શું ખોડિયાર માતા લેઉવા પટેલના કુળદેવી છે ??
![]() |
| Narendra Modi, Naresh Patel & Keshubhai Patel |
ગુજરાતના મતદાન પહેલા રાબેતા મુજબ જ વાતાવરણ થોડું બોઝીલ હતું. ‘શું થશે?’ ‘લેઉઆ ફેક્ટરનું શું લાગે છે?’ સૌની જીભ પર આ જ સવાલ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. લાગતું હતું જાણે આપણે બિહારમાં કે ઉત્તર પ્રદેશના કોઇ પછાત વિસ્તારમાં રહેતા હોઇએ. શું જ્ઞાતિ એ ક્યારેય કોઇ ઇલેકશનનો એકમાત્ર મુદો હોઇ શકે? જો તમે કેશુભાઇ પટેલને આ સવાલ પૂછો (અલબત્ત, ખાનગીમાં!) તો તેઓ ‘હા’ કહેશે! એમના મતે જ્ઞાતિ એક મહાનતમ્ પરિબળ છે અને લેઉઆ પટેલોને હલેસા બનાવી તેઓ ચૂંટણીસમંદર પાર કરવા નીકળ્યા હતા. ગુજરાતના મતદારોએ તેમને આપેલો સંદેશો સ્પષ્ટ છેઃ “ગુજરાતમાં સત્તરમી સદીની આવી માનસિકતા ચાલશે નહિ, કારણ કે, ગુજરાત કોઇ એક જ્ઞાતિની જાગીર નથી.’’
દિવાલ પર લખેલું તમે વાંચી ના શકો તો દોષ તમારો જ ગણાય. ‘અન્યાય’, ‘ભયભીત સમાજ’ અને ‘ખોડલધામ’ જેવાં શબ્દો જ્યારે કેશુભાઇ પટેલ બોલતા હતા ત્યારે ઇત્તર વર્ગ રીતસર હચમચી ઉઠ્યો હતો. તેમનો ગુસ્સો સત્તરમા આસમાને હતો. ઇવીએમ ખુલ્યા ત્યારે તેમાંથી એ ધૂમાડો નીકળતો હોય એવો અનૂભવ ‘બાપા’ને થયો હશે.
શું પ્રજા મુર્ખ છે? જો તમે કેશુભાઇને આ સવાલ (અલબત્ત, ખાનગીમાં) ઇલેકશન પહેલા પૂછ્યો હોત તો તેમણે અચૂકપણે ‘હા’ કહી હોત, પણ હવે પૂછશો તો જવાબ અલગ હશે. જ્યારે તમને કોઇ વ્યક્તિ મૂર્ખ સમજતી હોય અને તમે એ હોવ નહિ ત્યારે તમે ક્યો ડાયલોગ બોલો છો? મુંબૈયા ભાષામાં કહે છેઃ ‘અમને આપ કો જ્યાદા શાના સમજતે હો!?’ અમદાવાદમાં કહે છેઃ ‘અમે કંઇ ડુંગરપુરના નથી હોં!’ અથવા ‘અમે શું કડી-કલોલથી આવીએ છીએ?’ કઠિયાવાડમાં કહે છેઃ ‘ભાઇ, અમને કાગદડીના સમજો છો!’ ‘શું અમારા માથે ચોટલી છે?’ સવાલ એ છે કે, શું કેશુભાઇને બધા લોકો ચોટલીવાળા લાગતા હતા?
ક્યો અન્યાય? ક્યાંનો અન્યાય? લેઉઆને અન્યાય થયો હોય તો એની વિગતો શા માટે આપી નહિ તેમણે? અને ભયભીત થવું એટલે શું? ગુજરાતમાં સમાજ ભયભીત છે, એવું તેમણે શરૂઆતમાં કહ્યું ત્યારે ‘સમાજ’ની તેમની વ્યાખ્યા હતીઃ લેઉઆ પટેલ સમાજ. તકલીફ એ છે કે, બાપાની દૃષ્ટિ ખોડલધામથી શરૂ થાય છે અને નરેશ પટેલ પર ખતમ થઇ જાય છે.
વાસ્તવમાં ગુજરાતમાં લેઉઆ પટેલોને કોઇ જ અન્યાય થયો ન હતો. અત્યારે પણ નથી થતો. અને ભવિષ્યમાં પણ નથી થવાનો. લેઉઆ પટેલ એક શક્તિશાળી અને મહેનતુ પ્રજા છે. તેમને કોઇ અન્યાય કરી શકે નહીં. ગુજરાતનાં સદ્નસીબે અને કેશુભાઇના કમનસીબે લેઉઆ પટેલો ગાડરીયા પ્રવાહમાં તણાતા નથી. કોંગ્રેસે જે રીતે મુસ્લિમોનો દુરૂપયોગ કર્યો છે તે રીતે કેશુભાઇ કે નરેશ પટેલ લેઉઆ પટેલોને વાપરીને ફેંકી દે એવા તેઓ (લેઉઆ પટેલ) ભોળા નથી. સમાજ ભયભીત પણ નથી અને તેમને અન્યાય પણ થતો નથી એ વાત અડધોઅડધ લેઉઆ પટેલો સ્વીકારે છે. હા! કેશુભાઇને સત્તાભ્રષ્ટ કર્યા એ તેમને થયેલો અન્યાય ગણાય, જ્ઞાતિને થયેલો નહીં. ઇનફેક્ટ, કેશુભાઇ સાથે પણ ન્યાય જ થયો છે. એવું કાળક્રમે સાબિત થઇ ચૂક્યું છે. કારણ કે, જ્ઞતિ તેમના અગ્રતા ક્રમમાં સૌથી ઉપર હોવાનો આક્ષેપ એમના કાર્યકાળ દરમિયાન થયો જ હતો. આજે એ સાબિત થયું કે, તેઓ જ્ઞાતિના ગાડામાં સવાર થઇને સત્તા ચલાવતા હતાં. પટેલવાદને તેમણે ભયાનક હદે પોષયો હતો એ પણ હવે પૂરવાર કરવાની કોઇ આવશ્યકતા રહેતી નથી.
થોડી વાતો સ્પષ્ટ કરવી જરૂરી છેઃ નરેશ પટેલ અને કેશુભાઇ ખુલ્લેઆમ રાજકીય અખાડામાં ઝંપલાવીને પક્ષના નામે સંમેલનો બોલાવતા હોય તો તેની સામે કોઇને પણ વાંધો ન હોઇ શકે. પરિવર્તન પાર્ટીના બેનર હેઠળ લેઉઆ પાટીદારોનું અધિવેશન થાય તો પણ કોઇ વ્યક્તિએ વાંધો ન ઉઠાવવો જોઇએ. કારણ કે, ચૂંટણી ટાણે વિવિધ પક્ષો અલગ-અલગ જ્ઞાતિઓ પાસે પોતાની વાત કહેવા પહોંચતા જ હોય છે. સમસ્યા એક જ છેઃ માતાજીના નામે ર1 લાખ લોકો ભેગા કરો અને પછી સ્ટેજ પરથી ‘બાપાજી’ના ભજનો લલકારો તો એ પાપ છે. ખોડલધામની સ્થાપના થઇ ત્યારે જ એવું કહેવાયુ હતું કે, એ કોઇ રાજકીય મંચ નથી. પણ આગળ જતા તેના સ્થાપકોની ભાષા રાજકીય થવા લાગી. બાપાના ગુણગાન ગવાયા અને ખોડિયાર માતાજી ભૂલાયા. માતાજીના નામે લાખો લોકોને ભેગા કરવા અને પછી તેમને શાહી ઇમામની શૈલીમાં ફતવા સંભળાવવા એ શું એક પ્રકારનું છળ ન ગણાય?
બિલકુલ ગણાય. સવાલ એ છે કે, જો પરિવર્તન પાર્ટીના નામે આવું સંમેલન બોલાવાયું હોય તો શું ર1 લાખ લોકોની મેદની ભેગી થઇ શકે. કદાચ ર1 હજારના પણ સાંસા પડી જાય. ચૂંટણી પ્રચાર દરમિયાન કેશુભાઇએ કરેલી અમૂક સભાઓમાં તો બે હજાર માણસો પણ ભેગા થઇ શક્યા ન હતાં. સત્ય એ છે કે, જ્ઞાતિના નામે કોઇને વ઼્હીપ આપવા એ જ ચૂંટણીના મૂળભૂત ઉદેશ્યનું અને ચૂંટણી પાછળની ભાવનાનું હનન છે. 18 વર્ષથી ઉપરની ઉંમરનો દરેક મતદાતા પોતાની સ્વતંત્ર બુદ્ધિથી મત આપવા સક્ષમ છે. રાજકીય પક્ષો મતદાતા સમક્ષ અપીલ કરી શકે, પોતાના મુદાઓ રજૂ કરી શકે પરંતુ કોઇ ધાર્મિક જગ્યાનો હોદેદાર જ્ઞાતિજનોને ફતવાઓ ન આપી શકે. આવા ફતવા કોઇ આપતું હોય તો એ માત્ર ચૂંટણીઓનું કે લોકશાહીનું અપમાન નથી પરંતુ જે-તે જ્ઞાતિનું પણ ભયંકર અપમાન છે. નરેશ પટેલ અને કેશુભાઇ પટેલએ લેઉઆ પટેલોનું અપમાન કર્યુ છે-એમને ફતવાઓ સંભળાવીને. એમણે માં ખોડિયારનું પણ અપમાન કર્યુ ગણાય. કારણ કે, તેમની આડશમાં આ હોદેદારોએ પોતાનો રાજકીય એજન્ડા પ્રમોટ કર્યો છે. એમની પોતાની કોઇ સ્વતંત્ર હસ્તી નથી, આગવું અસ્તિત્વ નથી એટલે ધર્મસ્થાનોના નામે પોતાના લક્ષ્ય પાર પાડવાના પ્રયત્નો કર્યા છે. દુઃખની વાત એ છે કે, ખુદ લેઉઆ પટેલ સમાજએ આ ઘટનાના આડકતરા પરિણામો સહન કરવા પડે છે.
ચૂંટણી પહેલા અને મતદાન સમયે આખા સૌરાષ્ટ્રમાં જબરો જ્ઞાતિવાદી માહોલ રચાયો હતો. કેશુભાઇ અને નરેશ પટેલના જ્ઞાતિવાદી બયાનોના કારણે ઇત્તર જ્ઞાતિમાં પણ ભયંકર રોષ ફેલાયો હતો. ક્યારેક તેઓ જ્ઞાતિના નામે વધુ બેઠકો માંગતા હતા તો ક્યારેક પોતાની જ્ઞાતિને ચોક્કસ સંદેશાઓ આપતા હતાં. શરૂઆતમાં કેશુભાઇની તરફેણમાં દબાતા સૂરે બધુ કહેવામાં આવ્યું. પણ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હતાં ત્યારે નરેશ પટેલએ લેઉઆ પટેલોને એક સંમેલનમાં કહ્યું કે, ‘84 વર્ષની ઉંમરે બાપાએ હવે લેઉઆ સમાજને ટકોર કરવી ન પડે તેનું ધ્યાન રાખજો!’ બન્યું એવું કે, આ બધા જ્ઞાતિવાદી નિવેદનોથી ગિન્નાયેલા ઇત્તર વર્ગએ મોદીની તરફેણમાં મતો ઠાલવવાનું નક્કી કરી લીધું. જેને પૂછો તે એમ જ કહેતા હતાં કે, આ જ્ઞાતિવાદીઓને સીધાદોર કરી નાંખો. સમાજમાં સ્વયંભૂ જાણે એક પ્રકારનો જૂવાળ ઉભો થયો. ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનવાન વર્ગના વિસ્તારોમાં જ્યાં હંમેશા મતદાન નીચુ રહેતું હોય છે ત્યાં લોકોએ ઘરમાંથી નીકળી ભાજપની તરફેણમાં મત નાંખ્યા. પાણી અને લેન્ડ ક્રાઇમની સમસ્યાઓ ભૂલીને પણ ઇત્તર વર્ગએ મોદીને ભરપૂર મત આપ્યા. સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં ભાજપતરફી થયેલું ઉંચુ મતદાન એ વાસ્તવમાં કેશુભાઇ એન્ડ પાર્ટીના જ્ઞાતિવાદી રાજકારણને ઇત્તર વર્ગ દ્વારા અપાયેલો સણસણતો જવાબ છે. ઇત્તર વર્ગનું આ મોબિલાઇઝેશન એક અદ્ભૂત ઘટના છે. જ્ઞાતિવાદી રાજકારણીઓ માટે એ એક સંદેશ છે કે, ગુજરાત એ કોઇ એક જ્ઞાતિની મિલ્કત નથી. અહીં કોઇ એ જ્ઞાતિના કેટલાંક માથાફરેલ લોકો બાકીના વર્ગને બાનમાં લઇ શકે એ દિવસો હવે ગયા. આ મોબિલાઇઝેશન થવાનું છે એ દિવાલ પર લખાયેલું સત્ય હતું. કેટલાંક લોકો નરી આંખે પણ એ નિરખી ન શક્યા એ તેમના નસીબ.
![]() |
| મનસુખ સુવાગિયા Mansukh Suvagiya |
જો કે સવાલ એ પણ છે કે, લેઉવા પટેલોના નામે, એમના જોખમે, એમના ખભા પર બંદુક રાખી ફોડનારા લોકોને લેઉવા સમાજ કે ઈત્તર સમાજ શું માફ કરી દેશે? ના. આવા તત્વો સામે ખુદ લેઉવાઓમાં પણ ગુસ્સો છે, અનેક સમજુ લોકો આવા તત્વોની પ્રવૃત્તિથી દુર ભાગી રહ્યા છે. સૌરાષ્ટ્રના જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા એવા મનસુખ સુવાગીયાએ તો ખોડલધામ અને તેના સ્થાપકો વિષે એક હજાર કરતા વધુ લેઉવા અગ્રણીઓને પત્રો લખ્યા છે - આ પત્ર મુજબ તો ખોડિયાર એ લેઉવા પટેલના કુળદેવી જ નથી! અહીં આ પત્રની સ્કેન્ડ ઈમેજ મૂકી છે - આખું લખાણ વાંચવા જેવું છે


.jpg)














