Showing posts with label jain. Show all posts
Showing posts with label jain. Show all posts

Tuesday, April 23, 2013

મહાવીર જયંતી વિશેષ!: "અજૈન" નામનો હિંસક શબ્દ અને હિન્દુઓની ગંદકી !


GHELA SOMNATH AND AARADHANA DHAM: જસદણ નજીક આવેલું તીર્થ,
ઘેલા સોમનાથ અને જામનગર જિલ્લાનાં ખંભાળિયા પાસે આવેલું જૈન તીર્થ આરાધના ધામ 



       
અમારી ટીમ એ સમયે ડોક્યુમેન્ટરી, ‘ગોલ્ડન ગુજરાત’ના શુટિંગ માટે આખા ગુજરાતના પ્રવાસે હતી. ‘ગોલ્ડન ગુજરાત’ એક નોન-કમર્શિયલ પ્રોજેક્ટ હતો. ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ થઇ રહ્યા હતા અને અમે એક એવી ડીટેઇલ્ડ ડોક્યુમેન્ટરી બનાવવા માંગતા હતા જેમાં ગુજરાતનો ખૂણેખૂણો કવર થતો હોય. ગુજરાતના તીર્થો, સમુદ્રી બીચ વગેરે તો ખરું જ, સાથેસાથે ગુજરાતના (ગીર અને ડાંગ ઉપરાંતના પણ) અભયારણ્યો, ઇકો ટુરિઝમની વિવિધ સાઇર્ટ્સીં બધું જ અમે કવર કરી રહ્યાં હતા. મારા મિત્ર ડો. શૈલેષ માકડીયાની કંપની ‘રાધે ગૃપ ઓફ એનર્જી’એ આખો પ્રોજેક્ટ સ્પોન્સર કર્યો હતો અને આયોજન એવું હતું  ચારેક ભાગમાં બનેલી આ ડોક્યુમેન્ટરિઝ પછી નિઃશુલ્ક વિતરણ દ્વારા ફેલાવવી, તેની કોપી ગુજરાત ટુરિઝમના દરેક ડેસ્ક પર પર્યટકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવી. કાર્ય ઉમદા હતું. અંબાજી, સોમનાથ કે દ્વારકા જેવા હાઇ સીક્યુરિટી ધરાવતા તીર્થોમાં શુટિંગ માટે તકલીફ ન સર્જાય એ માટે તે સમયના પ્રવાસન-તીર્થધામ ખાતાના મંત્રી જયનારાયણ વ્યાસએ એક સરસ પત્ર પણ અમને આપ્યો હતો. જેમાં તેમણે અમારી ટીમનો ઉમદા હેતૂ જણાવીને શુટિંગ, બોર્ડિંગ માટે સહકાર આપવા ભલામણ કરી હતી.

‘ગોલ્ડન ગુજરાત’ના શુટિંગ માટે સમગ્ર ગુજરાતમાં ફર્યા. સોમનાથ પણ ગયા અને ડાકોર પણ કંડાર્યુ. કોટેશ્વર પણ પહોંચ્યા, કાયાવરોહણ પણ ગયા. બગદાણા, વિરપુર, નડિયાદ અને સારણેશ્વર ખાતે પણ શુટિંગ કર્યુ. સિદ્ધપુરથી શામળાજી અને નારાયણ સરોવરથી લઇ શબરી ધામ લગી બધી જ જગ્યાએ શુટિંગ માટે સહકાર મળ્યો, રહેવાની વ્યવસ્થા કરવામાં પણ તકલીફ ન પડી. કારણ કે, એ માટેના પૂરેપૂરા પૈસા ચૂકવવા અમે હંમેશા તૈયાર જ રહેતા હતા. હા! અલગ વાત છે કે, ઘણીબધી જગ્યાએ (અમે વિવેક કર્યો હોવા છતાં!) અમારી પાસેથી કશો જ ચાર્જ લેવાયો નહોતો. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમને થયેલો એક અનૂભવ ખરેખર ‘યાદગાર’ હતો! આજે પણ એ બનાવ ભૂલાતો નથી.

અમે એ દિવસે ઉત્તર ગુજરાતનાં વિવિધ સ્થળોએ શૂટિંગ કરી રહ્યા હતા. બહુચરાજી અને મોઢેરામાં શૂટિંગ પતાવી અમે રાત્રે દસ વાગ્યે જૈન તીર્થ શંખેશ્વર પહોંચ્યા. વહેલી સવારથી શંખેશ્વરમાં શૂટિંગ શરૂ કરવાનું હતું એટલે રાતવાસો ત્યાં જ કરીએ તો અમને વધુ અનુકુળ રહે તેમ હતું. અમારી ટીમમાં કુલ છ વ્યક્તિ હતી. સપ્ટેમ્બરનો સમય હતો અને આખુ શંખેશ્વર ઓલમોસ્ટ ખાલી હતું. યાત્રાળુઓની ભીડ ક્યાંય જોવા મળતી નહોતી. તેથી જ અમને ધરપત હતી કે, શંખેશ્વરમાં આસાનીથી જગ્યા મળી જશે. રસ્તામાં અમને એક મહાકાય ધર્મશાળા દેખાઇ. ગાડીમાંથી ઉતરીને ત્યાં રૂમ માટે તપાસ કરી. ધર્મશાળાના સીત્તેર રૂમમાંથી લગભગ પંચાવન રૂમ ખાલી હતા. પરંતુ રિસેપ્શન પર બેઠેલા ભાઇએ પૂછ્યું કે, ‘તમે જૈન છો?’ અમે ‘ના’ કહી, તેમણે કહ્યું કે, ‘અમે ‘અજૈન’ને રૂમ નથી આપતા!’

‘અજૈન’ જેવો ગંદો અને હિંસક શબ્દ મેં ત્યારે પ્રથમ વખત સાંભળ્યો હતો. મારા માટે આ શબ્દ સાવ નવો હતો. કારણ કે, મેં તો કદી અહિન્દુ, અમુસલમાન કે અખ્રિસ્તી જેવા શબ્દો પણ સાંભળ્યા નહોતા/સાંભળ્યા નથી. અમે એ ભાઇને વિનંતી કરી અને કહ્યું કે, ‘અજૈન’ તરીકે અમે વધારાનો ચાર્જ ચૂકવવા પણ તૈયાર છીએ, પણ અમને બે રૂમ કાઢી આપો! આખા દિવસના શૂટિંગ પછી અને સતત પ્રવાસ પછી અમે ખરેખર થાક્યા હતા. અસહ્ય થાકોડા વચ્ચે એ ભાઇ સાથે લમણા લેવાની શક્તિ અમારી પાસે નહોતી. છતાં અમે એમને સમજાવવા પ્રયત્ન કર્યો, અમારા આગમનનો ઉદેશ્ય જણાવ્યો, એક ઉમદા કાર્ય માટે નીકળ્યા છીએ એવું સમજાવવા પ્રયાસ કર્યો, મંત્રીશ્રીનો પત્ર દેખાડ્યો.

કશું જ વળ્યું નહીં. એ ભાઇ ટસના મસ ના થયા. અમે ડઘાઇ ગયા હતા. અમારામાંથી કોઇ ‘પીધેલા’ નહોતા, માંસાહાર અમે કરવાના નહોતા. અમે થાક્યાપાક્યા વટેમાર્ગુ માત્ર હતા-જે એક ઉમદા હેતૂથી યાત્રા પર નીકળ્યા હતા. છતાં અમને ઉતારો-આશરો આપવાની મનાઇ શા માટે? કંઇ સમજાતું ન હતું. અમે બીજી ધર્મશાળાએ ગયા... ત્યાં પણ એ જ કહાનીની રિમેક બની. ત્રીજી, ચોથી, પાંચમી... શંખેશ્વરની એકાદ ડઝન ધર્મશાળાએ અમે સંપર્ક કર્યો. આ દરમિયાન ત્યાં પૂછ્યું પણ ખરું કે, શંખેશ્વરમાં કોઇ હોટલ છે કે નહિં! જવાબ મળ્યો કે, ‘ના.’ ‘નથી. ’ અહીં ધર્મશાળાઓ તો સેંકડો છે પણ (અને કદાચ એટલે જ) હોટેલ નથી. ધર્મશાળામાં ઉતર્યા સિવાય અમારી પાસે બે જ વિકલ્પો બચતા હતા! (1) યા તો ફુટપાથ પર કે ગાડીમાં સુઇ જવું (ર) મહેસાણા કે એવા કોઇ શહેર તરફ ભાગી છૂટવું.

બીજો વિકલ્પ અમારા માટે લગભગ અશક્ય જેવો હતો. એ દિવસે વહેલી સવારથી સાંજ શૂટિંગ કર્યુ હતુ. એ પછી અને એ દરમિયાન કલાકોનું ટ્રાવેલિંગ કર્યુ હતું. એટલે ડ્રાઇવિંગ કે મુસાફરી શક્ય જ નહોતા. વધુ એક ધર્મશાળાએ અમે સંપર્ક કર્યો. ફરી એ જ જવાબ. અમે એમને પરિસ્થિતિ સમજાવવા પ્રયત્ન કર્યો, અમારો ઉદેશ્ય જણાવ્યો અને વિવિધ ભલામણપત્રો પણ દેખાડ્યા. અમેને અમારા પર થોડી દયા આવી હશે એટલે કહ્યું: ‘અમને તો વાંધો નથી, અમારા ટ્રસ્ટી સાથે વાત કરી લો!’ પોતાનાં ફોનમાંથી તેમણે મુંબઇ સ્થિત કોઇ ટ્રસ્ટીને ફોન જોડ્યો અને થોડી પ્રાથમિક ભૂમિકા બાંધીને મને ફોન આપ્યો. મેં કહ્યું, ‘સાહેબ! માત્ર પાંચ-સાત કલાકનો સવાલ છે, તમારી ધર્મશાળામાં એંસી ટકા રૂમ ખાલી છે. તમે કહો તે ચાર્જ ચૂકવવા તૈયાર છીએ...’
મારી વાત કાપીને તેમણે કહ્યું: ‘નહિ મેળ પડે, ભાઇ! અમે અજૈનોને રૂમ આપતા જ નથી!’

*****

અજૈન. જૈનો દ્વારા પ્રયોજાતો સૌથી હિંસક શબ્દ. અને ‘અજૈનો’ સાથેનો તેમનો વ્યવહાર? અમારા જેવા ‘અજૈનો’ની સાથે જે વ્યવહાર થયો, તેનાં કરતા વધુ સારો વ્યવહાર તો તેઓ ગાયો અને કબૂતર સાથે કરે છે! સારૂ છે કે, કબૂતરોમાં જૈન-હિન્દુ કે ઇસ્લામ જેવો ધર્મ નથી હોતો, નહિંતર જૈન તીર્થોનાં ચબુતરાઓમાં માત્ર જૈન કબૂતરોને ચણ મળતું હોત, એ પણ સાંજે છ પહેલા.

વૃત્તિઓને જ્યારે વધુ પડતી દબાવવામાં આવે અને વજનદાર હાથે તેને ડામવામાં આવે ત્યારે હિંસા અને નફરત જેવા ભાવ અલગઅલગ સ્વરૂપે બહાર નીકળતા હોય છે. તેની ધારા રોકી શકી નથી, હા! એ ફંટાઇ જરૂર જાય છે.

*****

અનેક વિચારો આવી રહ્યા હતા મને. ગુસ્સો પણ આવતો હતો. હું સંયમમાર્ગનો પંથી નથી, અહિંસાનો પુજારી નથી અને કરુણાનું નિર્મળ ઝરણું પણ મારી ભીતર વહેતું નથી. મારા જેવા અજૈન અને પામર મનુષ્યનું દિમાગ આવી સ્થિતિમાં જે પ્રકારે રિએક્ટ કરે તેવા જ ભાવો મારી માંહે પણ સર્જાઇ રહ્યા હતા. સમસ્યા એ પણ હતી કે, આખી ટીમની જવાબદારી મારા પર હતી. મારે જ વ્યવસ્થા કરવાની હતી, નિર્ણય લેવાનો હતો. પ્રવાસમાં અમારી સાથે જોડાયેલા મિત્ર હિમાંશુ કલ્યાણી (અજૈન. મોઢ વણિક)ને મેં કહ્યું કે, ‘કંઇક રસ્તો કાઢ, ભાઇ!’

હિમાંશુએ કહ્યું, ‘હવે, જે જગ્યાએ ધર્મશાળા દેખાય ત્યાં ગાડી રોકાવજો!’

ધર્મશાળા દેખાઇ. હું અને એ ગાડીમાંથી ઉતર્યા.
સડસડાટ રિસેપ્શન પર ગયા. હિમાંશુએ કહ્યું:

‘બે રૂમ કાઢી આપો!’

‘શું નામ? ક્યાંથી આવો છો?’ પેલાએ પૂછ્યું.

‘હિમાંશુ શાહ, રાજકોટ’ મારા મિત્રએ જવાબ આપ્યો.

મેં કહ્યું, ‘હવે નવકાર મંત્ર બોલવાનું કહેશો નહિ... લો... નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં...’
મેં નવકાર મંત્ર પૂરો કર્યો ત્ળ્યાં સુધીમાં પેલા ભાઇએ ચાવીક અમને પકડાવી દીધી, ફટાફટ અમને ડીપોઝિટ વગેરેની ફોર્માલિટી ખતમ કરી અને ઝડપભેર રૂમનો કબ્જો લઇ લીધો. અંદર જઇને અહિંસા, સત્ય, કરુણાની વાતો કરતા કરતા અમે સૌ પાપી, પામર અજૈનો થોડી ક્ષણોમાં જ ઊંઘી ગયા.

*****

જૈન ધર્મમાં ‘સાધર્મિક વાત્સલ્ય’ જબરું મહત્વ છે. તીર્થયાત્રાઓની સેવાની પણ તેમાં તીર્થયાત્રા કર્યા બરાબર ગણાવાઇ છે. પણ આખા જૈન ધર્મમાં ક્યાંય ‘વિધર્મિક ઘૃણા’ જેવા શબ્દનો ઉલ્લેખ નથી. સવાલ એ છે કે, પોતાની જાતને સુપીરિયર કે સુપર હ્યુમન સમજવાની અને બાકીનાને તૂચ્છ જાણવાની આ ગંદી ભાવના આવી છે ક્યાંથી? શું જૈન શ્રેષ્ઠીઓ અને મહારાજ સાહેબો આ મનોવૃત્તિને ઉત્તેજન આપી રહ્યાં છે? સવાલો થવા સ્વાભાવિક છે. કારણ કે, આખા ગુજરાતની મારી યાત્રા દરમિયાન મને સોમનાથ, અંબાજી, દ્વારકા જેવા સ્થળોએ ક્યારેય એવો સવાલ નથી પૂછાયો કે, ‘તમે અહિન્દુ તો નથી ને!’ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતી સુવિધાસભર ધર્મશાળાઓમાં હિન્દુઓને પણ રૂમ મળી શકે છે, જૈનોને પણ મળે છે અને મુસ્લીમોને પણ મનાઇ નથી.

શંખેશ્વર પછી આવો જ અનૂભવ અમને પાલિતાણામાં થયો. જો કે, અગાઉના અનૂભવ પરથી ધડો લઇને અમે સૌ અજૈનોએ ત્યાં સલામતી ખાતર આગોતરી વ્યવસ્થા કરી રાખી હતી, એટલે ઝાઝી તકલીફ ન થઇ. આખી વાતનો ટૂંકસાર એ છે કે, માત્ર મહાવીરને ભજવાથીકે પૂજવાથી કોઇ કરુણામય બની જતું નથી. સમતાભાવ અને માણસાઇ એ એક પ્રકારનો નિત્યક્રમ છે. અંદરથી એ ઉગી નીકળે તો એની ડેઇલી પ્રેક્ટિસ થઇ શકે. નહિંતર બધી ઠાલી વાતો છે.
શીખવા માટે કોઇ ઉંમર નાની નથી હોતી, કોઇ તબક્કો અયોગ્ય નથી હોતો. જૈનો જો બહેતર પ્રજા બનવા માંગતા હોય તો ‘અજૈનો’ પ્રત્યેના તેમના અભિગમમાં સુધારો આણવા હિન્દુઓમાંથી પ્રેરણા લઇ શકે છે. અને હિન્દુઓએ જો સુધરવું હોય તો તેઓ જૈનોનાં કેટલાંક સિદ્ધાંતોમાંથી કશુંક પામી શકે છે.

===========

હિન્દુ તીર્થોમાં પંડાઓના જે દૂષણ જોવા મળે છે, એવા અપલખ્ખણ જૈન તીર્થોમાં જોવા મળતા નથી. જૈનોમાં સાધર્મિક વાત્સલ્ય (તેની સામે કોઇ જ વાંધો નથી, તકલીફ છે. અન્ય ધર્મોના લોકોને અછૂત તથા પામર ગણવા સામે અને મિથ્યાભિમાન સામે) નામની એક ઉદાત્ત ભાવનાનો મહિમા ગવાયો છે. એટલે જ જૈન તીર્થો પર યાત્રાળુઓને ભોજન એવી રીતે પીરસવામાં આવે છે-જાણે ઘેર કોઇ મોંઘેરા મહેમાન આવ્યા હોય. બીજી તરફ હિન્દુ તીર્થોમાં ભોજનદિ એવી રીતે અપાય છે જાણે તેઓ યાત્રાળુઓ પર કોઇ ઉપકાર કરી રહ્યા હોય. વીરપુરમાં બે-ત્રણ વખત પ્રસાદ (ખિચડી-કઢી) લીધો છે, પણ પછી ત્યાં જવાનું થાય તો જલારામ બાપના દર્શન કરી નીકળી જવું જ બહેતર માન્યું છે. ત્યાં થાળીમાં ખિચડી-કઢીને રીતસર ફેંકવામાં આવે છે. હેતથી-પ્રેમપૂર્વક જમાડવાની કોઇ ભાવના જ નહિં. જાણે ભિખ આપતા હોય તેમ ફટાફટ બધુ ફેંકી ને યાત્રાળુઓને રવાના કરી દેવાનાં...

માત્ર વિરપુરની જ આ કથા નથી. લગભગ પ્રત્યેક હિન્દુ તીર્થ પર આવી સ્થિતિ છે. ઘેલા સોમનાથ હમણાં જ જવાનું બન્યું. ખિચડી-કઢી-શાક-રોટલીનું મેનુ હતું. પણ વ્યવસ્થા એટલી ખરાબ કે, જમવા માટે ઊભું રહેવું હોય તો જગ્યા જ ન મળે. જમ્યા પછી વાસણ જાતે ઉટકવાનો નિયમ દરેક હિન્દુ તીર્થમાં હોય છે. આ વિચિત્ર નિયમનો ફાયદો શો છે એ સમજાતું નથી. વર્ષે કરોડોનું દાન મેળવતા તીર્થોને બે-પાંચ હજાર પગારવાળા બે-ચાર માણસો શા માટે પરવડતા નહિં હોય! શું વાસણ જાતે માંજવાથી ઇશ્વર પ્રસન્ન થઇ જતા હશે!

ઓ.કે. નિયમ રાખ્યો છે તો કમ સે કમ વ્યવસ્થા તો એવી રાખો કે, યાત્રાળુઓ વાસણ માંજી શકે! દરેક આવા તીર્થો પર એક ટબમાં એઠવાડ ઠાલવવાનો હોય છે. પછી એક સાબુના પાણીનો ટાંકો હોય છે અને ત્યાં વાસણ સાફ કર્યા પછી ચોક્ખા-સાદા પાણીમાં વાસણ ધોવા પડે છે. સમસ્યા એ છ કે, આવા દરેક તીર્થો પર સાબૂનું પાણી પણ ગંદુ હોય છે અને કહેવાતું ચોક્ખું પાણી પણ એટલું ગંદુ હોય છે. ટાંકી જાણે તેલ અને એઠવાડથી ભરી હોય એવું લાગે! આમાં તો પ્રભુનો જો એ તીર્થમાં વાસ હોય તો પણ તેઓ ભાગી છુટે.

લગભગ દરેક જૈન તીર્થમાં વાજબી દામથી અથવા ટોકન દરે (એક રૂપિયાથી લઇને પચાસ રૂપિયા સુધી) ઉત્તમ-હાઇજેનિક ભોજન ઉપલબ્ધ હોય છે. તેની સામે લગભગ દરેક હિન્દુ તીર્થમાં એકદમ વાહિયાત, બિન આરોગ્યપ્રદ ભોજન મળતું હોય છે. નિઃશુલ્ક મળતું આવું ભોજન સરવાળે તો યાત્રાળેઓને મોંઘુ પડે છે. કારણ કે, વ્યક્તિ દાનપેટીમાં પૈસા નાંખ્યા પછી પણ એકદમ ઉતરતી કક્ષાનું ભોજન જ પામે છે. એ પણ એવી રીતે જાણે એ ભિખારી હોય.

હિન્દુ તીર્થોની એક સૌથી નિંદનીય બાબત કોઇ હોય તો એ છે-તેની ગંદકી અને ગેરવ્યવસ્થા. ડાકોરથી દ્વારકા અને હરિદ્વારથી પુરી, રામેશ્વર સુધીના દરેક તીર્થોમાં તમને ભક્તિ અને અંધશ્રદ્ધા તથા શ્રદ્ધાની સાથેસાથે વધુ એક બાબત કોમન જણાશેઃ ગંદકી. હર કી પૌડીની હાલત ગંદી પ્રજાએ એવી કરી છે કે, ત્યાં ઉભા રહેવું મુશ્કેલ હોય છે. હરિદ્વારમાં ગંગાસ્નાન કરતા હોઇએ તો દર બીજી ક્ષણે તમારા શરીર સાથે એકાદ માનવઅસ્થિનો સ્પર્શ થતો રહે. મથુરા જેવા તીર્થો પર જે લોકો યમુનામાં સ્નાન કરી શકે તેમની માનસિક સ્થિતિની ચકાસણી થવી જોઇએ. ભારતભરના લગભગ તમામ હિન્દુ તીર્થો પર આપણને અવ્યવસ્થા, ગંદકી અને ઉઘાડછોગે થતી ભૂંડી લૂંટના દર્શન થાય છે.

વૈષ્ણોદેવી જવાનું અનેક વખત બન્યું છે અને દરેક વખતે ત્યાં વધુ ને વધુ કડવા અનૂભવો થયા છે. એક વખત અમે વૈષ્ણોદેવી પહોંચ્યા. તળેટીમાં આવેલા કટરાથી જો તમારે વૈષ્ણોદેવીનો પહાડ ચડવા જવું હોય તો ત્યાં પાસ-પરમિટની પ્રથા છે. ભીડ ભયંકર હતી. પરમિટની બારી બંધ થઇ ગઇ હતી અને સ્થાનિક ઓથોરિટીના કહેવા મુજબ આવનારા બે દિવસ સુધી બારી ખુલવાની સંભાવના ન હતી. કારણ કે, દોઢ લાખ જેટલા યાત્રાળુઓને ઓલરેડી પરમિટ અપાઇ ચૂકી હતી. અમે નિરાશ થઇને આંટા મારી રહ્યા હતા. ત્યાં જ ચમત્કાર થયો! સિનેમા હોલની બહાર જે રીતે ટિકિટમાં કાળા બજાર થતા હોય છે એમ અહીં પણ પરમિટ વેચવાવાળાની ભરમાર હતી. તમારે પરમિટ જોઇતી હોય તો તેમના સાગરીત તમને કટરા ગામની સાંકડી ગલીઓમાં લઇ જાય-જ્યાં પરમિટ વેંચનારાઓના રીતસર અડ્ડા હોય છે!

બીજી તરફ વૈષ્ણોદેવી ગયા ત્યારે હેલિકોપ્ટર સર્વિસ માટે આવા કાળાબજાર જોયા અને માત્ર વૈષ્ણોદેવીની વા તશા માટે કરવી! દેશભરના  હિન્દુ તીર્થોમાં આ જ સ્થિતિ છે. શિરડી જેવા અપવાદોને બાદ કરતા જમવાની દરેક જગ્યાએ કનિષ્ટતમ્ વ્યવસ્થા હોય છે. ટેબલ-ખૂરસી પર જો હિન્દુ તીર્થમાં ભોજન મળે તો માનવું કે તમારા ઉઘડી ગયા. પ્રત્યેક જૈન તીર્થમાં ભોજનદિ માટે ટેબલ ખૂરસીની વ્યવસ્થા હોય છે અને પ્રેમથી ભોજન પીરસાતું હોય છે. બીજી તરફ લગભગ દરેક હિન્દુ તીર્થમાં જમીન પર બેસવાની વ્યવસ્થા પણ માંડ હોય છે અને ભોજન પીરસાતુ નથી, ફેંકાતુ હોય છે! બેઉ વચ્ચેના મેનુમાં પણ ખાસ્સો ફર્ક હોય છે. હિન્દુ તીર્થોમાં ખિચડી-કઢી કે ખિચડી-બટેટાનું છાલવાળું શાક આપીને વહિવટદારો મોટો મીર માર્યાનો સંતોષ પામી લે છે. જ્યારે જૈન તીર્થોમાં ટોકન દરથી કે પડતર દામથી ઉત્તમ ભોજન અને નાસ્તો વગેરે અપાય છે.



હમણાં રાજસ્થાનના જૈન તીર્થ પાવાપુરી (માઉન્ટ આબુ નજીક) જવાનું થયું. સવારના નાસ્તાનો ચાર્જ 35 રૂપિયા છે ત્યાં. અચ્છા પાંત્રીસ રૂપિયામાં ત્યાં બ્રેકફાસ્ટમાં શું-શું હતું? ચા, કોફી, દૂધ, ફાફડા, મિની ઉત્તખા, ખાખરા, લાચકો મગ અને ગરમાગરમ પુરી. થોડા સમય પહેલા ખંભાળિયા-દ્વારકા નજીક આવેલા જૈન તીર્થ આરાધના ધામ ગયા હતા. 45 રૂપિયાની પાવતી લઇ અમે બપોરનું ભોજન લીધું. કાચા કેળાનું શાક, લીલી ચોળીનું શાક, ચણા, ઢોકળા, પુરી, રોટલી, દાળ-ભાત, ચુરમાના લાડુ અને છાસ તથા સલાડ. ગયા વર્ષે એક ઉત્સવમાં પાલિતાણા ગયા હતા-ત્યાં 60 રૂપિયાનું ટોકન લઇ કેવું ભોજન અપાતું હતું તેની તસવીર-તેના મેનુનો ફોટોગ્રાફ આ સાથે મેં અપલોડ કર્યો છે. જો કે, એ તો કોઇ ભવ્ય ઉજવણી હતી. સવાલ એ છે કે, આરાધના ધામ કે પાવાપુરી જેવી (સાદુ પણ હાઇજેનિક અને શુદ્ધ ભોજનની) વ્યવસ્થા હિન્દુ તીર્થો પર કેમ ના થઇ શકે? શા માટે ન થઇ શકે?

યાત્રાધામો પર વાજબી ભાવથી ભોજન-ઉતારો વગેરે મેળવવાનો યાત્રાળુઓનો અધિકાર છે. એ વાત ભૂલવા જેવી નથી કે, આવા તીર્થધામોની તિજોરીઓ યાત્રાળુઓ જ છલકાવતા હોય છે અને જે-તે તીર્થસ્થાનનું આખુ અર્થતંત્ર યાત્રાળુઓ પર નિર્ભર હોય છે. દરેક પ્રવાસી કે યાત્રાળુ ચિક્કાર નાણાં ખર્ચી શકે એવા હોતા નથી, એમનું ગજું પણ એટલું હોતું નથી. વળી તીર્થસ્થાનોએ મોટાભાગે લોકો સપરિવાર-સમુહમાં નીકળતા હોય છે. આવા સંજોગોમાં તેમને લકઝરિયસ નહિં તો ય સ્વચ્છ અને સુવિધાદાયાક ઉતારો મળે, સેવન કોર્સ ભોજન નહિં પણ સાદું છતાં પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજનદિ મળે એ અનિવાર્ય છે. જૈનો તો આ વાત સારી પેઠે સમજે છે, હિન્દુઓ ક્યારે સમજશે?


નોંધઃ-
*આ પોસ્ટ કોઇ ધર્મનો આંધળો વિરોધ નથી કરતી તેથી તેની પાછળનો ઉમદા ઉદેશ્ય સમજ્યા વગર તેનો આંધળો વિરોધ કરવા દોડ્યા આવવું નહિં.
*મુસ્લીમોના તીર્થોનો અહીં એટલે ઉલ્લેખ નથી કે, એમના તીર્થ સૌથી ગંદા હોય છે. જેમાં કોઇ સુધારો ક્યારેય થશે નહિ એવું હું સ્પષ્ટ માનુ છુ. અજમેર, હાજી પીર, દિલ઼્હીની ખ્વાજાની દરગાહ વગેરે ગયા પછી હવે મેં કસમ લીધા છે કે, શક્ય હોય ત્યાં સુધી એકપણ મુસ્લીમ તીર્થોએ ક્યારેય જવું નહિ.