Sunday, October 21, 2012

વલ્લભ ભટ્ટ, નાથ ભવાન અને મીઠ્ઠું મહારાજ: ગુજરાતી ગરબા લખવાની શરૂઆત કોણે કરેલી?

ગરબા લખવાની શરૂઆત કોણે કરેલી? 



Vallabh Bhatt - Bahucharaji

 રિડિફની ગુજરાતી વેબ સાઈટ જ્યારે ચાલુ હતી ત્યારે તેમાં કેટલોક ખુબ જ રોચક કન્ટેન્ટ મુકાતો હતો. આ બેઉ લેખો એમાંથી જ સાભાર લીધેલા છે. 
પ્રથમ લેખ માટે મુરબ્બી શ્રી અચ્યુત યાજ્ઞિકનો અને બીજા લેખ માટે આદરણીય સોનલ શુક્લનો ઋણસ્વીકાર કરું છું. 


શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ગરબો સંઘનૃત છે અને સાદી ભાષામાં કહીએ તો સમૂહનૃત્ય છે. તાત્ત્વિક રીતે ગરબામાં સિદ્ધ થયો છે ત્રિવેણી સંગમ; ગાયનનો, વાદનનો અને નૃત્યનો. પરિણામે ગુજરાતની કાવ્યપરંપરા, વાદ્યપરંપરા તેમ જ નૃત્યપરંપરાના અવનવા સંયોગથી ગરબાનું અવનવું રૂપ પ્રગટતું રહ્યું છે. વીસમી સદીમાં તો ગુજરાતીના મહાન કવિઓ-ન઼્હાનાલાલ તેમ જ ઉમાશંકરના ગરબાઓ પણ લોકસમસ્તમાં પ્રસરી ચૂક્યા છે, છતાંય લોકહૃદયમાં તો લોકગીતો અને ભક્તકવિઓના ગરબા-ગરબી જ આજે ધબકે છે, ગાજે છે અને ગુજરાતભરને ગજાવે છે. 

શક્તિપૂજાની દૃષ્ટિએ, દેવીની ગરબા રૂપે સ્તુતિ કરવાની દૃષ્ટિએ, ભક્તકવિ વલ્લભ-ધોળા સૌથી વધુ વિખ્યાત છે. સત્તરમી સદીની મધ્યમાં આ પરમ ભક્તનો જન્મ દુર્ગાષ્ટમીએ અમદાવાદના નવાપુરામાં થયો. તેઓના જોડકા ભાઈનું નામ ધોળા હતું એટલે વલ્લભ-ધોળા એવી સંજ્ઞા પ્રચલિત થઈ અને બન્ને ભાઈઓનું જોડકુંનામ જ લોકજીભે ચઢી ગયું. આ વલ્લભ ભટ્ટના અનેકાનેક ગરબા લોકપ્રિય બન્યા છે અને છેલ્લાં ત્રણસો વર્ષથી ગુજરાતભરમાં સતત ગવાતા રહ્યા છે. શક્તિને બાળસ્વરૂપે પૂજતા વલ્લભ ભટ્ટે દેવીના સ્થૂળ સ્વરૂપને નહીં પરંતુ સૂક્ષ્મ રૂપને પોતાના ગરબામાં અભિવ્યક્ત કર્ય઼ું છે. તેઓની પ્રસિદ્ધ ગરબી છે:

`પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદરવો,
ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવો;
અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર,
મા, તુજ અકળ મહત્ત્વ, વ્યાપક કહી સુર મુનિવર.' 



કથા એવી છે કે વૈલોચન નામના નાગર વણિકે વલ્લભ ભટ્ટને પૂછ્યું કે અહીં દેવીનું સ્થાનક તો દેખાતું નથી તો તમે કોની સ્તુતિ કરો છો? ઉત્તરમાં વલ્લભે ઉપરની ગરબી સંભળાવી. તેઓનો બીજો પ્રસિદ્ધ ગરબો `આનંદનો ગરબો' તરીકે પેઢીએ પેઢીએ ગવાતો રહ્યો છે અને તેની પંક્તિએ પંક્તિએ ભક્તિનો આવેશ છે, ભાવનું ઊંડાણ છે અને શબ્દોનું લાલિત્ય છે. આ ગરબાની થોડીક પંક્તિઓ અહીં પ્રસ્તુત કરી છે:

`જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા,
સમવિત ભ્રમવિત ખોઈ, કહી ન શકું કેવી મા.
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા.
અર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મોહ માયા મા,
તમ મનનો વિશ્રામ, ઉર અંદર ધાયા મા.
ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા,
હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા.
ગીત નૃત્ય વાજીંત્ર, તાળ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા.
રતિરસ વિલસ વિલાસ, આશ સકળ જગની મા,
તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા.' 


વલ્લભ ભટ્ટ પછી ચાર દાયકે જન્મેલા બીજા દેવીભક્ત નાથ ભવાનની વિવિધ રચનાઓ લોકકંઠે રમતી રહી છે. ઉત્તર જીવનમાં તેઓઁએ સંન્યાસ લીધો હતો અને `અનુભવાનંદ' નામની અદ્વૈત્તમાર્ગી લેખે પણ પ્રસિદ્ધ હતા. તેઓનો `અંબા આનન'નો ગરબો નાગર જ્ઞાતિમાં પેઢીઓથી ગવાતો આવ્યો છે. જેનું ધ્રુવપદ છે ઃ `અંબા આનનકમળ સોહામણું તેનાં શું કહું વાણી વખાણ રે'. 

અંબાજીના સોહામણા આનનકમળ એટલે કે મુખકમળનો મહિમા કરનાર નાથ ભવાન ગરબામાં વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિનું સ્મરણ કરીને કહે છે, `તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે.' ગરબાના અંતની પંક્તિઓમાં નાથ ભવાન સંસારનાં સુખોની યાચના નથી કરતા પરંતુ અંબાજીને વિનવે છે કે દેવીના વાસ્તવ સ્વરૂપને પામવાની શક્તિ તેઓને સાંપડે. અહીં આ ગરબાની કેટલીક પંક્તિઓ ટાંકી છે :

તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે,
કરી વિસર્જનના ક્યાં હું મોકલું, સઘળે તું હું ક્યાં લખું પત્ર રે,
અંબા આનન-સોહામણું.

માજીમાં તત્વ ગુણ ત્રણનું, તું તો વ્યાપી રહી સર્વવાસ રે,
સર્વ ઈદ્રિય ને સર્વ દેવતા, અંતઃકરણમાં તારો નિવાસ રે.
અંબા આનન-સોહામણું.

સ્થૂળ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું તો આદ્ય મધ્ય ને અંત રે,
સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છો પટ માંહે તંતુ રે.
અંબા આનન-સોહામણું.

કોઈ વેળુની કણિકા ગણે, કોઈ સાહી લહે રે નક્ષત્ર રે,
કોઈ ગણી ન શકે ગુણ તાહરા, ગણે સર્વ તરૂનાં પત્ર રે,
અંબા આનન-સોહામણું.

હું તો દીન થઈ અંબાજી વિનવું, આવ્યો શરણે ભવાનીદાસ રે,
જેમ દર્પણ દેખાડે મા અર્કને, એમ હું માંહે તારો આભાસ રે,
અંબા આનન-સોહામણું.

કોઈ માગે રે મા તમ કને, હુંમાં તો નહિ એવડું જ્ઞાન રે,
જેમ તેમ રે જાણો મા પોતા તણો, નામ રાખ્યું તે નાથભવાન રે,
અંબા આનન-સોહામણું. 



Tuesday, October 9, 2012

V.V.P. Engineering College

 ... આ છે સૌરાષ્ટ્રનું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ !!!


રાજકોટની વી.વી.પી. કોલેજમાં બનેલું નવુંનક્કોર કલામંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે, તેની સૌથી મોટી ખૂબી એ છે કે, ઓડીયન્સ ઓછું હોય તો ઓટોમેટિક પાર્ટીશન દ્વારા અર્ધું ઓડિટોરિયમ ઢાંકી શકાય છે જેથી એરકન્ડીશન - વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે!!!!


`રોઝ ડે' કે `ફ્લાવર્સ ડે' કે `જીન્સ ડે' જેવા દિવસોની ઉજવણી જ્યાં ન થતી હોય એવી શૈક્ષણિક સંસ્થા શું આધુનિક ન ગણાય? જે કોલેજોમાં રેગિંગ ન થતું હોય એ શું મોર્ડન ન ગણાય? આધુનિકતાની આપણી વ્યાખ્યા બહુ વિચિત્ર છે, અતિ સંકુચિત છે. આપણે માનીએ છીએ કે, જ્યાં દેખાડા હોય ત્યાં જ ઉત્તમ શિક્ષણ હોય. વાસ્તવિકતા તેનાં કરતા અલગ હોય છે. ક્યારેક સમય અને અનુકુળતા હોય તો રાજકોટની વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લઇને અનૂભવ કરજો. આ એક એવી કોલેજ છે જ્યાં પેરેન્ટસને `ઝીરો રેગિંગ'ની ગેરેન્ટી મળે છે. પાશ્ચાત્ય દિવસો ઉજવાતા નથી અને છતાં કોલેજ લાઇફનો ત્યાં ભરપૂર આનંદ છે, ઉમદા શિક્ષણ છે, હળવાશભર્યુ વાતાવરણ છે અને શ્રેષ્ઠતમ્ પરિણામો છે.

વીવીપી કોલેજની સફળતા પાછળ કોલેજના ચેરમેન પ્રવીણકાકા મણિયારનું વિઝન કારણભૂત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છ-છ દાયકાથી સંકળાયેલા પ્રવીણકાકા એક ઉમદા શિક્ષણશાસ્ત્રી પણ છે અને પ્રથમ દરજ્જાના કલારસિક પણ છે. કોલેજની લાયબ્રેરી જુઓ ત્યાં જ એમના ઉચ્ચ ટેસ્ટનો ખ્યાલ આવી જાય. ડિજિટલ આઇ-કાર્ડ અને બાર કોડિંગ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતી આ લાયબ્રેરીમાં લગભગ 45 હજાર જેટલાં પુસ્તકો અત્યંત વ્યવસ્થિત સચવાયેલાં છે. આંખ ઠરે એવું દૃશ્ય અહીં એ જોવા મળે છે કે, 45 હજારમાંથી એકપણ પુસ્તક તાળાબંઘ્ કબાટમાં નથી, બધાં જ રેકમાં છે. અભ્યાસ ઉપરાંત અહીંયા ગુજરાતીના શ્રેષ્ઠતમ્ (ફિકશન-નોન ફિકશન) લેખકોના યાદગાર પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

વી.વી.પી. કોલેજમાં આદર્શ ભારતીય પરંપરા સાથે પાશ્ચાત્ય ટેકનોલોજીનો અને રાષ્ટ્રવાદનો ત્રિવેણી સંગમ રહ્યો છે. પ્રવીણકાકા મણિયાર આજે લગભગ 77ની ઉંમરે SMS વાંચે છે,  SMS કરી પણ શકે છે. એમને દુહા-છંદની પણ સમજ છે અને વિશ્વસાહિત્યનું પણ જ્ઞાન છે. એમણે પાછલી ત્રણ-ચાર પેઢી પણ ભાળી છે અને આજની પેઢીને પણ તેઓ સમજી શકે છે.





સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ આજકાલ નફાના ઉદેશ્યથી જ ચાલતી હોય છે. પરંતુ વી.વી.પી.નો મુખ્ય હેતૂ વ્યવસાયી તાલિમ આપીને તેનાં થકી રાષ્ટ્રનિર્માણ કરવાનો છે. અહીં વારંવાર ફી વધારાનું દૂષણ નથી. કોલેજને થતા નફામાંથી દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ કોન્ફિગરેશન ધરાવતું ઉત્તમ બ્રાન્ડનું લેપટોપ માત્ર દસ-બાર હજાર રૂપિયામાં અપાય છે. આવા લેપટોપની બજાર કિંમત ત્રીસ-પાંત્રીસ હજાર હોય છે પરંતુ એક સાથે સેંકડો-હજારો લેપટોપ લેતા હોવાથી કોલેજ સંચાલકો કંપની પાસેથી તળિયાનો ભાવ મેળવે છે. વીસ-બાવીસ હજારમાં કોલેજને મળતા લેપટોપમાં તેઓ કોલેજ વતી દસેક હજાર સબસિડી ચૂકવે છે. તેથી અંતે વિદ્યાર્થીને એ દસેક હજાર આસપાસ પડે છે. આજકાલ રાજકીય પક્ષો વિદ્યાર્થીને લેપટોપ આપવાના ચૂંટણીવચનો આપી રહ્યાં છે, પરંતુ વી.વી.પી.માં તો આ શિરસ્તો બહુ અગાઉથી જ શરૂ થઇ ગયો છે, ઢંઢેરો પીટ્યા વગર, મતની અપેક્ષા વિના.

લેપટોપ જો વિદ્યાર્થીઓને ન અપાય તો કોઇ એમને પૂછવા નથી આવવાનું, છતાં તેઓ બહુ પ્રેમપૂર્વક દર વર્ષે નવા વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ સબસિડાઇઝડ ભાવથી કરે છે. કોલેજ સંચાલકોની પ્રતિબદ્ધતાનો આ સૌથી મોટો પુરાવો છે. અહીં બધું શ્રેષ્ઠતમ્ છે. વિશાળ-લીલુંચ્છમ કેમ્પસ છે, આંતરરાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મેળવી ચૂકેલું ઇકો-ફ્રેન્ડલી કોલેજ બિલ્ડીંગ છે-જે અનેક દૃષ્ટિએ નમૂનેદાર છે. જો કે, આ લેખનું મુખ્ય પ્રયોજન છે, વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ નિર્મિત થયેલા શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન અંગે વાત કરવાનું. અગાઉ આપણે વાત થઇ તેમ ટ્રસ્ટના ચેરમેન પ્રવીણકાકા મણિયાર અવ્વલ દરજ્જાના કલાપારખું છે. એટલે જ એમણે કોલેજ કેમ્પસમાં આ અદ્ભુત કલાભવન સર્જયું છે. કલા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો એ પણ ગણાય કે, આ ઓડિટોરિયમને તેમણે મેઘાણીનું નામ આપ્યું છે! સંઘ સાથે સંકળાયેલા બીજા કોઇ કોલેજ સંચાલક હોય તો તેને તેઓ સંઘના અગ્રણીનું નામ આપવાની લાલચ જતી ન કરી શક્યા હોય!




  
મેઘાણી ઓડિટોરિયમ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. સૌરાષ્ટ્રનું એ આજ સુધીમાં બનેલું સર્વશ્રેષ્ઠ ઓડિટોરિયમ છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે, એની ક્ષમતા તો 1500ની છે પણ ફંકશન જો નાનું હોય તો અડધું ઓડિટોરિયમ ઢાંકી દેવા માટેનું ફોલ્ડિંગ-ઓટોમેટિક પાર્ટિશન પણ તેમાં છે! આ સવલતના કારણે સુવ્યવસ્થા જાળવવામાં આસાની રહે છે અને એરકન્ડિશનરના બિલનો ખર્ચ પણ ખાસ્સો ઘટાડી શકાય છે. આ ઓડિટોરિયમ વિશેની વિગતો જાળવા જેવી છે. આપણે એનાં પર દૃષ્ટિપાત કરીએ તે પહેલા જાણી લો કે, અહીં મુકાયેલી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પૂર્ણ કદની છે, તે નક્કર કાંસામાંથી બનેલી છે અને તેની પાછળ બારેક લાખનો ખર્ચ થયો છે. મેઘાણીની આવી અદ્ભુત પ્રતિમા વિશ્વમાં અન્ય ક્યાંય નથી.

=================


રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી કલાભવન તથા વી.વી.પી. ઓડીટોરીયમની થોડી વિગતો:
 (1) બેઠક વ્યવસ્થાઃ
આશરે 1પ00 બેઠકોની એક જ ફલોર ઉપરની સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ બેઠક વ્યવસ્થા જે SMPTI-U.S.A. (સોસાયટી ફોર મોશન પિક્ચર અને ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ અમેરિકા)ના સ્થાપિત સ્પષ્ટ દ્રશ્ય-શ્રાવ્યના નિયમાનુસાર ગોઠવેલ છે. ખુરશીઓમાં લેખન અગર લેપટોપના સ્ટેન્ડ માટે ફોલ્ડીંગ ફલેપ બોર્ડ તથા તમામ પુશબેક ખુરશીઓ.

(2) રંગમંચ (સ્ટેજ):
100'x30'=3,000 ચો. ફુટનું સ્ટેઇજ, શાત્રીય સંગીત નૃત્ય નાટીકા - (ઓપેરા)ના પ્રદર્શનની સુવિધાઓ વર્ટીકલ કર્ટેઇન, ફલીકરીંગ લાઇટ, નીઓ નિયોન અને લાઇટ એન્જિનથી ઉપજતા મનોરમ્ય રેખાંકનો વિષય વસ્તુની થીમ પ્રમાણે દરેક સાંસ્કૃતિક કાર્યો માટે, સામાજિક કાર્યો, આધ્યત્મિક પ્રવચન માટે (32 ડી.બી.) અવાજ પ્રસારણની સુયોજિત વ્યવસ્થા જે નિરવતા પ્રદાન કરે છે.

(3) વાતાનુકુલનઃ
1પ000 ચો. ફુટના વિશાળ ક્ષેત્ર વિસ્તારમાં પ્રદુષણરહિત જેમાં રીર્ટન હવા ખેંચવા ડકટીંગ કે કોપર પાઇપીંગ-પરંપરાગત પદ્ધતિ પ્રમાણે જરૂરી નથી. આધુનિક સંશોધનમાં રણ પ્રદેશોમાં આ પદ્ધતિ ખુબ જ સફળ છે.


(4) લાઇટીંગઃ
જનરલ ઇલેકટ્રીકની લેઝર લાઇટીંગ સાથેનું e-technology દ્વારા સંપૂર્ણ પ્રકાશ નિયોજન. તાકીદની પરિસ્થિતિ માટે ડી.જી. સેટ.

(પ) સાઉન્ડ સીસ્ટમઃ
ડયુઅલ ચેન્જ ઓવર સીસ્ટમ-પ્લાસ્ટીક ક્રીન, વિડીયો કન્ફરનસીંગ, DLP સેટેલાઇટ ટ્રાન્સમીશન, એન્ડલેસ ફ્રીકવન્સી રીસ્પોન્સ.

(6) એકોસ્ટીક્સઃ
આ વિજ્ઞાનનો સૈદ્ધાંતિક ઉપયોગ જેમાં-મૂળભૂત અવાજના તરંગોનો ક્ષય થવાનો સમય-આદર્શ રીતે 1.2 સેકન્ડ, દરેક લેવલે-ખુરશીમાં SPL એટલે કે, સાઉન્ડ પ્રેસર લેવલ સમાન રહે, અવાજની તીવ્રતા એક સરખી જળવાય અને ઘોîઘાટ બીલકુલ સંભળાય નહિ તેવું આયોજન.

(7) અગ્નિ પ્રતિરોધકઃ

ISI સ્ટાન્ડર્ડ મુજબ.
સ્મોક ડીટેક્ટર્સ-સિલિંગમાં.
ફાયર એલાર્મ સીસ્ટમ-પાણીનો અનામત જથ્થો વગેરે.
વીજળી પ્રતિરોધક લાઇટનીંગ એરેસ્ટર.
વિશિષ્ટતા: 


- ભારતમાં સર્વ પ્રથમ બેઠક ક્ષમતા અન્ય પરિણામોને યથાવત જાળવીને વધ-ઘટ કરવા માટે એક્રોસ્ટીક પાર્ટીશન જે સભાગૃહને બે વિભાગમાં જુદા પાડી શકે છે.
- આધુનિક વિજ્ઞાન અને શક્ય સ્વદેશી સ્થાપથ્ય શૈલીનો સમન્વય સાધીને આ આયોજન. કુદરતી પ્રકોપનો સામનો કરી શકે તેવી માળખાકીય રચના જેમાં ભૂકંપ પ્રતિરોધકતા તેમજ ચક્રવાત સમાવિષ્ટ છે.
- ઇજનેરી વિદ્યા શાખાના તથા તમામ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે, દ્રશ્ય-શ્રાવ્ય પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમૂહમાં શિક્ષણ આપવાની ઉત્કૃષ્ટ શૈક્ષણિક ઉપલબ્ધતા.

Monday, October 8, 2012

AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN

ફિર હુઈ ધડકને તેઝ દિલ કી, 

ફિર વોહ ગુઝરે હૈ શાયદ ઇધર સે !!!

AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN



કિતની ભી યેહ રાત હસીં હો ફિર ભી સહર કી બાત અલગ હૈ,

હમ તુમ જીને કો જીતે હૈ, સાથ સફર કી બાત અલગ હૈ 


એહમદ હુસૈન - મોહમ્મદ હુસૈનનો પરિચય થયાને લગભગ બે દાયકા થયા. એમના અવાજનો પરિચય, ગાયકીનો પરિચય. એમને રૂબરૂ મળવાનું બન્યું નથી. પરંતુ સ્વર થાકી બરાબર ઓળખું છું. કારણ કે, એમની ગાયકી મેં રાત-રાત ભર જાગી ને ગટગટાવી છે. એમના ગાયનને એવી રીતે પીધું છે જાણે કોઈ અઠંગ પ્યાસી વ્યક્તિ શરાબને માણતો હોય. ખબર નહિ કેમ, મને એ જગજીત કરતા હંમેશા ચડિયાતા લાગ્યા છે. એવું સતત લાગ્યું છે કે, એમના હક્ક-હિસ્સાના યશ - કીર્તિ અને નામના એમને મળ્યા નથી. બેઉ ભાઈઓની ગાયકી આલા દરજ્જાની, સંગીતની સમજ કોઈ ઉસ્તાદ જેવી - એટલે જ તેઓ પણ "ઉસ્તાદ"ના નામથી જ ઓળખાય છે. કમ્પોઝિશનમાં ચિક્કાર વૈવિધ્ય. ક્યાંય સ્તરથી નીચે ઉતરવાની વાત જ નહિ. અને હું માનું છું કે, ગઝલ કે ગાયકીના ક્ષેત્રમાં અવાજ કરતા વધુ મહત્વ ગાયકીનું અને તર્જનું હોય છે।  


જગજીતની પુણ્યતિથિ નજીક છે, વાજબી રીતે જ એમને બહુ યાદ કરાશે. કોઈ જ તકલીફ નથી. પરંતુ નજર સામે જે બે ભાઈઓ જીવતાજાગતા, હાજરાહજૂર છે તેમને કોઈ યાદ નથી કરતુ એનો અફસોસ ક્યારેક થાય છે. સંગીત વિશે કે ફિલ્મો અંગે લખવા-બોલવામાં હું ક્યારેય કોઈની શરમ રાખતો નથી. કારણ કે, હું જે કંઈ લખું-બોલું છું તે એક ભાવક તરીકેના મારા અભિપ્રાય હોય છે, નિષ્ણાત તરીકેના નહિ. હું વિવેચક નથી, શ્રોતા કે દર્શક માત્ર છું. મારું જ્ઞાન કદાચ અલ્પ હોઈ શકે પરંતુ મારો શોખ અધકચરો નથી. મારો ટેસ્ટ છે, શક્ય છે કે, એ વાહિયાત હોય. સંભવ છે કે, એ પ્રથમ દરજ્જાનો હોય. પણ એ મારો ટેસ્ટ છે. તેમાં મારા બાયસ છે, પૂર્વગ્રહો છે અને એ પૂર્વગ્રહો છે તો હું છું. મને ખ્યાલ છે કે, દુનિયાનું બધું મ્યુઝિક સાંભળવા નથી સર્જાયું. હું માનું છું કે, જગતના દરેક ક્ષેત્રની માફક અહીં પણ કેટલાંક બ્રિલિયન્ટ લોકો. મુઠ્ઠીભર જીનિયસ લોકો અને ઝાઝાબધા મીડીયોકર લોકો હોવાના. 



AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN





   

સરખામણીની વાત નીકળી જ છે તો કહી દુ કે, જગજીત અને 
ચિત્રા જ્યારે સાથે ગાતા એ સમયની ગઝલોમાં ભરપુર વૈવિધ્ય રહેતું, રોમાન્સ અને આત્મા હતો. રોયલ આલ્બર્ટ હોલનો એમનો કાર્યક્રમ આજે પણ મારા ઓલટાઈમ ફેવરીટ આલ્બમમાંથી એક છે. એ આલ્બમ લગભગ હજાર વખત સાંભળ્યું હશે એવું કહું તો પણ અતિશયોક્તિ નહિ હોય. ગાલીબની ટી.વી. સિરિયલ માટે તેમણે કમ્પોઝ કરેલી ગઝલો પણ એટલી જ ગમે છે. જો કે, આજે પણ હું માનું છું કે, ગુલઝારે એ શ્રેણી માટે ગઝલો કમ્પોઝ કરવા અને ગાવા માટે ત્રણ-ચાર અલગઅલગ કલાકારો પસંદ કર્યા હોત તો બાત કુછ ઔર હીં હોતી... પણ પછી બધું જાણે અચાનક ખતમ થઇ ગયું. એકસરખી ધૂનો અને એકદમ ફિક્કી ગાયકી. ક્યારેક તો તેઓ પોતે જ પોતાની જૂની ધૂન ચોરી લેતા હોય એવું લાગતું. મને ઘણી વખત એવું લાગતું કે, જગતની ઉત્તમોત્તમ ગઝલોને ખતમ કરવાની, તેને સૌથી વાહિયાત રીતે કમ્પોઝ કરવાની એમનામાં અદભુત ક્ષમતા હતી. 

તમે જો અસલી શ્રોતા હોય તો ઘણાં પ્રશ્નો ઉછળતા અયડાતા રહે છે. તમારા મનમાં કયારેક વિચારોનું તોફાન ઉઠે છે. ભાઇબંધો ભેળા મળે અને સંગીતની વાત નીકળે ત્યારે એકાદ જણ અવશ્ય બોલે છે, ``અગાઉના સંગીત જેવી વાત હવે નથી રહી'' નોસ્ટાલ્જીયામાં જીવવું અમને પણ ગમતું નથી પણ સાચુ શું છે ? મેલોડીની હત્યા થઇ ગઇ ? સંગીતનું આત્માવસાન થઇ ચુક્યું છે ? રીક્ષાથી લઇ પડખેના ઘર સુધી મુન્ની બદનામ હુઈ વાગે છે, શીલા કી જવાનીથી તો હવે ભારતવર્ષના જીવજંતુઓ પણ પરિચિત છે. આટલાં ઘોંઘાટ વચ્ચે પણ સંગીતમાં સ્તબ્ધતા કેમ લાગે છે ? બેસુરો હિમેશ ખરતા તારાની માફક ચમકી પછી ફટ્ટ દેતાંક વિલોપ થઇ ગયો એમ મીકા અને મોહિત પણ એક દિવસ ઓગળી જશે અને એ દહાડો ઢુકડો છે. તુમ તો ઠહરે પરદેસી પછી અલતાફ રાજા અત્યારે દેશમાં છે કે પરદેશમાં એ પણ કોઇ જાણતું નથી. હસન જહાંગીર `હવા હવા ખુશ્બુ લુટા દે' ગાતો ત્યારે સૌ પાગલ થતા, એ કયાંક હવામાં ઓગળી ગયો. બાબા સેહગલે `આજા મેરી ગાડી મેં બૈઠ જા' કહ્યું ત્યારે થોડીવાર તો લોકોને ગમ્યું પણ હવે એની ગાડીમાં બેસવા કોઇ તૈયાર નથી. હાથી જેવી કાયાનો માલિક હોવા છતાં અદનાન સામિ ક્યાંક ખોવાઇ ગયો છે. કયારેક કોઇ અગમ્ય કારણસર કોઇનું પત્તું ચાલી જતું હોય છે. 



AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN



   

લોકો એકઠા થાય ત્યારે સારા અવાજની અને સારી ગાયકીની ભેળસેળ કરી નાંખતા હોય છે. જગજિત સિંહનો અવાજ અફલાતુન છે પણ તેનાં કરતાં તો અમારા મોરબીનાં મનસુખ વાલેરા વધુ સારું ગાય છે. તલત મહેમુદનો અવાજ તમને ગમતો હોય તો અમને વાંધો નથી પણ એમની ગાયકી બહુ સારી હતી એવું કોઇ કહે તો એને સંગીતના સોગન. લતા એક જમાનામાં બહુ સારું ગાતી, અવાજ મીઠો હતો પણ વીસ વર્ષથી એનો અવાજ હવે કાનમાં દર્દ કરે છે. સુનિધિ અને અદનાનનાં ગીતો સાંભળતી વખતે ગીતનાં મૂળ શબ્દોની પ્રિન્ટ પણ સાથે રાખવી પડે કારણ કે એમનાં ઉચ્ચારો એટલાં અસ્પષ્ટ છે કે તેઓ શું ગાઇ રહ્યા છે એ જાણવા માટે બીજો કોઇ રસ્તો જ નથી. ઉદાહરણ તરીકે સુનિધિએ `વક્ત'માં ગાયેલું હોળી ગીત અને અદનાનનું `લિફ્ટ કરા દે' સાંભળવું. સારા ગાયક બનવાનું એક મહત્વનું પાસું એ છે કે તમારા ઉચ્ચારો સ્પષ્ટ હોવા જોઇએ. ગઈકાલે કદાચ સુનિધિનો સિતારો બુલંદી પર હતો  પણ ભવિષ્ય શ્રેયા ઘોષાલનું ઉજ્જવળ છે. આજથી વીસ વર્ષ પછી સોનુ નિગમ-રફી વચ્ચે તુલના થતી હશે.
 

સંગીત પારખવું એ પણ એક કળા છે. સોલી કાપડીયાનું આલબમ `પ્રેમ એટલે કે' આવ્યું ત્યારે એક ગુજરાતી લેખકે મિત્રભાવે તેનાં વખાણ લખ્યા કે, સોલી એટલે સોલી, બાપુ ! સમજુઓએ કહ્યું કે પુરૂષોતમ ઉપાધ્યાય અને સોલી વચ્ચે સરખામણી કરવી એ રમણ લાંબા અને સચિન વચ્ચે તુલના કરવા જેવું જ પાપ છે. આજે એ વાત સાબિત થઇ ચુકી છે. ક્રિકેટમાં જેમ `વન મેચ વન્ડર' જેવા ખેલાડીઓ હોય છે, એમ સંગીતમાં એવા ગાયકો સંગીતકારો હોય છે. દલેર મહેન્દીનું ગીત જ્યારે ટીવી પર વાગતું ત્યારે શેરીમાં ગાય-બળદો પણ ભાગાભાગી કરવા લાગતા પણ લોકો વગાડતા. આજે લોકો પણ ભાગવા લાગ્યા છે તેનાંથી. 


AHMED HUSSAIN & MOHAMMED HUSSAIN
આવા બધાં ગાયકો પાછાં પોતાનાં ભાંભરવાને જસ્ટીફાય કરતા જાણતા હોય છે. પંજાબી ગાયકો એટલું ભુંડુ ગાય છે, એટલાં જોરથી ચીસો પાડે છે કે અમારા જેવા કાનસેનો પ્રભુને પ્રાર્થના કરે છે: આવું જ સંભળાવવું હોય તો અમારી શ્રવણશક્તિ છિનવી લો, ભગવાન. પછી તેઓ કહે છે કે અમે તો સુફી ગાઇએ છીએ. હિમેશ નાકમાંથી ગાયા કરે છે અને પત્રકારો પ્રશ્ન કરે ત્યારે કહે છે કે નૂસરત ફતેહ અલીખાન પણ આવું કરતાં. નૂસરત તો બીજુ ઘણું કરી શક્તા, તેઓ એટલાં ઉંચા સૂરમાં ગાઈ શકતા જ્યાં હિમેશ જેવા લોકો હેલિકોપ્ટરમાં પણ પહોંચી શકે નહી: પણ અહીં તો નૂસરત સાહેબનું નામ આપી દેવાનું એટલે પત્યું. દિલકો બહેલાને કો યહ ખયાલ અચ્છા હે... 

કુમાર સાનુ અત્યંત ચાંપલા અવાજે કિશોરની નકલ કરે અને પછી કહે કે કયો એવો ગાયક છે જે કિશોરદા થકી પ્રભાવિત ના હોય ? સોનુ નિગમ રફીનાં પડછાયામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં સુધી પીટાતો રહ્યો `પરદેશ'ના `યે દિલ... દિવાના... હૈ યે દિલ' દ્વારા સોનુને પ્રથમ વખત અસલી સોનુ સાથે મળવાનું બન્યું પછી તેની ભિતર રહેલો ગાયક જાગ્યો. ઉદિત નારાયણને મળેલી સફળતા આજે પણ વૈજ્ઞાનિકો માટે અણઉકેલ કોયડો છે.



છેલ્લે વાત કરવી છે હાલનાં અને જુના સંગીત વચ્ચેની સરખામણીની. સારા ગાયકો અગાઉ પણ હતા, આજે પણ છે. સંગીતકારો વિશે પણ એવું કહી શકાય. અગાઉ રફી, નૌશાદ, લતા, મદનમોહન હતા. તો આજે રહેમાન, શ્રેયા, સોનુ, રાહત, શફકત અમાનત અલી જેવા લોકો છે પણ સંગીતનું સ્તર નીચું આવ્યું છે એ વાત નિશંક છે. બાય ધ વે, બાત કહાં સે શુરુ હુઈ ઔર કહાં પહુંચ ગઈ!!! ... તો હાજર છે, મને સૌથી વધુ ગમતા ગઝલ ગાયકોમાંના એક (આમ તો બે!) એહમદ હુસૈન અને મોહમ્મદ હુસૈન. મને ખ્યાલ નથી કે, તમારામાંથી કેટલા લોકોને એ ગમશે. પરંતુ મને એટલો ખ્યાલ છે કે, તેઓ મને તો અપાર પ્રિય છે અને રહેશે.




નીચે આપેલા યુટ્યુબ વિડીયો પર એહમદ અને મોહમ્મદ હુસૈનની ગઝલો સાંભળો , શક્ય છે કે, તમને પણ એટલો જ આનંદ આવે, 
જેટલો મને આવે છે!  

આઈને સે કબ તલક તુમ અપના દિલ 








કિતની ભી યેહ રાત હસીં  હો 







વફા કે દીપ મૈ કબ સે જલાયે બૈઠા હું 








અચ્છા યેહ મુહબ્બત કા  અસર દેખ રહ હું 





મૈ હવા હું કહાં વતન મેરા 




 ઝુલ્ફ બિખરા કે નિકલે વોહ ઘર સે










 અય સનમ તુજ સે મેં જબ દુર ચલા જાઉંગા ...





કભી યું ભી આ મેરી આંખ મેં, કે મેરી નઝર કો  ...





=================================





RECENTLY ADDED 


જબ પ્યાર નહિ હૈ તો ભૂલા કયું નહિ દેતે .....






તુમ બિન  કૌન ખબર લે।।   ભજન 






તુમ્હારી યાદ મે પાઈ હૈ જબ કમી મૈને 






મેરી નાઝનીન ...






ચલ મેરે સાથ હી ચલ 







નીચે આપેલી લિન્ક્સ પર ક્લિક કરો અને 
હુસ્સૈન બ્રધર્સના આખા આલ્બમ ડાઉનલોડ કરો...























(આ આલ્બમ મારું ફેવરીટ છે)