Thursday, August 11, 2011

આજના રાજકારણમાં પણ બ્રાહ્મણોની બોલબાલા!: કિંગ બદલાયા પણ "કિંગ મેકર" હજુ એ જ છે !



ઈશ્વરનો આભાર માનો કે , હજુ કોઈ રાજકીય પક્ષોનાં થિન્ક ટેન્ક બનવા માટે કે સ્ટ્રેટેજી ઘડવામાં આરક્ષણ અમલમાં નથી! 




દલિતો, મુસ્લિમો અને પછાત વર્ગનું મહત્વ રાજકારણમાં વધતું ચાલ્યું છે. જો કે રાજકીય પક્ષોનો વોરરૂમ સંભાળવાની અને નીતિઓ કે પ્રચારની સ્ટ્રેટેજી ઘડવાનું કામ દરેક પક્ષમાં બ્રાહ્મણો જ સંભાળી રહ્યા છે. "આઉટલુક"એ આ અંગે એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાંથી થોડી માહિતી અહીં સાભાર મૂકી છે... 

છેલ્લા થોડા વર્ષો દરમિયાન ભારતનાં રાજકારણમાં દલિતો અને પછાત વર્ગોનું મહત્વ વધ્યું છે, જ્યારે ઉજળીયાતોનું ઘટ્યું છે. ખાસ કરીને, સંસદ અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ઉજળીયાતોનું તથા બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ ઘટતું જાય છે. હાલની લોકસભામાં કુલ ૫૦ બ્રાહ્મણ સભ્યો છે. જે સાંસદોની કુલ સંખ્યાના ૯.૧૭ ટકા છે. પ્રથમ દ્રષ્ટિએ મોટો દેખાતો આ આંકડો વાસ્તવમાં નાનો છે. કેમ કે, દિનપ્રતિદિન આ ટકાવારી ઘટતી ચાલી છે. ૧૯૮૪ની લોકસભામાં સાંસદોની સંખ્યામાંથી ૧૯.૯૧ ટકા બ્રાહ્મણો હતાં, ૧૯૮૯ તથા ૧૯૯૮માંં થયેલી ચૂંટણીઓમાં ૧૨.૪૪ ટકા બ્રાહ્મણો ચૂંટાયા હતાં. જ્યારે ૧૯૯૯માં ૧૧.૩ ટકા બ્રાહ્મણો હતાં. એક સમય હતો જ્યારે રાજકારણના તમામ ઉચ્ચ પદો પર બ્રાહ્મણોની બોલબાલા હતી. ૧૯૫૦થી ૨૦૦૦ની સાલ સુધી ભારતની અદાલતોમાં રહી ચૂકેલા કુલ ચિફ જસ્ટિસમાંથી ૪૭ ટકા બ્રાહ્મણો હતાં. જો કે, આજે પણ બ્યુરોક્રસીમાં બ્રાહ્મણોની સારી એવી બોલબાલા છે. ભારતની કેન્દ્ર સરકારમાં અતિ ઉચ્ચ કક્ષાએ બિરાજતા અધિકારીઓમાંથી ૩૭ કરતાં પણ વધુ બ્રાહ્મણો છે.

રાજકારણનું ચિત્ર બદલાયું છે અને બ્રાહ્મણો ફરી તેમના જૂના રોલમાં આવી રહ્યાં છેઃ ચાણક્યના રોલમાં. મુખ્ય મંચ પર કરતાં તેમની ભૂમિકા બેક સ્ટેજમાં વધુ છે. પરિસ્થિતિ એવી છે કે, આજકાલ બ્રાહ્મણ કિંગ મેકર બની ગયા છે. વિવિધ પક્ષોની રણનીતિઓ ઘડવાથી લઇને પ્રચારની સ્ટ્રેટેજી, ચૂંટણીની યુદ્ધનીતિ, પ્રચાર યુદ્ધનું સ્વરૂપ, સૂત્રો, પ્રચાર માટેના મુદ્દાઓ વગેરે તમામ પ્રકારનો મસાલો બ્રાહ્મણોના દિમાગમાંથી જ છલકાઇ રહ્યો છે. બહુજન સમાજ પાર્ટીના માયાવતીને તેમની બ્રાહ્મણ વિરોધી નીતિના કારણે ઉત્તર પ્રદેશમાં ક્યારેય નોંધપાત્ર સફળતા મળી ન હતી. પરંતુ બ્રાહ્મણોને સાથે રાખ્યા પછી માયાવતીએ આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે રાજ કરી રહ્યા છે. 
સ્ક્રીપ્ટ વાંચ્યા વગર ભાષણમાં કે પત્રકાર પરિષદમાં એક લીટી પણ નહીં બોલી શકતા અને સારી રીતે સ્ક્રીપ્ટ પણ વાંચી નહીં શકતા માયાવતીમાં વળી રાતોરાત એટલી અક્કલ ક્યાંથી આવી ગઇ કે, તેઓ રાજકારણમાં આટલી હદે સફળતા પામ્યા? વેલ, આ સફળતા માટે જવાબદાર છે તેમના ચાણક્ય ગણાતા સતિષચંદ્ર મિશ્રા. ૫૭ વર્ષના આ વકીલ સાહેબની આજે યુ.પી.માં હાક વાગે છે. એક હાઇકોર્ટ જજના પુત્ર અને વ્યવસાયે એડવોકેટ એવા મિશ્રાજી આજથી ઘણા સમય પહેલા માયાવતીના ધ્યાનમાં આવ્યા હતાં. ૨૦૦૪માં માયાવતીએ મિશ્રાજીને બહુજન સમાજ પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. મિશ્રાજીએ આમંત્રણ સ્વીકારી લીધું અને પછી બહુજન સમાજ પક્ષની આખી નીતિમાં ધડમૂળથી પરિવર્તન કર્યુ. મિશ્રાજીએ પક્ષનો સૂર બ્રાહ્મણ તરફી બનાવ્યો. સતિષચંદ્ર મિશ્રાએ એક અદ્ભૂત ફોર્મ્યુલા ઘડી કાઢી. જેના લીધે સત્તામાં બ્રાહ્મણો અને દલિતો સરખા ભાગીદાર બન્યા. ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીઓમાં મિશ્રાએ બ્રાહ્મણોની ૯૮ ટકા જેટલી સભાઓને સંબોધન કર્યુ તથા ઉત્તર પ્રદેશના ૭૦ જિલ્લાઓ તેઓ ઘુમી વળ્યા. આ બધા જિલ્લાઓમાં તેમણે ‘બ્રાહ્મણદલિત ભાઇચારા બનાવો’ સમિતિની રચના કરી. એમના જ પ્રતાપે બસપાની આખી લાઇન બદલાઇ ગઇ. એક સમયે બ્રાહ્મણો, વાણીયાઓ અને ક્ષત્રિયોને ભાંડવા માટે માયાવતીએ સૂત્ર આપ્યુ હતું ‘તિલક, તરાજુ ઔર તલવાર... ઇન કો મારો જૂતે ચાર.’ અને આજે બસપાનું સૂત્ર છેઃ ‘હાથી નહીં ગણેશ હૈ  બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હૈ.’ વિધાનસભાઓની ચૂંટણીઓ પછી માયાવતીએ  સતીષચંદ્ર મિશ્રાને થોડા સમય માટે પોતાની સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી બનાવ્યા. પરંતુ પછી મિશ્રાની જરૂર તેમને દિલ્હી ખાતે લાગતા માયાવતીએ એમને રાજ્યસભાની ટિકીટ આપી. મિશ્રાએ દિલ્હીમાં પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ પક્ષો સાથે બસપા માટે મજબુત સંબંધો બનાવવાનું  કાર્ય કર્યુ. હવે મિશ્રા માયાવતીને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવાની વેતરણમાં છે.

માયાવતી જો બ્રાહ્મણોનો સહારો લઇ રહ્યા હોય તો અન્ય પક્ષો પણ કંઇ પાછળ નથી. ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાઇકના ખાસમખાસ ગણાતા પ્યારે મોહન મોહપાત્રા પણ એક બ્રાહ્મણ છે. ૧૯૬૩ની બેચના આ આઇ.એ.એસ. અધિકારીએ નવીન પટનાઇકના વ્યકિતત્વમાં નખશિખ પરિવર્તન આણ્યું છે. પટનાઇક જ્યારે મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેમને વૈશ્વિક મુદ્દાઓની અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓની જ જાણકારી હતી. ઓરિસ્સાના સામાન્યજનની મુશ્કેલીઓ કેવી છે,  ત્યાંની સમસ્યાઓ શું છે, લોકો વચ્ચે લોકોના બનીને જ કેવી રીતે રહેવું એ અંગે તેમને કશો જ ખ્યાલ નહોતો. પરંતુ મોહપાત્રાએ પટનાઇકને સ્થાનિક મુદ્દાઓની સમજ આપી અને લોકો વચ્ચે  રહેતા, પ્રજા વચ્ચે જતા શીખવ્યું. બિજુ પટનાઇકના જમાનામાં પ્યારેમોહન મોહપાત્રા ઓરિસ્સાના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતાં.  ૧૯૯૮ની સાલમાં તેઓ નિવૃત્ત થયા અને તેના બરાબર ૧ વર્ષ પછી નવીન પટનાઇક ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા. કહેવાય છે કે, નવીન પટનાઇકના માતા ગ્યાન દેવીએ જ મોહપાત્રાને વિનંતી કરી નવીનના ચાણક્ય બનાવ્યા હતાં. આજે ઓરિસ્સા સરકારના દરેક મહત્વના નિર્ણય પાછળ મોહપાત્રાની મહત્વની ભૂમિકા હોય છે. વાત કોઇ યોજનાની હોય, બદલીઓની કે નિમણુંકની હોય, સાથી પક્ષોને કદ પ્રમાણે વેતરી નાંખવાના હોય કે વિરોધ પક્ષોને પાઠ ભણાવવાનો હોય.... દરેક મુદ્દામાં મોહપાત્રાનો ગજ વાગે છે. કેટલાંક લોકો એમને વાજબીપણે જ ઓરિસ્સાના સુપર ચિફ મિનિસ્ટર પણ કહે છે. તાજેતરમાં ભાજપ સાથેનો એક દાયકા જૂનો સંબંધ તોડવામાં પણ બીજેડી માટે મોહપાત્રાએ અત્યંત મહત્વનો રોલ અદા કર્યો હતો. વાત ભાજપની નીકળી છે તો ભારતીય જનતા પક્ષના ચાણક્યને કેવી રીતે ભૂલી શકીએ. એક સમયે વાજપેયીના ચાણક્ય ગણાતા બ્રજેશ મિશ્રા  જ્ઞાતિએ બ્રાહ્મણ હતાં તો લાલકૃષ્ણ અડવાણીનો ઉદય જ  એ સમયના ચાણક્ય ગોવિંદાચાર્યના પ્રતાપે થયો હતો. રાષ્ટ્રીય રાજકારણમાંથી ગોવિંદાચાર્યની વિદાય પછી નવા ચાણક્ય બન્યા પ્રમોદ મહાજન. અને હવે ભાજપના ચાણક્ય છે અરૂણ જેટલી. બહુ જાણીતી વાત છે કે, સંસદની ૨૦૦૯ની ચૂંટણીમાં પણ ભાજપનું આખું કેમ્પેઇન અરૂણ જેટલીએ સંભાળ્યું હતું. ૨૦૦૩માં મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહની ઇમેજનો ફાલુદો બનાવવામાં જેટલી લીડ રોલમાં હતાં તો ૨૦૦૫માં લાલુ યાદવનો બિહાર કિલ્લો ફતેહ કરીને તેની ગાદી પર નિતિશકુમારને બેસાડવામાં જેટલીની ભૂમિકા મુખ્ય હતી. દક્ષિણના રાજ્યમાં ભાજપનું બિલ્કુલ પ્રભુત્વ નહીં હોવા છતાં ૨૦૦૮માંં એમણે ત્યાં ભાજપને વિજયી બનાવ્યો. દક્ષિણ ભારતમાં એ ભાજપની પ્રથમ ઓફિશિયલ એન્ટ્રી ગણાય છે.
ભાજપની કમાન જો બ્રાહ્મણના હાથમાં છે તો તેનાથી જોજનો દૂરની વિચારસરણી ધરાવતા ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પણ આ બાબતે ભાજપની સાથે છે. સી.પી.આઇ.એમ.ની થિન્ક ટેન્કમાં અત્યંત મહત્વનું  સ્થાન ધરાવતા સિતારામ યેચુરી પણ જાતે બ્રાહ્મણ છે. અગાઉ ડાબેરીઓ પણ અન્ય પક્ષો માટે અછૂત જેવા ગણાતા હતાં. પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવવા માટે ડાબેરીઓએ કેટલાક રાષ્ટ્રીય પક્ષો સાથે જોડાણ સાધવાનું નક્કી કર્યુ. પરંતુ સંકુચિત મનોવૃત્તિના આ બધા ડોસલાઓને દિલ્હીના રાજકીય પક્ષોના અગ્રણીઓ સાથે બહુ જામતુ ન હતું. ગઠબંધનની એમની ઇચ્છાને પાર પાડવા  માટે યેચુરીએ પ્રયત્નો શરૂ કર્યા અને તેમને એમાં સફળતા પણ મળી. બિજુ પટનાઇકએ એક વખત ભૂતકાળમાં યેચુરીની મુલાકાત  પોતાના પુત્ર નવીન સાથે કરાવી હતી. એ જૂની મુલાકાતનો ઉપયોગ યેચુરીએ આટલા વર્ષો પછી કર્યો અને ઓરિસ્સામાં જ બીજેડી તથા ભાજપના જોડાણને તોડાવ્યું. કોંગ્રેસના ચાણક્ય ગણાતા જયરામ રમેશની ભૂમિકા થોડી અલગ છે. આ ભૂદેવ સક્રિય રાજનીતિમાં બહુ વધુ પડતો ભાગ લેવાને બદલે કોંગ્રેસ માટે વિવિધ નીતિઓ ઘડવાનું તથા પ્રચાર યુદ્ધની સામગ્રી તૈયાર કરવાનું કાર્ય કરે છે. જયરામ રમેશને તમે ખરા અર્થમાં ચાણક્ય કહી શકો. ૧૯૯૦ના દાયકામાં તેઓ જાણીતા અંગ્રેજી અખબાર માટે કૌટિલ્યના ઉપનામથી કોલમ લખતા હતાં. ઘણા વર્ષોથી તેઓ કોંગ્રેસની વિવિધ સરકારોના નાણાંકીય સલાહકાર રહ્યાં છે. નરસિંહ રાવની સરકારમાં તેમણે થોડા સમય વડાપ્રધાનના કાર્યાલયમાં પણ કામ કર્યુ. હાલમાં ખાસ ચૂંટણીમાં  તેમની બુદ્ધિમતાનો પૂરતો લાભ લેવા સોનિયા ગાંધીએ તેમની પાસેથી મંત્રી પદ લઇ લીધું છે અને એમને કોંગ્રેસના આખા વોર રૂમ (જે જગ્યાએથી ચૂંટણીની રણનીતિ તૈયાર થાય છે તે ઓફિસ)ની જવાબદારી જયરામ રમેશ હસ્તક છે. બદલીઓ અને તડજોડ માટે સોનિયા ગાંધીના હનુમાન તરીકેની ભૂમિકા અહેમદ પટેલ નિભાવે છે એ બધાને ખ્યાલ છે. પરંતુ પ્રચારની બાબતમાં જયરામ રમેશના સિક્કા પડે છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે, જયરામનું વજન એટલું છે કે, તેઓ સોનિયા ગાંધીની હાજરીમાં પણ કોંગ્રેસની ઓફિસમાં ટુચકાઓ સંભળાવતા રહે છે અને સિક્સરો મારતા રહે છે. કહેવતો અને રૂઢીપ્રયોગોનો તેમની પાસે ખજાનો છે. કોંગ્રેસના પોલિસી ડોક્યુમેન્ટસથી લઇને સોનિયા ગાંધીના ભાષણ તૈયાર કરવા સુધીની જવાબદારી આ ચાણક્યના શિરે જ છે.

પ્રચારની બાબતમાં જયરામ રમેશનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સરકારના વિવિધ નિર્ણયો બાબતે  પ્રણવ મુખર્જીનું છે. કોંગ્રેસના આ ચાણક્ય દેખાવમાં વામણ છે પણ પક્ષમાં તેમનું મહત્વ વિરાટ કક્ષાનું છે. સરકાર અને પક્ષની મહત્વની નિમણુંકો પાછળ પ્રણવનું દિમાગ કામ કરતું હોય છે. અમેરિકા સાથે પરમાણુ સમજુતિની વાત હોય કે પાકિસ્તાન પર મુંબઇ હૂમલા પછી આંતરરાષ્ટ્રીય દબાણ આણવાની જવાબદારી હોય.... પ્રણવ મુખર્જી સોનિયા ગાંધીની પ્રથમ પસંદ રહ્યાં છે. છેલ્લા લગભગ બે દાયકાથી તેઓ કોંગ્રેસમાં  નંબર-ટુના સ્થાન પર બિરાજમાન છે. સોનિયા ગાંધીનો જમણો હાથ જો પ્રણવ મુખર્જી હોય તો તેમને કુળદેવી ગણતા મનમોહન સિંહ પણ આ બાબતે પાછળ નથી. એમના ચાણક્ય સંજય બરૂ માત્ર એમનું મિડીયાનું કામ સંભાળે છે એવું નથી, પરંતુ અંગત રીતે પણ તેઓ વડાપ્રધાનની નજીક છે. ૨૦૦૭માં જ્યારે મનમોહન સિંહ પોતાની ઇમેજથી દુઃખીદુઃખી થઇ ગયા હતાં ત્યારે બરૂએ જ તેમને લોકો વચ્ચે જવાની સલાહ આપી હતી. અમેરિકા સાથેની પરમાણુ સંધિ અંગે મનમોહન સિંહએ આખા દેશમાં પોતાના તરફી મત બાંધ્યો તેનો યશ પણ સંજય બરૂને જ મળે છે. પરમાણુ સંધિ આડે રોડા નાંખતા ડાબેરીઓના પાપને મીડિયામાં લીક કરવાનું કામ સંજય બરૂ જ સંભાળતા. જ્યારે ડાબેરીઓ યુ.પી.એ.નો સાથ છોડીને નાસી ગયા ત્યારે સમાજવાદી પાર્ટી સાથે જોડાણ સાધવામાં સંજય બરૂએ નિર્ણાયક રોલ અદા કર્યો હતો.
ભારતના કોઇપણ મહત્વપૂર્ણ પક્ષ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ તો રણનીતિના ઘડવૈયા તરીકે કોઇ ભૂદેવ જ નજરે પડશે. ઓલ ઇન્ડિયા અન્નાદ્રમુકના સુપ્રિમો ભલે જે. જયલલિતા ગણાતા હોય પરંતુ એમના ચાણક્ય છે ચો રામાસ્વામી. આમ તો જયલલિતાનો અહમ એટલો પ્રચંડ છે કે, તેઓ ભાગ્યે જ કોઇ બાબતમાં કોઇની સલાહ લેતા હોય. પરંતુ જ્યારે એમને આવી કશીક જરૂર પડે છે ત્યારે તેઓ અચૂક રામાસ્વામી પાસે ધસી જાય છે. આ ચો રામાસ્વામી પણ એક અનોખી આઇટમ છે. તેઓ પત્રકાર છે, વકિલાત કરે છે, એક્ટર છે અને અગ્રણી તમિલ મેગેઝિન થુગલકના તંત્રી છે. તેઓ ચુસ્ત બ્રાહ્મણ છે અને રાજ્યમાં અનામત સામે ખુલ્લેઆમ પોતાનો અવાજ બુલંદ કરતા રહે છે. તાજેતરમાં પોતાના મેગેઝીનની વર્ષગાંઠના અવસરે તેમણે ચૂંટણીઓમાં જયલલિતાને ચૂંટી કાઢવાની લોકોને ખૂલ્લેઆમ અપીલ કરી હતી. દક્ષિણના અન્ય એક નેતા એચ.ડી. દેવગૌડા માટે થીંક ટેન્ક ગણાય છે વાય.એસ.વી. દત્તા નામના એક સજ્જન. તેઓ છેલ્લા બે દાયકાથી દેવગૌડાના વફાદાર સેનાપતિ તરીકે ફરજ બજાવે છે. દત્તા એક સારા પ્રવક્તા તો છે જ, પરંતુ વિરોધીઓ પર આક્રમણ કરવાનો તમામ મસાલો તેઓ પોતાના બોસને પૂરો પાડે છે. બિહારમાં શિવાનંદ તિવારી અગાઉ લાલુના ચાણક્ય રહી ચૂક્યા છે. હવે તેઓ નિતિશકુમાર સાથે છે. આવી આવ-જા કરવાની તિવારી બાબુને આદત છે પરંતુ એમનું દિમાગ એટલું શાતીર છે કે, બિહારના નેતાઓ એમની આવી એકસો ભૂલોને માફ કરવા પણ તૈયાર હોય છે.

2 comments:

  1. વાહ, એક અલગ જ માહોલ અને અલગ એન્ગલ થી આજે પોલીટીક્સ ને જોયું...એક આડવાત, બ.સ.પા. ના કાંશીરામ ભલે વાણીયા, બ્રામ્હણ ને ગાળો આપતા પરંતુ, મોટે ભાગે તેમનો ઉતારો ઉજળીયાત મિત્રો ના ઘરે રહેતો. હાથી નું નિશાન અમસ્તું નથી!!

    ReplyDelete
  2. vicharprerak lakhyu che ape..
    realy nice

    ReplyDelete