Tuesday, August 14, 2012

મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!

 (મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

૧૫ ઓગસ્ટ વિશેષ :
ગયા વર્ષે 15 ઓગસ્ટે ધ્વજવંદન સમયે લાલ કિલ્લા પરથી જગતની સૌથી મોટી લોકશાહીની સૌથી લાચાર વ્યક્તિએ કહ્યું કે, તેમની પાસે ભ્રષ્ટાચાર ડામવાની કોઈ જાદુઈ છડી નથી. કોઈ જાદુમંતર કરીને તેઓ સ્પેક્ટ્રમમાંથી બે લાખ કરોડ અદૃશ્ય કરી શકે છે, આવા જ જાદુ ટોના કરીને કોમનવેલ્થ ગેમ્સનું બજેટ 1700 કરોડમાંથી ૮૫ હજાર કરોડ સુધી પહોંચાડી શકે છે. કોઈ અદ્ભુત મંત્રનું ઉચ્ચારણ કરીને તેઓ હસન અલી જેવા દેશદ્રોહી ટેક્સચોરને ન્યાયતંત્રની જાળમાંથી આઝાદ રાખી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત આવે ત્યારે છડીના અભાવના કર્કશ મરશિયા જોર-જોરથી ગાવા માંડે છે. દેશવાસીઓ પૂછે છે કે, જો જાદુની છડીની જરૂર હોય તો કે. લાલ કે પી. સી. સરકારને બોલાવો અને પ્રતિબદ્ધતાની જરૂર હોય તો તમે એ દર્શાવો. જો તમે લાચાર છો તો ગાદી પરથી આ ક્ષણે ઊતરી જાઓ અને ઘેર જઈ બે ટંક રોટલા ખાઈ પ્રભુનું સ્મરણ કરો. જો તમે અશક્ત છો તો નિવૃત્તિ લઈ લો, જો તમારામાં તાકાત નથી તો બીજાને તક આપો. જો તમારું આત્મગૌરવ હણાઈ ગયું છે તો વિકલ્પ શોધો. જો તમે અસમર્થ છો તો રસ્તો કાઢો. જો તમે ગુલામ છો તો આઝાદ થાઓ. જો તમે ચિઠ્ઠીના ચાકર છો તો એ વાત પણ યાદ રાખો કે તમે સૌપ્રથમ એક પબ્લિક સર્વન્ટ છો. જ્યારે પબ્લિકને સર્વ કરવાની અથવા તો પ્રજાની સેવા કરવાની તમારી શક્તિ હણાઇ જાય ત્યારે એ જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થવું એ જ ઉત્તમ ગણાય. તેમાં આ દેશનું પણ ભલું છે અને પ્રજાનું પણ કલ્યાણ છે. જે સંસદીય લોકશાહીના સોગંધ તમે રોજ સવારે ઊઠીને આપ્યા કરો છો એ સંસદીય લોકશાહી અત્યારે ચોધાર આંસુએ રડી રહી છે. કહેવાતી જગતની પ્રથમ ક્રમાંકની લોકશાહી પર એક પરિવાર અને તેમના કેટલાક મળતિયાઓનો કબજો છે. એટલે જ 15 ઓગસ્ટે જ્યારે મનમોહન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની ગરિમા ઘટી ગઈ હોય તેવું લાગે છે. વધુ સ્પષ્ટપણે કહેવું હોય તો કહી શકાય કે, મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ ઊન્નત નથી હોતો, એ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!
(મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

Tuesday, August 7, 2012

Kinner Aacharya's Book : Maha-Bharat Ni Ramayan



મહા-ભારતની રામાયણ 





દોસ્તો, ઘણા સમયથી જેની પ્રતીક્ષા (મને!) હતી એ મારું પુસ્તક અંતે ગઈકાલે પ્રકાશિત થઇ ચૂક્યું છે. 
આજે બપોરથી એ રાજકોટમાં ઉપલબ્ધ હશે અને અમદાવાદ, નવભારત ખાતે તો તો ઉપલબ્ધ છે. 
અન્ય શહેરોના તમામ મુખ્ય બૂક સ્ટોલમાં આજકાલમાં જ ઉપલબ્ધ. પુસ્તક વિશેની બાકીની વિગતો અહીં મુકાતો રહીશ પરંતુ અત્યારે તો તેનું ટાઈટલ અને કેટલીક પ્રાથમિક વિગતો મૂકી રહ્યો છું...    


લેખક: કિન્નર આચાર્ય 

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર 

શીર્ષક: પ્રણવ અધ્યારુ 

ટાઈટલ ડીઝાઈન: ગિરિશ ચૌહાણ 

પાનાં: ૨૫૬

કિંમત: ૨૦૦ 





-:મુખ્ય પ્રાપ્તિસ્થાનઃ- 

અમદાવાદ: 
નવભારત સાહિત્ય મંદિર

જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ , ફોન: ૦૭૯ - ૨૨૧૩ ૯૨૫૩ 

અને 

૨૦૨ - પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯

બુકશેલ્ફઃ
16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
સી.જી. રોડ, અમદાવાદ



મુંબઈ:

134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૨ 
ફોન: (079) ૨૨૧૩૨૯૨૧ / ૨૨૧૩૯૨૫૩ 

રાજકોટ: 
રાજેશ બૂક સ્ટોલ:
લોધાવાડ ચોક, પોલીસ ચોકી સામે, ફોન: ૦૨૮૧-૨૨૩૩૫૧૮ અને 
ડોક્ટર યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર કોલેજ સામે.

મયુર એજન્સી:
જીવન બેંક સામે, સીડીવાળી શેરી, ઢેબર રોડ, ફોન: ૦૨૮૧-૨૨૩૩૬૧૮ 
અને
કાલાવડ રોડ, આત્મિય કોલેજ સામે. ફોન: ૯૮૨૪૨ ૧૧૨૩૯     


અન્ય શહેરોના તમામ મુખ્ય 

બૂક સ્ટોલમાં એક-બે દિવસમાં ઉપલબ્ધ. 


Thursday, July 26, 2012

Char Dham Yatra


સરકારી બેદરકારીના કારણે ચારધામનાં
યાત્રાળુઓ સ્વર્ગ સિધાવી જાય છે!

બદ્રિનાથ 



''બદ્રિનાથ પાસે બસ ખાઇમાં ખાબકતાં 32 યાત્રાળુઓના મૃત્યુઃ 12ને ગંભીર ઇજા''
''ગંગોત્રી નજીક ઇનોવા ખાઇમાં ગબડી જતાં આઠનાં મૃત્યુ''

''યમુનોત્રી નજીક ભૂસ્ખલન થતાં યત્રિકોની બસ પહાડ હેઠળ દટાઇલ 24ના મોત, 18 ઘાયલ''

''બદ્રિનાથ-ગંગોત્રી માર્ગ પર ભૂસ્ખલનઃ 1200 યાત્રાળુઓ ફસાયા. પાંચ દિવસથી ફસાયેલાં યાત્રિકોને કોઇ જ સહાયતા મળી નથી. ખાવાપીવાની વસ્તુઓમાં ઉઘાડી લૂંટ. કડકડતી ઠંડીમાં રસ્તા પર રાત ગુજારતા યાત્રાળુઓ''

''કેદારનાથની યાત્રાએ જતી બસ ખીણમાં પડીઃ 40 યાત્રાળુઓની શોધખોળ ચાલુઃ સૈન્યના જવાનોનું શોધખોળ અભિયાન શરૂ''

''દ્વારકાનાં 350 ગૂગળી બ્રાહ્મણો બદ્રિનાથના માર્ગે ફસાયાઃ ચાર દિવસથી રસ્તા પરઃ ગુજરાતના મુખ્યમંત્રીની મદદ મંગાઇ''

-----------------

આવા અનેક સમાચારો તમે તાજેતરમાં જ વાંચ્યા હશે. દર વર્ષે મે મહિનાથી ઓક્ટોબર સુધીના લગભગ છ માસ સુધી નિરંતર આવા સમાચાર આવતાં રહે છે. ઉત્તરાંચલમાં આવેલા હિન્દુ ધર્મના ચારધામ ગણાતા ગંગોત્રી, યમુનોત્રી, બદ્રિનાથ અને કેદારનાથની યાત્રા બાબતે દર વર્ષે આવતા આવા સમાચારો એટલી હદે `રૂટિન' જેવાં બની ગયાં છે કે, કોઇને વિચાર સુદ્ધાં નથી આવતો કે, યાત્રાળુઓ છેવટે શા માટે પોતાનાં પ્રાણ ગુમાવે છે.

પ્રવાસન અને યાત્રા પ્રત્યે આપણે ત્યાં જે બેદરકારી પ્રવર્તે છે તેનો આ ચારધામ યાત્રા ઉત્તમ નમૂનો છે. દર વર્ષે ઉત્તરાંચલ રાજ્ય (હરિદ્વાર, ઋષિકેશ, મસુરી, નૈનિતાલ, બદ્રિ-કેદાર, ગંગોત્રી-યમુનોત્રી)ના પ્રવાસે લગભગ અઢી કરોડ પર્યટકો આવે છે. જેમાંથી બહુ મોટી સંખ્યા ચારધામનાં યાત્રાળુઓની હોય છે. અધિકૃત આંકડા મુજબ આ યાત્રાળુઓમાંથી ગુજરાતીઓની સંખ્યા સાડા છ લાખ કરતાં વધુ હોય છે. આંકડાઓ કહે છે કે, ઉત્તરાંચલની યાત્રાએ જતા લોકોમાં માત્ર એક બંગાળીઓ જ ગુજરાતીઓ કરતાં આગળ છે. બંગાળના યાત્રાળુઓ મોટાભાગે હરિદ્વાર-ઋષિકેશ સુધી જતા હોય છે જ્યારે ચારધામની યાત્રા કરવામાં ગુજરાતીઓ પ્રથમ સ્થાન પર છે. બહુ સ્વાભાવિક છે કે, ચારધામ યાત્રાએ દર વર્ષે સૌથી વધુ હાલાકી, જાનહાની ભોગવવામાં પણ ગુજરાતીઓ જ હોય છે!

કેદારનાથ 


ઉત્તરાંચલ એક એવું રાજ્ય છે જેનું આખું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે. અહીં એંસી ટકા લોકોની આવક-રોજીરોટી સીધી કે આડકતરી રીતે પ્રવાસન સાથે સંકળાયેલી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આખું રાજ્ય યાત્રા-પ્રવાસન પર નભતું હોવા છતાં ઉત્તરાંચલ સરકાર યાત્રાળુઓની સલામતી-સુરક્ષા માટે ગંભીર નથી, પ્રતિબદ્ધ નથી.

ચારધામની યાત્રાએ જતી બસ નિરંતર ખીણમાં ગબડતી રહી છે અને સરકાર વર્ષોથી તમાશો જોયા કરે છે. વાસ્તવિકતા એ છે કે, આ ચારેય ધામ સુધી પહોંચવાના રસ્તા એટલી હદે સાંકડા અને બિસમાર છે કે, યાત્રાળુઓ બાપડા ચારધામને બદલે સ્વધામ-કૈલાશધામ પહોંચી જાય છે. આ લખનારે છેલ્લાં 18 વર્ષમાં એકાદ ડઝન વખત આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અનુભવ્યું છે કે, છેલ્લાં બે દાયકામાં કશું જ બદલાયું નથી. અગાઉ જે ટર્ન પર બસ-વાહનો ખીણમાં ખાબકતા હતા એ આજે પણ એવાં જ છે, આજે પણ ત્યાં જ બસો ખાબકે છે.

ગંગોત્રી 
આજથી બે-ત્રણ વર્ષ પહેલાં બદ્રિનાથ સુધીનો હાઇ-વે પહોળો કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ એ બિલકુલ સફળ રહ્યા નથી. જોખમ હજુ એટલું જ છે. સમસ્યા એ છે કે, ચારધામના માર્ગ પર અહીંની સરકાર દ્વારા ખીણ-રસ્તાની કિનારીએ સલામતી માટે વાડ કે દીવાલ (નાની બે ફૂટની) પણ થતી નથી. આબુથી શરૂ કરી ડેલહાઉસી, સિમલા જેવા ભારતનાં અનેક પર્યટક સ્થળોના માર્ગે આવી બે ફૂટ ઉંચી પત્થરની દીવાલ બનાવાય છે. આ દિવાલનો ફાયદો એ ગણાય કેઃ એક તો તેનાંથી ડ્રાઇવરનો આત્મવિશ્વાસ વધે છે. બીજું, ડ્રાઇવર ક્યારેક ગફલત કરી જાય તો આવી દીવાલનાં કારણે બસ-વાહન ખીણમાં ગબડતાં બચી જાય છે. આર્થિક ઞષ્ટિએ ઉત્તરાંચલ માટે દૂઝતી ગાય સાબિત થયેલા આ ચારધામને યાત્રાળુઓ માટે શું કોઇ સરકાર આટલું ન કરી શકે?

યમુનોત્રી 
ઉત્તરાંચલ સરકાર શું કરે છે?. ગુજરાતીઓ સહિતનાં પર્યટકો પોતાનાં પ્રાણ ગુમાવતાં રહે છે. પહાડ ધસવા (લેન્ડ સ્લાઇડિગ)નાં કારણે અહીં ચારધામના વિવિધ રસ્તે દરરોજ સેંકડો-હજારો વાહનો ફસાતા રહે છે. પહાડ પડવાનાં કારણે રસ્તો બ્લોક થઇ જાય છે અથવા તૂટી જાય છે. આવા સંજોગોમાં વાહન આગળ ધપી નથી વધી શકતું અને પાછળ પણ વાહનોની કતાર હોય છે. 

પહાડોમાં સાંકડા રસ્તાઓ પર ટર્ન લઇને પરત ફરવું શક્ય નથી. ઘણી વખત ત્રણ-ચાર દિવસ સુધી આવી રીતે પર્યટકો ફસાયેલાં રહે છે. ખાવા-પીવાનાં ઠેકાણાં રહેતા નથી, લોકો પીવાનાં પાણી માટે વલખાં મારે છે. યાત્રાળુઓમાં વયોવૃદ્ધની સંખ્યા સામાન્યતઃ વધારે જ રહેવાની, એમની તો હાલત ભૂંડી થઇ જાય છે.  સવાલ એ ઉઠે છે કે, ઉત્તરાંચલ સરકાર માટે આવી ઘટનાઓ રોજીંદી બની ગઇ હોવા છતાં તેઓ `ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી' જેવું કશું કેમ બનાવતા નથી? શા માટે યાત્રાળુઓએ દિવસો સુધી હેરાન થવું પડે? શા માટે એમને આવાં સમયે આવશ્યક વસ્તુઓ, સૂક્કો નાસ્તો, પીવાનું પાણી વગેરે પહોંચાડવામાં આવતા નથી? સ્થાનિક વેપારીઓ આવા સમયે ઉઘાડી લૂંટ ચલાવે છે. પાંચ રૂપિયાની વેફર્સ પચ્ચીસ રૂપિયામાં તેઓ વેંચે છે અને પારલે-જીનું પેકેટ પાંચને બદલે પંદર રૂપિયામાં આપે છે. શું આવા કાળાંબજાર ડામવાની જવાબદારી ઉત્તરાંચલ સરકારની ન ગણાય? એમનાં પર કડક પગલાં શા માટે નહીં? ખરેખર તો, આવી આફત સમયે સરકારી મદદ પહોંચવી જોઇએ. એનાં બદલે બને છે એવું કે, યાત્રાળુઓ મદદનાં અભાવે તરફડિયા મારતા રહે છે.

ચારધામનાં માર્ગ આસપાસ ભારત-ચીનની આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી અહીંના રોડની જવાબદારી ઘણાં સ્થળે  `બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન' (ભારતીય સૈન્યનું અંગ)ની હોય છે. પરંતુ રાજ્ય સરકારને નવાં વિકાસકાર્યો કરતા કોઇ રોકી શકતું નથી. કેટલાંક રસ્તાઓ વર્ષોથી એટલી જ હદે ખતરનાક રહ્યા છે. પિપલકોટીથી, જોષીમઠ અને વિષ્ણુ પ્રયાગ થઇ બદ્રિનાથ પહોંચતા રસ્તા પર દર વર્ષે અનેક વાહનો ખીણમાં પડે છે. કુન્ડ, ગુપ્ત કાશીથી લઇ ગૌરી કુંડ (કેદારનાથની તળેટી)નો રસ્તો પણ એવો જ છે. ઉત્તર કાશીથી હરસિલ, ભૈરોઘાટી-ગંગોત્રીનો માર્ગ તથા મસુરીથી બરકોટી, સ્યાના અને હનુમાન ચટ્ટીનો માર્ગ પણ આકરો છે. આ બધાં રસ્તા જોખમી છે અને છેલ્લાં ત્રણ-ચાર દાયકાથી એ જોખમી જ ગણાય છે! શા માટે ત્યાં સલામતીનાં પગલાં લેવાનાં નથી?

ઉત્તરાખંડના સર્પાકાર રસ્તાઓ।... નજર હટી,  દુર્ઘટના ઘટી !!!


ઉત્તરાંચલમાં દરેક ઞષ્ટિએ ટૂરિસ્ટ લૂંટાય છે. વૈષ્ણોદેવીમાં તળેટીથી ધામ સુધીના 14 કિલોમીટર માટે ઘોડાનો ભાવ લગભગ 700 રૂપિયા છે જ્યારે ગૌરીકુંડથી કેદારનાથના 3પ00 રૂપિયા છે. વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સર્વિસ માટે આવવા-જવાનાં 2પ00 રૂપિયા ચાર્જ છે. કેદારનાથમાં આ જ ભાવ લગભગ 8000 રૂપિયા છે. ચારધામની યાત્રા જો તમારે હેલિકોપ્ટર દ્વારા કરવી હોય તો પ્રતિ વ્યકિત લગભગ અઢી લાખ (દહેરાદૂનથી ચારધામ) રૂપિયા ખર્ચ થાય છે! એક મહાપ્રશ્ન એ છે કે, હિન્દુ ધર્મના આ મહાન તીર્થોને જોડતી માઉન્ટેન ટ્રેન શા માટે ઉપલબ્ધ નથી. આજથી સો વર્ષ પહેલાં અંગ્રેજો જો સિમલા કે ઉટીમાં રેલ્વેલાઇન બિછાવી શકતા હોય તો આપણો કહેવાતો મહાન દેશ શું માખીઓ મારી રહ્યા છે? ચીનએ તાજેતરમાં તિબેટ સુધીની અજાયબી જેવી ટ્રેન શરૂ કરી છે. તિબેટની ઉંચાઇ સમુદ્ર સપાટીથી 16000 ફૂટ આસપાસ છે. જ્યારે આ ચારેય ધામ લગભગ 10થી 11 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, આ ચારધામનું પરસ્પર હવાઇ અંતર (એર ડિસ્ટન્સ) ખૂબ જ ઓછું છે. રસ્તાઓ ફરી ફરીને પહોંચતા હોવાથી ચારધામની યાત્રામાં બાર દિવસ ખર્ચાઇ જાય છે. બદ્રિનાથથી કેદારનાથનો જંગલ-પહાડી માર્ગ ત્રીસ કિલોમીટર જ છે પણ વાહન દ્વારા જવું હોય તો ત્રણસો કિલોમીટર થાય! 

બદ્રીનાથ જવાના માર્ગે હમેશા આવી અડચણો ઉભી હોય છે....


માત્ર આયોજનના  અભાવે, માળખાગત સુવિધાઓની ઉણપને કારણે દરેક ધામ વચ્ચે અઢીસો-ત્રણસો કિલોમીટરનું અંતર થઇ જાય છે. જ્યાં દર વર્ષે લાખો-કરોડો શ્રદ્ધાળુઓ જતા હોય ત્યાં ચારેય ધામને જોડતી એક અદ્ભુત રેલ્વેલાઇન અશક્ય નથી. હા! એ થોડું મુશ્કેલ કાર્ય જરૂર છે પરંતુ ઇજનેરી કમાલનાં અનેક ચમત્કારો નહીં થાય ત્યાં સુધી નિર્દોષ યાત્રાળુઓ મરતા જ રહેશે! તાજેતરમાં ચીનએ તેની તિબેટ સુધીની રેલ્વેલાઇનનું ઉદ્ઘાટન કર્યુ ત્યારે વિશ્વ દંગ થઇ ગયું હતું. સમુદ્ર તટથી સોળ-સોળ હજાર ફૂટની ઉંચાઇ સુધી ચીનએ રેલ્વે બિછાવી છે. અંગ્રેજો આપણે ત્યાં સો-સવાસો વર્ષ પહેલાં કાળકા-સિમલા, ઉટી, દાજીર્લિગ અને પાલમપુરની માઉન્ટેન ટ્રેન શરૂ કરી ગયાં પછી આટલાં વર્ષોમાં આપણે એક પણ હિલ સ્ટેશન સુધી રેલવે પહોંચાડી શક્યા નથી. એન્જાનિયરીંગમાં આપણે ઠોબારા છીએ, દુરંદેશી અને વિઝનમાં સાવ ઢ. ચારધામ જેવાં પર્યટન  આકર્ષણ ચીન, જર્મની કે સ્વિટઝરલેન્ડ પાસે હોય તો ત્યાં અત્યારે ફોર ટ્રેક હાઇવે અને અજાયબી જેવી ટ્રેન હોય. આપણાં હજારો  યાત્રાળુ દર વર્ષે અહીં મૃત્યુ પામે છે પણ, આપણે આ ચારધામમાં સવલતો અને સલામતી આપી શક્યા નથી!


Saturday, July 21, 2012

કેશુભાઈના અદભુત જોક્સ એટલે "ભયભીત" ગુજરાતીઓને ખડખડાટ હસવાનો અવસર!








કેશુભાઈ પટેલ જ્યારે ભયભીત નહોતા અને જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નામે અનેક ટુચકા પ્રચલિત હતા. એ સમયે રિડિફ ડોટ કોમ માટે જાણીતા પત્રકાર દિલીપ ગોહિલએ એક અત્યંત રમુજી પીસ લખ્યો હતો. "કેશુફન ડોટ કોમ" શીર્ષક તળે લખાયેલા આ લેખને આજે શ્રી દિલીપ ગોહિલના આભાર સાથે અહીં મુકું  છું. આશા છે કે, કોઈની રાજકીય લાગણી નહિ દુભાય... 


(૧) 
કેશુભાઈ પોતાના વિદેશપ્રવાસ વખતે રોટરડેમની મુલાકાતે પણ ગયા હતા. શહેરનો  પ્રવાસ કર્યો અને શહેર વિશે કેશુભાઈએ જાણ્યુ‘. તેમને કહેવામા‘ આવ્યુ‘ કે સાહેબ, આ શહેર એવુ‘ છે કે કોઈ દિ લાઇટ જાય જ નહીં. 
કેશુભાઈ કહે, ‘એમ? એ તો માળુ ભારી કામનુ‘.’ કેશુભાઈએ વિચાર્યું  કે આ તો બહુ કામની વસ્તુ છે. વીજળી કોઈ દિ જાય જ નહીં તો તો મારા ખેડૂતોને કોઈ ચિંતા જ ન રહે. 
કેશુભાઈ કેટલાક સાથીઓને લઈને ખાનગી તપાસમા‘ નીકળી પડ્યા કે આપણે પણ આ વસ્તુ ગુજરાતમા લઈ જવી છે. શહેરભરમા ફર્યા અને થોડી પૂછપરછ કરીને પાછા ફર્યા. પાછા આવ્યા ત્યારે કેશુભાઈને નિરાશ જોઈને અધિકારીઓએ હળવેકથી પૂછ્યુ‘, ‘કેમ, સાહેબ?’ 
કેશુભાઈ નિસાસો નાખીને બોલ્યા, ‘જુઓને ભાઈ, મારે તો ગુજરાતના‘ અંધારા‘ ઉલેચવા‘ છે. ઇ હાટુ થઈને હુ‘ આખુ‘ રોડરડેમ ફરી વળ્યો, પણ મને ક્યા‘ય જીઇબી નો મળ્યુ‘.’

(૨) 
લંડનના પ્રવાસ વખતે કેશુભાઈ એક ઓળખીતાને ત્યા‘ ફ્લેટમા‘ રોકાયા હતા. કેશુભાઈ વહેલા ઊઠી જાય અને બારી ખોલીને ઊભા રહે. સામાના ફ્લેટમા‘ એક ઈંગ્લિશમેન રહેતો હતો. તેને પણ વહેલા ઊઠવાની ટેવ. ઈંગ્લિશમેન રોજ કેશુભાઈને બારીએ આવેલા જુએ એટલે ગુડ મોર્નિંગ કહે. 
કેશુભાઈને એમ કે આ નામ પૂછતો લાગે છે એટલે સામો જવાબ આપે, ‘કેશુભાઈ... કેશુભાઈ...’ બેચાર દિવસ આમ ચાલ્યુ‘. એ પછી તેમના પુત્ર ભરતનુ‘ ધ્યાન ગયુ‘. ભરતે બાપુજીને સમજાવ્યુ‘ કે કોઈ આપણને ગુડ મોર્નિંગ કહે તો આપણેય સામે ગુડ મોર્નિંગ કહેવાનુ‘ હોય. 
બીજા દિવસે તો કેશુભાઈ ગુડ મોર્નિંગ શબ્દ ગોખીને તૈયાર થઈ ગયા અને ઊઠીને સીધા બારીએ પહોંચ્યા. બારી ખોલી તો રોજની જેમ સામે ઈંગ્લિશમેન હાજર જ હતા. ઈંગ્લિશમેને સ્ટાઇલમા‘ કહ્યુ‘, ‘કેશુભાઈ... કેશુભાઈ...’

(૩) 
લંડનમા‘ કેશુભાઈ પોતાના રોકાણ દરમિયાન એક દિવસ ખરીદી કરવા માટે નીકળ્યા. નાનીમોટી ખરીદી કરીને પછી કેશ કાઉન્ટર પાસે પહોંચ્યા એટલે કાઉન્ટર ગર્લે પૂછ્યુ‘, ‘કેશ ઓર ક્રેડિટ?’ 
કેશુભાઈ તો બહુ ગુસ્સે થઈ ગયા. તેમને થયુ‘ આ આવડી અમથી છોકરીને ક‘ઈ વિવેક જેવુ‘ છે કે નહીં? તેમણે કહ્યુ‘, ‘કેશ નહીં કેશુભાઈ...’

(૪) 
કેશુભાઈ મુખ્ય પ્રધાન બન્યા પછી અમેરિકા મૂડીરોકાણ મેળવવા માટે ગયા. ત્યા‘ તેમણે આપણા ગુજરાતી પૈસેટકે સુખી એવા હૌ ભાયુ‘ને મળવા બોલાવ્યા. ગુજરાતીઓનુ‘ પ્રતિનિધિમ‘ડળ કેશુભાઈને મળવા માટે આવ્યુ‘. 
પ્રતિનિધિમ‘ડળ કેશુભાઈ માટે એક અત્ય‘ત આધુનિક કેલક્યુલેટર ભેટમા‘ આપવા લેતુ‘ આવ્યુ‘ હતુ‘. સૌ ભાયુ‘ આવ્યા અને રામ રામ થયા અને ખબરઅ‘તર પુછાયા. કેશુભાઈ મોટુ‘ પ્રતિનિધિમ‘ડળ જોઈને ખુશ હતા કે રાજ્યમા‘ હવે તો ઉદ્યોગો આવશે. 
એ પછી પ્રતિનિધિમ‘ડળે કેલક્યુલેટર કેશુભાઈને આપ્યુ‘, ‘સાહેબ, આ એકદમ આધુનિક કેલક્યુલેટર છે. બહુ કામનુ‘ છે. આખા રાજ્યનુ‘ બજેટ આમા‘ કરવુ‘ હોય તો થઈ જાય.’ ‘એમ!’ કેશુભાઈ તો ખુશ થઈ ગયા અને રેપર ખોલીને અંદરથી કેલક્યુલેટર કાઢ્યુ‘. આમ તેમ જોયુ‘ અને તરત તેમનુ‘ મોઢુ‘ પડી ગયુ‘. પ્રતિનિધિમ‘ડળને ક‘ઈ સમજાયુ‘ નહીં. બધાને તરત વિદાય આપવામા‘ આવી એ પછી કેશુભાઈએ અધિકારીના હાથમા‘ કેલક્યુટર પકડાવીને કહ્યુ‘, ‘આ લોકો મોટા ઉદ્યોગપતિઓ છે, પણ કંઈ વિવેક જેવુ‘ છે કે નહીં? એમને એટલીય ખબર નથી કે મારુ‘ નામ કેશુભાઈ છે, કેસિયો નથી.’




(૫) 
ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂરો કરીને કેશુભાઈ ગા‘ધીનગર પાછા આવી ગયા છે. સગુ‘વહાલુ‘ બધુ‘ બ‘ગલે બેઠુ‘ છે. અલમમલકની વાતુ‘ થાય છે. કેશુભાઈ પોતાના વિદેશપ્રવાસના‘ સ‘ભારણા‘ હૌને સ‘ભળાવી રહ્યા છે. 
કેશુભાઈ કહે, ‘આ આપણે સા‘ભળ્યુ‘ હતુ‘ એવુ‘ જ છે હો. આ ધોળિયાઓને કોઈ વાતનો છોછ નહીં. આપણે તો અહીં નામ લેતા‘ય લજાઈ જઈએ. પણ અંગ્રેજોને સેક્સનો જરાય છોછ નહીં.’ બધાને નવાઈ લાગી અને પૂછ્યુ‘, ‘કેમ એવુ‘?’ 
કેશુભાઈ કહે, ‘અરે જુઓને. ઈ માળાવે તો નામેય કેવા‘ રાખ્યા‘ છે. એસેક્સ ને ઇસેક્સ ને મિડલસેક્સ...’

(૬) 
વિદેશથી પાછા ફર્યા પછી એક વાર ગુજરાતમા‘ વિદેશી મહેમાનો પધાર્યા હતા તેનો સમાર‘ભ યોજાયો હતો. બીજા વચનો થયા‘ પછી કેશુભાઈનો વારો આવ્યો તો તેમણે અ‘ગ્રોજીમા‘ પોતાનુ‘ ભાષણ એક કાગળમા‘થી વાંચવાનુ‘ શરૂ કર્યું. હાજર રહેલા પત્રકારો તો છક થઈ ગયા. ‘કેશુભાઈ તો કલાકાર છે હો, વિદેશ ગયા ને અંગ્રેજી પણ શીખી આવ્યા.’ 
સમારંભ પૂરો થયો પછી પત્રકારો કેશુભાઈને ઘેરી વળ્યા અને અભિનંદન આપ્યા‘. ‘વાહ કેશુભાઈ, અંગ્રેજીમાં શું ફાંકડું પ્રવચન કર્યું કાંય .’ બધા પત્રકારોએ માગણી કરી કે  પ્રેસનોટ સાથે કેશુભાઈના અ‘ગ્રોજી ભાષણની કોપી પણ આપો. આજે તો આખેઆખુ‘ ભાષણ છાપવુ‘ છે. કેશુભાઈ પણ કહે, ‘હા, હા, બધા ભાયુ‘ને કોપી આપજો.’ 
માહિતી ખાતાવાળાઓએ કહ્યુ‘ કે બધાને કોપી આપેલી છે જ. પત્રકારોએ પ્રેસનોટ ફેરવી જોઈને કહ્યુ‘ કે, ‘ક્યા‘ છે આમા‘. આ તો ગુજરાતી જ છે.’ અધિકારીએ કહ્યુ‘, ‘જરા જુઓ તો ખરા. આપેલી જ છે. આ રહી.’ ‘પણ આ તો ગુજરાતીમા‘ જ છે.’ ‘જરા વા‘ચો તો ખરા. ગુજરાતી લિપિમા‘ છે, પણ ભાષણ તો અંગ્રેજીમા‘ જ છેને.’

(૭) 
વિદેશપ્રવાસ કરીને આવ્યા પછી તેનો થાક ઊતર્યો એટલે કેશુભાઈ ગુજરાતના પ્રવાસે નીકળ્યા. કેશુભાઈ હાઈવે હોટેલોના બહુ શોખીન. પોતાના જૂના જમાનાને યાદ કરીને રસ્તામા ગાડી ઊભી રખાવીને હાઈવે હોટેલ પર ફાફડા અને ચા અચૂક લે. 
કેશુભાઈ આમ પણ ચાના શોખીન. મા’રાજને કહી રાખ્યુ‘ હતુ‘ કે બજારમા‘ સારામા‘ સારી ચા હોઈ ઇ લઈ આવવાની. 
પ્રવાસ પૂરો કરીને આવ્યા પછી બ‘ગલે પહોંચીને કેશુભાઈએ મા’રાજને બોલાવ્યા. ‘આ તમને કીધુ‘ છેને કે બજારમા‘ સારી ચા આવે તે આપણે ત્યા‘ આવવી જોઈએ.’ મા‘રાજ બોલ્યા, ‘સાહેબ, આપણી પાસે બધી જ ચા છે... વાઘબકરી, લિપ્ટન, તાજા, ટાટા, તાજમહેલ... સાહેબ, બધી જ ચા આપણે રાખીએ છીએ.’ 
કેશુભાઈએ કહ્યુ‘, ‘પણ આ હમણા‘ નવી ચા નીકળી છે એ કેમ નથી. મારી સામે ખોટુ‘ બોલો છો. હુ‘ હમણા‘ પ્રવાસે ગયો ત્યારે મેં બધે જોયુ‘ કે કોપર ટીની જાહેરાતુ‘ કરેલી છે. તમે ઇ ચા કેમ હજી સુધી લાવ્યા નથી?’

(૮) 
એસએસસી અને બારમા ધોરણોના‘ પરિણામો તૈયાર થઈ ગયા‘ હતા‘ અને રિઝલ્ટ આવવાનુ‘ જ હતુ‘. એમા‘ એક દિવસ કેશુભાઈએ બોર્ડના અધિકારીઓને બોલાવ્યા અને પૂછપરછ કરી, ‘કેટલા ટકા રિઝલ્ટ આવ્યુ‘ છે?’ 
અધિકારીઓએ કહ્યુ‘, ‘સાહેબ, ૩૪ ટકા.’ કેશુભાઈ કહે, ‘અરે પણ આટલુ‘ ઓછુ‘ રિઝલ્ટ કેમ? આપણા રાજ્યના શિક્ષણનુ‘ સ્તર ઊંચુ‘ જવુ‘ જોઈએ. રિઝલ્ટ વધારે આવે એવુ‘ કરો.’ અધિકારીઓએ સમજાવ્યુ‘ કે સાહેબ, રિઝલ્ટ તૈયાર થઈ ગયુ‘ છે અને હવે ફરીથી પેપરો તપાસીએ ને માર્ક વધારીએ તો સમય લાગે. 
કેશુભાઈ કહે, ‘એમ નહીં. હુ‘ કહુ‘ એમ કરો. ત્રણ ગોખલા બનાવો. પછી તેમા‘ બાજરો વાવતા‘ હોઈએ એમ ઉત્તરવહીઓ ફેંકો. પહેલા ગોખલામા‘ પડે તેમને ફર્સ્ટ ક્લાસ, બીજામા‘ પડે તે સેકન્ડ ક્લાસ અને ત્રીજામા‘ પડે તે પાસ ક્લાસ. ખાલી નીચે ઉત્તરવહી પડે તેને જ નાપાસ કરવાના. અઠવાડિયામા‘ આટલુ‘ કરી રિઝલ્ટ આપી દો.’ 
અધિકારીઓ કહે સારુ‘, તમે કહો તેમ. થોડા વખત પછી અધિકારીઓ મળવા આવ્યા. ‘સાહેબ, તમે કહ્યુ‘ એમ પણ કરી જોયુ‘, પણ તોય રિઝલ્ટમા‘ બહુ ફેર નથી પડ્યો. ૫૪ ટકા જ થયુ‘ છે. હવે શુ‘ કરીએ?’ કેશુભાઈએ જવાબ આપ્યો, ‘પણ એમા‘ મને પૂછવા શુ‘ આવો છો. ગોખલા મોટા કરોને.’

(૯) 
વિદેશથી આવ્યા પછી કેશુભાઈને કમ્પ્યુટરોનુ‘ ઘેલુ‘ લાગ્યુ‘ હતુ‘. કેશુભાઈએ હુકમ આપ્યો કે આપણે વિદેશમા‘ થાય છે એવુ‘ બધુ‘ કરવુ‘. અને ઓલા આન્ધ્ર પ્રદેશવાળા નાયડુના‘ બધા વખાણ કરે છે તેવુ‘ પણ આપણે કરવાનુ‘ છે. 
અધિકારીઓ કામે વળગી ગયા અને આન્ધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનની જેમ ગુજરાતના મુખ્ય ઊંધાનના નામે પણ એક વેબસાઇટ તૈયાર કરી દેવામા‘ આવી. મુખ્ય પ્રધાનની ઓફિસની નજીકમા‘ જ એક રૂમમા‘ આ માટે તંત્ર ગોઠવી દેવાયુ‘ હતુ‘. અધિકારીઓએ કહ્યુ‘ કે, ‘સાહેબ, આપણી વેબસાઇટ તૈયાર થઈ ગઈ છે તો આજે હવે તેનુ ઉદ્ઘાટન કરી દઈએ.’ 
કેશુભાઈ કહે કાલે જ રાખી દો. બીજા દિવસે કાર્યક્રમ ગોઠવાઈ ગયો. કેશુભાઈ તો ઉત્સાહથી સવારથી જ બંગલેથી તૈયાર થઈને ઓફિસે આવી ગયા. થોડી વારે અધિકારી આવ્યા અને કહ્યુ‘ કે, ‘ચાલો સાહેબ, હવે વેબસાઇટનુ‘ ઉદ્ઘાટન કરી દઈએ.’ કેશુભાઈ કહે, ‘હુ‘ તો તૈયાર છુ‘, પણ ડ્રાઇવરને ક્યો કે ગાડી તો લઈ આવે. અને મને ક્યો તો ખરા કે સાઇટ ક્યા‘ ગુડાણી છે.’

(૧૦) 
મુખ્ય પ્રધાનની વેબસાઇટ શરૂ થઈ એ પછી ઉત્સાહી અધિકારીઓએ લોકો મુખ્ય પ્રધાનને સીધા જ ઈમેલ કરે અને મુખ્ય પ્રધાન તેના ડિરેક્ટ જવાબ આપે તેવી વ્યવસ્થા કરવાનુ‘ વિચાર્યુ‘. એ પ્રમાણે વેબસાઇટ પર જાહેરાત કરવામા‘ આવી અને થોડી ઈમેલ આવી એટલે અધિકારી મુખ્ય પ્રધાનને મળવા ગયા. 
તેમણે કહ્યુ‘, ‘કેશુભાઈ, ઈમેલ આવી ગઈ છે તો આપણે તેને જવાબો દઈ દઈએ.’ કેશુભાઈ વિચારવામા‘ પડ્યા, કે માળુ‘ આ મેલ અને ફિમેલ તો સા‘ભળ્યુ‘ હતુ‘ આ ઈમેલ શુ‘ હશે વળી? પણ તરત તેમના મનમા‘ લાઇટ થઈ એટલે કહ્યુ‘, ‘અરે પણ એમા‘ મને ન બોલાવો. જાઓ, તમે દરેકને એકાવન-એકાવન રૂપિયા માતાજીના નામે આપી દ્યો. અને જુઓ, સચિવાલયમા‘ આવુ‘ હારુ‘ ન લાગે. પોલીસને કઈ દ્યો કે આ ઈમેલુ‘ને નીચેથી જ રવાના કરી દેવાના.’

(૧૧) 
બુધવારની પ્રધાનમ‘ડળની બેઠક મળી તેમા‘ બધુ‘ સત્તાવાર કામ પૂરુ‘ થયુ‘ પછી સામાન્ય વાતો થતી હતી. તેમા‘ કેશુભાઈને અચાનક કઈક યાદ આવ્યુ‘ એટલે કહ્યુ‘, ‘બધા ભાયુ‘ જરા સાંભળો. આ આપણા રાજમા‘ આજકાલ કોમવાદ બહુ વધી ગયો છે તે યોગ્ય નથી.’ 
બધા પ્રધાનોને નવાઈ લાગી કે અચાનક આ વિષય ક્યા‘થી નીકળ્યો. પ્રધાનોએ કહ્યુ‘ બરાબર છે, કોમવાદ ન હોવો જોઈએ. 
કેશુભાઈએ કહ્યુ‘, ‘રાજ્યમા‘ બ્રાહ્મણવાદ, પટેલવાદ, ક્ષત્રિયવાદ, કોળીવાદ એ બધો તો હતો જ. આપણે તેને ડામી શક્યા નથી તે દુખદ છે. હમણા‘ તો આ નવી કોમ નીકળી છે ડોટકોમ. આ ડોટકોમને ઊગતી જ દાબી દ્યો.’

Friday, July 20, 2012

organic food


ઓર્ગેનિક પ્રોડક્ટ્સ : બમણા દામ 

આપીને પણ ગ્રાહક તો બિચ્ચારો જ રહે છે...






ઓર્ગેનિક .. ઓર્ગેનિક ... બહુ ચાલ્યું છે. પરંતુ આ  ઓર્ગેનિકવાળાઓ એક નંબરના શઠ અને લબાડ હોય છે. એ લોકો આપણને લાકડા જેવા ભાવે પ્રોડક્ટ વેંચે છે અને એવું દર્શાવે છે જાણે આપણી પર કંઈ ઉપકાર કરી રહ્યા હોય! બે-ચાર વર્ષ પહેલા મેં અહીં રાજકોટમાં અનિરુધ્ધ નામના ભાઈ પાસેથી ત્રણ ઓર્ગેનિક બંસી ઘઉં મંગાવ્યા. એક ગૂણીના ૨૭૦૦ લેખે. ત્યારે ઉત્તમોત્તમ સોનેરી ટુકડાનો ભાવ ૧૩૦૦ રૂપિયા હતો. એ ભાઈનો ફોન આવ્યો   કે, "માલ કાલે તૈયાર થઇ જશે"

બીજા દિવસે ભાઈનો ફોન આવ્યો કે, "માલ લઇ જાઓ!" 

મેં કહ્યું: "મોકલી આપો, હું મજુરી વગેરે ચૂકવી આપીશ..." 

એમનો જવાબ: "અરે યાર... મારે રીક્ષા ગોતવા જવું પડશે..."

બહુ રકઝકના અંતે ભાઈ માન્યા. અર્ધો કલાક પછી મારા ઘેર એમની રીક્ષા આવી. મને કહે: "માલ ઉતારી લો!"

પચાસ-પચાસ કિલોના છ કોથળા ખભે નાખીને ઘરમાં લઉં તો મારે બીજા દિવસે હાડ વૈદ્ય પાસે જવું પડે. મેં કહ્યું કે, "મજુર પાસે લેવડાવી લો" 

તો ભાઈએ કહ્યું:"એ તો તમારે જ લેવા પડશે, મજુર લાવ્યો જ નથી!" 

મેં ના કહી તો ભાઈ કહે: "ઓર્ગેનિક ખાવું હોય તો એટલું તો કરવું જ પડે!"

એ ભાઈ મને ડબલ કરતા વધુ ભાવે ઘઉં વેંચી રહ્યા હતા અને એવી વાતો કરી રહ્યા હતા જાણે મને મફતમાં અનાજ વિતરણ કરી રહ્યા હોય. છેવટે મેં કહ્યું કે, "તમારે જાતે ઉપાડી મુકવા હોય તો મુકો. હું નહિ ઉપાડું. ના પોસાતું હોય તો ઘઉં પાછા લઇ જાઓ"

અંતે એ ભાઈએ કોથળા ઉપાડ્યા. 

ઓર્ગેનિક પ્રોડક્ટના નામે તગડા ભાવ વસુલાય છે. ઓ.કે. એ ચુકવવામાં પણ વાંધો નથી. કમ સે કમ સર્વિસ તો સારી આપો. પેકેજિંગ સારું કરો, વસ્તુ સાફ આપો. બે દિવસ પહેલા રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલા "વનગંગા" નામના ઓર્ગેનિક સ્ટોરમાં જવાનું બન્યું. હેમોગ્લોબિન વધારતા હાથલા થોરના સરબત (જેમાં મોટો ભાગ તો પાણી અને ખાંડનો હોય છે!) ની ૫૦૦ એમ.એલ. ની બોટલનો ભાવ હતો ૧૮૦=૦૦ રૂપિયા. આ બોટલમાંથી માંડ પંદર-વીસ ગ્લાસ સરબત થઇ શકે. હાથલા થોર આપણે ત્યાં ઠેર-ઠેર ઉગી નીકળે છે. એને કાપવાનું મુશ્કેલ હોય છે, ઉગાડવાનું નહિ. આ બોટલની પ્રોડક્શન કોસ્ટ પચ્ચીસ-ત્રીસથી વધારે ના હોય. નૈસર્ગિક ખાતરના નામે કસદાર માટી તેઓ ત્રીસની કિલો વેચતા હતા. બધી પ્રોડક્ટના ભાવ બજાર કરતા ક્યાંય ઊંચા. ફરી એક વખત કહું છું: "ઊંચા ભાવ આપવા સામે વાંધો નથી, વાંધો કંગાળ સર્વિસ સામે છે" 

મેં "વનગંગા"માંથી ઘણી વસ્તુ લીધી. પણ જ્યારે એ લઇ જવા બેગ માંગી તો ત્યાં હાજર બહેન કહે: "અમે બેગ નથી રાખતા!"

મેં કહ્યું "કેમ? મારે આ સામાન લઇ જવો કેવી રીતે?"

બહેન ઉવાચ: "પર્યાવરણને નુકસાન થાય છે પ્લાસ્ટિક બેગથી... એટલે!"

મેં કહ્યું: "બહેન, કપડાના મટીરિયલમાંથી સરસ બેગ બને છે, પાંચ રૂપિયામાં તૈયાર થાય છે. તમે જ્યારે પ્રીમિયમ ભાવે બધી પ્રોડક્ટ વેંચો છો, લોકો એકસાથે બસ્સો-પાંચસો-હજાર-બે હજારની વસ્તુ લે છે ત્યારે તમારી એટલી તો ફરજ છે ને કે તમારે એક સારી ઇકો-ફ્રેન્ડલી બેગ તેમને આપવી!"

બહેન એકદમ ખંધુ હસ્યા અને કહ્યું: "અમે તો નથી આપતા! હા વેચાતી લેવી હોય તો આ લટકે છે એ બેગ દસ રૂપિયાની એક આપીએ છીએ..."

બહેને મને જે બેગ દેખાડી તેમાં સાબુની બે ગોટી પણ માંડ આવે તેમ હતું. મેં ઘણી સલાહો આપી.... જવાબમાં તેઓ સતત ઈન્કારના મોડમાં અને મુડમાં હતા. તેમને મને એક સજેશન બોક્સ દેખાડ્યું અને કહ્યું કે મારે એમાં સુઝાવો લખી ને નાંખી દેવા. સવાલ એ છે કે, બહેન સામે ઉભા હોવા છતાં મારી વાત સાંભળવા તૈયાર નહોતા તો સજેશન બોક્સ શું ખોલવાના હતા!

ઓર્ગેનિક પ્રોડક્ટ વેંચતા લોકોના મને આવા અનેક અનુભવો છે. રાજકોટના નીતુબહેન અહીં "સત્યમ" નામનો ઓર્ગેનિક સ્ટોર ચલાવે છે.... એ એક જ અપવાદ મને લાગ્યો છે હજુ સુધી. મેં જ્યારે-જ્યારે એમની પાસેથી કોઈ પ્રોડક્ટ મંગાવી, એમને ઘેરબેઠા પહોંચાડી છે. બાકી, મોટા ભાગના લોકો એવું માને છે કે, ઓર્ગેનિક પ્રોડક્ટ વેંચતા હોઈએ એટલે સર્વિસ કે સુવિધાઓ આપવાની જરૂર જ નથી. ગાયનું દૂધ અને ઘી વેંચતા લોકોથી શરુ કરી બંસી ઘઉં વેંચતા લોકો એક પ્રકારના તોરમાં જોવા મળે છે, એમને હમેશા એક "કિક" રહેતી હોય છે. એમના આવા વલણના કારણે જ આવી પ્રોડક્ટનો વપરાશ ઓછો છે, તેનો પ્રચાર-પ્રસાર નહીવત છે.

Saturday, June 16, 2012

APJ Abdul Kalam


અબ્દુલ કલામ આપણાં અણુ બોમ્બના

પિતામહ પણ નથી અને તેઓ 

રાષ્ટ્રપતિ તરીકે પણ સાવ કંગાળ હતા!





ભારતીય અણુબોમ્બના જનક અબ્દુલ કલામ નથી! કલામ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે, અણુવિજ્ઞાની નહીં. અને ૧૯૯૯ના અણુ પરિક્ષણનું શ્રેય વૈજ્ઞાનિક ચિદમ્બરમને મળવું જોઇએ !


થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે, ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’


નજરે જોયેલી હકીકત છે: રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા તે સમયના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ આવવાના હતા. જ્યાં કાર્યક્રમ હતો એ સંસ્થા બાળકોને લગતી પ્રવૃત્તિ કરે છે। કલામ સાહેબ આવવાના હતા તેના બે મહિના પહેલા જ તૈયારીઓ શરુ થઇ ગઈ હતી. કાર્યક્રમ હતો બાળકો સાથેની પ્રશ્નોત્તરીનો. બે મહિના પહેલા જ  રાષ્ટ્રપતિ ભવને સંસ્થા પાસેથી બધા પ્રશ્નો મંગાવી લીધા. કલામ સાહેબને પસંદ ના હોય એવા પ્રશ્નો પર ચોકડી મારી અને જણાવી દેવાયું કે ક્યાં પ્રશ્નો પુછવા અને ક્યાં નહિ. સંસ્થાએ પછી એ પ્રશ્નોનું સિલેક્ટેડ બાળકો પાસર રિહર્સલ કરાવ્યું. અને રંગેચંગે આખો કાર્યક્રમ પત્યો. બાળકો સાથેના આ કહેવાતા સંવાદમાં ક્યાંય સંવાદ પણ નહોતો અને બાળકો પ્રત્યેનો પ્રેમ પણ નહોતો. બસ... આ જ કર્યું છે કલામ સાહેબે - જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા. એમના કાર્યકાળમાં એમણે ક્યારેય, કોઈ બાબતે એવું સ્ટેન્ડ નથી લીધું કે, જેનાથી એમના પદની કે એમની ગરિમા વધે. સરવાળે તેઓ તળિયા વગરના અને અત્યંત સામાન્ય કક્ષાના રાષ્ટ્રપતિ જ પુરવાર થયા હતા. આ વખતની રાષ્ટ્રપતિપદના ઈલેક્શનનું ભૂત ફરી ધૂની રહ્યું છે અને એમાં કલામ પણ રેસમાં છે ત્યારે એ જાની લેવાની જરૂર છે કે, તેઓ અગાઉ પણ ખોટા સિક્કા સાબિત થઇ ચુક્યા છે. મૂળ તો એમની ફરતે રચાયેલી આભા જ કૃત્રિમ છે અને તેમના વિષે એટલા બધા ભરમ ફેલાયેલા છે કે, પ્રજાને એમના તરફથી કૈંક વધુ પડતી અપેક્ષા જ જાગે છે. થોડા સમય પહેલા જાણીતા અંગ્રેજી સામાયિક "ધ વીક"એ કલામ વિશેના ઘણા ભ્રમ ભાંગ્યા હતા. અહીંયા જે માહિતી છે તે એમાં જ પ્રકાશિત થઇ ચુકી છે. રાજકારણના અને લઘુમતીવાદના નામે આ દેશમાં કંઇપણ થઇ શકે છે. કોઇ ઝીરો બની જાય છે તો કોઇ હિરો. આપણાં વૈજ્ઞાનિક (અને પછીથી રાષ્ટ્રપતિ બનેલા) એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ લઇ લો. છેલ્લા દસ વર્ષથી એમને ભારતમાં ‘ન્યુકિલયર મેન’ અથવા તો પરમાણુ બોમ્બના જનક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સત્ય એ છે કે ભારતીય પરમાણૂ બોમ્બના જનક તરીકે જેમને યશ મળવો જોઇએ એમને મળ્યો નથી!


વાત વિગતે જાણવી પડશે; વાસ્તવિકતા એ છે કે અબ્દુલ કલામ પાસે એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે અને તેમની સમગ્ર કારકીર્દિ દરમિયાન તેઓ રોકેટ એન્ડ મિસાઇલ સાયન્ટિસ્ટ રહ્યાં છે. એમણે કોઇ જ બોમ્બ બનાવ્યો નથી. એમણે માત્ર મિસાઇલ અને રોકેટ લોન્ચર બનાવ્યાં છે, જેનું કામ અણુબોમ્બના વાહનનું હોય છે. તો પછી અબ્દુલ કલામને અણુબોમ્બના જનક તરીકે ખપાવવાનું શા માટે શરૂ થયું, ક્યારથી અને કોણે શરૂ કર્યુ?


મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે,
 
રાજા રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે.
૧૯૯૭માં કલામને દેશનો સર્વોચ્ચ ખિતાબ ‘ભારત રત્ન’ અપાયો. તેઓ આ સન્માન મેળવનારા ભારતના માત્ર બીજા વૈજ્ઞાનિક હતા. તેમની પહેલા ભારતનાં એકમાત્ર વૈજ્ઞાનિકને ‘ભારત રત્ન’ મળ્યો હતો. એ હતા ડો. હોમી ભાભા. અને તેઓ અણુ વૈજ્ઞાનિક હતા! ભારતના અણુ કાર્યક્રમના તેઓ પિતામહ ગણાય છે. કલામને ‘ભારત રત્ન’ મળ્યો ત્યાં સુધીમાં તેઓ દેશમાં ઠીક ઠીક જાણીતા થઇ ગયા હતા કારણ કે એમના ‘અગ્ની’ અને ‘પૃથ્વી’ મિસાઇલના પરિક્ષણ સફળ રહ્યાં હતાં. જ્યારે આકાશ, ત્રિશૂલ અને નાગ જેવાં મિસાઇલો પર તેઓ કામ કરી રહ્યા હતાં. ડો. કલામ જેના અધ્યક્ષ હતા એ ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન’ (ડી.આર.ડી.ઓ.) એ સમયે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટથી લઇ મલ્ટિ બેરલ રોકેટ લોન્ચર જેવાં અનેક શસ્ત્રો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હતી. એક બ્રિલિયન્ટ એન્જિનિયર તરીકે તેઓ આ પ્રોેજેક્ટની આગેવાની કરી રહ્યાં હતાં. અગાઉ તેઓ સતિષ ધવનના નેતૃત્વ તળે ‘ઇસરો’ માટે સેટેલાઇટ લોન્ચીંગના વાહનો બનાવી ચૂક્યા હતાં. મિસાઇલ એન્જિનિયરીંગ અને રોકેટ એન્જિનિયરીંગ એકબીજાને ખાસ્સી હદે મળતા આવે છે. પરંતુ અણુ વિજ્ઞાન સંપૂર્ણપણે અલગ બાબત છે. એક મિસાઇલ મેન તરીકે અણુ વિજ્ઞાનને લગતા આપણાં પ્રોજેક્ટમાં એમણે ભાગ્યે જ કશુંક કરવાનું રહેતું હતું. તેમનું કામ રોકેટનું અને મિસાઇલનું હતું, અણુ બોમ્બ બનાવવાનું નહીં.


વાત બહુ સ્પષ્ટ છેઃ જે લોકો એકિટવા ચલાવતા હોય તેને કાઇનેટીક હોન્ડા તો આવડે પણ ટ્રેકટર ચલાવવાનું એ સાવ અલગ જ બાબત છે. હજુ સુધી ભારતમાં બે જ વૈજ્ઞાનિક એવા થયા છે જે એકિટવા અને ટ્રેકટર બંને સાથે ચલાવી શકતા હતા! અર્થાત્ તેઓ અણુવિજ્ઞાન અને સ્પેસ ડિપાર્ટમેન્ટ એમ બેઉ મોરચે સક્રિય હતા. એક હતા વિક્રમ સારાભાઇ અને બીજા રાજા રામન્ના. આમાંથી રામન્ના તો એટોમિક એનર્જી કમિશન અને ડી.આર.ડી.ઓ. એ બેઉના અધ્યક્ષ હતા. ૧૯૭૪માં આપણે કરેલા અણુ પરિક્ષણ પાછળ પણ મુખ્ય દિમાગ રામન્નાનું હતું. સામાન્ય પ્રજા માટે રોકેટ સાયન્સ અને બોમ્બ વગેરે બધું એક જ છે. એમને ખ્યાલ નથી હોતો કે આ બધી બાબતો એકમેકથી તદ્દન ભિન્ન છે. મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે. ૧૯૭૪ના પરિક્ષણનો મોટાભાગનો યશ રામન્નાને જાય છે. જ્યારે એ પ્રોજેક્ટના સેકન્ડ લીડ રોલમાં આર. ચિદમ્બરમ્ હતા. ચિદમ્બરમે ૭૪નાં પરિક્ષણમાં ફિઝીક્સ વિભાગ સંભાળ્યો હતો.


હવે, વાત આવે છે ૧૯૯૯નાં અણુ પરિક્ષણની. આ પરિક્ષણ માટે ક્રેડિટ આપવામાં આવે છે કલામને. પરંતુ તથ્ય એ છે કે એ બોમ્બ એટોમિક એનર્જી કમિશનના તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો અને તેમને સાથ મળ્યો હતો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના અનિલ કાકોડકરનો.


ઘણાં લોકોને પ્રશ્ન થશે કે તો પછી કલામની ભૂમિકા શી હતી? વેલ, જે બોમ્બ ચિદમ્બરમે અને કાકોડકરએ વિકસાવ્યો હતો તેના પરિક્ષણ માટે રચાયેલી સમિતિમાં કલામ એક સભ્ય હતાં! અને ચિદમ્બરમ્કાકોડકરએ વિકસાવેલો બોમ્બ પછી કલામે ડેવલપ કરેલા મિસાઇલમાં ફીટ થવાનો હતો. કલામએ પોતે ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેઓ ભારતીય અણુબોમ્બના જનક છે. પણ એ વાત વહેતી મુકનાર છેઃ મુલાયમ સિંહ યાદવ. થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’


તથ્ય એ છે કે, 1999નો બોમ્બ એટોમિક એનર્જી કમિશનના
તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો 
મુલાયમે આવું નિવેદન કરી એક કાંકરે અનેક પક્ષી હણ્યાં હતાં. એક તો ભારત રત્ન મળવાને લીધે કલામ આખા દેશમાં જાણીતામાનીતા બન્યા હતા. બીજું, પોતાની આદત મુજબ તેમણે અહીં પણ લઘુમતી કાર્ડ ખેલ્યું હતું. કલામ જેવા માનનીય વૈજ્ઞાનિકના નામ સામે ભાજપ એમ કહે કે, ‘ના. આ તો અમારૂં સાહસ હતું’ તો દેશભરના સેક્યુલરિસ્ટો ભાજપને ધોઇ નાંખે અને મામલો એટલો ચગે કે હાથમાં જ ન રહે. અગાઉ મુલાયમ જ્યારે સંરક્ષણ મંત્રી હતા (૧૯૯૭) ત્યારે તેમણે કલામનું નામ ‘ભારત રત્ન’ માટે સૂચવ્યું હતું. આ વખતે પણ મુલાયમે કાઢેલા બેન્ડવાજામાં નાયડુ અને તેમનાં જેવા અનેક તકસાધુઓ જોડાઇ ગયા. થોડા સમયમાં જ ચંદ્રાબાબુએ રાષ્ટ્રપતિપદ માટે કલામનું નામ સૂચવ્યું. ટૂંકમાં કહીએ તો દેશના ગંદા રાજકારણે કલામને અણુ બોમ્બના જનક પણ બનાવી દીધા અને રાષ્ટ્રપતિ પણ. લોકોને હતું કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ સારૂં કામ કરશે પરંતુ એમાં પણ તેમણે બાળકોને મળીને પ્રશ્નો (અને એ પણ અગાઉથી એપ્રુવ્ડ કરેલા હોય તેવાં જ. અણધાર્યા નહીં!) ના જવાબ આપવા સિવાય ભાગ્યે જ કશુંક કર્યુ. એક રોકેટ અને મિસાઇલ સાયન્ટિસ્ટ તરીકે એમની સિદ્ધિઓ વિશે શંકા નથી પરંતુ એનો અર્થ એ નથી કે બીજાની સિદ્ધિઓ પણ એમના નામે ચડાવી દેવી અને અન્યોના હિસ્સાના માનસન્માન પણ એમને આપી દેવા.


*  "અકિલા'માં પ્રકાશિત 

Wednesday, May 30, 2012

IPS Officer Subhash Trivedi

પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીઃ 
ફિલ્મોમાં જ જોવા મળે એવા રિયલ લાઈફ હિરો !

IPS Officer Subhash Trivedi
 ભાઈ જય વસાવડાએ ફેસબુક પર આઈ.પી.એસ. અધિકારી સુભાષ ત્રિવેદી વિષે જે લખ્યું છે તે જ વાત સૌપ્રથમ એમના સૌજન્ય સાથે મુકું છું. એમની વાત નીચે મુજબ છે: 
==================
"મેં મારી જિંદગીમાં નજીકના ઘરોબાથી જોયેલા ઉમદા પોલિસ અફસરોમાં નખશિખ સિધ્ધાંતનિષ્ઠ, જાંબાઝ, પ્રામાણિક અને મોરલી અપરાઇટ એવા બહાદુર અને કોઈ સાહિત્યના પ્રોફેસરને પણ ઝાંખા પાડે એવા ઉમદા વાચકમાં ડી.એસ.પી. સુભાષ ત્રિવેદીનું નામ જૂજ નામોમાં ય ટોચ પર આવે. જે જે શહેરમાં ગયા છે , ત્યાં એમણે પોતાની છાપ છોડી છે અને ભલભલા પડકારો સામી છાતીએ કોઈ વધારાના વળતર વિના આમજનતાના હિત ખાતર ઝીલ્યા છે. બૂટલેગર કક્ષાના મવાલીઓ પર ત્રાટકી કોલેજીયન યુવક-યુવતીઓને બેસવા દે એવા આધુનિક મિજાજના અણમોલ જણસ જેવા અફસર છે. હાઈ કોર્ટે સામાન્ય ગુનેગારના 'કસ્ટોડીયલ ટોર્ચર' માટે એમની બદલી કરવાનો અપમાનજનક હુકમ આપ્યો છે ! આમાં ગુજરાતભરના ગામના ઉતાર જેવા રખડુઓ અને લુખ્ખેશોને તો મોજ જ પડી જાય ને ! જજસાહેબોઆટલી હદે માનવતાવાદી હોય તો એમણે પોતે જ વી.વી.આઈ.પી. ટ્રીટમેન્ટથી ગાદી, ગાડી અને ગાર્ડ્સ વિના રહી ગુનેગારોની વિરુદ્ધ જલદ ચુકાદા આપવા જોઈએ. લુખ્ખામવાલી ઓ એક તો ગામના બાપ જેવો ઠાઠ રાખી ત્રાસ વર્તાવતા હોય છે, એ શું વિશ્વશાંતિની કવિતા સમજવાના છે? આવા બે બદામના ટુણીયાટોને શું પોલિસ કસ્ટડીમાં લઇ ભાઈબાપા કરી ઠંડું પીવડાવી પગચંપી કરી ને વિગતો આપવા કે અપરાધ ના કરવાણી અપીલ કરે? 'સિંઘમ' ફિલ્મ જોઈને મેં લખેલું કે જો પ્રજા એક બનીને બહાર આવે તો જ આ દેશમાં સાચા અને કાર્યદક્ષ અધિકારીને બળ મળે. પબ્લિક તમાશો જોતી ચુપ બેસે છે. ગંગાજલ ફિલ્મમાં અજય દેવગન એક કટાક્ષભર્યો ડાયલોગ બોલે છે : અગર ઐસા ચલા તો પુલીસ કા ભી લોગો પર સે ભરોસા ઉઠ જાયેગા!" 
===============================


વાત બહુ નાની હતી: જામનગરના એક રીઢા બુટલેગરે એવી ફરિયાદ કરી કે, કસ્ટડીમાં તેને જામનગરના જિલ્લા પોલીસ વડા સુભાષ ત્રિવેદીએ તેને ઢોરમાર માર્યો છે. ગુજરાત હાઈકોર્ટએ આવા બુટલેગરની વાત માની, ઉજળો ટ્રેક રેકોર્ડ ધરાવતા ત્રિવેદી સાહેબને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો! (કદાચ) થોડી સમજાવટ પછી પેલા  ભાઈએ કેઈસ પાછો ખેંચવાની અરજી કરી. સામાન્ય રીતે આવા સંજોગોમાં જજ સાહેબો ઝાઝો ચંચુપાત કરતા હોતા નથી. પરંતુ અહીં અદાલતે  થોડું વિચિત્ર સ્ટેન્ડ લઇ કહ્યું કે, "ફરિયાદી પર દબાણ આવ્યું હોય એવું પ્રતીત થાય છે. અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરો જ !" વાત સમજાય નહિ એવી છે. એક ખાઈબદેલા ક્રિમિનલને વાજબી રીતે જ સબોડવા બદલ કોર્ટ જો આવું સ્ટેન્ડ લેતી હોય તો આવી સ્થિતિમાં પોલીસના મનોબળનું શું? આમ પણ ગુજરાત પોલીસનું મનોબળ અત્યારે માનવાધિકારવાદીઓના કારણે તળિયે છે. કોઈ એક અધિકારી જ્યારે પુરા જોશ અને હૃદયથી સમાજની ગુનાખોરી ડામવા કામ કરે છે ત્યારે તેની પિઠ થાબડવાને  બદલે તેને ડામ અપાય છે. એક સામાન્ય નાગરિક તરીકે આપણને ઘણાં સવાલો થાય છે. રાત-દિવસ ખોટા કામમાં રચ્યા-પચ્યા રહેતા અનેક વકીલો આપણે  જોયા છે. શું કોર્ટ તેમની વિરુદ્ધ આવું સ્ટેન્ડ ક્યારેય લઇ શકશે? ન્યાયતંત્ર અને ન્યાયાધિશોના  ભ્રષ્ટાચાર  પર "આરપાર" મેગેઝિનમાં શ્રેણીબદ્ધ લેખો છપાઈ ચુક્યા છે. આવી નક્કર હકીકતો બાબતે જજ સાહેબોએ શું કર્યું? આવા અનેક સવાલો અહીં હું ઉઠાવતો રહીશ. પરંતુ આ પ્રસંગે મને એક લેખ યાદ આવે છે - જે સુભાષ ત્રિવેદી પર મેં લખ્યો હતો. વર્ષો પહેલા લખાયેલાં આ લેખમાં એમની ઘણી સિધ્ધિઓનો ઉલ્લેખ નથી થઇ શક્યો. આ લેખ લખાયા પછી પણ તેમણે અગણિત કાર્યો કર્યા છે. આ લેખ થકી સુભાષ ત્રિવેદીના વ્યક્તિત્વનો અને એમની વર્કિંગ સ્ટાઈલનો થોડો ખ્યાલ તમને ચોક્કસ આવશે... 



સુભાષ ત્રિવેદીની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠતમ અને સૌથી પ્રામાણિક પોલીસ અધિકારીમાં થાય છે. તેઓ સરકારી મશીનરીનો ન્યુનતમ ઉપયોગ કરે છે. એમણે ભલભલા ગુનેગારોને સીધાદોર કર્યા છે. અને અનેક જટિલ કેઈસ ઉકેલી બતાવ્યા છે.

શું કોઈ પોલીસ અધિકારીની  પ્રતિષ્ઠા એમની ગુનેગારોમાં ધાક એટલી હદે હોઈ શકે કે સાવ મામુલી કેસથી લઈ કોઈ ગંભીર ગુનાઓમાં પણ તેમને લાંચ માટે ઓફર સુધ્ધાં ન થાય ? ગુજરાતમાં આવા અધિકારીઓ માત્ર એક આંગળીના વેઢે ગણી શકાય એટલાં છે અને એમાનાં સૌથી સખ્ત કાર્યક્ષમ અને શિસ્તપ્રિય  આઈ.પી.એસ. અધિકારી એટલે સુભાષ ત્રિવેદી.

ગુજરાતમાં શ્રેષ્ઠતમ આઈ.પી.એસ. અધિકારીઓ વિશે જ્યારે પણ જાણકારોમાં ચર્ચા થાય ત્યારે સુભાષ ત્રિવેદીને અચુક યાદ કરાય છે. અત્યારે તેઓ અમદાવાદમાં ‘ઝોન૬’નાં ડી.સી.પી. છે.  આ વિસ્તાર મુખ્યમંત્રીનાં મત વિસ્તારમાં આવે છે અને આવી મહત્વપૂર્ણ જગ્યા પર એમનું હોવું એ જ એમની કાર્યક્ષમતાનો પુરાવો ગણાય. જો કે એમની કાર્યદક્ષતા કોઈપણ પોસ્ટીંગને મોહતાજ નથી. તેઓ જ્યાં ગયા જયાં મુકાયા ત્યાં તેમણે ઉત્તમ કામગીરી દેખાડી છે. એટલે જ આજે સૌથી જટીલ કહેવાય તેવા કેઈસમાં તેમની મદદ અવશ્ય લેવાય છે. 

સુભાષ ત્રિવેદીની આખી કેરિયર જ આમ તો ઉદાહરણરૂપ છે. પરંતુ એમની કારકિર્દીનાં કેટલાંક મહત્વપૂર્ણ કેઈસ પર નજર કરીએ તો તેમની ક્ષમતાનો વધુ ખ્યાલ આવે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા પછી એમનું ઊંથમ પોસ્ટીંગ રાજકોટમાં એન્ટી કરપ્શનનાં ડી.વાય.એસ.પી. તરીકે થયું અને એમની શાનદાર ઈનીંગનો જાણે સીકસર સાથે  પ્રારંભ  થયો. એમણે એ પોસ્ટીંગ દરમિયાન વિક્રમજનક કેઈસ કર્યા. રાજકોટ સાથે એમને કોઈ ખાસ લેણું (અથવા દેવું!) હોય એવું લાગે છે. કારણ કે તેઓ જ્યારે જ્યારે રાજકોટમાં મુકાયા કશુંક ખાસ બન્યું જ છે. રાજકોટમાં તેઓ ડી.વાય.એસ.પી. હતા એ સમયે એક વિશિષ્ટ બનાવ બન્યો હતો. કલ્પક મણિયારે એ સમયે (૧૯૯૪) કોઈ ફેશન શોનું આયોજન કર્યું હતું જેમાં રાહુલ રોય પણ આવવાનો હતો. શો માટેની વ્યવસ્થા વિશે વાત કરવા કલ્પક મણિયાર પોલીસ કચેરીએ આવ્યા અને તેમણે સુભાષ ત્રિવેદીની હાજરીમાં પોલીસ અધિકારી અરૂણ શર્મા સાથે ઉધતાઈથી વાત કરી. સુભાષ ત્રિવેદીએ પછી મણિયારને એવો પાઠ ભણાવ્યો કે એમને હંમેશા યાદ રહે. રાજકોટનાં સસ્પેન્ડેડ પોલીસમેન અને રીંગ ક્રિમિનલ મહેન્દ્ર પરબતસિંહ ઝાલાની પણ તેમણે આવા જ કારણસર જાહેરમાં સરભરા કરી હતી. ભાસ્કર/પરેશ અપહરણના કેઈસમાં એમને ખાસ જવાબદારી સોંપાઈ અને તેમણે રાજશી મેરનું એન્કાઉન્ટર કરી પરેશ શાહને છોડાવ્યો.

ભાવનગરમાં સુભાષ ત્રિવેદી ફરજ બજાવતા હતા ત્યારે ત્યાં રૂ૫યા ૫૬ લાખનાં હિરાની લૂંટ થઈ હતી અને હિરાનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો. પણ તેઓ છેક મધ્ય પ્રદેશથી લૂંટના આરોપીઓને પકડી લાવ્યા અને સાથે કિંમતી હિરા પણ. વેપારીને તેનાં હિરા પરત મળ્યા. એ સમયનાં ભાવનગર ડી.એસ.પી. કેશવકુમારે આ લૂંટનો કેસ ઉકેલાયા પછી કહ્યું હતું કે: ‘‘હું તો  પ્રકાશ મહેરા છું અમિતાભ બચ્ચન તો સુભાષ ત્રિવેદી જ છે.’’

તેઓ ખરેખર રિયલ લાઈફ હિરો છે. પણ તકલીફ એ છે કે એમનાં જેવા પાત્રો મોટા ભાગે ફિલ્મોમાં જ જોવા મળતા હોય છે. સામે છપ્પ્નભોગનો શણગાર લાગ્યો હોય ત્યારે ઉપવાસ કરવાનું આસાન હોતું નથી. આવી સ્થિતિમાં ભલભલાના વ્રત ભાંગી જતા હોય છે. આઈ.પી.એસ. થયા પછી પણ જળકમળવત રહી શકે એવી વ્યક્તિ કોઈ સંત કરતાં કમ નથી. આ કાદવ એવો છે કે તેનો રંગ લાગ્યા વગર રહેતો નથી. કેટલાંક અધિકારીઓ અડગ વૃક્ષની જેમ અડિખમ રહેવા  પ્રયત્ન કરે છે પણ નાણાંના વાવાઝોડામાં કેટરીના કે રીટા કરતાં વધુ તાકાત હોય છે. અને એ ઘણાંખરાં લોકોને મુળ સહિત ઉખાડી નાંખે છે. આપણે સૌ આઈ.પી.એસ. અધિકારીઓનો આદર કરીએ છીએ. પણ હકિકત એ છે કે તેમાનાં કેટલાંય કરતાં તો આપણા શાકભાજીવાળાની કે આપણાં ઘરની કામવાળીની નીતિમત્તા ઉંચી હોય છે. અહીં વાત ફક્ત કટાક્ષ કરવાની નથી ગંભીરતાથી ચિંતન કરવાની છે. અધિકારી જો નીતિમતાનું ધોરણ જાળવી રાખે તો રાજકારણીઓ તેમનું કશું જ બગાડી શકતા નથી. સમાજની દર્દશા માટે આપણે ત્યાં વારંવાર રાજકારણીઓને દોષિત ઠેરવવામાં આવે છે, વાસ્તવમાં આવા અપમાન પર અધિકારીઓનો પણ એટલો જ હક્ક છે. ઘણી વખત તો એવું બને છે કે મામુલી ગુનેગારને સખ્ત માર મારતા અધિકારીની સરખામણીએ ક્યારેક પેલો ગુનેગાર વધુ નિર્દોષ હોય છે.


બ્યુરોક્રસી પાસે  પ્રચંડ તાકાત હોય છે પરંતુ તેનાં સદુપયોગનાં બદલે દુરૂપયોગ વધુ થતો હોય છે. વ્યક્તિની ખરી કસોટી આવું પદ મળે ત્યારે જ થતી હોય છે. આપણે જાણીએ છીએ તેમ સુશિક્ષિત ભ્રષ્ટાચારી ખરેખર અભણ ક્રિમિનલ કરતાં વધુ જોખમી હોય છે. એટલે જ એક અંગ્રજ ફિલસુફે કહ્યું હતું કે બ્યુરોક્રસીનો આપણાં પર સૌથી મોટો ઉપકાર એ છે કે તેઓ કાર્યદક્ષ નથી. જો તેઓ કાર્યક્ષમ હોય તો આપણી હાલત વધુ ખરાબ હોત કારણ કે પોતાની તમામ શક્તિ કઈ દિશામાં ખર્ચ કરે છે એ સૌ જાણે છે. સુભાષ ત્રિવેદી  કહે છે: ‘‘જીવનની સાચી સમજ મેળવવી બહુ જરૂરી હોય છે, સુખ કયાંથી મળશે એ તમારે જ નક્કી કરવું પડે. ઘણાં લોકો ફક્ત દુન્યવી વાતોમાંથી સુખ શોધવાનો ઊંયત્ન કરતા હોય છે. સુખની વ્યાખ્યા તેનાં કરતાં કયાંય વિશાળ છે, વ્યાપક છે.’’ 

કેટલાંક અધિકારીઓ આપણે એવા પણ જોઈએ છીએ જે કેરિયરની શરૂઆતમાં તો બહુ કડક હોય છે પરંતુ પછી તે ટોળામાં ભળી જાય છે. કોલસાની ખાણ મહીં ઘુસી પછી તમારા શ્વેત વસ્ત્રોને સદૈવ ઉજળા રાખવાનું કઠીન છે. આઈ.પી.એસ. અધિકારી થઈને પણ મંત્રીશ્રીની કારનો દરવાજો તમે વગર કહ્યે ખોલી આપતા હોય તો સમજી લેવું કે તમારી લાયકાત ખરેખર એ જ છે. સુભાષ ત્રિવેદી બહુ અર્થસભર વાત કરે છે, ‘‘ઈમાનદારી મારી દ્રષ્ટિએ મોટામાં મોટું હથિયાર છે. બેઈમાન લોકો પોતાનો ડર દૂર કરવા માટે ભ્રષ્ટાચાર કર્યા રાખે છે. ઈમાનદારીમાં જબરદસ્ત તાકાત છે. જે વ્યક્તિ તમને ધિક્કારતી હોય એ પણ તમે જો ઈમાનદાર હોય તો ભીતરથી તમારો આદર કરે છે. કેટલાંય ધનકુબેરો આવીને જતા રહ્યાં પરંતુ ગાંધીજી હજુ ભુલાયા નથી, તેઓ શાશ્વત છે. હું માનું છું કે જે લોકો કુમાર્ગે હોય છે, તેમને તેમની એ બેઈમાની રોજ રાત્રે ખટક્યા કરતી હોય છે.

આઈ.પી.એસ. અધિકારીનાં સંતાનો અને પરિવારો મોટાભાગે સરકારી મશીનરીનો અંગત ઉપયોગ કરતા અચકાતા નથી. તેમને તેઓ પોતાનો અધિકાર જ સમજે છે ! પણ સુભાષ ત્રિવેદી એવા અધિકારી છે જેમનો પરિવાર સરકારી ફોનનાં ઉપયોગમાં પણ પુરેપુરો સંયમ જાળવે છે. તેમનાં પત્ની બસમાં મુસાફરી કરી શકે છે, કરે છે. તબીબી ચેકઅપ માટે પતિપત્ની સાથે ભાવનગરથી રાજકોટ બસમાં આવી શકે છે. સરકારી ગાડીનો ઉપયોગ તેઓ કરે તો કોઈ પુછનાર પણ ન હોય પરંતુ  પ્રમાણિકતા જેમના ડી.એન.એ.માં હોય તેમનાં  માટે એ શક્ય નથી. કારણ કે તેમને ભીતર બેઠા કોઈ ઊંશ્નો કરતું હોય છે. કોઈનું ચારિત્ર્ય જયારે આટલી હદે સુદ્રઢ હોય, નિષ્કલંક હોય ત્યારે તેમને લાંચની ઓફર પણ ન થાય એ સ્વાભાવિક ગણાય. સુભાષ ત્રિવેદી બહુ મહત્વપૂર્ણ મુદ્દા વિશે ચર્ચા કરે છે, ‘‘એક વ્યક્તિની જ્યારે  પ્રતિષ્ઠા જ આવી થઈ જાય ત્યારે લોકો તેને આ  પ્રકારની ઓફર કરતા જ નથી. મારી કેરિયરમાં મે અનુભવ્યું છે કે જો તમે મક્કમ હોય તો રાજકીય દબાણ જેવું કશું જ હોતું નથી. બસ તમે બદલી માટે તૈયાર હોય તો કોળ તમારું કશું જ બગાડી શકતું નથી.’’

જીવન  પ્રત્યેની તેમની સાચી દ્રષ્ટિ માટે સાહિત્ય અને વાચન જવાબદાર હોવાનું સુભાષ ત્રિવેદી સ્વીકારે છે. વાચનનું તેમને બંધાણ છે. ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશીની ગધપદ્ય રચનાઓ ગમે, બક્ષી, ભગવતીકુમાર શર્મા, મુધરાયનાં લેખો પણ પસંદ. તળપદી શૈલીમાં લખાયેલા રાવજી પટેલનાં કાવ્યો એમનાં ફેવરીટ છે. વિદેશી સર્જકોમાં આલ્બેર કામુનું સાહિત્ય તેમને ગમે. ઙ્ગષિકેશ મુખર્જી શૈલીની હળવી ફિલ્મોનાં અને જાસુસી પરથી બનેલી અંગ્રોજી ફિલ્મો જોવાનાં તેઓ  પ્રથમથી શોખીન છે. ફિલ્મો વિશે વાત કરીએ ત્યારે આજે પણ તેમને સૌ પ્રથમ ગુલઝારી ‘ઈજાઝત’ જ યાદ આવે. 

ખુરસી પર બેસ્યા પછી નખશિખ પોલીસ અધિકારી બની જતા સુભાષ ત્રિવેદીને એવા તમામ શોખ છે જે એક સંવેદનશિલ વ્યક્તિને હોય. આશિત દેશાઈ અને પુરૂષોત્તમ ઉપાધ્યાયથી શરૂ કરી જગજીતસિંહ, ગુલામ અલી, મેહદી હસન સુધીના લોકોની ગઝલો એમને શાતા આપે છે. ક્રિકેટ માત્ર જોવું જ ગમે છે એવું નથી તેઓ સારું રમે પણ છે. મુળ ભાવનગરનાં રૂઝકાના વતની સુભાષ ત્રિવેદીએ પોતાની કેરીયર શાળાનાં શિક્ષક તરીકે શરૂ કરી હતી. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ જોડાવા પરીક્ષા આપી અને નોકરી મળ્યાં પછી આઈ.પી.એસ. થયા. ગોધરાથી લઈ ખંભાળીયા, રાજકોટ અને કચ્છમાં જયાં તેઓ મુકાયા ત્યાં તેમણે ઉત્તમોત્તમ કામગીરી કરી. અટલે જ ગુજરાતનાં પોલીસ ખાતામાં આજે તેમને સૌથી વધુ માનપૂર્વક જોવામાં આવે છે.

Wednesday, April 18, 2012

ઉનાળાની અસલી ઠંડક!: દેહને દાહ આપશો નહિ!


               
ચાર-પાંચ ચમચી વરીયાળી લો, તેટલા જ ભાગે મગજતરીના બી લેવાના, તેમાં એક ચમચી ખસખસ નાખો, એક ચમચી એલચી, એક ચમચી કાળા આખા મરી. હવે તેમાં બારપંદર બદામ અને તેટલા જ પ્રમાણમાં અખરોટ તથા કાજુ ઉમેરો. આ બધી જ સામગ્રીને મિક્ષ્ચરમાં ક્રશ કરી એક તરફ મુકી દો. એક તપેલીમાં પાંચસો ગ્રામ સાકર અને અઢી-ત્રણગણું પાણી નાંખી ચાસણી તૈયાર કરો. મિશ્રણ થોડુ ઉકળે અને ચાસણી બે તાળવાળી થાય એટલે તેમાં વરીયાળી, એલચી વગેરે ક્રશ કરીને તૈયાર કરેલી સામગ્રી ઉમેરી દો. થોડુ ઉકળવા દો. ગેસ બંધ કરી દો. ઠંડુ થાય એટલે આ સિરપ બોટલમાં ભરી દો. ઉનાળાની બપોરે કે સાંજે અથવા તો રાત્રે જરૂર પુરતુ એક ગ્લાસમાં સિરપ લઇ તેમાં દુધ અથવા પાણી મિક્સ કરી પીઓ... આ છે સાચી ઠંડક. 


બોટલવાળા સોફ્ટડ્રીંક્સના આ જમાનામાં દરરોજ તમારી સાથે છેતરપીંડી થાય છે. ‘ઠંડક... ઠંડક’ અને ઠંડાપીણાના નામે મલ્ટીનેશનલ કંપનીઓ જે પીણાંઓ તમને ધાબડે છે તે વાસ્તવમાં શરીરને દાહ કરનારા છે, કાયાને બાળનારા છે. કોઇ એ વાતનો જવાબ આપો કે, પેપ્સી કે કોકાકોલા જેવા પીણાંઓને ઠંડાપીણા કેવી રીતે કહી શકાય. ફ્રિઝમાં રાખવાથી તો દારૂ પણ ઠંડો બની જાય છે, તો શું તેને ઠંડુ પીણું કહેશો. ઠંડા પીણાં તેને કહેવાય જેની પ્રકૃત્તિમાં ઠંડક હોય. જે શરીરના દાહને ઠંડો કરે, શરીરમાંથી પીતનું પ્રમાણ ઘટાડે અને શિતળતા આપે. આજે ઠંડા પીણાના નામે શરીર દઝાડતા પીણાઓનો ખેલ ચાલે છે. અને આપણાં પરંપરાગત, સ્વાસ્થ્યપ્રદ પીણાઓ લોકો ભૂલતા જાય છે.


બજારમાં જ્યારે સો રૂપિયામાં
ચાર કિલો મોસંબી મળતી હોય,
વીસના કિલો ચીકુ મળતા હોય,
દસનું કિલો તડબુચ મળે,
પંદરનું કિલો પપૈયુ મળે અને
દસના કિલો આમળા મળતા
હોય તેવા સંજોગોમાં અને એવા
દેશમાં જે લોકો કેન અથવા ટેટ્રાપેકનો
છઆઠ મહિના જુનો જ્યુસ પીવે છે તે
વ્યકિત ભોળી નહિ, મુર્ખ પણ છે.
નકલી ફ્રુટ જ્યુસ અને ઠાલા કેમિકલથી બનેલા સોફ્ટડ્રીંક્સનું બજાર ગરમ છે. મોટીમોટી કંપનીઓ દાવા કરે છે કે, તેમનો ફ્રુટ જ્યુસ સો ટકા કેમિકલરહીત છે. પરંતુ, તેનું ટેટ્રાપેક ઉઠાવીને ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે, તેમાં દસવીસ કે પચ્ચીસ ટકાથી વધારે ફ્રુટ જ્યુસ હોતો નથી. એક લીટરમાં વીસ ટકા ફ્રુટ જ્યુસ હોય તો તેનો અર્થ એ થયો કે, એક પેકમાં લગભગ ૨૦૦ એમ.એલ. એટલે કે એક નાનો ગ્લાસ ફ્રુટ જ્યુસ હોય છે. સામાન્ય રીતે સો-દોઢસો રૂપિયામાં લીટર લેખે વેચાતા આવા ટેટ્રાપેકમાં આપણે કેટલા છેતરાયા છીએ તેની ગણતરી માંડવા જેવી છે. હરખાઇને તમે જે એક લીટરનું પેક સો રૂપિયામાં ખરીદો છો, તેમાં માત્ર એક ગ્લાસ ફ્રુટ જ્યુસ હોય છે, બાકીનું પાણી. બીજો મુદ્દો એ છે કે, તેમાં પ્રિઝરવેટિવ પણ નાંખવા જ પડે છે. બજારમાં જ્યારે સો રૂપિયામાં ચાર કિલો મોસંબી મળતી હોય, વીસના કિલો ચીકુ મળતા હોય, દસનું કિલો તડબુચ મળે, પંદરનું કિલો પપૈયુ મળે અને દસના કિલો આમળા મળતા હોય તેવા સંજોગોમાં અને એવા દેશમાં જે લોકો કેન અથવા ટેટ્રાપેકનો છઆઠ મહિના જુનો જ્યુસ પીવે છે તે વ્યકિત ભોળી નહિ, મુર્ખ પણ છે.


મેડીકલ શોધનું વિશ્વવિખ્યાત મેગેઝીન ‘સરક્યુલેશન’ તેના તાજા અંકમાં કહે છે કે, જે લોકો રોજ એક સોફ્ટડ્રીંક્સ પીવે છે તેવા લોકોમાં હૃદયરોગની શક્યતા ૨૦ ટકા વધી જાય છે. બાવીસ વર્ષ સુધી લગભગ ૪૨ હજાર જેટલા લોકો પર થયેલા સંશોધનનું આ સત્ય છે. હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા થયેલા આ રીસર્ચમાં સાબિત થયું છે કે, આ સોફ્ટડ્રીંક્સમાં તેવું તત્ત્વ હોય છે, જેના કારણે ધમનીઓમાં ચરબી જામવાની પ્રક્રિયા તેજ થઇ જાય છે. કોલેસ્ટ્રોલ, લાઇપ્રોપોટીનએ અને લેપ્ટીન જેવા તત્ત્વોની માત્રા તેના કારણે વધતી ચાલે છે અને ધમનીઓ સંકોચાતી જાય છે. આ તો થઇ એક રીસર્ચની વાત. વાસ્તવિકતા એ છે કે, સમજુ લોકોએ તાત્કાલિક આવા પીણાઓની બાધા લેવી જોઇએ. હકીકત એ પણ છે કે, બજારમાં મળતા સોફ્ટડ્રીંક્સની નિરર્થકતા જાણવા માટે આવા કોઇ રીસર્ચ કે સર્વેની જરૂર પણ નથી. આપણને ખ્યાલ જ છે કે, સોફ્ટડ્રીંક્સમાં કોઇ જ પ્રકારનો ફ્રુટ જ્યુસ આવતો નથી અને ફ્રુટ જ્યુસના ટેટ્રાપેકમાં આપણને રીતસર ઉલ્લુ બનાવવામાં આવે છે. આપણી પાસે વિકલ્પો ઓછા નથી. લેખની શરૂઆતમાં આપેલી ઠંડાઇની પદ્ધતિથી જો એ બનાવીને આખો ઉનાળો તેનું સેવન કર્યુ હોય તો, શરીર ખીલી ઉઠે. સડેલા બોટલ્ડ સોફ્ટડ્રીંક્સની સરખામણીએ પાંચદસ રૂપિયામાં મળતો શેરડીનો રસ શું ખોટો છે.  શેરડીના રસની ઠંડક સામે  પેપ્સી, મિરીન્ડા કે ફેન્ટાની શી વિસાત.


આ એક અજીબોગરીબ દેશ છે. અહીંયા ભાગ્યે જ કશુંક શુદ્ધ મળતું હોય છે અને જ્યારે એ હાથવગુ હોય ત્યારે લોકો શુદ્ધને બદલે સડેલુ તથા વાસી શોધવા  નીકળે છે. પ્લાન્ટમાં હેતકના કેમિકલની મદદથી બનતા ભુંડા ભુખ જેવા સોફ્ટડ્રીંક્સ મધુરા લાગે છે, પરંતુ કુદરતના મહાન પ્લાન્ટમાં બનતા લીંબુના સરબત આપણને કડવા લાગે છે. ઘેર પાંચ રૂપિયામાં  ૩૦૦ એમ.એલ. તડબુચ જ્યુસ બની શકે છે. પરંતુ  આપણે બાર રૂપિયામાં મળતા નક્કામા બોટલ્ડ ડ્રીંક્સ પાછળ ઘેલા થઇ જઇએ છીએ. તાજી ઠંડી છાસનો ગ્લાસ ઘરમાં બેત્રણ રૂપિયાથી વધારેમાં પડતો નથી, પણ આપણી ઘેલછા લાલપીળી કે બ્રાઉન બોટલોની હોય છે. 


પચાસ-સો કે બસ્સો રૂપિયામાં જ્યારે
તમે મોલમાંથી જ્યુસનું ટેટ્રાપેક
લો છો ત્યારે સ્મરણ રહે કે,
તેમાં જ્યુસનું પ્રમાણ દસ-વીસ
ટકાથી વધુ નથી.
એ દસ-વીસ ટકા જ્યુસ પણ ચાર-છ
મહિના પહેલા કે વર્ષ પહેલા કાઢેલો છે.
આવા જ્યુસ કરતા તો લારી પર
મળતું લીંબુ સરબત પણ વધુ બહેતર
ગણાય. આ ઉનાળામાં યાદ
રાખવા જેવું છે કે, આપણું શરીર
મસમોટી કંપનીઓનો ઉકરડો
નથી, જે ધારે તેવું ગંદવાડ
તેમાં ઠાલવી શકે.
સ્મરણ રાખવા જેવું છે કે,
ઘેર થોડી મહેનત થાય તો એ
કરી લેવી, પણ આળસના
કારણે શરીરમાં કચરો ન ઠાલવો.
 
ઉનાળામાં જ્યારે વીસની કિલો કેસર કેરી મળતી હોય ત્યારે પણ લોકો દસ રૂપિયામાં બસ્સો એમ.એલ. માઝા કે સ્લાઇઝ ગટગટાવતા હોય છે ! આને કેમ પહોંચવું. ઉનાળો ફરી આવ્યો છે, એક કસમ બધાએ લેવા જેવા છે કે, આ ઉનાળામાં ઠંડા પીણાના નામે પેટમાં ઝેર ઠાલવવું નથી. કેટકેટલા ઓપ્શન્સ છે આપણી પાસે. ઠંડાઇ, લીંબુ સરબત, તડબુચનો જ્યુસ તથા છાસની વાત તો આપણે કરી. શકરટેટી આવવાની શરૂઆત થઇ ગઇ છે. ક્યારેક ખાંડ નાખી તેનો જ્યુસ કરી જોજો. અદ્ભુત આનંદ આવશે, પેટમાં શીતળતાનો રીતસર અહેસાસ થશે. કાચી કેરી આવવા લાગી છે. તેનું સરબત બનાવવાનું ગુજરાતીઓને શીખવવાનું ન હોય. કાચી કેરીને ખમણીમાં છીણી નાખવાની અને પાણીમાં નાખી દેવાની. તેમાં થોડી ખાંડ, નમક અને કાળા મરી ઉમેરો અને પછી જુઓ તેનો જલવો. સહેજ અલગ ટેસ્ટમાં બહુ વાંધો આવતો ન હોય તેવા લોકો માટે કોકમ અને બીલાનું સરબત પણ હાજર જ છે. ઘેર પાતળી છાસથી લઇને ઘાટી લસ્સી સુધીની વસ્તુઓ બનાવી શકાય છે. અમુલ ગોલ્ડ દુધમાંથી પણ તમે જો ઘેર મઠ્ઠો બનાવો તો એક કિલો દીઠ સો રૂપિયા કરતા ઓછામાં તૈયાર થાય છે. બહાર બસ્સો-અઢીસો કે ત્રણસોના ભાવે મળતા જુના વાસી શીખંડ કરતાં ઘરનો આવો તાજો અને ગુણકારી મઠ્ઠો શું ખોટો.


વિકલ્પો અનેકાનેક છે. જરૂર માત્ર માનસિકતા કેળવવાની છે. દસવીસ રૂપિયા આપીને જ્યારે તમે કોલ્ડડ્રીંક્સ ખરીદવા જતા હો ત્યારે યાદ રાખજો કે, પૈસા આપીને આપણે પેટ માટે ઝેર ખરીદી રહ્યા છીએ. પચાસ-સો કે બસ્સો રૂપિયામાં જ્યારે તમે મોલમાંથી જ્યુસનું ટેટ્રાપેક લો છો ત્યારે સ્મરણ રહે કે, તેમાં જ્યુસનું પ્રમાણ દસ-વીસ ટકાથી વધુ નથી. એ દસ-વીસ ટકા જ્યુસ પણ ચારછ મહિના પહેલા કે વર્ષ પહેલા કાઢેલો છે. આવા જ્યુસ કરતા તો લારી પર મળતું લીંબુ સરબત પણ વધુ બહેતર ગણાય. આ ઉનાળામાં યાદ રાખવા જેવું છે કે, આપણું શરીર મસમોટી કંપનીઓનો ઉકરડો નથી, જે ધારે તેવું ગંદવાડ તેમાં ઠાલવી શકે. સ્મરણ રાખવા જેવું છે કે, ઘેર થોડી મહેનત થાય તો એ કરી લેવી, પણ આળસના કારણે શરીરમાં કચરો ન ઠાલવો. બાળકો કોલ્ડડ્રીંક્સ માંગતા જ હોય છે, પરંતુ ઘરમાં જો તેને ઙ્ગતુ મુજબના પીણાઓ અને જ્યુસ વગેરે મળી રહેતું હોય તો તેઓ પછી સોફ્ટડ્રીંક્સ વગેરે માટે ઝાઝો ઉપાડો લેતા નથી. મોટાભાગના કિસ્સામાં માતાપિતા પોતાને પડતી મહેનતથી બચવા માટે બાળકોને આવા પીણાઓની બોટલ હાથમાં પકડાવી દેતા હોય છે, પરંતુ તેમને એ ખ્યાલ નથી કે, તેઓ પોતાના સંતાનને વિષપાન કરાવી રહ્યા છે.