Friday, August 31, 2012

CAG Vinod Rai

ભારતીય બ્યુરોક્રસી અને વિનોદ રાય: 
એક બાબુ ધારે તો શું ન કરી શકે ? 


CAG Vinod Rai

દિગ્વિજય અને મનીષ તિવારી જેવા શઠ લોકોને જેનું નામ સાંભળતાં ચૂંક આવે છે એ વિનોદ રાયએ ભારતના ઓડિટર જનરલની ખુરસી ખરા અર્થમાં શોભાવી છે. કોમનવેલ્થથી લઇ કોલસા કૌભાંડ સુધીના તેમના અહેવાલોએ ચોર-બદમાશ રાજકારણીઓને નાકે દમ કરી દીધો છે. આપણે સૌ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ માટે અન્ના, રામદેવ અને સુબ્રમનીયમ સ્વામીને ભલે યશ આપીએ પરંતુ એ માટેનો સૌથી વધુ યશ વિનોદ રાયને મળવો જોઈએ કારણ કે, અદાલતોમાં સ્વામી વગેરે જેના  આધારે કેઈસ લડે છે તે રીપોર્ટ વિનોદ રાયએ તૈયાર કર્યા છે. ભ્રષ્ટ મનમોહનના ચહેરા પરનો નકાબ હટાવવામાં પણ સૌથી મોટી ભૂમિકા એમની જ રહી છે. પરંતુ સમસ્યા એ છે કે, કોઇ એક ટી.એન. શેષન આવે ત્યારે જ આપણને ઇલેકશન કમિશનનું મહત્વ સમજાય છે. સી.વી.સી.માં કેટલી તાકાત છે તે જાણવા દાયકાઓ સુધી આપણે એન. વિટ્ટલ જેવા અધિકારીની રાહ જોવી પડે છે. એટલે જ તાજેતરમાં સિંગાપોરની એક એજન્સીએ કરેલા સર્વેમાં ભારતીય બ્યુરોક્રસીને એશિયાની સૌથી ભૂંડી બાબુશાહીનો ખિતાબ મળ્યો છે. બ્યુરોક્રસી જો સુધરે તો દરેક ભારતીયના જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકશે...
========================================


દેશ એક સમયે "સોને કી ચિડિયા" કહેવાતો. વાયકા છે કે, અહીં ઘી-દૂધની નદીઓ વહેતી હતી. બેશક, આવી બધી વાતોમાં અતિશયોકિતનું પ્રમાણ પણ ઓછું નથી હોતું. પરંતુ એક વાત સ્પષ્ટ છેઃ બાબુશાહીના સમયમાં પ્રજા વધુ રાંક બની છે, વધુ લાચાર અને વધુ કચડાયેલી બની છે. અગાઉના સમયમાં રાજાશાહી હતી. ગામમાં એક જ રાજા રહેતો. આજે એક ગામમાં બે-ચાર ડઝન અફસરો હોય છે અને એમનો જુલ્મ પેલા રજવાડાં કરતાં અનેકગણો વધુ છે. અગાઉ પ્રજાને માત્ર રાજાનાં નખરાઓનો ખર્ચ ઉઠાવવો પડતો. આજે અફસરોના મોજશોખ અને તેમની દડુકાઇ સહન કરવા પડે છે. કોણ કહે છે કે, ભારતમાં રાજાશાહી ખતમ થઇ ગઇ છે ? રાજાઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. હા ! હવે તેઓ બ્યુરોક્રેટ્સ તરીકે ઓળખાય છે ! તફાવત માત્ર આટલો જ છે. 

ભારતના બંધારણએ બ્યુરોક્રસીને ભરપૂર સત્તાઓ આપી છે, અખૂટ શકિત પ્રદાન કરી છે. પણ સત્તા અને શકિતનો વિવેકપૂર્ણ સદુપયોગ કરવાની નૈતિકતા જગતનું કોઇ જ બંધારણ આપી શકતું નથી. આવા સદગુણો તમારા ડી.એન.એ.ના બંધારણમાં હોવા ઘટે. કમનસીબે આપણે ત્યાં બ્યુરોક્રસીમાં માટીપગાઓ જ ઘુસ્યા છે. તેમની શકિતઓનો અને સત્તાઓનો તેઓ મન મૂકીને દુરૂપયોગ કરે છે. તેમની પાસે એટલો સત્તાઓ છે કે, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા જાળવે તો તેઓ આ દેશની અનેક સમસ્યાઓનો ઉકેલ આણી શકે. દરેક કૌભાંડો અને ગોટાળાઓ વખતે આપણે રાજકારણીઓને પેટ ભરીને ગાળો ભાંડીએ છીએ. બેશક તેઓ તેને લાયક છે જ. પરંતુ આપણે ભૂલી જઇએ છીએ કે, આવા તમામ કૌભાંડો વગેરેની ફાઇલ બ્યુરોક્રસીને મીઠી નજર તળે જ પસાર થઇ હોય છે.

બ્યુરોક્રસીનો વિચાર બહુ ઉમદા છે. સામાન્ય નાગરિકથી માંડી ઉદ્યોગપતિ સુધીના લોકોને રોજબરોજની સમસ્યાઓમાંથી છૂટકારો મળે, લોકોનું જીવન વધુ સુગમ બને તેવા પગલા લેવાય અને રાજ્યનો વહીવટ સ્મુધલી ચાલ્યા કરે. બને છે તદ્દન ઉલ્ટું. બ્યુરોક્રસી આપણે ત્યાં જેટલી સમસ્યાઓ ઉકેલતી નથી તેનાં કરતાં વધુ સમસ્યાઓનું સર્જન કરે છે. રખડતા ઢોરથી લઇ અપૂરતા પાણી સુધીની અને બેહાલ રસ્તાઓથી શરૂ કરી ગેરકાયદે બાંધકામો લગીની અગણિત સમસ્યાઓના સર્જનમાં બ્યુરોક્રસી સીધી કે આડકતરી રીતે બહુ મોટો ભાગ ભજવે છે. આ દેશનો સામાન્યજન બદમાશ, ભ્રષ્ટ અને લુચ્ચો તથા સ્વાર્થી છે. બ્યુરોક્રસીમાં બેઠેલા સફેદ હાથીઓ પણ આ જ સમાજનું અંગ છે. એમની ભૂખ અપાર છે, ડાયેટ અને એપેટાઇટ બહુ રાક્ષસી કહી શકાય એવા છે. એમની બિનકાર્યક્ષમતાનો કોઇ પાર નથી, જેઓ કાર્યક્ષમ છે. તેમણે પોતાની શકિતઓ ગેરમાર્ગે વાળવામાં કોઇ કસર છોડી નથી. આ આધુનિક રજવાડાઓ ફાટીને ધૂમાડે ગયા છે, તેઓ ઘણી વખત રાજકારણીઓને પણ ગાંઠતા નથી અને કાનૂનની તેઓ સતત અવગણના કરે છે. એમને પદભ્રષ્ટ કરવાનું કે ઘેર બેસાડવાનું કાર્ય સહેલું નથી. કાચબા જેવી ધીમી ન્યાયપ્રણાલી ધરાવતા આ દેશમાં ભ્રષ્ટતમ્ બ્યૂરોક્રેટને ભ્રષ્ટ સાબિત કરવા એ ચંપલ પહેરીને એવરેસ્ટનું આરોહણ કરવા જેવું ઓલમોસ્ટ અસંભવ કાર્ય ગણાય. 

CAG Vinod Rai : ડોગ્વીજયને પોતાના અહેવાલોથી બહુ સારી પેઠે નચાવી જાણે છે  વિનોદ રાય


ભારતના નઠારા રાજકારણીઓની માફક આ નઘરોળ બ્યુરોક્રસી પણ એક રાષ્ટ્રીય સમસ્યા છે. આપણે તો વર્ષોથી આ વાત જાણતા હતા. હવે દુનિયા સાવ ખોબા જેવડી બની ગઇ છે ત્યારે જગત આખું આ વાત સ્વીકારે છે. સિંગાપોરની વિખ્યાત રિસર્ચ એજન્સી, `પોલિટિકલ એન્ડ ઇકોનોમિક રિસ્ક કન્સલ્ટન્સી લિમિટેડ'એ હમણાં એશિયામાં કરેલાં એક વિગતવાર સર્વેના તારણો બહાર પાડયા. આ અહેવાલમાં તેમણે ભારતીય બ્યુરોક્રસીને સૌથી વાહિયાત, નાલાયક અને બિનકાર્યક્ષમ ગણાવી છે. બ્યુરોક્રસીના અપલખ્ખણો માટે સ્કોરનાં દસ પોઇન્ટસ રખાયા હતા જેમાંથી 9.21 પોઇન્ટસ સાથે ભારતીય બ્યુરોક્રેટ્સએ પુરવાર કર્યુ છે કે, તેઓ દરેક પ્રકારની બદમાશીમાં શુરા છે. અહેવાલની ગંભીરતાનો ખ્યાલ એ વાત પરથી આવે કે, વિયેટનામ, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ અને ચીનની બ્યુરોક્રેસીને પણ તેમાં ભારતીય બાબુશાહી કરતા બહેતર ગણાવાઇ છે. સ્વાભાવિક રીતે જ હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા દેશોની બ્યુરોક્રેસી સૌથી કાર્યક્ષમ સાબિત થઇ છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની કાર્યક્ષમ બ્યુરોક્રસી મોટા બિઝનેસને તથા ઉદ્યોગોને રાત દિવસ કનડે છે. મંજૂરીઓ આપવાથી લઇને ફાઇલ પાસ કરવા સુધીની અનેક બાબતોમાં તેઓ અન્ડર ધ ટેબલ વહિવટ કરે છે અને ઉદ્યોગકારો કે બિઝનેસમેન જો આવું સમાધાન કરવા તૈયાર ન થાય તો એમના માર્ગમાં બાબુઓ અનેક રોડા નાંખે છે. જેઓ બ્યુરોક્રસીની શરણે જાય છે, એમને સરકારની અનેક પ્રકારની મદદ મળે છે.

અહેવાલ ચોîકાવનારો છે. આજ સુધી ભારતનો સામાન્ય માણસ જે અનુભવ કરતો હતો તેને જ તેમાં વાચા મળી છે. જરા વિચારવા જેવું છેઃ નાણાંના કોથળા લઇને બેસેલા ઉદ્યોગકારો અને બિઝનેસમેનની જો આવી હાલત હોય તો સામાન્ય જનતાની સ્થિતિ કેવી હશે ? બાબુઓ સુધી સામાન્ય જન પહોંચી જ શકતો નથી અને કદાચ 
 પહોંચી  ગયો તો એને જે જવાબ મળે છે તેના કારણે લોકશાહીમાંથી તેનો વિશ્વાસ દરરોજ ડગમગતો રહે છે. ભારતીય બ્યુરોક્રસી સામાન્ય જન માટે બહેરી છે. ધનવાનો તેમની ઓફિસમાં પ્રવેશ કરે કે તરત તેમના કાન સરવા થઇ જાય છે. ટેક્ષના અટપટા માળખાઓ અને પર્યાવરણથી લઇને પી.એફ. સુધીના વિચિત્ર કાયદાઓ આ નઘરોળ બ્યુરોક્રોસીનું સૌથી મોટું હથિયાર છે. બિઝનેસ અને ધંધામાં તમે કશી જ ભૂલ ન કરી હોય છતાં તમને ગુન્હેગાર સાબિત કરવાનું તેમના માટે બિલ્કુલ કઠિન નથી. એક્સાઇઝનો દરોડો આવે તો તમારા હજારો બોક્ષના સ્ટોકમાંથી એક બોક્ષ પણ જો ઓછું નીકળે કે વધુ મળે તો તમે પાપ કર્યુ છે. અહીં બિઝનેસ કરવો એ સહેલું કામ નથી. ખરા અર્થમાં કહીએ તો આ દેશમાં બાબુશાહીના રાજમાં શ્વાસ લેવો તે પણ એક સિદ્ધિ જ ગણાય. જગતનું જોઇને જો તમને દાઝતું હોય કે અભાવ અને અસુવિધાઓ ખુંચતી હોય અને જો તમે બ્યુરોક્રસીનો મતલબ જાણતા હોય, તેની રચના પાછળનો ઉમદા ઉદ્દેશ્ય જાણતા હોવ તો સ્થિતિ એવી છે કે, તમે ડિપ્રેશનમાં આવી જશો. દરેક ભારતીય લાચાર છે, એ હતાશ છે. જે સમજુ છે તેમના ડિપ્રેશનનું પ્રમાણ ઉંચુ છે. આ સ્થિતિ કોઇના માટે સ્વીકાર્ય ન હોવી જોઇએ, પણ દરરોજ માાલાને મારીને હસતા મોîએ અહીં જિંદગીનો ભાર સહેવો પડે છે. આપણું જીવન દુષ્કર બનાવતા અનેક નિર્ણયો બ્યુરોક્રેટ્સ નિત્ય લેતા રહે છે. પરંતુ આ અહેવાલ કહે છે કે, ઇરાદાપૂર્વક લેવાયેલા ખોટા નિર્ણયો માટે પણ બ્યુરોક્રેટ્સને જ્વલ્લે જ જવાબદાર ઠેરવાય છે. એમને ચેલેન્જ કરવાનું અસંભવ છે. કારણ કે, તેમની પાસે પ્રચંડ શકિત છે, પરંતુ અફસોસ એ છે કે, એ શકિતના ઉપયોગની પ્રામાણિક પ્રતિબદ્ધતા નથી. અહેવાલમાં એટલે જ કહેવાયું છે કે, ભારતની સામાન્ય પ્રજામાં પણ બાબુઓ માટે નકારાત્મક વિચારો જ ફેલાયેલા છે. વાત મુદ્દાની છે. એક બાબુ ઇચ્છે તો અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. પરંતુ તેમને પોતાના જીવનમાં પરિવર્તન આણવા સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં ખાસ રસ નથી. ભૂતકાળ તાજો જ છે. અને વર્તમાન નજર સામે છે. કોલસા બ્લોક કૌભાંડમાં કહેવાતા ઈમાનદાર વડાપ્રધાન મનમોહનને ધોળા દિવસે આકાશદર્શન થઇ ગયું છે. એમની રહીસહી આબરૂનું પણ સંપૂર્ણ ધોવાણ થઇ ચુક્યું છે. એક બ્યુરોક્રેટ ધારે તો શું-શું કરી શકે, તેનો અનુભવ કરવા જરા ગયા વર્ષના કૌભાંડો તરફ નજર દોડાવવા જેવું છે. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ (કેગ) વિનોદ રાયએ તૈયાર કરેલા અહેવાલો પરથી ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડથી લઇને કે.જી. બેસીન તથા કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડો ઉઘાડા પડયા છે. આ વિનોદ રાય પણ પંચતત્ત્વમાંથી બનેલા એક કાળા માથાના માનવી છે. તફાવત એટલો જ છે કે, મોટાભાગના બ્યુરોક્રેટ્સની માફક તેઓ માટીપગા નથી. 62 વર્ષની ઉંમરના વિનોદ રાય કોલેજકાળથી જ પર્વતારોહણ અને ટેનિસ જેવી રમતોમાં ઉંડો રસ લેતા આવ્યા છે. આજે તેઓ ભારતની ભ્રષ્ટ રાજનીતિના શિખર હચમચાવી રહ્યા છે. દિગ્વિજય જેવાના પેટમાં ચૂંક ના ઉપદે તો જ નવાઈ ગણાય. એમના તિક્ષ્ણ અહેવાલોમાં રોજર ફેડરરના કે પિટ સામ્પ્રાસના એઈસ  કરતાં વધુ પાવર છે. ટુ-જીના અંદાજીત નુકસાનના તેમણે આપેલા આંકડાને ઓછો કરવા માટે અથવા તો ઓછો દર્શાવવા માટે વર્તમાન કેદ્ર સરકારના તાકાતવર નેતાઓએ અનેક ધમપછાડા કર્યા. કેબિનેટના ટોચના મંત્રીઓ સમક્ષ તેમને એક કરતાં વધુ વખત બોલાવવામાં આવ્યા, તેમનો ઉધડો લેવાનો પ્રયાસ થયો, પરંતુ વિનોદ રાય ટસના મસ ન થયા. તેઓ ઝુકવા તૈયાર નથી. એટલે ફોર્બ્સ ઇન્ડિયા જેવા ખ્યાતનામ મેગેઝિને પણ તેમને પર્સન ઓફ ધ યરના ખિતાબથી નવાજ્યા છે. ભારતના ટોચના એકસો રાજકારણીઓ તથા બ્યુરોક્રેટ્સમાં થયેલા એક ખાનગી સર્વેમાં તેમને દેશના સૌથી શકિતશાળી બ્યુરોક્રેટ ગણાવવામાં આવ્યા છે. યાદ રાખવા જેવું છે કે, વિનોદ રાયને આ બહુમાન મેળવવામાં તેમની સમર્પણ ભાવના તથા પ્રતિબદ્ધતા જ કામે લાગ્યા છે. રાજકારણીઓ સાથે સહશયન કરી ધાર્યા પોસ્ટિંગ મેળવતા કોઇ પિઠ્ઠુ જેવા બ્યુરોક્રેટને આ ખિતાબ મળ્યો નથી. 

CAG Vinod Rai: વિનોદ રાયના ચાર શિકાર: કહેવાતા અનેક ઈમાનદારોનો અસલી
અને ભ્રષ્ટ ચહેરો તેઓ આપણી સમક્ષ લાવ્યા છે!


કહેવાય છે કે, ટુ-જી સ્પેકટ્રમનો અને કોમનવેલ્થ ગેમ્સનો અહેવાલ માઇલ્ડ કરવા માટે તેમના પર પ્રચંડ રાજકીય દબાણ હતું. પરંતુ બ્યુરોક્રસીમાં વર્ષો ગાળ્યા પછી આવી બધી બાબતોમાં તેઓ સીઝન્ડ થઇ ગયા છે. કોઇપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર તેમને અધિકારીઓને માત્ર એટલી સૂચના આપી કે, અહેવાલ તૈયાર કરતી વખતે તેમણે વધુ પડતા કડક શબ્દોથી અને આકરી ટીકાઓથી બચવું. કારણ બહુ સ્પષ્ટ છેઃ એમના અહેવાલનો મદાર તેમાંની વિગતો પર હતો. એ વિગતો જ એટલી આકરી હતી કે, કડવા વેણની આવશ્યકતા ઉભી ન થાય. વિનોદ રાયએ ધગધગતા અહેવાલો તૈયાર કર્યા અને આ કૌભાંડોની અવગણના કરવા બાબતે તેમણે વડાપ્રધાનને અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પણ બરાબર સાણસામાં લીધા. બધાને સમજાયું કે, એક માથાફરેલ અધિકારી જો ધારે તો શું-શું કરી શકે છે. સમસ્યા એ છે કે, સરકારની મોટાભાગની જગ્યાઓ અથવા તો પોસ્ટ્સનો પાવર અગાધ છે. પરંતુ તેના પર બેઠેલો અલ્લેલટપુ જેવો અધિકારી જે-તે જગ્યાનું હીર હણી લે છે. તેઓ એ જગ્યાને કોડીની બનાવીને રાખી દે છે. 

એકાદ ટીએન શેષન આવે ત્યારે આપણને સમજાય છે કે, ઇલેકશન કમિશ્નરનો દબદબો કેવો હોય છે. કોઇ એક એન. વિટ્ટલ આવે ત્યારે જ આપણને માલૂમ થાય છે કે, ચીફ વિજીલન્સ કમિશ્નર જો ઇચ્છે તો કેટલું પરિવર્તન આણી શકે. ખેરનાર જેવો એક અધિકારી આવે ત્યારે સમજાય છે કે, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર પણ કેટ-કેટલા લોકપયોગી કાર્યો કરી શકે છે. વિનોદ રાયએ આપણને કેગની હોટ સીટનું મહત્વ સમજાવ્યું છે. આજે તેઓ આવા સ્ફોટક અહેવાલો તૈયાર કરવા ઉપરાંત પણ અનેક પાયાના સુધારાઓ કરવા માટે મથી રહ્યા છે. તકલીફ એ છે કે, કેગની સત્તાઓ માત્ર કેદ્રના વિભાગો સુધી મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, જો ગ્રામ્ય વિકાસ મંત્રાલયએ અમૂક નાણાં વિકાસ માટે પંચાયતોને ફાળવ્યા હોય તો એ નાણાંનો ક્યાં ઉપયોગ થયો તેની માહિતી પંચાયત પાસેથી માંગવાની કેગ પાસે સત્તા નથી. રાય ઇચ્છે છે કે, આવી સત્તાઓ સીએજીને મળવી જોઇએ, નહીંતર ભ્રષ્ટાચારનું મુળ ક્યાં સુધી પહોîચ્યું છે એ જાણવાનો કોઇ રસ્તો જ નથી વધતો. બીજી એક મહત્વની સમસ્યા એ છે કે, કેગ જ્યારે કોઇ સરકારી વિભાગ પાસેથી ખર્ચની વિગતો માંગે ત્યારે તે પુરી પાડવા માટેની કોઇ જ નિયત સમયમર્યાદા નથી. વિનોદ રાયએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ``જો આ દેશનો સામાન્ય માણસ પણ માહિતી અધિકારના કાયદા હેઠળ પોતે માંગેલી માહિતી ત્રીસ દિવસમાં મેળવી શકતો હોય, તો કેગને આવી જ માહિતી શા માટે ત્રીસ દિવસમાં ન મળે ?'' મુદ્દો અગત્યનો છે. અને વિનોદ રાય આવા દઝાડતા મુદ્દાઓને ખુલ્લી હથેળીએ ઝાલવા માટે જાણીતા છે. વડાપ્રધાન મનમોહન સિંહએ એમની પાસેથી એક પ્રેઝન્ટેશન માંગ્યું હતું, જેમાં સંરક્ષણ સોદાઓમાં પારદર્શકતા લાવવા માટે સૂચનો હતાં. રાયએ સૂચન કર્યુ છે કે, ડિફેન્સની ડિલ માટે ફાળવાયેલા બજેટનો ત્રીસ મહિનામાં ઉપયોગ થવો જોઇએ. સામાન્ય રીતે તોતીંગ રકમના કારણે સંરક્ષણના સોદાઓ હંમેશા વિવાદમાં રહેતા હોય છે. આવા વિવાદો ટાળવા તથા પ્રક્રિયાને વધુ શુદ્ધ કરવા તેમણે કેટલાંક ક્રાંતિકારી સૂચનો કર્યા છે. વડાપ્રધાન ઓફિસને આટલું દઝાડયા પછી કલમાડી તથા રાજા જેવાને જેલભેગા કર્યા બાદ પણ વડાપ્રધાનએ એ જ વિનોદ રાયની મદદ લેવી પડે છે, એ વાત તેમની કાર્યક્ષમતાની સાબિતી આપે છે. 

સામાન્ય નાગરિક ઉપરાંત બ્યુરોક્રેટ્સએ પણ આખી બાબતમાંથી શિખવા જેવું એ છે કે, માત્ર નેતાઓની ભાટાઇ કરવાથી કે પોતાના વહિવટના કામોમાં ગળાડુબ રહેવાથી ટોચના પદ સુધી પહોંચાતું નથી, પરંતુ તેના માટે કડકાઇની, પ્રતિબદ્ધતાની અને નિષ્ઠાની આવશ્યકતા છે. બ્યુરોક્રેટ્સને આઝાદીના સાંઠ વર્ષે આ વાત સમજાશે તો ભવિષ્યમાં જ્યારે સિંગાપોરની કે વિદેશની કોઇ એજન્સી આવો સર્વે કરશે ત્યારે આપણી બ્યુરોક્રેસી નાલાયકીમાં એ અહેવાલમાં પ્રથમ સ્થાને નહીં હોય.

*  "અકિલા"માં પ્રકાશિત 

Tuesday, August 14, 2012

મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!

 (મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

૧૫ ઓગસ્ટ વિશેષ :
ગયા વર્ષે 15 ઓગસ્ટે ધ્વજવંદન સમયે લાલ કિલ્લા પરથી જગતની સૌથી મોટી લોકશાહીની સૌથી લાચાર વ્યક્તિએ કહ્યું કે, તેમની પાસે ભ્રષ્ટાચાર ડામવાની કોઈ જાદુઈ છડી નથી. કોઈ જાદુમંતર કરીને તેઓ સ્પેક્ટ્રમમાંથી બે લાખ કરોડ અદૃશ્ય કરી શકે છે, આવા જ જાદુ ટોના કરીને કોમનવેલ્થ ગેમ્સનું બજેટ 1700 કરોડમાંથી ૮૫ હજાર કરોડ સુધી પહોંચાડી શકે છે. કોઈ અદ્ભુત મંત્રનું ઉચ્ચારણ કરીને તેઓ હસન અલી જેવા દેશદ્રોહી ટેક્સચોરને ન્યાયતંત્રની જાળમાંથી આઝાદ રાખી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત આવે ત્યારે છડીના અભાવના કર્કશ મરશિયા જોર-જોરથી ગાવા માંડે છે. દેશવાસીઓ પૂછે છે કે, જો જાદુની છડીની જરૂર હોય તો કે. લાલ કે પી. સી. સરકારને બોલાવો અને પ્રતિબદ્ધતાની જરૂર હોય તો તમે એ દર્શાવો. જો તમે લાચાર છો તો ગાદી પરથી આ ક્ષણે ઊતરી જાઓ અને ઘેર જઈ બે ટંક રોટલા ખાઈ પ્રભુનું સ્મરણ કરો. જો તમે અશક્ત છો તો નિવૃત્તિ લઈ લો, જો તમારામાં તાકાત નથી તો બીજાને તક આપો. જો તમારું આત્મગૌરવ હણાઈ ગયું છે તો વિકલ્પ શોધો. જો તમે અસમર્થ છો તો રસ્તો કાઢો. જો તમે ગુલામ છો તો આઝાદ થાઓ. જો તમે ચિઠ્ઠીના ચાકર છો તો એ વાત પણ યાદ રાખો કે તમે સૌપ્રથમ એક પબ્લિક સર્વન્ટ છો. જ્યારે પબ્લિકને સર્વ કરવાની અથવા તો પ્રજાની સેવા કરવાની તમારી શક્તિ હણાઇ જાય ત્યારે એ જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થવું એ જ ઉત્તમ ગણાય. તેમાં આ દેશનું પણ ભલું છે અને પ્રજાનું પણ કલ્યાણ છે. જે સંસદીય લોકશાહીના સોગંધ તમે રોજ સવારે ઊઠીને આપ્યા કરો છો એ સંસદીય લોકશાહી અત્યારે ચોધાર આંસુએ રડી રહી છે. કહેવાતી જગતની પ્રથમ ક્રમાંકની લોકશાહી પર એક પરિવાર અને તેમના કેટલાક મળતિયાઓનો કબજો છે. એટલે જ 15 ઓગસ્ટે જ્યારે મનમોહન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની ગરિમા ઘટી ગઈ હોય તેવું લાગે છે. વધુ સ્પષ્ટપણે કહેવું હોય તો કહી શકાય કે, મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજ ઊન્નત નથી હોતો, એ આપમેળે અર્ધી કાઠીએ હોય છે!
(મારા પુસ્તક, "મહા-ભારતની રામાયણ"માંથી)

Tuesday, August 7, 2012

Kinner Aacharya's Book : Maha-Bharat Ni Ramayan



મહા-ભારતની રામાયણ 





દોસ્તો, ઘણા સમયથી જેની પ્રતીક્ષા (મને!) હતી એ મારું પુસ્તક અંતે ગઈકાલે પ્રકાશિત થઇ ચૂક્યું છે. 
આજે બપોરથી એ રાજકોટમાં ઉપલબ્ધ હશે અને અમદાવાદ, નવભારત ખાતે તો તો ઉપલબ્ધ છે. 
અન્ય શહેરોના તમામ મુખ્ય બૂક સ્ટોલમાં આજકાલમાં જ ઉપલબ્ધ. પુસ્તક વિશેની બાકીની વિગતો અહીં મુકાતો રહીશ પરંતુ અત્યારે તો તેનું ટાઈટલ અને કેટલીક પ્રાથમિક વિગતો મૂકી રહ્યો છું...    


લેખક: કિન્નર આચાર્ય 

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર 

શીર્ષક: પ્રણવ અધ્યારુ 

ટાઈટલ ડીઝાઈન: ગિરિશ ચૌહાણ 

પાનાં: ૨૫૬

કિંમત: ૨૦૦ 





-:મુખ્ય પ્રાપ્તિસ્થાનઃ- 

અમદાવાદ: 
નવભારત સાહિત્ય મંદિર

જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ , ફોન: ૦૭૯ - ૨૨૧૩ ૯૨૫૩ 

અને 

૨૦૨ - પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯

બુકશેલ્ફઃ
16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
સી.જી. રોડ, અમદાવાદ



મુંબઈ:

134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૨ 
ફોન: (079) ૨૨૧૩૨૯૨૧ / ૨૨૧૩૯૨૫૩ 

રાજકોટ: 
રાજેશ બૂક સ્ટોલ:
લોધાવાડ ચોક, પોલીસ ચોકી સામે, ફોન: ૦૨૮૧-૨૨૩૩૫૧૮ અને 
ડોક્ટર યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર કોલેજ સામે.

મયુર એજન્સી:
જીવન બેંક સામે, સીડીવાળી શેરી, ઢેબર રોડ, ફોન: ૦૨૮૧-૨૨૩૩૬૧૮ 
અને
કાલાવડ રોડ, આત્મિય કોલેજ સામે. ફોન: ૯૮૨૪૨ ૧૧૨૩૯     


અન્ય શહેરોના તમામ મુખ્ય 

બૂક સ્ટોલમાં એક-બે દિવસમાં ઉપલબ્ધ.