Sunday, October 2, 2011

ઓશોની નજરે ગાંધીજીઃ ગોડસે તો ગાંધી હત્યા ન કરી શકયો પણ ગાંધીવાદીઓ કરશે!


ગાંધી જયંતી વિશેષ 


છેલ્લી સદીમાં ભારતે પેદા કરેલા મહાપુરુષોની યાદીમાં બે નામો સોથી ઉપર આવે છે : ગાંધીજી અને ઓશો. બેઉના મોટા ભાગના વિચારો કદાચ સામસામા અંતિમોના હતા. પોતાના જીવન દરમિયાન ઓશો ગાંધીજી વિશે અનેકાનેક વખત બોલ્યા છે. ગાંધીજીના કેટલાંક વિચારોની તેમણે સખ્ત આલોચના કરી છે. દેખ કબીરા રોયા નામનું તેમનું  દળદાર પુસ્તક. મહાત્મા ગાંધી પરનાં તેમનાં વક્તવ્યોનો જ સંગ્રહ છે. ૧૯૬૭ ૬૮ના વર્ષ દરમિયાન આચાર્ય રજનીશે રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ અને મુંબઈમાં ગાંધીજી અંગે શ્રેણીબદ્ધ પ્રવચનો કર્યાં.

ઓશોનો બંડ વિચારક ગાંધીજી સામે હતો. એક વ્યક્તિ તરીકે. ઓશો તેમનો ભરપૂર આદર કરતા હતા. એક સાચો કિસ્સો છે: ગાંધીજીના એક ચુસ્ત અનુયાયી એક વખત ઓશોને મળવા ગયા. સ્વાભાવિક રીતે જ તેમની ચર્ચાનો વિષય ગાંધીજી ન હોય. ઓશોએ બહુ શાંત ચિંત્તે કહ્યું: ગાંધીજી વિશે, તેમના વિચારો અંગે હું ઘણું ઘણું કહેવા માંગું છું. પણ જ્યારે હું એમના વિશે વિચારવા બેસું છું... બુઢ્ઢા બિચમેં આ જાતા હૈ. પ્રસંગ ખાનગી છે. તેની નોંધ કયાંય નથી. જોકે જાહેરમાં પણ ઓશોએ વ્યક્તિ તરીકે ગાંધીજીની અનેક વખત પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગાંધીને હું સદીના સૌથી મહાન માનવી ગણું છું. મને એમના પ્રત્યે જેટલંુ માન છે એટલંુ બહુ ઓછા લોકો માટે છે. નૈતિક દ્રષ્ટિએ તેઓ ભારતી સર્વશ્રેષ્ઠ વ્યક્તિમાં સ્થાન પામે. પણ તેમના વિચારો સામે મારો વિરોધ છે.

રજનીશે ગુજરાતનાં શહેરોમાં યોજાયેલી પ્રવચનમાળામાં ગાંધીજીની અસંગત. અવૈજ્ઞાનિક વાતોને તર્કબદ્ધ રીતે વખોડી કાઢી. સખત શબ્દોમાં આલોચના કરી. બ્રહ્મચર્ય અંગેની તેમની વિચારધારાનો અને રેંટિયો, યંત્ર તથા દારિદ્રય પ્રત્યેની તેમની દ્રષ્ટિનો ઓશોએ ભયંકર વિરોધ કર્યો. ઓશોની વાતો તર્કસંગત છે. તેમણે કહ્યું કે, અધ્યાત્મ કદી ગરીબીમાંથી પ્રગટ થતું નથી. ગાંધીજીએ શબ્દ વાપર્યો:  દરિદ્રનારાયણ. ગરીબી તો ખતમ કરી દેવા જેવી વસ્તુ છે. એ એક બીમારી છે. મહામારી. પણ તમે જેને ભગવાન માનો છો તેને મીટાવશો કેવી રીતે. ગરીબીને આટલો બધો આદર શા માટે. જો દરિદ્રનારાયણ હોય તો પછી મેલેરિયાનારાયણ અને ઝાડાનારાયણ પણ હોવા જોઇએ. ઓશોએ કહ્યું કે: ગરીબીનો આદર કરવાથી ક્યારેય એ દૂર નથી થતી. ભારતમાં છેલ્લાં પાંચ હજાર વર્ષોથી આપણે આ ભ્રમને ઉછેરી રહ્યાં છીએ કે ગરીબી કોઇ દિવસ વસ્તુ છે. છેલ્લાં પાંચ હજાર વર્ષથી આપણી જે અવદશા થઈ છે તેની પાછળ પણ આ જ ચિંતન જવાબદાર છે. આ રોગિષ્ટ વિચારધારાએ જ આપણી પ્રગતિ રૂંધી છે. અભાવમાં જીવવામાં મહાનતા છે એવંુ વારંવાર આપણને શીખવવામાં આવ્યું એટલે જ આપણી અવગતિ થઈ. શા માટે વિશ્વની એક પણ મહત્વપૂર્ણ શોધ ભારતમાં નથી થઈ. કદી વિચાર્યું તમે ? અધ્યાત્મને અને ગરીબીને દૂર દૂર સુધી સંબંધ નથી. હિન્દુસ્તાન જ્યારે આર્થિક દ્રષ્ટિએ બહુ સંપણ હતંુ ત્યારે અધ્યાત્મ ઉંચાઇ પર હતું.  ગાંધીજીએ કહ્યું સંતોષ રાખો, જરૂરિયાત ઓછી રાખો. હું કહું છું કે સંતોષથી મોટો કોઈ અપરાધ નથી. જૈનોના ૨૪ તીર્થકરો રાજકુમાર હતા, મહાવીર, રામ, બુદ્ધ અને કૃષ્ણ રાજકુમારો હતા. અધ્યાત્મ અને સંતોષ એ સંપણતા અને સુખસંપત્તિ પછીના ચરણ છે.

મહાત્મા ગાંધીને ઓશો ભારતની પાંચ હજાર વર્ષ પુરાણી સડેલી વિચારધારાના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા. ઓશોના વિચારો કોઈ સ્વસ્થદિમાગ ધરાવતી વ્યક્તિને હચમચાવી નાંખવા માટે પૂરતા છે. જે ક્ષણે તમે એમના આ વિચારો વાંચો છો કે તમારી ભીતર વિચારમંથન ચાલુ થઈ જાય છે. શા માટે આપણે અભાવમાં રહેવું? જગત જ્યારે ચંદ્રમંગળ પર વસાહતો સ્થાપવાનો વિચાર કરી રહ્યું હોય ત્યારે આપણે શા માટે સંતોષમાં રહેવાની વાતો કરવી? સંતોષ રાખીને, જરૂરિયાતો ઘટાડીને આપણે મેળવ્યું શું? ગાંધીજીની ફિલસૂફી દેખીતી રીતે બહુ સરળ છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિએ દરરોજ આઠ કલાક રેંટિયો કાંતવો, પોતાનું  બધુ જ કામ જાતે કરવું સ્વાવલંબી થવું. ઓશો કહે છે: તમે કેટલા વર્ષ જીવવાના? માની લો કે ૬૦ વર્ષ. દરરોજની આઠ કલાકની ઉંઘ ગણો તો તમારા ૨૦ વર્ષ સૂવામાં ગયા. આઠ કલાક રેંટિયો કાંતવા બેસો તો બાકીનાં ૨૦ વર્ષ તેમાં અને ગાંધી વિનોબાના સિદ્ધાંત મુજબ તમારા ચંપલને ખીલી મારો, કપડાં ધુવો, સાબુ બનાવો, ઝાડુપોતાં કરો તો તમારી પાછળ જિંદગીનાં કેટલાં વર્ષો બચ્યાં. બહુ વિચારવા જેવંુ છે! ખરેખર, મોચી તેનું  કામ કરે. કાપડ માટે મિલો છે. વાળ કાપવા માટે વાળંદ છે. કપડાં સીવવા કાજે દરજી છે. જે જેનું કામ, બધાએ બધું જ કામ કરવાની કોઇ જરૂર નથી.

આચાર્ય રજનીશ પોતાના સમયથી ઘણા આગળ હતા. ગાંધીવાદીઓને તેઓ બહુ વહેલા જ ઓળખી ગયા. પોતાનાં પ્રવચનનોમાં તેમણે આ તકવાદી જમાતને બરાબર ખખડાવી નાંખી. તેમનો આક્રોશ જેટલો ગાંધીવિચારો સામે હતો એટલો જ સ્યૂડો ગાંધીવાદીઓ સામે પણ હતો. એટલે જ પછી ગાંધીવાદીઓ તેમના પર તૂટી પડ્યા. અત્યંત અહિસક રીતે, સ્વામી આનંદે કહ્યું: કોઈ કાગડો પણ મસ્જિદની ટોચ પર બેસીને પોતાની જાતને મુલ્લામાં ખપાવવા લાગે છે. એવું જ રજનીશનું છે. ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું: તેઓ (રજનીશ) ઉંમરમાં નાના છે એટલે આવું બોલે છે. પરિપકવ થશે પછી નહીં બોલે. મોરારજી દેસાઇએ કહ્યું કે હવે તો આધ્યાત્મિક લોકો પણ ગાંધીજીની આલોચના કરવા માંડ્યા છે. ઓશોએ આ બધી જ ટીકાનો જવાબ આપ્યો. ગાંધીવાદીઓ સામે તેમનો સખ્ત વિરોધ હોવા છતાં. સો કોલ્ડ ગાંધી યન્સનો તેઓ હંમેશાં વિરોધ કરતા રહ્યાં. તેમણે કહ્યું: ગાંધીજીની વિદાય પછી તેમની જગ્યાએ સેકન્ડ કલાસ લોકો આવી ગયા અને હવે તો થર્ડ કલાસ આવી ગયા છે. એવા લોકો, જે ગાંધીજીની સભામાં પાથરણાં પાથરવાનું કામ કરતા હતા. ગામમાં ઢોલ પીટવાનું કામ કરતા હતા, આજે સત્તાસ્થાને છે. ૧૯૬૭ના ગાંધીવાદીઓ જો ઓશોને થર્ડ કલાસ લાગ્યા હોય તો આજના ગાંધીવાદીઓને જોઇને તેઓ શું કહે, આજના તેમને કેવા લાગે. કલાસ લેસ. કોઈ જ સ્તર વગરના.

રજનીશને ગાંધીજીના વિચારો સામે તો વાંધો હતો જ પણ ગાંધીજીની અન્ય કેટલીક બાબતો પણ તેમને પસંદ ન આવી. તેમણે કહ્યું:  મને ગાંધીજી સામે મુખ્ય ત્રણ બાબતે વાંધો છે. પહેલી વાત:  તેમણે પોતાની વાતો માટે કયારે પણ તર્ક રજૂ ન કર્યા. પોતાની દરેક વાતને તેમણે અંતરાત્માના અવાજમાં ખપાવી. બીજી વાત:  તેમની આત્મહત્યાની ધમકી, અનશનની ધમકીએ એવી ખોટી પ્રથા શરૂ કરી કે તેનો અંત ક્યારે આવશે એ સવાલ છે. હું  તો એમના ઉપવાસને પણ હિંસા જ માનું છું. ત્રીજી વાત:  તેમણે રાજકીય આંદોલનમાં વિદ્યાર્થીઓને ઘસડ્યા. વિદ્યાર્થીઓ હવે રાજનીતિમાં વધુ રસ લેવા માંડ્યા છે અને ભણતરમાં ઓછો. રજનીશને ગાંધીજી સામે જે વાંધો હતો એવી જ તકલીફ ઘણાને હતી. નેહરુ સરદારને ગાંધીજીની ઘણી વાતો ગળે ઉતરતી નહીં. ડૉ. આંબેડકરે એક વખત કહ્યું હતું કે હું એટલા માટે નથી મૂકતો કે ગાંધીજી સાચા છે. હું તો માનું જ છું કે મારી વાત સાચી છે. પણ હું નથી ઇચ્છતો કે ગાંધીજી જેવો સારો માણસ આવી રીતે મરી જાય (ઉપવાસ કરીને), એટલે હું મારી વાત પડતી મૂકું છું:  રવીન્દ્રનાથ ટાગોરે અને એનિ બેસન્ટે પોલિટિકલ મૂવમેન્ટમાં વિદ્યાર્થીઓને ઘસડવાના ગાંધીજીના વ્યાયામનો સખ્ત વિરોધ કર્યો તો ગાંધીવાદીઓએ તેમની દેશદ્રોહી કહ્યા. ગાંધીજીએ કે ગાંધીવાદીઓએ વિરોધમતનો આદર કર્યો હોય, તર્ક આપ્યા હોય એવાં બહુ જુજ ઉદાહરણો જોવા મળે છે. ઓશોએ ગાંધીજીની આવી જ કેટલીક તર્કવિહીન બાબતોને ટાંકીને તેની કડક શબ્દોમાં આલોચના કરી. ઓશોના જ શબ્દોમાં ગાંધીજી વિશેના કેટલાક અભિપ્રાયો...

* * *
*રેંટિયાથી ધન પેદા નથી થતું. ફક્ત કોઈ રીતે વસ્ત્રો પેદા થાય છે. કોઈ રીતે તન ઢાંકી શકો છો તમે. અને એ શરીર ઢાંકવાનું પણ બહુ મોંઘુ પડે છે, કારણ કે કોઈ એક વ્યક્તિ પોતાના માટે કાપડ બનાવવા માંગે તો તેણે રોજેરોજ કમસે કમ ચાર કલાક ચરખો ચલાવવો પડે. તો જ એ પોતાના કોટ, ખમીસ, પાયજામો, ચાદર વગેરે આખા વર્ષના કપડાં તૈયાર કરી શકે. ફક્ત કપડાં પહેરવા માટે જ કોઈ વ્યક્તિના રોજના ચાર કલાક ખર્ચાઈ જતા હોય તો એ બહુ મોંઘો સોદો છે. એ તો માનવીના જીવન સાથે રમત જ થઈ ગણાય.

*ગાંધીના વિચારો વૈજ્ઞાનિક નથી. અવૈજ્ઞાનિક છે. તેમના વિચારો નૈતિક તો છે પણ સાયન્ટિફિક નથી... બિહારમાં ભૂકંપ આવ્યો તો ગાંધીના અવૈજ્ઞાનિક ચિંતને શંુ કહ્યું ? કહ્યું હતું કે બિહારમાં એટલા માટે ભૂકંપ આવ્યો કે ત્યાંના હરિજનો સાથે અત્યાચાર થયો છે. એનાં ફળ તેને મળી રહ્યાં છે. બહુ વિચિત્ર વાત કરી તેમણે. હરિજનો સાથે હિન્દુસ્તાનભરમાં બીજે કયાંય અત્યાચાર નથી થયા? અને જો હરિજનો પરના અત્યાચારના કારણે ભૂકંપ કે દુષ્કાળ થાય તો હિન્દુસ્તાનમાં ક્યારેય અણનો દાણો પણ પેદા ન થવો જોઇએ એટલા અત્યાચાર થઈ ચૂક્યા છે. પણ અવૈજ્ઞાનિક ચિંતનની કોઈ મર્યાદા નથી હોતી. ગાંધીને કોઈ વાત બરાબર લાગે તો કહેશે. મારો અંતરાત્મા કહી રહ્યો છે. તમારો અંતરાત્મા તો કંઈ પણ કહેશે. મારો અંતરાત્મા કહી રહ્યો છે. તમારો અંતરાત્મા તો કંઈ પણ કહેશે. તમારો અંતરાત્માં એ કંઈ કોઈ વાત સાચી હોવાનો પુરાવો નથી. અને આવી રીતે દરેક વ્યક્તિનો અંતરાત્મા જો પુરાવો બની જાય તો દેશ એક પાગલખાનું બની જાય.

*હું તમારી છાતી પર છરો લઈને ચડી જાઉં તો એ પણ હિંસા છે અને તમારા દરવાજે ઉપવાસ પર બેસી જાઉં તો એ પણ હિંસા જ છે. છેવટે તો હંુ તમને દબાવી જ રહ્યો છું અને કોઈ વખત છરાનો પણ એટલો ડર નથી લાગતો, જેટલો ડર કોઈ વ્યક્તિ તમારા આંગણે આવીને મરી જાય તેઓ હોય છે. વળી ગાંધી જેવા ભલા માનવી મરતા હોય તો આપણે આપણી ભૂલ ન હોવા છતાં પણ ઝૂકીને તેમને બચાવી લઇએ. આ માણસને મરવા ન દેવો જોઇએ. બહુ મુલ્યવાન માણસ છે. પણ ગાંધીજીની અવૈજ્ઞાનિકતાના કારણે તેમને એ પણ નથી સુઝતું કે કોઈપણ પ્રકારનું દબાણ હિંસા જ છે. તમે કોઈને છરાથી દબાવો કે પોતે મરી જવાની ધમકી આપીને દબાવો એ ગૌણ છે.



*ગાંધી અદભૂત વ્યક્તિ છે. નૈતિક દ્રષ્ટિથી અદ્ભૂત વ્યક્તિ છે. ચરિત્રની દ્રષ્ટિએ અદભુત છે. બહુ હિમ્મતવાન છે. જે તેમને બરાબર લાગે છે એ જ કરે છે. સંપૂર્ણ પ્રયાસોથી કરે છે. પોતાનો પ્રાણ દાવ પણ લગાવી દે છે. પોતાની કુર્બાની આપી દે છે. તેમના આવા પ્રભાવના કારણે. આવી છાપના કારણે તેમના અવૈજ્ઞાનિક ચિંતનનો પણ આપણી પર પ્રભાવ પડે છે. સાચા માણસો કયારેય કયારેક ખતરનાક સાબિત થાય છે. કેમ કે તેઓ આપણને એવા પ્રભાવિત કરી નાંખે છે કે તેમની ભુલો આપણને દેખાતી નથી. ખરાબ માણસો કયારેય પોતાની ક્ષતિઓ બીજા પર લાદી શકતા નથી. કારણ કે આપણને ખબર પડે છે કે એ ખરાબ માણસ છે. પણ સારો માણસ ખરેખર જોખમી હોય છે. દેશ આખો માનવા માંડે છે કે આ માણસ જે કંઈ કરે છે એ વાજબી છે. યોગ્ય છે, એ જે કંઈ પણ વિચારે છે એ સારું જ હોવું જોઇએ.હું ગાંધીના અવૈજ્ઞાનિક વિચારોના સ્પષ્ટપણે વિરોધ કરું છું. અને આ વિરોધ એટલા માટે પણ જરૂરી છે કે ગાંધી એટલા મહિમાવાન વ્યક્તિ છે કે તેમની ભૂલો અને અજ્ઞાન અને તેમના આવા વિચારો આપણા આખા દિમાગનો કબ્જો લઈ લેશે. ગાંધી પ્રત્યે પૂરેપૂરા પ્રેમ સાથે. તેમના મહિમા માટે, તેમના માટે પૂરેપૂરા આદર સાથે, તેમની સેવાઓ માટે સંપૂર્ણ સત્કાર સાથે તેમના એ હિસ્સાઓથી દેશને બચાવવો પડશે. જે દેશને ગર્તામાં લઈ જઈ શકે છે.

*ગાંધી ક્રાન્તિવાદી ચિંતક નથી. રિફોર્મીસ્ટ, સુધારાવાદી ચિંતક છે. જો હિન્દુસ્તાનમાં અસ્પૃશ્યતા ચાલે છે. આફત જેવાં દૂષણો છે તો તેઓ તેને સારું નામ આપી દેશે:  હરિજન, તેઓ એમ નહીં કહે કે જે ધર્મએ આવી બેઇમાનીનું સર્જન કર્યું છે એ ધર્મને આગ લગાવી દો. ગાંધી ક્રાન્તિવાદી નથી. તેઓ કહેશે કે હિન્દુ પણ ઠીક છે અને મુસલમાન પણ ઠીક. બંને ભાઇભાઇ છે. જ્યારે વાસ્તવમાં બંને બીમારી છે. કોઈ ઠીક નથી. બંનેમાંથી કોઇની જરૂર નથી. ન હિન્દુની, ન મુસલમાનની, હિન્દુસ્તાનને માનવીની જરૂર છે.

*ગાંધીના વ્યક્તિત્વ પ્રત્યે મને આદર છે. પણ ગાંધીના વિચારો જ્યાં ખોટા હોય તો ચાહે જે પરિણામ આવે. હું  એ વિચારોને ખોટા કહેવા માંગુ છું. અને હું દેશની નવી પેઢી પાસેથી, વિચારશીલ લોકો પાસેથી એવી આશા રાખું છું કે જો કોઈ મને ગાળો ભાંડે તો તેઓ મને જુઠ્ઠો કે ખોટો નહીં સમજવા માંડે. પણ મને દેવામાં આવતી ગાળો એ વાત સાબિત કરશે કે મારી વાતોના ઉત્તર મને નથી મળી રહ્યા. બસ, મને ગાળો દેવાઈ રહી છે. ગાળો કમજોર લોકો આપે છે. હું જે કહું  છું એના જવાબ મળવો જોઇએ. હું જવાબ માટે તૈયાર છું અને હું એમ પણ નથી કહેતો કે હું  જે કહું  છું એ સાચું છે, કારણ કે મને તો તર્કમાં અને વિચારમાં શ્રધ્ધા છે. હું એવો દાવો પણ નથી કરતો કે મારો અંતરાત્મા જે કહે છે એવું જ થવું જોઇએ.

*ગાંધીને હું  આ સદીના સર્વશ્રેષ્ઠ માનવી માનું છું. એટલે તેમના પર વિચાર થવો જોઇએ. જે શ્રેષ્ઠત્તમ છે તેના પર બહુ સજાગ રહીને અને ધ્યાનપૂર્વક વિચાર થવો જોઇએ. સાધારણ માણસો પર વિચાર કરવાની જરૂર નથી પણ ગાંધી વિશે વિચાર કરવાની જરૂર છે. આવનારાં પચ્ચીસ-પચ્ચાસ વર્ષોમાં હિન્દુસ્તાનમાં જે કંઈ પણ થવાનું છે એનો આધાર એના પર જ છે કે આપણે ગાંધી અંગે શો નિર્ણય લઇએ છીએ. જો આપણે એવો નિર્ણય લેવો હોય કે ગાંધીના વિચારો વાજબી છે તો પછી સો ટકા એવો જ નિર્ણય લો. પછી યાંત્રિકતા અને વિકેન્દ્રીકરણ પડતાં મૂકો. તો પાછા આવો. મોટાં શહેરો તોડી નાંખો. ગામડામાં પાછા આવી જાઓ અને ગાંધીનો પ્રયોગ પૂર્ણ કરો. ઇમાનદારીથી એ નિર્ણય લો. પ્રતિબદ્ધતાથી... યાંત્રીકરણ બંધ કરો. પશ્ચિમ પાસેથી સહાયતા લેવાનું બંધ કરો. પછી ભિલાઈ કે ભાખરા નાંગલ પણ ન બનાવો. પણ બેઇમાની ન કરો. એક તરફ તમે મોટી મિલ બનાવો છો અને બીજી તરફ ખાદીને પ્રોત્સાહન આપો છો... પણ મને લાગે છે કે ગાંધીના પક્ષે જવું એ આપઘાત છે. આ કહેવાનો મને અધિકાર છે. મને લાગે છે કે ગાંધીવાદથી સંપૂર્ણપણે મુક્ત થવું જોઇએ. દેશને નવીનતમ વૈજ્ઞાનિક ઉપકરણોની, શ્રેષ્ઠતમ ટેક્નોલોજીની, કેન્દ્રીકરણની. નવી નવી શોધની. નવા વિજ્ઞાનની જરૂર છે. જેથી દરિદ્રતા દૂર થઈ શકે અને દેશ સંપન્ન થઈ શકે.

*કોઈ વ્યક્તિ ગાંધીને ગાળો ભાંડવા લાગી જાય ત્યારે બહુ મુશ્કેલી સર્જાઇ જાય છે અને ગાંધીની પૂજા કરવા માંડે ત્યારે પણ તકલીફો સર્જાય છે અને જ્યારે કોઇ વ્યક્તિ બંનેની વચ્ચે રહી ક્રિટિકલ થિન્કિંગ કરી રહ્યો હોય ત્યારે તો બંને તરફથી માણસો તેને ધક્કા મારે છે અને કહે છે કે તું કોઈ એક પક્ષમાં સામેલ થઈ જા.

*આ આપણા દિમાગને તોડવું પડશે આપણે. એન્ટિ ટેક્નોલોજિકલ માઇન્ડ છે આપણું. આપણો વિચારવાનો ઢંગ એવો છે કે મશીનથી બચો અને માણસો પાસેથી કામ લો. ગાંધીજી જે કહી રહ્યા છે એ વાસ્તવમાં ગાંધીજી ભારતની ત્રણ હજાર વર્ષની તમામ બેવકૂફીના પ્રતિનિધિ છે.

*ગાંધીવાદીઓએ ગાંધીને ક્યાં ક્યાં બેસાડી રાખ્યા છે, ખબર છે ? પોલીસ સ્ટેશનમાં બેઠો કોન્સ્ટેબલ, માબહેનની ગાળો ભાંડી રહ્યો છે અને પાછળ તસવીર લગાવેલી છે. અદાલતમાં, જ્યાં દરેક પ્રકારની બેઇમાની ચાલે છે. ભ્રષ્ટાચાર ચાલે છે ત્યાં ગાંધીની તસવીર છે. તમે ગાંધીને કંઈ પંચમ જ્યોર્જ સમજો છો? તમે તેમની સાથે સારો વ્યવહાર કરી રહ્યાં છો? પણ તમને ગાંધીથી કોઈ જ મતલબ નથી. તમને સ્વયંથી મતલબ છે. તમે ગાંધીની તસવીર સર્જીને પોતાને છુપાવવાના પ્રયત્ન કરો છો. પણ ક્યાં સુધી દેશની પ્રજાને દગો આપી શકશો. છેતરી શકશો? તમે છુપાઈ નહીં શકો પણ જોખમ એ છે કે ગાંધી પ્રત્યેનંુ માન, એમની ગરિમા ખતમ ન થઈ જાય. ગાંધીવાદીઓથી ગાંધીને બચાવી લેવા બહુ જરૂરી છે. નહિતર ગોડસે તો ગાંધીને મારી નથી શક્યા પણ ગાંધીવાદીઓ તેમને મારી નાંખી શકે છે.

*ગાંધીએ પુનઃ આપણને પાછળની દ્રષ્ટિ પકડાવી દીધી. ગાંધી કહેવા લાગ્યા, રામરાજ્ય લાવવંુ જોઇએ. બહુ વિચિત્ર વાત છે. રામ બહુ પ્યારા છે. પણ રામરાજ્ય? રામરાજ્ય બિલકુલ અલગ વાત છે... એ તો પૂંજીવાદથી પણ પછાત સમાજ વ્યવસ્થા છે.

*હું આપને કહેવા માંગું છું કે ગાંધીવાદીઓની આલોચનામાં પડશો નહીં. આ દેશએ પોતાનાં મસ્તિષ્કની આલોચના કરવી જોઇએ. તમે કાંકરા પથ્થરને હીરા મોતી સમજી લેવાની તમારી જૂની આદત કયારે છોડશો? ગાંધીવાદીઓ ત્યાં જ છે જ્યાં તેઓ હોઈ શકે. એનાથી વિશેષ તેઓ કંઈ જઈ શકે એમ પણ નહોતા. તેમની આલોચનામાં સમય ગુમાવવાનું વ્યર્થ છે.

*ગાંધીએ જે ફિલોસોફી શીખવાડી, દેશને, એ હતી અતૃપ્તિમાં સુખ મેળવવાની. વ્યર્થ, એનું કોઈ જ પ્રયોજન નથી. તેનો ખતરો હશે અને જોખમ ભોગવવું પડશે અનુયાયીઓએ. મહાત્મા તો વિદાય થઈ જશે પણ અનુયાયીઓ ફસાઈ જશે પાછળ. અને એમને તકલીફ થશે. અને બધા જ લોકો કહેશે કે આ લોકો ગાંધીનાં સિધ્ધાંતોને ખોટા સાબિત કરી રહ્યા છે. હું આપને કહું છું કે ગાંધીજીના સિધ્ધાંતો કયારેય કોઈ ઓળંગી નથી રહ્યા. મહાત્માના સિદ્ધાંતો જ એવા છે કે આ બિચારા માણસો તેના ચક્કરમાં પડીને આપમેળે જ ખોટા સાબિત થઈ રહ્યા છે. તેઓ ખોટા સાબિત થશે જ.

*ગાંધીજી ઈંગ્લેન્ડમાં હતા ત્યારે ત્યાં જબરદસ્ત ઉહાપોહ હતો. એ સમયગાળો આ સદીના પ્રારંભનો હતો. નવી સદીનો જન્મ થઈ રહ્યો હતો. ડાર્વિનના સિદ્ધાંતોની ચર્ચા હતી. કાર્લ માકર્સ એ નવી વાત કરીને દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. તેણે પ્રથમ વખત કહ્યું હતું કે ગરીબ અને અમીર એ સમાજ વ્યવસ્થાના પરિણામે છે, કોઈ કર્મોનાં ફળનું પરિણામ નથી. એ પહેલાં લોકો એમ જ કહેતા કે માણસ પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. આ સદીના ક્રાન્તિકારી ચિંતનનાં તમામ અણુઓ ઈંગ્લેન્ડની હવામાં હતા. પણ ગાંધીને એ બધાની કોઈ અસર જ નહોતી. લાગે છે કે ગાંધીને ખબર જ નહોતી કે ડાર્વિન નામની કોઈ વ્યક્તિ છે. ગાંધીએ ૧૯૪૨માં માકર્સનું પુસ્તક વાંચ્યું. પચાસ વર્ષ પછી અને પચાસ વર્ષ પહેલા જ્યારે તેઓ ઈંગ્લેન્ડમાં હતા ત્યારે આ બધી હવા હતી. ગાંધીને ત્યાં કોની સાથે સંબંધો બંધાયા? તેમનો સંબંધ બહુ વિચિત્ર લોકો સાથે થયો. શાકાહારીઓના સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહ્યા. શાકાહારની વાતો કરવાનું તેમણે પસંદ કર્યું. ચા પીવી જોઇએ કે ન પીવી જોઇએ. આ સબજી ખાવી જોઇએ કે ન ખાવી જોઇએ અને દૂધ પીવું હોય તો બકરીનું કે ગાયનું પીવું? ગાંધીજી આવા બધા લોકો સાથે ઈંગ્લેન્ડમાં હળ્યામળ્યા. ભળ્યા. થોડું વિચારવા જેવું છે. જ્યાં દરેક પ્રકારની ક્રાન્તિનાં સૂત્રો સર્જાઈ રહ્યા હતાં. ગાંધીનો સંબંધ બહુ વિચિત્ર લોકો સથે બંધાયો. અને તેઓ એમના જ સંપર્કમાં આવ્યા, એની જ વાતો શીખીને પાછા ફર્યા પશ્ચિમથી તેઓ ત્રણ વ્યક્તિના વિચારો લઇને ભારત આવ્યા. એટલે વધુ એક વાત તમે સમજી લેજો કે સામાન્ય રીતે લોકો સમજે છે કે ગાંધીજી ભારતનાં મહાન પ્રતિનિધિ છે એ વાત બરાબર નથી. ગાંધીજીના ત્રણેય ગુરુ પશ્ચિમી છે. ટોલ્સ્ટોય, રસ્કીન અને થોરો. આ ત્રણેયની વિચારધારાથી તેઓ પ્રભાવિત છે. આ ત્રણેયના વિચારો તેમણે આત્મસાત કર્યા છે. તેઓ પછી આજીવન એના જ પ્રયોગો કરે છે. આ ત્રણેય બિલકુલ અવૈજ્ઞાનિક વિચારના લોકો છે. એમનાં ચિંતનમાં કયાંય વૈજ્ઞાનિકતા નથી. એમની વાતો એવી છે કે તેનો અંશમાત્રનો પણ જો કોઈ વ્યક્તિ અમલ કરવા માંડે. તેને સાચી માનવા માંડે તો ફરીથી જંગલી દુનિયામાં જતો રહે.

*મારા પુસ્તક, "માઈક્રોસ્કોપમાં મહાત્મા"માં પ્રકાશિત 

8 comments:

  1. લોકો કહે છે કે ઓશો સમય થી વહેલા જન્મ્યા હતા, હું કહીશ કે ઓશો મોડા જન્મ્યા હતા. ગાંધી સાથે જન્મ્યા હોત તો, આપણને કૈંક નવી તરાહ જોવા મળી હોત ભારત માં. ગાંધી વિચારધારા જયારે બાળપણ માં હતી ત્યારે જ ઓશો તેનો તેજોવધ કરીને, દેશ ને ઘણી બધી ખોટી ધારણાઓ રૂઢ કરવા માંથી બચાવી લેત.

    ReplyDelete
  2. વાહ ! ઓશોની નજરે ગાંધી. એકદમ તટસ્થ લેખ. ખરેખર સુંદર ! ઓશોની અમુક વાતોમાં ૧૦૦ % તથ્ય છે જ અને એ કોઇ ના ન કહિ શકે પરંતુ ગાંધી ટોપી અમસ્તા જ પહેરી લેનારને આમાં ષડયંત્રની બૂ આવશે કાં તો અજ્ઞાનની. થેંકસ ગોડ કે એ ઓશો એ કહ્યુ છે બાકિ મારી જેવા લખે તો લોકો તરત જ સવાલ પૂછે કે ભાઇ તમે શુ કર્યુ દેશ માટે. ઓશોની પણ ઘણી વાતો તર્કની પાર છે જ પરંતુ આ લેખ ખરેખર અદભુત છે. અભિનંદન કિન્ન્રભાઇ

    ReplyDelete
  3. જેમ ગાંધીજીનાં અહિંસા વિષે જ વધુ લખાયું હોય અને જાણતા હોય પણ

    "જો ૨૩ કરોડ હિન્દુઓ ૭ કરોડ મુસલમાનો ની સામે પોતાનો બચાવ કરવાની તાકાત ન ધરવતા હોય તો કાંતો હિંદુ ધર્મ ખોટો છે કાંતો એમા માનનારા નામર્દ અને અધર્મી હોવા જોઇએ. હિંદુ-મુસલમાનો વચ્ચે કૃતિમ સુલેહ પોતાની તલવાર વતી અંગ્રેજ સરકાર જાળવે તેના કરતા હિંદુ-મુસલમાન તલવારથી મુકાબલો કરી હિસાબ ચોખ્ખો કરી લે એ હુ વધારે પસંદ કરુ." વાળા વિચારથી ઓછા પરિચિત હોય શકે.

    એ રીતે ઓશોનાં ગાંધીજી વિષે વિરુદ્ધ (ટાઈપનાં) વિચારોથી અમે વાચક અવગત હોય પણ હું આપને અનુરોધ કરીશ કે કિન્નરભાઈ, જેમ અહી ગાંધીજીનાં વિચારોને વખોડતા ક્વોટ મૂક્યા છે એ જ રીતે ઓશો જે જે વિચારો કે વાતને અનુમોદન આપતા ક્વોટ પણ મૂકો તો અમને વધુ જાણવા મળે .

    ReplyDelete
  4. સાંજ ના જમવા મા જાણે ખીચડી ની જ આશા હોય અને ઇડલી સાંભાર મળી જાય અને સ્વાદેન્દ્રીયો ઉત્તેજીત થઇ જાય એવી મજા આવી ગઇ....મને પર્સનલી ગાંધીજી ને કોઇ વખોડે એ જ પસંદ નથી પણ ઓશોજી એ વર્ણવેલી દરેક વાતો નો એમના જેવા જ શબ્દો મા વીરોધ પણ થઇ શકે..... બન્ને મહાન વીભુતીઓ ને ક્રીટીસાઇઝ કરવા ની કોઇ ક્ષમતા નથી મારી....... તમારા ઓશોજી ની મુક્ત વીચાર ધારા દર્શાવતા તટસ્થ લેખ ને માણવા ની બહુ મજા આવી.... મસ્ત ...
    રુચિર દવે

    ReplyDelete
  5. "નિંદારસમાં રહેલો ઈશ્વર" વાંચો નીચેની લીંક પર. અને રજનીશને સમજો
    http://treenetram.wordpress.com/2012/01/11/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0/

    ReplyDelete
  6. aa duniyama tatshth rhevu jruri che, to j chanaya prena ape che.

    ReplyDelete
  7. jivnma chetna ane sudh manthij tatstha ane pragti thay che.

    ReplyDelete
  8. અદભૂત....! જોરદાર કીક......!

    ReplyDelete