામાં ઓશોનો આશ્રમ ચાલતો !

ત્રણેક વર્ષ સુધી ચિરંતન બ્રહ્મચારી ઓશોની પડખે જ રૂમમાં રહેતા હતા. મુંબઇના પેડર રોડ પર આવેલા ‘વુડલેન્ડ’ બિલ્ડીંગના સોળમા માળનો ફલેટ એ તેમનો આશ્રમ. એ આશ્રમે વિજય આનંદ, જયદેવ, કલ્યાણજીભાઇ જેવાં અનેક મહાનુભાવોની નિત્ય અવર જવર રહેતી. ‘નવરંગ’નો અભિનેતા મહિપાલ વગેરે પણ આવતા. રજનીશજીએ તે સમયે એક સ્ટડી સર્કલ બનાવ્યું હતુ. જેમાં પચાસ મેમ્બર રહેતા. દરરોજ સાંજે ઓશો તેમને વકતવ્ય આપે, ગોષ્ઠિ કરે અને સભ્યોએ ફી પેટે મહિને એકસો રૂપિયા ચુકવવાનાં ! પચાસ મેમ્બર્સના સોસો મળી કુલ પાંચ હજાર મહિને એકઠા થતા તેમાંથી આશ્રમનો નિભાવ ખર્ચ નીકળતો. બહુ મર્યાદિત આવક હતી. ચિરંતન બ્રહ્મચારી કહે છે:‘ એક વખત અગત્યનાં મહેમાન સહપરિવાર પહોંચી ગયા અને આશ્રમમાં એમના માટે ભોજન બનાવવાનો લોટ પણ નહોતો ! હું નીચે ગયો અને બ્રેડ તથા બટર લઇ આવ્યો, ચા  કોફી સાથે અમે તેમને બ્રેડબટર પીરસ્યા !’

ઓશોની હત્યાનો પ્રયત્ન એમના સંન્યાસીનીએ જ કર્યો !

લગભગ ૧૯૬૫૬૬ આસપાસની વાત છે. ઓશો પોતાની કારમાં જઇ રહ્યા હતા. અચાનક શું થયું અને ગાડીની બ્રેક ફેઇલ થઇ ગઇ. સંજોગો એવા સર્જાયા કે ગાડી કાબુમાં રાખવાનું મુશ્કેલ થઇ ગયુ. મહામહેનતે કારને સાવચેતીપુર્વક, સલામતીપુર્વક એક ખાડામાં ઉતારી દેવાઇ. ઓશોના અત્યંત નજીકના સુત્રોની વાત માનીએ તો તેમના જ એક સંન્યાસીનીએ ઓશોને ખતમ કરવાનું આ કાવતરૂં ઘડયુ હતુ. ચર્ચા એવી પણ છે કે, તેઓ ઓશોને હટાવી સર્વેસર્વા બનવા માંગતા હતા. આજે પણ આ મહિલાનાં અનેક જગ્યાએ આશ્રમો છે, ખાસ કરીને વિદેશમાં. આ ચાલની ખબર પડી ગઇ હોવા છતાં ઓશોએ તેમની વિશે કોઇ કાર્યવાહી નહોતી કરી.
( પિફચર અભી બાકી હૈ, દોસ્તો! ...  )