Saturday, March 24, 2012

એ. રાજાના પોણા બે લાખ કરોડના કૌભાંડથી ધ્રુજી ગયા પરંતુ આપણાં કંડલામાં જ બે લાખ કરોડનું કૌભાંડ થયું છે તેનું શું?



ગાંધીધામ અને કંડલાઃ
માત્ર ગુજરાતના અર્થતંત્રના જ નહિ, 
કૌભાંડોના પણ પાટનગર!!

























               
રેલવે બજેટમાં દિનેશ ત્રિવેદીએ કંડલામાં કોચ ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ એમને કદાચ ખ્યાલ નથી કે, આ નગર ગુનાખોરી અને કૌભાંડોથી ખદબદી રહ્યું છે. અહીં નવી કોચ ફેક્ટરીનો સીધો મતલબ એ છે કે, હવે વધુ કૌભાંડો થશે અને વધુ ગુનાઓ આચરવામાં આવશે! એક ઉદાહરણ જુઓ: અહીંની ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ  જૂથના બાબુભાઈ સિંઘવીનું અપહરણ કરવા અગાઉ દુબઈની ઈરફાન ગોગાની ગેંગ દ્વારા પ્રયાસ થયો હતો. બાબુભાઈને ઉઠાવી પણ લેવાયા હતા પરંતુ સુસુ જવાના બહાને તેઓ છટકી ગયા. પણ, પછી વાત વટે ચડી. દુબઈની ગેંગ દ્વારા કહેણ મોકલાયા કે,   એક વખત બાબુભાઈ ભલે છટકી ગયા, બીજી વખત છટકી નહિ શકે! કચ્છના એક કુખ્યાત ડોનને ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સાધવામાં આવ્યો અને પેલાએ મધ્યસ્થી કરી, મોટી રકમમાં સમાધાન કરાવ્યું, એવું પણ કહેવાય છે. આજે ફ્રેન્ડસના ડિરેક્ટરમાંથી એક એવા હર્ષેન્દુ વૈદ્ય પેલા ડોનની કાર લોનના હપતા પણ ભરે છે! કારણ કે, તેઓ આ લોનમાં જામીન છે! જમીનના ગેરકાયદે ઉપયોગના કેઈસમાં પણ સી.બી.આઈ. ફરી હથિયાર સજાવી રહી છે. આપણને એ.રાજાના પોણા બે લાખ કરોડના કૌભાંડનો આંકડો વાંચી ધ્રુજારી છૂટી જાય છે. પરંતુ ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ સહીત અહીની ત્રણ કંપનીએ  કંડલા પોર્ટને  રૂપિયા બે લાખ કરોડનો ચૂનો ચોપડી દીધો હોવાનું કહેવાય છે. ગાંધીધામ-કંડલામાં થોડા સમય પહેલા ફરી એક વખત સી.બી.આઇ.એ દરોડા પાડ્યા છે. સવાલ એ છે કે, એવું તો શું છે આ નગરમાં કે આવકવરા ખાતાથી લઇને સી.બી.આઇ. અને સેન્ટ્રલ એક્સાઇઝ જેવા સરકારી વિભાગોની ચાંપતી નજર તેની પર રહે છે ? બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે ગાંધીધામ એ ગુજરાતનું કદાચ સૌથી સમૃદ્ધ નગર છે. અહીં ગાંધીધામ-કંડલા અને આદિપુર વિશે એવી માહિતી પ્રસ્તુત છે જે ખુબ ઓછા લોકો જાણે છે....  






ગુજરાતના કયા શહેરમાં સી.બી.આઇ.ના તથા ઇન્કમટેક્ષના સૌથી વધુ દરોડા પડતા હોય છે ? કોઇને થશે કે, અમદાવાદ જ હોય ને ! તો કોઇને વળી સુરતનું નામ યાદ આવે. પણ સાચો જવાબ છેઃ ગાંધીધામકંડલા. હજુ ત્રણ દિવસ પહેલા ગાંધીધામમાં ફરી એક વખત સી.બી.આઇ.ની રેઇડ આવી છે. મામલો એક જમીનને લગતો છે. પરંતુ આ શહેર માટે આ કોઇ નવી વાત નથી. અહીંયા આ બધુ રૂટીન જેવું છે. જ્યાં મધ હોય ત્યાં માખીઓ બણબણવાની જ.


ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગ એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. મતલબ કે એશિયામાં ટિમ્બરનું પ્રથમ નંબરનું માર્કેટ ગાંધીધામ છે. અહીં ટિમ્બરનો વેપાર, આયાત વગેરે કરતાં લગભગ ૪૦૦ યુનિટ છે અને આ ઉદ્યોગ પ૦ હજાર લોકોને સીધી કે આડકતરી રોજગારી આપે છે. પ્રતિવર્ષ અહીં સરેરાશ ૧૨ લાખ ક્યુબિક મીટર લાકડું વિદેશથી આવે છે. આ ઉદ્યોગ માટે ગાંધીધામમાં જેવી સુવિધા છે, જે કક્ષાની સવલતો છે એવી બીજે ક્યાંય નથી. આ ઉદ્યોગ માટે સૌપ્રથમ બહુ જ મોટી જગ્યાની જરૂર પડે. ઇમારતી લાકડું સેંકડો ફુટ લાંબુ હોય અને આવા લાકડાનો બહુ મોટો સ્ટોક રાખવો પડતો હોય છે. ગાંધીધામની આસપાસ આવા ખુલ્લા પ્લોટ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. એક સમયે આ બિઝનેસ કોલકત્તામાં ફાલ્યો હતો પણ લેબરના અને કોર્ટના પ્રશ્નો એટલા બધા વધી ગયા કે ત્યાંથી ધંધાનું અહીં સ્થળાંતર થઇ ગયું. આ ઉદ્યોગને પણ અહીંનું હવામાન કદાચ માફક આવી ગયું છે. અહીં સ્થળાંતર થયા પછી ટિમ્બર ઉદ્યોગે દિવસે ન વધે એટલો રાતે વધે એવી પ્રગતિ સાધી છે.


ગાંધીધામના ટિમ્બર ઉદ્યોગની પ્રગતિ પાછળ સૌથી મહત્વનું પરિબળ ક્યું છે ? ટિમ્બર ઉદ્યોગની શરૂઆત માટે કઇ વસ્તુ સૌથી જવાબદાર ? જવાબ છે: કંડલા પોર્ટ. ગાંધીધામથી ૧૪ કિલોમીટર દૂર આવેલા આ બંદરના આશીર્વાદ માત્ર ટિમ્બર ઉદ્યોગને જ નહીં, બલકે શહેરના અનેક ઉદ્યોગને મળ્યા છે. વધુ સારી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે આ શહેરનું આખું અર્થતંત્ર કંડલા પોર્ટની આસપાસ જ ફરે છે. કંડલા વગર ગાંધીધામ નિષ્પ્રાણ છે. કંડલાને ઉત્તરપશ્ચિમનું ભારતનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. તેની ભૌગોલિક પરિસ્થિતિના કારણે સમગ્ર ઉત્તર ભારત માટે એ સૌથી વધુ મહત્વનું બંદર બની રહે છે. ભારતનો નકશો જુઓ. તમે એમાં જોઇ શકશો કે ગુજરાતથી ઉપરની (ઉત્તર ભારત) તરફ આવેલા રાજ્યોનું એકપણ મહત્વપૂર્ણ પોર્ટ નથી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુકાશ્મીર, હિમાચલ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની જરૂરિયાતનો મુખ્ય આધાર કંડલા પોર્ટ પર જ રહે છે. કંડલા પોર્ટની ગણના આજે પણ ભારતનાં ત્રણ સૌથી મોટા બંદરોમાં થાય છે. કોઇ વર્ષે ચેન્નાઇ ટોચ પર હોય છે, કોઇ વાર મુંબઇ, તો કોઇ સાલ કંડલા.



કંડલાનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે હવે ‘ઓલ વેધર પોર્ટ’ છે. દરેક ઋતુમાં અહીં કારોબાર શક્ય છે. વળી, અખાતી અને યુરોપિયન દેશોનું એ સૌથી નજીકનું પોર્ટ છે. કંડલા બંદરના કારણે અહીં સમૃદ્ધિની રેલમછેલ છે. પોર્ટ સંલગ્ન ધંધા-ઉદ્યોગો એટલા ફાલ્યા છે કે, માથાદીઠ આવકની બાબતમાં ગુજરાતનું કોઇ શહેર ગાંધીધામની સ્પર્ધા કરી શકે તેમ નથી. મીઠાનો ઉદ્યોગ તથા ટ્રાન્સપોર્ટ હેન્ડલીંગનો વ્યવસાય આ શહેરનો પ્રાણ ગણાય છે. માથાદીઠ ગાડીની સંખ્યા ગુજરાતના અન્ય કોઇપણ શહેર કરતાં અહીં વધારે છે. ગાંધીધામના માર્ગો પર તમે વિશ્વની સર્વોત્તમ બ્રાન્ડની મોંઘીદાટ મોટરકાર પણ જોઇ શકો. કાળા નાણાંનું પ્રમાણ ગાંધીધામમાં જેટલું છે એટલું બીજે ક્યાંય નહીં હોય. પ્રોપર્ટીના ભાવ એટલે જ અહીં આસમાને છે. અમદાવાદ, રાજકોટ કે વડોદરા જેવા શહેરોમાં રીયલ એસ્ટેટના જેવા ભાવ છે એવા જ તમને ગાંધીધામમાં જોવા મળે. તેનું કારણ એ છે કે, કંડલાના કારણે અહીંના લોકોની ખરીદશકિત ઘણી વધારે છે. કંડલા બારમાસી બંદર છે. અને એટલે જ અહીંના ધંધાઉદ્યોગો પણ આખું વર્ષ ધમધમતા રહે છે. અહીં ઇફ્કોનો મસમોટો પ્લાન્ટ છે. ભારતભરમાં આવેલા ઇફ્કોના ૪ મુખ્ય પ્લાન્ટમાંથી એક કંડલા ખાતે આવેલો છે. તેનું વાર્ષિક ટર્નઓવર છ-સાત હજાર કરોડ કરતાં પણ વધારે રહે છે. ઇફ્કોમાં લગભગ બે હજાર જેટલા કર્મચારીઓ છે. કંપનીનું પગારધોરણ એટલું ઉંચુ છે કે, તેના કારણે ગાંધીધામના અર્થતંત્ર પર પણ તેનો પ્રભાવ પડ્યો છે. ઇફ્કો પર આડકતરી રીતે નભતા લોકોની સંખ્યા કદાચ પાંચ આંકડામાં છે.  જો કે, કંડલાનું અર્થતંત્ર ફર્ટીલાઇઝરની આયાત પર નિર્ભર છે એવું કહીએ તો ખોટું નહીં ગણાય. પંજાબ-ઉત્તરપ્રદેશમાં ખેતર માટે જરૂરી ખાતર વિદેશથી સૌપ્રથમ અહીં જ ઉતરે છે. કંડલાથી દરરોજ લગભગ ૧૦ હજાર ટન જેટલું ખાતર ઉત્તર ભારતમાં મોકલવામાં આવે છે. અડસટ્ટે ગણતરી માંડો તો પણ દરરોજના ૬૦૦-૭૦૦ ટ્રક તો ખાતર જ ભરાઇને અહીંથી ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં જાય છે. દર વર્ષે ઓછામાં ઓછું પ૦ લાખ ટન ફર્ટીલાઇઝર અહીં વિદેશથી મંગાવવામાં આવે છે. આ ધંધો એટલો દૂઝે છે કે, તેના કારણે કંડલા-ગાંધીધામની કંપનીઓના માલિકો કુબેરપતિ બની ગયા છે. જહાજમાંથી માલ ઉતારવાનો, તે માલ સાચવવાનો અને તેને જેતે સ્થળે મોકલવાનો એક એટલો મોટો બિઝનેસ ચાલે છે કે, આપણે તેની કલ્પના પણ કરી ન હોય.


કંડલા પોર્ટ પર દર વર્ષે ૩૦ લાખ ટન કરતાં વધારે ખાદ્યતેલો ઉતારવામાં આવે છે. બ્રાઝિલ,  ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા તથા મલેશિયા જેવા દેશોમાંથી પામ, સોયા જેવા અનેક પ્રકારના તેલ અહીં મંગાવાય છે. એ તેલ સાચવવા માટેના લાખો લીટરની ક્ષમતાવાળા ટાંકાઓ હોય છે. એનો પણ પાછો અલગ બિઝનેસ છે. એવી જ રીતે ક્રુડ ઓઇલ પણ મંગાવવામાં આવે છે. આવી બધી વસ્તુઓને ચડાવવા-ઉતારવા માટેની પ્રક્રિયાને હેન્ડલિંગ કહેવામાં આવે છે. આ હેન્ડલિંગ પણ કંડલાનો એક મેજર બિઝનેસ છે. ગૌતમ ફ્રેઇટ નામની અહીંની એક કંપનીએ થોડા સમય પહેલા હેન્ડલિંગના આવા કામ માટે જર્મનીથી બે ક્રેઇન મંગાવી હતી. આ એક ક્રેઇનની કિંમત રૂપિયા ૨૨ કરોડ છે. આ એક ક્રેઇન ફક્ત ૨૪ કલાકમાં એક હજાર ટ્રક જેટલો માલ જહાજમાંથી જેટી પર ઠાલવી શકે છે. બે ક્રેઇન પાછળ પચાસ કરોડનું રોકાણ કરવામાં આવતું હોય તો તેમાં વળતર કેવું હશે એ કલ્પના તમે કરી શકો છો.






પોર્ટના કારણે હોટલ ઉદ્યોગ પણ વિકાસ સાધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટનો ધંધો એટલો કસદાર છે કે, ગાંધીધામમાં લગભગ ૬૦૦થી ૭૦૦ જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસ છે. અહીં આ ઉદ્યોગ ઉપર નભનારા લોકોની સંખ્યા ૩૦ હજાર કરતાં પણ વધુ છે. ટેક્સ હોલીડેના કારણે ગાંધીધામ અને કંડલા આસપાસ ડઝનબંધ નવા પ્લાન્ટ શરૂ થયા છે. સુઝલોનથી લઇને ઓરેવા અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલથી લઇને લીવર સુધીની અનેક કંપનીઓએ આ વિસ્તારમાં રોકાણ કર્યુ છે. છેક ૧૯૬૫માં અહીં કંડલા સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન (KASEZ)ની સ્થાપના કરવામાં આવી હતી. દેશના ૭ સૌથી મોટા આ પ્રકારના ઝોનમાં તેની ગણના થાય છે. ૭૦૦ એકરમાં પથરાયેલા આ ઝોનમાં રોકાણકારોને અનેક પ્રકારના લાભ અપાયા છે તથા ડ્યુટીઓ અને વેરાઓમાં છૂટછાટ અપાઇ છે. કસ્ટમ ડ્યુટી લેવાતી નથી તથા ઉત્પાદનમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની છૂટ અપાઇ છે. ઝોનના કારણે કંપનીઓને એટલા લાભ મળે છે કે, અન્ય વિસ્તારની સરખામણીએ તેમને કંડલાનું આ ઝોન સ્વર્ગ જેવું લાગે છે.


જ્યાં આટલી સમૃદ્ધિ હોય ત્યાં ભ્રષ્ટાચાર હોવાનો. પણ કંડલા અને ગાંધીધામમાં ફાલેલા ભ્રષ્ટાચાર વિશે જાણતા પહેલાં કંડલાની સ્થાપનાનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે. કારણ કે, ભ્રષ્ટાચારનું મૂળ તેમાંજ ક્યાંક છૂપાયેલું છે. ભાગલા પછી સિંધમાં વસતા સિંધીઓએ ભારત સાથે જવાનું નક્કી કર્યુ. પાકિસ્તાનના મુસ્લિમો એમને શાંતિથી રહેવા દે એવું એમને લાગતુ ન હતું. સિંધીઓની સંખ્યા મર્યાદિત હતી. પણ એમનું સામર્થ્ય અમર્યાદ હતું. સાહસિક, ધનવાન અને દરિયાખેડુ એવી આ પ્રજાનું જમા પાસુ એ કે તેઓ ભારે શાંતિપ્રિય છે. એટલે જ તેમને ભારતના દરેક પ્રદેશમાંથી પોતાને ત્યાં વસવાનું નોતરૂ મળતું હતું. પણ ભાઇ પ્રતાપ દયાળદાસના મનમાં અલગ જ વિચારો રમતા હતા. તેઓ પોતાની કોમ અંગે લાખ મુદ્દાઓ વિચારી રહ્યા હતાં.

ગાંધીધામના સ્થાપક, ભાઈ પ્રતાપ દયાલદાસ
ભાઇ પ્રતાપ દયાળદાસ. ગાંધીધામના સ્થાપક. એમને શી ખોટ હતી ? કશી જ નહીં. પેઢી ધમધમતી હતી. વહાણો અને દરિયાઇ વ્યાપાર. તેઓ શાહ સોદાગર હતા. એમનો વેપાર અને એમની સંપત્તિ કોઇ સામાન્ય માનવીનું દિમાગ વિચારી પણ ન શકે એ કક્ષાના હતાં. પણ એમના વિચારો પર પૈસો અસવાર નહોતો. તેઓ વૈચારિક દ્રષ્ટિએ ગાંધીજીની નિકટ હતા. ગાંધીજીએ જ તેમને હિંદમાં વસાહત સ્થાપવા માટે મદદ કરી. ૧૯૦૯ના વર્ષમાં તેમનો જન્મ હૈદરાબાદ (સિંધ-પાકિસ્તાન)માં થયો હતો પણ ભાગલા સમયે બનેલી ઘટનાઓના કારણે સિંધીઓનું મન આળું થઇ ગયું હતું. એમને સ્વમાનથી જીવવું હતું. ભાઇ પ્રતાપ પોતાના કરોડોના કારોબારને છોડીને ભારત ભાગી આવ્યા. એક વર્ષ સુધી તેઓ પોતાના થોડા અંગત સાથીઓને લઇને ભારતના વિવિધ પ્રદેશોમાં ફર્યા ને હિંદના સિંધની રચનાની શક્યતાઓ ચકાસી, અંતે તેમની નજર અંજાર પાસે આવેલી એક જમીન પર પડી.


ભાઇ પ્રતાપના મગજમાં ચિત્ર સ્પષ્ટ હતું. કેટલીક બાબતો તેમણે મનોમન નક્કી કરી રાખી હતી. પ્રથમ વાતઃ સિંધીઓની કોઇ એક જ વસાહત સ્થાપવી, જ્યાં સિંધના બધા સિંધીઓ સાથે વસવાટ કરે. પાંચ હજાર વર્ષ જુની સિંધુ સંસ્કૃતિના જતન માટે આ જરૂરી હતું. તેઓ એક નાની કોમ્યુનિટી હતાં અને વેરવિખેર થવા બિલકુલ માંગતા નહોતા. બીજી વાતઃ સિંધના કરાચીની અવેજીમાં એક નવું બંદર સર્જી શકાય એમ હોય ત્યાં જ નવું સિંધ સ્થાપવું. આ દરિયાખેડુ પ્રજા માટે મહેરામણ તો માતાના ખોળા જેવો છે. જે કોમે પોતાના ઇશ્વરને પણ ‘દરિયાલાલ’ તરીકે કલ્પ્યા હોય એમને સમુદ્રપ્રેમ ખરેખર સાગર જેવો અસીમ જ હોય. પડખેના સમુદ્રમાં તેમણે બારમાસી બંદરની શક્યતાઓ જોઇ. આ ઉપરાંત પણ કેટલીક બાબતો હતી. એક સિંધી યુનિવર્સિટી હોવી જોઇએ એવું ખ્વાબ ભાઇ પ્રતાપે છેક ભાગલાની પણ સમય પહેલાં જોયું હતું. એવું વિશ્વવિદ્યાલય, જ્યાં સિંધી કોમની અસ્મિતા તો સચવાઇ જ રહે, સાથોસાથ શ્રેષ્ઠ શિક્ષણ પણ મળતું રહે. એમણે વિચાર્યુ કે ગાંધીધામને સમગ્ર સિંધી કોમનું સેન્ટર પોઇન્ટ બનાવવું, વિદેશમાં વસતા સિંધીઓને પણ ત્યાં વસવાટ કરવા આમંત્રણ પાઠવવું. આ બધું જ કચ્છની આ ભૂમિમાં શક્ય હતું.


ખરેખર શક્ય હતું ? લોકો એવા જ સવાલો કરતા હતાં. ક્યાં કરાંચીનું ધીકતું બંદરગાહ અને ક્યાં એક બિંદુ જેવું બંદર. નહીં રસ્તા, નહીં ટ્રેન કે રેલવે ટ્રેક. એરપોર્ટની તો કલ્પના પણ ક્યાંથી થાય ! હતું શું અહીં? ઝાડીઝાંખરા, ઊંટ અને ગધેડા. પ્યાસ અને રેતી. ઘૂઘવતો સમુદ્ર અને નિર્જન સાગરતટ. પણ સિંધીઓના હૈયે હામ હતી. ભાઇ પ્રતાપે કહ્યું: ‘અમે આ રેતીના ઢુવાનોને ગુલીસ્તાં બનાવી દઇશું.’ પ્રક્રિયા આગળ વધી. ગાંધીજીએ કચ્છના મહારાજાને કહેણ મોકલાવ્યાં. સિંધીઓને જમીન ફાળવવા માટે. કચ્છના મહારાજાએ તારીખ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે સિંધીઓને ૧૫ હજાર એકર જમીન ફાળવી આપી. તાત્કાલિક ગાંધીજીને સમાચાર મોકલવામાં આવ્યા. કારણ કે તેઓ માત્ર ભાઇ પ્રતાપની જ નહીં પણ આખી સિંધી કોમની નજીક હતાં. સિંધીઓ માટે નવું સિંધ સર્જવા કાજે એમણે હૃદયપૂર્વક પ્રયત્નો કર્યા હતાં. પણ એ પ્રયત્નોનું પરિણામ તેઓ જોઇ ન શક્યા. સિંધીઓને જમીન ફાળવાઇ હોવાના વાવડ એમને મળે એ પહેલાં જ એમનું અવસાન થયું. દેહાવસાન જ. કારણ કે એમણે અને ભાઇ પ્રતાપે જે સ્વપ્ન સેવ્યું હતું એને સાકાર કરવાનું ધ્યેય તો હજુ હતું જ. ગાંધીજીનો આત્મા તેમની સાથે જ હતો.


સિંધીઓને, ભાઇ પ્રતાપને એક જબરદસ્ત આંચકો લાગ્યો પણ તેઓ તરત જ સ્વસ્થ થઇ ગયા. હજુ નવા સિંધની રચના બાકી હતી. એમણે નાણાં માટે જાપાનથી જર્મની અને અમેરિકા તથા રશિયા સુધી માણસો દોડાવ્યા. આચાર્ય ક્રિપલાનીના અધ્યક્ષસ્થાને ‘સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ’ નામની કંપનીની રચના કરવામાં આવી. તેના શેર વેચવા માટે ભાઇ પ્રતાપ અને સિંધીઓ યુરોપ અને એશિયા, અમેરિકામાં તથા આફ્રિકામાં ફર્યા. એમને જે પ્રકારનું  નવું નગર બનાવાનું હતું, તેમાં પુષ્કળ નાણાંની જરૂર હતી. ૧૦૨૦૦ શેર હોલ્ડર્સ થયા. એ જમાનામાં પણ ૫૦૦-૫૦૦ રૂપિયાની કિંમતના શેર વેચવામાં આવ્યા હતાં. શેર હોલ્ડર્સને પછી હપતાથી મકાન, બંગલો વગેરે ફાળવવાનું નક્કી થયું. જર્મનીથી ‘મેકેન્ઝી એન્ડ કંપની’ના ઇજનેરો આવ્યા. એક એવા નગરનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો, જેનું બાંધકામ કમસે કમ આવનારાં સો વર્ષને ધ્યાનમાં રાખીને થયું હોય. પહોળા રસ્તા અને બગીચાઓ, હરિયાળી, મજબૂત બાંધકામ, શાળાઓ, પ્લે ગ્રાઉન્ડ અને આસ્થાસ્થાનો. એક અદ્ભૂત નગરનું બેનમૂન પ્લાનિંગ થયું અને એ આયોજનનનો અમલ પણ થયો. અફલાતૂન નગર સર્જાયું.

પહોળા રસ્તાઓ અને ઠેર-ઠેર સર્કલ્સ.... ગાંધીધામ ભારતનું પ્રથમ વેલ પ્લાન્ડ નગર છે...

તસવીર સૌજન્ય; રાજેશ લાલવાણી



ભારતનું સૌ પ્રથમ વેલ પ્લાન્ડ સિટી એટલે ગાંધીધામ. જર્મન એન્જિનિયર્સ અને યુરોપિયન કારીગરોએ ગાંધીધામની બાંધણી, બાંધકામ એવાં કર્યા છે કે, આજે પણ આ નગર નમૂનારૂપ છે. ભયાનક ભૂકંપમાં પણ ગાંધીધામનું એકપણ જુનવાણી મકાન કે ઇમારત પડી નથી. એટલી ચીવટપૂર્વક, હૃદયપૂર્વક આ નગરનું સર્જન થયું હતું. ગાંધીધામ અને આદિપુરનો આ નાનો અને ટૂંકો ઇતિહાસ છે. સ્મોલ એન્ડ બ્યુટીફુલ. એમાં દિલ્હીના ઇતિહાસ જેવા ઉતાર-ચડાવ નથી. અહીં મોગલો નહોતા વસ્યા, પેશ્વાનું શાસન કે અંગ્રેજોની હકુમત નહોતી, નિઝામની સમૃદ્ધિ કે મોગલકાળનું સ્થાપત્ય પણ અહીં નથી અને છતાં આ શહેરનો ઇતિહાસ રોચક છે. અહીં એક ગાંધી સમાધિ છે. ગાંધીજીના અસ્થિ પધરાવવામાં આવ્યા હોય તેવાં આખા ભારતમાં માત્ર બે જ સ્થળ છે. જેમાંથી એક આદિપુરમાં છે. ગાંધીજીના અવસાન પછી આચાર્ય કૃપલાણી પોતાના માથા પર સ્ફટિકની ડબ્બીમાં રાખીને ગાંધીજીના અસ્થિ અહીં ભુજથી લાવ્યા હતાં. નવા સિંધનું નામ ‘ગાંધીધામ’ રાખવાનું પણ એટલે જ નક્કી થયું કેમ કે ગાંધીજીએ સિંધીઓનું સ્વપ્ન સાકાર કરવા તમામ મહેનત કરી હતી.


આદિપુરમાં આવેલી ગાંધી સમાધી: ગાંધીજીના અસ્થી અહીં આચાર્ય ક્રિપલાની માથે મૂકી ને લાવ્યા હતા!




સિંધીઓ કચ્છમાં તો આવી ગયાં પરંતુ અહીંયા વળી કરાંચી જેવું  ધમધમતું બંદર ક્યાંથી કાઢવું? જવાહરલાલ નહેરૂ અને કેટલાંક નિષ્ણાંતોએ સિંધના કરાંચીના વિકલ્પે ગાંધીધામ નજીક કંડલા બંદર બનાવવાનું નક્કી કર્યુ. ગાંધીધામ, આદિપુર અને કંડલા અલગ-અલગ હોવા છતાં એક જ છે. ગાંધીધામથી ફક્ત સાત-આઠ કિલોમીટરના અંતરે આદિપુર છે અને દસેક કિલોમીટર દૂર કંડલા છે. આદિપુરની લગભગ ૨૬૦૦ એકર જમીન અગાઉ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન પાસે હતી, જેમાંથી મોટાભાગની જમીનની ફાળવણી તેઓ શેર હોલ્ડરો વચ્ચે તથા અન્ય સરકારી બોડી માટે કરી ચૂક્યા છે. ગાંધીધામ તથા કંડલાની મોટાભાગની જમીન પર કંડલા પોર્ટ ટ્રસ્ટનો અધિકાર છે. આ શહેર અસ્તિત્વમાં આવ્યાને હજુ છએક દાયકા જેવો સમય થયો છે. એટલે આપણે ત્યાં હોય છે તેવી રીતે અહીંની જમીનો પર કોઇ જ ખાનગી પાર્ટીની પેઢીઓથી માલિકી નથી રહી. છેક ૧૯૯૭ સુધી અહીં જમીનની ખાસ કિંમત નહોતી. કંડલાનો વિકાસ પણ બહુ ધીમો હતો. કોઇ પાર્ટીને જમીન જોઇતી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટને એક અરજી આપવાની રહેતી. જમીન આપવાનો નિર્ણય પછી કંડલા પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)ના ચેરમેનના હસ્તક રહેતો. રહેણાંક હેતુ માટેની જમીન કેપીટી ૯૯ વર્ષની લીઝથી આપે છે અને ઔદ્યોગિક હેતુ માટેની જગ્યા ૩૦ વર્ષના ભાડાપટ્ટે મળે છે. ઉદ્યોગોમાં પણ પાછી બે કેટેગરી છે. મીઠા ઉદ્યોગ માટે જમીન જોઇતી હોય તો તેનો દર ઓછો હોય છે અને વેરહાઉસ, ગોડાઉન કે ઓઇલ સ્ટોરેજ ટેન્ક માટે જગ્યા જોઇતી હોય તો તેનો ભાવ વધુ હોય છે. વિકાસ થતો ગયો અને જમીનની માંગ વધતી ગઇ. હવે બન્યું છે એવું કે, કોઇ બિઝનેસમેન કે ઉદ્યોગકારોએ જમીન જોઇતી હોય તો તેના માટે ટેન્ડર બહાર પડે છે અને હરરાજી પણ થાય છે. તાજેતરમાં જે કેઇસમાં તપાસ માટે સી.બી.આઇ.ની ટીમ કંડલા આવી એ જમીન વાસ્તવમાં છેક ૧૯૮૮માં ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ ગ્રુપને સોલ્ટ ઉદ્યોગ માટે ફાળવવામાં આવી હતી. હેતુફેર કરી કંપનીએ  ત્યાં ક્રુડ ઓઇલ તથા ખાદ્યતેલની રિફાઇનરીનું કામ શરૂ કર્યુ હતું. પાછળથી કેપીટીએ આ જમીન પાછી માંગી, જેની સામે કંપનીએ કોર્ટમાંથી સ્ટેટસ ક્વોનો ઓર્ડર મેળવ્યો. બન્યું એવું કે, પછીથી કેપીટીના ડેપ્યુટી ચેરમેન પદે મનોરંજન કુમાર નામના એક અધિકારી આવ્યાં. ફ્રેન્ડસ ગ્રુપની આ ૭પ એકર જમીનનો કેઇસ મનોરંજન કુમારએ ખોલ્યો. તેમણે સી.બી.આઇ.ને ફરિયાદ કરી કે, આ કિસ્સામાં ભ્રષ્ટાચાર થયો છે. આવી તો અનેક ફરિયાદો તેમણે સી.બી.આઇ.ને મોકલી. ઉદ્યોગકારોમાં તથા વ્યાપારીઓમાં હાહાકાર મચી ગયો. બધા ચેરમેન પાસે દોડી ગયા. તેના કારણે ડેપ્યુટી ચેરમેનને ફરી વાંકુ પડ્યું. ફ્રેન્ડસ ગ્રુપના કિસ્સામાં વાત એક કાગળ પર આવીને ઉભી હતી. કંપનીને ફાળવાયેલી જમીનનો ઓરિજિનલ એલોટમેન્ટ લેટર કંપની પાસે નહોતો.


જેનું નામ આ કિસ્સામાં ચર્ચાય છે તે ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ ગાંધીધામ કંડલાની નંબર વન કંપની છે. ત્રણ મિત્રપરિવાર (સિંઘવી, વૈદ્ય તથા જોશી પરિવાર)એ ૧૯૮૪માં શરૂ કરેલી આ કંપની  આજે સોલ્ટ, આયર્ન, ટેક્ષટાઇલ, હેન્ડલિંગ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણપણે વર્ચસ્વ ધરાવે છે. તેની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ તેમનું ટર્નઓવર લગભગ એક હજાર કરોડ કરતાં પણ વધુ છે. દેશના સૌથી મોટા સોલ્ટ ઉત્પાદકોમાં તેમની ગણના થાય છે. અગાઉ આપણે ગૌતમ ફ્રેઇટ નામની કંપનીની જે વાત કરી એ પણ આ જૂથનું જ સાહસ છે. કોલસો, લોખંડનો ભંગાર, મીઠુ તથા ઘઉંના હેન્ડલિંગમાં તેમનું સ્થાન પ્રથમ છે. ઝીંક, ટિમ્બર અને ઓઇલમાં પણ એમનું પ્રભુત્વ છે. સોલ્ટ, કોલસો તથા તેના જેવી અનેક કોમોડિટીના હેન્ડલિંગમાં તેમણે અનેક વિક્રમો સર્જ્યા છે. પરંતુ અહીં ધંધો કરવો હોય તો હાથ કાળા કરવા પડે છે.  ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ  જૂથના બાબુભાઈ સિંઘવીનું અપહરણ કરવા અગાઉ દુબઈની ઈરફાન ગોગાની ગેંગ દ્વારા પ્રયાસ થયો હતો. બાબુભાઈને ઉઠાવી પણ લેવાયા હતા પરંતુ સુસુ જવાના બહાને તેઓ છટકી ગયા. પણ, પછી વાત વટે ચડી. દુબઈની ગેંગ દ્વારા કહેણ મોકલાયા કે,   એક વખત બાબુભાઈ ભલે છટકી ગયા, બીજી વખત છટકી નહિ શકે! કચ્છના એક કુખ્યાત ડોનને ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સાધવામાં આવ્યો અને પેલાએ મધ્યસ્થી કરી, મોટી રકમમાં સમાધાન કરાવ્યું, એવું પણ કહેવાય છે. આજે ફ્રેન્ડસના ડિરેક્ટરમાંથી એક એવા હર્ષેન્દુ વૈદ્ય પેલા ડોનની કાર લોનના હપતા પણ ભરે છે! કારણ કે, તેઓ આ લોનમાં જામીન છે! જમીનના ગેરકાયદે ઉપયોગના કેઈસમાં પણ સી.બી.આઈ. ફરી હથિયાર સજાવી રહી છે. આ લિન્ક તેની આખી દાસ્તાન વર્ણવે છે: http://indiatoday.intoday.in/story/gujarat-land-scam-exposed-at-kandla-port/1/143100.html 


ઉપરોક્ત લિન્ક કહે છે કે, કંડલાનું આ જમીન કૌભાંડ રૂપિયા બે લાખ કરોડનું છે! આપણે એ.રાજાના પોણા બે લાખ કરોડના સ્પેક્ટ્રમ કાંડથી ધ્રુજી ઉઠીએ છીએ પરંતુ ઘરઆંગણે એના કરતાં પણ મોટી હોળી સળગી રહી છે તેનું શું?  તમે જ કહો. રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી અહિં, કંડલામાં કોચ ફેક્ટરી બનાવવાનું કહે છે... શું હાલત થશે રેલ્વેની? આ નગર ભ્રષ્ટાચારનું પાટનગર છે, રેલવેને ફોલી ને ખાઈ જશે! 


સમસ્યા એ છે કે, કંડલા પોર્ટ અને ગાંધીધામ પર મોટાભાગે બ્યુરોક્રસીનો પ્રભાવ રહે છે. આયાત-નિકાસકારો તથા બિઝનેસમેન અહીં કદાચ ઇમાનદારીથી બિઝનેસ કરવા ચાહે તો પણ અધિકારીઓ એ શક્ય બનવા દેતા નથી. અગાઉ કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેનપદે રહેલા એક આઇ.એ.એસ. અધિકારીએ  કેપીટીના ભોગે અદાણીના મુંદ્રા પોર્ટને અનેક લાભ કરાવી આપ્યા હતાં. એમણે એટએટલા કૌભાંડ કર્યા હતાં કે, એ લખવા બેસીએ તો બસ્સો પાનાનું એક પુસ્તક પણ કદાચ ટુંકુ પડે. હજુ કંડલાના વિકાસની અનેક શક્યતાઓ રહેલી છે. પરંતુ તેના માટે કેપીટીમાં કોઇ નિષ્ઠાવાન અને કાર્યક્ષમ અધિકારી મુકાય તે અનિવાર્ય છે.

Friday, March 9, 2012

The Great Indian Cricket Circus!


ભારતીય ક્રિકેટનું કરૂણ પતનઃ 

ચાર દિન કી ચાંદની અને પછી છે ઘેરો અંધકાર!

ઘરઆંગણે સાવજ થઇને ફરતા ખેલાડીઓ વિદેશમાં શા માટે ડરપોક સસલા જેવા બની જાય છે. શું સચિન તેન્ડુલકર ક્રિકેટ કરતાં પણ વધુ મહાન છે? શું ધોની એક મહાન કેપ્ટન છે ? શું સચિન-સેહવાગ રિટાયર્ડ થાય તો ભારતીય ટીમની હાલત સુધરી જવાની છે ? ભારતીય ક્રિકેટ વિશે આપણે ત્યાં ઘણા લોકો ઘણા ભ્રમ સાચવી બેઠા હોય છે. આવા અનેક ભ્રમો ભાંગી અને વાસ્તવિકતાનો પરિચય મેળવીએ... એશિયા કપમાં બાંગ્લાદેશની નિષ્પ્રાણ વિકેટો પર રનોનું તોફાન સર્જી આપના બકરી બ્રાન્ડ ખેલાડીઓ ફરી સિંહ બની ફરવા લાગે તે પહેલા એમનો સાચો ચહેરો ભાળવો જરૂરી છે.....






ભ્રમ ૧: સચિન તેન્ડુલકર એક મહાન પ્લેયર છે, દેશ માટે તેણે ઘણું યોગદાન આપ્યું છે. પોતાની નિવૃત્તિનું પ્લાનિંગ એ જાતે જ કરે તે બહેતર ગણાય.

વાસ્તવિકતા: સચિન એક મહાન પ્લેયર છે અને તેણે ક્રિકેટની રમતને ઘણું આપ્યું છે તે બાબતે કોઇને શંકા ન હોય. પરંતુ એ વાત ભુલાવી ન જોઇએ કે, ક્રિકેટની રમતે અને આ દેશે તેને કેટકેટલું આપ્યું છે. ક્રિકેટે તેને આ દેશમાં એક દેવતાનો દરજ્જો આપ્યો છે. દેશની લગભગ બે પેઢીએ તેનામાં પોતાનો આદર્શ નિહાળ્યો છે. ક્રિકેટને તેણે બેશક નવ્વાણુ સદીઓ આપી છે, પરંતુ ક્રિકેટએ તેને સો પેઢી ચાલે તેટલી સંપત્તિ આપી છે. 

આપણે રાહુલ ગાંધી અને રોબર્ટ વાડેરા કે રેડી બંધુઓના ભ્રષ્ટાચાર વિષે તો બહુ વાતો કરીએ છીએ. પરંતુ સચિનના ભ્રષ્ટાચારનું શું કરીશું? શું દેશહિતના ભોગે અને ક્રિકેટનું અપમાન કરી ને પણ સતત ટીમ પર બોજરૂપ બનવું અને રાત-દિવસ રૂપિયા ઉસેડ્યા કરવા એ એક પ્રકારનું કરપ્શન નથી? બિલકુલ છે. રાહુલ ગાંધીની જેમ તેન્ડુલકર પણ મીંઢો  છે. એ તેની સામેના સવાલોના જવાબ આપવાનું ક્યારેય મુનાસીબ માનતો નથી. ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ મેચમાં ખરાબ દેખાવ પછી દરરોજ મીડિયાને સંબોધવા અશ્વિન અને કોહલી જેવા જુનિયરોને આગળ ધરી દેવાતા હતા. સેહવાગ એક વખત મીડિયાને સંબોધવા આવ્યો. પત્રકારોએ પૂછ્યું કે, "આટલા ખરાબ દેખાવ પછી પણ સિનિયર્સ શા માટે મીડિયાના સવાલો ઝીલવા આવતા નથી? કેમ સચિન નથી આવતો?" સેહવાગે બેધડક જવાબ આપ્યો, "સચિન ત્યારે જ ઈડિયા સમક્ષ આવે છે જ્યારે તેણે રણ બનાવ્યા હોય! તેણે આ સીરિઝમાં રણ નથી બનાવ્યા એટલે એ મીડિયા સમક્ષ નહિ આવે!" સચિનના મીંઢાપણાનો આના કરતા મોટો પુરાવો બીજો કયો હોઈ શકે! 

રમતવીરો ક્યારેય પણ દેશ પર ઉપકાર કરતા નથી. તેમની ભીતર એક પેશન અને રમતના મેદાન પર કશુંક કરી છૂટવાનું ઝુનુન હોય છે.  સઘળો જશ આ સ્પિરિટને આપવાનો રહે છે. આજે સચિન તેન્ડુલકર જેટલી સમૃદ્ધિમાં આળોટે છે તેટલી દૌલત એકઠી કરવામાં ભારતના અન્ય રમતના ટોચના ખેલાડીને હજાર વર્ષ પણ ટુંકા પડવાના. જાહેરખબરોના અગણિત કોન્ટ્રાક્ટ, રિબિન કાપવાની આવક અને બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઇન્કમ... આ બધાનો સરવાળો કરો તો તેંડુલકર અત્યારે અબજપતિ પાર્ટી ગણાય. આ બધું તેને દેશએ આપ્યું છે. જ્યારે કોઇ એવો દાવો કરે કે તેંડુલકરએ દેશને ખૂબ બધુ આપ્યું છે ત્યારે એ વાત ભૂલાવી ન જોઇએ કે, આજે દેશમાંથી તેનું જે સ્ટેટસ છે તે દેશ તરફથી તેને મળેલું તગડુ વળતર છે. રહી વાત દેશ માટે રમવાની તો એ યાદ રાખવું જોઇએ કે, જો એ દેશ માટે રમતો હોત તો વિશ્વકપ પછી તેણે અવશ્ય નિવૃત્તિ લઇ લીધી હોત. એટ લીસ્ટ વનડે ક્રિકેટમાંથી. જો એ ખરેખર દેશ માટે રમતો હોય તો, જયારે પચાસ - સાંઠ રન વટાવે ત્યારે સો રન સુધી એકદમ ચમત્કારિક રીતે ધીમો શા માટે પડી જાય છે? દેશ માટે? ના. એની સદી માટે. ઇન ફેક્ટ, એની આવી ધીમી રમત ટીમને અનેક વખત નડી છે. 


વર્લ્ડકપ પૂરો થયાના દસ મહિના દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ લગભગ બે-અઢી ડઝન વનડે રમી છે. તેમાંથી સચિન એકપણ વનડે રમ્યો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે પોતાની એકસોમી સદી ટેસ્ટ મેચોમાં પૂરી ન થઇ તેટલે તેણે વનડે રમવાની ઇચ્છા દર્શાવી. સવાલ એ છે કે, કોઇપણ રમતની નેશનલ ટીમ માટે કોઇપણ દરજ્જાના ખેલાડીની સીટ અનામત કેવી રીતે હોઇ શકે. સચિન ચાહે ત્યારે કોઇ સિરીઝ રમે અને ઇચ્છે ત્યારે ન રમે તેવું કઇ રીતે ચાલે. તેણે કઇ સિરીઝ રમવાની છે અને કઇ નહીં તેનો નિર્ણય પસંદગીકારો ઉપર છોડવો ઘટે. અહીં તો બન્યું છે એવું કે, સચિન જાણે ક્રિકેટ કરતાં પણ મહાન બની ગયો છે. હાલ રન નહીં બનાવી શકવાની તેની મજબુરી કદાચ તેનો ખરાબ દૌર પણ હોઇ શકે અને શક્ય છે કે, તેની કેરિઅર ખત્મ થઇ ગઇ હોય. પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે, સ્થાનિક મેચોમાં પ્રેક્ટિસ કર્યા વગર કે પોતાની જાતને પૂરવાર કર્યા વગર તે દસ મહિના પછી નેશનલ ટીમમાં સીધો જ એન્ટ્રી મેળવે છે. એ સીધો આદેશ સુણાવે છેઃ ‘હું આ સીરિઝ રમીશ.!’ ભલે જુનિયરોનો ભોગ લેવાતો, છો ને ટીમનું કોમ્બિનેશન ડામાડોળ થઇ જતું. સચિન આવે તેટલે જગ્યા તો કરવી પડે !

કપિલદેવએ અને ઇમરાનખાને સાચું જ કહ્યું છે કે, વિશ્વકપ પછી તેણે નિવૃત્તિ લઇ લીધી હોત તો તેના જેવું રૂડું બીજું કંઇ નહોતું. પરંતુ રિટાયરમેન્ટ લેવાની કળા બધાને હસ્તગત હોતી નથી. ખુદ કપિલ પણ જુતા ખાઇને અને હડધુત થઇને ટીમમાંથી બહાર ગયો હતો.  ખેલાડીઓથી મોહ છૂટતો નથી. મસમોટા કોન્ટ્રાક્ટ હોય છે, નામ, કિર્તી અને પ્રશસ્તિથી તેઓ ઘેરાયેલા હોય છે. મેદાન પર થતો હજારો તાળીઓનો ગડગડાટ  તેમને રાત્રે ઉંઘતી વખતે પણ કાનમાં પડઘાતો હોય છે. આ એક મહાન માયા છે. ખેલાડી સ્વીકારી શકતો નથી કે આ બધું એક દિવસ પસાર થઇ જવાનું અને તેમની જગ્યાએ નવા સુપરહિરો આવી જવાના. બસ ! જે વિરલો આ વાત સમજ્યો તેનો સુર્યાસ્ત પણ રળીયામણો હોવાનો.


ભ્રમ ૨: સેહવાગ એક મેચવિનર ખેલાડી છે, એ રમે ત્યારે આપણી જીત નક્કી.

વાસ્તવિકતા: હા ! સેહવાગ રમે ત્યારે આપણી જીત નિશ્ચિત હોય છે તે વાતમાં શંકા નથી. પરંતુ શંકા એ વાતે છે તે રમે છે ક્યારે ! આપણો આ કહેવાતો મેચવિનર દસ મેચમાંથી એક મેચમાં ઝળકે છે. ગાવસ્કરએ તેના વિશે હમણાં બહુ સાચું જ કહ્યું હતું કે, સેહવાગ હવે તેની નૈર્સગિક કેર ફ્રી રમતમાંથી કેરલેસ ગેઇમ ભણી જઇ રહ્યો છે. નિર્ભિક હોવામાં અને બેફિકર રહેવામાં તફાવત છે. છેલ્લી અનેક સીરિઝથી એ સતત તે એક પ્રકારે જ આઉટ થઇ રહ્યો છે. ઓફ સાઈડની બહારના બાઉન્સરને સિક્સર મારવાના પ્રયત્નમાં ડિપ થર્ડમેન પર તે હંમેશા કેચ આપી બેસે છે. ઓસ્ટ્રેલિયા તથા ઈંગ્લેન્ડની અને આફ્રિકાની ઉછાળ ધરાવતી વિકેટો ઉપર અવારનવાર એ સ્લીપમાં ઝડપાઇ જાય છે. છેલ્લા બે વર્ષની તેની એવરેજ જુઓ તો ખ્યાલ આવે કે, તેના કરતાં વધુ સારી બેટીંગ આપણો સ્પિનર અશ્વિન કરી શકે છે. 



લગભગ દોઢ-બે વર્ષથી તેણે વિદેશની ધરતી પર ટેસ્ટ સદી ફટકારી નથી. કહો કે, તે ઓલમોસ્ટ ખતમ થઇ ચૂક્યો છે. કાલે સવારે તે ફરી એક વખત તે ઝડપી સદી ફટકારી નાખે તો પણ હરખાઇ જવાની જરૂર નથી. કેમ કે, તેની નબળાઇઓ આખી દુનિયાના બોલર પારખી ગયા છે.  જાન્યુઆરી ૨૦૧૦થી માંડીને આજ સુધીના બે વર્ષમાં તેણે કુલ ૩ સદી વન-ડે સદી ફટકારી છે. જેમાંથી એક સદી ન્યુઝીલેન્ડ સામે છે તથા એક-એક સદી બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડિઝ સામે છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા કે ઈંગ્લેન્ડ જેવા પેસ એટેક સામે એ રીતસર શરણાગતિ સ્વીકારી લે છે. ટેસ્ટ મેચોમાં ઓગસ્ટ ૨૦૧૦ પછી તેણે એકપણ સદી બનાવી નથી. અને વાત માત્ર સદી પુરતી મર્યાદિત નથી. એ જ્યારે ક્રીઝ પર રમતો હોય ત્યારે અગાઉ એવો ખૌફ હવે વર્તાતો નથી. લાંબી ઇનિંગ રમવાની તેની ક્ષમતા જાણે ખતમ જ થઇ ગઇ છે. નૈસર્ગિક રમતના બહાને તેને ભારતીય ટીમમાં તેને જેટલી તકો અપાઇ છે તથા જેટલા થાબડભાણા થયા છે તેટલા જગતની કોઇ ટીમ પોતાના કોઇ ખેલાડી માટે ચલાવી ન લે.


ભ્રમ ૩: સિનિયર ખેલાડીઓ નિવૃત્ત થશે તો જુનિયરો ભારતનું કલ્યાણ કરી નાખશે.

વાસ્તવિકતા : સૌરવ ગાંગુલીને પરાણે નિવૃત્ત કરાયો ત્યારે બધા એમ કહેતા હતાં કે, છઠ્ઠા સ્થાને હવે કોઇ સારો પ્લેયર આવશે અને ભારતનો મિડલ ઓર્ડર સુધરી જશે. ગાંગુલીની જગ્યાએ સુરેશ રૈનાથી શરૂ કરીને યુવરાજસિંહ જેવા અડધો ડઝન પ્લેયર્સને અજમાવાયા છે. કોઇ પોતાનું સ્થાન જમાવી શક્યું નથી. રૈના અને રોહિત શર્મા બહુ સાતત્યપૂર્ણ રીતે અસાત્યપૂર્ણ દેખાવ કરે છે. રોહિત શર્માને તો કેટલાંક ઉત્સાહી નિષ્ણાંતો ભારતીય ક્રિકેટનું ભવિષ્ય પણ ગણાવી ચૂક્યા છે. સમસ્યા એ છે કે, વર્તમાનમાં જ એ પોતાનું સ્થાન નક્કી કરી શકતો નથી તો ભવિષ્યનું તો શું વિચારવું. મૂળે સ્થાનિક ફોર્મેટમાં છિંડાઓ હોવાને કારણે ભારતીય ક્રિકેટમાં પ્રતિભાનો દુષ્કાળ થયો છે, જેને આપણે ઓલરાઉન્ડર ગણાવીએ છીએ તે રવિન્દ્ર જાડેજાને સારા બોલીંગ આક્રમણ સામે વીસ-ત્રીસ રન કરવામાં પણ શ્વાસ ચડી જાય છે. આવા બી કે સી ગ્રેડના બેટ્સમેનો સ્થાનિક ક્રિકેટમાં બેવડી-ત્રેવડી સદીઓ મારીને નેશનલ ટીમ માટે પોતાનો દાવો નોંધાવે છે અને પછી આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં દેશના મોં પર કાળી મેસ ચોપડે છે. જાડેજા વનડે માટેનો એક ઉપયોગી બોલર છે. તેનાથી વિશેષ કશું જ નહીં. હમણાં એક મેચમાં છઠ્ઠા નંબર પર જ્યારે તેને બેટીંગમાં ઉતારાયો ત્યારે એ ભારતીય ક્રિકેટના તળીયે પહોંચેલા સ્તરનું ઉદાહરણ હતું. 




વિશ્વ કક્ષાની ટેલેન્ટ ક્યાં છે. ગંભીરની કેરિઅર ટોચ પર પહોંચે તે પહેલા જ એક ખેલાડી તરીકે તેનું પતન થવા માંડ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અને એ પહેલા ઈંગ્લેન્ડમાં થયેલા ભારતના કરુણ રકાસમાંથી આપણે કશું જ શીખ્યા નથી. એશિયા કપમાંથી માત્ર સેહવાગને જ શા માટે ડ્રોપ કરાયો? સચિન, રૈના, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા વગેરે ખેલાડીઓએ આખી ટુરમાં ઉકાળ્યું શું છે? આંચકાજનક વાત તો એ છે કે, સેહવાગની બાદબાકીને પણ ચિફ સિલેક્ટર શ્રીકાંત "હકાલપટ્ટી" નહિ પરંતુ "ઈજાને કારણે આરામ" ગણાવે છે! વર્ષે પાંત્રીસ લાખનો પગાર લેતા આ પસંદગીકારો ગદ્દાર છે. એમનામાં કોઈને ડ્રોપ કરવા  માટેની છાતી કે હિંમત નથી. છાપેલ કાટલાં જેવા  સચિનને તેઓ એશિયા કપમાં બેસાડી દેવાને બદલે તેણે તેમાં રમવાની વિનંતી કરે છે! આ બધા હીરલાઓને ચોક્કસ જગ્યાએ લાત મારી ને કાઢવાની જરૂર હતી. આ કોઈ રજવાડું નથી, અહીં કોઈની ગાદી કાયમી ના હોવી જોઈએ. દેખાવ અને સાતત્ય, એ બેઉ મુખ્ય વસ્તુ છે. આજે એ ગૌણ બની ગઈ છે. આ પેધા પડી ગયેલા લોકોને  એશિયા કપમાં પણ રમાડવાથી છેવટે ભારતીય ક્રિકેટને નુકસાન જ છે. એક તો, નવા ક્રિકેટરોને તક નહિ મળે. બીજું, બાંગ્લાદેશની નિર્જીવ વિકેટ પર આ થોરિયાઓ ફરી ગુલાબની જેમ ખીલી ઉઠવાના છે અને ફરી સસલાઓ સાવજ બની ફરવા લાગશે. વાસ્તવિકતા એ છે કે, બાઉન્સી વિકેટો પર તેમને ફરી જ્યારે રમાડવામાં આવશે, ફરી તેઓ પાણીમાં બેસી જશે. છેલ્લા બે-ત્રણ વર્ષની અંદર ભારતને ખરેખર વિશ્વકક્ષાની કોઇ ક્રિકેટીંગ ટેલેન્ટ પ્રાપ્ત થઇ હોય તો તે એકમાત્ર વિરાટ કોહલીને ગણી શકાય. રવિચંદ્ર અશ્વિનમાં દમ હોય તેવું લાગે છે, પરંતુ તેણે હજુ ઘણું પુરવાર કરવાનું બાકી છે. આપણાં નવી પેઢીના ખેલાડીઓ ફાસ્ટ વિકેટ ભાળીને થરથર ધ્રુજવા માંડે છે. સુરેશ રૈના દરેક વખતે  બાઉન્સ રમવામાં થાપ ખાય છે અને ઉછાળને પારખી શકતો નથી. નિયમીત રીતે તે ત્રીસ યાર્ડના સર્કલમાં ઉંચોઉંચો કેચ આપી બેસે છે. ગંભીરને આઉટ કરવો હોય તો માત્ર ત્રણ જ ખેલાડીની જરૂર પડે. એક બોલર વત્તા બે સ્લીપ. બાકીના આઠ પ્લેયર્સ પેવેલિયનમાં બેઠા હોય તો પણ ચાલે. સચિન, સેહવાગ તથા દ્રવિડ અને લક્ષ્મણ જેવા ખેલાડીઓને ઘેર બેસાડવાની વાતો તો બહુ થાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે, શું આપણે આટલા વર્ષોમાં તેમના વિકલ્પ તૈયાર કરી શક્યા ? બેશક, સચિન, સેહવાગ વગેરેની કારર્કિદી અસ્તાચળે છે, પરંતુ સમસ્યા એ છે કે, નવા ફાલમાં શું એટલી આવડત છે કે, તેઓ ભારતીય ક્રિકેટને સચિન, સેહવાગની સરખામણીએ દસ-વીસ ટકા પણ પ્રદાન કરી શકે ?

ભ્રમ ૪: ધોની એક કુશળ કપ્તાન છે, તેણે ભારતને વિશ્વકપ અપાવ્યો તથા ભારતીય ટીમને ટોચ પર પહોંચાડી.

વાસ્તવિકતા: ભારતને વિશ્વકપ અપાવવામાં ભારતીય ટીમ ઉપરાંત અન્ય ટીમોનો પણ ફાળો છે. આપણે યાદ રાખવું જોઇએ કે, ઓસ્ટ્રેલિયામાંથી હેડન, ગીલક્રીસ્ટ, વોર્ન, મેકગ્રાથ વગેરે જેવા ખેલાડીઓ  એકસાથે વિદાય થયા તે પછી તેમની ટીમમાં હવે અગાઉ જેવો દમ રહ્યો નથી. વિશ્વકપ સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ નવસર્જનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી હતી.  ઈંગ્લેન્ડની ટીમ પણ હજુ નિર્માણના તબક્કામાં હતી. જેને મજબુત હરીફ કહી શકાય તેવી આફ્રિકાની ટીમમાં પણ અનેક ઉણપો હતી. આ બધી ટીમોની નબળાઇઓનો પૂરેપૂરો લાભ ભારતીય ટીમને મળ્યો છે. એક સરળ પ્રશ્નનો જવાબ વિચારીએ તો પણ સ્થિતિનો ખ્યાલ આવી જશેઃ શું રિકી પોન્ટિંગની પેલી વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સામે ધોનીની વર્લ્ડ ચેમ્પીયન ટીમ ટકી શકે. નંબર વનનું આપણું સ્થાન ક્ષણિક હતું. જે હવે સ્વાભાવિક રીતે જ છીનવાઇ ગયું છે. સ્ટીવ વો અને પોન્ટીંગની ટીમે જે રીતે ક્રિકેટ પર રાજ કર્યુ છે તેની સરખામણીએ ધોનીની ટીમ તદ્દન ઠોબારી ગણાય. આપણે જેને આપણો ઉત્તમ બોલર ગણીએ છીએ તે ઝહીર ખાન દસમાંથી આઠ સિરીઝમાં ઇન્જર્ડ હોય છે. આપણે માનીએ છીએ કે, તે મેચવિનર છે. પરંતુ જરા યાદ કરો કે, કોઇ મેચમાં પાંચ-સાત વિકેટ લઇને તેણે મેકગ્રાથ કે મુરલીધરનની જેમ આતંક મચાવ્યો હોય તેવું છેલ્લે ક્યારે બન્યું હતું? ખરેખર તેવું ક્યારેય બન્યું હતું ? હરભજનને આપણે વિશ્વકક્ષાનો સ્પિનર ગણાવીએ છીએ, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એ સ્પિનિંગ ટ્રેક ઉપર પણ વિકેટ લઇ શકતો નથી, બેટિંગ ટ્રેકની વાત અલગ છે. શ્રીસંત અને પઠાણ જેવા બોલરો એક સીરિઝમાં ચાલે છે તો નવ સિરીઝમાં ભારતીય ટીમનું મુંડન કરાવે છે. ઈશાંત શર્મા નામનો એક ઉન્તીય જેવો ખેલાડી હડીયું મેલી જે બોલ ફેંકે છે તેણે તમે બોલિંગ ગણો છો? સ્પેર વિકેટ કીપર તરીકે અને વધારાના બેટ્સમેન તરીકે આપણે પાર્થિવ પટેલ જેવો ખેલાડી રાખીએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે, તેની આવડી કારકિર્દી દરમિયાન ગણીને તે એક ઇનિંગ સારી રમી શક્યો નથી, છતાં તેનું સિલેકશન થયા જ કરે છે. વાસ્તવિકતા એ છે કે, પાર્થિવમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાના બેટ્સમેનનો એકપણ ગુણ નથી. તે પોતાની ઇન્ટરનેશનલ કેરિયરની ઉત્તમોત્તમ બેટીંગ કરે તો પણ ભારતને જીતાડી શકવાનો નથી. છતાં એ ભારતીય ટીમનો હિસ્સો છે !



વિશ્વકપ જેવી ટુર્નામેન્ટ ભારત જીત્યું તેનું મૂલ્ય સાવ ઓછું નથી. પરંતુ તેને લીધે ધોની એક કુશળ કેપ્ટન બની જતો નથી. એક કપ્તાન તરીકે તેના સબળ પાસાઓ કરતાં તેની નબળાઇઓનું પલ્લું ભારે છે. આર.પી. સિંગ અને રૈના જેવા ખેલાડીને ટીમમાં જાળવી રાખવાની તેની જીદની કિંમત ભારતીય ટીમે અનેક વખત ચૂકવી છે. પઠાણભાઇઓ તરફનો તેનો પૂર્વગ્રહ ભારતને ઘણી વખત નડ્યો છે. ઉત્તમ બોલરોની ઓવર્સ છેલ્લે સુધી સાચવી નહીં શકવાની તેની અણઆવડત અનેક વખત ઉઘાડી પડી છે. ટેસ્ટ મેચોમાં ટોસ જીત્યા પછી બેટિંગ કે બોલિંગ પસંદ કરવામાં તેણે આજ સુધી અનેક વખત લોચા માર્યા છે.  બેટિંગ ઓર્ડરમાં આવશ્યકતા મુજબ ફેરફાર નહિં કરવાની તેની મુઢતા અને મુર્ખતાની ઘણા વિવેચકોએ ટીકા કરી છે. પરંતુ સફળતા એક મોટું સ્ટેટમેન્ટ છે. જ્યારે તમે સફળ થઇ રહ્યા હો ત્યારે તમે બેફિકર કે બેપરવાહ થઇ શકો છો. કારણ કે, તમારૂં પત્તુ ચાલતું હોય છે. જ્યારે પત્તુ ચાલવાનું બંધ થાય અને તમારા નસીબનો સુવર્ણકાળ ખતમ થાય ત્યારે ઘણા સત્યો આપમેળે સપાટી પર દેખાવા લાગે છે. અત્યારે ભારતીય ટીમ તરફ જુઓ તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે, ભારતને વિશ્વકપ અપાવ્યો હોવા છતાં ધોની એક સામાન્ય કેપ્ટનથી વિશેષ કંઇ જ નથી.




*'અકિલા'માં પ્રકાશિત લેખ. થોડા ફેરફાર સાથે.