Showing posts with label Nagar-Nagar. Show all posts
Showing posts with label Nagar-Nagar. Show all posts

Wednesday, July 10, 2013

Rajkot

રંગીલું જ નહિ, રાઉડી રાજકોટ: 

ભડભાદર જેવું મહાકાય ગામડું 

7 જુલાઈ એટલે રાજકોટનો જન્મ દિવસ ....
404 વર્ષના થયેલા આ શહેર પર 7 જુલાઈ - 2013ના
દિવસે "મુંબઈ સમાચાર"માં છપાયેલો મારો લેખ



એક ગુજરાતી ફિલ્મના ગીત પરથી રાજકોટ માટેનો નવો શબ્દપ્રયોગ શરૂ થયો: ‘રંગીલું રાજકોટ’. શબ્દ બહુ સામાન્ય છે પણ રાજકોટના સ્વભાવને અનુરૂપ છે. રાજકોટ રંગીલું છે. એકદમ કલરફુલ. એ અમદાવાદ જેવું કંજૂસ નથી. વડોદરા જેવું નીરસ નથી અને સુરત જેવું કોસ્મોપોલિટન નથી. આપણે ઘણી વખત ઈશ્ર્વરની અપરંપાર લીલાને યાદ કરીએ છીએ, કહીએ છીએ કે તેણે કેટલી કુશળતાથી મનુષ્યની રચના કરી હશે કે પૃથ્વીના કોઈ બે મનુષ્યના ચહેરા પણ એકસમાન નથી હોતા. વાત સાચી છે પણ મનુષ્ય એક ગ્રેટ કલાકાર છે. જરા વિચારો: તમે ક્યારેય એકસરખા હોય એવાં બે શહેરો ભાળ્યાં છે? મનુષ્યની લીલા પણ અપરંપાર છે: દરેક શહેરનો ચહેરો જુદો, તાસીર નોખી, બોલી અલગ અને રહેણીકરણી ભિન્ન. રાજકોટ અનોખું છે, એકમેવ છે. તેના સ્વભાવમાં બેફિકરાઈ પણ છે અને ઉદ્યમ પણ છે. આળસ પણ ખરી અને મહેનત પણ પુષ્કળ. આ શહેર ઈઝી મની પાછળ દોટ મૂકનારું છે એટલે જ ક્યારેક એના લક્ષણ આપણને આડી લાઈને ચડેલા યુવાન પુત્ર જેવા લાગે, તો ક્યારેક બેકાબૂ, લગામવિહોણું દીસે છે.

શેરબજારમાં રોકાણની બાબતે મુંબઈ, અમદાવાદ અને જયપુર પછી રાજકોટનો ચોથો નંબર આવે છે અને કોમોડિટીના સટ્ટામાં એ દેશમાં એકથી પાંચમાં સ્થાન પામે છે. અહીં એકસોમાંથી બસ્સો રાજકારણીઓ જમીન વ્યવસાયમાં ભૂસકો મારી ચૂક્યા છે અને એ બસ્સોમાંથી ત્રણસો જણ જમીન કૌભાંડોમાં પ્રવૃત્ત છે - અહીં જે રાજકારણી જમીન પચાવી પાડવાના ધંધામાં નથી એ આદિમાનવની કે વિચરતી - વિહરતી જાતિની કેટેગરીમાં આવે છે. અધિકૃત આંકડા કહે છે કે, લેન્ડસ્કેમ બાબતે આ શહેર દેશનું કેપિટલ છે અને આત્મહત્યાની સંખ્યામાં પણ એ અવ્વલ છે. તેના રિયલ એસ્ટેટના ભાવો મુંબઈના જેવી ગતિથી વધે છે. આવા અગણિત સમાચારો દરરોજ આવતા રહે છે. આ શહેરના ડી.એન.એ.માં સટ્ટો છે. પાનની દુકાનથી લઈને, ચાની લારીથી લઈને, અહીં કોર્પોરેટ કંપનીની ઓફિસોમાં નિફટી અને રિલાયન્સની ચર્ચા નિત્ય થતી રહે છે. મજાકમાં ઘણી વખત કહ્યું છે જેનું ઘર આખું ઊંધું કરી નાખો તો પણ અઢીસો ગ્રામ ચણા ન નીકળે એવા લોકો એમ.સી.એક્સ. કે એન.સી.ડી.એક્સ.ના ટર્મિનલ પર બેસી પાંચ-દસ ટન ચણા (અલબત્ત સોફ્ટ કોપીમાં) ખરીદી લે છે! બેંક અમલદારથી માંડીને અનેક સરકારી કચેરીના કર્મચારીઓ નિયમિતપણે ગૂટલી મારી શેરબજારના ટર્મિનલ પર ગોઠવાઈ જતા હોય છે.

ફિલ્મ ‘કમિને’નો નાયક તેની તોતડી જબાનમાં વારંવાર એક સંવાદ વદે છે: ‘પૈસા કમાને કે દો હી રાસ્તે હૈ, એક ફોર્ટ કટ, દુફરા, છોટા ફોર્ટ કટ!’ આ ફિલ્મી ડાયલોગ અહીંના યુવાધન માટે જાણે જીવનમંત્ર છે. ક્રૂડનો ભાવ શા માટે વધશે? ગોલ્ડ-સિલ્વર શા માટે પટકાઈ રહ્યાં છે? નિકલ અને ઝિન્ક ટોચ પર કેવી રીતે પહોંચ્યાં, શા કારણે પછડાયાં? અને યુરોપની મંદીનાં કારણો ક્યાં છે? એવી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો રાત્રે પાનના ગલ્લે કલાક ઊભા રહો. સી.એન.બી.સી. પર જે તમને જાણવા ન મળે એવો જગતભરના કોમર્સનો માહિતી સંચય ત્યાં મળી રહેશે. હા! તેમને રાજ્યના આરોગ્ય, મહેસૂલ કે શિક્ષણ કે કાયદામંત્રીનાં નામ પૂછશો તો ખ્યાલ નહીં હોય. ચારસો વર્ષના ઈતિહાસમાં આ શહેરને આ ત્રણેક વર્ષ પહેલાં પ્રથમ વખત યાદ આવ્યું કે તેનો જન્મદિવસ ક્યારે છે!

શેરબજાર અને કોમોડિટી ઉપરાંત સરેરાશ રાજકોટવાસીઓના રસનો વિષય છે - રિયલ એસ્ટેટ. એક સમયે બિહારનો ઊગતો યુવાન અપહરણ અને ખંડણીના વ્યવસાય પ્રત્યે આકર્ષાયો એમ આજનો રાજકોટિયન જમીન-મકાનના વ્યવસાયના પ્રેમમાં છે. ઓછી મહેનતે લણેલાં ઝાઝેરાં નાણાંએ અહીંના શહેરીજનને રંગીનિયતની ભેટ આપી છે. જે નાણાં મેળવવા કાળી મહેનત થઈ હોય એ પૈસો જલદી ગાંઠેથી છૂટતો નથી. જ્યાં ઈઝી મની છે, ત્યાં રંગીનમિજાજી છે. હા! આ શહેર રંગીલું છે. મોજીલું છું. અહીં માત્ર એક નોકરી કે એક વ્યવસાય કરવો એ પાપ છે, અધર્મ છે. અહીં શ્ર્વસવું હોય તો સાઈડ બિઝનેસ કે ચતુરાઈપૂર્વક ઈન્વેસ્ટમેન્ટ કરવું અનિવાર્ય છે. આ નગર મોંઘું છે. કોઈ દેખીતા કારણ વગર અહીં જમીનથી લઈ કામવાળીના ભાવ ઊંચકાતા જાય છે. નથી કોઈ મોટા ઉદ્યોગો, નથી કોર્પોરેટ્સ, નથી ખનીજો કે નથી પર્યટન. આબોહવા ગરમ છે, પાણીકાપ કાયમી. છતાં કોઈ અગમ્ય કારણોના લીધે સ્થાનિક બજાર ભડભડ બળે છે. આ શહેરમાં જે ભાવે ફ્લેટ મળે છે એટલી કિંમતમાં અમદાવાદમાં તમે રો હાઉસ ખરીદી શકો છો. ઈઝી મની બહુ વિપુલ પ્રમાણમાં બજારમાં ઠલવાતું રહે છે અને સામાન્ય જનનું જીવન વધુ દુષ્કર બનતું રહે છે પણ, આ બધી ઘટના-દુર્ઘટનાઓ વચ્ચે એવરેજ શહેરીજન ખુશ છે. એની અપેક્ષાઓ નાની છે અને સુખ પણ નાનાં-નાનાં. કોઈ દિવસ પાણી જો ફોર્સથી આવે અને પાછલા ફળિયાના ટાંકા લગી પહોંચી જાય તો એ એમના માટે સુખ છે. જેમ દરેક ઘરમાં એક મેઈન ડોર હોય છે તેમ અહીં પ્રત્યેક ફળિયે એક બોરવેલ હોય છે. આ શહેરમાં છેલ્લાં વીસ વર્ષથી પાણીકાપ અમલમાં છે, કોઈ દિવસ વીસ મિનિટને બદલે અર્ધો કલાક પાણી આવે તો એ એક અવસર ગણાય છે, તહેવાર વખતે સળંગ બે-ત્રણ દિવસ પાણી આવવાનું હોય તો એ ન્યુઝ બની જાય છે અને શેરી-મહોલ્લામાં લાકડિયા તારની જેમ પ્રસરી જાય છે. બપોરે વામકુક્ષિનો સમય ચોરી લેવો એ સુખ છે અને રાત્રે જમ્યા પછી રિંગ રોડની પાળીએ અન્ડર બ્રિજના ઉપલા માળે ટાંટિયા લાંબા કરી હવા ખાવી એ પણ એમની સુખની વ્યાખ્યામાં આવે છે.

મુંબઈ અને બેંગલોરમાં કે વૈશ્ર્વિક સ્તરે સ્વીકાર્ય એવી નાઈટ લાઈફની વ્યાખ્યા કરતાં તદ્દન અલગ અને સાત્ત્વિક નાઈટ લાઈફ એ રાજકોટની એક ઓળખ છે. અહીં પબ નથી એટલે જામ ટકરાવવાનો પ્રશ્ર્ન નથી. ચાની લારીઓ પર મોડે સુધી અર્ધી ચાના ‘કઠિયાવાડી જામ’થી ચિયર્સ થતું રહે છે. બહારના લોકો રાજકોટ આવે તો કુતૂહલથી પૂછે છે કે, ‘ચામાં તમને શો આનંદ મળે?’ વેલ, ચાય તો બહાના હૈ, ઈનફેક્ટ, આ ગોસિપ પ્રેમીઓનું નગર છે. ચાનો ટેકો માત્ર છે. અહીં એનીથિંગ હેપની શકે છે! જો છાશને તમે કચ્છી બિયર કહેતા હોય તો ચા એ કઠિયાવાડી બિયર ગણાય. અર્ધી રાત્રે ચા સાથે થેપલાં-રાયતાં-મરચાંનો નાસ્તો કરનારું આ એકમાત્ર નગર હશે કદાચ આખા મલકમાં. 

‘રાજકોટમાં રહ્યા તેને બીજે ક્યાંય ફાવે નહીં’ એવું વાક્ય તમને ઓલમોસ્ટ પ્રત્યેક રાજકોટવાસી પાસેથી સાંભળવા મળશે. જાણે તકિયાકલામ. ક્યાંથી ફાવે! કયા શહેરમાં રાત્રે બાર વાગ્યે લીંબુ-સોડા પીવા નીકળતા લોકો હશે! અને કયા નગરમાં આવા ગ્રાહકોની રાહ જોઈ ઊભેલો સોડાવાળો મળશે? ચા અને લીંબુ-સોડા અહીંનાં રાષ્ટ્રીય પીણાં છે અને નેશનલ ડિશ છે, ગાંઠિયા, ફાફડા, ટાઈમ માગી લે છે એટલે કાચા-પાકા વણેલાએ તેનું સ્થાન લઈ લીધું છે. જલેબી અહીં અચૂક તેલમાં બનેલી જ મળે. વણેલા હજુ પાણીમાં તળેલા નથી મળતા એ સારું કહેવાય. ફરસાણના ભાવ વધે તો અહીં ન્યુઝ બની જાય. માગ ઊઠે કે, કલેક્ટરે ભાવબાંધણું કરવું જોઈએ! અલ્યા ભાઈ, ચેવડો-ગાંઠિયાને આવશ્યક ધારામાં આવરી લેવાના બદલે ફરસાણ થોડો દિવસ બંધ કરો તો ના ચાલે? ના ચાલે. રવિવારે સવારે ગાંઠિયા લેવા જાઓ તો તમારી સાથે એવું વર્તન થાય છે જાણે કોઈ કડક માસ્તર પોતાના તોફાની વિદ્યાર્થીને પાઠ ભણાવી રહ્યો હોય. લોકો ભજિયાં ખાવા એટલા તત્પર હોય છે કે પા ઈંચ વરસાદનું એક માવઠું અમથું આવે કે ભજિયાં લેવા હડિયું મેલે. ભલાદમી, વરસતા વરસાદમાં એકાદ કપ ગરમાગરમ કોફી ના પી શકાય? ના. ભજિયાં જ જોઈએ.

રાજકોટનો પોતાનો રંગ છે અને પોતીકી મોજ. રિક્ષા પાછળ અહીં લખ્યું હોય છે: મોજે દરિયા, એની મોજ કેવી હશે અને દરિયો કેવો એ એ જ જાણે. પૂછવાની મનાઈ છે. અહીં દરેક મનુષ્યને તેની પોતાની મોજ છે. રિક્ષાવાળો ઈન્ડિકેટર આપ્યા વગર કે હાથ કાઢ્યા વગર ગમે તે તરફ ટર્ન લઈ શકે છે, તમે લેફ્ટસાઈડમાં પ્રેમથી ટૂ વ્હીલર પર જતા હોવ ત્યાં અચાનક જ સામેથી, રોંગ સાઈડમાં બીજું ટૂ વ્હીલર આવી શકે છે. તમે માંડ અકસ્માત થતો બચાવો અને એની સામે જુઓ એ પહેલાં એ અસલ કઠિયાવાડીમાં પંચાક્ષરી શ્ર્લોક પઠન શરૂ કરી દે છે. તમે કહો છો કે વાંક તમારો છે, રોંગ સાઈડમાં તમે હતા. તો એ કહે છે, સાઈડ અને રોંગ સાઈડ... આંખ્યું છે કે કોડા? હામું ધ્યાન તો રાખ! અહીં એવી આઈટમોની સંખ્યા બહુ મોટી છે જે રોજ ઝઘડવાનો નિશ્ર્ચય કરી ઘેરથી નીકળે છે. જે દહાડે એ કોઈને ગાળો ન ભાંડે, એને ઊંઘ નથી આવતી. સવાર-સવારમાં ડખ્ખો થાય તો એનો દિવસ સુધરી જાય. આ નગર રફ-ટફ છે. ડગલે ને પગલે એ તમારી ટફનેસની, તમારી મેટલની કસોટી કરે છે. અહીં રહેવું હોય તો તમારે આવી કળતરોને વશ થઈ રહેવું પડે અથવા તેના કરતાં મોટી કળતર બનવું પડે. અહીં તમે રંગીલા, મોજીલા હો એટલું જ પૂરતું નથી, સર્વાઈવ થવા માટે તોરીલા પણ બનવું પડે છે!

મહાનગર બનવા તરફ ધસી રહેલા આ શહેરમાં હજુ શિષ્ટાચારનો અભાવ દેખાય છે. સારી સોસાયટીઓમાં ત્રણ બેડરૂમના મકાનમાં રહેતા સજ્જનો પણ વહેલી સવારે શેરીમાં લુંગી અર્ધી ચડાવી બ્રશ કરતા, કોગળા કરતા જોવા મળી જાય. એંઠવાડ હજુ અહીં શેરીમાં જ ઢોળવાનું ચલણ છે. મહત્તમ કિસ્સામાં રોડની વચ્ચોવચ. એ ઝાપટી જવા ગાયો સતત ત્યાં ખડેપગે જ મળે. ગામડામાં હોય એવાં તમામ લક્ષણો અહીં જોવા મળે. નાનીશી ઘટના ક્યારે શહેરનો હોટ ટોપિક બની જાય એ નક્કી નહીં. રાજકોટની વસ્તી ઝડપભેર વધી રહી છે. લેટેસ્ટ આંકડાઓ કહે છે કે હવે અહીં સત્તર લાખની વસતિ થઈ ગઈ છે. સમસ્યા એ છે કે અહીં આસપાસનાં ગામડાંમાંથી સ્થળાંતર વધુ થઈ રહ્યું છે અને આ પ્રજા રાજકોટમાં ભળી જવાને બદલે રાજકોટને પોતાનામાં ભેળવી રહી છે. શહેરી સૌજન્ય-શિષ્ટાચાર એમને જલદી રુચતાં નથી. એટલે જ ક્યારેક આ શહેર એક નાના મહાનગર કરતાં પણ એક મહાકાય ગામડા જેવું વધુ લાગે છે. જો કે, આ બધાં જમા-ઉધાર વચ્ચે પણ સરેરાશ રાજકોટિયન આ શહેરના પ્રેમમાં છે. પ્રેમમાં પડેલા લોકોને સામા પાત્રની ઊણપો પણ પ્લસ પોઈન્ટ જેવી જ લાગે!

Wednesday, May 1, 2013

ગુજરાત ક્વિઝ: સાપુતારા ઉપરાંત ગુજરાતના હિલ સ્ટેશન ક્યા? પારસીઓ પોતાનો પવિત્ર આતશ જ્યાં લાવ્યા હતા એ સ્થળ કયું?


 53 વર્ષ, 53 સવાલ !!
તમે ગુજરાતી છો પરંતુ ગુજરાતને કેટલું ઓળખો છો? ગુજરાતીઓ પર્યટક તરીકે આખા દેશમાં પ્રથમ સ્થાને છે. હિમાચલથી લઇ કાશ્મીર, કેરળ કે સિક્કીમ જેવાં સ્થળોએ જઇએ તો ગુજરાતી ટુરિસ્ટની સંખ્યા સૌથી વધુ જોવા મળે. ગુજરાતીઓ આખા દેશમાં અને વિદેશમાં પણ ફરે છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતીઓ પોતાના ગુજરાતમાં કેટલું ફરે છે? ગુજરાતમાં પણ એવી માન્યતા છે કે ગુજરાત એટલે સોમનાથ, દ્વારકા અને સાપુતારા જ. ગુજરાતીઓ વિશ્વપ્રવાસી ગણાય છે. પરંતુ તેમાંના મોટાભાગના લોકોએ ગુજરાત જ સંપૂર્ણપણે જોયું નથી હોતું. ગુજરાત એટલે માત્ર ધર્મસ્થાનોની ધરતી એવી ઘણાની માન્યતા પ્રવર્તે છે. ખાસ કરીને બિનનિવાસી ગુજરાતીઓ અહીં આવે ત્યારે રાજ્યમાં ક્યાં ફરવું એની પણ દ્વિઘા હોય છે. ગુજરાતની સ્થાનિક પ્રજાને પણ બેચાર દિવસની રજા ગાળવા ક્યાં જવું તે સમસ્યા હોય છે. એટલે જ આ ક્વિઝ  દ્વારા એક અનોખા ગુજરાતનો પરિચય આપવાની ઈચ્છા છે ... આ ક્વિઝમાં જે પ્રશ્નો છે તેનો જવાબ તમે મને મારા મેઈલ id પર મોકલી શકો છો - જેમના સૌથી વધુ જવાબો સાચા હશે તેવા દસ વાચકોને ઘેરબેઠા ઇનામ પહોંચાડવાની જવાબદારી મારી .... અત્યારે અહીં 25 પ્રશ્નો મુક્યા છે, તમે તેના જવાબ શોધો ત્યાં સુધીમાં બાકીના 28 પ્રશ્નો લઇ ને હું હાજર થાઉં છું kinner1@gmail.com 





     
1)          સતત છસ્સો વર્ષ સુધી ગુજરાતની રાજધાની બની રહેલું પાટણ.... ચાવડા વંશના પ્રથમ શાસક મહારાજ ચાવડાએ તેની સ્થાપના કરી. એ પછી સોલંકી અને વાઘેલા વંશનું શાસન આવ્યું. ઇ.સ. 942થી 1244 સુધીનાં 300 વર્ષ દરમિયાન અહીં સોલંકીઓએ રાજ કર્યુ અને એ જ તેનો સુવર્ણકાળ. સામાન્ય ગુજરાતી માટે પાટણ અને પટોળા એ બેઉ પર્યાયવાચક શબ્દો છે. શુદ્ધ રેશમ અને સોનાની ઝરી વડે હસ્તકળાથી બનતી આ સાડીની કિંમત સવા લાખથી શરૂ થાય છે. પટોળાનું તો ખૈર તમે મૂલ્ય પણ આંકી શકો પણ પાટણનાં સ્થાપત્યો અમૂલ્ય છે. રાણકી વાવ!  જમીનની અંદર સાત માળ અને ચોતરફ કોતરાયેલા અદ્ભૂત શિલ્પો ! ઇ.સ. 1063માં રાજા ભિમદેવના પત્ની રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કરાવ્યું. ભારતની ઉત્તમોત્તમ વાવની યાદીમાં રાણકી વાવનું સ્થાન પ્રથમ છે. રાણકી વાવમાં લગભગ આઠસો કરતાં વધુ શિલ્પો કંડારેલા છે. પટોળાની કળાને જાણે અંજલી આપી રાાં હોય એમ સ્થપતિઓએ વાવમાં પટોળાની પરંપરાગત ડિઝાઇનના શિલ્પો પણ કંડાર્યા છે. વચ્ચેના વર્ષો દરમિયાન કોઇ સમયે નજીકની સરસ્વતી નદિનો પ્રવાહ પલટાયો હતો અને આ બેનમૂન વાવ માટી અને કાદવથી જમીનમાં દટાઇ ગઇ હતી. પુરાતત્વ વિભાગે છેક 1980માં આ વાવનો કાદવ ઉલેચી તેને નવજીવન આપ્યું. આજે પુરાતત્વ વિભાગ આ વાવની જાળવણી જીવની જેમ કરે છે. વૃક્ષો અને હરિયાળીથી સભર આખું કેમ્પસ વાવની ભવ્યતાને અનુરૂપ જ બનાવાયું છે. સવાલ એ છે કે, આ વાવના મોટા ભાગના શિલ્પોમાં ભારતીય પુરાણોની કઈ કથા વણી લેવાઈ છે?

2)          પાટણની રાણકી વાવને મહદ્ અંશે અગાઉ જેવી સ્થિતિમાં લાવી શકાઇ છે પરંતુ અહીંથી ઉત્તરે આવેલા સહત્ર લિંગ તળાવનો વીસેક ટકા હિસ્સો જ ઉત્ખનન કરી બહાર કાઢી શકાયો છે. ઇ.સ. 1084માં બનેલું આ તળાવ એ સમયનાં ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. નજીકની સરસ્વતિ નદીમાંથી આ તળાવમાં પાણી લવાતું અને તેને એકદમ શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ હતી. નામ મુજબ આ તળાવમાં 1008 શિવલીંગોની સ્થાપના કરવામાં આવી હતી. અહીંનું મુખ્ય શિવાલય 48 સ્તંભ પર રચાયું હતું. આ તળાવ ક્યા રાજાએ બંધાવ્યું હતું?

3)          અનેક ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતાં પાટણમાં સેંકડો  મંદિરો છે પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર. છેક ચાવડા વંશથી જ અહીં જૈન ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો. ગુજરાતી વ્યાકરણ માટે વિરાટ કાર્ય કરનાર પાટણનાં જૈન મુની હેમચંદ્રચાર્યના ઉલ્લેખ વગર પાટણની વાત અધુરી જ ગણાય. એક સમયે પાટણ ગુજરાતની માત્ર શાસકિય કે વહિવટી રાજધાની જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ પાટનગર હતું. હેમચંદ્રાચાર્યનો વ્યાકરણનો ગ્રંથ સંપૂર્ણ થયો ત્યારે એ ગ્રંથની હાથી પર સવારી નીકળી હતી અને આખા પાટણમાં ફરી હતી. તેમાં હેમચંદ્રાચાર્ય સાથે સૌથી આગળ ચાલવામાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ હતાં ! પ્રશ્ન એ છે કે, આ દેરાસર આજે પણ શેના કારણે વધુ વિખ્યાત છે? 

4)          પાટણ નજીક આવેલાં સિદ્ધપુરનો રૂદ્ર મહાલય જાણે પેલી કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે: ‘ખંડહર બતા રહા હૈ કી ઇમારત કિતની બુલંદ થી !’. કહેવાય છે કે મૂળરાજ સોલંકીએ તેનાં બાંધકામની શરૂઆત કરાવી અને સિદ્ધરાજ જયસિંહે એ પૂર્ણ કર્યુ. આટલાં વર્ષોના અથાક પરિશ્રમ પછી જે ઇમારત તૈયાર થઇ એ હતી, ત્રણ માળ ધરાવતો જાજવલ્યમાન રૂદ્ર મહાલય! તેનાં તોરણો, ખંડો, ઉપખંડો, માળ-મેડીઓ અને અગાસીઓ... એક સાથે મંત્રોચ્ચાર કરતાં હજ્જારો બ્રાહ્મણો... રૂદ્ર મહાલયનું સ્ટેટસ એ સમયે કદાચ સોમનાથ જેટલું જ હતું. અલાઉદ્દીન ખિલજીના ક્રુર સૈન્યએ આ અપૂર્વ ઇમારતનો લગભગ પૂર્ણતઃ ધ્વંશ કર્યો અને હવે બચ્યાં છે માત્ર અવશેષો! સિદ્ધપુરની ખ્યાતિ જો કે રૂદ્રમાળ કરતાં પણ પહેલાંના કાળથી છે. છેક પુરાણ કાળથી ! આ સ્થાનને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંના બિંદુ સરોવરનું નામ પુરાણોકત પંચ સરોવરમાં માન સરોવરની સાથે લેવામાં આવે છે. વાયકા છે કે અહીં ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું. ત્યારથી અહીં માતૃશ્રાદ્ધનો મહિમા છે. સવાલ: આજે તો રુદ્ર મહાલયમાં બ-ચાર સ્તંભો જ બચ્યા છે પરંતુ તેની મૂળ ઈમારતમાં અગાઉ કુલ કેટલા સ્તંભો હતા? સિદ્ધપુરમાં એક અનોખો વિસ્તાર છે - જે સ્થાપત્યની દ્રષ્ટીએ બેજોડ છે. 360 બારીનું અહીંનું અદ્ભુત મકાન તો તેની ઝલક માત્ર છે ! લાકડાનાં પિલર પર બનેલા અને અદ્વિતીય બાંધણી ધરાવતાં આ મહોલાની શેરીઓ જાણે પેરિસને પણ શરમાવે એવી છે! તેનાં વિશિષ્ટ આર્કિટેકચરના કારણે ઘણાં પર્યટકો ખાસ આ વિસ્તારની મુલાકાત લેવા આવે છે. એટલું જ નહીં, આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પણ આ વિસ્તારની મુલાકાતે નિરંતર આવતાં રહે છે. આ વિસ્તારનું નામ શું? 

5)          વડનગર અહીંયાના વડનગરા નાગરો માટે જાણીતું છે. નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર અહીંનું પ્રમુખ ધર્મસ્થાન ગણાય. પૌરાણિક કથા એવી છે કે સતિના દેહત્યાગ પછી મહાદેવ દુઃખી થઇ પાતાળમાં જતા રહ્યા ત્યારે અહીંના નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી લોક પર લાવવા તપ આરંભ્યું. મહાદેવ પ્રસન્ન થયા અને લિંગરૂપે અહીં દર્શન આપ્યાં. હાટકેશ્વર મહાદેવ અહીં પૌરાણિક કાળથી બિરાજે છે પણ હાલનું મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. શિલ્પોથી લદાયેલા આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનાકર્ષક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું ખાસ મહત્વ છે. વડનગર જેની ફરતે વસ્યું છે અને નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે જેમાં નિત્ય સ્નાન કરતા એ તળાવનું નામ શું? 

6)          અકબરનાં દરબારમાં રાગ દીપક છેડયા પછી સંગીત  સમ્રાટ તાનસેનનું અંગે-અંગ દાઝવા લાગ્યું. રાગ મેઘ મલ્હારનું ઉત્તમ ગાન કરી નાગર કુળની બહેનો તાના અને રીરીએ જ તેને શાતા આપી હોવાનું કહેવાય છે. અકબરે બેઉ બહેનોને પોતાનાં દરબારમાં ગાવાનું આમંત્રણ આપ્યું પણ એ સમયે બ્રાહ્મણ કન્યાઓ આવો કાર્યક્રમ આપે એવું કોઇ વિચારી પણ શકતું નહોતું. તાના-રીરીએ દરબારમાં આવવાની ના ભણી દીધી. દંતકથા છે કે ગિન્નાયેલા અકબરે બેઉ બહેનોને લાવવા સૈન્ય મોકલ્યું પણ તાના અને રીરીએ પોતાનાં વતન પરનું સંકટ ટાળવા પ્રાણત્યાગ કર્યો. આ બેઉ બહેનોને વડનગર સાથે શો સંબધ? આજે આ સંબંધ કેવી રીતે જોડાયેલો રહ્યો છે? 

7)          મોઢેરાનું સુર્યમંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે. સૂર્યદેવને સમર્પિત આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેîચાયેલું છેઃ સૂર્યકુંડ, રંગમંડપ અને મૂળ મંદિર. મંદિરની ભવ્યતાની ઝાંખી સૂર્યકુંડથી જ મળવી શરૂ થઇ જાય છે. બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં આ કુંડમાં અલગ-અલગ દેવોના 108 નાનાં મંદિરો છે. ભાવિકો સ્નાનાદિ કર્મ નિપટાવી 108 દેવ-દેવીઓની પ્રદક્ષિણા કરી શકે એ માટે વ્યવસ્થા કરાઇ હતી. એ પછી આવે છે રંગમંડપ. અહીં રામાયણ-મહાભારત તથા કૃષ્ણલિલાનાં અનેક પ્રસંગોના શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત નર્તકીઓ અને મૈથુનનાં શિલ્પો પણ પ્રચુર માત્રામાં છે. મૂળ મંદિરમાં પણ દેવ-દેવીઓના તથા મૈથુનનાં શિલ્પો છે. મુખ્ય મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ગાયબ છે., કહેવાય છે કે અહીં પૂર્ણ કદની સંપૂર્ણતઃ સોનાની મૂર્તિ સ્થપાયેલી હતી પરંતુ અલાઉદ્દીન ખિલજીનાં સૈન્યએ આ મંદિરને પણ બક્ષ્યું નથી. લૂંટફાંટ તો કરી જ પણ અહીંના તમામ શિલ્પોને ખંડિત કર્યા. કોઇનો હાથ તોડયો તો કોઇના પગ તો કોઇની ગરદન.... અખંડિત મૂર્તિ શોધવાનું અહીં લગભગ અશક્ય છે.  મોઢેરાના આ સૂર્યમંદિરનું નિર્માણ 1027ની સાલમાં ભિમદેવ પ્રથમે કરાવ્યું હોવાનાં પ્રમાણો મળે છે. સોલંકી યુગના અન્ય સ્થાપત્યોની માફક આ મંદિરમાં પણ ઇંટ-ચૂનાનો ઉપયોગ નથી થયો. આ આખુ મંદિર ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનેલું છે. એટલે કે એક પત્થરમાં ખાંચ બનાવી બીજા પત્થર તેમાં જડબેસલાક બેસાડી દીધેલાં છે. આ મુદ્દો ખ્યાલમાં રાખીએ તો આ મંદિર કોઇ અજાયબીથી કમ નથી. પ્રશ્ન: આ મંદિરના શિલ્પોમાં હિંદુ ધર્મની કઈ અદ્ભુત ફિલોસોફીને વણી લેવામાં આવી છે? 



8)          મોઢેરાથી ગણતરીની ક્ષણોમાં તમે બહુચરાજી પહોંચી શકો છો. અહીં સતિનાં હાથ પડયાં હતાં. અંબાજી એ શકિતનું યુવતી સ્વરૂપ છે, પાવાગઢના મહાકાળી માતૃસ્વરૂપ છે તો બહુચરાજી બાળાના સ્વરૂપે બિરાજે છે. તંત્ર શાત્રમાં વર્ણવાયેલી દસ મહાવિદ્યામાંથી ત્રિપુર સુંદરીનું સ્વરૂપ છે એ જ અહીંયા બહુચરાજી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ વિસ્તારમાં બાલા ત્રિપુર સુંદરીએ અનેક રાક્ષસો હણ્યાં હતાં એટલે તેઓ બહિર્ચરી કહેવાયાં અને કાળક્રમે તેમાંથી બહુચરાજી નામ પ્રચલિત થયું. કહેવાય છે કે આ સ્થળે માં બહુચરાજી દરેક ભાવકોની મનોકામના પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, મકાન, દરદના ઇલાજ માટે અને પુરૂષાત્તન મેળવવા માટે પણ અહીં માનતા રખાય છે. ભાવિકોનો પ્રવાહ અહીં દિન-પ્રતિદિન વધતો ચાલ્યો છે. ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે. મુખ્ય મંદિરની આસપાસ અહીં અનેક નાના-મોટા મંદિરો આવેલાં છે. બહુચરાજીના આ મંદિરની અને માતાનાં ચમત્કારની અનેક વાતો પ્રચલિત છે. આમ તો પુરાણોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે પણ હાલનું મંદિર જિર્ણોદ્ધાર પામેલું છે. અહીં મૂર્તિની પૂજા નથી થતી એ ખ્યાલ બહુ ઓછા લોકોને છે! પ્રશ્ન એ છે કે, જો મૂર્તિની પૂજા નથી થતી તો શેની થાય છે? 

9)       મહેસાણા જિલ્લાનું એક મહત્વપૂર્ણ તીર્થ એટલે જૈન તીર્થ શંખેશ્વર.... આ તીર્થનો મહિમા જૈનો માટે પાલિતાણા કે આબુનાં દેલવાડાથી કમ નથી. એટલે જ શંખેશ્વરની આગળ મહાતીર્થ જોડવામાં આવે છે. અહીંના નાના મંદિરોમાં જૈનોના તમામ તિર્થંકરોની પ્રતિમા મોજુદ છે. શંખેશ્વરનું આ મંદિર જાગતું તીર્થ છે અર્થાત્ કહેવાય છે કે અહીં તીર્થકરો હાજરાહજુર છે અને ભક્તોનો સાદ સાંભળે છે, તેનો યોગ્ય પ્રતિભાવ આપે છે. સવાલ યેહ હૈ કી, જૈનોના ચોવીસ તીર્થંકરમાંથી ક્યા તીર્થંકરને આ મંદિર સમર્પિત છે? 

10)      ડાંગ પર પ્રકૃતિ હંમેશા મહેરબાન રહી છે. ચોમાસામાં વરસતો સવાસોથી દોઢસો ઇંચ વરસાદ અહીંની ધરતીને એક વર્ષ સુધી સુંદરતા બક્ષવા પુરતો છે. ડાંગ એક અદ્ભુત અનૂભવ છે. અહીં આદિવાસીઓની સમૃદ્ધ સંસ્કૃતિ આજની તારીખે પણ ધબકી રહી છે, હસ્તકળા અને લોકકળા તથા રિતીરિવાજોમાં હજુ પરંપરા જળવાઇ રહી છે... ખેતી હજુ અહીં દેશી પદ્ધતિથી જ થાય છે અને કેલ્શીયમથી ભરપૂર એક દેશી અનાજ આજે પણ ડાંગના આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. આ વિશિષ્ટ ધાન્ય આજકાલ ફેશનમાં છે. મુંબઇના અનેક ફિલ્મસ્ટારો ડાયેટીંગ માટે તેનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે, પ્રકૃત્તિ તરફ પાછા વળવામાં જ સાર છે. બીજી બધી બાબતોનો તો ખ્યાલ નથી, પરંતુ ખેતી અને ખોરાક વિશે આવું કરવામાં જ સાર છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ડાંગના રાષ્ટ્રીય ખોરાક જેવા ગણાતા અને કેલ્શિયમના દભુત સોર્સ એવા આ અનાજનું નામ શું?

11)      ડાંગનું વાતાવરણ અને તેની ભૌગોલિક પરિસ્થિતિનાં પ્રતાપે અહીં અનેક જાતનાં વૃક્ષો અને ઔષધિય વનસ્પતિઓ જોવા મળે છે. એટલે જ અહીં બન્યો છે વિશાળ બોટનિકલ ગાર્ડન. લગભગ 70 એકર જમીનમાં ફેલાયેલા આ અનોખા બગીચામાં જાતજાતનાં થોરથી માંડીને અનેક ઉપયોગી વનસ્પતિઓનાં છોડ તથા વૃક્ષો છે. જો કે માનવનિર્મિત આ લિલોતરી કરતાં અનેકગણું વધુ સૌîદર્ય છે તેની સાવ નજીક આવેલા વાસંદના નેશનલ પાર્કમાં. ચોવીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ અભયારણ્ય અગાઉ ખાનગી મિલકત ગણાતું. 1975ની સાલમાં આ જંગલ તેમણે સરકારને સોîપ્યુ. વાંસ અને સાગથી સમૃદ્ધ આ જંગલ આસપાસ મળી આવતા અવશેષો સાબિત કરે છે કે ઘણાં સમય પહેલાં અહીં વાઘની વસ્તી પણ હતી. હજુ જો કે અહીં દીપડા અને ચીત્તલની સારી એવી વસ્તી છે. સવાલ એ છે કે, અગાઉ આ અભયારણ્ય કોની ખાનગી મિલકત ગણાતું હતું? 

12)      વાંસદા નેશનલ પાર્કથી ફક્ત 1પ-20 મિનીટના અંતર પર છે એક અદ્ભુત સ્થળઃ કિલાદ. આસપાસ પહાડો અને હરિયાળી. વહેતું પાણી અને કાંઠે છે કિલાદની અદ્ભુત કેમ્પ સાઇટ.પ્રકૃત્તિ શિક્ષણ માટે આ કેમ્પ સાઇટ વન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. વાંસથી બનેલી સુવિધાસભર ઝૂંપડીઓ તથા ટેન્ટની હારમાળા અસલ ઇકો ટુરિઝમની સાક્ષી પુરે છે. કિલાદની આ નેચર એજ્યુકેશન કેમ્પ સાઇટમાં બનેલા આ વાંસના અદ્ભુત ટાવર્સ પર વહેલી સવારે બર્ડ વોચિંગનો આનંદ લઇ શકાય છે. અહીં રાત્રે કેમ્પ ફાયરમાં ડાંગની લોકકળાઓનો આનંદ ઉઠાવી શકાય છે. પ્રશ્ન: આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલતા અને દર વર્ષે અહીં યોજાતા વિશિષ્ટ ઉત્સવનું નામ? 

13)      જો કે જંગલની તમારે અસલી મજા લેવી હોય, જંગલને માત્ર જોવું જ નહીં પરંતુ સાંભળવું અને માણવું પણ હોય તો તમારે જવું પડે અભયારણ્યની મધ્યમાં આવેલી મહાલની કેમ્પ સાઇટમાં.  અહીં પહોંચ્યા પછી તમને વિશ્વથી વિખૂટા પડી કોઇ અલગ જ લોકમાં પહોંચી ગયાનો અનૂભવ થાય. જંગલની વચ્ચોવચ્ચ જાણે એક નાનું સ્વર્ગલોક ! આસપાસનાં અદ્ભુત ઞશ્યો. અહીં રહેવા-જમવાની સરસ વ્યવસ્થા છે, પણ, હા ! બુકિંગ કરાવવું અનિવાર્ય છે. મહાલની આ કેમ્પ સાઇટ અભયારણ્યની મધ્યમાં આવેલી છે. 160 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું આ અભયારણ્ય સાગ અને વાંસના વૃક્ષોથી લથબથ છે. આ જંગલમાં ચૌશીંગા તથા દીપડા જેવાં વન્ય જીવોની વસ્તી પણ છે. ડાંગની આવી વન્ય સંપદા અને હરિયાળી સમૃદ્ધિ સાથે ડાંગના રંગીન રિતીરિવાજો તથા રસાળ જીવનશૈલીનું મિશ્રણ થાય છે ત્યારે સર્જાય છે એક અનોખી સંવાદિતા જે એક સામાન્ય પર્યટક ઉપરાંત લોક સંસ્કૃતિના અભ્યાસુઓને પણ આકર્ષે છે ! મહાલ અને આ કેમ્પ સાઈટ જ્યાં આવેલા છે - તે વન્ય પ્રાણી અભયારણ્ય ક્યા નામથી વિખ્યાત છે? 

14)      નવસારીના વાંસદાના મહારાજા ભારતનાં બહુ જૂજ એવાં લોકોમાં સ્થાન પામે છે જેમને ખાનગી સ્તરે હરણના બ્રીડિંગની પરવાનગી મળેલી છે. એમનાં રાજમહેલમાં આજે પણ આ બ્રીડિંગ સેન્ટર ચાલે છે. રાજાશાહિ ભલે ગઇકાલની વાત ગણાતી હોય પરંતુ એમનો વિશાળ રાજમહેલ ભવ્ય ભૂતકાળની ગવાહી આપે છે. હા! વાંસદાનો ભૂતકાળ ભવ્ય છે. અહીંથી વીસેક મિનીટનાં અંતર પર આવેલું એક સ્થળ આવાં જ સમૃદ્ધ ઇતિહાસની વાત કરે છે. આ એ સ્થળ છે જ્યાં સદિઓ અગાઉ પારસીઓ પોતાના પવિત્ર આતશ લાવ્યાં હતાં. અહીં ઉભા રહી આસપાસની વનરાજી નિહાળવી એ પણ એક લહાવો છે. આ વિસ્તારની ખેતી સમૃદ્ધ છે અને એટલે જ તેને સંલગ્ન પ્રવૃત્તિ કરતાં સહકારી એકમો અહીં ધમધમતા રહે છે. અહીંયા કાજુની ખેતી પણ થાય છે. જેના પેકેજીંગ યુનિટ પણ આ વિસ્તારમાં આવેલા છે. આપણો પ્રશ્ન: પારસીઓ પોતાનો પવિત્ર આતશ જયા લાવ્યા હતા એ સ્થળનું નામ આપો ...

15)      સુરતથી ફક્ત ત્રીસ કિલોમીટર દૂર છે બારડોલી. સરદાર વલ્લભભાઇ પટેલએ પોતાનાં જીવનના મોટાભાગનાં દિવસો જ્યાં પસાર કર્યા હતાં એ બારડોલી આશ્રમને આજે પણ મહદ્ અંશે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવ્યો છે. બાજુમાં આવેલાં સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સરદારનાં જીવનનાં તમામ મહત્વની ઘટનાઓની તસવીરી ઝલક મળે છે. વીસ કરતાં વધુ ખંડમાં પથરાયેલું આ મ્યુઝિયમ ઇતિહાસસાં રૂચિ ધરાવનાર વ્યકિત માટે કોઇ તિર્થસ્થાનથી કમ નથી. તારીખ 1 ફેબ્રુઆરી-1922ના દિવસે ગાંધીજીએ જે આંબાની નિશ્રામાં અંગ્રેજો વિરૂદ્ધ અસહકાર આંદોલનનું એલાન આપ્યું હતું એ ઐતિહાસિક આંબો પણ હજુ અહીંયા સાબૂત છે. બારડોલીની મુલાકાત તમને સ્વાતંત્ર્ય ચળવળનાં એ યાદગાર દિવસોની યાદ તાજી કરાવે છે. સવાલ: આ સ્થળે ક્યાં ઐતિહાસિક સત્યાગ્રહની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી?

16)      રાજપીપળાની સ્થાપના ઇ.સ. 1470ની સાલમાં મધ્ય પ્રદેશનાં પરમાર વંશએ કરી હતી. જો કે તેનો સુવર્ણયુગ આવ્યો 19મી સદીના ઉત્તરાર્ધમાં. એ સમયે રાજપીપળાનાં સિંહાસને બિરાજતાં રાજા વિજયસિંહજીએ અહીંયા અનેક પ્રજા ઉપયોગી કાર્યો કર્યા, અનેક ઇમારતો બંધાવી, ઇ.સ. 1910માં રાજા છત્રસિંહજીએ પોતાનાં પુત્ર માટે બનાવેલો પેલેસ આજે પણ અડિખમ ઉભો છે. આ સુંદર રાજમહેલનાં એક ભાગને હેરિટેજ હોટેલમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. આ મહેલમાં અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે. ગુજરાતમાં મહેલોને હોટેલમાં કન્વર્ટ કરવાનો શિરસ્તો આ જ પેલેસથી જ શરૂ થયો હતો. આ રાજ મહેલનું નામ શું?

17)      નર્મદા. જિલ્લાનું નામ જ જે નદિના નામ પરથી રખાયું હોય એ નદીનાં મહાતિર્થ એટલે સરદાર સરોવર પરિયોજના ! આ યોજનાને આપણે ગુજરાતની કામધેનૂ પણ ગણી શકીએ અને કલ્પવૃક્ષ પણ ! સિમેન્ટ-કોક્રીટના ઉપયોગની ઞષ્ટિએ આ ડેમનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે. તેમાં જેટલા સિમેન્ટ-કોક્રીટનો ઉપયોગ થયો છે તેમાંથી પૃથ્વિનાં ગોળા ફરતે એક રોડ પણ તૈયાર થઇ શકે. તેની કેનાલનું નેટવર્ક ભારતીય રેલ્વેનાં નેટવર્ક કરતાં પણ અનેકગણું છે. અને હવે સરદાર સરોવર જ્યાં સ્થિત છે એ કેવડિયા કોલોનીને એક પર્યટન ધામ તરીકે વિકસાવવાના જોરદાર પ્રયત્નો થઇ રહ્યા છે. સવાલ એ છે કે, નર્મદા યોજનાનું કેનાલ નેટવર્ક કેટલા કિલોમીટરનું છે?

18)      શુલપાણેશ્વર અભ્યારણ્ય એટલે છસ્સો કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી એક અનોખી દુનિયા. ખુબસુરત લેન્ડસ્કેપ્સ અને ટચુકડા ગામડાઓ. સમૃદ્ધ વન્ય સંપદા અને રિંછ, દિપડા તથા ચીત્તલ જેવાં વન્યજીવોથી સભર જંગલ. આ અભયારણ્યમાં લગભગ સોએક જેટલાં ટચુકડાં ગામડાંઓ આવેલા છે. તેમાં મોટાભાગની વસ્તી વસાવા તથા તડવી ભિલ કોમ્યુનિટીની છે. આ આદિવાસીઓ અને તેમનાં નાનાં એવાં ઘર તથા તેમના રંગબેરંગી રિવાજો અભયારણ્યની સુંદરતામાં વધારો કરે છે. જો કે અભયારણ્યનાં મુગટ છે બે સુંદર ગામો ! આ બેઉ ગામોમાં તમે ઇકો ટુરિઝમનો અનેરો આનંદ ઉઠાવી શકો છો. વન વિભાગ દ્વારા બેઉ જગ્યાએ અદ્ભુત કેમ્પ સાઇટનું નિર્માણ થયું છે. વાંસથી બનેલાં રૂમો જેટલાં સુંદર છે એટલાં જ આરામદાયક પણ છે. કહેવામાં એવું આવે છે કે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. પણ પ્રકૃત્તિ સાથે સંવાદિતા સાધી, જાત સાથે સંવાદ કરવો હોય તો ગુજરાતમાં આ બેઉ ટચુકડા હિલ સ્ટેશનથી ઉત્તમ બીજું કોઇ સ્થળ નથી. અહીં તમને નિતાંત શાંતિનો અને અદ્ભૂત વાતાવરણનો અનૂભવ મળે છે. દૂર દૂર સુધી પથરાયેલી વનરાજી, તાજી હવા, તરોતાજા વાતાવરણ... આપણી ભિતર સૂતેલા પ્રકૃત્તિપ્રેમીને ઢંઢોળી જગાડી દેવાંની તમામ શકિત આ બેઉ ગિરિમથકોમાં છે ! બેઉ ગામના નામ આપો ....

19)      દાહોદનો રતનમહાલ વિસ્તાર એટલે જાણે વન્ય જીવોનો પોતાનો મુલક. એટલે રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય! અહીંનું મુખ્ય પ્રાણી છે રીંછ. દિપડાની વસ્તી પણ ઓછી નથી. તાડ બિલાડી અને ઉડતી ખિસકોલી જેવાં જીવો પણ ખરાં. રતનમહાલનું જંગલ ઔષધિય વનસ્પતિઓથી સમૃદ્ધ છે. સાગ જો કે અહીંની મુખ્ય સંપત્તિ છે. જો તમે ઇકો ટુરિઝમનાં શોખીન હો અને પ્રવાસમાં ભૌતિક સુખ-સગવડો ભોગવવા કરતાં પ્રકૃત્તિમાં તમને વધુ રસ હોય તો રતનમહાલના ભિન્ડોલ ગામ પાસે નળદામાં આવેલી કેમ્પ સાઇટ તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થાય એમ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીંનું સૌîદર્ય અદ્ભુત હોય છે ! અહીં વિદ્યાર્થી માટે પ્રકૃત્તિ શિક્ષણ શિબિર યોજાતી રહે છે તો ટુરિસ્ટ માટે પણ ટેન્ટ તથા વાંસના કોટેજની વ્યવસ્થા છે. રતનમહાલની આ નળદા સાઇટ પર બે દિવસ પસાર કરો તો એ અવિસ્મરણીય અનૂભવ બની જાય એટલી સુંદર છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન શિકાર માટે અનામત ગણાતા આ સ્થળનો વહિવટ ક્યા સ્ટેટ દ્વારા થતો હતો?

20)      સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ ધરાવતાં આ વિસ્તારનું અન્ય એક મહત્વનું મથક છે છોટા ઉદેપુર. આ નાનકડાં શહેરમાં સાત હેક્ટરમાં ફેલાયેલો કુસુમ વિલાસ પેલેસ જેટલો આકર્ષક છે એટલો જ સમૃદ્ધ છે. તો આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસીઓની જીવનશૈલીને લગતી લગભગ તમામ બાબતો વણી લેવામાં આવી છે. રાજ્યમાં દાંતાથી ડાંગ સુધીનાં બેલ્ટમાં વસતા કુલ લગભગ 29 સમૂદાયોની લાઇફ સ્ટાઇલને લગતી તમામ મહત્વની બાબતોનો અહીં એક કે બીજી રીતે ઉલ્લેખ છે. જો કે આ સંગ્રહાલય કરતાં ક્યાંય વધુ રસપ્રદ છે છોટા ઉદેપુર તાલુકાનાં તેજગઢની ગોદમાં આવેલું અનોખું મ્યુઝિયમ માત્ર એક સંગ્રહાલય જ નથી પરંતુ અહીં આદિવાસી અકાદમી પણ ચાલે છે. આ અકાદમી પાસે આદિવાસી વિષયો આધારીત પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, વર્કશોપ અને પ્રત્યક્ષ નૃત્ય, નાટક તથા મલ્ટી મીડિયાની સુવિધા પણ છે. આ કેમ્પસનું નામ શું?

21)      વડોદરાથી ત્રીસ કિલોમીટરનાં અંતરે આવેલું આ તીર્થ પૌરાણીક કાળથી અસ્તિત્વ ધરાવે છે. કહેવાય છે કે આ તિર્થને ગાયત્રી મંત્રના દ્રષ્ટા મહર્ષિ વિશ્વામિત્રએ પોતાનાં તપોબળથી પાવન કર્યુ હતું. તેની ગણના ભારતનાં અડસઠ મહાતિર્થોમાં થાય છે. બાર જ્યોતિર્લિંગમાં આ તિર્થને ભલે સ્થાન ના અપાયું હોય પરંતુ એને આપણે તેરમું જ્યોતિર્લિંગ અવશ્ય ગણી શકીએ કારણ કે દ્વાદશ જ્યોતિર્લિંગ વ્યવસ્થા એક કાળે અહીંના પાશુપતાચાર્યો જ કરતા હતા. મૂળે આ તિર્થ ભગવાન શિવના પશુપતિનાથ સ્વરૂપને સમર્પિત છે. અહીંયા વૈષ્ણવ, શૈવ અને શકિત એમ ત્રણેય શાખાઓના સંગમ થાય છે. એક કાળમાં આ તિર્થનું મહત્વ કાશી જેટલું જ ગણાતું. સત્યુગમાં તે ઇચ્છાપુરી તરીકે ઓળખાતું, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપર યુગમાં મેધાવતિ તરીકે જાણીતું હતું. અત્યારે, કળીયુગમાં આ તીર્થ ક્યા નામથી જાણીતું છે?



   
22)      ચાંપાનેર ! યુનેસ્કો જેવી સંસ્થાએ પણ જેને વિશ્વનાં અમૂલ્ય વારસામાં સ્થાન આપ્યું છે એવું ગુજરાતનું એકમાત્ર સ્થળ. ગઢની અંદર વસેલું આ નગર અનેક દ્રષ્ટિએ અનોખું છે. તેની સ્થાપના આઠમી સદીમાં ગુજરાતનાં રાજા વનરાજ ચાવડાએ પોતાનાં મહામંત્રી ચાંપાની સ્મૃતિમાં કરી હતી. દાયકાઓ વિત્યા બાદ અમદાવાદનાં બાદશાહ મેહમુદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને તળેટીમાં વસેલું આ નગર જીતી લીધું. એ પછી તે પોતાની રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખાતે લઇ આવ્યો. અહીં તેણે કેટલાંક અદ્ભુત બાંધકામો કરાવ્યાં. લગભગ સોએક ફુટ ઉંચા મીનારા ધરાવતી અહીંની જુમ્મા મસ્જિદની ગણના ગુજરાતની કેટલીક સૌથી ભવ્ય મસ્જિદોમાં થઇ શકે. કેવડા મસ્જિદનું સ્થાપત્ય તથા નગીના અને ખજુરી મસ્જિદનું આર્કિટેકચર પણ આકર્ષક છે. પત્થર પર કંડારાયેલી આ ભવ્ય કોતરણી ભૂતકાળની ભવ્યતાની જાણે કથા કરી રહી છે. ભવ્ય દરવાજાઓ થકી ચાંપાનેરમાં પ્રવેશતા વેîત જ ડાબી તરફ બાદશાહની મસ્જિદ અથવા તો શહેરની મસ્જિદ નજરે ચડે છે. અને આ તો માત્ર ટ્રેલર છે આખું ચાંપાનેર તો વધુ રોમાંચક અનૂભવ કરાવે છે.  છેક ઇ.સ. 1535ની સાલમાં એક રાજાએ ચાંપાનેર પર ચડાઇ કરી, ગુજરાતની રાજધાની ફરી અમદાવાદ ખાતે ફેરવવામાં આવી અને ચાંપાનેરનાં સુવર્ણયુગનો જાણે અંત આવ્યો. ચડાઈ કરનાર એ રાજા કોણ? તળેટીના શાસકોનાં ભલે ખરાબ દિવસો આવ્યાં હોય, બાજુનાં પાવાગઢની ટોચે બિરાજતા મહાકાળીના દરબારમાં ભરતી-ઓટ જેવું કશું નથી. સમુદ્ર સપાટીથી 2700 ફુટની ઉંચાઇ પર આવેલાં આ શકિતતીર્થનું મહત્વ દિન-પ્રતિદિન વધતું જ ચાલ્યું છે. અહીંયાના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મુખ્ય મૂર્તિઓ છે. ડાબી બાજુએ મહાકાળીની, જમણી બાજુએ માં બહુચરનું યંત્ર અને વચ્ચે આ સ્થાનમાં અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ. કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રએ આ મૂર્તિની સ્થાપના કરી હતી.  આ પર્વતમાંથી નીકળતી નદીનું નામ?

23)       પાવાગઢથી ફક્ત વીસ કિલોમીટરના અંતરે આવેલા અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સગવડદાયક કોટેજની વ્યવસ્થા છે. ઇકો ટુરિઝમનાં શોખીન માટે અહીં તમામ આકર્ષણો મોજુદ છે. લગભગ 130 ચોરસ કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલા આ સંરક્ષિત વન્ય વિસ્તારમાં અનેક પ્રકારનાં પક્ષીઓ છે. સાગ, ધાવડો અને મહુડાનાં વૃક્ષોની ચાદર છે, તો રીંછ, દિપડા, ઝરખ, હરણ જેવાં વન્ય જીવો પણ છે. અભયારણ્યમાં આવેલું  મંદિર છે ઝંડ હનુમાન ! કહેવાય છે કે આ મંદિર પૌરાણિક કાળનું છે. હનુમાનજીના આ મંદિરનો મહિમા નિરાળો છે. આ વિસ્તારનાં ભાવિકો માટે ઝંડ હનુમાન બહુ માનીતું ધર્મસ્થાન છે. હનુમાનજીના મંદિરની બાજુમાં જ આવેલું આ અતિ પ્રાચીન શિવાલય અને તેમાંની મૂર્તિઓ આ સ્થળની પ્રાચિનતાનો પુરાવો આપે છે. ગાઢ જંગલની વચ્ચે આવેલાં આ ધર્મસ્થાનમાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. અભયારણ્ય વિસ્તારમાં આવેલા આ કડા જળાશયના કિનારે વન વિભાગનું ગેસ્ટ હાઉસ છે. અહીંથી કડા જળાશયનું ઞશ્ય કોઇ રંગીન પોસ્ટર જેવું લાગે છે. અભયારણ્યના અન્ય એક જળાશય તરગોળનું પ્રાકૃતિક સૌîદર્ય પણ અનૂપમ છે. અભયારણ્યનું નામ?

24)       ડાકોર ! જાણે દ્વારકાની ઝેરોક્ષ નકલ છાપી હોય એટલી હદે આ બેઉ નગરો એકબીજાને મળતા આવે છે.  ગરમાગરમ ગોટા માટે વિખ્યાત આ યાત્રાધામમાં પણ દ્વારકાની માફક ગોમતિ ઘાટ છે. કહેવાય છે કે ડાકોરનાં મંદિરમાં બિરાજતી રણછોડરાયની પ્રતિમા પણ મૂળે દ્વારકાથી જ લવાયેલી છે ! પુરાતત્વ વિભાગનું કહેવું કંઇક અલગ હશે પણ ધાર્મિક માન્યતા એવી છે કે શ્રીકૃષ્ણની આ ચતુર્ભુજ પ્રતિમા 4225 વર્ષો સુધી દ્વારકામાં રહી અને સંવત 1212માં એટલે કે આજથી લગભગ 800 વર્ષ અગાઉ ભક્ત બોડાણા આ પ્રતિમા દ્વારકાથી ડાકોર લાવ્યા હતાં. દ્વારકાથી ક્ષત્રિયો અને ગુગળી બ્રાહ્મણો આ મૂર્તિ લેવાં આવ્યાં હતાં પણ ભક્ત બોડાણાએ તે છુપાવી દીધી. એ પછી છેક છસ્સો વર્ષે, સંવત 1828માં મહા સુદ પુનમનાં દિવસે અહીંના મંદિરમાં આ મૂર્તિની પધરામણી થઇ. 120 ફુટની ઉંચાઇ ધરાવતા ડાકોરનાં આ મંદિરના દરવાજાઓ પર કુલ બાર પગથીયા છે અને  28 ઘુમ્મટ છે. શા માટે?

25)      કરમસદમાં થોડાં સમય અગાઉ બનેલાં ‘સરદાર વલ્લભભાઇ પટેલ અને વીર વીઠ્ઠલભાઇ પટેલ મેમોરીયલ’ નામનાં બેનમૂન સંગ્રહસ્થાનમાં સરદાર પટેલ અને તેમના બંધુ વિઠ્ઠલભાઇ પટેલનાં જીવનને લગતાં અનેક પ્રસંગોની ઝલક મળી રહે છે. આ સંગ્રહસ્થાન જેટલું સુંદર છે, એટલું જ રસાળ પણ છે. જો કે આ વિસ્તારનો ઇતિહાસ કદાચ આપણે માનીએ છીએ તેનાં કરતાં પણ વધુ પુરાણો છે. અહીં આવેલાં એક ગામે ડાયનોસોરના કરોડો વર્ષ જુનાં અવશેષો મળ્યાં છે. અવશેષો પરથી સાબિત થયું છે કે અહીં લગભગ સાડા છ કરોડ વર્ષ અગાઉ ત્રીસ ફુટનું કદ ધરાવતા ડાયનોસોરની વસ્તી હતી ! આ ગામનું નામ?


એક હિન્ટ : મારું પુસ્તક, "મહા-ભારતની રામાયણ" જેમણે વાંચ્યું હોય કે મારી ડોક્યુમેન્ટરી, "ગોલ્ડન ગુજરાત" જોઈ હોય તેમને આ પ્રશ્નોના જવાબો આપવામાં તકલીફ નહિ પડે  CLICK HERE TO WATCH MY DOCUMENTARY, GOLDEN GUJARAT




Saturday, March 24, 2012

એ. રાજાના પોણા બે લાખ કરોડના કૌભાંડથી ધ્રુજી ગયા પરંતુ આપણાં કંડલામાં જ બે લાખ કરોડનું કૌભાંડ થયું છે તેનું શું?



ગાંધીધામ અને કંડલાઃ
માત્ર ગુજરાતના અર્થતંત્રના જ નહિ, 
કૌભાંડોના પણ પાટનગર!!

























               
રેલવે બજેટમાં દિનેશ ત્રિવેદીએ કંડલામાં કોચ ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ એમને કદાચ ખ્યાલ નથી કે, આ નગર ગુનાખોરી અને કૌભાંડોથી ખદબદી રહ્યું છે. અહીં નવી કોચ ફેક્ટરીનો સીધો મતલબ એ છે કે, હવે વધુ કૌભાંડો થશે અને વધુ ગુનાઓ આચરવામાં આવશે! એક ઉદાહરણ જુઓ: અહીંની ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ  જૂથના બાબુભાઈ સિંઘવીનું અપહરણ કરવા અગાઉ દુબઈની ઈરફાન ગોગાની ગેંગ દ્વારા પ્રયાસ થયો હતો. બાબુભાઈને ઉઠાવી પણ લેવાયા હતા પરંતુ સુસુ જવાના બહાને તેઓ છટકી ગયા. પણ, પછી વાત વટે ચડી. દુબઈની ગેંગ દ્વારા કહેણ મોકલાયા કે,   એક વખત બાબુભાઈ ભલે છટકી ગયા, બીજી વખત છટકી નહિ શકે! કચ્છના એક કુખ્યાત ડોનને ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સાધવામાં આવ્યો અને પેલાએ મધ્યસ્થી કરી, મોટી રકમમાં સમાધાન કરાવ્યું, એવું પણ કહેવાય છે. આજે ફ્રેન્ડસના ડિરેક્ટરમાંથી એક એવા હર્ષેન્દુ વૈદ્ય પેલા ડોનની કાર લોનના હપતા પણ ભરે છે! કારણ કે, તેઓ આ લોનમાં જામીન છે! જમીનના ગેરકાયદે ઉપયોગના કેઈસમાં પણ સી.બી.આઈ. ફરી હથિયાર સજાવી રહી છે. આપણને એ.રાજાના પોણા બે લાખ કરોડના કૌભાંડનો આંકડો વાંચી ધ્રુજારી છૂટી જાય છે. પરંતુ ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ સહીત અહીની ત્રણ કંપનીએ  કંડલા પોર્ટને  રૂપિયા બે લાખ કરોડનો ચૂનો ચોપડી દીધો હોવાનું કહેવાય છે. ગાંધીધામ-કંડલામાં થોડા સમય પહેલા ફરી એક વખત સી.બી.આઇ.એ દરોડા પાડ્યા છે. સવાલ એ છે કે, એવું તો શું છે આ નગરમાં કે આવકવરા ખાતાથી લઇને સી.બી.આઇ. અને સેન્ટ્રલ એક્સાઇઝ જેવા સરકારી વિભાગોની ચાંપતી નજર તેની પર રહે છે ? બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે ગાંધીધામ એ ગુજરાતનું કદાચ સૌથી સમૃદ્ધ નગર છે. અહીં ગાંધીધામ-કંડલા અને આદિપુર વિશે એવી માહિતી પ્રસ્તુત છે જે ખુબ ઓછા લોકો જાણે છે....  






ગુજરાતના કયા શહેરમાં સી.બી.આઇ.ના તથા ઇન્કમટેક્ષના સૌથી વધુ દરોડા પડતા હોય છે ? કોઇને થશે કે, અમદાવાદ જ હોય ને ! તો કોઇને વળી સુરતનું નામ યાદ આવે. પણ સાચો જવાબ છેઃ ગાંધીધામકંડલા. હજુ ત્રણ દિવસ પહેલા ગાંધીધામમાં ફરી એક વખત સી.બી.આઇ.ની રેઇડ આવી છે. મામલો એક જમીનને લગતો છે. પરંતુ આ શહેર માટે આ કોઇ નવી વાત નથી. અહીંયા આ બધુ રૂટીન જેવું છે. જ્યાં મધ હોય ત્યાં માખીઓ બણબણવાની જ.


ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગ એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. મતલબ કે એશિયામાં ટિમ્બરનું પ્રથમ નંબરનું માર્કેટ ગાંધીધામ છે. અહીં ટિમ્બરનો વેપાર, આયાત વગેરે કરતાં લગભગ ૪૦૦ યુનિટ છે અને આ ઉદ્યોગ પ૦ હજાર લોકોને સીધી કે આડકતરી રોજગારી આપે છે. પ્રતિવર્ષ અહીં સરેરાશ ૧૨ લાખ ક્યુબિક મીટર લાકડું વિદેશથી આવે છે. આ ઉદ્યોગ માટે ગાંધીધામમાં જેવી સુવિધા છે, જે કક્ષાની સવલતો છે એવી બીજે ક્યાંય નથી. આ ઉદ્યોગ માટે સૌપ્રથમ બહુ જ મોટી જગ્યાની જરૂર પડે. ઇમારતી લાકડું સેંકડો ફુટ લાંબુ હોય અને આવા લાકડાનો બહુ મોટો સ્ટોક રાખવો પડતો હોય છે. ગાંધીધામની આસપાસ આવા ખુલ્લા પ્લોટ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. એક સમયે આ બિઝનેસ કોલકત્તામાં ફાલ્યો હતો પણ લેબરના અને કોર્ટના પ્રશ્નો એટલા બધા વધી ગયા કે ત્યાંથી ધંધાનું અહીં સ્થળાંતર થઇ ગયું. આ ઉદ્યોગને પણ અહીંનું હવામાન કદાચ માફક આવી ગયું છે. અહીં સ્થળાંતર થયા પછી ટિમ્બર ઉદ્યોગે દિવસે ન વધે એટલો રાતે વધે એવી પ્રગતિ સાધી છે.


ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગની પ્રગતિ પાછળ સૌથી મહત્વનું પરિબળ ક્યું છે ? ટિમ્બર ઉદ્યોગની શરૂઆત માટે કઇ વસ્તુ સૌથી જવાબદાર ? જવાબ છે: કંડલા પોર્ટ. ગાંધીધામથી ૧૪ કિલોમીટર દૂર આવેલા આ બંદરના આશીર્વાદ માત્ર ટિમ્બર ઉદ્યોગને જ નહીં, બલકે શહેરના અનેક ઉદ્યોગને મળ્યા છે. વધુ સારી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે આ શહેરનું આખું અર્થતંત્ર કંડલા પોર્ટની આસપાસ જ ફરે છે. કંડલા વગર ગાંધીધામ નિષ્પ્રાણ છે. કંડલાને ઉત્તરપશ્ચિમનું ભારતનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. તેની ભૌગોલિક પરિસ્થિતિના કારણે સમગ્ર ઉત્તર ભારત માટે એ સૌથી વધુ મહત્વનું બંદર બની રહે છે. ભારતનો નકશો જુઓ. તમે એમાં જોઇ શકશો કે ગુજરાતથી ઉપરની (ઉત્તર ભારત) તરફ આવેલા રાજ્યોનું એકપણ મહત્વપૂર્ણ પોર્ટ નથી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુકાશ્મીર, હિમાચલ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની જરૂરિયાતનો મુખ્ય આધાર કંડલા પોર્ટ પર જ રહે છે. કંડલા પોર્ટની ગણના આજે પણ ભારતનાં ત્રણ સૌથી મોટા બંદરોમાં થાય છે. કોઇ વર્ષે ચેન્નાઇ ટોચ પર હોય છે, કોઇ વાર મુંબઇ, તો કોઇ સાલ કંડલા.



કંડલાનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે હવે ‘ઓલ વેધર પોર્ટ’ છે. દરેક ઋતુમાં અહીં કારોબાર શક્ય છે. વળી, અખાતી અને યુરોપિયન દેશોનું એ સૌથી નજીકનું પોર્ટ છે. કંડલા બંદરના કારણે અહીં સમૃદ્ધિની રેલમછેલ છે. પોર્ટ સંલગ્ન ધંધા-ઉદ્યોગો એટલા ફાલ્યા છે કે, માથાદીઠ આવકની બાબતમાં ગુજરાતનું કોઇ શહેર ગાંધીધામની સ્પર્ધા કરી શકે તેમ નથી. મીઠાનો ઉદ્યોગ તથા ટ્રાન્સપોર્ટ હેન્ડલીંગનો વ્યવસાય આ શહેરનો પ્રાણ ગણાય છે. માથાદીઠ ગાડીની સંખ્યા ગુજરાતના અન્ય કોઇપણ શહેર કરતાં અહીં વધારે છે. ગાંધીધામના માર્ગો પર તમે વિશ્વની સર્વોત્તમ બ્રાન્ડની મોંઘીદાટ મોટરકાર પણ જોઇ શકો. કાળા નાણાંનું પ્રમાણ ગાંધીધામમાં જેટલું છે એટલું બીજે ક્યાંય નહીં હોય. પ્રોપર્ટીના ભાવ એટલે જ અહીં આસમાને છે. અમદાવાદ, રાજકોટ કે વડોદરા જેવા શહેરોમાં રીયલ એસ્ટેટના જેવા ભાવ છે એવા જ તમને ગાંધીધામમાં જોવા મળે. તેનું કારણ એ છે કે, કંડલાના કારણે અહીંના લોકોની ખરીદશકિત ઘણી વધારે છે. કંડલા બારમાસી બંદર છે. અને એટલે જ અહીંના ધંધાઉદ્યોગો પણ આખું વર્ષ ધમધમતા રહે છે. અહીં ઇફ્કોનો મસમોટો પ્લાન્ટ છે. ભારતભરમાં આવેલા ઇફ્કોના ૪ મુખ્ય પ્લાન્ટમાંથી એક કંડલા ખાતે આવેલો છે. તેનું વાર્ષિક ટર્નઓવર છ-સાત હજાર કરોડ કરતાં પણ વધારે રહે છે. ઇફ્કોમાં લગભગ બે હજાર જેટલા કર્મચારીઓ છે. કંપનીનું પગારધોરણ એટલું ઉંચુ છે કે, તેના કારણે ગાંધીધામના અર્થતંત્ર પર પણ તેનો પ્રભાવ પડ્યો છે. ઇફ્કો પર આડકતરી રીતે નભતા લોકોની સંખ્યા કદાચ પાંચ આંકડામાં છે.  જો કે, કંડલાનું અર્થતંત્ર ફર્ટીલાઇઝરની આયાત પર નિર્ભર છે એવું કહીએ તો ખોટું નહીં ગણાય. પંજાબ-ઉત્તરપ્રદેશમાં ખેતર માટે જરૂરી ખાતર વિદેશથી સૌપ્રથમ અહીં જ ઉતરે છે. કંડલાથી દરરોજ લગભગ ૧૦ હજાર ટન જેટલું ખાતર ઉત્તર ભારતમાં મોકલવામાં આવે છે. અડસટ્ટે ગણતરી માંડો તો પણ દરરોજના ૬૦૦-૭૦૦ ટ્રક તો ખાતર જ ભરાઇને અહીંથી ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં જાય છે. દર વર્ષે ઓછામાં ઓછું પ૦ લાખ ટન ફર્ટીલાઇઝર અહીં વિદેશથી મંગાવવામાં આવે છે. આ ધંધો એટલો દૂઝે છે કે, તેના કારણે કંડલા-ગાંધીધામની કંપનીઓના માલિકો કુબેરપતિ બની ગયા છે. જહાજમાંથી માલ ઉતારવાનો, તે માલ સાચવવાનો અને તેને જેતે સ્થળે મોકલવાનો એક એટલો મોટો બિઝનેસ ચાલે છે કે, આપણે તેની કલ્પના પણ કરી ન હોય.


કંડલા પોર્ટ પર દર વર્ષે ૩૦ લાખ ટન કરતાં વધારે ખાદ્યતેલો ઉતારવામાં આવે છે. બ્રાઝિલ,  ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા તથા મલેશિયા જેવા દેશોમાંથી પામ, સોયા જેવા અનેક પ્રકારના તેલ અહીં મંગાવાય છે. એ તેલ સાચવવા માટેના લાખો લીટરની ક્ષમતાવાળા ટાંકાઓ હોય છે. એનો પણ પાછો અલગ બિઝનેસ છે. એવી જ રીતે ક્રુડ ઓઇલ પણ મંગાવવામાં આવે છે. આવી બધી વસ્તુઓને ચડાવવા-ઉતારવા માટેની પ્રક્રિયાને હેન્ડલિંગ કહેવામાં આવે છે. આ હેન્ડલિંગ પણ કંડલાનો એક મેજર બિઝનેસ છે. ગૌતમ ફ્રેઇટ નામની અહીંની એક કંપનીએ થોડા સમય પહેલા હેન્ડલિંગના આવા કામ માટે જર્મનીથી બે ક્રેઇન મંગાવી હતી. આ એક ક્રેઇનની કિંમત રૂપિયા ૨૨ કરોડ છે. આ એક ક્રેઇન ફક્ત ૨૪ કલાકમાં એક હજાર ટ્રક જેટલો માલ જહાજમાંથી જેટી પર ઠાલવી શકે છે. બે ક્રેઇન પાછળ પચાસ કરોડનું રોકાણ કરવામાં આવતું હોય તો તેમાં વળતર કેવું હશે એ કલ્પના તમે કરી શકો છો.






પોર્ટના કારણે હોટલ ઉદ્યોગ પણ વિકાસ સાધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટનો ધંધો એટલો કસદાર છે કે, ગાંધીધામમાં લગભગ ૬૦૦થી ૭૦૦ જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસ છે. અહીં આ ઉદ્યોગ ઉપર નભનારા લોકોની સંખ્યા ૩૦ હજાર કરતાં પણ વધુ છે. ટેક્સ હોલીડેના કારણે ગાંધીધામ અને કંડલા આસપાસ ડઝનબંધ નવા પ્લાન્ટ શરૂ થયા છે. સુઝલોનથી લઇને ઓરેવા અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલથી લઇને લીવર સુધીની અનેક કંપનીઓએ આ વિસ્તારમાં રોકાણ કર્યુ છે. છેક ૧૯૬૫માં અહીં કંડલા સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન (KASEZ)ની સ્થાપના કરવામાં આવી હતી. દેશના ૭ સૌથી મોટા આ પ્રકારના ઝોનમાં તેની ગણના થાય છે. ૭૦૦ એકરમાં પથરાયેલા આ ઝોનમાં રોકાણકારોને અનેક પ્રકારના લાભ અપાયા છે તથા ડ્યુટીઓ અને વેરાઓમાં છૂટછાટ અપાઇ છે. કસ્ટમ ડ્યુટી લેવાતી નથી તથા ઉત્પાદનમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની છૂટ અપાઇ છે. ઝોનના કારણે કંપનીઓને એટલા લાભ મળે છે કે, અન્ય વિસ્તારની સરખામણીએ તેમને કંડલાનું આ ઝોન સ્વર્ગ જેવું લાગે છે.


જ્યાં આટલી સમૃદ્ધિ હોય ત્યાં ભ્રષ્ટાચાર હોવાનો. પણ કંડલા અને ગાંધીધામમાં ફાલેલા ભ્રષ્ટાચાર વિશે જાણતા પહેલાં કંડલાની સ્થાપનાનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે. કારણ કે, ભ્રષ્ટાચારનું મૂળ તેમાંજ ક્યાંક છૂપાયેલું છે. ભાગલા પછી સિંધમાં વસતા સિંધીઓએ ભારત સાથે જવાનું નક્કી કર્યુ. પાકિસ્તાનના મુસ્લિમો એમને શાંતિથી રહેવા દે એવું એમને લાગતુ ન હતું. સિંધીઓની સંખ્યા મર્યાદિત હતી. પણ એમનું સામર્થ્ય અમર્યાદ હતું. સાહસિક, ધનવાન અને દરિયાખેડુ એવી આ પ્રજાનું જમા પાસુ એ કે તેઓ ભારે શાંતિપ્રિય છે. એટલે જ તેમને ભારતના દરેક પ્રદેશમાંથી પોતાને ત્યાં વસવાનું નોતરૂ મળતું હતું. પણ ભાઇ પ્રતાપ દયાળદાસના મનમાં અલગ જ વિચારો રમતા હતા. તેઓ પોતાની કોમ અંગે લાખ મુદ્દાઓ વિચારી રહ્યા હતાં.

ગાંધીધામના સ્થાપક, ભાઈ પ્રતાપ દયાલદાસ
ભાઇ પ્રતાપ દયાળદાસ. ગાંધીધામના સ્થાપક. એમને શી ખોટ હતી ? કશી જ નહીં. પેઢી ધમધમતી હતી. વહાણો અને દરિયાઇ વ્યાપાર. તેઓ શાહ સોદાગર હતા. એમનો વેપાર અને એમની સંપત્તિ કોઇ સામાન્ય માનવીનું દિમાગ વિચારી પણ ન શકે એ કક્ષાના હતાં. પણ એમના વિચારો પર પૈસો અસવાર નહોતો. તેઓ વૈચારિક દ્રષ્ટિએ ગાંધીજીની નિકટ હતા. ગાંધીજીએ જ તેમને હિંદમાં વસાહત સ્થાપવા માટે મદદ કરી. ૧૯૦૯ના વર્ષમાં તેમનો જન્મ હૈદરાબાદ (સિંધ-પાકિસ્તાન)માં થયો હતો પણ ભાગલા સમયે બનેલી ઘટનાઓના કારણે સિંધીઓનું મન આળું થઇ ગયું હતું. એમને સ્વમાનથી જીવવું હતું. ભાઇ પ્રતાપ પોતાના કરોડોના કારોબારને છોડીને ભારત ભાગી આવ્યા. એક વર્ષ સુધી તેઓ પોતાના થોડા અંગત સાથીઓને લઇને ભારતના વિવિધ પ્રદેશોમાં ફર્યા ને હિંદના સિંધની રચનાની શક્યતાઓ ચકાસી, અંતે તેમની નજર અંજાર પાસે આવેલી એક જમીન પર પડી.


ભાઇ પ્રતાપના મગજમાં ચિત્ર સ્પષ્ટ હતું. કેટલીક બાબતો તેમણે મનોમન નક્કી કરી રાખી હતી. પ્રથમ વાતઃ સિંધીઓની કોઇ એક જ વસાહત સ્થાપવી, જ્યાં સિંધના બધા સિંધીઓ સાથે વસવાટ કરે. પાંચ હજાર વર્ષ જુની સિંધુ સંસ્કૃતિના જતન માટે આ જરૂરી હતું. તેઓ એક નાની કોમ્યુનિટી હતાં અને વેરવિખેર થવા બિલકુલ માંગતા નહોતા. બીજી વાતઃ સિંધના કરાચીની અવેજીમાં એક નવું બંદર સર્જી શકાય એમ હોય ત્યાં જ નવું સિંધ સ્થાપવું. આ દરિયાખેડુ પ્રજા માટે મહેરામણ તો માતાના ખોળા જેવો છે. જે કોમે પોતાના ઇશ્વરને પણ ‘દરિયાલાલ’ તરીકે કલ્પ્યા હોય એમને સમુદ્રપ્રેમ ખરેખર સાગર જેવો અસીમ જ હોય. પડખેના સમુદ્રમાં તેમણે બારમાસી બંદરની શક્યતાઓ જોઇ. આ ઉપરાંત પણ કેટલીક બાબતો હતી. એક સિંધી યુનિવર્સિટી હોવી જોઇએ એવું ખ્વાબ ભાઇ પ્રતાપે છેક ભાગલાની પણ સમય પહેલાં જોયું હતું. એવું વિશ્વવિદ્યાલય, જ્યાં સિંધી કોમની અસ્મિતા તો સચવાઇ જ રહે, સાથોસાથ શ્રેષ્ઠ શિક્ષણ પણ મળતું રહે. એમણે વિચાર્યુ કે ગાંધીધામને સમગ્ર સિંધી કોમનું સેન્ટર પોઇન્ટ બનાવવું, વિદેશમાં વસતા સિંધીઓને પણ ત્યાં વસવાટ કરવા આમંત્રણ પાઠવવું. આ બધું જ કચ્છની આ ભૂમિમાં શક્ય હતું.


ખરેખર શક્ય હતું ? લોકો એવા જ સવાલો કરતા હતાં. ક્યાં કરાંચીનું ધીકતું બંદરગાહ અને ક્યાં એક બિંદુ જેવું બંદર. નહીં રસ્તા, નહીં ટ્રેન કે રેલવે ટ્રેક. એરપોર્ટની તો કલ્પના પણ ક્યાંથી થાય ! હતું શું અહીં? ઝાડીઝાંખરા, ઊંટ અને ગધેડા. પ્યાસ અને રેતી. ઘૂઘવતો સમુદ્ર અને નિર્જન સાગરતટ. પણ સિંધીઓના હૈયે હામ હતી. ભાઇ પ્રતાપે કહ્યું: ‘અમે આ રેતીના ઢુવાનોને ગુલીસ્તાં બનાવી દઇશું.’ પ્રક્રિયા આગળ વધી. ગાંધીજીએ કચ્છના મહારાજાને કહેણ મોકલાવ્યાં. સિંધીઓને જમીન ફાળવવા માટે. કચ્છના મહારાજાએ તારીખ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે સિંધીઓને ૧૫ હજાર એકર જમીન ફાળવી આપી. તાત્કાલિક ગાંધીજીને સમાચાર મોકલવામાં આવ્યા. કારણ કે તેઓ માત્ર ભાઇ પ્રતાપની જ નહીં પણ આખી સિંધી કોમની નજીક હતાં. સિંધીઓ માટે નવું સિંધ સર્જવા કાજે એમણે હૃદયપૂર્વક પ્રયત્નો કર્યા હતાં. પણ એ પ્રયત્નોનું પરિણામ તેઓ જોઇ ન શક્યા. સિંધીઓને જમીન ફાળવાઇ હોવાના વાવડ એમને મળે એ પહેલાં જ એમનું અવસાન થયું. દેહાવસાન જ. કારણ કે એમણે અને ભાઇ પ્રતાપે જે સ્વપ્ન સેવ્યું હતું એને સાકાર કરવાનું ધ્યેય તો હજુ હતું જ. ગાંધીજીનો આત્મા તેમની સાથે જ હતો.


સિંધીઓને, ભાઇ પ્રતાપને એક જબરદસ્ત આંચકો લાગ્યો પણ તેઓ તરત જ સ્વસ્થ થઇ ગયા. હજુ નવા સિંધની રચના બાકી હતી. એમણે નાણાં માટે જાપાનથી જર્મની અને અમેરિકા તથા રશિયા સુધી માણસો દોડાવ્યા. આચાર્ય ક્રિપલાનીના અધ્યક્ષસ્થાને ‘સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ’ નામની કંપનીની રચના કરવામાં આવી. તેના શેર વેચવા માટે ભાઇ પ્રતાપ અને સિંધીઓ યુરોપ અને એશિયા, અમેરિકામાં તથા આફ્રિકામાં ફર્યા. એમને જે પ્રકારનું  નવું નગર બનાવાનું હતું, તેમાં પુષ્કળ નાણાંની જરૂર હતી. ૧૦૨૦૦ શેર હોલ્ડર્સ થયા. એ જમાનામાં પણ ૫૦૦-૫૦૦ રૂપિયાની કિંમતના શેર વેચવામાં આવ્યા હતાં. શેર હોલ્ડર્સને પછી હપતાથી મકાન, બંગલો વગેરે ફાળવવાનું નક્કી થયું. જર્મનીથી ‘મેકેન્ઝી એન્ડ કંપની’ના ઇજનેરો આવ્યા. એક એવા નગરનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો, જેનું બાંધકામ કમસે કમ આવનારાં સો વર્ષને ધ્યાનમાં રાખીને થયું હોય. પહોળા રસ્તા અને બગીચાઓ, હરિયાળી, મજબૂત બાંધકામ, શાળાઓ, પ્લે ગ્રાઉન્ડ અને આસ્થાસ્થાનો. એક અદ્ભૂત નગરનું બેનમૂન પ્લાનિંગ થયું અને એ આયોજનનનો અમલ પણ થયો. અફલાતૂન નગર સર્જાયું.

પહોળા રસ્તાઓ અને ઠેર-ઠેર સર્કલ્સ.... ગાંધીધામ ભારતનું પ્રથમ વેલ પ્લાન્ડ નગર છે...

તસવીર સૌજન્ય; રાજેશ લાલવાણી



ભારતનું સૌ પ્રથમ વેલ પ્લાન્ડ સિટી એટલે ગાંધીધામ. જર્મન એન્જિનિયર્સ અને યુરોપિયન કારીગરોએ ગાંધીધામની બાંધણી, બાંધકામ એવાં કર્યા છે કે, આજે પણ આ નગર નમૂનારૂપ છે. ભયાનક ભૂકંપમાં પણ ગાંધીધામનું એકપણ જુનવાણી મકાન કે ઇમારત પડી નથી. એટલી ચીવટપૂર્વક, હૃદયપૂર્વક આ નગરનું સર્જન થયું હતું. ગાંધીધામ અને આદિપુરનો આ નાનો અને ટૂંકો ઇતિહાસ છે. સ્મોલ એન્ડ બ્યુટીફુલ. એમાં દિલ્હીના ઇતિહાસ જેવા ઉતાર-ચડાવ નથી. અહીં મોગલો નહોતા વસ્યા, પેશ્વાનું શાસન કે અંગ્રેજોની હકુમત નહોતી, નિઝામની સમૃદ્ધિ કે મોગલકાળનું સ્થાપત્ય પણ અહીં નથી અને છતાં આ શહેરનો ઇતિહાસ રોચક છે. અહીં એક ગાંધી સમાધિ છે. ગાંધીજીના અસ્થિ પધરાવવામાં આવ્યા હોય તેવાં આખા ભારતમાં માત્ર બે જ સ્થળ છે. જેમાંથી એક આદિપુરમાં છે. ગાંધીજીના અવસાન પછી આચાર્ય કૃપલાણી પોતાના માથા પર સ્ફટિકની ડબ્બીમાં રાખીને ગાંધીજીના અસ્થિ અહીં ભુજથી લાવ્યા હતાં. નવા સિંધનું નામ ‘ગાંધીધામ’ રાખવાનું પણ એટલે જ નક્કી થયું કેમ કે ગાંધીજીએ સિંધીઓનું સ્વપ્ન સાકાર કરવા તમામ મહેનત કરી હતી.


આદિપુરમાં આવેલી ગાંધી સમાધી: ગાંધીજીના અસ્થી અહીં આચાર્ય ક્રિપલાની માથે મૂકી ને લાવ્યા હતા!




સિંધીઓ કચ્છમાં તો આવી ગયાં પરંતુ અહીંયા વળી કરાંચી જેવું  ધમધમતું બંદર ક્યાંથી કાઢવું? જવાહરલાલ નહેરૂ અને કેટલાંક નિષ્ણાંતોએ સિંધના કરાંચીના વિકલ્પે ગાંધીધામ નજીક કંડલા બંદર બનાવવાનું નક્કી કર્યુ. ગાંધીધામ, આદિપુર અને કંડલા અલગ-અલગ હોવા છતાં એક જ છે. ગાંધીધામથી ફક્ત સાત-આઠ કિલોમીટરના અંતરે આદિપુર છે અને દસેક કિલોમીટર દૂર કંડલા છે. આદિપુરની લગભગ ૨૬૦૦ એકર જમીન અગાઉ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન પાસે હતી, જેમાંથી મોટાભાગની જમીનની ફાળવણી તેઓ શેર હોલ્ડરો વચ્ચે તથા અન્ય સરકારી બોડી માટે કરી ચૂક્યા છે. ગાંધીધામ તથા કંડલાની મોટાભાગની જમીન પર કંડલા પોર્ટ ટ્રસ્ટનો અધિકાર છે. આ શહેર અસ્તિત્વમાં આવ્યાને હજુ છએક દાયકા જેવો સમય થયો છે. એટલે આપણે ત્યાં હોય છે તેવી રીતે અહીંની જમીનો પર કોઇ જ ખાનગી પાર્ટીની પેઢીઓથી માલિકી નથી રહી. છેક ૧૯૯૭ સુધી અહીં જમીનની ખાસ કિંમત નહોતી. કંડલાનો વિકાસ પણ બહુ ધીમો હતો. કોઇ પાર્ટીને જમીન જોઇતી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટને એક અરજી આપવાની રહેતી. જમીન આપવાનો નિર્ણય પછી કંડલા પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)ના ચેરમેનના હસ્તક રહેતો. રહેણાંક હેતુ માટેની જમીન કેપીટી ૯૯ વર્ષની લીઝથી આપે છે અને ઔદ્યોગિક હેતુ માટેની જગ્યા ૩૦ વર્ષના ભાડાપટ્ટે મળે છે. ઉદ્યોગોમાં પણ પાછી બે કેટેગરી છે. મીઠા ઉદ્યોગ માટે જમીન જોઇતી હોય તો તેનો દર ઓછો હોય છે અને વેરહાઉસ, ગોડાઉન કે ઓઇલ સ્ટોરેજ ટેન્ક માટે જગ્યા જોઇતી હોય તો તેનો ભાવ વધુ હોય છે. વિકાસ થતો ગયો અને જમીનની માંગ વધતી ગઇ. હવે બન્યું છે એવું કે, કોઇ બિઝનેસમેન કે ઉદ્યોગકારોએ જમીન જોઇતી હોય તો તેના માટે ટેન્ડર બહાર પડે છે અને હરરાજી પણ થાય છે. તાજેતરમાં જે કેઇસમાં તપાસ માટે સી.બી.આઇ.ની ટીમ કંડલા આવી એ જમીન વાસ્તવમાં છેક ૧૯૮૮માં ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ ગ્રુપને સોલ્ટ ઉદ્યોગ માટે ફાળવવામાં આવી હતી. હેતુફેર કરી કંપનીએ  ત્યાં ક્રુડ ઓઇલ તથા ખાદ્યતેલની રિફાઇનરીનું કામ શરૂ કર્યુ હતું. પાછળથી કેપીટીએ આ જમીન પાછી માંગી, જેની સામે કંપનીએ કોર્ટમાંથી સ્ટેટસ ક્વોનો ઓર્ડર મેળવ્યો. બન્યું એવું કે, પછીથી કેપીટીના ડેપ્યુટી ચેરમેન પદે મનોરંજન કુમાર નામના એક અધિકારી આવ્યાં. ફ્રેન્ડસ ગ્રુપની આ ૭પ એકર જમીનનો કેઇસ મનોરંજન કુમારએ ખોલ્યો. તેમણે સી.બી.આઇ.ને ફરિયાદ કરી કે, આ કિસ્સામાં ભ્રષ્ટાચાર થયો છે. આવી તો અનેક ફરિયાદો તેમણે સી.બી.આઇ.ને મોકલી. ઉદ્યોગકારોમાં તથા વ્યાપારીઓમાં હાહાકાર મચી ગયો. બધા ચેરમેન પાસે દોડી ગયા. તેના કારણે ડેપ્યુટી ચેરમેનને ફરી વાંકુ પડ્યું. ફ્રેન્ડસ ગ્રુપના કિસ્સામાં વાત એક કાગળ પર આવીને ઉભી હતી. કંપનીને ફાળવાયેલી જમીનનો ઓરિજિનલ એલોટમેન્ટ લેટર કંપની પાસે નહોતો.


જેનું નામ આ કિસ્સામાં ચર્ચાય છે તે ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ ગાંધીધામ કંડલાની નંબર વન કંપની છે. ત્રણ મિત્રપરિવાર (સિંઘવી, વૈદ્ય તથા જોશી પરિવાર)એ ૧૯૮૪માં શરૂ કરેલી આ કંપની  આજે સોલ્ટ, આયર્ન, ટેક્ષટાઇલ, હેન્ડલિંગ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણપણે વર્ચસ્વ ધરાવે છે. તેની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ તેમનું ટર્નઓવર લગભગ એક હજાર કરોડ કરતાં પણ વધુ છે. દેશના સૌથી મોટા સોલ્ટ ઉત્પાદકોમાં તેમની ગણના થાય છે. અગાઉ આપણે ગૌતમ ફ્રેઇટ નામની કંપનીની જે વાત કરી એ પણ આ જૂથનું જ સાહસ છે. કોલસો, લોખંડનો ભંગાર, મીઠુ તથા ઘઉંના હેન્ડલિંગમાં તેમનું સ્થાન પ્રથમ છે. ઝીંક, ટિમ્બર અને ઓઇલમાં પણ એમનું પ્રભુત્વ છે. સોલ્ટ, કોલસો તથા તેના જેવી અનેક કોમોડિટીના હેન્ડલિંગમાં તેમણે અનેક વિક્રમો સર્જ્યા છે. પરંતુ અહીં ધંધો કરવો હોય તો હાથ કાળા કરવા પડે છે.  ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ  જૂથના બાબુભાઈ સિંઘવીનું અપહરણ કરવા અગાઉ દુબઈની ઈરફાન ગોગાની ગેંગ દ્વારા પ્રયાસ થયો હતો. બાબુભાઈને ઉઠાવી પણ લેવાયા હતા પરંતુ સુસુ જવાના બહાને તેઓ છટકી ગયા. પણ, પછી વાત વટે ચડી. દુબઈની ગેંગ દ્વારા કહેણ મોકલાયા કે,   એક વખત બાબુભાઈ ભલે છટકી ગયા, બીજી વખત છટકી નહિ શકે! કચ્છના એક કુખ્યાત ડોનને ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સાધવામાં આવ્યો અને પેલાએ મધ્યસ્થી કરી, મોટી રકમમાં સમાધાન કરાવ્યું, એવું પણ કહેવાય છે. આજે ફ્રેન્ડસના ડિરેક્ટરમાંથી એક એવા હર્ષેન્દુ વૈદ્ય પેલા ડોનની કાર લોનના હપતા પણ ભરે છે! કારણ કે, તેઓ આ લોનમાં જામીન છે! જમીનના ગેરકાયદે ઉપયોગના કેઈસમાં પણ સી.બી.આઈ. ફરી હથિયાર સજાવી રહી છે. આ લિન્ક તેની આખી દાસ્તાન વર્ણવે છે: http://indiatoday.intoday.in/story/gujarat-land-scam-exposed-at-kandla-port/1/143100.html 


ઉપરોક્ત લિન્ક કહે છે કે, કંડલાનું આ જમીન કૌભાંડ રૂપિયા બે લાખ કરોડનું છે! આપણે એ.રાજાના પોણા બે લાખ કરોડના સ્પેક્ટ્રમ કાંડથી ધ્રુજી ઉઠીએ છીએ પરંતુ ઘરઆંગણે એના કરતાં પણ મોટી હોળી સળગી રહી છે તેનું શું?  તમે જ કહો. રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી અહિં, કંડલામાં કોચ ફેક્ટરી બનાવવાનું કહે છે... શું હાલત થશે રેલ્વેની? આ નગર ભ્રષ્ટાચારનું પાટનગર છે, રેલવેને ફોલી ને ખાઈ જશે! 


સમસ્યા એ છે કે, કંડલા પોર્ટ અને ગાંધીધામ પર મોટાભાગે બ્યુરોક્રસીનો પ્રભાવ રહે છે. આયાત-નિકાસકારો તથા બિઝનેસમેન અહીં કદાચ ઇમાનદારીથી બિઝનેસ કરવા ચાહે તો પણ અધિકારીઓ એ શક્ય બનવા દેતા નથી. અગાઉ કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેનપદે રહેલા એક આઇ.એ.એસ. અધિકારીએ  કેપીટીના ભોગે અદાણીના મુંદ્રા પોર્ટને અનેક લાભ કરાવી આપ્યા હતાં. એમણે એટએટલા કૌભાંડ કર્યા હતાં કે, એ લખવા બેસીએ તો બસ્સો પાનાનું એક પુસ્તક પણ કદાચ ટુંકુ પડે. હજુ કંડલાના વિકાસની અનેક શક્યતાઓ રહેલી છે. પરંતુ તેના માટે કેપીટીમાં કોઇ નિષ્ઠાવાન અને કાર્યક્ષમ અધિકારી મુકાય તે અનિવાર્ય છે.