Tuesday, August 23, 2011

અન્નાની આંધી, આજે પણ પ્રસ્તુત છે ગાંધીઃ ભ્રષ્ટાચાર વિરોધી લડતે અનેક પ્રચલિત ભરમ ભાંગ્યા!

photograph courtesy: rediff.com

અન્ના હઝારેની લડાઇ વચ્ચે અનેક નોંધવા જેવી બાબતો પ્રત્યે આપણું ધ્યાન ગયું નથી. સવાલ એ છે કે, શ્રી શ્રી રવિશંકર સિવાયના ધર્મગુરૂઓ જનહિતની આ બાબતમાં શા માટે રસ લેતા નથી?વ્યસન મુકિતની ઝૂંબેશના નામે માર્કેટિંગ કરતા સાધુ, સ્વામિઓ દેશનાં સૌથી ભયાનક વ્યસન એવા ભ્રષ્ટાચાર બાબતે કેમ ચૂપ છે? 
શું મિડિયાનો ભરપુર સહયોગ ન હોત તો ઝૂંબેશ આટલી હદે સફળ થઇ હોત?

તારીખ ૧૯ ઓગસ્ટની સવારથી શરૂ થયેલી ગતીવિધિઓ પર એક દ્રષ્ટિપાત કરવા જેવું: સવારનાં ૧૧:૩૦ વાગ્યેઃ ભાજપના નેતા એલ.કે. અડવાણી વિરોધ પક્ષમાં રહેલી દરેક પાર્ટીને અન્નાનાં સમર્થનમાં આગળ આવવા અપીલ કરે છે. એમની હાકલને સારો પ્રતિસાદ પણ મળે છે.
૧૧:૪૫ વાગ્યેઃ અન્ના હઝારે તિહાર જેલમાંથી બહાર આવે છેજ્યાં તેમનું સ્વાગત કરવા, તેમને વધાવી લેવા હજારો લોકો ઉભા છે. બીજા હજાર લોકોનું ટોળું તેમની પ્રતિક્ષામાં રામલીલા મેદાનમાં ખડેપગે છે. દિલ્હીની સડકો પર અનેક લોકો ગાંધીટોપી પહેરી નીકળ્યા છે, ટોપી પર લખ્યું છેઃ ‘મૈ ભી અન્ના હું’
૧૧:૫૫ વાગ્યેઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બિહારથી એક ટ્રેન આવી ઉભી રહે છે. તેમાંથી વીસેક યુવક  યુવતીઓનું એક જૂથ ઉતરે છે. તેઓ શિક્ષિત છે, જીન્સટી શર્ટમાં સજ્જ. એમાંથી ઘણાંના હાથમાં તીરંગો છે, કેટલાંકના હાથમાં પ્લે કાર્ડસ છે, જેનાં પર લખાણ છેઃ ‘એક ધક્કા ઔર દો, ભ્રષ્ટ સરકાર કો ફેંક દો.’
૧૨:૩૦ વાગ્યેઃ એક ન્યૂઝ ચેનલ પર કેટલાંક અન્ના સમર્થકો (સાચા અર્થમાં કહીએ તોઃ ‘ભ્રષ્ટાચાર વિરોધીઓ’)નાં નાનાનાના ઇન્ટરવ્યૂઝ આવી રહ્યાં છે. એક સ્ટાઇલિશ ભારતીય મૂળની મહિલા પોતાનાં પુત્ર સાથે છેક દુબઇથી અહીં લડતમાં જોડાવા આવી છે. એક જૂથ અમેઠીથી અને રાયબરેલીથી આવ્યું છે. થોડાં મિત્રો હૈદરાબાદથી તો કોઇ બેંગલોરથી આવ્યા છે. આ બધા જ લોકો રામલીલા મેદાન પર અન્નાની પ્રતિક્ષા કરી રહ્યાં છે.
૧:૦૦ વાગ્યે: ૧૨૦ વર્ષના ઇતિહાસમાં મુંબઈના 'ડબ્બાવાલા' પ્રથમ વખત હડતાલ પર ઉતર્યા છે. અન્નાના  સમર્થનમાં. દરેક ટિફિન ચાહકને આજે બહારના ભોજનથી જ ચલાવવું પડે એમ છે. અચ્છા હૈ! મુંબઈની અનેક રેસ્ટોરામાં આજે રોજની સરખામણીએ અનેકગણી ભીડ છે.
૧:૪૫ વાગ્યેઃ તિહાર જેલમાંથી અન્ના હઝારે બહાર આવે છે, ભ્રષ્ટાચાર અને જંગ ચાલુ રાખવાની જાહેરાત કરે છે. એમની ભાષામાં કહીએ તો, ‘ભારતનો દ્વિતીય સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે.’ ઓપન ટ્રકમાં તેઓ માયાપુરી ચોક થઇ રાજઘાટ તરફ આગળ વધે છે.
૨:૦૦ વાગ્યેઃ અકળાવી મૂકે તેવા ભેજયુક્ત વાતાવરણમાં પરસેવો નિતારતા લોકો રામલીલા મેદાન પર અન્નાની રાહ જોઇ રહ્યાં છે. અન્ના જેલમુક્ત થયા પછી દેશનાં દરેક નાનામોટા શહેરમાં દેખાવો, રેલીઓ અને ધરણાઓ ચાલુ છે. ‘વંદે માતરમ્’ જાણે લોકોનો તકિયાકલામ બની ગયો છે.
૨:૧૫ વાગ્યેઃ તેલુગુ ફિલ્મોદ્યોગ દ્વારા અન્નાને ટેકો જાહેર થાય છે. એક દિવસનાં અનશનનું આયોજન છે. રેલી ચાલુ છે. આ રેલીમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના એક્ટર ઉપરાંત પ્રોડ્યુસર્સ, ડિરેકટર્સ અને લેખકો પણ જોડાયા છે.
૨:૩૦ વાગ્યેઃ ‘હિન્દુ’ દૈનિકની વેબસાઇટ પર સમાચાર આવે છે કે, ચીનનાં યુવાનોમા અન્નાની લડતે જબરૂં આકર્ષણ જમાવ્યું છે. અનેક ચીનાઓએ પોતાનાં બ્લોગ પર અન્નાની પ્રશંસા કરતી વાતો લખી છે. એક ચીની યુવાન લખે છેઃ ‘ચીનમાં પણ ભરપુર ભ્રષ્ટાચાર છે પરંતુ અમારે ત્યાં કોઇ અન્ના જન્મતો નથી એનું દુઃખ છે !’
૩:૦૦ વાગ્યેઃ રામલીલા મેદાન પર હજારોની મેદની સંબોધતા અન્ના કહે છેઃ ‘હું હોઉં કે નહીં, ક્રાન્તિની આ મશાલ બુઝાવી ન જોઇએ. મજબૂત લોકપાલ બિલ આવશે નહિં ત્યાં સુધી હું હટીશ નહીં.’
૩:૩૦ વાગ્યેઃ અન્નાની વિદાય પછી હાશકારો અનૂભવતા જેલના એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છેઃ ‘અન્ના અહીં હતા તો અમને પણ અપરાધભાવ જેવું લાગતું હતું! એનાં જેવાં સરળ, સીધા, નિષ્ઠાવાન વ્યકિત અગાઉ ક્યારેય તિહારનાં મહેમાન બન્યા નથી! હા! અમારા માટે તો તેઓ એક મોંઘેરા મહેમાન હતા, કેદી નહીં.’
photograph courtesy: rediff.com
૪:૦૦ વાગ્યેઃ રામલીલા મેદાન પર અનેક વિદ્યાર્થીઓ પોતાનાં શિક્ષકો સાથે પહોંચે છે. અનેક સ્ટુડન્ટસ પોતાનાં કલાસ કે સ્કુલ ઠેકાવીને પહોંચ્યા છે. દિલ્હીની ‘રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય’નો નવમા ધોરણનો વિદ્યાર્થી, વિકાસ જહા કહે છેઃ ‘તેઓ (અન્ના) લડી રહ્યાં છે કારણ કે તેઓ અમને બહેતર ભવિષ્ય આપવા માંગે છે. એટલે જ અમારા માટે તેઓ પિતાસમાન છે!’
૪:૩૦ વાગ્યેઃ વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ અન્નાના સમર્થનમાં લાખો લોકો ઝુકાવે છે. ફેસબૂક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કંિગ સાઇટ્સમાં અન્નાને જેવો સપોર્ટ મળે છે તેઓ અગાઉ કોઇને ક્યારેય આ દેશમાં મળ્યો નથી. ઓનલાઇન ગેમ્સ રમવા માટેની સાઇટ આઇબિબો ડોટ કોમ પર એક ખાસ ગેઇમ રમવા માટે લોકોનો ધસારો વધી જાય છે. ‘યસ પ્રાઇમ મિનિસ્ટર’ નામની આ ગેમમાં તેનાં પ્લેયરને અન્નાનું સમર્થન કરી ભારતના વડાપ્રધાન બનવાની તક મળે છે. આ પ્લેયર પછી પ્રાઇમ મિનિસ્ટર બનીને મનમોહન સિંહની માફક માત્ર તમાશો નિહાળી પોતાનો કટ લીધા કરતા નથી, પ્લેયર્સ પોતાની જવાબદારી નિભાવે છે, અહીં તેમને ભ્રષ્ટ પ્રધાનો અને બ્યુરોક્રેટ્સને સજા કરવાની તક મળે છે અને જ્યારે જ્યારે તેઓ આવું કરે છે, તેમનાં પોઇન્ટસ વધતા જાય છે.
પઃ૦૦ વાગ્યેઃ દિલ્હીમાં જ ચાલી રહેલા ‘લેકમે ફેશન વીક’માં ડિઝાઇનર જોડી પૂર્વેશજય કેટલાંક અતી વિશિષ્ટ ટીશર્ટસ પેશ કરે છે. ટીશર્ટસ પર અન્નાની તસવીર છે અને લખ્યું છેઃ ‘આઇ એમ અન્ના!’
૫:૩૦ વાગ્યેઃ ટ્વિટર પર એક પછી એક બોલિવૂડ સિતારાઓ ઉમટી પડે છે. બિપાશા બસુ લખે છેઃ ‘આપણાં દેશનાં સૌથી ભયાનક દાનવ, ભ્રષ્ટાચારને નાથવા સૌએ અન્નાને ટેકો આપવો જોઇએ.’ દિયા મિરઝા કહે છેઃ ‘બહુ સ્પષ્ટ છે કે, અન્નાની ગેરવાજબી ધરપકડ કરી સરકારે અન્નાના યજ્ઞમાં મદદ જ કરી છે. સરકારે તેમને અગાઉ કરતાં પણ મોટા નાયક બનાવી દીધા.’ અનુપમ ખેર લખે છેઃ ‘અન્નાની ધરપકડ થઇ એ દિવસ ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિન હતો!’
૬:૦૦ વાગ્યેઃ દેશની ખ્યાતનામ ન્યૂઝ સાઇટ પર વિવિધ નિષ્ણાંતોના અન્નાની લડત પરના અભિપ્રાય મૂકાય છે. જસ્ટિસ હેગડે તેમાં કહે છેઃ ‘આપણે એક લોકતંત્ર છીએ અને લોકશાહીની વ્યાખ્યા જ એ છે કે, તેમાં તેનાં નાગરિકોને એવાં મામલામાં પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે જે તેમનાં જીવનને સ્પર્શતા હોય. આ માટે લોકશાહી ઢબે કોઇપણ વિરોધ સ્વીકાર્ય છે. ભારતનું બંધારણ કહે છે કે, ભારત એક પ્રતિનિધિ અને સંસદીય લોકશાહી છે અને તેનાં નાગરિકો દ્વારા ચૂંટાયેલા નાગરિકોના પ્રતિનિધિઓ પ્રજાની જરૂરીયાતો અને માંગોનો પડઘો સંસદમાં પાડશે. પરંતુ બદનસિબે આ આદર્શ ક્યાંક ઓગળી ગયો છે.’
૬:૩૦ વાગ્યેઃ હરિયાણા વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હોવા છતાં બિનકોંગ્રેસી ધારાસભ્યો પોતાનાં ગળામાં એક પ્રકારનાં વિશિષ્ટ સ્કાર્ફ વિંટી આવ્યા છે. સ્કાર્ફમાં અન્નાની લડતને સમર્થન આપતા સૂત્રો છે.
૭:૦૦ વાગ્યેઃ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં અન્ના તરફી જુવાળ છવાયો છે. દોઢસો જેટલાં સ્કુલ સ્ટુડન્ટસ માથા પર ગાંધીટોપી પહેરી નીકળ્યા છે. અન્નાનાં સમર્થનમાં અહીં રક્તદાન કેમ્પ થઇ રહ્યાં છે. અન્નાની ધરપકડના વિરોધમાં એક બિનરાજકીય સંગઠ્ઠનએ ગાયબકરી અને શ્વાનને લઇ વિશાળ રેલી કાઢી છે. ગાંધીટોપી પહેરી શાળાનાં બાળકો સંગઠ્ઠીત અવાજે પેલું જોશભર્યુ ગીત ગાઇ રહ્યાં છેઃ ‘હમ હોંગે કામિયાબ!’
૭:૩૦ વાગ્યેઃ આખા દેશમાં એક એસ.એમ.એસ. ફરતો થઇ જાય છે. એમાંના ટુચકા મુજબ મહેન્દ્ર ધોની અન્નાને એક ચીઠ્ઠી લખે છેઃ ‘પ્રિય અન્નાજી, ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ સીરિઝ પરથી ભારતીય પ્રજાનું ધ્યાન હટાવવા બદલ ખુબ ખુબ આભાર!’
૮:૦૦ વાગ્યેઃ કોંગ્રેસના નેતા અલ્વી ફરી એક વખત પોતાની વાત દોહરાવે છેઃ ‘અન્નાની લડત એ તો અમેરિકાનું ષડયંત્ર છે!’
*  *  *
ધૃતરાષ્ટ્ર જેવાં, જન્મથી અંધ લોકો પણ આ દ્રશ્યો નિહાળ્યા વગર કહી શકે કે આ વિરોધ સ્વયંભૂ છે. હા! ગાંધારીઓને તેમાં વિદેશી હાથ દેખાઇ શકે છે. કારણ એકદમ સ્વાભાવિક છેઃ ધૃતરાષ્ટ્રને તો અંધાપો પ્રકૃત્તિ તરફથી મળેલો છે, ગાંધારીએ તો સામે ચાલીને સ્વીકારેલો છે. ધૃતરાષ્ટ્રનું અંધત્વ એ તેની મજબૂરી છે, ગાંધારીની દ્રષ્ટિહિનતા એ તેનો રાજીપો છે. કોઇપણ કદના ભંડોળ દ્વારા ક્યારેય જુવાળ સર્જી શકાતો નથી. જો ફંડ થકી વિચારોના હિલોળાનું સર્જન થઇ શકતું હોત તો ભારતમાં એકપણ મોટા ગજાની ફિલ્મ પીટાઇ જતી ન હોત. ફંડ દ્વારા લોકોની માનસિકતા કે માઇન્ડસેટ બદલી શકાતા હોય તો ચૂંટણીઓ પણ એ જ ઉમેદવાર જીતી શકે જે સૌથી વધુ ખર્ચ કરે.
અન્નાની લડતને તોડી પાડવા માટે કોંગ્રેસથી શક્ય હતા એટલાં તમામ ખેલ તેણે કર્યા છે. અનશનનાં એકાદ દિવસ અગાઉ કોંગ્રેસના બટકબોલા પ્રવક્તા મનિષ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી, અન્ના પર ભ્રષ્ટાચારના આરોપ પણ મૂક્યાં. પરિણામ એ આવ્યું કે, જે મુઠ્ઠીભર લોકોને કોંગ્રેસ પ્રત્યે થોડી ઘણી સહાનૂભૂતિ હતી એ પણ ખતમ થઇ ગઇ. તિવારીના દિમાગમાં માંસશીરાને બદલે ભૂંસુ ભરેલું છે અને રક્તનાં સ્થાને વિકારો વહે છે. કેન્દ્ર સરકારને ૧૩ ઓગસ્ટના દિવસે આઇ.બી. દ્વારા સ્પષ્ટ અહેવાલ અપાયો હતો કે, ‘અન્નાને ઉપવાસ કરતા રોકવામાં આવશે કે તેમની ધરપકડ થશે તો લોકજુવાળ સર્જાશે!’ દિલ્હી પોલીસએ પોતાનાં ગુપ્ત અહેવાલમાં ગૃહમંત્રી ચિદમ્બરમને જણાવ્યું હતું કે, ‘અન્નાને અનશન કરવા દેવાય તો જે નૂકસાન સરકારને થશે તેનાં કરતાં અનેકગણી ક્ષતિ તેમને રોકવાથી થશે!’ સત્તાનાં અભિમાનમાં પાગલ હાથી જેવાં બનેલા સિબ્બલોએ અને ચિદમ્બરમોએ પોતાનાં જ બગીચાનો સોથ વાળી નાંખ્યો. અને તોફાન હજુ ચાલુ છેઃ ૧૯ તારીખેશુક્રવારની રાત્રે પણ અંબિકા સોની કહે છેઃ ‘અન્ના સાથે જોડાયેલા પાંચપચ્ચીસ હજાર લોકો શું આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે? દેશવાસીઓએ અમને સત્તા પર બેસાડ્યા છે અને નિર્ણયો સંસદ જ કરશે!’ દલપતરામએ દસકાઓ અગાઉ ગાયું હતું:

શીલા શ્વાનની પૂંછડી સાથ સાંધી,
જુઓ જુકિતથી જાળવી બંધ બાંધી,

કરી પાંસરી તો ફરી વાંકી વાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

અઢારે વળ્યાં ઊંટના અંગ વાંકા
કહો, ઢાંકીએ તો રહે કેમ ઢાંક્યા?

સૂએ ભૂતળે તો જુએ આભ ભાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

પૂરા પુષ્પના કુંજમાં હિંગ પેસે,
નહિં હિંગને પુષ્પનો પાસ બેસે,

ભલે માથુ કુટી મરે કોઇ માળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

ધરી દૂધમાં ને ફરી સાબૂવાળા,
ધુઓ કોયલાને જુઓ, હોય કાળા;

નહિં કોઇ કાળે મટે જાત કાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

અંબિકા સોનિઓ અને કપિલ સિબ્બલો જ્યારે સંસદીય લોકશાહીમાં સંસદની સર્વોપરિતાની વાત કરે છે ત્યારે તેઓ પોતે જ બંધારણનું અપમાન કરે છે. કારણ કે, ભારતમાં સંસદ કરતા બંધારણ મહાન છે. સંસદની રચના જ બંધારણ પરથી થઇ છે. અને બંધારણ કરતાં પ્રજા મહાન છે કેમ કે, બંધારણ રચ્યું છે જ જનતાએ. વૃક્ષની કોઇ શાખા કદી એ વૃક્ષથી મહાન ન હોઇ શકે. હિન્દી ફિલ્મની સરળ ભાષામાં કહીએ તોઃ ‘બેટા કિતના ભી બડા હો જાયે, વોહ બાપ સે બડા નહિં હો સકતા!’ કાનૂનવિદ્ ફલી નરિમાન તો બહુ સ્પષ્ટ કહે છેઃ ‘ભારતના બંધારણની શરૂઆત જ ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’માંથી થાય છે! ભારતમાં જનતાથી ઉપર બીજું કશું જ નથી. સરકારે હાથીની અંબાડીથી નીચે ઉતરી જમીન પર ચાલવાની જરૂર છે. હું માનું છું કે, વડાપ્રધાન મનમોહનએ સ્વયં, જાતે જ અન્ના સાથે વાત કરવી જોઇએ અને વાતનો ઉકેલ આણવો જોઇએ!’
photograph courtesy: rediff.com
ચૂં ચૂં વડાપ્રધાન લોકપાલ કે જનલોકપાલ જેવું કશું જ બોલતા નથી અને માત્ર સંસદીય લોકશાહી પર ચોંટી ગયા છે. એમની તશરિફ પર શું કોઇએ ફેવિકિવકનો લોંદો ચોડી દીધો છે! દરેક ન્યૂઝ ચેનલોના એન્કર્સ અને ટોચના પત્રકારો આ મિકી માઉસ પ્રાઇમ મિનિસ્ટરને પ્રતિ ક્ષણ એકદમ મણ મણની ભાંડતા રહે છે. આ માણસને નાક જેવું કશું જ નહિં હોય શું? ભલુ થજો અન્નાનું અને રામદેવનું કે જેમના લીધે આ કાળોતરા અને કાળમુખા ચહેરાઓની મેષ આપણે વધુ સ્પષ્ટપણે નિહાળી શક્યા. અને ભલુ થજો મિડિયાનું. જેણે અન્નાની લડતને બળ આપવા તમામ તાકાત કામે લગાડી છે. ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક તેઓ અન્નાની લડતને ફાળવે છે. મિડિયાને પણ દોઢડાહ્યાં લોકો રાજકારણીઓની ગંદી પંગતમાં બેસાડે છે અને બદમાશ બ્યૂરોક્રેટ્સ હરોળનું સમજે છે એમને આ આંદોલન દ્વારા ગાલ પર તમાચા પડ્યા છે.
અન્ના અને રામદેવ લડત બાબતે ટોન હળવો કરવા કે આખી વાતને અન્ડરપ્લે કરવા મોટા મિડિયા હાઉસને તોસ્તાન ઓફર નહિં થઇ હોય એવું કોઇ માનતા હોય તો એ ભૂલ છે. પરંતુ મિડિયા અને રાજકારણી વચ્ચે તફાવત છે. સિંહ કદી ગોબર ખાઇ પેટ ભરતો નથી, એ શ્વાનને મુબારક. અન્ના બાબતે અખબારોએ અને માધ્યમોએ, ઇલેકટ્રોનિક મિડિયાએ જે સ્ટેન્ડ લીધું છે તેની  જેટલી પ્રશંસા થાય, ઓછી ગણાય. લોકશાહીનાં ચાર સ્તંભમાંથી હજુ એકાદ તો સાબૂત છે એવી સ્પષ્ટ પ્રતિતિ કરાવતી આ ઘટના છે. રાજકારણીઓને અને બ્યૂરોક્રસીએ આ દેશની જનતાનું આખરી રક્તબિંદુ પણ ચૂસી લીધું છે. એમનો ભ્રષ્ટાચાર આ દેશને જેટલો નડ્યો છે એટલાં જ પ્રમાણમાં એમની ગેરલાયકાત અને નિષ્ક્રિયતાએ પણ દાટ વાળ્યો છે. ન્યાયતંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર છે પરંતુ હજુ તેનું પ્રમાણ રાજકારણના અને બ્યુરોક્રસીનાં ભ્રષ્ટાચાર કરતાં ઓછું છે. ન્યાયતંત્રની સૌથી મોટી ખામી તેની શિથિલતા અને તેની ગોકળગાયવૃત્તિ છે. આવાં સંજોગોમાં મિડિયા આ દેશમાં એક આશ્વાસન છે. ભલે એ પૂર્ણતઃ ભ્રષ્ટાચારમુક્ત નથી પરંતુ સડો તેનાં એકબે અંગમાં જ પેસ્યો છે. એ એઇડ્ઝગ્રસ્ત નથી, તેની ઇમ્યુનિટી હજુ અખંડ છે.
અન્ના હઝારેની ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડતએ અનેક ભરમ ભાંગી નાંખ્યા છે. પાનનાં ગલ્લા પરની પંચાતપરિષદથી માંડીને છેક બુદ્ધિજીવીઓ તાત્વીકસાત્વીક ચર્ચાઓમાં એક સવાલ હંમેશા પૂછાતો રહ્યો છેઃ ‘શું મહાત્મા ગાંધીના સિદ્ધાંતો આજે પણ પ્રસ્તુત છે?’
અન્ના હઝારેની લડતને ત્રણચાર રાઉન્ડમાં મળેલી પ્રચંડ સફળતા આ સવાલનો સચોટ ઉત્તર આપે છે. ગાંધીજીની તમામ ફિલોસોફી ભલે પ્રસ્તુત ન હોય, એમાંની અનેક બાબતો શાશ્વત છે. અન્નાની અને તેમની સાથે જોડાયેલી જનતાની સિધ્ધી એ છે કે, આ લડત પૂર્ણતઃ અહિંસક છે. અને અહીં જ સરકાર લાચાર થઇ જાય છે. એકાદ લવિંગિયો ટેટો કોઇ ફોડે તો પણ અહીં સરકાર માથે ચડી જવા ટાંપીને બેઠી છે. સરકાર ઇચ્છે છે કે, ક્યાંક ધક્કામુકી થાય, કોઇ તોડફોડ થાય. આવું થાય કે એમને લાઠીચાર્જ અને ટીયરગેસની કે વોટર કેનની મનગમતી પ્રવૃત્તિ કરવાનો ઇજારો મળે. પરંતુ આવું કશું જ થતું નથી. ૨૦૧૧ની સાલમાં લાખ્ખોની સંખ્યાનું મસમોટું ટોળું સડક પર ઉતરી આવે છે, સરકાર વિરોધી આંદોલન કરે છે અને એમાં કોઇ ગાડીનો કાચ પણ ફુટતો નથી એ વાસ્તવિકતા કોઇ ચમત્કારથી કમ નથી. યદા યદા હીં ધર્મસ્ય...નું વચન ભલે ઇશ્વરએ નથી પાળ્યું પણ લાગે છે કે, એમને વચનનાં પ્રતિકપાલન તરીકે લોકોને સડક પર ઉતરવાની અને અહિંસક રહેવાની પ્રેરણા આપી દીધી. બાકી, ૧૨૦ કરોડ મૃતદેહોના ભારત જેવા દેશમાં લોકો રસ્તા પર ઉતરી આવે અને પોતાની લાગણીને વાચા આપે એ ઘટના જ કલ્પનાતિત છે.
સવાલ એ છે કે, આખા દેશનાં અનેક પ્રાંતમાંથી લોકો જ્યારે દિલ્હી રામલીલા મેદાનમાં ઠલવાઇ રહ્યા છે, શાળાકોલેજના વિદ્યાર્થીઓ અને સિનીયર સિટીઝન્સની સંસ્થાઓ પણ લડતમાં જોડાઇ છે ત્યારે કહેવાતા સમાજ સુધારક અને સમાજઉધ્ધારક  સંપ્રદાયોના વડાઓ ક્યાં ગૂમ છે ? શ્રી શ્રી રવિશંકર અને રામદેવ તો પ્રથમથી જ આ જંગનો હિસ્સો રહ્યા છે પરંતુ સ્વામિબાપા આવવાનાં હોય તો લાખોની સંખ્યામાં ઉમટતા અને અમૃત મહોત્સવોની પડવાળી રોટલી દાબવા ટ્રક ભરીને માણહ ઠાલવતા ફિરકાઓને શું આ પ્રવૃત્તિ સમાજ માટે ઉપકારક નથી લાગતી ? કાગવડથી લઇ ઉંઝા સુધી અને રૈયાથી લઇ પરબ કે ધોરાજી કે અજમેર સુધી કે મઢ, દ્વારકા અને પાલિતાણા લગી લાખોની સંખ્યામાં હડીયું મેલતા ધાડાઓમાંથી એકાદ નાનું ટોળું પણ આ મુદ્દે શા માટે આગળ આવતું નથી ? આવા કાર્યો માટે પણ શું ભાવભર્યું નિમંત્રણ પાઠવવાનું હોય ? બધા શું કંકોતરીની પ્રતિક્ષા કરી રહ્યા છે ? સ્મરણમાં રાખવા જેવું છે: એ કોઇ જાદુઇ છડી નથી કે તેનાંથી રામ રાજ્ય સર્જાઇ જાય. પરંતુ, આ તો એક અવસર છે  શાસકોને એ યાદ અપાવવાનો કે તેમણે પ્રજાની લાગણીની નોંધ લેવી જ પડશે, તેમણે જનતાની ચિંતા કરવી પડશે. એમને એ પ્રતિત કરાવવાનું છે કે, આપણી તકલીફો અને આપણી બરબાદી માટે તેઓ જવાબદાર છે. સ્મરણમાં રહે કે, અન્નાનો મુદ્દો માત્ર અન્નાનો મુદ્દો નથી. એ હાલની, ગઇકાલની અને આવનારી અનેક પેઢીનો વિષય છે. ભ્રષ્ટાચાર અને નિષ્ક્રીયતાના ભ્રષ્ટાચારએ આ દેશમાં પારાવાર સમસ્યાઓ સર્જી છે. દેશની પચાસ ટકા વસ્તીને પીવા માટે શુધ્ધ પાણી મળતું નથી, ખેતી પ્રધાન દેશમાં લોકો કૂપોષણથી પિડાઇ રહ્યા છે. પ્રોપર્ટીના ભાવ આ લુખ્ખડ દેશમાં એવા છે કે જેવાં ઓસ્ટ્રેલિયા કે ડેન્માર્ક જેવાં વિકસીત રાષ્ટ્રમાં પણ નથી. કાનૂન ઘડવાના અધિકારની વાતો કરતી સરકારોએ દેશનાં બચ્ચાઓને મળેલો શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવા પણ ફિકર કરી નથી. દેશની ત્રીસચાલીસ ટકા પ્રજા આજે પણ ખુલ્લામાં ‘લોટે જાય’ છે. શ્રીમંતો મિનરલ વોટરની જે ખાલી બોટલ ટ્રેનની બારીમાંથી ફેંકી દે છે તે ગરીબ માટે કળશે જવાનું સાધન બની જાય છે. આ દેશના બાળગોપાલોનો પ્લે ગ્રાઉન્ડનો અધિકાર પણ ભ્રષ્ટ વ્યવસ્થાએ છિનવી દીધો છે. દેશમાં ભયાનક અસમાનતા અને વિષમતા પ્રવર્તી રહી છે. ઘઉંચણાના ભાવો સળગે તો વાયદો રમતો વર્ગ એકદમ ગેલમાં આવી જાય છે અને એક મોટો વર્ગ માથે ઓઢી ચિંતા કરતો ઉંઘી શકતો નથી. આ અસમાનતાઓ અને દારૂણ વાસ્તવિકતાઓનું સર્જન ભ્રષ્ટાચારમાંથી જ થયું છે. અન્ના અને સિબ્બલ  મનમોહનની વાતોમાંથી કોની દલિલોમાં વધુ વજુદ છે એ જાણવા કોઇ દિવ્યદ્રષ્ટિની જરૂર નથી. એ ભાળવા કોમન સેન્સ કાફી છે.

*તારીખ 21-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત. 

Monday, August 22, 2011

અન્ના કયાં જીતી ગયા? કોંગ્રેસ કયાં થાપ ખાઇ ગઇ?: અદાલત અને ન્યુઝ ચેનલોમાં તફાવત છે!


અન્ના હઝારેની ધરપકડ કરી કોંગ્રેસએ એક ઐતિહાસિક ભુલ કરી છે. અન્નાનાં સમર્થનમાં પ્રજા જે સંખ્યામાં આગળ આવી રહી છે એ નિહાળ્યા પછી કોઇપણ શાણા સત્તાધિશએ સમજી જવાની જરૂર હતી. પરંતુ હજુ કોંગ્રેસી મંત્રીઓ અને પ્રવકતાઓનું ગુમાન છુટતું નથી તેનું કારણ શું? છેલ્લાં ચાર દિવસમાં બનેલી ઘટનાઓની સાવ અલગ દ્રષ્ટિએ અહીં વિશિષ્ટ ચર્ચા થઇ છે.....

લોકનાયક જયપ્રકાશ નારાયણે જયારે સામાન્ય પ્રજાના લાભાર્થે સરકાર સામે લડત માંડી હતી ત્યારે કોંગ્રેસએ તેમને વિદેશી એજન્ટનું લેબલ ચોંટાડવાની ગંદી ચેષ્ઠા કરી હતી. વાત એવી વહેતી કરવામાં આવી કે તેઓ સી.આઇ.એ.ના એજન્ટ છે અને અમેરિકા સરકારના ઇશારે ભારતને ડામાડોળ કરવા પ્રયાસ કરી રહ્યા છે. વાતને લગભગ ચાર દાયકા વિતી ગયા છે. જે.પી.બાબુ પરનો આક્ષેપ સ્વયંભૂ જ ખત્મ થઇ ગયો, લોકોએ આવા આરોપ પર ગુસ્સો પણ પ્રદર્શિત કર્યો અને દુઃખ પણ. ઇતિહાસ બહુ રસપ્રદ વિષય છે. જો તમે કોમન સેન્સ ધરાવતા હો તો એ તમને અનેક બોધ આપે છે. પરંતુ આપણે ત્યાં ઐતિહાસિક ઇમારતોની અને સ્થાપત્યોની જે પ્રકારે અવગણના થાય છે એવી જ રીતે ઇતિહાસમાંથી મળતા બોધની પણ થતી રહે છે. શ્વાનની પૂંછડી બાર વર્ષ જમીનમાં દાટો...એ કહેવત હવે જુની થઇ ગઇ. હવે શરીર પર ચટ્ટાપટ્ટાને બદલે પંજાનુ નિશાન ધરાવતા એવા શ્વાનની હાઇબ્રીડ નસ્લ દિલ્હીમાં અવતરી ચૂકી છે જેની પૂંછ તમે શેરડીના ચિચોડામાં નાંખો તો પણ બીજા છેડેથી એ નીકળે ત્યારે વાંકી જ હોય.
કોંગ્રેસનો દાટ વાળવામાં આ બેઉ વકીલબાબુનો
સિંહફાળો છે. રાજકારણમાં તમારી જબાન કેવી ના હોવી જોઈએ તે
જાણવા આ બેઉની બકવાસ દલીલો સાંભળજો 
૨૦૧૧ની સાલમાં સરદાર મનમોહનસિંહ એવુ બયાન આપે છે કે, ‘અન્નાની લડત પાછળ વિદેશી હાથ છે !’  બેશક, તેમનો ઇશારો આડકતરો છે પણ સંકેત એકદમ સ્પષ્ટ છે. સંસદમાં અન્ના પરની પોતાની સ્પીચમાં તેમણે કહ્યુ કે, દેશ જયારે તમામ મોરચે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આપણે કોઇ વિદેશી શકિતનો હાથો બનીને દેશમાં અરાજકતા ન સર્જવી જોઇએ! મનમોહનના બેઉ મુદ્દા સામે આપણો વાંધો છે (૧) દેશ પ્રગતિ કરી રહ્યો છે એવુ કોણ કહે છે, કયા મુદ્દાનો આધાર લઇ કહે છે ? (ર) અન્નાનો મોરચો તો સ્વયં પ્રજાએ જ સંભાળી લીધો છે હા ! તમે કહેતા હોવ કે, અન્નાની લડતમાં હાજર રહેલા દરેક લોકોને ‘વિદેશી શકિત’એ નાણાં ચુકવ્યા છે, તો એ માન્યતા તમને મુબારક.
મધુર વાસ્તવિકતા એ છે કે, અન્નાનાં મુદ્દે કોંગ્રેસ અને તેના અક્કલના ઓથમીર નીતિકારોએ જબરી પછડાટ ખાધી છે. મનમોહન પાસે લોચા વાળવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આમ પણ આર્થિક બાબતોમાં નિષ્ણાંત ગણાતા આપણા વડાપ્રધાન રાજકીય વિષયમાં બિલકુલ નિરક્ષર છે એ હકિકત સેંકડો વખત સાબિત થઇ ચૂકી છે. તેઓ સ્ક્રિપ્ટ રાઇટર્સએ લખેલી સ્ક્રિપ્ટ વાંચી જાય છે. તેનો મતલબ શો થાય છે એ તેમને માલુમ હોય તેવુ જણાતુ નથી. શબ્દો ઉછીના છે, વિચારો ઉછીના છે અને સિંહાસન એમને દાનમાં મળ્યુ છે. એ ખુરશી સુધી પહોંચવા માટેની એકપણ લાયકાત તેમનામાં છે નહી અને છતાં હજાર હાથવાળી દેવીની કૃપાથી તેમની ગાદી સલામત છે.
૧૭ ઓગષ્ટની સવારે મનમોહનએ સંસદમાં ભાષણ ભરડયુ ત્યારે પણ તેમાં મુખ્ય મુદ્દો ગેરહાજર હતો. ‘સંસદીય લોકશાહીની સત્તાને અન્ના પડકાર ફેંકી રહ્યા છે’વળી ઘસાઇ ગયેલી, ઉઝરડાથી ખત્મ થઇ ચૂકેલી તાવડી તેમણે ફરી પોતાના ગ્રામોફોનમાં વગાડી. મુદ્દાની વાત એ છે કે, ‘સંસદીય લોકશાહી’ જેવો પવિત્ર શબ્દ જ તેમના મુખમાં શોભતો નથી. સંસદીય લોકશાહી માત્ર લોકમત થકી ઉજળી છે. જે ક્ષણે સંસદીય પ્રણાલીમાંથી જનમતની બાદબાકી થાય છે. સંસદ માત્ર ઇમારત બની જાય છે. પછી એ લોકશાહીનું મંદિર રહેતી નથી. ભારતનો દરેક પ્રજાજન મહેસૂસ કરે છે કે, લોકમતનો આદર સંસદ ભવનમાં દાયકાઓથી થતો નથી. શિખરબદ્ધ હોય અને માથે ધજા ફરકતી હોય એવી દરેક ઇમારત મંદિર હોતી નથી, ત્યાં મૂર્તિનું સ્થાપન કરવું પડે છે અને તેની પ્રાણપ્રતિષ્ઠા પણ અનિવાર્ય છે. દરેક કબરને દરગાહનો દરજ્જો મળતો નથી. કોઇ વ્યકિતની હત્યા કરી તેના મૃતદેહને દાટી દેવાયો હોય તો એ જગ્યાને ‘સમાધિ’ ન કહેવાય. લોકતંત્રની ગરિમા એટલે શું એ વિશે મનમોહન જયારે વકતવ્ય આપતા હોય ત્યારે આપણને એવું કેમ લાગે છે કે જાણે ચાર્લ્સ શોભરાજ નીતિમત્તા પર ભાષણ આપી રહ્યો હોય ?
આ વિરોધમાં જેમને અમેરિકાનો  હાથ દેખાતો  હોય એવા
બદમાશ  લોકોને  તમે  શી  ઉપમા  આપશો? 
અન્નાની લડતને દેશભરમાંથી જે પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે એ નિહાળ્યા પછી કોઇપણ સમજદાર નેતા હોત તો તેમણે અનશન માટે અન્નાને તાત્કાલિક જગ્યા ફાળવી દીધી હોત. પરંતુ એવું બન્યું નહીં. ‘સંસદીય લોકશાહી’ના કસમ આપી સિબ્બલ, ચિદમ્બરમ અને મનમોહન આખો દિવસ દેશને ગુમરાહ કરતા રહ્યાં. આ આખી એક રમત છે. અન્નાની માંગણીઓ સંસદીય લોકશાહીને બિલકુલ ક્ષતિ પહોંચાડતી નથી. અન્નાની ડિમાન્ડ છે કે ‘જનલોકપાલ બિલ’ સંસદમાં ટેબલ્ડ થવું જોઇએ, એ સંસદમાં મૂકાવું જોઇએ. એ પસાર થવું જોઇએ એવી જિદ્દ કમસે કમ આજ સુધી તો એમણે કરી નથી. લોકશાહીમાં આવી માંગણી કરવાનો કોઇપણને અધિકાર છે. સરકાર જો આ લોકલાગણીને ‘બ્લેક મેઇલિંગ’ જેવું લેબલ ચોંટાડતી હોય તો જાણવું કે ડેમોક્રસીમાં પ્રજાને પોતાની આવી માંગ માટે અહિંસક બ્લેક મેઇલિંગ કરવાનો પણ અબાધિત અધિકાર છે. વધુ અગત્યની વાત એ છે કે, આવા બંધારણિય અધિકારોની વિસ્તૃત ચર્ચા ન કરીએ તો પણ આપણે સૌ એ વાતથી સારી પેઠે વાકેફ છીએ કે, જે સંસદીય લોકશાહી અંગે કોંગ્રેસી નેતાઓ રાતદિવસ વાતો કરી રહ્યાં છે તેની વલે તેમણે આ દાયકાઓમાં કેવી કરી છે.
સમસ્યા એ છે કે, વર્તમાન સરકારમાં અને તેનાં પ્રવકતાઓમાં સત્તાનો પ્રચંડ મદ નજરે પડી રહ્યો છે. મદાંધ થઇ તેઓ અટપટા નિર્ણય લે છે અને કેફમાં જ પોતાનાં પગલાંઓને જસ્ટિફાય કરે છે. વિરોધ મત સુણવાની ધીરજ તેઓ ગુમાવી ચૂકયા છે. એટલે જ અભૂતપૂર્વ જનાક્રોશને પણ તેઓ નીતનવા સ્ટિકર ચોંટાડી વાસ્તવિકતાથી ભાગવાનાં પ્રયાસો કરે છે. કપિલ સિબ્બલ અને મનીષ તિવારી જેવા લોકો જે પ્રકારના ખંધા હાસ્યનાં રકતફુવારા ઉડાડતા બાલિશ દલિલો પેશ કરે છે તેનાંથી દેશ આખો ત્રસ્ત છે. કોંગ્રેસની આવા રાજકીય મામલે પિછેહઠ થઇ તેનાં કારણો પણ સિબ્બલો અને મનીષ તિવારીઓમાં એટિટયુડમાં જ છુપાયેલા છે. રિડીફ ડોટ કોમ પર શીલા ભટ્ટ સાથેની વાતચીતમાં વર્તમાન સરકારનાં એક મંત્રીએ જ નામ આપ્યા વગર કેટલીક સ્ફોટક વાતો કહી છે. મંત્રીશ્રીએ કબુલ્યુ છે કે પક્ષમાં સર્વે સર્વા થઇ ગયેલા આવા વકીલોની જમાત જ સરકારની નામોશી માટે જવાબદાર છે. એમણે સ્પષ્ટ કહ્યુ છે કે આ સરકારને કોઇ રાજકીય નેતા નહી પરંતુ વકીલો ચલાવી રહ્યા છે. વાત સો ટકાની છે. સિબ્બલ અને મનીષ તિવારી કે અશ્વિનીકુમાર જેવા વકીલો ટેલીવિઝનની ન્યુઝ ચેનલોને જ સંસદ સમજી બેઠા છે. દલીલો કરવામાં તેઓ ઉસ્તાદ છે.પણ એમને એ વાતનું જ્ઞાન નથી કે જનતા એ કંઇ કોર્ટરૂમનો સ્ટેનોગ્રાફર નથી કે જેણે તમારી બધી વાહીયાત દલીલો સાંભળવી પડે. અહી લાચાર મજબુર વાદી કે પ્રતિવાદીઓ બેઠા નથી કે જેમણે મુંગામંતર બની બહાર સહન કરવો પડે. જનતાની અદાલતને ઇન્ડિયન પિનલ કોડની એક પણ ધારા લાગુ પડતી નથી. માત્ર શબ્દોની રમત થકી કે પુરાવા સાથે ચેડા દ્વારા અને મનઘડત અર્થ ઘટનોની મદદથી અહી ખટલા  જીતી શકાતા નથી. રાજકીય કે પ્રજાકીય બાબતોમાં કોર્ટ રૂમની સ્માર્ટનેસ ચોપડવામાં ન આવે એ જ બહેતર છે. ટાઇમ્સ નાઉ પર એક નિષ્ણાંત એ બહુ રસપ્રદ વિશ્લેષણ કર્યુ. તમે જુઓ, સરકાર એ આ રાજકીય અને પ્રજાકીય બાબતને એવી રીતે હેન્ડલ કરી જાણે એ કોઇ ફોજદારી મામલો હોય, ફલાણા સ્ટેડીયમને જેલમાં ફેરવી દો, પેલા સ્ટેડીયમમાં અણા તથા તેમના સાથીદારોને રખાશે અને આટ આટલી શરતો રહેશે. શું માંડયુ છે આ બધુ? કોઇ હલવા હૈ કયા! ડેમોકસીમાં  પ્રજા એક મજબુત કાયદાની માંગ કરી રહી છે, તમે એ આપવા તૈયાર નથી તો એ શાંતિપુર્ણ વિરોધ કરી રહી છે. વાત આટલી જ છે. આમા જમાદારી કે દડુકાઇ દેખાડવાનો પ્રશ્ન કયાં આવે છે?
સરકારની આવી જ ભુલો તેને ભારે પડી રહી છે. લડત શરૂ થઇ હતી અન્ના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના નામે ચોર કી દાઢી મેં તિનકાનાં સુત્ર મુજબ મનમોહન, સિબ્બલ અને ચિદમ્બરમએ આખી વાત પોતાના પર ઓઢી લીધી. તેમણે સિવીલ સોસાયટી વિરૂદ્ધ આક્ષેપો શરૂ કર્યા એટલે યુધ્ધ પછી અણા વિરૂદ્ધ સરકારમાં પરિવર્તિત થયું. બાકી હતુ તો એડવોકેટ મનીષ તિવારીએ પત્રકાર પરીષદ કરી અન્ના વિરૂદ્ધ બેફામ ભાષામાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા એ દિવસે મોરચો પછી અન્ના વિરૂદ્ધ કોંગ્રેસના યુધ્ધમાં ફેરવાઇ ગયો અને સોળ ઓગસ્ટની સવારે સુપ્રિમ કોર્ટના ૧૯૭૨ના એક જજમેન્ટનું અનર્થઘટન કરી અણાની ગેરકાયદે ધરપકડ થઇ એ ક્ષણથી આખી લડત જનતા વિરૂદ્ધ કોંગ્રેસના જંગમાં ફેરવાઇ ગઇ. આખી ઘટનાની એ વાત સાબીત થઇ કે કોંગ્રેસની કહેવાતી થિન્ક ટેન્કમાં મસમોટા ગાબડા છે. બહુ સહજતાથી તેઓ દર વખતે કુહાડી પર પોતાનો પગ જોરથી મારે છે. અને લોહીલુહાણ થયા કરે છે.
માસ્તર વગરનાં અને મોનિટર વગરનાં કલાસરૂમમાં તોફાની બદમાશો જે રીતે ઉપાડો લે છે તેમ ‘પોપાબાઇ’ ના અને ‘બાબાભાઇ’ નાં રાજમાં અનાડી મંત્રીઓ અને પ્રવકતાઓ ફાટીને ધૂમાડે ગયા છે.  બાબો માને છે કે, જગતની સૌથી મોટી સમસ્યા યુ.પી.ના ભટ્ટાપરસૌલ ગામમાં કિસાનોને થયેલો અન્યાય છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મુદે દેશ આખો ભડભડ ભડકે બળે છે. વડાપ્રધાનની ખુરસી તો આપણે ત્યાં સાત વર્ષથી ખાલી છે. ધણીધોરી વગરનો આ દેશ કેવી રીતે ટકી રહ્યો છે, તેની પાછળ કોનાં સત્કર્મો જવાબદાર છે એ વિચારવા જેવું. ચોતરફ અંધકાર છે. રાજાઓ,  સિબ્બલો, કલમાડીઓ, તિવારીઓ, ચિદમ્બરમો, મનમોહનો, રાહુલો અને સોનિયાઓએ મેઇન લાઇનના તાર તોડી ચોમેર અંધારપટ સર્જી દીધો છે. અને અન્ના જેવાં કોઇ લોકો આ તમસને નાથવા એક દીપ પ્રગટાવવાનો પ્રયત્ન કરે છે તો આ જ ટોળકી તેનાં કાંડા વાઢી નાંખવા તત્પર થઇ જાય છે. ઘનઘોર અંધારાને પ્રેમ કરતા ચિબરાં અને ચામાચિડિંયાઓનો દરરોજ ન્યુઝ ચેનલો પર પર્દાફાશ થઇ રહ્યો છે એ આ આખી ઘટનાનું બહુ મોટું આશ્વાસન છે.

*તારીખ ૧૯-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત. 

Sunday, August 21, 2011

અન્નાની આંધી અને જુલ્મી શાસકોનો આતંકઃ પ્રજાતંત્રમાં જનતાના અવાજને કોણ રૂંધી રહ્યું છે?



જન્માષ્ટમીની સાચી ઉજવણી કરવી હોય તો શેરીગલીઓમાં લાગેલા દરેક મંડપને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું કેન્દ્ર બનાવી દેજો. તેમાં પ્રતિકરૂપે કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો રાખજો, પરંતુ સાથેસાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પર કેન્દ્ર સરકારના આતંકની વાત કરતાં ફ્લોટ અને ચિત્રો પણ મુકજો. આવી ઉજવણી ભાળીને ખુદ શ્રીકૃષ્ણ પણ ભાવવિભોર બની જશે.ભારત પર ભ્રષ્ટાચારનું જે સંકટ આવ્યું છે તેને નાથવા એક બુઢ્ઢા દાદા મેદાને પડે છે, અને તેમને નવાજવાને બદલે શાસકો તેમનું ગળુ રૂંધી રહ્યાં છે. આવા સંજોગોમાં જો લોકો સ્વયં આગળ નહિં આવે અને પોતાનો વિરોધ કાન ફાટી જાય તેવા પ્રચંડ અવાજે નહિં નોંધાવે તો આ સમસ્યા આવનારી પેઢીઓને પણ ભયાનક હદે કનડવાની છે...

કથ્થક અને ભરતનાટ્યમના આ મુલકમાં હવે ખુલ્લેઆમ સ્ટ્રિપ્ટિઝ નૃત્યો થવા લાગ્યા છે. કોણ કહે છે કે, આવા નાચ માત્ર થાઇલેન્ડ કે અમેરિકામાં જ થાય છે! નૃત્યાંગના વસ્ત્રોથી લદાઇને સ્ટેજ પર આવે છે અને ધીમે ધીમે અ પોતાના તન પરથી એક પછી એક વસ્ત્ર ઉતારતી ચાલે છે. આજકાલ દિલ્હીમાં આવા તમાશા ખુલ્લેઆમ થાય છે. કારણ કે, એનું આયોજન કરનાર અને પરફોર્મ કરનાર ખુદ કેન્દ્ર સરકાર જ છે. રાજા, કલમાડી, શીલા દિક્ષિત અને હસન અલી જેવાના મુદ્દે તમામ વસ્ત્રો ફગાવી ફંગોળી ચૂકેલી કેન્દ્ર સરકારએ રામદેવ મુદ્દે ઉપરના અંગોનું ઉપવસ્ત્ર કાઢી નાંખ્યુ અને અન્નાના મામલે તેમણે લંગોટ પણ ત્યાગી દીધી. અને આ વસ્ત્રાત્યાગ પછી લૂગડાંની પછવાડેથી જે અસલી શખ્સીયત હવે બહાર આવી છે એ જોઇને ધ્રુજી જવાય છે. એ કોઇ રૂપાળી સ્ત્રી નથી. તેનાં અંગઅંગમાં રોગ ભર્યા છે. તેનાં પગનાં નખથી લઇ શિખા સુધીનું શરીર કિટાણુંઓથી ખદબદી રહ્યું છે. તેને અસ્થમા પણ થયો છે અને ડઝનેક પ્રકારનાં કેન્સરથી પણ તે ત્રસ્ત છે. એને ઠેરઠેર ગૂમડા થયા છે. જેમાંથી બદબૂ ફેલાવતું પ્રવાહી વહી રહ્યું છે. ભૂતકથાઓમાં  ચૂડેલનું જે વર્ણન આવે છે તેનાંથી પણ અનેગણી ભયાવહ એવી આ ભૂતાવળ છે.
અત્યંત અર્થપૂર્ણ કાર્ટુન બદલ bamulahija.comનો ખાસ આભાર 
એટલે જ દેશ આખ્ખો ધૂણી રહ્યો છે. મલક આખ્ખો આ બલાથી ત્રસ્ત છે, લોકો તોબા પોકારી ગયા છે. આ વળગાડ કેમેય કરી જતો નથી, તેનો ત્રાસ ઓછો થતો નથી. સારંગપુર કે ઉંઝામાં જેણે વળગાડ દૂર કરવાની વિધિ જોઇ હશે એમણે ખ્યાલ હશે જ કે ભૂવા કે મૌલવીને ભાળતા જ પેલી અનિષ્ટ શકિત પોતાનું જોર ચારગણું કરી નાંખે છે. એ ઉછાળા મારે છે, કૂદકા મારે છે. તેને પેલો પંડ્ય છોડવો નથી એટલે એ અંતીમ કક્ષાના હવાતીયાં મારવાનું શરૂ કરી દે છે. બાબા રામદેવ અને અન્ના હઝારે હજુ મોંમાંથી ‘ભ્રષ્ટાચારી સરકાર’, ‘કાળા નાણાં’ કે એવું કશું બોલે છે કે ત્યાં જ કેન્દ્ર સરકાર એમ કુદકા મારે છે જાણે તેનું અંગ અંગ દાઝતું હોય. એ એવી રીતે કણસી ઉઠે છે જાણે કોઇ ભૂંડી આત્માની સામે કોઇ ભારાડીએ હનુમાન ચાલીસાનાં પાઠ શરૂ કર્યા હોય.
બાબા રામદેવની જે હાલત કરવામાં આવી હતી એ નિહાળ્યા પછી ઘણા લોકો કકળી ઉઠ્યા હતાં. જે લોકો વિચારી શકે છે અથવા તો વિચારવાનું જેમને દરદ છે તેવા લોકો માટે એ ઘટના અનેક ચિંતાઓ લઇને આવી હતી. દેશની કેન્દ્ર સરકારે સરાજાહેર કોઇ નિર્દોષ દેખાવકારો પર તૂટી પડે, તેમના પર બળપ્રયોગ કરે અને આંદોલનના સૂત્રોચ્ચારનું રીતસર અપહરણ કરી જવામાં આવે તેવી ઘટના ભારતમાં અગાઉ ક્યારેય બની ન હતી. ગોધરાકાંડ પછીના તોફાનો માટે   ‘સ્ટેટ સ્પોન્સર્સ્ડ રાયોટ્સ’ જેવા આકરા શબ્દોના ઇસ્તેમાલ કરતાં બૌદ્ધિક બળદિયાઓએ તે સમયે ‘સ્ટેટ સ્પોન્સર્સ્ડ ટેરરિઝમ’ જેવો યથાયોગ્ય વાપરવાનું ટાળ્યું હતું. કાળા નાણાંની વાત પરથી મુદ્દો પછી રામદેવ તરફ સરકી ગયો. દોઢડાહ્યા લોકોએ લખ્યું કે, ‘રામદેવની પોતાની લાયકાત શી છે ભ્રષ્ટાચાર સામે બોલવાની ?’ આપણો સવાલ એ છે કે, આવો સવાલ કરવાની લાયકાત શી છે રામદેવના આંદોલન સામે બોલવાની? અલેલટપુ કલમખોરોએ મર્કટ હાસ્ય વેરતા ખીખીખીખી કર્યુ અને મહિષાસુરની જેમ હાહાહાહા કરતાં અટ્ટહાસ્ય કર્યુ કે, ‘જુઓ! બાબા સ્ત્રીવેશમાં કેવા ભાગ્યા.’ બૌદ્ધિક બિલાડાઓને ખબર નથી કે, એમને જે અક્કલની ખંજવાળ આવે છે તેની ઇન્ફેકશનને લીધે દેશ આખાને ધાધર અને ખરજવું થઇ જાય છે. રામદેવ સ્ત્રીવેશમાં ભાગ્યા હોય કે બ્રાપેન્ટીમાં, તેનાથી રામદેવની હાર નથી થઇ અને જનતાની જીત નથી થઇ. વાસ્તવિકતા એ છે કે, બાબા કે અન્ના જેવા લોકો સામે નિતનવી દલીલો કરીને જ્યારે આંગળી ચિંધવામાં આવે છે ત્યારે નગરવધુ જેવા આ બૌદ્ધિકોના અંગ પરથી આખરી ઉપવસ્ત્ર પણ હટી જાય છે. બાબાનું અપહરણ અને તેમના સમર્થકો પરનો અત્યાચાર એ એકસો વીસ કરોડ ભારતીયોની હાર હતી. કારણ કે, બાબાનું અપહરણ કરીને તો તેમના આશ્રમમાં મોકલી દેવાયા હતાં, પરંતુ કાળા નાણાંનો મુદ્દો એવી રીતે અપહૃત થયો કે, આજ સુધી તેનો અતોપતો નથી.
અન્નાની જાનમાં રામદેવના ગીતો ગાવા પાછળનું એક ચોક્કસ પ્રયોજન છે. જો રામદેવના મુદ્દા સમયે પ્રજાએ ઉગ્રવાદી કેન્દ્ર સરકારને બરાબર પાઠ ભણાવ્યો હોત તો ૧૬ ઓગષ્ટના દિવસે અન્ના હઝારેનું અપહરણ ન થયું હોત. રામદેવ નામની ડોસી મરે તેની સામે કદાચ કોઇને વાંધો ન હોય તેવું બને, પણ સિબ્બલો, ચિદમ્બરમો, દિગ્વિજયો અને રાહુલો જો ઘર ભાળી જાય તો આ માણસખાઉ પ્રજાને નિયંત્રણમાં લાવવી કઠીન છે. યાદ રહે, આ બધા યમરાજાઓ ભારતમાં બધા બૌદ્ધિક બદમાશો નામના પાડા પર સવાર થઇને ઘુમતા હોય છે. એમનું વાહન એટલે આ કાળાડિબાંગ પાડાઓ. આ પાડાઓ પાસે ભાતભાતની દલીલોનો જથ્થો મેટ્રીક ટનના હિસાબે પડ્યો છે. આઉટલુકના તંત્રી વિનોદ મહેતાને છેલ્લા પાંચ-સાત દિવસમાં અન્નાની ભાષા વધુ પડતી આકરી લાગી છે. ટોચના વકીલ હરીશ સાલ્વેને લાગે છે કે, અન્ના સંસદ પર વધુ પડતુ દબાણ આણી રહ્યા છે. ચિદમ્બરમ કહે છે કે, અન્નાની આવી જીદ્દ એ સંસદીય લોકશાહીનું અપમાન છે. કપીલ સિબ્બલનું કહેવું છે કે, અન્નાની માંગણી વાજબી હોય તો એમને અનશન કરવાની છૂટ મળી જ હોત.
એકદમ બાલીશ લાગે તેવી આ દલીલો પાછળ એક લુચ્ચી રમત છે. ભ્રષ્ટાચારની લડત સામે સરકાર પાસે કોઇ મુદ્દા નથી. એટલે વાત આડે પાટે ચડાવવાનું એક વ્યવસ્થિત આયોજન થયેલું છે. ચિદમ્બરમ જે સંસદીય લોકશાહીની વાત કરે છે એ આ દેશમાં તમને ક્યાં દેખાઇ ભલાદમી? કેટલાંક ઉદાહરણો પર ઝડપભેર નજર નાંખવા જેવું છે. તારીખ ૨પ ઓક્ટોબર, ૨૦૧૦ના દિવસે દિલ્હીમાં હુર્રિયત કોન્ફરન્સના અલગતાવાદી નેતા અલીશા ગિલાની અને બૌદ્ધિક બકરી અરૂંધતી રોય એક હળાહળ રાષ્ટ્રવિરોધી પ્રવચન કરે છે. દેશની રાજધાનીમાં જ તેઓ ભારતના લોકતંત્રને તથા દેશના સૈન્યને ગાળો ભાંડે છે. ગૃહમંત્રી ચિદમ્બરમને આ વિશે સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની જાણીતી અદામાં બહુ સલુકાઇથી જવાબ આપે છે ‘આપણા દેશમાં અભિવ્યકિતની સ્વતંત્રતા છે!’ ગિલાની તથા અરૂંધતી જેવા રાષ્ટ્રવિરોધી તત્ત્વો એ કાર્યક્રમમાં હાજર રહેવાના છે તેવી માહિતી જગજાહેર હોવા છતાં તેને મંજુરી કેવી રીતે અપાઇ ગઇ? દેશના પાટનગરમાં વડાપ્રધાન તથા ગૃહપ્રધાનના નાક નીચે રહીને જ આટલી હદે રાષ્ટ્રવિરોધી પ્રવચનો તથા કૃત્યો થઇ શકતા હોય તો અને તેની મંજુરી પણ મળી જતી હોય તો અન્ના હઝારે જેવા લોકોને અનશન માટેની મંજુરી આપવા સામે કયો તર્ક છે ભાઇ? વાત હજુ આગળ વધે છે. ૫ જુન, ૨૦૧૧ની રાત્રે બાબા રામદેવ અને હજારો નિર્દોષ લોકો પર દિલ્હીના રામલીલા મેદાનમાં લાઠીઓ વરસાવવામાં આવી, ટીયર ગેસના ડઝનબંધ શેલ છોડવામાં આવ્યા, રામદેવનું સરેઆમ અપહરણ થયું અને આ અત્યાચાર પછી બધા કોંગ્રેસી જનરલી ડાયર ટી.વી. પર આવીને એવું કહેવા માંડ્યા કે, ‘બાબા તો શઠ છે અને બાબા પોતે જ ભ્રષ્ટ છે.’ પ્રશ્ન એ છે કે, તમારે ભ્રષ્ટાચાર સામે કડક થવું છે કે નહિં. બાબા કેવા છે અને તેમની નીતિમત્તા કેટલી છે એ બધા મુદ્દા તો પછીથી આવે છે. જુલાઇ ૨૦૧૧માં પાકિસ્તાની જાસુસ ગુલામનબી ફાઇએ અમેરિકામાં કાશ્મીર મુદ્દે ભારતવિરોધી અનેક સેમીનાર્સના આયોજન કર્યાની વાત બહાર આવે છે. ત્યાં ભાષણ ભરડી આવેલા અનેક બૌદ્ધિક બળદિયાઓના નામ પણ જાહેર થાય છે. કાશ્મીર મામલે મધ્યસ્થી માટે કેન્દ્ર સરકારે નિમેલા દિલીપ પડગાંવકરનું નામ પણ તેમાં ખુલે છે. સવાલ એ છે કે, કેન્દ્ર સરકારે આ બધાના કાંઠલા કેમ ન ઝાલ્યા, તેમને અમેરિકા જઇને આવા ભાષણ ભરડવાની મંજુરી કોણે આપી, વધુ અકળાવનારો સવાલઃ જો આવા દેશદ્રોહીઓને અભિવ્યકિત સ્વાતંત્ર્યનો લાભ મળતો હોય તો, અન્ના હઝારે જેવા લોકોને અનશન માટે મંજુરી લેવા શા માટે રીતસર ઝઝુમવુ પડે છે. સ્ટ્રિપ્ટિઝ જારી છેઃ જુલાઇના અંતમાં પાકિસ્તાનના રૂડારૂપાળા વિદેશ પ્રધાન હિના રબ્બાની ભારત પધારે છે અને ભારત સરકારના નાક નીચે જ હુર્રિયત કોન્ફરન્સના દેશવિરોધી નેતાઓ તેમની સાથે મુલાકાત કરે છે. ભારત સરકારનો વિરોધ હોવા છતાં સરકાર પોતે જ તેમાં અંતરાય સર્જતી નથી અને બેઠક કરવા જઇ રહેલા હુર્રિયતના નેતાઓને કાંઠલો ઝાલીને જેલમાં નાંખી દેતી નથી. હકિકતે, એ કામ કરવા જેવુ હતું. યાસીન મલિક અને મીરવાઇઝ જેવા લોકો ભારતમાં છડેચોક દેશવિરોધી પ્રવૃત્તિઓ કરે છે. જમ્મુથી લઇ બેંગ્લોર અને દિલ્હીમાં પણ તેઓ કાશ્મીરના વોઇસના નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા રહે છે. એમના દરેક કાર્યક્રમ માટે એમને બેરોકટોક મંજુરી મળી જાય છે, જ્યારે જનલોકપાલના મુદ્દે એક ગાંધીવાદી કાર્યકર ગાંધીચિંધ્યા માર્ગે અનશન કરવા મંજુરી માંગે છે તો દિલ્હી પોલીસ એક મહિના સુધી તેને ફુટબોલની જેમ ફંગોળતી રહે છે અને છેવટે ત્રણ દિવસની મંજુરી આપી તેની સાથે બાવીસ શરતોનું ફરફરીયું પકડાવી દે છે. ભ્રષ્ટાચાર સામે મેદાને પડેલા લોકોની કપિલ સિબ્બલો અને મનીષ તિવારીઓ જાહેરમાં મજાક કરતા રહે છે. દિગ્વિજયો તેમની પાછળ હડકાયા શ્વાનની જેમ લાગી જાય છે તથા મનમોહન ટેલિવિઝન પર આવીને કહે છે કે, અન્નાએ આવા ઉપવાસ ન કરવા જોઇએ. કોંગ્રેસી નેતાઓ કહે છે કે, ‘આવી માંગણી કરવાનો અન્નાને હક્ક નથી, અન્ના સંસદીય લોકશાહીને પડકાર ફેંકી રહ્યા છે.’
કોંગ્રેસીઓ જે લોકશાહીના ભજનો ગાઇ રહ્યાં છે તેના દર્શન કરવાની આપણી મહેચ્છા છે. એ એક વખત ક્યાંય દેખાય તો માનીએ કે, બાર જ્યોતિર્લિંગ , ચાર ધામ અને અડસઠ તીર્થ તથા પંચ સરોવરની યાત્રા કરી. લોકશાહી ક્યાંક અદ્રશ્ય છે. ભ્રષ્ટાચારનો અને કાળા નાણાંનો વિરોધ કરનારને ખુલ્લેઆમ, મીડિયા અને પબ્લિકની તથા ન્યાયતંત્રની સામે જ કચડી નાંખવામાં આવે છે. ભ્રષ્ટાચાર સામે લડાઇ લડતા એક વયોવૃદ્ધ સૈનિકનું સન્માન કરવાને બદલે સવારે જ દિલ્હી પોલીસ તેમના ઘરથી ગેરકાયદે અપહરણ કરે છે અને કોંગ્રેસીઓ હજી લોકશાહીના છંદકાવ્યો છેડે છે. આ લોકશાહી વળી ક્યાં સાબુત રહી ગઇ છે? તેનામાં મસમોટા બાકોરા પડ્યા છે. પોલીસનો ઉપયોગ ભારતના ગૃહમંત્રી ખુદ કોઇ ડાકુની ગિરોહની જેમ કરે છે. જગ્ગા ડાકુના આદેશ છૂટે છે અને કઠપુતળી પોલીસ હણહણતા અશ્વો લઇને નિર્દોષ લોકોનો સોંઠ વાળી દે છે. સ્મરણમાં રાખવા જેવું છે કે, દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકારના ગૃહપ્રધાનના હાથ નીચે આવે છે અને દિલ્હીના આખા પોલીસ તંત્ર પર ગૃહમંત્રીનો જ કાબુ હોય છે. એટલે જ એ બેકાબુ છે. અન્નાને ઉઠાવી જવાયાના ચાર કલાક પછી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના ગૃહમંત્રી કહે છે કે, તેમને એ વાતનો ખ્યાલ નથી કે અન્ના અત્યારે ક્યાં છે! જો તેમને આ વાતનો ખ્યાલ ન હોય તો એ ગાદી પર બેસવાનો એમને કેટલો અધિકાર છે તે વિચારવા જેવું. વધુ શક્યતા એ છે કે, તેઓ ખોટું બોલી રહ્યા હતાં. શંકાનો લાભ આપીએ તો માનવું કે તેમને ખરેખર ખ્યાલ ન હતો. બંને કિસ્સામાં ચિદમ્બરમ પાપી છે.

રામદેવ અને અન્નાની લડત પછી વર્તમાન કેન્દ્ર સરકારનો અસલી ચહેરો લોકો સમક્ષ આવી ગયો છે. હવે છુપાવવા જેવું કશું જ બચ્યું નથી. અન્ના હઝારે  અનશન માટેની જગ્યા મેળવવા ઘણા ધમપછાડા કર્યા પછી વડાપ્રધાનને આ બાબતે એક પત્ર લખ્યો હતો. અન્નાએ તેમાં અનશનનું સ્થળ મેળવવા માટે મદદ કરવાની મનમોહનને વિનંતી કરી. દોઢડાહ્યા થઇને વડાપ્રધાને જવાબ આપ્યો કે, તેમણે આ બાબતે દિલ્હી પોલીસને મળવું જોઇએ. જાણે આખો દેશ અંધ છે અને લોકો આ રમતથી જાણે અજાણ છે. દિલ્હી પોલીસ કોના ઇશારે કામ કરે છે એ સૌ જાણે છે. આપણે જો આપણા દેશને જગતની સૌથી મોટી લોકશાહી કહેતા હોય તો, આપણા વડાપ્રધાને વિરોધ મતનો આદર કરીને પ્રેમપૂર્વક એ જગ્યા ફાળવી દેવી જોઇએ. પરંતુ આ સરકારનો ટ્રેક રેકોર્ડ જોતા આવી અપેક્ષા રાખવી એ કોઇ પાપથી કમ નથી. અન્નાએ બહુ વાજબી પ્રશ્ન ઉઠાવ્યો હતોઃ ‘૧૫ ઓગષ્ટે વડાપ્રધાન મનમોહનસિંહ ક્યાં મોઢે ત્રિરંગો ફરકાવશે?’ વાત સાચી જ હતી અને સાચી જ છે. સરદાર મનમોહનસિંહ જ્યારે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવે છે ત્યારે રાષ્ટ્રધ્વજની, એ ઐતિહાસિક સ્થળની અને પ્રસંગની ગરિમા આપમેળે ઓછી થાય છે. કોઇ વેઠ્યા મજુર કરતાં પણ લાચાર હોય એવો માણસ જગતની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરે એ વાત આંચકાજનક છે. તળિયા વગરના અને કરોડરજ્જુ વગરના નેતાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા પેલુ દોરડુ ખેંચે છે ત્યારે દેશના દરેક સમજુ લોકોના ગળા રૂંધાય છે. અન્નાની વાજબી દલિલને આડે પાટે ચડાવવાનું કોંગ્રેસીઓ ચૂક્યા નહિં. તેમણે કહ્યું કે, ‘અન્ના તો રાષ્ટ્રધ્વજનું અને લોકશાહીનું પણ અપમાન કરી રહ્યાં છે.’ વાસ્તવિકતા એ છે કે, અન્ના અને રામદેવના મામલામાં કોંગ્રેસીઓ સંસદીય લોકશાહીની રીતસર હત્યા કરી ચૂક્યા છે. જ્યાં વડાપ્રધાનમાં લોકશાહીના માર્ગે ચૂંટાવવાની હિંમત નથી, કાયદાના છીંડાઓ શોધીને જે આસામના માર્ગે રાજ્યસભામાં ઘુસ્યા છે એ જ પાછા સંસદીય લોકશાહીની ગઝલો ગાઇ રહ્યાં છે.
આખો દિવસ ટેલિવિઝન પર અન્ના હઝારે વિરૂદ્ધ લવારા કર્યા પછી ૧૬ ઓગષ્ટની રાત્રે દિલ્હી પોલીસે અન્નાને મુક્ત કરવા માટે તિહાર જેલને પેપર્સ મોકલ્યા. વળતી જ પળે કોંગ્રેસી બેન્ડવાજાવાળાઓ ઝુમતાઝુમતા કહેવા લાગ્યા કે અન્નાની મુકિત રાહુલ ગાંધી અને મનમોહન વચ્ચેની બેઠકને લીધે થઇ. કોંગ્રેસીઓ માને છે કે, દેશની સામાન્ય પ્રજા મંદબુદ્ધિની છે અને તેઓ જે કાંઇ બફાટ કરશે તેને જનતા માની લેશે. પણ લોકોને સમજતા વાર નથી લાગી કે આ નિવેદન તો બેતાળીસ વર્ષના બાબાને મોટાભા કરવાનું એક ષડયંત્ર છે. આવી કોઇ બેઠકને લીધે અન્ના જો છૂટી જતા હોય તો એ મિટીંગ અનશનના આગલા દિવસે, ૧૫ ઓગષ્ટની રાત્રે જ શા માટે ન થઇ? રાહુલ ગાંધીને જો લોકશાહીમાં એટલો જ વિશ્વાસ છે તો અન્નાને અનશન સ્થળ અપાવવા તેમણે વડાપ્રધાન સાથે વાતચીત શા માટે ન કરી? અન્નાના અનશનની વાતો છેલ્લા મહિનાઓથી દિલ્હીમાં ગાજે છે. ભ્રષ્ટાચાર નિર્મુલન બાબતે બાબા રાહુલ જો ગંભીર છે તો તેમણે અન્નાને બોલાવીને તેમની સાથે ચર્ચા કેમ ન કરી. સત્ય એ છે કે, કોંગ્રેસના ચાવવાના, દેખાડવાના અને ડોળ કરવાના અલગ છે. સરદાર પટેલે દેશના બાકીના રજવાડા હિન્દુસ્તાનમાં ભેળવી દીધા, પરંતુ નેહરૂગાંધી પરિવાર નામનું આ રજવાડું હજુ પોતાને એક સ્વતંત્ર મુલ્ક જ સમજે છે. તેના રાજકુમારો અને પટરાણીઓ અને જમાઇઓ આઝાદ ભારતમાં પણ વી.વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ભોગવે છે. આ કોઇ ઓછા લાકડે બળે તેમ નથી. અન્નાના અપહરણ પછી દેશભરમાં જે રીતે તેમના તરફ જુવાળ ફાટી નીકળ્યો તે જોઇને બદમાશો હેબતાઇ ગયા હતાં. જામીન માટે અરજી નહિં કરીને અન્નાએ વધુ એક વખત તેમને માત આપી. માહોલ એવો સર્જાયો કે, આખા દેશમાં અત્યાચારી સરકાર પર થુથુ થવા લાગ્યું. આવડા પ્રચંડ નુકશાનના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સરકારે થુંકેલુ ચાટવુ પડ્યું છે. હવે, તમાચો મારીને તેઓ ગાલ લાલ રાખે છે અને કહે છે કે, અન્નાને છોડવાનો નિર્ણય વડાપ્રધાન અને રાહુલએ લીધો. અસલી વાત એ છે કે, અન્નાને પણ રામદેવ જેવી જ સારવાર આપવાનું પગલું સરકાર માટે બુમરેંગ સાબિત થયું છે. આ એ જ અન્ના છે, જેના અનશનને રોકવા માટે કોંગ્રેસી યમરાજોએ તથા તેમના પાડા જેવા બૌદ્ધિક બળદોએ પૂરેપૂરા ઉધામા કર્યા હતાં. ટેલિવિઝન પરની ચર્ચામાં એક કોંગ્રેસ સ્પોન્સર્ડ બૌદ્ધિકે એક તર્ક રજૂ કર્યો કે, અન્નાને અનશન માટે મંજૂરી અપાઇ હોત તો, દિલ્હીમાં ટ્રાફિકના અને ભીડના પ્રશ્નો પણ વધી જાય તેમ હતું! બહુ અદ્ભૂત તર્ક છે! આટલી વાહિયાત દલીલ ભાગ્યે જ આપણે ક્યાંક સાંભળી હોય. દિલ્હીવાસીઓની એટલી ચિંતા હતી તો કોમનવેલ્થનું ૮પ હજાર કરોડનો કકળાટ પાટનગરમાં ઘાલવાની શી જરૂર હતી? શું પાટનગરમાં આવા ધરણા પ્રથમ વખત થઇ રહ્યા હતાં. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટેની જાહેરસભાઓમાં અહિં મરઘાની જેમ ટ્રકમાં ભરીને માણસો ઠાલવે છે. રેલીઓ અને દેખાવો દરરોજ અહિં થતા રહે છે. આવા કોઇ જ આયોજનો નડ્યા નહિં, માત્ર અન્નાના અનશન તકલીફરૂપ બન્યા!
મુદ્દો બહુ સ્પષ્ટ છેઃ સરકાર ઇચ્છતી ન હતી કે, અન્નાના અનશન શરૂ થાય. સિબ્બલો અને રાહુલોને ખ્યાલ હતો કે, દેશના આમ આદમીમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કેટલો અને કેવો જુવાળ છે. એટલે જ તેઓ અન્નાને રોકવા ઇચ્છતા હતાં તથા આ લડતની હવામાં પંકચર કરવા ધારતા હતાં. સરકારના હાથ ત્યાં હેઠા પડ્યા કે, અન્ના એક બેદાગ વ્યકિતત્વ છે.  તેમના પ્રવચનો સાંભળો તો પણ ખ્યાલ આવે કે, તેમનામાં સમજ કદાચ ઓછી છે, પરંતુ નિષ્ઠા ભારોભાર છે. બુદ્ધિમત્તામાં તેઓ બારઆની હશે પણ નીતિમત્તામાં બત્રીસ આની છે. મહત્વની વાત એ છે કે, દરેક નિષ્ઠાવાન અને સમર્પિત કાર્યકરની માફક અન્ના પણ થોડાઘણા અંશે માથાફરેલ છે. અને યાદ રહે કે, આવી લડત હંમેશા ધુની માણસ જ લડી શકે. આપણી સમસ્યા એ છે કે, અહિં મોટાભાગના લોકોમાં કોમનસેન્સ અને સિવિલસેન્સનો અભાવ છે. જ્યારે જેમનામાં બુદ્ધિસંપદા ઠાંસોઠાંસ છે તેવા મહત્તમ લોકો એકદમ બદમાશ છે. આ બધાની વચ્ચે  અન્ના જેવા નિષ્ઠાવાન લડવૈયા કોઇ અવતારથી કમ નથી. જે ધરતીમાં વીર્યવાન, ઝાંબાઝ, ખુન્નસથી ભરપૂર ધગધગતા લડવૈયા ઉગવાનું જ બંધ થઇ ગયું હોય અને ધરા આખી વાંઝણી થઇ ગઇ હોય ત્યાં એક અન્નાનું અવતરણ અનેક લોકોને જગાડી શકે છે. પ્રજા પોતાના કમ્ફર્ટ ઝોનમાં છે, પરંતુ અન્ના જેવા લોકો તેને ઢંઢોળતા રહે છે. અન્નાની સંભવિત પીછેહઠથી દુઃખી થઇને એક યુવાને ૧૪ ઓગષ્ટના દિવસે એક સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર લખ્યું કે, ‘આ અન્નો ય ગાંડો છે, ૧૨૦ કરોડ મડદાઓની ઉપાધિ પોતાના માથે લઇને ફરે છે!’ તેમની વાતમાં વ્યથા હતી અને લોકોના નિરૂત્સાહ પ્રત્યેનો ક્રોધ પણ હતો. ૧૬ ઓગષ્ટની સવારે એમનો ભય સાચો ઠરતો પણ નજરે ચડ્યો. પરંતુ રાત થતા સુધીમાં પિકચર ઘણુ બદલાઇ ગયુ હતું. સવાલ એ થાય કે, આટલો તમાશો થયા પછી જ અન્નાને છોડવાની મંજૂરી શા માટે અપાઇ? શા માટે તેમને અગાઉથી જ અનશનની પરમિશન ન મળી?
ઇતિહાસ આ બધા સવાલોના જવાબ પૂછશે. કોંગ્રેસના સદ્નસીબ એ છે કે, જનતાને આવા જવાબો મેળવવાની અને સવાલો પૂછવાની તક છેક ૨૦૧૪માં મળવાની છે. પ્રજા બધું જોઇ રહી છે. આ દેશમાં ભ્રષ્ટાચાર ડામવાને બદલે ભ્રષ્ટાચાર વિરોધીઓને જે રીતે ખત્મ કરવાના કારસા થઇ રહ્યાં છે, તેની જગત પણ નોંધ લઇ રહ્યું છે. અન્નાના અનશન અગાઉ અમેરિકા તરફથી પણ ભારત સરકારને એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે ભારત સરકારને એવી ભલામણ કરી હતી કે, ‘લોકશાહીમાં લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા દેવો જોઇએ, તેને કડક હાથે ડામી દેવો ન જોઇએ.’ ટેલિવિઝનની ન્યૂઝ ચેનલોમાં આ વાત ઝળકી કે તરત જ કોંગ્રેસના ટી.વી.શુરા નેતાઓ ચેનલો પર આવી કહી ગયા કે, ‘શું હવે અમેરિકા અમને લોકશાહીના પાઠ શીખવાડશે... આપણી લોકશાહી આખા જગત માટે ઉદાહરણરૂપ છે!’ ચિદમ્બરમ પણ આવા જ ગીતો ગાઇ ગયા. ધૂળ અને ઢેફુ ટુ યોર સોકોલ્ડ ડેમોક્રસી. જગત આખુ જાણે છે કે, લોકશાહીના નામે અહિંયા જોકશાહી અસ્તિત્વમાં છે. ગાદી પર વડાપ્રધાન બેઠા છે, પણ આદેશો સુપર પ્રાઇમ મિનિસ્ટરના જ ચાલે છે. ચૂંટણીઓ થાય છે અને સાંસદો પણ ચૂંટાય છે, પરંતુ શાસન તો એક પરિવારનું જ છે અને કમનસીબે એ પરિવાર રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ નથી. શાહરૂખ ખાનની માય નેમ ઇઝ ખાન નામની ફિલ્મ સામે જ્યારે વિરોધ થાય છે ત્યારે આખા મુંબઇને એક કિલ્લામાં ફેરવી નાંખવામાં આવે છે. દરેક સિનેમા ગૃહ પર સશસ્ત્ર પોલીસદળ બેસાડાય છે. દરેક થિયેટરને સુરક્ષા પુરી પાડવામાં આવે છે. મિત્ર શાહરૂખને પોતાનાથી થાય તેટલી તમામ મદદ પ્રિયંકા અને રાહુલ ગાંધી કરે છે. જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મુંબઇમાં શિવસેનાની ધમકી હોવા છતાં ફિલ્મ રિલીઝ થાય છે. આટલી જ પ્રતિબદ્ધતા જો અન્નાના અનશન માટે કે ભ્રષ્ટાચારના મુદ્દે બાબા રાહુલે દર્શાવી હોત તો આ દેશના કરોડો લોકો ગદ્ગદ્ થઇ ગયા હોત. પરંતુ  દેશના એકમાત્ર રજવાડાના યુવરાજની પ્રાયોરિટી અલગ છે. તેના અગ્રતાક્રમમાં ફિલ્મ સર્જકોની અને મિત્રોની મદદ કરવાનું તો આવે છે, પરંતુ દેશને રીતસર કોરી ખાતા ભ્રષ્ટાચારને ડામવાનું આવતું નથી. કોઇ ચમત્કારીક ઘટનાની માફક માદિકરો બેય આ આખા મુદ્દે મહિનાઓથી મૌન છે.
બીજી તરફ વડાપ્રધાન મનમોહનસિંહ પોતાની લાચારી દરરોજ જાહેર માધ્યમોમાં કબુલ કરતા રહે છે. ૧૫ ઓગષ્ટે ધ્વજવંદન સમયે તેમના પ્રવચનમાં કુલ સોળ વખત ‘કરપ્શન’ શબ્દ આવ્યો. શ્રાવણમાં લોકો ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય છે, પણ આપણા વડાપ્રધાન કરપ્શનનું ઉચ્ચારણ સતત કર્યા કરે છે. કારણ પણ બહુ દેખીતુ જ છેઃ આખી કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં લથપથ છે. ગોઠણ સમાણા કાદવમાં કોઇ ડુક્કરને ફેંકો અને પછી તે કિચડથી ભરાઇને બહાર આવે ત્યારે જેવું લાગતું હોય તેવા જ રૂપ અત્યારે યુ.પી.એ. સરકારના મંત્રીઓના ખીલ્યા છે. લાલ કિલ્લા પરથી જગતની સૌથી મોટી લોકશાહીના સૌથી લાચાર વ્યકિતએ કહ્યું કે, તેમની પાસે ભ્રષ્ટાચાર ડામવાની કોઇ જાદુઇ છડી નથી. કોઇ જાદુમંતર કરીને તેઓ સ્પેકટ્રમમાંથી બે લાખ કરોડ અદ્રશ્ય કરી શકે છે, આવા જ જાદુ ટોના કરીને કોમનવેલ્થ ગેમ્સનું બજેટ ૧૭૦૦ કરોડમાંથી ૮પ હજાર કરોડ સુધી પહોંચાડી શકે છે. કોઇ અદ્ભુત મંતરનું ઉચ્ચારણ કરીને તેઓ હસન અલી જેવા દેશદ્રોહી ટેક્સચોરને ન્યાયતંત્રની જાળમાંથી આઝાદ રાખી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત આવે ત્યારે છડીના અભાવના કર્કશ મરશિયા જોરજોરથી ગાવા માંડે છે. દેશવાસીઓ પૂછે છે કે, જો જાદુની છડીની જરૂર હોય તો કે. લાલ કે પી.સી. સરકારને બોલાવો અને પ્રતિબદ્ધતાની જરૂર હોય તો તમે એ દર્શાવો. જો તમે લાચાર છો તો ગાદી પરથી આ ક્ષણે ઉતરી જાઓ અને ઘેર જઇ બે ટંક રોટલા ખાઇ પ્રભુનું સ્મરણ કરો. જો તમે અશક્ત છો તો નિવૃત્તિ લઇ લો, જો તમારામાં તાકાત નથી તો બીજાને તક આપો. જો તમારૂં આત્મગૌરવ હણાઇ ગયું છે તો વિકલ્પ શોધો. જો તમે અસમર્થ છો તો રસ્તો કાઢો. જો તમે ગુલામ છો તો આઝાદ થાઓ.  જો તમે ચિઠ્ઠીના ચાકર છો તો એ વાત પણ યાદ રાખો કે તમે સૌ પ્રથમ એક પબ્લીક સર્વન્ટ છો. જ્યારે પબ્લીકને સર્વ કરવાની અથવા તો પ્રજાની સેવા કરવાની તમારી શકિત હણાઇ જાય ત્યારે એ જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થવું એ જ ઉત્તમ ગણાય. તેમાં આ દેશનું પણ ભલું છે અને પ્રજાનું પણ કલ્યાણ છે. જે સંસદીય લોકશાહીના સોગંધ તમે રોજ સવારે ઉઠીને આપ્યા કરો છો એ સંસદીય લોકશાહી અત્યારે ચોધાર આંસુએ રડી રહી છે. કહેવાતી જગતની પ્રથમ ક્રમાંકની લોકશાહી પર એક પરિવાર અને તેમના કેટલાંક મળતિયાઓનો કબ્જો છે. એટલે જ ૧૫ ઓગષ્ટે જ્યારે મનમોહન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની ગરિમા ઘટી ગઇ હોય તેવું લાગે છે. મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે આપમેળે એ અર્ધી કાઠીએ હોય છે

*તારીખ ૧૭-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત. 

Friday, August 12, 2011

આરક્ષણ, પ્રકાશ ઝા અને એવું બધું: દરેક ફિલ્મની એક કુંડળી હોય છે!

પ્રકાશ ઝાની ફિલ્મ "આરક્ષણ"ને  વિવાદોમાં સપડાયેલી નિહાળી કે ફરી એક વાત યાદ આવી: "દરેક ફિલ્મની એક કુંડળી હોય છે!" કેટલીક ફિલ્મો મોંમાં સોનાની ચમચી સાથે અવતરતી હોય છે તો કોઈ ફિલ્મનાં કિસ્મતમાં વૈતરું જ લખાયેલું હોય છે. ક્યારેક આપણે કોઈ ભયંકર ટેલેન્ટેડ વ્યક્તિને પણ આજીવન ગુમનામીના અંધારામાં ભટકતી અને છેવટે ખામોશ મોતને ભેટતી ભાળીએ છીએ. તો એવા કિસ્સાઓની પણ કમી નથી જ્યાં મિડીયોકર લોકો પ્રચંડ પ્રસિદ્ધિ અને ઐશ્વર્ય પામતાં હોય છે. ફિલ્મોનું પણ કંઇક એવું જ છે.  અહીં ફિલ્મોના વિવાદોની વાત નથી પરંતુ કેટલીક નસીબવંત ફિલ્મોની અને થોડી બદકિસ્મત ફિલ્મોની વાત કરવામાં આવી છે...

‘ઓ ય ચોપરા !’ 

જાણીતા ફિલ્મ સર્જક બી. આર. ચોપરાનાં ઘરની બહાર ઉભા રહી એક વ્યક્તિ બૂમ પાડી રહ્યાં હતા. ફરી એક વખત એમણે ઉંચા અવાજે સાદ કર્યો: 
‘ઓ ય ચોપરા ! બહાર આવ ભાઈ !’ 
બી. આર. ચોપરા બહાર નીકળ્યા. આંગતૂકને જોઈને એમને નવાઈ લાગી. 
ચોપરાને જોતાવેંત પેલા મહેમાને ઘરની બહાર ઉભા રહીને જ જોરથી કહ્યું:
‘સાંભળ્યું છે કે, તું પેલી વાહિયાત વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો છે ! ભાઈ, એ ચક્કરમાં પડતો નહીં, ફના થઈ જઈશ ! ઘોડાગાડીવાળાની એવી ગામઠી વાર્તા જોવા કોણ આવશે સિનેમા હોલમાં? દેવાળિયા થવું હોય તો જ એ પ્રોજેક્ટ હાથમાં લેજે !’
કોઈ આલીયામાલીયાએ આવી વાત કરી હોય તો બી. આર. તેને તગેડી જ મૂકે. પરંતુ આગંતૂકની વાતની સાવ ખુલ્લેઆમ અવગણના થાય એમ નહોતું. ચોપરાને ખ્યાલ હતો કે એમના આંગણે જે વ્યક્તિ આવી છે એનું સ્થાન ફિલ્મોદ્યોગમાં બહુ ઉંચેરું છે. એમણે પેલા મહેમાનને આવકાર્યા, તેમને પોતાનાં ઘરમાં લઈ ગયા. એમની સાથે અલકમલકની વાતો કરી, આગતાસ્વાગતા કરી અને એમને વિદાય આપી. એ આગંતૂક હતા: ફિલ્મ સર્જક મહેબૂબ ખાન.
બહુ મોટું નામ. મહેબૂબ ખાન એટલે ફિલ્મ મેકિંગની વિશ્વવિદ્યાલય. પણ ચોપરા પેલી ફિલ્મ બનાવવા મક્કમ હતા. એ ફિલ્મમાં લેખક પોતાની એ વાર્તા લઈ કંઈ કેટલાંય નિર્માતાનિર્દેશક પાસે જઈ આવ્યા હતા. લેખક હતા: મિરઝા. સૌપ્રથમ તેઓ મહેબૂબ ખાનને મળ્યાં. આ વાર્તામાં એમને બિલકુલ રસ ન પડ્યો. એ પછી લગભગ ચારેક અલગઅલગ સર્જકોને મિરઝાએ આ વાર્તા સંભળાવી. એક સમય એવો આવ્યો કે એમને લાગવા માંડ્યું: ‘હવે આ વાર્તા પરથી ક્યારેય ફિલ્મ નહીં બની શકે !’ એવામાં એમનો ભેટો બી. આર. ચોપરા સાથે થયો. અને અંતે એ ફિલ્મ બની: નયા દૌર !
ટિકિટબારી પર ‘નયા દૌર’ બ્લૉકબસ્ટર સાબિત થઈ. જો કે, એ પહેલાં ‘નયા દૌર’ અનેક કપરાં દૌરમાંથી પસાર થઈ. ચોપરાએ સૌઊંથમ હિરોઈન તરીકે દિલીપકુમારની સાથે મધુબાલાને સાઈન કરી હતી. પરંતુ દિલીપ-મધુબાલાની રીયલ લાઈફ લવસ્ટોરી સામે મધુબાલાના પરિવારને વાંધો હતો. મધુબાલાના બાપે પોતાની પુત્રીને આઉટડોર શૂટ માટે મુંબઈ બહાર મોકલવાની ના ભણી દીધી. એમને સમજાવવાનાં બહુ ઊંયત્નો થયા. માન્યા નહીં. ચોપરા આ મામલે અદાલતમાં પણ ગયા. છેવટે તેમણે મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલાથી કામ ચલાવવું પડ્યું. મ્યુઝિકના મામલે પણ મુશ્કેલીઓ આવી. સામાન્યતઃ બી. આર. ચોપરા પોતાની ફિલ્મમાં રેશનકાર્ડ પર મળતા ખાંડચોખા જેવાં વાજબી ભાવનાં સંગીતકારો રાખતા. મોટાભાગે રવિ પાસે સંગીત કરાવે. ગાયકમાં પણ રાહત દરે સદાય અવેલેબલ રહેતા મહેન્દ્ર કપૂર હોય. આ વખતે ચોપરાએ પસંદગી ઓ. પી. નય્યર પર ઉતરી. એ જમાનામાં શંકર-જયકિશનનો દબદબો એવો હતો જેવો આજે રહેમાનનો છે. સૌથી મોંઘા અને એકદમ હિટ. નય્યરે ચોપરા પાસે શરત મૂકી: ‘હું તમારી ફિલ્મ કરું ખરો... પણ એક શરતે: શંકર-જયકિશનનો જે બજાર ભાવ ચાલે છે તેનાં કરતાં એક રૂપિયો હું વધારે લઈશ ! પણ મ્યુઝિક એવું આપીશ કે જમાનાઓ યાદ રાખે !’
જમાનો બદલાઈ ગયો. પરંતુ આજેય ‘ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી...’, ‘માંગ કે સાથ તુમ્હારા...’, ‘ઈન્સાફ કા મંદિર હૈ...’ જેવાં ગીતો સાંભળીએ ત્યારે લાગે છે કે, નય્યરની વાત સોળ આની સાચી હતી. મહેબૂબ ખાન અને બીજા કેટલાંય સર્જકો જે કથાથી દૂર ભાગતા હતાં એ વાર્તા પરથી એક અમર ફિલ્મ રચાઈ ગઈ. વિવેચકોથી લઈ સાવ સામાન્ય પ્રેક્ષકો સુધીનાં દરેક લોકોએ તેને હુંફાળો આવકાર આપ્યો. ‘નયા દૌર’ની ગણના દિલીપકુમારની કેરિયરની પણ માઈલસ્ટોન ફિલ્મોમાં થાય છે.
કથાસાર: દરેક મનુષ્યના જેમ એક જન્માક્ષર હોય છે એમ દરેક ફિલ્મની પણ એક કુંડળી હોય છે !
એક ફિલ્મ સમિક્ષકને થોડાં દિવસો પહેલાં ટેલીવિઝન પર બોલતા સાંભળ્યા: ‘દરેક ફિલ્મની એક કુંડળી હોય છે !’ વાત કેટલી અર્થપૂર્ણ છે ! સ્હેજ વિચારીએ તો દોઢસો કિલોમીટરની ઝડપે વિચારો ફુંકાવા માંડે. ડઝનબંધ ફિલ્મોનાં નામોનું સ્મરણ થાય. કોઈ ફિલ્મનો બુધ બહુ સારો હોય પણ શુક્ર સાવ ખાડે ગયેલો હોય, કોઈના પર બુધ બિલકુલ મહેરબાન ન હોય છતાં ગુરૂ અને શનિ મળી તેને ક્યાંય પહોંચાડી આપે ! કોઈ ફિલ્મ પર રાહુકેતુની વક્રદ્રષ્ટિ હોય અને કેટલીક ફિલ્મોના કિસ્મતમાં ગજકેસરી યોગ હોય તો કેટલીક કાલસર્પ યોગથી પરેશાન હોય ! કોઈ પિકચરના જન્માક્ષરમાં એક જ ખાનામાં સાતઆઠ ગ્રાહ ભેળા થતા કોઈ એકબીજાને સુખેથી જંપવા દે જ નહીં ! જન્માક્ષર જેવી રીતે મનુષ્યને નચાવે એમ ફિલ્મ તેનાં સર્જકને અને તેની સાથે સંકળાયેલા કસબીઓને પોતાની મરજી મુજબ નચાવે, હસાવે, રડાવે, કસરત કરાવે અને સફળ-નિષ્ફળ પણ બનાવે. ગમે એવી સ્ટારકાસ્ટ હોય, ગમે એટલો મોટો સર્જક હોય, ફિલ્મની કુંડળી કોઈની સાડીબાર રાખે નહીં. કરમમાં કાછારી હોય તો કોડિયાં ન થાય અને કરમમાં કાથી હોય તો દોરડાં ન થાય.
સલીમ-જાવેદે લેખક બેલડી તરીકે અનેક વાર્તાઓ થકી અનેક  પ્રોડ્યુસરોને ચલણી નોટોની વર્ષામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મળ્યું. બેઉને થયું કે ‘માળું... આ ગજબનું ! આપણી ક્રિએટિવિટી પર ગામ કમાય !’ બેઉએ જાતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું. થયું કે, ટુકડા કરતાં આખો રોટલો જો ભાણામાં આવે તો મોજ પડે. સ્ક્રિપ્ટ પર ત્રણેક મહિના કામ ચાલ્યું. દરેક બાબતો પર વિચારવિમર્શ થયો. અમિતાભના નામનાં સિક્કા પડતા (અને થિયેટરમાં  એની એન્ટ્રી સમયે સિક્કા ઉડતા પણ !) હતા. અમિતાભ પર બેયનું ઋણ પણ ખરું. નાયક તરીકે અમિતાભ, નાયિકા તરીકે હેલન. બીજા પણ અનેક જાણીતા કલાકારો. આવી મજબૂત ટીમ દ્વારા જે ફિલ્મ બની એ હતી: ઈમાન ધરમ ! સિનેમા હોલમાં એ ક્યારે રિલિઝ થઈ અને ક્યારે, કેવી રીતે, શા માટે ઉતરી ગઈ તેની નોંધ સુધ્ધાં કોઈએ લીધી નહીં ! આ જ જોડીએ એક બીજી ફિલ્મ બનાવી. બન્યું એવું કે, સલીમજાવેદ, અમિતાભ, કલ્યાણજી-આણંદજી વગેરેનાં મિત્ર મંડળના જ ગણાતા સર્જક નરિમાન ઈરાની સાવ દેવાળિયાં જેવી હાલતમાં હતા. ભાઈબંધના પરિવારને મદદરૂપ થયા સલીમ-જાવેદે કશુંક કરવાનું નક્કી કર્યું.
બેઉએ નિર્ણય કર્યો કે, એક ફિલ્મ બનાવવી... તેમાંથી થયેલી આવક નરિમાનને આપી દેવી. સલીમજાવેદે અમિતાભને વાત કરી. એ ટોકન એમાઉન્ટમાં કામ કરવા તૈયાર થઈ ગયો. ઝિન્નત અમાન, કલ્યાણજી  આણંદજીથી લઈ દરેક લોકો બિલકુલ મામૂલી રકમમાં કામ કરવા તૈયાર હતા. બધાએ હા કહી પછી બેઉને થયું કે હવે વાર્તા કેવી લખીશું ? સાવ ઉતાવળમાં એમણે એક વાર્તા લખી કાઢી. જમણવારમાં ઉંધિયું ઘટે તો ટમેટાપાણીનો રસો નાંખવામાં આવે એમ આ વાર્તામાં કેટલીય જગ્યાએ સમાધાનો થયા. સ્ક્રિપ્ટના અનેક નટબોલ્ટ ઢીલા હતા. એક અંગ્રેજી ફિલ્લમ પરથી તેમણે રાતોરાત વાર્તાનું અડોપ્શન કર્યું હતું. નિર્દેશક તરીકે સાવ જ નવાસવા ગણાય એવા ચંદ્ર બારોટને સાઈન કર્યા. ફિલ્મ રિલિઝ થઈ અને ટિકિટબારી પર જાણે ઝંઝાવાત સર્જાયો. ફિલ્મ બોકસ ઓફિસ પર રીતસર ટંકશાળ પડી. એ ફિલ્મ એટલે: ડૉન ! કુંડળી નહીં તો ‘ડૉન’નું નિર્માણ ચાલ્યું એ દરમિયાન જ નરિમાન મૃત્યુ પામ્યા. આવક તેમના પરિવારને ગઈ. બાય ધ વે, રિલિઝના ઊંથમ અઠવાડીયામાં ‘ડૉન’ સાવ ફ્લોપ રહી પણ બીજા અઠવાડીયાથી એ એટલી ચાલી કે મેગા હિટ જાહેર થઈ !
એક ફિલ્મ તરીકે ‘ડૉન’ કંઈ એવી અદ્ભુત પ્રોડક્ટ નહોતી. એની વાર્તા, સ્ક્રિપ્ટ પર ઝાઝું કામ નહોતું થયું. આખી વાતમાં ઝનૂન કે પેશન જેવું પણ ખાસ કશું નહોતું. તેના નિર્માણ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે ખર્ચ બાદ કરતા મિત્રને બે પૈસા મળે તો ભયો ભયો. એ સમયે ‘ડૉન’ જેવી વાર્તાનું ખાસ માર્કેટ પણ નહીં. ખાસ કશાં જ એફર્ટ વગર, ઝાઝી લમણાંઝિક વિના બનેલી આ ફિલ્મે ઝંડા લહેરાવી દીધા. ખઈ કે પાન... અને તેનાં જેવાં ગીતો ચારેકોર સંભળાવા લાગ્યા. કરમની રત્ની, નાંખો ઉંધી અને ક્યારેક થાય ચત્તી. ‘ઈમાન ધરમ’ને પબ્લીકે ઢોરમાર માર્યો અને ‘ડૉન’ને પ્રેમપૂર્વક વધાવી લીધી.
ઉદાહરણોનો તોટો નથી. આવા વિષય પર વાત કરતા હોઈએ ત્યારે ‘મુઘલે આઝમ’ એક ક્લાસિક કેઈસ ગણાય. કોઈ વાંઝણી સ્ત્રીનાં ઘેર વીસ વર્ષે પારણું બંધાય અને પછી તેનું એ સંતાન જો દેશનાં વડા પ્રધાનપદ પર પહોંચે ત્યારે માતા સહિત આખી દુનિયાની આંખ ઠરે એમ મુઘલે આઝમના કિસ્સામાં થયું. અનેકાનેક વિઘ્નો પછી બાર વર્ષે ખતમ થયેલી આ ફિલ્મે બોકસ ઓફિસ પર વિજય પત્તાકા લહેરાવ્ય ત્યારે લોકો આવું તકદિર જોઈ દંગ રહી ગયા હતા.
રેશનાલિસ્ટો કહેશે: ‘ના ! પ્રારબ્ધ જેવું કશું નથી... મહિમા માત્ર પુરુષાર્થનો જ છે !’ માત્ર ફિલ્મોની બાબતે નહીં, મનુષ્ય વિશે પણ તેઓ એવું જ કહેતા હોય છે. પણ શું ખરેખર પુરુષાર્થનું ‘વેઈટેજ’ એટલું બધું અને પ્રારબ્ધનું કશું જ નથી ? આસપાસ દ્રષ્ટિપાત કરીએ તો પણ આવા અનેક પ્રશ્નો આપણી ભીતર સર્જાતા રહે, તેનાં જવાબો પણ માંહેથી અપાતા જાય અને માંહ્યલો પ્રતિપ્રશ્નો પણ કર્યા રાખે. મોં પરથી માખ ઉડાડવાની હોં ન હોય એવાં અલેલટપ્પુઓને અપણે અખૂટ ઐશ્વર્યમાં આળોટતા જોઈએ ત્યારે પુરુષાર્થ શબ્દ સ્વયં બહુ વામણો અને નિરર્થક લાગે. આપણને થાય કે, આ ભાઈ પગથી માથા લગી આખેઆખા વેંચાઈ જાય તો પણ એમના શરીરના વજન જેટલી પસ્તી સુધ્ધાંન કોઈ ન આપે. આવાં જ ચંપકની રક્તતૂલા અને સુવર્ણતૂલા યોજાતી આપણે નિહાળીએ ત્યારે થાય કે, પ્રારબ્ધ એક મહાન સત્ય છે. બીજી તરફ કિસ્મતનાં લોખંડી પંજા તળે કચડાયેલા જીનિયસ લોકોનાં ઉદાહરણો પણ અગણિત છે. મહાન કલાકાર હોય, ગ્રોટ કસબી હોય... જગત તેનું સામર્થ્ય સ્વીકારતું પણ હોય ! અને છતાં ભાઈ મૃત્યુપર્યંત બે પાંદડે ન થયા હોય.’ દરેક વ્યક્તિએ લાગે છે કે, તેમને તેમની ક્ષમતા મુજબનું કામ, તેમની આવડત મુજબના દામ નથી મળ્યાં. મોટા ભાગનાં આવા લોકો પોતાનાં માટે જ કંઈક વધુ પડતો અહોભાવ સેવતા હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ વિશે આવું જ જ્યારે અન્ય અનેક લોકો કહેતા હોય ત્યારે પ્રારબ્ધનું મહત્ત્વ સમજાય.
કિસ્મતમાં નહીં માનનારાઓને આવી વાત કરીએ ત્યારે એક સ્ટાન્ડર્ડ દલીલ આપણી સમક્ષ પેશ થતી હોય છે. આપણે જ્યારે અપ્રતિમ સફળતા મેળવેલા અલેલટપ્પુનું ઉદાહરણ આપીએ ત્યારે તેઓ કહે છે, ‘એમનામાં આવડત ભલે ઓછી હોય, બીજી અનેક ક્વૉલિટીઝ છે !’ બહુ જીનિયસ માણસોની નિષ્ફળતાનું ઉદાહરણ આપીએ તો તેઓ કહેશે: ‘એમનો ધૂની સ્વભાવ એમને નડ્યો !’
ટપ્પુઓની જેવી ‘કવૉલિટીઝ’ની તેઓ દુહાઈ આપતા હોય છે એવી ધરાવતી તો ઘેરઘેર એક વ્યક્તિ આપણને મળી રહે અને ધૂની સ્વભાવને જો તેઓ જીનિયસ વ્યક્તિની નિષ્ફળતા માટેનું કારણ માનતા હોય તો આવો જ સ્વભાવ ધરાવતા જીનિયસ લોકોનાં ઉદાહરણો હજ્જારોની સંખ્યામાં મળી રહે છે. અહીં આપણે જે વાત મનુષ્ય માટે કરી એ બધી જગ્યાએ ફિલ્મો પણ મૂકી શકાય. અથડાતો, કૂટાતો, રીબાતો, પિડાતો દુઃખીયારો માનવી ક્યારેક જબરી સફળતા પણ પામી જાય છે. અને ક્યારેક સરળતાથી વહ્યે જતાં મનુષ્યનું સાવ અચાનક ધનોતપનોત નીકળી જાય છે. ફિલ્મોનું પણ આવું જ. અથડાતી  કૂટાતી હિટ પણ થઈ જાય અને કોઈ કિસ્સામાં એનું નખ્ખોદ પણ નીકળી જાય.
મુઘલ-એ-આઝમ બનાવનાર કે. આસિફની તમન્ના હતી, ‘લવ એન્ડ ગોડ’નું સર્જન કરવાની. એ તેની ‘ડ્રિમ ફિલ્મ’ હતી. વિષયમાં કશું નાવિન્ય નહોતું. લૈલામજનુની પ્રણયકથા અગાઉ પણ એકાધિક વખત રૂપેરી પરદે આવી ચૂકી હતી. પણ, આસિફે કશુંક અલગ વિચાર્યું હતું: લૈલામજનુ મૃત્યુ પામે પછી તેમનું સ્વર્ગમાં ફરી મિલન થાય... સ્વર્ગના ભવ્યાતિભવ્ય સેટ્સ, અગાઉ કદી જોવા ન મળી હોય એવી ભવ્યતા, ગીતસંગીત... કોઈએ આસિફને વાર્યો. કહ્યું કે, ‘ઈસ્લામમાં સ્વર્ગની આવી કલ્પ્ના છે જ નહીં !’ નૌશાદે પણ તેને સમજાવ્યો. પણ એ ટસનો મસ થયો નહીં. મજનુ તરીકે એણે ગુરૂ દત્ત પર પસંદગી ઢોળી. બધાએ ત્યારે પણ વાર્યો: ‘ગુરૂ દત્તનું ઉર્દુ બહુ કાચું છે.’ આસિફે કહ્યું કે, ‘હું તેને ઉર્દુ માટે તાલીમ અપાવી દઈશ ! પણ મજનુના ચહેરા પર જે વેદના હોવી જોઈએ એવી ગુરૂ દત્ત સિવાય કોઈના ચહેરા પર જોવા ન મળે !’
અંતે ‘લવ એન્ડ ગોડ’ ફ્લોર પર ગઈ. આઠ-દસ રીલનું શૂટિંગ થયું હશે ત્યાં ગુરૂ દત્તનું અવસાન થયું. કોઈએ કહ્યું કે, ‘અધુરી ફિલ્મ રિલિઝ કરી દઈશ તો પણ લોકો જોવા આવશે.’ આસિફ ન માન્યો. તેણે સંજીવકુમારને લઈ ફિલ્મ આગળ ધપાવવાનું નક્કી કર્યું. નિમ્મીના સોલો શોટ્સ એ એમ જ રહેવા દેવા અને યુગલ દ્રશ્યો ફરી શૂટ કરવાની વાત થઈ. સંજીવકુમારે આ રોલ માટે જરૂરીયાત મુજબ ખાસ્સું વજન ઉતાર્યું. ફિલ્મ શરૂ થઈ, આગળ ધપી... ખતમ થવા આવી ત્યાં સંજીવકુમારનું અવસાન થયું. પેચ વર્ક હજુ બાકી જ હતું. હજુ માંડ એ પુરું થાય એ અગાઉ જ આસિફ પણ જન્નત સિધાવી ગયો !
‘લવ એન્ડ ગોડ’ ફરી એક વખત અટકીલટકી પડ્યું. ફિલ્મમાં પેચ વર્કનું જે કામ બાકી હતું એ પૂર્ણ કરવામાં ઝાઝા સમયની જરૂર ન હતી. હવે, સવાલ એ ફિલ્મ પરનાં અધિકારોનો હતો. આસિફની પ્રથમ પત્ની નિગાર (મુઘલ-એ-આઝમની ‘બહાર’!) અને બીજી પત્ની અખ્તર (દિલીપકુમારની બહેન-અસલી જિંદગીમાં) વચ્ચે હક્કની લડાઈ થઈ. એ દરમિયાન અખ્તરે રશિદ નામનાં એક સજ્જન સાથે ઘર માંડ્યું અને ‘લવ એન્ડ ગોડ’ના હક્કો છેવટે પ્રથમ પત્ની નિગાર સુલ્તાનાને મળ્યાં. તેણે પેચવર્ક પૂર્ણ કરાવ્યું. જેની પાછળ આટઆટલી કથાઓ જોડાયેલી હતી એ ચર્ચાસ્પદ ‘લવ એન્ડ ગોડ’ રિલીઝ થઈ. પરંતુ તેને જોવા સિનેમા હોલ પર ચકલું ય ફરક્યું નહીં !
વિધાતાએ કદાચ કટાયેલી કલમ વડે ‘લવ એન્ડ ગોડ’ના તકદિર લખ્યા હતા ! એની જોડે સંકળાયેલી એક પછી એક વ્યક્તિને કાળ જાણે હણતો ગયો. કોઈ શ્રાપિત મનુષ્ય આજીવન પિડાઈને છેલ્લે ચિંથરેહાલ અવસ્થામાં મોતને ભેંટે એમ આસિફનું આ ભવ્ય સ્વપ્ન એક દિવસ ભાંગીને સાવ ભુક્કો થઈ ગયું. સારું થયું કે, પોતાનાં સર્જનની આવી દશા જોવાનું આસિફના કિસ્મતમાં નહોતું લખાયું !
દરેક ફિલ્મની એક કુંડળી હોય છે ! ફરી એ જ વાક્ય યાદ આવવાનું કારણ ‘લવ એન્ડ ગોડ’ની થયેલી દશા અને તેની માફક જ અવગતે ગયેલી અગણિત ફિલ્મો. રામ મહેશ્વરીએ ધર્મેન્દ્ર-મીનાકુમારી-રાજકુમારને લઈ ‘કાજલ’ બનાવી. વાર્તા હતી, ગુલશન નંદાની. ફિલ્મ ચાલી. ફરી એમણે ગુલશન નંદાની વાર્તા પરથી એક ફિલ્મ શરૂ કરી  ‘ચિનગારી’. સ્ટારકાસ્ટ પણ મોટી. વળી સર્જકે તેની આગલી જ ફિલ્મમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. પરંતુ ‘ચિનગારી’ એવી બુઝાઈ ગઈ કે એ ક્યારેય રિલીઝ ન થઈ. ફણિશ્વરનાથ રેણુની વાર્તા પરથી શૈલેન્દ્રએ ‘તિસરી કસમ’ જેવી ઉમદા ફિલ્મ બનાવી પણ જશને બદલે એને પ્રેક્ષકોના જોડાં મળ્યાં. એ જ ફણિશ્વરનાથની ‘મૈલા આંચલ’ નામની નવલકથા પરથી ધર્મેન્દ્ર-જયા ભાદુરીને લઈ ‘દાકતર બાબુ’ નામની ફિલ્મ લૉન્ચ થઈ. આજે એ ‘દાકતર બાબુ’ના પાર્થિવ શરીરનો પણ અતોપત્તો નથી. તમને પણ લાગે છે ને કે, દરેક ફિલ્મની એક કુંડળી હોય છે!

*લગભગ એકાદ વર્ષ પહેલા "સંદેશ"માં લખેલા ૧૦૦૦ શબ્દના લેખમાં વધુ ૧૦૦૦ શબ્દો ઉમેરીને તૈયાર કરેલો લેખ અહીં મુક્યો છે 

Thursday, August 11, 2011

આજના રાજકારણમાં પણ બ્રાહ્મણોની બોલબાલા!: કિંગ બદલાયા પણ "કિંગ મેકર" હજુ એ જ છે !



ઈશ્વરનો આભાર માનો કે , હજુ કોઈ રાજકીય પક્ષોનાં થિન્ક ટેન્ક બનવા માટે કે સ્ટ્રેટેજી ઘડવામાં આરક્ષણ અમલમાં નથી! 




દલિતો, મુસ્લિમો અને પછાત વર્ગનું મહત્વ રાજકારણમાં વધતું ચાલ્યું છે. જો કે રાજકીય પક્ષોનો વોરરૂમ સંભાળવાની અને નીતિઓ કે પ્રચારની સ્ટ્રેટેજી ઘડવાનું કામ દરેક પક્ષમાં બ્રાહ્મણો જ સંભાળી રહ્યા છે. "આઉટલુક"એ આ અંગે એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાંથી થોડી માહિતી અહીં સાભાર મૂકી છે... 

છેલ્લા થોડા વર્ષો દરમિયાન ભારતનાં રાજકારણમાં દલિતો અને પછાત વર્ગોનું મહત્વ વધ્યું છે, જ્યારે ઉજળીયાતોનું ઘટ્યું છે. ખાસ કરીને, સંસદ અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ઉજળીયાતોનું તથા બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ ઘટતું જાય છે. હાલની લોકસભામાં કુલ ૫૦ બ્રાહ્મણ સભ્યો છે. જે સાંસદોની કુલ સંખ્યાના ૯.૧૭ ટકા છે. પ્રથમ દ્રષ્ટિએ મોટો દેખાતો આ આંકડો વાસ્તવમાં નાનો છે. કેમ કે, દિનપ્રતિદિન આ ટકાવારી ઘટતી ચાલી છે. ૧૯૮૪ની લોકસભામાં સાંસદોની સંખ્યામાંથી ૧૯.૯૧ ટકા બ્રાહ્મણો હતાં, ૧૯૮૯ તથા ૧૯૯૮માંં થયેલી ચૂંટણીઓમાં ૧૨.૪૪ ટકા બ્રાહ્મણો ચૂંટાયા હતાં. જ્યારે ૧૯૯૯માં ૧૧.૩ ટકા બ્રાહ્મણો હતાં. એક સમય હતો જ્યારે રાજકારણના તમામ ઉચ્ચ પદો પર બ્રાહ્મણોની બોલબાલા હતી. ૧૯૫૦થી ૨૦૦૦ની સાલ સુધી ભારતની અદાલતોમાં રહી ચૂકેલા કુલ ચિફ જસ્ટિસમાંથી ૪૭ ટકા બ્રાહ્મણો હતાં. જો કે, આજે પણ બ્યુરોક્રસીમાં બ્રાહ્મણોની સારી એવી બોલબાલા છે. ભારતની કેન્દ્ર સરકારમાં અતિ ઉચ્ચ કક્ષાએ બિરાજતા અધિકારીઓમાંથી ૩૭ કરતાં પણ વધુ બ્રાહ્મણો છે.

રાજકારણનું ચિત્ર બદલાયું છે અને બ્રાહ્મણો ફરી તેમના જૂના રોલમાં આવી રહ્યાં છેઃ ચાણક્યના રોલમાં. મુખ્ય મંચ પર કરતાં તેમની ભૂમિકા બેક સ્ટેજમાં વધુ છે. પરિસ્થિતિ એવી છે કે, આજકાલ બ્રાહ્મણ કિંગ મેકર બની ગયા છે. વિવિધ પક્ષોની રણનીતિઓ ઘડવાથી લઇને પ્રચારની સ્ટ્રેટેજી, ચૂંટણીની યુદ્ધનીતિ, પ્રચાર યુદ્ધનું સ્વરૂપ, સૂત્રો, પ્રચાર માટેના મુદ્દાઓ વગેરે તમામ પ્રકારનો મસાલો બ્રાહ્મણોના દિમાગમાંથી જ છલકાઇ રહ્યો છે. બહુજન સમાજ પાર્ટીના માયાવતીને તેમની બ્રાહ્મણ વિરોધી નીતિના કારણે ઉત્તર પ્રદેશમાં ક્યારેય નોંધપાત્ર સફળતા મળી ન હતી. પરંતુ બ્રાહ્મણોને સાથે રાખ્યા પછી માયાવતીએ આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે રાજ કરી રહ્યા છે. 
સ્ક્રીપ્ટ વાંચ્યા વગર ભાષણમાં કે પત્રકાર પરિષદમાં એક લીટી પણ નહીં બોલી શકતા અને સારી રીતે સ્ક્રીપ્ટ પણ વાંચી નહીં શકતા માયાવતીમાં વળી રાતોરાત એટલી અક્કલ ક્યાંથી આવી ગઇ કે, તેઓ રાજકારણમાં આટલી હદે સફળતા પામ્યા? વેલ, આ સફળતા માટે જવાબદાર છે તેમના ચાણક્ય ગણાતા સતિષચંદ્ર મિશ્રા. ૫૭ વર્ષના આ વકીલ સાહેબની આજે યુ.પી.માં હાક વાગે છે. એક હાઇકોર્ટ જજના પુત્ર અને વ્યવસાયે એડવોકેટ એવા મિશ્રાજી આજથી ઘણા સમય પહેલા માયાવતીના ધ્યાનમાં આવ્યા હતાં. ૨૦૦૪માં માયાવતીએ મિશ્રાજીને બહુજન સમાજ પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. મિશ્રાજીએ આમંત્રણ સ્વીકારી લીધું અને પછી બહુજન સમાજ પક્ષની આખી નીતિમાં ધડમૂળથી પરિવર્તન કર્યુ. મિશ્રાજીએ પક્ષનો સૂર બ્રાહ્મણ તરફી બનાવ્યો. સતિષચંદ્ર મિશ્રાએ એક અદ્ભૂત ફોર્મ્યુલા ઘડી કાઢી. જેના લીધે સત્તામાં બ્રાહ્મણો અને દલિતો સરખા ભાગીદાર બન્યા. ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીઓમાં મિશ્રાએ બ્રાહ્મણોની ૯૮ ટકા જેટલી સભાઓને સંબોધન કર્યુ તથા ઉત્તર પ્રદેશના ૭૦ જિલ્લાઓ તેઓ ઘુમી વળ્યા. આ બધા જિલ્લાઓમાં તેમણે ‘બ્રાહ્મણદલિત ભાઇચારા બનાવો’ સમિતિની રચના કરી. એમના જ પ્રતાપે બસપાની આખી લાઇન બદલાઇ ગઇ. એક સમયે બ્રાહ્મણો, વાણીયાઓ અને ક્ષત્રિયોને ભાંડવા માટે માયાવતીએ સૂત્ર આપ્યુ હતું ‘તિલક, તરાજુ ઔર તલવાર... ઇન કો મારો જૂતે ચાર.’ અને આજે બસપાનું સૂત્ર છેઃ ‘હાથી નહીં ગણેશ હૈ  બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હૈ.’ વિધાનસભાઓની ચૂંટણીઓ પછી માયાવતીએ  સતીષચંદ્ર મિશ્રાને થોડા સમય માટે પોતાની સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી બનાવ્યા. પરંતુ પછી મિશ્રાની જરૂર તેમને દિલ્હી ખાતે લાગતા માયાવતીએ એમને રાજ્યસભાની ટિકીટ આપી. મિશ્રાએ દિલ્હીમાં પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ પક્ષો સાથે બસપા માટે મજબુત સંબંધો બનાવવાનું  કાર્ય કર્યુ. હવે મિશ્રા માયાવતીને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવાની વેતરણમાં છે.

માયાવતી જો બ્રાહ્મણોનો સહારો લઇ રહ્યા હોય તો અન્ય પક્ષો પણ કંઇ પાછળ નથી. ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાઇકના ખાસમખાસ ગણાતા પ્યારે મોહન મોહપાત્રા પણ એક બ્રાહ્મણ છે. ૧૯૬૩ની બેચના આ આઇ.એ.એસ. અધિકારીએ નવીન પટનાઇકના વ્યકિતત્વમાં નખશિખ પરિવર્તન આણ્યું છે. પટનાઇક જ્યારે મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેમને વૈશ્વિક મુદ્દાઓની અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓની જ જાણકારી હતી. ઓરિસ્સાના સામાન્યજનની મુશ્કેલીઓ કેવી છે,  ત્યાંની સમસ્યાઓ શું છે, લોકો વચ્ચે લોકોના બનીને જ કેવી રીતે રહેવું એ અંગે તેમને કશો જ ખ્યાલ નહોતો. પરંતુ મોહપાત્રાએ પટનાઇકને સ્થાનિક મુદ્દાઓની સમજ આપી અને લોકો વચ્ચે  રહેતા, પ્રજા વચ્ચે જતા શીખવ્યું. બિજુ પટનાઇકના જમાનામાં પ્યારેમોહન મોહપાત્રા ઓરિસ્સાના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતાં.  ૧૯૯૮ની સાલમાં તેઓ નિવૃત્ત થયા અને તેના બરાબર ૧ વર્ષ પછી નવીન પટનાઇક ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા. કહેવાય છે કે, નવીન પટનાઇકના માતા ગ્યાન દેવીએ જ મોહપાત્રાને વિનંતી કરી નવીનના ચાણક્ય બનાવ્યા હતાં. આજે ઓરિસ્સા સરકારના દરેક મહત્વના નિર્ણય પાછળ મોહપાત્રાની મહત્વની ભૂમિકા હોય છે. વાત કોઇ યોજનાની હોય, બદલીઓની કે નિમણુંકની હોય, સાથી પક્ષોને કદ પ્રમાણે વેતરી નાંખવાના હોય કે વિરોધ પક્ષોને પાઠ ભણાવવાનો હોય.... દરેક મુદ્દામાં મોહપાત્રાનો ગજ વાગે છે. કેટલાંક લોકો એમને વાજબીપણે જ ઓરિસ્સાના સુપર ચિફ મિનિસ્ટર પણ કહે છે. તાજેતરમાં ભાજપ સાથેનો એક દાયકા જૂનો સંબંધ તોડવામાં પણ બીજેડી માટે મોહપાત્રાએ અત્યંત મહત્વનો રોલ અદા કર્યો હતો. વાત ભાજપની નીકળી છે તો ભારતીય જનતા પક્ષના ચાણક્યને કેવી રીતે ભૂલી શકીએ. એક સમયે વાજપેયીના ચાણક્ય ગણાતા બ્રજેશ મિશ્રા  જ્ઞાતિએ બ્રાહ્મણ હતાં તો લાલકૃષ્ણ અડવાણીનો ઉદય જ  એ સમયના ચાણક્ય ગોવિંદાચાર્યના પ્રતાપે થયો હતો. રાષ્ટ્રીય રાજકારણમાંથી ગોવિંદાચાર્યની વિદાય પછી નવા ચાણક્ય બન્યા પ્રમોદ મહાજન. અને હવે ભાજપના ચાણક્ય છે અરૂણ જેટલી. બહુ જાણીતી વાત છે કે, સંસદની ૨૦૦૯ની ચૂંટણીમાં પણ ભાજપનું આખું કેમ્પેઇન અરૂણ જેટલીએ સંભાળ્યું હતું. ૨૦૦૩માં મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહની ઇમેજનો ફાલુદો બનાવવામાં જેટલી લીડ રોલમાં હતાં તો ૨૦૦૫માં લાલુ યાદવનો બિહાર કિલ્લો ફતેહ કરીને તેની ગાદી પર નિતિશકુમારને બેસાડવામાં જેટલીની ભૂમિકા મુખ્ય હતી. દક્ષિણના રાજ્યમાં ભાજપનું બિલ્કુલ પ્રભુત્વ નહીં હોવા છતાં ૨૦૦૮માંં એમણે ત્યાં ભાજપને વિજયી બનાવ્યો. દક્ષિણ ભારતમાં એ ભાજપની પ્રથમ ઓફિશિયલ એન્ટ્રી ગણાય છે.
ભાજપની કમાન જો બ્રાહ્મણના હાથમાં છે તો તેનાથી જોજનો દૂરની વિચારસરણી ધરાવતા ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પણ આ બાબતે ભાજપની સાથે છે. સી.પી.આઇ.એમ.ની થિન્ક ટેન્કમાં અત્યંત મહત્વનું  સ્થાન ધરાવતા સિતારામ યેચુરી પણ જાતે બ્રાહ્મણ છે. અગાઉ ડાબેરીઓ પણ અન્ય પક્ષો માટે અછૂત જેવા ગણાતા હતાં. પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવવા માટે ડાબેરીઓએ કેટલાક રાષ્ટ્રીય પક્ષો સાથે જોડાણ સાધવાનું નક્કી કર્યુ. પરંતુ સંકુચિત મનોવૃત્તિના આ બધા ડોસલાઓને દિલ્હીના રાજકીય પક્ષોના અગ્રણીઓ સાથે બહુ જામતુ ન હતું. ગઠબંધનની એમની ઇચ્છાને પાર પાડવા  માટે યેચુરીએ પ્રયત્નો શરૂ કર્યા અને તેમને એમાં સફળતા પણ મળી. બિજુ પટનાઇકએ એક વખત ભૂતકાળમાં યેચુરીની મુલાકાત  પોતાના પુત્ર નવીન સાથે કરાવી હતી. એ જૂની મુલાકાતનો ઉપયોગ યેચુરીએ આટલા વર્ષો પછી કર્યો અને ઓરિસ્સામાં જ બીજેડી તથા ભાજપના જોડાણને તોડાવ્યું. કોંગ્રેસના ચાણક્ય ગણાતા જયરામ રમેશની ભૂમિકા થોડી અલગ છે. આ ભૂદેવ સક્રિય રાજનીતિમાં બહુ વધુ પડતો ભાગ લેવાને બદલે કોંગ્રેસ માટે વિવિધ નીતિઓ ઘડવાનું તથા પ્રચાર યુદ્ધની સામગ્રી તૈયાર કરવાનું કાર્ય કરે છે. જયરામ રમેશને તમે ખરા અર્થમાં ચાણક્ય કહી શકો. ૧૯૯૦ના દાયકામાં તેઓ જાણીતા અંગ્રેજી અખબાર માટે કૌટિલ્યના ઉપનામથી કોલમ લખતા હતાં. ઘણા વર્ષોથી તેઓ કોંગ્રેસની વિવિધ સરકારોના નાણાંકીય સલાહકાર રહ્યાં છે. નરસિંહ રાવની સરકારમાં તેમણે થોડા સમય વડાપ્રધાનના કાર્યાલયમાં પણ કામ કર્યુ. હાલમાં ખાસ ચૂંટણીમાં  તેમની બુદ્ધિમતાનો પૂરતો લાભ લેવા સોનિયા ગાંધીએ તેમની પાસેથી મંત્રી પદ લઇ લીધું છે અને એમને કોંગ્રેસના આખા વોર રૂમ (જે જગ્યાએથી ચૂંટણીની રણનીતિ તૈયાર થાય છે તે ઓફિસ)ની જવાબદારી જયરામ રમેશ હસ્તક છે. બદલીઓ અને તડજોડ માટે સોનિયા ગાંધીના હનુમાન તરીકેની ભૂમિકા અહેમદ પટેલ નિભાવે છે એ બધાને ખ્યાલ છે. પરંતુ પ્રચારની બાબતમાં જયરામ રમેશના સિક્કા પડે છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે, જયરામનું વજન એટલું છે કે, તેઓ સોનિયા ગાંધીની હાજરીમાં પણ કોંગ્રેસની ઓફિસમાં ટુચકાઓ સંભળાવતા રહે છે અને સિક્સરો મારતા રહે છે. કહેવતો અને રૂઢીપ્રયોગોનો તેમની પાસે ખજાનો છે. કોંગ્રેસના પોલિસી ડોક્યુમેન્ટસથી લઇને સોનિયા ગાંધીના ભાષણ તૈયાર કરવા સુધીની જવાબદારી આ ચાણક્યના શિરે જ છે.

પ્રચારની બાબતમાં જયરામ રમેશનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સરકારના વિવિધ નિર્ણયો બાબતે  પ્રણવ મુખર્જીનું છે. કોંગ્રેસના આ ચાણક્ય દેખાવમાં વામણ છે પણ પક્ષમાં તેમનું મહત્વ વિરાટ કક્ષાનું છે. સરકાર અને પક્ષની મહત્વની નિમણુંકો પાછળ પ્રણવનું દિમાગ કામ કરતું હોય છે. અમેરિકા સાથે પરમાણુ સમજુતિની વાત હોય કે પાકિસ્તાન પર મુંબઇ હૂમલા પછી આંતરરાષ્ટ્રીય દબાણ આણવાની જવાબદારી હોય.... પ્રણવ મુખર્જી સોનિયા ગાંધીની પ્રથમ પસંદ રહ્યાં છે. છેલ્લા લગભગ બે દાયકાથી તેઓ કોંગ્રેસમાં  નંબર-ટુના સ્થાન પર બિરાજમાન છે. સોનિયા ગાંધીનો જમણો હાથ જો પ્રણવ મુખર્જી હોય તો તેમને કુળદેવી ગણતા મનમોહન સિંહ પણ આ બાબતે પાછળ નથી. એમના ચાણક્ય સંજય બરૂ માત્ર એમનું મિડીયાનું કામ સંભાળે છે એવું નથી, પરંતુ અંગત રીતે પણ તેઓ વડાપ્રધાનની નજીક છે. ૨૦૦૭માં જ્યારે મનમોહન સિંહ પોતાની ઇમેજથી દુઃખીદુઃખી થઇ ગયા હતાં ત્યારે બરૂએ જ તેમને લોકો વચ્ચે જવાની સલાહ આપી હતી. અમેરિકા સાથેની પરમાણુ સંધિ અંગે મનમોહન સિંહએ આખા દેશમાં પોતાના તરફી મત બાંધ્યો તેનો યશ પણ સંજય બરૂને જ મળે છે. પરમાણુ સંધિ આડે રોડા નાંખતા ડાબેરીઓના પાપને મીડિયામાં લીક કરવાનું કામ સંજય બરૂ જ સંભાળતા. જ્યારે ડાબેરીઓ યુ.પી.એ.નો સાથ છોડીને નાસી ગયા ત્યારે સમાજવાદી પાર્ટી સાથે જોડાણ સાધવામાં સંજય બરૂએ નિર્ણાયક રોલ અદા કર્યો હતો.
ભારતના કોઇપણ મહત્વપૂર્ણ પક્ષ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ તો રણનીતિના ઘડવૈયા તરીકે કોઇ ભૂદેવ જ નજરે પડશે. ઓલ ઇન્ડિયા અન્નાદ્રમુકના સુપ્રિમો ભલે જે. જયલલિતા ગણાતા હોય પરંતુ એમના ચાણક્ય છે ચો રામાસ્વામી. આમ તો જયલલિતાનો અહમ એટલો પ્રચંડ છે કે, તેઓ ભાગ્યે જ કોઇ બાબતમાં કોઇની સલાહ લેતા હોય. પરંતુ જ્યારે એમને આવી કશીક જરૂર પડે છે ત્યારે તેઓ અચૂક રામાસ્વામી પાસે ધસી જાય છે. આ ચો રામાસ્વામી પણ એક અનોખી આઇટમ છે. તેઓ પત્રકાર છે, વકિલાત કરે છે, એક્ટર છે અને અગ્રણી તમિલ મેગેઝિન થુગલકના તંત્રી છે. તેઓ ચુસ્ત બ્રાહ્મણ છે અને રાજ્યમાં અનામત સામે ખુલ્લેઆમ પોતાનો અવાજ બુલંદ કરતા રહે છે. તાજેતરમાં પોતાના મેગેઝીનની વર્ષગાંઠના અવસરે તેમણે ચૂંટણીઓમાં જયલલિતાને ચૂંટી કાઢવાની લોકોને ખૂલ્લેઆમ અપીલ કરી હતી. દક્ષિણના અન્ય એક નેતા એચ.ડી. દેવગૌડા માટે થીંક ટેન્ક ગણાય છે વાય.એસ.વી. દત્તા નામના એક સજ્જન. તેઓ છેલ્લા બે દાયકાથી દેવગૌડાના વફાદાર સેનાપતિ તરીકે ફરજ બજાવે છે. દત્તા એક સારા પ્રવક્તા તો છે જ, પરંતુ વિરોધીઓ પર આક્રમણ કરવાનો તમામ મસાલો તેઓ પોતાના બોસને પૂરો પાડે છે. બિહારમાં શિવાનંદ તિવારી અગાઉ લાલુના ચાણક્ય રહી ચૂક્યા છે. હવે તેઓ નિતિશકુમાર સાથે છે. આવી આવ-જા કરવાની તિવારી બાબુને આદત છે પરંતુ એમનું દિમાગ એટલું શાતીર છે કે, બિહારના નેતાઓ એમની આવી એકસો ભૂલોને માફ કરવા પણ તૈયાર હોય છે.

Saturday, August 6, 2011

શું ઓશો કોઈ ચમત્કારી વિદ્યા જાણતા હતા? પોતાના પર કાળા જાદુનો પ્રયોગ થયો છે એવું તેઓ શા માટે માનતા હતા?


રજનીશ તેમની કોલેજ લાઇફમાં કેવા હતા? સંભોગથી સમાધિની એમની ફિલસુફી પાછળ કઇ વ્યક્તિની પ્રેરણા છે? એમને દિવ્યજ્ઞાન ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થયું? 
આ સંસ્મરણોમાં તમામ એવી વાતો છે જે રજનીશનો આપણે કદી ન જોયો હોય એવો ચહેરો દેખાડે છે...

આ લેખના પ્રથમ ભાગમાં આપણે ઓશો  વિશેની અનેક અજાણી, ઓછી જાણીતી વાતો માણી. આ બીજો ભાગ કદાચ પહેલા ભાગ કરતા પણ વધુ રસપ્રદ વિગતો બયાં કરે છે. કારણ કે, તેમાં ચિરંતન બ્રહ્મચારીની સાથે ઓશોના બે અત્યંત અંગત મિત્રોના સંસ્મરણો પણ ભળ્યા છે...
લાંબો-લાંબો એમનો એ વિશિષ્ટ કોટ, દાઢી અને ચહેરાના હાવભાવ.... ઓશોનું વ્યક્તિત્વ તમને ક્યા મહાન સર્જકની યાદ અપાવે છે?  "તેમના પર રવીન્દ્રનાથ ટાગોરનો જબરદસ્ત પ્રભાવ હતો" ચિરંતન બ્રહ્મચારી પાસે આવી અનેક 'અંદર કી બાત' છે. અંગત વાતચીતમાં ઓશો ઘણી વખત ટાગોરને યાદ કરતા. સ્મૃતિઓ અનેક છે. કેટકેટલું યાદ કરવું? આપણે મુદ્દો મુકીએ છીએ: 'અચ્છા, ઓશો અનેક વિદ્યાઓ જાણતા હતા એવી વાતમાં કેટલું તથ્ય?" ચિરંતનભાઈના કાન સરવા થાય છે. એક ઊંડો શ્વાસ લઇ તેઓ કહે છે, "હું જે અનુભવ તમારી સામે મુકું છું એના પર તમે વિશ્વાસ નહિ કરો! એક વખત તેમને પોતાના અનુયાયીઓને મ્હેણું માર્યું કે, એમનામાં પ્રતિબધ્ધતા નથી! મને થયું કે, તેઓ મને પણ ટોણો મારી રહ્યાં છે. એમનાંથી રિસાઈ હું આશ્રમ છોડી ચાલી નીકળ્યો. રાત તો સમુદ્રના કાંઠે વિતાવી. સવાર થઇ તો હું કોઈ અજબ ખેંચાણ મેહસૂસ કરતો હતો. મારા પગ આપમેળે આશ્રમ તરફ વળવા લાગ્યા. મારી જાત પર મારો કાબુ નહોતો. હું જાણતો હતો કે, કોઈ મને આશ્રમ તરફ રીતસર ખેંચી રહ્યું છે પરંતુ તેનો પ્રતિકાર કે ઇનકાર કરી શકું એટલી શક્તિ મારામાં નહોતી. મને ખ્યાલ હતો કે, હું સ્વયંભુ ત્યાં જઈ રહ્યો નથી. કોઈ રોબોટને જાણે કમાન્ડ અપાયો હોય અને તેણે આદેશનું પાલન કર્યું હોય એમ હું આશ્રમ પાછો ફર્યો. ઓશોએ મને આવકાર્યો અને કહ્યું, 'ભાઈ, મેં જે મહેણું માર્યું હતું એ તારા માટે નહોતું! એમને ખ્યાલ આવી ગયો હતો કે, મને શું પેટમાં દુખ્યું હતું. હા! તેઓ મેસ્મેરિઝમ જાણતા હતા. સામેની વ્યક્તિ સહકાર ના આપે તો પણ તેને વશમાં કરવાની તાકાત તેમનામાં હતી" પાછલા વર્ષોમાં ખુદ પર કાળો જાદુ કરવામાં આવ્યો હોવાની વાત પણ તેમણે કેટલાક અંગત શિષ્યોને કરી હતી. પોતાના પર બ્લેક મેજિકનો પ્રયોગ કોણે કર્યો છે એ વિશે પણ તેમને ખ્યાલ હતો પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે, જે માથે પડ્યું છે તે સહન કરી લેવું, તેનો જવાબ ના આપવો.
"ખેલ કો મૈ યુદ્ધ કા અહિંસાત્મક સંસ્કરણ કહેતા હું!" રજનીશના મોમાંથી વાતવાતમાં એક વનલાઈનર સરી પડ્યું અને ચિરંતનભાઈ તથા અન્ય શિષ્ય રવિશંકરના મોમાંથી 'વાહ વાહ' નીકળી ગયું. આજે પણ ચિરંતનભાઈ એ પ્રસંગને યાદ કરે છે ત્યારે હસી પડે છે: "ગુરુજીની કોઈ વાત સારી લાગે તો કંઈ આપણે મુશાયરામાં બેઠા હોઈએ તેમ વાહ વાહ ના કરાય! પરંતુ ઓશોની વિનોદવૃત્તિ બહુ સારી હતી એટલે એમને આવી વાતોનું માઠું લાગતું નહિ. એમની સેન્સ ઓફ હ્યુમર ગજબની હતી. આશ્રમ પર ક્યારેક કોઈ બોલકા ભક્તો આવી ચડતા તો રજનીશજીની હાલત ખરાબ કરી નાંખતા. આવા પ્રખર વક્તાના ભાગે પણ કશું જ બોલવાનું ના આવ્યું હોય એવું ક્યારેક બનતું. પેલો ભક્ત કલાકો સુધી બડબડ કર્યા પછી જ્યારે જતો હોય ત્યારે ઓશો હળવેકથી કહે'આજ તો બાતચીત મેં બડા આનંદ આયા!' પેલા મહેમાન સિવાય બાકીના બધા આ રમુજ સમજી ગયા હોય એટલે એના ગયા પછી બધા બહુ હશે. ક્યારેક એવું બનતું કે, અખા દિવસમાં આશ્રમ પર એક પણ શિષ્ય ના આવ્યો હોય. રાત્રે બધા બેઠા હોય ત્યારે ઓશો રમુજમાં કહેતા:' આજ તો અપની દુકાન મેં બોની ભી નહિ હુઇ!'
"ઓશોની પ્રથમ કાર હતી: "સ્ટાન્ડર્ડ." એ પછી ઈમ્પાલા આવી. આ કાર તેમને શિષ્યા માં યોગલક્ષ્મીના ભાઈએ આપી હતી. જો કે, ત્યારે આશ્રમની આવક ખાસ ઉલ્લેખનીય નહોતી. સાંઠના દાયકામાં તો રજનીશ સાવ નાના-નાના ગામડે પ્રવચન માટે જતા ત્યારે બળદ ગાડાનો ઉપયોગ કરતા! સંઘર્ષ એમને બહુ નજીકથી જોયેલો. એટલે જ માનવીય સંબંધોનું તેમને પૂરેપૂરું મુલ્ય હતું. પોતે હમેશા એક મુસ્લિમ દરજી પાસે વસ્ત્રો સિવડાવતા. અચાનક એ  દરજી મૃત્યુ પામ્યો અને રજનીશને એટલી હદ્દે આઘાત લાગ્યો કે, વર્ષો સુધી એમણે સીવેલા વસ્ત્રો પહેર્યા નહિ! "એમનામાં પ્રખર બુદ્ધિમતા, તર્ક, સંવેદનશીલતા અને દુરંદેશીનું અદ્ભુત સંયોજન હતું!" ચિરંતનભાઈ વાતનો દૌર આગળ વધારે છે: "જબલપુરના તેમના પ્રાધ્યાપકે રજનીશની ઉત્તરવહી વાંચ્યા પછી પોતાની ઈન્ડીપેનની ટાંક તોડી નાંખી હતી!  પેલા પ્રોફેસરે શપથ લીધા હતા કે, જે દિવસે તેમને કોઈ અદ્ભુત ઉત્તરવહી વાંચવા મળશે અને લાગશે કે, આ વિદ્યાર્થી પાસે તો ભલભલા માસ્તરોનું જ્ઞાન પણ ફિક્કું ગણાય - તેઓ નિવૃત્તિ લઇ લેશે. ટાંક તોડી તેઓ બીજા જ દિવસે નોકરી છોડી ગયા! ઓશોમાં જ્ઞાન નો તેજપુંજ હતો. તમે વિચારો, એ માણસે ધુમ્રપાનને પણ ધ્યાનની વિધિ ગણાવ્યું હતું! એમણે એ સાબિત કરી આપ્યું હતું કે, તેઓ કહે એ રીતે કોઈ સ્મોકિંગ કરે તો એ પણ એક ધ્યાનક્રિયા બની જાય! એક જ વ્યક્તિએ ધ્યાન ની ૧૨૦ વિધિ આપી હોય એવું ભારતમાં અગાઉ કદી બન્યું નથી. ઓશોએ એ કામ કર્યું હતું. વિરાટ કાર્ય!" 

ચિરંતનભાઈ સાથે કલાકો સુધી વાતો ચાલે છે. "ઘણાં વર્ષે આટલો આનંદ આવ્યો!" , તેઓ જાતે જ બોલી ઉઠે છે. ઓશો તો કેરેક્ટર જ એવું છે. અને અમને થોડા સમય પહેલા વાંચેલા સંસ્મરણોનું સ્મરણ થાય છે. હજુ એ શબ્દો ભુલાયા નથી. ઓશોના પરમ મિત્રએ લખેલા એ શબ્દો :"સમયના પારદર્શક આવરણોમાં વિતેલા દિવસોની સ્મૃતિઓ જાણે ધૃજી રહી છે. ચેતનાનાં કોઈ ધુમિલ, અજાણ્યા ખુણે એ સ્મરણો પડખા ફેરવી રહ્યાં છે. મનમાં કોઈ જબરી ઉથલપાથલ થયા કરે છે. યાદોના પડછાયાઓ સતત ઢંઢોળ્યા કરે છે. પ્રેમ કંઈ ચિત્તને મુક્ત કરતો નથી. એ સતત આપણને બંધનમાં રાખે છે અને રજનીશનો ઘેઘુર સ્વર સતત સંભળાયા કરે છે"  ઓશો. નામ સાંભળ્યાવેંત જ તેમની ફિલસુફી યાદ આવી જાય. પંડીતો, બાવાઓ, ધર્મગુરૂઓ, રાજકારણીઓ અને પાખંડીઓ સામે સદાય બંડ પોકારતું એક વિરાટ વ્યક્તિત્વ. આ તો આપણાં મનમાં એમની  જે છબી છે એવી વાત થઇ. પરંતુ ઓશોની કિશોરાવસ્થા, યુવાની અને કોલેજકાળ કેવા હતા એ વિશે બહુ ઓછી માહિતી મળે છે. એમના કોલેજકાળના પરમ મિત્ર ડૉ. કાંતીકુમાર જૈન અને ડૉ. કૈલાશ નારદે એમના ઓશો સાથેના સંસ્મરણો લખ્યા છે. જેનાં દ્વારા ઓશોના વ્યક્તિત્વના સાવ અજાણ્યા પાસા વિશે પણ મળે છે.
ચિરંતનભાઈના અને મેં વાંચેલા ઓશોના મિત્રના સંસ્મરણો બેઉ અહી મુકીએ તો કેમ! 'નેકી ઔર પૂછ પૂછ!" જાતે જ મારી જાતને જવાબ આપી દઉં છું અને પેલા સંસ્મરણો અહીં મૂકી પણ દઉં છું: હિતકારીણીમાં તેઓ ઇન્ટરમાં ભણતા હતા. વર્ગમાં એક વખત પ્રોફેસર ડૉ. શિવનંદન શ્રીવાસ્તવ સાથે  એમને જીભાજોડી થઇ ગઇ. મુદ્દો હતો: બ્રેડલે.  ડૉ. શ્રીવાસ્તવ પણ જ્ઞાની. શંકર બ્રેડલેનાં તુલનાત્મક દર્શન પર શોધનિબંધ લખીને ડોક્ટરેટ થયા હતા. રજનીશ પ્રત્યે તેમને ખુબ લાગણી પણ રજનીશને પોતાની બુદ્ધિમતા પર જબરદસ્ત ગર્વ. એટલે ગુરૂ સાથે જ બાખડી પડયા. ડૉ. શ્રીવાસ્તવે કહ્યું કે તને એટલી બધી જ ખબર પડતી હોય તો મારા કલાસમાં આવવાની જરૂર જ શી છે ? પ્રોફેસરે રજનીશની ફરીયાદ પ્રિન્સીપાલને કરી. ત્યાં અગાઉથી પ્રિન્સીપાલ પાસે રજનીશ વિરુદ્ધની ફરિયાદોનો ઢગલો થયેલો જ હતો. અને એ ફરિયાદ યુવતિઓએ કરેલી હતી !

પરમજ્ઞાનની પ્રાપ્તિ પછીના ઓશોની તસવીર 
કોલેજના પ્રથમ માળ પર આવેલા વર્ગમાં જવા માટે લાકડાનો દાદરો હતો. લાકડાના દાદરા વચ્ચે ખાસ્સી જ્ગ્યા ખાલી હોય છે. એ આપણને ખ્યાલ છે. હવે જ્યારે યુવતિઓ ઉપરનાં માળે જતી હોય ત્યારે કોલેજના યુવકો દાદરા નીચે ઉભા રહીને ઉંચી મુંડી કરીને બધું ભાળ્યા કરતા ! આ ટોળકીમાં રજનીશ સૌથી આગળ પડતા હતા ! પ્રિન્સીપાલ સમક્ષ આવી ઘણીબધી યુવતિઓએ ફરીયાદ કરી હતી. અને ઘણી યુવતિઓએ ફરીયાદ કરવાનું ઉચિત માન્યું ન હતું. કારણ કે રજનીશની ચેષ્ઠાઓ તેમને ગમતી ! એની મોટી જાદુઇ આંખો અને પ્રખર બુદ્ધિમતાએ અનેક યુવતિઓ પર કામણ પાથર્યા હતા. રજનીશને પ્રિન્સીપાલે પરીક્ષા આપવાની મંજુરી તો આપી પણ બીજા વર્ષે તેને એડમિશન અપાયું નહીં. 

રજનીશે એ પછી નજીકની જ ડી. એન. જૈન કોલેજમાં પ્રવેશ લીધો. અહીં ફક્ત યુવકો જ ભણતા હતા. બોયઝ કોલેજ હતી તેથી તેમની વિરૂદ્ધ ફરિયાદનો સવાલ ન હતો. ૧૯૫૬માં એમણે બી.એ. પૂર્ણ કર્યું અને એમ.એ. કરવા મધ્યપ્રદેશના સાગર શહેરમાં ગયા. એમને હોસ્ટેલ તરીકે ટીનના છાપરાવાળુ બેરેક મળ્યું. દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકો માટે બનાવાયેલી આ છાવણી હવે કોલેજને ફાળવી દેવાઇ હતી જેમાં વિદ્યાર્થીઓ રહેતા હતા. એમ.એ.ના વિદ્યાર્થીઓને સ્વતંત્ર બેરેક ફાળવાતું. રજનીશે પોતાનાં બેરેકમાંની ટાઇલ્સ કઢાવી નાંખી ત્યાં રેતી પાથરી દીધી હતી. રેતી પર તેઓ આસન, પ્રાણાયમ અને હઠયોગ કરવા લાગ્યા હતા. કુંડલિની જાગરણ એમનું પ્રથમ લક્ષ્ય હતું. રૂમમાં એમણે એક મંચ જેવું બનાવ્યું હતું જેના પર તેઓ ખુરસી રાખી સાંધ્ય પ્રવચન કરતા ! એમના શ્રોતાઓમાં બી.એ. અને એમ.એ.ના વિદ્યાર્થીઓ જ હતા ! નવા કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓ એમની વાકછટાથી રીતસર અંજાઈ જતા. પ્રવચન પુરૂં થાય પછી રજનીશ પેલા પાટીયા પરથી ખુરસી હટાવી લેતા અને એ પાટીયું જ એમનો પલંગ બની જતું.

સાગર યુનિવર્સિટીમાં એ અરસામાં હોનોલૂલૂથી પ્રો. શ્રીકૃષ્ણ સક્સેના આવ્યા હતા. એ એક જબરદસ્ત કેરેક્ટર હતું ! એમના ગલોફામાં હંમેશા પાન ભરેલા રહેતા હોંઠ પણ કાયમ લાલચટ્ટક હોય. સુટ પહેર્યો હોય અને ભડકીલા રંગના શર્ટ પહેર્યા હોય. મોંમાંથી વહેતા પાનના લાલ રસને રૂમાલથી સતત લુછયા કરતા હોય. તેઓ જાતજાતની ટાઇ પહેરતા. નગ્ન સુંદરીઓની પ્રિન્ટવાળી ટાઇ. નૃત્ય કરતી અપ્સરાની મુદ્રાવાળી ટાઇ. દુધીયા સુટ, લાલ ટાઇ, કથ્થઈ રૂમાલ અને સફેદ વાળ ધરાવતા સકસેના સાહેબને જુઓ તો કોઇ મેઘધનુષ જાણે ફરવા નીકળ્યું હોય એવું લાગે. 

ફ્રી પિરિયડમાં સકસેના સાહેબ તેમના સાથી પ્રોફેસરો સાથે શેર/શાયરીની મહેફીલો જમાવતા. કામસુત્ર, વાત્સ્યાયન અને કાલિદાસ  જેવા વિષયો વારંવાર ચર્ચામાં આવતા. સાંજના સમયે એમનાં ઘેર રીતસર મહેફિલો જામતી. તેઓ પરમ ભૌતિકવાદી, સુખવાદી હતા. એમને ત્યાં બધું જ ખુલ્લું હતું. મુક્તપણે જે કોઈ આવે જે કોઈ ચર્ચા થાય તેનો બિલકુલ છોછ નહોતો. જીવનથી તેઓ છલોછલ હતા.

તેમના આગમનથી સાગર જેવા નાના શહેરમાં નવી હવાની લહેરખી ફેલાઈ હતી. સકસેના સાહેબને સાગરમાં બધાં પ્રો. સેકસેના કહેવા માંડ્યા હતા. રજનીશ દરરોજ અવશ્ય તેમની મહેફિલોમાં જતા ડૉ. કાન્તિ જૈન લખે છે. રજનીશના જીવનદર્શન પર પ્રો. સકસેનાનો જબરદસ્ત પ્રભાવ છે. પ્રો. સકસેનાની વાતોમાંથી, એમની ફિલોસોફી અને લાઈફ સ્ટાઈલમાંથી રજનીશે ઘણું ગ્રહણ કર્યું.

ચાર્વાકની ફિલસુફી રજનીશને ગમતી. એક સાંજે તેઓ જમવા માટે જૈન કેન્ટીન પહોંચ્યા. સંપન્ન પરિવારોના સંતાનો ત્યારે પોતાની સાથે એક નાની ડબ્બીમાં ઘી ભરી આવતા અને રોટલી પર ચોપડતા. કેન્ટીનમાં સત્યમોહન નામનો તેમનો એક પરિચીત જમવા બેઠો હતો. રજનીશ તેમના ટેબલ પર સામેની ખુરસીમાં ગોઠવાયા. જમવાનું આવ્યું. સત્યમોહને પોતાની ઘીની ડબ્બી રજનીશને આપી. રજનીશે કહ્યું: ઘી ખાને કી નહીં, પીને કી ચીજ હૈ ! ઋણ કૃત્વા ધૃતં પીબેત.
કોલેજના બીજા વિદ્યાર્થીઓ એકબીજાની કંપનીમાં ગપ્પા મારતા ત્યારે રજનીશને એકાંત ગમતું. સૂર્યાસ્ત સમયે તેઓ છાત્રાલયની પાછળના ભાગે આવેલી ટેકરીઓ પર પહોંચી જતા. ટેકરી પર સ્થિત એકમાત્ર વૃક્ષ નીચે ઉભા રહી તેઓ કેટલીય વાર સુધી આકાશ ભણી તાકી રહેતા. એમની ભીતર એક જબરી ઉથલપાથલ હતી. એમને પોતાની ભીતર એક દિપ પ્રગટાવવાની પ્રબળ ઈચ્છા હતી એવું કાન્તિ જૈન લખે છે. ડૉ. જૈન લખે છે : આકાશ ભણી નિરખતા એમને સુજાતા યાદ આવી જતી. એક સુજાતા જો ગૌતમને બુદ્ધ બનાવી શકતી હોય તો અનેક સુજાતાઓનાં કારણે તેઓ ઓશો બનીને દેખાડશે. બુદ્ધનું દર્શન એમને બહુ ફિકકું લાગતું. તેઓ પોતે બુદ્ધયતાથી આગળ જઈને દેખાડશે. નક્કી કરી લીધું હતું કે એમની યશોધરા પણ નહીં હોય અને રાહુલ પણ નહીં: રાજપાટ તો છે જ નહીં કે છોડવું પડે ! પેલા વૃક્ષ નીચે એક સુર્યાસ્તે તેઓ ઉભા રહી પોતાની અંદર તેજપુંજ જગાવવામાં મગ્ન હતા. ટેકરી પર ઉભા તેઓ સાવ શુન્યાવસ્થામાં પહોંચ્યા અને ત્યાં જ બેહોશ થઈ ઢળી પડયા. રાત થઈ, રજનીશ પાછા ન આવ્યા એટલે સાથી વિદ્યાર્થીઓ તેમને શોધવા નીકળ્યા. પેલા વૃક્ષ નીચે તેઓ બેહોશ અવસ્થામાં પડયા હતા. પણ કદાચ ભીતર એક પ્રચંડ ચેતના જાગી ઉઠી હતી. વિદ્યાર્થીઓએ એમને ઢંઢોળ્યા નહીં પરંતુ સમાધીમાંથી સ્વયં તેઓ બહાર આવે એ માટે રાહ જોવા લાગ્યા. અડધી રાત્રે તેઓએ આંખો ખોલી. એમને ચોતરફ તેજ દેખાવા લાગ્યું. રજનીશની જ્ઞાનપ્રાપ્તિના સમાચાર કોલેજમાં ફેલાઈ ગયા. એમની સાંધ્યસભામાં શિષ્યો (કોલેજના વિદ્યાર્થીઓ)ની સંખ્યા વધી ગઈ અને આચાર્ય રજનીશ બનવા તરફ એમના પગલા મંડાયા હવે તેઓ ધોતીની જગ્યાએ લુંગી પહેરવા લાગ્યા. અને એકદમ લાંબા ઝભ્ભા પહેરતા. ચંપલની જગ્યાએ ચાખડી આવી ગઈ હતી. ઝભ્ભાના ગજવામાંથી એક ખિસ્સામાં તેઓ કાજુ ભરી રાખતા, બીજામાં ખારીશીંગ. પોતે ખારીશીંગ ખાતા પણ જે સામે મળે તેને કાજુ આપતા રહેતા.
અધ્યાત્મ પ્રત્યે રજનીશને પ્રથમથી જ ખેંચાણ. વતન ગાડખારા છોડીને તેઓનો પરિવાર જબલપુર આવ્યો ત્યારે પાડોશમાં રહેતા કૈલાશ સાથે એમને દોસ્તી જામી ગઈ. ગામમાં એ સમયે એક સાધુ આવ્યા હતા. તબેલામાં પડ્યા રહેતા. કોઈ ખાવાનું આપે તો જમી લેતા નહીંતર મોંમાં એકસાથે ત્રણ-ચાર બીડી ખોસીને કશ લીધા કરતા. રજનીશ તેમની સામે બેસી રહેતા. પડોશી મિત્ર કૈલાશની સાયકલ પાછળ બેસી પહોંચી જતા. કૈલાશને રહસ્યકથાઓ, ચમત્કારની કથાઓમાં બહુ રસ હતો તેથી કશુંક જાણવા મળશે પેલા સાધુ પાસેથી, એવું વિચારીને એ પણ રજનીશનો સાથે આવી જતા. સાધુનું નામ મગ્ગાબાબા હતું.
કોલેજ તેમનાં ઘેરથી આઠ કિલોમીટર દૂર હતી. કૈલાશના ઘેર ખાવા ખિચડી ન હતી પણ સાયકલ હતી ! એના દિવંગત પિતા વારસામાં બે જ વસ્તુ છોડી ગયા હતા: સાયકલ અને ગરિબી. કોલેજ જતા રસ્તામાં  અમૃત ભંડાર નામની મિઠાઈની દુકાન આવતી. કૈલાશને મિઠાઈનો શોખ હતો એ રજનીશને ખ્યાલ. સાયકલ  તેઓ અચુક ત્યાં ઉભી રખાવે. ત્યાંથી રસગુલ્લા ખરીદે અને કૈલાશને ખવડાવે. પોતે ક્યારે પણ ન ખાય. દોસ્તી નિભાવવાનું તેઓ જાણતા હતા.
ગરિબ ઘરનાં કૈલાશ પાસે જુના કપડાં ખરીદવાના ફદીયાં પણ નહોતા તો પછી ભણવાના પૈસાની તો વાત જ ક્યાં કરવી ! રજનીશ પોતાના એકાઉન્ટમાંથી એમને લાઈબ્રેરીમાંથી પુસ્તકો અપાવતા, જમાડતા. એ કૈલાશ નારદ આજે ટોચના લેખક બની ચુક્યા છે. પોતે જે કંઈ છે એ રજનીશના પ્રતાપે એવું તેઓ સ્વીકારે છે. પણ રજનીશનો વિયોગ આજે પણ તેમને કઠે છે. ડો. કૈલાશ બહુ વ્યથાપૂર્વક લખે છે: "સમયના પારદર્શક આવરણોમાં વિતેલા દિવસોની સ્મૃતિઓ જાણે ધૃજી રહી છે. ચેતનાનાં કોઈ ધુમિલ, અજાણ્યા ખુણે એ સ્મરણો પડખા ફેરવી રહ્યાં છે. મનમાં કોઈ જબરી ઉથલપાથલ થયા કરે છે. યાદોના પડછાયાઓ સતત ઢંઢોળ્યા કરે છે. પ્રેમ કંઈ ચિત્તને મુક્ત કરતો નથી. એ સતત આપણને બંધનમાં રાખે છે અને રજનીશનો ઘેઘુર સ્વર સતત સંભળાયા કરે છે."