Tuesday, October 9, 2012

V.V.P. Engineering College

 ... આ છે સૌરાષ્ટ્રનું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ !!!


રાજકોટની વી.વી.પી. કોલેજમાં બનેલું નવુંનક્કોર કલામંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે, તેની સૌથી મોટી ખૂબી એ છે કે, ઓડીયન્સ ઓછું હોય તો ઓટોમેટિક પાર્ટીશન દ્વારા અર્ધું ઓડિટોરિયમ ઢાંકી શકાય છે જેથી એરકન્ડીશન - વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે!!!!


`રોઝ ડે' કે `ફ્લાવર્સ ડે' કે `જીન્સ ડે' જેવા દિવસોની ઉજવણી જ્યાં ન થતી હોય એવી શૈક્ષણિક સંસ્થા શું આધુનિક ન ગણાય? જે કોલેજોમાં રેગિંગ ન થતું હોય એ શું મોર્ડન ન ગણાય? આધુનિકતાની આપણી વ્યાખ્યા બહુ વિચિત્ર છે, અતિ સંકુચિત છે. આપણે માનીએ છીએ કે, જ્યાં દેખાડા હોય ત્યાં જ ઉત્તમ શિક્ષણ હોય. વાસ્તવિકતા તેનાં કરતા અલગ હોય છે. ક્યારેક સમય અને અનુકુળતા હોય તો રાજકોટની વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઇને અનૂભવ કરજો. આ એક એવી કોલેજ છે જ્યાં પેરેન્ટસને `ઝીરો રેગિંગ'ની ગેરેન્ટી મળે છે. પાશ્ચાત્ય દિવસો ઉજવાતા નથી અને છતાં કોલેજ લાઇફનો ત્યાં ભરપૂર આનંદ છે, ઉમદા શિક્ષણ છે, હળવાશભર્યુ વાતાવરણ છે અને શ્રેષ્ઠતમ્ પરિણામો છે.

વીવીપી કોલેજની સફળતા પાછળ કોલેજના ચેરમેન પ્રવીણકાકા મણિયારનું વિઝન કારણભૂત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છ-છ દાયકાથી સંકળાયેલા પ્રવીણકાકા એક ઉમદા શિક્ષણશાસ્ત્રી પણ છે અને પ્રથમ દરજ્જાના કલારસિક પણ છે. કોલેજની લાયબ્રેરી જુઓ ત્યાં જ એમના ઉચ્ચ ટેસ્ટનો ખ્યાલ આવી જાય. ડિજિટલ આઇ-કાર્ડ અને બાર કોડિંગ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતી આ લાયબ્રેરીમાં લગભગ 45 હજાર જેટલાં પુસ્તકો અત્યંત વ્યવસ્થિત સચવાયેલાં છે. આંખ ઠરે એવું દૃશ્ય અહીં એ જોવા મળે છે કે, 45 હજારમાંથી એકપણ પુસ્તક તાળાબંઘ્ કબાટમાં નથી, બધાં જ રેકમાં છે. અભ્યાસ ઉપરાંત અહીંયા ગુજરાતીના શ્રેષ્ઠતમ્ (ફિકશન-નોન ફિકશન) લેખકોના યાદગાર પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

વી.વી.પી. કોલેજમાં આદર્શ ભારતીય પરંપરા સાથે પાશ્ચાત્ય ટેકનોલોજીનો અને રાષ્ટ્રવાદનો ત્રિવેણી સંગમ રહ્યો છે. પ્રવીણકાકા મણિયાર આજે લગભગ 77ની ઉંમરે SMS વાંચે છે,  SMS કરી પણ શકે છે. એમને દુહા-છંદની પણ સમજ છે અને વિશ્વસાહિત્યનું પણ જ્ઞાન છે. એમણે પાછલી ત્રણ-ચાર પેઢી પણ ભાળી છે અને આજની પેઢીને પણ તેઓ સમજી શકે છે.





સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ આજકાલ નફાના ઉદેશ્યથી જ ચાલતી હોય છે. પરંતુ વી.વી.પી.નો મુખ્ય હેતૂ વ્યવસાયી તાલિમ આપીને તેનાં થકી રાષ્ટ્રનિર્માણ કરવાનો છે. અહીં વારંવાર ફી વધારાનું દૂષણ નથી. કોલેજને થતા નફામાંથી દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ કોન્ફિગરેશન ધરાવતું ઉત્તમ બ્રાન્ડનું લેપટોપ માત્ર દસ-બાર હજાર રૂપિયામાં અપાય છે. આવા લેપટોપની બજાર કિંમત ત્રીસ-પાંત્રીસ હજાર હોય છે પરંતુ એક સાથે સેંકડો-હજારો લેપટોપ લેતા હોવાથી કોલેજ સંચાલકો કંપની પાસેથી તળિયાનો ભાવ મેળવે છે. વીસ-બાવીસ હજારમાં કોલેજને મળતા લેપટોપમાં તેઓ કોલેજ વતી દસેક હજાર સબસિડી ચૂકવે છે. તેથી અંતે વિદ્યાર્થીને એ દસેક હજાર આસપાસ પડે છે. આજકાલ રાજકીય પક્ષો વિદ્યાર્થીને લેપટોપ આપવાના ચૂંટણીવચનો આપી રહ્યાં છે, પરંતુ વી.વી.પી.માં તો આ શિરસ્તો બહુ અગાઉથી જ શરૂ થઇ ગયો છે, ઢંઢેરો પીટ્યા વગર, મતની અપેક્ષા વિના.

લેપટોપ જો વિદ્યાર્થીઓને ન અપાય તો કોઇ એમને પૂછવા નથી આવવાનું, છતાં તેઓ બહુ પ્રેમપૂર્વક દર વર્ષે નવા વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ સબસિડાઇઝડ ભાવથી કરે છે. કોલેજ સંચાલકોની પ્રતિબદ્ધતાનો આ સૌથી મોટો પુરાવો છે. અહીં બધું શ્રેષ્ઠતમ્ છે. વિશાળ-લીલુંચ્છમ કેમ્પસ છે, આંતરરાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મેળવી ચૂકેલું ઇકો-ફ્રેન્ડલી કોલેજ બિલ્ડીંગ છે-જે અનેક દૃષ્ટિએ નમૂનેદાર છે. જો કે, આ લેખનું મુખ્ય પ્રયોજન છે, વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ નિર્મિત થયેલા શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન અંગે વાત કરવાનું. અગાઉ આપણે વાત થઇ તેમ ટ્રસ્ટના ચેરમેન પ્રવીણકાકા મણિયાર અવ્વલ દરજ્જાના કલાપારખું છે. એટલે જ એમણે કોલેજ કેમ્પસમાં આ અદ્ભુત કલાભવન સર્જયું છે. કલા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો એ પણ ગણાય કે, આ ઓડિટોરિયમને તેમણે મેઘાણીનું નામ આપ્યું છે! સંઘ સાથે સંકળાયેલા બીજા કોઇ કોલેજ સંચાલક હોય તો તેને તેઓ સંઘના અગ્રણીનું નામ આપવાની લાલચ જતી ન કરી શક્યા હોય!




  
મેઘાણી ઓડિટોરિયમ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. સૌરાષ્ટ્રનું એ આજ સુધીમાં બનેલું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે, એની ક્ષમતા તો 1500ની છે પણ ફંકશન જો નાનું હોય તો અડધું ઓડિટોરિયમ ઢાંકી દેવા માટેનું ફોલ્ડિંગ-ઓટોમેટિક પાર્ટિશન પણ તેમાં છે! આ સવલતના કારણે સુવ્યવસ્થા જાળવવામાં આસાની રહે છે અને એરકન્ડિશનરના બિલનો ખર્ચ પણ ખાસ્સો ઘટાડી શકાય છે. આ ઓડિટોરિયમ વિશેની વિગતો જાળવા જેવી છે. આપણે એનાં પર દૃષ્ટિપાત કરીએ તે પહેલા જાણી લો કે, અહીં મુકાયેલી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પૂર્ણ કદની છે, તે નક્કર કાંસામાંથી બનેલી છે અને તેની પાછળ બારેક લાખનો ખર્ચ થયો છે. મેઘાણીની આવી અદ્ભુત પ્રતિમા વિશ્વમાં અન્ય ક્યાંય નથી.

=================


રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન તથા વી.વી.પી. ઓડીટોરીયમની થોડી વિગતો:
 (1) બેઠક વ્યવસ્થાઃ
આશરે 1પ00 બેઠકોની એક જ ફલોર ઉપરની સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ બેઠક વ્યવસ્થા જે SMPTI-U.S.A. (સોસાયટી ફોર મોશન પિક્ચર અને ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ અમેરિકા)ના સ્થાપિત સ્પષ્ટ દ્રશ્ય-શ્રાવ્યના નિયમાનુસાર ગોઠવેલ છે. ખુરશીઓમાં લેખન અગર લેપટોપના સ્ટેન્ડ માટે ફોલ્ડીંગ ફલેપ બોર્ડ તથા તમામ પુશબેક ખુરશીઓ.

(2) રંગમંચ (સ્ટેજ):
100'x30'=3,000 ચો. ફુટનું સ્ટેઇજ, શાત્રીય સંગીત નૃત્ય નાટીકા - (ઓપેરા)ના પ્રદર્શનની સુવિધાઓ વર્ટીકલ કર્ટેઇન, ફલીકરીંગ લાઇટ, નીઓ નિયોન અને લાઇટ એન્જિનથી ઉપજતા મનોરમ્ય રેખાંકનો વિષય વસ્તુની થીમ પ્રમાણે દરેક સાંસ્કૃતિક કાર્યો માટે, સામાજિક કાર્યો, આધ્યત્મિક પ્રવચન માટે (32 ડી.બી.) અવાજ પ્રસારણની સુયોજિત વ્યવસ્થા જે નિરવતા પ્રદાન કરે છે.

(3) વાતાનુકુલનઃ
1પ000 ચો. ફુટના વિશાળ ક્ષેત્ર વિસ્તારમાં પ્રદુષણરહિત જેમાં રીર્ટન હવા ખેંચવા ડકટીંગ કે કોપર પાઇપીંગ-પરંપરાગત પદ્ધતિ પ્રમાણે જરૂરી નથી. આધુનિક સંશોધનમાં રણ પ્રદેશોમાં આ પદ્ધતિ ખુબ જ સફળ છે.


(4) લાઇટીંગઃ
જનરલ ઇલેકટ્રીકની લેઝર લાઇટીંગ સાથેનું e-technology દ્વારા સંપૂર્ણ પ્રકાશ નિયોજન. તાકીદની પરિસ્થિતિ માટે ડી.જી. સેટ.

(પ) સાઉન્ડ સીસ્ટમઃ
ડયુઅલ ચેન્જ ઓવર સીસ્ટમ-પ્લાસ્ટીક ક્રીન, વિડીયો કન્ફરનસીંગ, DLP સેટેલાઇટ ટ્રાન્સમીશન, એન્ડલેસ ફ્રીકવન્સી રીસ્પોન્સ.

(6) એકોસ્ટીક્સઃ
આ વિજ્ઞાનનો સૈદ્ધાંતિક ઉપયોગ જેમાં-મૂળભૂત અવાજના તરંગોનો ક્ષય થવાનો સમય-આદર્શ રીતે 1.2 સેકન્ડ, દરેક લેવલે-ખુરશીમાં SPL એટલે કે, સાઉન્ડ પ્રેસર લેવલ સમાન રહે, અવાજની તીવ્રતા એક સરખી જળવાય અને ઘોîઘાટ બીલકુલ સંભળાય નહિ તેવું આયોજન.

(7) અગ્નિ પ્રતિરોધકઃ

ISI સ્ટાન્ડર્ડ મુજબ.
સ્મોક ડીટેક્ટર્સ-સિલિંગમાં.
ફાયર એલાર્મ સીસ્ટમ-પાણીનો અનામત જથ્થો વગેરે.
વીજળી પ્રતિરોધક લાઇટનીંગ એરેસ્ટર.
વિશિષ્ટતા: 


- ભારતમાં સર્વ પ્રથમ બેઠક ક્ષમતા અન્ય પરિણામોને યથાવત જાળવીને વધ-ઘટ કરવા માટે એક્રોસ્ટીક પાર્ટીશન જે સભાગૃહને બે વિભાગમાં જુદા પાડી શકે છે.
- આધુનિક વિજ્ઞાન અને શક્ય સ્વદેશી સ્થાપથ્ય શૈલીનો સમન્વય સાધીને આ આયોજન. કુદરતી પ્રકોપનો સામનો કરી શકે તેવી માળખાકીય રચના જેમાં ભૂકંપ પ્રતિરોધકતા તેમજ ચક્રવાત સમાવિષ્ટ છે.
- ઇજનેરી વિદ્યા શાખાના તથા તમામ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે, દ્રશ્ય-શ્રાવ્ય પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમૂહમાં શિક્ષણ આપવાની ઉત્કૃષ્ટ શૈક્ષણિક ઉપલબ્ધતા.

Monday, October 8, 2012

AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN

ફિર હુઈ ધડકને તેઝ દિલ કી, 

ફિર વોહ ગુઝરે હૈ શાયદ ઇધર સે !!!

AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN



કિતની ભી યેહ રાત હસીં હો ફિર ભી સહર કી બાત અલગ હૈ,

હમ તુમ જીને કો જીતે હૈ, સાથ સફર કી બાત અલગ હૈ 


એહમદ હુસૈન - મોહમ્મદ હુસૈનનો પરિચય થયાને લગભગ બે દાયકા થયા. એમના અવાજનો પરિચય, ગાયકીનો પરિચય. એમને રૂબરૂ મળવાનું બન્યું નથી. પરંતુ સ્વર થાકી બરાબર ઓળખું છું. કારણ કે, એમની ગાયકી મેં રાત-રાત ભર જાગી ને ગટગટાવી છે. એમના ગાયનને એવી રીતે પીધું છે જાણે કોઈ અઠંગ પ્યાસી વ્યક્તિ શરાબને માણતો હોય. ખબર નહિ કેમ, મને એ જગજીત કરતા હંમેશા ચડિયાતા લાગ્યા છે. એવું સતત લાગ્યું છે કે, એમના હક્ક-હિસ્સાના યશ - કીર્તિ અને નામના એમને મળ્યા નથી. બેઉ ભાઈઓની ગાયકી આલા દરજ્જાની, સંગીતની સમજ કોઈ ઉસ્તાદ જેવી - એટલે જ તેઓ પણ "ઉસ્તાદ"ના નામથી જ ઓળખાય છે. કમ્પોઝિશનમાં ચિક્કાર વૈવિધ્ય. ક્યાંય સ્તરથી નીચે ઉતરવાની વાત જ નહિ. અને હું માનું છું કે, ગઝલ કે ગાયકીના ક્ષેત્રમાં અવાજ કરતા વધુ મહત્વ ગાયકીનું અને તર્જનું હોય છે।  


જગજીતની પુણ્યતિથિ નજીક છે, વાજબી રીતે જ એમને બહુ યાદ કરાશે. કોઈ જ તકલીફ નથી. પરંતુ નજર સામે જે બે ભાઈઓ જીવતાજાગતા, હાજરાહજૂર છે તેમને કોઈ યાદ નથી કરતુ એનો અફસોસ ક્યારેક થાય છે. સંગીત વિશે કે ફિલ્મો અંગે લખવા-બોલવામાં હું ક્યારેય કોઈની શરમ રાખતો નથી. કારણ કે, હું જે કંઈ લખું-બોલું છું તે એક ભાવક તરીકેના મારા અભિપ્રાય હોય છે, નિષ્ણાત તરીકેના નહિ. હું વિવેચક નથી, શ્રોતા કે દર્શક માત્ર છું. મારું જ્ઞાન કદાચ અલ્પ હોઈ શકે પરંતુ મારો શોખ અધકચરો નથી. મારો ટેસ્ટ છે, શક્ય છે કે, એ વાહિયાત હોય. સંભવ છે કે, એ પ્રથમ દરજ્જાનો હોય. પણ એ મારો ટેસ્ટ છે. તેમાં મારા બાયસ છે, પૂર્વગ્રહો છે અને એ પૂર્વગ્રહો છે તો હું છું. મને ખ્યાલ છે કે, દુનિયાનું બધું મ્યુઝિક સાંભળવા નથી સર્જાયું. હું માનું છું કે, જગતના દરેક ક્ષેત્રની માફક અહીં પણ કેટલાંક બ્રિલિયન્ટ લોકો. મુઠ્ઠીભર જીનિયસ લોકો અને ઝાઝાબધા મીડીયોકર લોકો હોવાના. 



AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN





   

સરખામણીની વાત નીકળી જ છે તો કહી દુ કે, જગજીત અને 
ચિત્રા જ્યારે સાથે ગાતા એ સમયની ગઝલોમાં ભરપુર વૈવિધ્ય રહેતું, રોમાન્સ અને આત્મા હતો. રોયલ આલ્બર્ટ હોલનો એમનો કાર્યક્રમ આજે પણ મારા ઓલટાઈમ ફેવરીટ આલ્બમમાંથી એક છે. એ આલ્બમ લગભગ હજાર વખત સાંભળ્યું હશે એવું કહું તો પણ અતિશયોક્તિ નહિ હોય. ગાલીબની ટી.વી. સિરિયલ માટે તેમણે કમ્પોઝ કરેલી ગઝલો પણ એટલી જ ગમે છે. જો કે, આજે પણ હું માનું છું કે, ગુલઝારે એ શ્રેણી માટે ગઝલો કમ્પોઝ કરવા અને ગાવા માટે ત્રણ-ચાર અલગઅલગ કલાકારો પસંદ કર્યા હોત તો બાત કુછ ઔર હીં હોતી... પણ પછી બધું જાણે અચાનક ખતમ થઇ ગયું. એકસરખી ધૂનો અને એકદમ ફિક્કી ગાયકી. ક્યારેક તો તેઓ પોતે જ પોતાની જૂની ધૂન ચોરી લેતા હોય એવું લાગતું. મને ઘણી વખત એવું લાગતું કે, જગતની ઉત્તમોત્તમ ગઝલોને ખતમ કરવાની, તેને સૌથી વાહિયાત રીતે કમ્પોઝ કરવાની એમનામાં અદભુત ક્ષમતા હતી. 

તમે જો અસલી શ્રોતા હોય તો ઘણાં પ્રશ્નો ઉછળતા અયડાતા રહે છે. તમારા મનમાં કયારેક વિચારોનું તોફાન ઉઠે છે. ભાઇબંધો ભેળા મળે અને સંગીતની વાત નીકળે ત્યારે એકાદ જણ અવશ્ય બોલે છે, ``અગાઉના સંગીત જેવી વાત હવે નથી રહી'' નોસ્ટાલ્જીયામાં જીવવું અમને પણ ગમતું નથી પણ સાચુ શું છે ? મેલોડીની હત્યા થઇ ગઇ ? સંગીતનું આત્માવસાન થઇ ચુક્યું છે ? રીક્ષાથી લઇ પડખેના ઘર સુધી મુન્ની બદનામ હુઈ વાગે છે, શીલા કી જવાનીથી તો હવે ભારતવર્ષના જીવજંતુઓ પણ પરિચિત છે. આટલાં ઘોંઘાટ વચ્ચે પણ સંગીતમાં સ્તબ્ધતા કેમ લાગે છે ? બેસુરો હિમેશ ખરતા તારાની માફક ચમકી પછી ફટ્ટ દેતાંક વિલોપ થઇ ગયો એમ મીકા અને મોહિત પણ એક દિવસ ઓગળી જશે અને એ દહાડો ઢુકડો છે. તુમ તો ઠહરે પરદેસી પછી અલતાફ રાજા અત્યારે દેશમાં છે કે પરદેશમાં એ પણ કોઇ જાણતું નથી. હસન જહાંગીર `હવા હવા ખુશ્બુ લુટા દે' ગાતો ત્યારે સૌ પાગલ થતા, એ કયાંક હવામાં ઓગળી ગયો. બાબા સેહગલે `આજા મેરી ગાડી મેં બૈઠ જા' કહ્યું ત્યારે થોડીવાર તો લોકોને ગમ્યું પણ હવે એની ગાડીમાં બેસવા કોઇ તૈયાર નથી. હાથી જેવી કાયાનો માલિક હોવા છતાં અદનાન સામિ ક્યાંક ખોવાઇ ગયો છે. કયારેક કોઇ અગમ્ય કારણસર કોઇનું પત્તું ચાલી જતું હોય છે. 



AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN



   

લોકો એકઠા થાય ત્યારે સારા અવાજની અને સારી ગાયકીની ભેળસેળ કરી નાંખતા હોય છે. જગજિત સિંહનો અવાજ અફલાતુન છે પણ તેનાં કરતાં તો અમારા મોરબીનાં મનસુખ વાલેરા વધુ સારું ગાય છે. તલત મહેમુદનો અવાજ તમને ગમતો હોય તો અમને વાંધો નથી પણ એમની ગાયકી બહુ સારી હતી એવું કોઇ કહે તો એને સંગીતના સોગન. લતા એક જમાનામાં બહુ સારું ગાતી, અવાજ મીઠો હતો પણ વીસ વર્ષથી એનો અવાજ હવે કાનમાં દર્દ કરે છે. સુનિધિ અને અદનાનનાં ગીતો સાંભળતી વખતે ગીતનાં મૂળ શબ્દોની પ્રિન્ટ પણ સાથે રાખવી પડે કારણ કે એમનાં ઉચ્ચારો એટલાં અસ્પષ્ટ છે કે તેઓ શું ગાઇ રહ્યા છે એ જાણવા માટે બીજો કોઇ રસ્તો જ નથી. ઉદાહરણ તરીકે સુનિધિએ `વક્ત'માં ગાયેલું હોળી ગીત અને અદનાનનું `લિફ્ટ કરા દે' સાંભળવું. સારા ગાયક બનવાનું એક મહત્વનું પાસું એ છે કે તમારા ઉચ્ચારો સ્પષ્ટ હોવા જોઇએ. ગઈકાલે કદાચ સુનિધિનો સિતારો બુલંદી પર હતો  પણ ભવિષ્ય શ્રેયા ઘોષાલનું ઉજ્જવળ છે. આજથી વીસ વર્ષ પછી સોનુ નિગમ-રફી વચ્ચે તુલના થતી હશે.
 

સંગીત પારખવું એ પણ એક કળા છે. સોલી કાપડીયાનું આલબમ `પ્રેમ એટલે કે' આવ્યું ત્યારે એક ગુજરાતી લેખકે મિત્રભાવે તેનાં વખાણ લખ્યા કે, સોલી એટલે સોલી, બાપુ ! સમજુઓએ કહ્યું કે પુરૂષોતમ ઉપાધ્યાય અને સોલી વચ્ચે સરખામણી કરવી એ રમણ લાંબા અને સચિન વચ્ચે તુલના કરવા જેવું જ પાપ છે. આજે એ વાત સાબિત થઇ ચુકી છે. ક્રિકેટમાં જેમ `વન મેચ વન્ડર' જેવા ખેલાડીઓ હોય છે, એમ સંગીતમાં એવા ગાયકો સંગીતકારો હોય છે. દલેર મહેન્દીનું ગીત જ્યારે ટીવી પર વાગતું ત્યારે શેરીમાં ગાય-બળદો પણ ભાગાભાગી કરવા લાગતા પણ લોકો વગાડતા. આજે લોકો પણ ભાગવા લાગ્યા છે તેનાંથી. 


AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN
આવા બધાં ગાયકો પાછાં પોતાનાં ભાંભરવાને જસ્ટીફાય કરતા જાણતા હોય છે. પંજાબી ગાયકો એટલું ભુંડુ ગાય છે, એટલાં જોરથી ચીસો પાડે છે કે અમારા જેવા કાનસેનો પ્રભુને પ્રાર્થના કરે છે: આવું જ સંભળાવવું હોય તો અમારી શ્રવણશક્તિ છિનવી લો, ભગવાન. પછી તેઓ કહે છે કે અમે તો સુફી ગાઇએ છીએ. હિમેશ નાકમાંથી ગાયા કરે છે અને પત્રકારો પ્રશ્ન કરે ત્યારે કહે છે કે નૂસરત ફતેહ અલીખાન પણ આવું કરતાં. નૂસરત તો બીજુ ઘણું કરી શક્તા, તેઓ એટલાં ઉંચા સૂરમાં ગાઈ શકતા જ્યાં હિમેશ જેવા લોકો હેલિકોપ્ટરમાં પણ પહોંચી શકે નહી: પણ અહીં તો નૂસરત સાહેબનું નામ આપી દેવાનું એટલે પત્યું. દિલકો બહેલાને કો યહ ખયાલ અચ્છા હે... 

કુમાર સાનુ અત્યંત ચાંપલા અવાજે કિશોરની નકલ કરે અને પછી કહે કે કયો એવો ગાયક છે જે કિશોરદા થકી પ્રભાવિત ના હોય ? સોનુ નિગમ રફીનાં પડછાયામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં સુધી પીટાતો રહ્યો `પરદેશ'ના `યે દિલ... દિવાના... હૈ યે દિલ' દ્વારા સોનુને પ્રથમ વખત અસલી સોનુ સાથે મળવાનું બન્યું પછી તેની ભિતર રહેલો ગાયક જાગ્યો. ઉદિત નારાયણને મળેલી સફળતા આજે પણ વૈજ્ઞાનિકો માટે અણઉકેલ કોયડો છે.



છેલ્લે વાત કરવી છે હાલનાં અને જુના સંગીત વચ્ચેની સરખામણીની. સારા ગાયકો અગાઉ પણ હતા, આજે પણ છે. સંગીતકારો વિશે પણ એવું કહી શકાય. અગાઉ રફી, નૌશાદ, લતા, મદનમોહન હતા. તો આજે રહેમાન, શ્રેયા, સોનુ, રાહત, શફકત અમાનત અલી જેવા લોકો છે પણ સંગીતનું સ્તર નીચું આવ્યું છે એ વાત નિશંક છે. બાય ધ વે, બાત કહાં સે શુરુ હુઈ ઔર કહાં પહુંચ ગઈ!!! ... તો હાજર છે, મને સૌથી વધુ ગમતા ગઝલ ગાયકોમાંના એક (આમ તો બે!) એહમદ હુસૈન અને મોહમ્મદ હુસૈન. મને ખ્યાલ નથી કે, તમારામાંથી કેટલા લોકોને એ ગમશે. પરંતુ મને એટલો ખ્યાલ છે કે, તેઓ મને તો અપાર પ્રિય છે અને રહેશે.




નીચે આપેલા યુટ્યુબ વિડીયો પર એહમદ અને મોહમ્મદ હુસૈનની ગઝલો સાંભળો , શક્ય છે કે, તમને પણ એટલો જ આનંદ આવે, 
જેટલો મને આવે છે!  

આઈને સે કબ તલક તુમ અપના દિલ 








કિતની ભી યેહ રાત હસીં  હો 







વફા કે દીપ મૈ કબ સે જલાયે બૈઠા હું 








અચ્છા યેહ મુહબ્બત કા  અસર દેખ રહ હું 





મૈ હવા હું કહાં વતન મેરા 




 ઝુલ્ફ બિખરા કે નિકલે વોહ ઘર સે










 અય સનમ તુજ સે મેં જબ દુર ચલા જાઉંગા ...





કભી યું ભી આ મેરી આંખ મેં, કે મેરી નઝર કો  ...





=================================





RECENTLY ADDED 


જબ પ્યાર નહિ હૈ તો ભૂલા કયું નહિ દેતે .....






તુમ બિન  કૌન ખબર લે।।   ભજન 






તુમ્હારી યાદ મે પાઈ હૈ જબ કમી મૈને 






મેરી નાઝનીન ...






ચલ મેરે સાથ હી ચલ 







નીચે આપેલી લિન્ક્સ પર ક્લિક કરો અને 
હુસ્સૈન બ્રધર્સના આખા આલ્બમ ડાઉનલોડ કરો...























(આ આલ્બમ મારું ફેવરીટ છે)









Tuesday, September 25, 2012

આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!



માન્યું કે ભાદરવાના તડકા આકરા હોય છે... પરંતુ નજરુંના તીરમાં ક્યાં ઓછી ટાઢક હોય છે! 
અન્યાય ... અન્યાય .... ઘોર અન્યાય.... 
ગુજરાતના યુવાનો બાપડા હરખાતા હરખાતા સવારમાં ફૂલફટાક થઇ ને નીકળી પડે અને લીલોતરી ને બદલે નજરે શું ચડે? 
એકવીસમી સદીના આધુનિક બુરખાઓ ધારણ કરેલી આવી તિતલીઓ ? 
જરા વિચારો, તેમના હૈયા પર કેવો વજ્રઘાત થતો હશે!
આ બુરખાના પણ પાછા મલ્ટિપલ ઉપયોગ: 
બગીચામાં છાનામાના કોઈને મળવું હોય તો બુરખો...
દબાતા પગલે ફિલ્લમ જોવા જવું હોય તો બુરખો...
કોઈના બાઈક પાછળ બેસવું હોય તો બુરખો....
કોલેજ બન્ક કરવી હોય તો બુરખો....
આમ અગણિત ઉપયોગ ધરાવતા આ બુરખાને કારણે યુવતીઓને તો નિરાંત છે પરંતુ યુવકોનું શું?
આને કહેવાય અન્યાય, આને કહેવાય થપ્પડ!
ગુજરાતના યુવાનોના ચહેરા પર ગુજરાતી યુવતીઓની જોરદાર થપ્પડ!

Monday, September 24, 2012

કે. લાલ: ઈશ્વર સૌથી મોટો જાદુગર છે


K. Lal
એમની માયાજાળ સિત્તેર - સિત્તેર વર્ષ સુધી ચાલી. 1940માં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વંથલી ગામે તેમણે પ્રથમ પ્રયોગ કર્યો. ત્યારે ઉંમર હતી 15 વર્ષ. અને આખરી વિદાય લીધી ત્યારે એમની ઉંમર લગભગ ૮૫ વર્ષ. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામના આ કાઠિયાવાડી જાદુગર કડી થાક્યા નહિ. એમની સ્ફુર્તિ આઠ - આઠ દાયકા સુધી અકબંધ રહી. ૭૦ વર્ષ દરમિયાન તેમણે ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં લગભગ 18,500 શો કર્યા. આટલા શો વિશ્વના અન્ય કોઈ જ જાદુગરે કર્યા નથી તેવો તેમનો દાવો હતો. કાંતિલાલ ગિરધરલાલ વોરા નામ કંઈ અજાણ્યું લાગતું હોય તો તેમનું એક અન્ય નામ પણ છે. કે. લાલ. જાદુગર કે. લાલ. 
રિડિફ ડોટ કોમ માટે એક મુલાકાત લેવા મારે એમની સાથે પ્રથમ વખત મળવાનું બન્યું. અને પછી લગભગ ત્રણ બેઠકે ઇન્ટરવ્યુ થયો. એ આખી મુલાકાત જેમની તેમ અહીં મૂકી રહ્યો છું. એમના જ શબ્દોમાં ....

મારું બચપણ 

ગુજરાતી લોકસાહિત્યને સમૃદ્ધ કરનાર ઝવેરચંદ મેઘાણીનું અને મારું વતન એક જ અમરેલી જિલ્લાનું બગસરા ગામ. અમારા ગામેથી જ મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનું એલાન આપ્યું હતું. મારા દાદા ગામના નગરશેઠ. ગામનું મહેમાન એ અમારું મહેમાન. કથાકાર હોય, લોક કલાકાર હોય કે પછી મદારી હોય અથવા આવા કોઈ પણ લોકો હોય. એ બધાનો ઉતારો અમારે ત્યાં જ હોય. જાતજાતના લોકોને મળવાનું થાય. 

હું જ્યારે છ વર્ષનો હતો ત્યારે મારા મોટા કાકાએ કલકત્તામાં ખાદી ભંડાર ચલાવવાનું છોડીને મારા પિતાને કલકત્તા બોલાવ્યા. કુટુંબ સાથે અમે કલકત્તા ગયા. બંગાળના મોટા મોટા જાદુગર પણ એ સમયે અડધો કલાકનો શો જ કરતા. 1947માં કલકત્તાની શ્યામબજારમાં જાદુગરોનું મોટું અધિવેશન હતું. એક નાના ગજાના જાદુગર તરીકે હું પણ ત્યાં ગયો હતો. બંગાળના મોટા મોટા જાદુગરો વચ્ચે એ ઉંમરે મેં માઇકમાં બે શબ્દો કહેવાની માગણી કરી. ઘણી વિનંતી પછી મને માઇક આપવામાં આવ્યું. મેં કહ્યું કે `આપણે સૌ જાદુગરો મોટી મોટી મૂછો રાખીએ છીએ, ડરામણાં મોઢાં રાખીએ છીએ, આંખ પરની નેણ પરાણે મોટી કરીએ છીએ, એકમાત્ર કાળો કોટ પહેરીએ છીએ અને તેના પર પણ જેટલા મળ્યા હોય એટલા ચાંદ લગાવીએ છીએ. છથી નવ ઇંચની ઊંચી હેટ પહેરીએ છીએ. આ બધું લોકોને ગમતું નથી. લોકો જાદુને માણવાને બદલે તેનાથી ડરવા માંડે છે. આપણે સૌ ખલનાયક જેવા લાગીએ છીએ અને વિલન કોઈને ગમતા નથી. આપણે હીરો બનીએ તો વધુ સારું રહેશે. અમેરિકન હેટ છોડીને રજવાડી પાઘડી પહેરીએ. ભારતીય પરંપરાને એ બંધબેસતું રહેશે. શેરવાની પણ જરૂરી છે. ત્યારના જાદુગરોને નભિમાંથી રાડો પાડીને બોલવાનું કહેવામાં આવતું. મેં કહ્યું કે `આવા બૂમબરાડા પણ જરૂરી નથી.' મારી આવી રજૂઆતથી ત્યાં હાજર રહેલા સૌ માંધાતાઓ ઉશ્કેરાઈ ગયા. એક વડીલે મારો ખભો પકડયો અને મને જબરદસ્તીથી બેસાડી દીધો. તેમણે મને કહ્યું , `અબે સાલે, તું ગુજરાતી કેસે જાદુગર બન સકતા હૈ, હમકો સલાહ દેને વાલા તૂ હોતા કૌન હૈ.' 

એમની ગાળ મને હાડોહાડ લાગી ગઈ. ગુજરાતીઓ શા માટે જાદુગર ન બની શકે? એ સજ્જનની વાત કરવાની ઢબ બિલકુલ યોગ્ય ન હતી. ગુજરાતીઓ પ્રત્યેનો તેમનો સૌનો અણગમો છતો થઈ જતો હતો. હું આખો ગુસ્સાથી ધ્રૂજતો હતો. દોડીને મેં ફરી માઇક ઝૂંટવી લીધું. હું ફટાફટ બોલવા માંડયો... `તમે ગુજરાતી વિશે મને મહેણાં મારો છો, પણ લખી રાખજો કે એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મૂકે છે ત્યાં એ સર્વોપરી બને છે. અને હું એ વાત સાબિત કરી આપીશ.' 

મારો પ્રથમ પ્રયોગ 

એ બનાવને કારણે હું અંદરથી હચમચી ગયો હતો. પેલા સજ્જનનાં મહેણાંઓનો જડબાતોડ જવાબ આપવા માટે મેં જાતજાતની આઇટમો બનાવવા માંડી. કેટલાક અદ્ભુત પ્રયોગ તૈયાર કર્યા. 1951માં મેં મારો જાદુનો કાર્યક્રમ નિહાળવા માટે 300 જાદુગરોને આમંત્રણ આપ્યું. 

સ્થળ; રોકસી થિયેટર, કલકત્તા. 

મુંબઈથી મશહૂર જાદુગર ગોગિયા પાસા આવ્યા. મારા ગુરુભાઈ પી. સી. સરકાર પણ આવ્યા. એ શો પાછળ મેં વર્ષો મહેનત કરી હતી. અડધા કલાકના શોના એ જમાનામાં મેં ત્રણ કલાકનો એક શો કર્યો. નમ્રતાપૂર્વક કહું તો પ્રયોગ એટલો અદ્ભુત રહ્યો કે, બધા જ જાદુગરો મોંમાં આંગળાં નાખી ગયા. મેં મારા શોનું શક્ય એટલું ભારતીયકરણ કરી નાખ્યું. રાતોરાત જાદુની, જાદુગરની વ્યાખ્યા બદલાઈ ગઈ. 

જાદુનો જાદુ 

બાળપણથી જ આ કળા પ્રત્યે મને ખેંચાણ. ઘેર આવતા મહેમાનોમાં ઘણી વાર મદારીઓ પણ હોય. બીજા બધા દોસ્તારો મદારીથી બીવે, પણ હું તો એની પણ ભાઈબંધી કરી લઉં. ઘેર કંઈ સારું બન્યું હોય તો ચૂપચાપ મદારીઓના ઉતારા પર એ વાનગી લઈને પહોંચી જાઉં અને બદલામાં ક્યારેક એકાદ જાદુ પણ શીખી લઉં. ત્યારથી જ મનમાં ઊંડે ઊંડે જાદુગર બનવાના કોડ જાગ્યા. મદારી પાસેથી શીખેલા હાથચાલાકીના ખેલ શાળાના શિક્ષકો અને સહાધ્યાયીઓને દેખાડું. તેઓ કદર કરે અને મને કંઈક અલગ જ ખુશી થાય. એ અરસામાં જ કલકત્તા શિફ્ટ થવાનું બન્યું. પિતા પૈસેટકે ખૂબ જ સુખી. મને તેમણે કલકત્તાની એંગ્લો-ઇન્ડિયન સ્કૂલમાં દાખલ કર્યો. નાની ઉંમરથી જ હું પિતાની દુકાને બેસતો પણ મને ભણવામાં કે ધંધામાં બહુ રસ નહોતો પડતો. મને તો નાટક, ભવાઈ અને જાદુ જ ગમતાં. બંગાળ તો જાદુગરોનું સ્વર્ગ ગણાતું. પણ એ સમયે જાદુકળા માત્ર પ્રદર્શન પૂરતી જ મર્યાદિત. પ્રોફેશનલ ટચ હજુ તેમાં એટલી હદે નહોતો. અડધા કલાકના શો થાય અને 30-40 જણ એ જુએ. એ અરસામાં મારા કાકા મને બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તીનો શો જોવા લઈ ગયા. મારી ઉંમર ત્યારે લગભગ બાર વર્ષ. શો પત્યા પછી મેં તેમના જાદુની એક આઇટમની થિયરી તેમને કહી. તેઓ દંગ રહી ગયા. તેમણે મને રોજ તેમની પાસે આવવા કહ્યું. ઘરના વડીલો પાસેથી આવી વાત માટે રજા મળે એવું તો વિચારી જ ન શકાય. એ પણ એ જમાનામાં? તેથી હું સ્કૂલે જતાં-આવતાં છાનોમાનો તેમની પાસે પહોંચી જતો. આવી જ રીતે ગોસાઇન નામના એક બીજા જાદુગર પાસે પણ હું અવનવી તરકીબો શીખવા પહોંચી જતો. 

1939ની વાત છે. અચાનક જ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અમારું કુટુંબ કલકત્તાથી બગસરા પરત આવી ગયું. 1940ની સાલમાં અમારે એક સંબંધીના લગ્નપ્રસંગે બગસરાથી વંથલી જાન લઈને જવાનું થયું. સગાંસંબંધીઓ વચ્ચે ત્યાં મેં અડધો કલાકનો એક નાનકડો શો કર્યો. ઘણા પ્રયોગો દેખાડયા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સગાંસંબંધીઓએ તાળીઓ તો ખૂબ પાડી પણ ઘેર આવતાં મને થપ્પડો પણ એટલી જ પડી. ગામમાં વાયુવેગે વાત ફેલાઈ કે `કાન્તિયો' કાળો જાદુ શીખીને આવ્યો છે. વાણિયાનો છોકરો સ્મશાનવિદ્યા અને ડાકણવિદ્યામાં પડયો એવું પણ લોકો ચર્ચવા લાગ્યા. પિતાજીએ અને બાએ મારી ધોલાઈ કરી નાખી. આખી જ્ઞાતિએ અમારા ઘરનું પાણી પણ હરામ કર્યું. અંધશ્રદ્ધાનો એ યુગ. 

હું એમને સમજાવતો કે હું કદી સ્મશાનમાં ગયો નથી. મેં કોઈ દેવને સિદ્ધ નથી કર્યા. પણ તેઓ મારી વાત સમજવા તૈયાર નહોતા. ત્યારથી જ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે આ કળા વિશે લોકોમાં રહેતી અંધશ્રદ્ધા હું દૂર કરીશ. 42-43ના વર્ષમાં અમારું કુટુંબ ફરી કલકત્તા ગયું. એ સમયે બંગાળમાં ગીતાકુમાર નામના એક જાદુગરનું જબરું નામ હતું. મેં મનમાં તેમને ગુરુ માની લીધા અને એક દિવસ વાસ્તવમાં જ તેમની મુલાકાત થઈ. એમની પાસે મેં જાદુ શીખવાનું શરૂ કર્યું. શાળામાં ગાપચી મારવાનું નિયમિત થઈ ગયું હતું. સતત ગેરહાજરીને કારણે મને મેટ્રિકની પરીક્ષામાં બેસવા ન મળ્યું. ભણવામાં અને ધંધામાં મન ન લાગ્યું તે ન લાગ્યું અને હું જાદુગર બનીને રહ્યો. 

પેટ્રોમેક્સથી કોમ્પ્યુટર સુધી 

1951ની સાલમાં મેં 300 જાદુગરો સમક્ષ એક અદ્ભુત શો કર્યો. જાદુના જે શો થતા હતા તેમાં માત્ર ચાર બલ્બનો અને પેટ્રોમેક્સનો જ પ્રયોગ થતો. મારા એ શોમાં મેં અનોખી લાઇટિગનો ઉપયોગ કર્યો. એ દહાડે મેં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ ચાલુ કર્યો. આજે તો હું મારી અમુક `આઇટમ'માં કોમ્પ્યુટર્સનો પણ ભારોભાર ઉપયોગ કરું છું. કોમ્પ્યુટરની કમાલ અને મારી હાથચાલાકીના પ્રતાપે એક સ્ત્રીના ટુકડેટુકડા જોવા મળે છે. 1951માં મેજિક શોને હું પેટ્રોમેક્સના યુગમાંથી બહાર લાવ્યો હતો. આજે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરું છું ! ૫૦-૬૦ વર્ષોમાં કેટકેટલાં પરિવર્તનો આવી ગયાં આ ક્ષેત્રમાં! 



K. Lal 
મનોરંજનનાં આધુનિક માધ્યમો આવી ગયાં છે. વીતેલાં આ વર્ષો દરમિયાન જાદુનું આકર્ષણ બેશક થોડું ઓછું થયું છે. જોકે સાવ એવું નથી. હમણાં અમે સુરતમાં દોઢ મહિનાનો કાર્યક્રમ નક્કી કરીને ગયા હતા. પણ લોકોનો રિસ્પોન્સ એટલો હતો કે સાડા ચાર મહિના સુધી અમારે ત્યાં રોકાવું પડયું. ભુજમાં કાર્યક્રમ ચાલુ હતો ત્યારે `કૌન બનેગા કરોડપતિ'માં એક યુવાનને એક કરોડ રૂપિયાનું ઇનામ મળવાનું હતું. યુનિટમાં સૌને ચિતા હતી કે એ દિવસે આપણા ખેલ દરમિયાન પ્રેક્ષકો આવશે કે કેમ. ખેલ બંધ રાખવાની વિચારણા પણ ચાલુ હતી. પણ મેં કહ્યું,  `શો મસ્ટ ગો ઓન'. અમે શો ચાલુ રાખ્યો. અને ધાર્યા કરતાં અનેક ગણા પ્રેક્ષકો એ દિવસે આવ્યા. જોકે આ માહોલ ક્યાં સુધી ચાલુ રહેશે તેની અમને સૌને ચિતા છે. આ કળામાં સતત નવા-નવા પ્રયોગો કરતાં રહેવાનું હવે અનિવાર્ય બન્યું છે. 

મારો જાપાનીઝ અનુભવ 

 ૬૦-૭૦ વર્ષોની મારી કારકિર્દી દરમિયાન મેં સતત સંશોધનો કર્યાં છે. એટલે જ કદાચ હું આટલી હદે સફળ રહ્યો. વિશ્વના ખૂણે ખૂણે હું શો કરવા પહોંચી શક્યો છું. ફિજી જેવા ટચૂકડા દેશમાં છ મહિના સુધી શો કર્યા છે, મોરિશિયસમાં પાંચ મહિના રોકાયો હતો. આ 60 વર્ષોમાં નવ વર્ષ તો જાપાનમાં રોકાયો છું. છ-છ મહિનાના વિઝા પર અઢાર વખત જાપાન ગયો છું. જાપાન દેશનો સર્વોચ્ચ ગણાતો ખિતાબ `સાકી' પણ મને જાપાન સરકારે આપ્યો છે. આ એવોર્ડ મેળવનાર હું એકમાત્ર `બિનજાપાની' છું. જાપાનમાં મેં લગભગ 3200 શો કર્યા છે. 

જાપાનના મહાન ખગોળશાત્રી મીક્ષ્યો ઇનોવા એક વખત મારો શો જોવા આવ્યા હતા. શો પત્યા પછી તેમણે કહ્યું કે, ``અમને લાખો માઈલ દૂરના ગ્રહોની ગતિની ગતાગમ પડે છે પણ નજર સામે કાર્યક્રમ આપતા કે. લાલની ગતિવિધિની ખબર નથી પડતી.'' બીજા દિવસે જાપાનનાં લગભગ તમામ અખબારોએ ઇનોવાનું આ સ્ટેટમેન્ટ છાપ્યું. 

એ પછી જાપાની પ્રજા મારા પર વધુ ઓળઘોળ બની ગઈ. જાપાનની સરકારે ત્યાંના નાગરિકત્વની મને ઓફર કરી. મેં સવિનય અસ્વીકાર કર્યો. કુદરતે ખૂબ પ્રતિષ્ઠા અને નામના આપી છે. 250 કરતાં વધુ એવોર્ડ મને મળ્યા છે. 

મશહૂર જાદુગર પોલ ડેનિયલે એક વખત મારો શો જોઈને કહેલું કે, ``કે. લાલ જેટલી આઇટમ ત્રણ કલાકના શોમાં રજૂ કરે છે એટલી આઇટમ રજૂ કરતાં મને નવ કલાક લાગે.'' ન્યુ ઝીલેન્ડ અને ફિજીએ પણ તેમની સિટીઝનશિપની મને ઓફર કરી હતી. આટઆટલાં સન્માન મળ્યાં એ પાછળ ખરેખર ખૂબ મહેનત કરી છે. જાદુનો બધો આધાર ઝડપ, લાઇટિગ અને મહેનત પર હોય છે. આજે એક શો દરમિયાન હું 600 ડ્રેસ બદલાવું છું. ધર્મપત્ની પુષ્પાનો ટેકો પણ બહુ મળ્યો છે. મેં જ્યારે જાદુના શો કરવાનું નક્કી કર્યું ત્યારે એ માટેનાં સાધનો ખરીદવા પત્નીએ દાગીના વેચવા પડેલા. ઘણાં વર્ષો એણે મારા સ્ટેજની વ્યવસ્થા અને અન્ય તમામ જવાબદારી સંભાળી છે. 

જિંદગીની ખાટી-મીઠી 

સારા અનુભવો પુષ્કળ થયા છે તેમ ખરાબ અનુભવો પણ ઓછા નથી થયા. 1963માં મુંબઈની પોદાર કોલેજમાં `માટુંગા ગુજરાતી સમાજ' દ્વારા મારો એક શો યોજાયો. બંગાળના જાદુગરો સાથે ઘણાં વર્ષોથી બારમો ચંદ્ર. એક ટોચના બંગાળી જાદુગરે `લેડી કટિગ'ની જોખમી આઇટમમાં મારા જ યુનિટના એક કર્મચારીને પૈસા આપીને મારી ઇલેક્ટ્રિક કરવતનાં નટબોલ્ટ ઢીલાં કરાવી નાખ્યાં. સ્વિચ ચાલુ થતાં જ ઇલેક્ટ્રિક કરવત ઘરઘરાટી સાથે ચાલુ થઈ. હું તો મારા ખેલમાં મશગૂલ હતો પણ પત્ની પુષ્પાની નજર કરવત પર પડી. એનાથી ચીસ પડી ગઈ. પણ શો આગળ વધારવાનું જરૂરી હતું. માંડ માંડ એ ખેલ મેં પૂરો કર્યો. 

હું જરાપણ ગાફેલ રહ્યો હોત તો અમારા યુનિટની એ બંગાળી છોકરીનાં છોતરાં નીકળી જાત. પણ ઈશ્વરની કૃપાથી એવું કશું જ ન થયું. ત્યારે મને લાગ્યું કે જગતનો સૌથી મહાન જાદુગર કોઈ હોય તો એ ઈશ્વર જ છે. બેકસ્ટેજમાં જઈને મેં મારા પેલા કર્મચારી સામે જોયું. એ ભાંગી પડયો. એણે બધું કબૂલી લીધું. કરવતનાં બેરિંગ નીકળી ગયાં હોવાથી મેં બે હાથ બેરિંગની જગ્યાએ રાખ્યા હતા. એ દરમિયાન મારા બન્ને હાથ, હથેળી સખત છોલાઈ ગયાં. એ પછી પેલા મહાન જાદુગરે મને કદી મોં દેખાડયું નથી. એ બનાવથી મને સખત આઘાત લાગ્યો હતો. શરીરમાંથી ચેતન હણાઈ ગયું. કોઈની પ્રગતિ, કોઈની આંખમાં આટલી હદે ખૂંચી શકે! મહિનાઓ સુધી હું હતપ્રભ બની ગયો હતો. 

આવો વિચિત્ર અનુભવ એક વખત બહેરિનમાં પણ મને થયો હતો. હું બહેરિન ગયો ત્યારે ત્યાં કાળા વાવટાથી મારું સ્વાગત થયું. ત્યાંના રાજાના કોઈએ કાન ભંભેર્યા હતા કે કે. લાલ ભારતીય જાસૂસ છે. મેં મારા શોમાં `વોટર ઓફ ઇન્ડિયા'ની આઇટમની શરૂઆત કરી. એ મારી રેગ્યુલર આઇટમ હતી અને છે. પણ બહેરિનના રાજાએ મને ફરમાન કર્યું કે એ પ્રયોગમાં `વોટર ઓફ ઇન્ડિયા'ને બદલે `વોટર ઓફ બહેરિન' બોલવું. મેં તેમને સમજાવ્યું કે, `હું ભારતીય છું એટલે માત્ર દેશપ્રેમને કારણે જ આવું બોલું છે.' બાદશાહ ન માન્યા. એમણે મને કહ્યું કે, `બહેરિનમાં શો કરવા હશે તો વોટર ઓફ બહેરિન બોલવું પડશે.' મને એમની વાત મારા અને ખાસ કરીને ભારતના અપમાન જેવી લાગી. અમારા સ્પોન્સરે મારી પાસેથી સાડા સાત લાખ રૂપિયા પાછા માગી લીધા. સ્ટીમર વાટે માલ પરત મોકલવાના 50 હજાર રૂપિયા પણ મારે ચૂકવવા પડયા. બહેરિનમાં રહેવાનું ભારે થઈ ગયું હતું. અંતે ત્યાંના એક સરદારજી મારી વહારે આવ્યા. રાતોરાત એમણે મને ભારત પાછો મોકલ્યો. બહેરિનના શાસકોની એ હરકતના કારણે મારા એ પછીના દુબઈના અને મસ્કતના શો રદ થયા. ત્યારથી મેં ગાંઠ વાળી છે કે મધ્યપૂર્વના દેશોમાં કદી ન જવું. 

મિડલ ઇસ્ટના અન્ય એક દેશ, કુવૈતમાં તો વળી સાવ વિચિત્ર અનુભવ થયો હતો. ઇસ્લામમાં જાદુને વર્જ્ય ગણવામાં આવ્યો છે. મેં મારી જાહેરાતોમાં લખ્યું હતું કે `જીવતી સ્ત્રીના ટુકડા કરીને તેને ફરી સજીવન થતી જુઓ.' ત્યાં લોકો કહે છે કે માણસને મારવો કે સાજો કરવો એ ખુદાનું કામ છે. કોઈ ઇન્સાન એ કાર્ય કેવી રીતે કરી શકે! કુવૈતના શેખે મારો વિરોધ કર્યો. મેં તેમને તેમના મહેલમાં જઈને સમજાવ્યા કે આ કોઈ કાળો જાદુ નથી, માત્ર હાથચાલાકી છે. માંડ તેમણે મને સાત દિવસની મંજૂરી આપી. પણ કુવૈતના લોકોનો એવો રિસ્પોન્સ મળ્યો કે મેં ત્યાં સાત મહિના સુધી શો કર્યા. પરમિશન પણ મળી. અને કુવૈતનો સર્વોચ્ચ ખિતાબ પણ મને એનાયત થયો! 

જાતજાતના અનુભવો થયા છે. અમેરિકાના જ્હોન હાલ્વર્ટ, રશિયાના સેમન રૂબોનોયે અને ઓસ્ટ્રેલિયાના કેન લેટલથૂડ જેવા સર્વકાલીન જાદુગરોએ મને નવાજ્યો છે. છતાં હું માનું છું કે હજુ હું ઘણુ શીખી શકું છું. જાદુવિદ્યાને લગતાં 10 હજાર કરતાં વધુ પુસ્તકો મારી પાસે છે. એ બધાંનો હું સતત અભ્યાસ કરતો રહું છું. ઇન્દિરા ગાંધીએ એક વખત અમદાવાદમાં મારો શો જોયા પછી `મેજિક ઇન્સ્ટિટયુટ' શરૂ કરવાની ઓફર કરી હતી. એ માટે દસ કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે તૈયારી દર્શાવી. જોકે એ સ્વપ્ન ક્યારેય પૂરું ન થયું. 

આજે પણ દરેક શોનો પ્રારંભ શ્રીફળ વધેરીને, નવકાર મંત્રથી કરું છું. હતાશાના ઘણા તબક્કા આવ્યા છે. ઈશ્વરે એ બધાં જ વિઘ્નો પાર કરાવ્યાં છે. એવો જ સધિયારો હતો સ્વ. જયભિખ્ખુનો. સાહિત્યકાર જયભિખ્ખુ મારા પ્રેરણાગુરુ રહ્યા છે. નિષ્ફળતા અને ચિંતાથી ઘેરાઈ જઉં ત્યારે એમના પત્રો મલમ જેવું કામ કરતા. એમના પત્રો મને મળતા ન હોત તો હું કદી આ સ્તરે પહોંચી ન શક્યો હોત. પુત્ર હસમુખ પણ જુનિયર કે. લાલ તરીકે અત્યારે સાથે જ શો કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ એક પરિમાણ મારા શોમાં ઉમેરાયું છે. પણ હજુ લોકોની જાદુ પ્રત્યેની ઞષ્ટિ બહુ બદલાઈ નથી. કેટલાક લોકો આજે પણ મેજિકને કાળો જાદુ કે સ્મશાની વિદ્યા માને છે. 

અંધશ્રદ્ધા દૂર કરવા એટલે જ હું સતત પ્રયત્નશીલ છું. મેં સત્ય સાંઈબાબાને પણ ચમત્કાર સાબિત કરવા પડકાર ફેંક્યો હતો. આંધ્રમાં મારા કાર્યક્રમ દરમિયાન પત્રકારોની હાજરીમાં મેં તેમનાથી પણ વધુ ભસ્મ કાઢીને બતાવી હતી. ત્યારે કેટલાંક અખબારોએ લખ્યું હતું કે સત્ય સાંઈબાબા છળકપટ કરે છે. આનાથી ઉશ્કેરાઈ, આંધ્રના એક પ્રધાને મારું લાઇસન્સ પણ રદ કર્યું હતું. એ પછી મેં સત્ય સાંઈબાબાને સામસામે બેસવાની ચેલેન્જ કરી. તેઓ તૈયાર થયા અને છેલ્લી ઘડીએ ફરી ગયા. હું તો માનું છું કે જાદુટોણાંનો દાવો કરતા આ બધા બાવા-સાધુ અને ફકીરો અસફળ જાદુગરો જ છે. એનાથી વિશેષ કશું જ નહીં. છેલ્લાં પચાસ વર્ષોમાં ઘણું બદલાયું છે પણ આવાં ધતિગ હજુ અવિરત ચાલુ છે. અંધશ્રદ્ધા હજુ અખંડ છે. 

Saturday, September 22, 2012

સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે! કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે



અમે તો આવું બી લખીએ!! 
કવિતા મારો વિષય નથી પણ વિષયમાં જ બંધાઈ રહેવું એ ફિતરત નથી. 
ક્યારેક બહુ આવેગો અને સંવેદના અનુભવાય અને આવું કંઇક ભીતરથી સરી પડે.
આવી રચનાને શું કહેવાય એ ખ્યાલ નથી, રચના કહેવાય કે નહિ એ પણ રામ જાણે. 
તમને ગમશે કે નહિ એ મને ખ્યાલ નથી, પણ ફીડબેકની પરવા કાર્ય વગર સતત આવું કશુંક ટપકતું રહેવાનું છે એ ખ્યાલ છે. 
કદાચ એ કોઈ બિમારી હશે. નહિ માલુમ. ક્યાંથી આવતું હશે, કોને ખબર. 
શક્ય છે કે, કદાચ એ અનુભવોનો અર્ક હોય,
એવી પણ શક્યતા કે, એ ઠાલો તર્ક હોય.
એ શું છે એ તમે નક્કી કરજો, મને તો એટલો ખ્યાલ છે કે, એ લખ્યાનો મને આનંદ થયો.
તમને વાંચતા કષ્ટ પડે તો માનજો કે, કોઈ બાપડા નવોદિતનો ઉત્સાહ ભાંગી ના જાય એટલે તમે વેઠી લીધું.... 
=========================================



ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું 
આપણાં શ્વાસોનું એકબીજાનામાં ઘોળાઈ જવું એ શિખરીણી છે કે મંદાક્રાન્તા?
મારું અને તારું એકમેકમાં ઓગળી જવું એટલે શું? 
સ્વાગતા કે રથોદ્વતા? 
અને તને જોઉં જ્યારે મઘમઘતી કે તગતગતી ...
ત્યારે એને શેમાં વર્ણવવું?:
રુચિરામાં?, માલિની?, સુવદના?, કે સ્રગ્ધરામાં? 
આ લાગણીઓ ક્યાં કદી બંધારણમાં માને છે 
એને આપણે લાગલગા ગાલગાલ કહીએ તો ક્યાં ચાલે છે!
એ આમતેમ દોડતી રહે છે, ભાગતી, અથડાતી-કુટાતી અને ફરી સર્જાતી 
હું ક્યારેક દુહામાં કહેવા જાઉં અને હાલત હોય ઓથેલો જેવી
ક્યારેક હોથલ જેવા હાલ અને જીભે આવે ઓપેરા 
કોઈ વખત વાત હોય યુગો જેવડી અને લોકો કહે કે, હાઈકુમાં કહો 
ક્યારેક કંઈ જ ના કહેવું હોય અને આગ્રહ થાય કે ખંડકાવ્ય ફરમાવો
ઉર્મીઓ આમતેમ અફળાતી હોય ત્યારે ગઝલ  કેમ કરી લખું?
જાત આખી રિબાતી હોય ત્યાં હઝલ શીદને લખાય?
સોનેટમાં આવી આખી દાસ્તાન કેમ કરી ને મંડાય?
ભીતર હોય કોલાહલ અને ગેય રચના કેમ કરી લખવી?
પ્રગટે માંહે સુરાવલી ત્યારે અગેય કેમ કરી આલેખવી?
સંબંધોનું ક્યાં કોઈ વ્યાકરણ હોય છે!
કોણ એનો કર્તા હોય છે અને ક્યાં કૃદંત હોય છે 
સંધિઓ છુટ્ટી પડે છે ત્યારે અલંકારો સઘળા ઓગળી જાય છે
જીવનમાં એક ઝંઝાવાત ફૂંકાય છે અને તાલ - માત્રાનો છેદ ઉડી જાય છે
દુખડાનો વ્યતિરેક થાય થાય ત્યારે જિંદગી વ્યાજસ્તુતિ કરતી હોય એવું લાગે
આ માયાજાળ સ્વયમ એક શ્લેષ છે 
અને આપણે એને ઉપમા કેમ કરી આપીએ?
આ નિપાત, આ કર્તરિ અને આ વિભક્તિ... 
આયખું આવી કોઈ સંજ્ઞામાં માનતું નથી
તારા અને મારા સંબંધોનું કોઈ બંધારણ નથી
એને અલંકારોની જરૂર નથી અને છંદોબદ્ધ એ થઇ ના શકે
એ હાઈકુમાં સમાતા નથી અને ગઝલમાં સચવાતા નથી
તેની સંધિ છુટ્ટી નથી અને સમાસ બન્યો નથી 
એટલે જ......
 ના! હું છંદોબદ્ધ નહિ લખું 
હું બંધારણમાં પણ નહિ કહું !

-કિન્નર આચાર્ય 

Friday, August 31, 2012

CAG Vinod Rai

ભારતીય બ્યુરોક્રસી અને વિનોદ રાય: 
એક બાબુ ધારે તો શું ન કરી શકે ? 


CAG Vinod Rai

દિગ્વિજય અને મનીષ તિવારી જેવા શઠ લોકોને જેનું નામ સાંભળતાં ચૂંક આવે છે એ વિનોદ રાયએ ભારતના ઓડિટર જનરલની ખુરસી ખરા અર્થમાં શોભાવી છે. કોમનવેલ્થથી લઇ કોલસા કૌભાંડ સુધીના તેમના અહેવાલોએ ચોર-બદમાશ રાજકારણીઓને નાકે દમ કરી દીધો છે. આપણે સૌ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ માટે અન્ના, રામદેવ અને સુબ્રમનીયમ સ્વામીને ભલે યશ આપીએ પરંતુ એ માટેનો સૌથી વધુ યશ વિનોદ રાયને મળવો જોઈએ કારણ કે, અદાલતોમાં સ્વામી વગેરે જેના  આધારે કેઈસ લડે છે તે રીપોર્ટ વિનોદ રાયએ તૈયાર કર્યા છે. ભ્રષ્ટ મનમોહનના ચહેરા પરનો નકાબ હટાવવામાં પણ સૌથી મોટી ભૂમિકા એમની જ રહી છે. પરંતુ સમસ્યા એ છે કે, કોઇ એક ટી.એન. શેષન આવે ત્યારે જ આપણને ઇલેકશન કમિશનનું મહત્વ સમજાય છે. સી.વી.સી.માં કેટલી તાકાત છે તે જાણવા દાયકાઓ સુધી આપણે એન. વિટ્ટલ જેવા અધિકારીની રાહ જોવી પડે છે. એટલે જ તાજેતરમાં સિંગાપોરની એક એજન્સીએ કરેલા સર્વેમાં ભારતીય બ્યુરોક્રસીને એશિયાની સૌથી ભૂંડી બાબુશાહીનો ખિતાબ મળ્યો છે. બ્યુરોક્રસી જો સુધરે તો દરેક ભારતીયના જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકશે...
========================================


દેશ એક સમયે "સોને કી ચિડિયા" કહેવાતો. વાયકા છે કે, અહીં ઘી-દૂધની નદીઓ વહેતી હતી. બેશક, આવી બધી વાતોમાં અતિશયોકિતનું પ્રમાણ પણ ઓછું નથી હોતું. પરંતુ એક વાત સ્પષ્ટ છેઃ બાબુશાહીના સમયમાં પ્રજા વધુ રાંક બની છે, વધુ લાચાર અને વધુ કચડાયેલી બની છે. અગાઉના સમયમાં રાજાશાહી હતી. ગામમાં એક જ રાજા રહેતો. આજે એક ગામમાં બે-ચાર ડઝન અફસરો હોય છે અને એમનો જુલ્મ પેલા રજવાડાં કરતાં અનેકગણો વધુ છે. અગાઉ પ્રજાને માત્ર રાજાનાં નખરાઓનો ખર્ચ ઉઠાવવો પડતો. આજે અફસરોના મોજશોખ અને તેમની દડુકાઇ સહન કરવા પડે છે. કોણ કહે છે કે, ભારતમાં રાજાશાહી ખતમ થઇ ગઇ છે ? રાજાઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. હા ! હવે તેઓ બ્યુરોક્રેટ્સ તરીકે ઓળખાય છે ! તફાવત માત્ર આટલો જ છે. 

ભારતના બંધારણએ બ્યુરોક્રસીને ભરપૂર સત્તાઓ આપી છે, અખૂટ શકિત પ્રદાન કરી છે. પણ સત્તા અને શકિતનો વિવેકપૂર્ણ સદુપયોગ કરવાની નૈતિકતા જગતનું કોઇ જ બંધારણ આપી શકતું નથી. આવા સદગુણો તમારા ડી.એન.એ.ના બંધારણમાં હોવા ઘટે. કમનસીબે આપણે ત્યાં બ્યુરોક્રસીમાં માટીપગાઓ જ ઘુસ્યા છે. તેમની શકિતઓનો અને સત્તાઓનો તેઓ મન મૂકીને દુરૂપયોગ કરે છે. તેમની પાસે એટલો સત્તાઓ છે કે, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા જાળવે તો તેઓ આ દેશની અનેક સમસ્યાઓનો ઉકેલ આણી શકે. દરેક કૌભાંડો અને ગોટાળાઓ વખતે આપણે રાજકારણીઓને પેટ ભરીને ગાળો ભાંડીએ છીએ. બેશક તેઓ તેને લાયક છે જ. પરંતુ આપણે ભૂલી જઇએ છીએ કે, આવા તમામ કૌભાંડો વગેરેની ફાઇલ બ્યુરોક્રસીને મીઠી નજર તળે જ પસાર થઇ હોય છે.

બ્યુરોક્રસીનો વિચાર બહુ ઉમદા છે. સામાન્ય નાગરિકથી માંડી ઉદ્યોગપતિ સુધીના લોકોને રોજબરોજની સમસ્યાઓમાંથી છૂટકારો મળે, લોકોનું જીવન વધુ સુગમ બને તેવા પગલા લેવાય અને રાજ્યનો વહીવટ સ્મુધલી ચાલ્યા કરે. બને છે તદ્દન ઉલ્ટું. બ્યુરોક્રસી આપણે ત્યાં જેટલી સમસ્યાઓ ઉકેલતી નથી તેનાં કરતાં વધુ સમસ્યાઓનું સર્જન કરે છે. રખડતા ઢોરથી લઇ અપૂરતા પાણી સુધીની અને બેહાલ રસ્તાઓથી શરૂ કરી ગેરકાયદે બાંધકામો લગીની અગણિત સમસ્યાઓના સર્જનમાં બ્યુરોક્રસી સીધી કે આડકતરી રીતે બહુ મોટો ભાગ ભજવે છે. આ દેશનો સામાન્યજન બદમાશ, ભ્રષ્ટ અને લુચ્ચો તથા સ્વાર્થી છે. બ્યુરોક્રસીમાં બેઠેલા સફેદ હાથીઓ પણ આ જ સમાજનું અંગ છે. એમની ભૂખ અપાર છે, ડાયેટ અને એપેટાઇટ બહુ રાક્ષસી કહી શકાય એવા છે. એમની બિનકાર્યક્ષમતાનો કોઇ પાર નથી, જેઓ કાર્યક્ષમ છે. તેમણે પોતાની શકિતઓ ગેરમાર્ગે વાળવામાં કોઇ કસર છોડી નથી. આ આધુનિક રજવાડાઓ ફાટીને ધૂમાડે ગયા છે, તેઓ ઘણી વખત રાજકારણીઓને પણ ગાંઠતા નથી અને કાનૂનની તેઓ સતત અવગણના કરે છે. એમને પદભ્રષ્ટ કરવાનું કે ઘેર બેસાડવાનું કાર્ય સહેલું નથી. કાચબા જેવી ધીમી ન્યાયપ્રણાલી ધરાવતા આ દેશમાં ભ્રષ્ટતમ્ બ્યૂરોક્રેટને ભ્રષ્ટ સાબિત કરવા એ ચંપલ પહેરીને એવરેસ્ટનું આરોહણ કરવા જેવું ઓલમોસ્ટ અસંભવ કાર્ય ગણાય. 

CAG Vinod Rai : ડોગ્વીજયને પોતાના અહેવાલોથી બહુ સારી પેઠે નચાવી જાણે છે  વિનોદ રાય


ભારતના નઠારા રાજકારણીઓની માફક આ નઘરોળ બ્યુરોક્રસી પણ એક રાષ્ટ્રીય સમસ્યા છે. આપણે તો વર્ષોથી આ વાત જાણતા હતા. હવે દુનિયા સાવ ખોબા જેવડી બની ગઇ છે ત્યારે જગત આખું આ વાત સ્વીકારે છે. સિંગાપોરની વિખ્યાત રિસર્ચ એજન્સી, `પોલિટિકલ એન્ડ ઇકોનોમિક રિસ્ક કન્સલ્ટન્સી લિમિટેડ'એ હમણાં એશિયામાં કરેલાં એક વિગતવાર સર્વેના તારણો બહાર પાડયા. આ અહેવાલમાં તેમણે ભારતીય બ્યુરોક્રસીને સૌથી વાહિયાત, નાલાયક અને બિનકાર્યક્ષમ ગણાવી છે. બ્યુરોક્રસીના અપલખ્ખણો માટે સ્કોરનાં દસ પોઇન્ટસ રખાયા હતા જેમાંથી 9.21 પોઇન્ટસ સાથે ભારતીય બ્યુરોક્રેટ્સએ પુરવાર કર્યુ છે કે, તેઓ દરેક પ્રકારની બદમાશીમાં શુરા છે. અહેવાલની ગંભીરતાનો ખ્યાલ એ વાત પરથી આવે કે, વિયેટનામ, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ અને ચીનની બ્યુરોક્રેસીને પણ તેમાં ભારતીય બાબુશાહી કરતા બહેતર ગણાવાઇ છે. સ્વાભાવિક રીતે જ હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા દેશોની બ્યુરોક્રેસી સૌથી કાર્યક્ષમ સાબિત થઇ છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની કાર્યક્ષમ બ્યુરોક્રસી મોટા બિઝનેસને તથા ઉદ્યોગોને રાત દિવસ કનડે છે. મંજૂરીઓ આપવાથી લઇને ફાઇલ પાસ કરવા સુધીની અનેક બાબતોમાં તેઓ અન્ડર ધ ટેબલ વહિવટ કરે છે અને ઉદ્યોગકારો કે બિઝનેસમેન જો આવું સમાધાન કરવા તૈયાર ન થાય તો એમના માર્ગમાં બાબુઓ અનેક રોડા નાંખે છે. જેઓ બ્યુરોક્રસીની શરણે જાય છે, એમને સરકારની અનેક પ્રકારની મદદ મળે છે.

અહેવાલ ચોîકાવનારો છે. આજ સુધી ભારતનો સામાન્ય માણસ જે અનુભવ કરતો હતો તેને જ તેમાં વાચા મળી છે. જરા વિચારવા જેવું છેઃ નાણાંના કોથળા લઇને બેસેલા ઉદ્યોગકારો અને બિઝનેસમેનની જો આવી હાલત હોય તો સામાન્ય જનતાની સ્થિતિ કેવી હશે ? બાબુઓ સુધી સામાન્ય જન પહોંચી જ શકતો નથી અને કદાચ 
 પહોંચી  ગયો તો એને જે જવાબ મળે છે તેના કારણે લોકશાહીમાંથી તેનો વિશ્વાસ દરરોજ ડગમગતો રહે છે. ભારતીય બ્યુરોક્રસી સામાન્ય જન માટે બહેરી છે. ધનવાનો તેમની ઓફિસમાં પ્રવેશ કરે કે તરત તેમના કાન સરવા થઇ જાય છે. ટેક્ષના અટપટા માળખાઓ અને પર્યાવરણથી લઇને પી.એફ. સુધીના વિચિત્ર કાયદાઓ આ નઘરોળ બ્યુરોક્રોસીનું સૌથી મોટું હથિયાર છે. બિઝનેસ અને ધંધામાં તમે કશી જ ભૂલ ન કરી હોય છતાં તમને ગુન્હેગાર સાબિત કરવાનું તેમના માટે બિલ્કુલ કઠિન નથી. એક્સાઇઝનો દરોડો આવે તો તમારા હજારો બોક્ષના સ્ટોકમાંથી એક બોક્ષ પણ જો ઓછું નીકળે કે વધુ મળે તો તમે પાપ કર્યુ છે. અહીં બિઝનેસ કરવો એ સહેલું કામ નથી. ખરા અર્થમાં કહીએ તો આ દેશમાં બાબુશાહીના રાજમાં શ્વાસ લેવો તે પણ એક સિદ્ધિ જ ગણાય. જગતનું જોઇને જો તમને દાઝતું હોય કે અભાવ અને અસુવિધાઓ ખુંચતી હોય અને જો તમે બ્યુરોક્રસીનો મતલબ જાણતા હોય, તેની રચના પાછળનો ઉમદા ઉદ્દેશ્ય જાણતા હોવ તો સ્થિતિ એવી છે કે, તમે ડિપ્રેશનમાં આવી જશો. દરેક ભારતીય લાચાર છે, એ હતાશ છે. જે સમજુ છે તેમના ડિપ્રેશનનું પ્રમાણ ઉંચુ છે. આ સ્થિતિ કોઇના માટે સ્વીકાર્ય ન હોવી જોઇએ, પણ દરરોજ માાલાને મારીને હસતા મોîએ અહીં જિંદગીનો ભાર સહેવો પડે છે. આપણું જીવન દુષ્કર બનાવતા અનેક નિર્ણયો બ્યુરોક્રેટ્સ નિત્ય લેતા રહે છે. પરંતુ આ અહેવાલ કહે છે કે, ઇરાદાપૂર્વક લેવાયેલા ખોટા નિર્ણયો માટે પણ બ્યુરોક્રેટ્સને જ્વલ્લે જ જવાબદાર ઠેરવાય છે. એમને ચેલેન્જ કરવાનું અસંભવ છે. કારણ કે, તેમની પાસે પ્રચંડ શકિત છે, પરંતુ અફસોસ એ છે કે, એ શકિતના ઉપયોગની પ્રામાણિક પ્રતિબદ્ધતા નથી. અહેવાલમાં એટલે જ કહેવાયું છે કે, ભારતની સામાન્ય પ્રજામાં પણ બાબુઓ માટે નકારાત્મક વિચારો જ ફેલાયેલા છે. વાત મુદ્દાની છે. એક બાબુ ઇચ્છે તો અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. પરંતુ તેમને પોતાના જીવનમાં પરિવર્તન આણવા સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં ખાસ રસ નથી. ભૂતકાળ તાજો જ છે. અને વર્તમાન નજર સામે છે. કોલસા બ્લોક કૌભાંડમાં કહેવાતા ઈમાનદાર વડાપ્રધાન મનમોહનને ધોળા દિવસે આકાશદર્શન થઇ ગયું છે. એમની રહીસહી આબરૂનું પણ સંપૂર્ણ ધોવાણ થઇ ચુક્યું છે. એક બ્યુરોક્રેટ ધારે તો શું-શું કરી શકે, તેનો અનુભવ કરવા જરા ગયા વર્ષના કૌભાંડો તરફ નજર દોડાવવા જેવું છે. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ (કેગ) વિનોદ રાયએ તૈયાર કરેલા અહેવાલો પરથી ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડથી લઇને કે.જી. બેસીન તથા કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડો ઉઘાડા પડયા છે. આ વિનોદ રાય પણ પંચતત્ત્વમાંથી બનેલા એક કાળા માથાના માનવી છે. તફાવત એટલો જ છે કે, મોટાભાગના બ્યુરોક્રેટ્સની માફક તેઓ માટીપગા નથી. 62 વર્ષની ઉંમરના વિનોદ રાય કોલેજકાળથી જ પર્વતારોહણ અને ટેનિસ જેવી રમતોમાં ઉંડો રસ લેતા આવ્યા છે. આજે તેઓ ભારતની ભ્રષ્ટ રાજનીતિના શિખર હચમચાવી રહ્યા છે. દિગ્વિજય જેવાના પેટમાં ચૂંક ના ઉપદે તો જ નવાઈ ગણાય. એમના તિક્ષ્ણ અહેવાલોમાં રોજર ફેડરરના કે પિટ સામ્પ્રાસના એઈસ  કરતાં વધુ પાવર છે. ટુ-જીના અંદાજીત નુકસાનના તેમણે આપેલા આંકડાને ઓછો કરવા માટે અથવા તો ઓછો દર્શાવવા માટે વર્તમાન કેદ્ર સરકારના તાકાતવર નેતાઓએ અનેક ધમપછાડા કર્યા. કેબિનેટના ટોચના મંત્રીઓ સમક્ષ તેમને એક કરતાં વધુ વખત બોલાવવામાં આવ્યા, તેમનો ઉધડો લેવાનો પ્રયાસ થયો, પરંતુ વિનોદ રાય ટસના મસ ન થયા. તેઓ ઝુકવા તૈયાર નથી. એટલે ફોર્બ્સ ઇન્ડિયા જેવા ખ્યાતનામ મેગેઝિને પણ તેમને પર્સન ઓફ ધ યરના ખિતાબથી નવાજ્યા છે. ભારતના ટોચના એકસો રાજકારણીઓ તથા બ્યુરોક્રેટ્સમાં થયેલા એક ખાનગી સર્વેમાં તેમને દેશના સૌથી શકિતશાળી બ્યુરોક્રેટ ગણાવવામાં આવ્યા છે. યાદ રાખવા જેવું છે કે, વિનોદ રાયને આ બહુમાન મેળવવામાં તેમની સમર્પણ ભાવના તથા પ્રતિબદ્ધતા જ કામે લાગ્યા છે. રાજકારણીઓ સાથે સહશયન કરી ધાર્યા પોસ્ટિંગ મેળવતા કોઇ પિઠ્ઠુ જેવા બ્યુરોક્રેટને આ ખિતાબ મળ્યો નથી. 

CAG Vinod Rai: વિનોદ રાયના ચાર શિકાર: કહેવાતા અનેક ઈમાનદારોનો અસલી
અને ભ્રષ્ટ ચહેરો તેઓ આપણી સમક્ષ લાવ્યા છે!


કહેવાય છે કે, ટુ-જી સ્પેકટ્રમનો અને કોમનવેલ્થ ગેમ્સનો અહેવાલ માઇલ્ડ કરવા માટે તેમના પર પ્રચંડ રાજકીય દબાણ હતું. પરંતુ બ્યુરોક્રસીમાં વર્ષો ગાળ્યા પછી આવી બધી બાબતોમાં તેઓ સીઝન્ડ થઇ ગયા છે. કોઇપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર તેમને અધિકારીઓને માત્ર એટલી સૂચના આપી કે, અહેવાલ તૈયાર કરતી વખતે તેમણે વધુ પડતા કડક શબ્દોથી અને આકરી ટીકાઓથી બચવું. કારણ બહુ સ્પષ્ટ છેઃ એમના અહેવાલનો મદાર તેમાંની વિગતો પર હતો. એ વિગતો જ એટલી આકરી હતી કે, કડવા વેણની આવશ્યકતા ઉભી ન થાય. વિનોદ રાયએ ધગધગતા અહેવાલો તૈયાર કર્યા અને આ કૌભાંડોની અવગણના કરવા બાબતે તેમણે વડાપ્રધાનને અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પણ બરાબર સાણસામાં લીધા. બધાને સમજાયું કે, એક માથાફરેલ અધિકારી જો ધારે તો શું-શું કરી શકે છે. સમસ્યા એ છે કે, સરકારની મોટાભાગની જગ્યાઓ અથવા તો પોસ્ટ્સનો પાવર અગાધ છે. પરંતુ તેના પર બેઠેલો અલ્લેલટપુ જેવો અધિકારી જે-તે જગ્યાનું હીર હણી લે છે. તેઓ એ જગ્યાને કોડીની બનાવીને રાખી દે છે. 

એકાદ ટીએન શેષન આવે ત્યારે આપણને સમજાય છે કે, ઇલેકશન કમિશ્નરનો દબદબો કેવો હોય છે. કોઇ એક એન. વિટ્ટલ આવે ત્યારે જ આપણને માલૂમ થાય છે કે, ચીફ વિજીલન્સ કમિશ્નર જો ઇચ્છે તો કેટલું પરિવર્તન આણી શકે. ખેરનાર જેવો એક અધિકારી આવે ત્યારે સમજાય છે કે, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર પણ કેટ-કેટલા લોકપયોગી કાર્યો કરી શકે છે. વિનોદ રાયએ આપણને કેગની હોટ સીટનું મહત્વ સમજાવ્યું છે. આજે તેઓ આવા સ્ફોટક અહેવાલો તૈયાર કરવા ઉપરાંત પણ અનેક પાયાના સુધારાઓ કરવા માટે મથી રહ્યા છે. તકલીફ એ છે કે, કેગની સત્તાઓ માત્ર કેદ્રના વિભાગો સુધી મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, જો ગ્રામ્ય વિકાસ મંત્રાલયએ અમૂક નાણાં વિકાસ માટે પંચાયતોને ફાળવ્યા હોય તો એ નાણાંનો ક્યાં ઉપયોગ થયો તેની માહિતી પંચાયત પાસેથી માંગવાની કેગ પાસે સત્તા નથી. રાય ઇચ્છે છે કે, આવી સત્તાઓ સીએજીને મળવી જોઇએ, નહીંતર ભ્રષ્ટાચારનું મુળ ક્યાં સુધી પહોîચ્યું છે એ જાણવાનો કોઇ રસ્તો જ નથી વધતો. બીજી એક મહત્વની સમસ્યા એ છે કે, કેગ જ્યારે કોઇ સરકારી વિભાગ પાસેથી ખર્ચની વિગતો માંગે ત્યારે તે પુરી પાડવા માટેની કોઇ જ નિયત સમયમર્યાદા નથી. વિનોદ રાયએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ``જો આ દેશનો સામાન્ય માણસ પણ માહિતી અધિકારના કાયદા હેઠળ પોતે માંગેલી માહિતી ત્રીસ દિવસમાં મેળવી શકતો હોય, તો કેગને આવી જ માહિતી શા માટે ત્રીસ દિવસમાં ન મળે ?'' મુદ્દો અગત્યનો છે. અને વિનોદ રાય આવા દઝાડતા મુદ્દાઓને ખુલ્લી હથેળીએ ઝાલવા માટે જાણીતા છે. વડાપ્રધાન મનમોહન સિંહએ એમની પાસેથી એક પ્રેઝન્ટેશન માંગ્યું હતું, જેમાં સંરક્ષણ સોદાઓમાં પારદર્શકતા લાવવા માટે સૂચનો હતાં. રાયએ સૂચન કર્યુ છે કે, ડિફેન્સની ડિલ માટે ફાળવાયેલા બજેટનો ત્રીસ મહિનામાં ઉપયોગ થવો જોઇએ. સામાન્ય રીતે તોતીંગ રકમના કારણે સંરક્ષણના સોદાઓ હંમેશા વિવાદમાં રહેતા હોય છે. આવા વિવાદો ટાળવા તથા પ્રક્રિયાને વધુ શુદ્ધ કરવા તેમણે કેટલાંક ક્રાંતિકારી સૂચનો કર્યા છે. વડાપ્રધાન ઓફિસને આટલું દઝાડયા પછી કલમાડી તથા રાજા જેવાને જેલભેગા કર્યા બાદ પણ વડાપ્રધાનએ એ જ વિનોદ રાયની મદદ લેવી પડે છે, એ વાત તેમની કાર્યક્ષમતાની સાબિતી આપે છે. 

સામાન્ય નાગરિક ઉપરાંત બ્યુરોક્રેટ્સએ પણ આખી બાબતમાંથી શિખવા જેવું એ છે કે, માત્ર નેતાઓની ભાટાઇ કરવાથી કે પોતાના વહિવટના કામોમાં ગળાડુબ રહેવાથી ટોચના પદ સુધી પહોંચાતું નથી, પરંતુ તેના માટે કડકાઇની, પ્રતિબદ્ધતાની અને નિષ્ઠાની આવશ્યકતા છે. બ્યુરોક્રેટ્સને આઝાદીના સાંઠ વર્ષે આ વાત સમજાશે તો ભવિષ્યમાં જ્યારે સિંગાપોરની કે વિદેશની કોઇ એજન્સી આવો સર્વે કરશે ત્યારે આપણી બ્યુરોક્રેસી નાલાયકીમાં એ અહેવાલમાં પ્રથમ સ્થાને નહીં હોય.

*  "અકિલા"માં પ્રકાશિત