Friday, December 28, 2012

Somnath Temple, Ghazni, Al Beruni & Naipaul



અખંડ આઠમો અવતાર: આજે પણ "ગઝનીઓ" હયાત છે પરંતુ સોમનાથ હવે સલામત છે!
સોમનાથ પરિસરનો એક અદભુત ફોટોગ્રાફ: તમે સોમનાથના અનેક ફોટોગ્રાફ જોયા હશે
પરંતુ આ એન્ગલથી, આટલું વાઈડ વિઝન ધરાવતો ફોટો ક્યાંય નહિ નિહાળ્યો હોય 



            

બે અવસર આવ્યા છે, આ લેખ અહીં મૂકવા માટેના: એક તો સોમનાથના મંદિરમાં સુવર્ણ થાળું મૂકાઈ રહ્યું છે, બીજું, ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપર અમદાવાદની ધરતીને પ્રદુષિત કરવા આવી રહ્યા છે. આ લેખ મારા પુસ્તક "મહા-ભારતની રામાયણ"માં સમાવિષ્ટ છે, એ મારી નજરે લખાયો છે એવું હરગીઝ ના કહી શકાય . તેમાં જે સંદર્ભો છે એ અલ - બેરુની નામના ઈસ્લામિક સ્કોલરના છે - એ અલ - બેરુની - જે ખુદ ગઝની સાથે ભારત આવ્યો હતો અને ગઝ્નીનો અત્યંત વિશ્વાસુ સાથી હતો !  કેટલાક વિચારો મેધાવી પ્રતિભા એવા વી.એસ. નાયપોલના છે. "કિન્નર આચાર્ય" અહીં ગૌણ બની જાય છે. અહીં એવા તમામ લોકોને જવાબ અપાયો છે - જે ડાબેરી ઈતિહાસકારોને સતત ધાવ્યા કરે છે અને પછી જાહેર માધ્યમોમાં પોતાના વિકારો ઠાલવે છે. સોમનાથ મંદિર ગઝનીએ જેટલી વખત લુંટ્યું તેના કરતા વધુ ઝખ્મો તેને ભારતના દુષ્ટ સેક્યુલર રાક્ષસોએ આપ્યા છે, બૌદ્ધિકોને અમસ્તા જ "બદમાશ"નો ખિતાબ નથી મળ્યો, તેના માટે તેમણે અવિરત સંઘર્ષ કર્યો છે, કૂપ્રચાર અને નાલાયકી કરી છે. પોતાના બાયસ્ડ વિચારોને તથ્યનું નામ આપી ને તેમણે ઈતિહાસ પલટાવવા પ્રયાસો કર્યા છે ... આ બધી જ ગુસ્તાખીઓ સામે આ લેખ એક જવાબ છે, મને એ વાતનો આનંદ છે કે, દળદાર થોથાઓ વચ્ચે દબાયેલા આ સ્ફોટક સત્યો લોકો સમક્ષ મૂકવામાં હું નિમિત્ત બન્યો છું ....

‘ઇસ્લામની સ્થાપના અગાઉ અરબ રાષ્ટ્રોમાં મૂર્તિપુજાની બોલબાલા હતી. એ કાળમાં લાટ, ઉઝઝા અને મનાત નામની ત્રણ દેવીઓની ત્યાં પુજા થતી હતી. દેવી લાટની એક સ્ત્રી પ્રતિમા બનાવી આરાધના થતી, ઉઝઝાનો નિવાસ પવિત્ર વૃક્ષમાં છે એવું માનવામાં આવતું જ્યારે મનાત અથવા તો નિયતીની દેવીની આકૃતિ શ્વેત પત્થરમાં કંડારવામાં આવતી. તેનું દેવસ્થાન સમુદ્ર પાસે આવેલું હતું, મક્કાની યાત્રા મનાતનાં દર્શન વગર અધુરી જ ગણાતી. હિજરી ૬૩૦માં મહંમદ પયગંબરએ કાબાની મસ્જિદમાં જઇ લાટ અને ઉઝઝાની મૂર્તિઓનો નાશ કર્યો. કહેવાય છે કે, એક ચુસ્ત મૂર્તિપૂજક મનાતની મૂર્તિ લઇ એક વ્યાપારી જહાજમાં બેસી ભાગી ગયો. અફાટ સમુદ્ર ઓળંગી એ ગુજરાતનાં સમુદ્રકાંઠે પહોંચ્યો. ત્યાં તેણે મનાતનું એક મંદિર બનાવ્યું. જે આગળ જતા ‘સુમનાત’ તરીકે ઓળખાયું. આ ‘સુ મનાત’ એ જ આપણું સોમનાથ. હા! સોમનાથ એ કોઇ શિવાલય નહોતું, એ એક અરબ દેવીનું મંદિર હતું! પયગમ્બર સાહેબ મનાતની મૂર્તિનો ધ્વંશ નહોતા કરી શક્યા એટલે એમનું અધુરૂં કાર્ય પૂર્ણ કરવા મહંમદ ગઝની સોમનાથ પર ચડી આવ્યો અને ત્યાં રહેલી મનાતની મૂર્તિનો તેણે ધ્વંશ કર્યો!’

માથામેળ વગરના તર્કો  અને બિલકુલ વાહિયાત થીયરી રજુ કરી ને સેક્યુલર બદમાશોના દિલ જીતી લેતા રોમિલા થાપર : આજે પણ કેટલાક દુષ્ટ બૌદ્ધિકો તેને પોતાના આરાધ્ય દેવી માને છે 


  

કેવી લાગી વાર્તા? અજબગજબની વાત એ છે કે આ થિયરી કોઇ આરબ ઇતિહાસવિદ્દની નથી પરંતુ અભ્યાસ અને સંશોધનના રૂડાંરૂપાળા લેબલ તળે વર્ષોથી ઇતિહાસ સાથે ચેડાં કરતાં રહેલાં ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપરનાં છે. રોમિલાને ઇતિહાસકાર કહેવા કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે પોતાનાં કહેવાતા ઐતિહાસિક લખાણો થકી તેમણે ઇતિહાસનો રીસતર સોથ કાઢ્યો છે. ગઝની જો મૂર્તિભંજક ધર્માંધ લૂંટારૂ હતો તો રોમિલા થાપર ઇતિહાસભંજક લુચ્ચા લેફિટસ્ટ છે. આપણે ક્યાં વળી ગઝનીઓની જરૂર જ છે ! આ દેશ પર પ્રકૃત્તિનાં એવાં આશિષ છે કે સદીઓ પહેલાંથી લઇ આજ દિન લગી અહીંની ધરતીમાં ગઝનીઓ અને ઘોરી બાદશાહો પાકતાં જ રહ્યાં છે. ક્યારેક તેઓ દિગ્વિજસિંહનું રૂપ ધરી પૃથ્વી પર અવતરણ કરે છે તો કોઇ વખત દંભી બિનસાંપ્રદાયિક બની અહીં અવતાર પામે છે. ગાયનાં શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હો છે કે કેમ એ તો દેવતાઓ અને ગાયો જ જાણે, પરંતુ આવા લોકોના દિવ્ય શરીરમાં નિત્ય 33 કરોડ લાદેનનો નિવાસ રહે છે. ઈતિહાસ કહે છે કે, સોમનાથ પર અંતિમ આક્રમણ થયાને સદીઓ પસાર થઇ ગઇ પરંતુ હકીકત એ છે કે સોમનાથ પર બૌદ્ધિક આતંકવાદીઓનાં હૂમલા આજે પણ ચાલુ છે. અવિરત. હવે ડાબેરીઓ દ્વારા એવો અપપ્રચાર ચાલે છે કે, ગઝની માત્ર એક લૂંટારૂ હતો, તેને ધર્મ સાથે કશી લેવાદેવી નહોતી. આમ કહી તેઓ ધર્મસ્થાનોની ભવ્યતા વિશે મ્હેણાં મારે છે, હિન્દુઓ પર દોષનો ટોપલો ઢોળે છે અને ઇસ્લામિક આક્રમણખોરોનાં પાપનાં પોટલામાંથી થોડો બોજ ઓછો કરવાની ગુસ્તાખી કરે છે.

પ્રોફેસર રોમિલા થાપર પોતાનાં માર્કસવાદી કુવિચારો માટે જાણીતા છે. પરંતુ અહીં વાત માત્ર વિચારોની નથી. તેમણે પોતાનાં આવાં દૂષીત વિચારો પર ‘વૈજ્ઞાનિક અભ્યાસ’નું આવરણ ચડાવ્યું છે. સોમનાથ પરનાં પોતાનાં પ્રેઝન્ટેશનમાં રોમિલાએ એટલી ઉટપટાંગ વાતો કરી છે કે તેમની સરખામણીએ તો ખુદ ગઝની પણ આપણને દેવતા લાગે. એમણે એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે, ઇસવિસન ૧૦૨૬માં જ્યારે ગઝની સોમનાથ પર ચડી આવ્યો હતો ત્યારે તેમાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ જેવું બિલકુલ ન હતું. એમનાં કહેવા મુજબ સોમનાથનો જે ઇતિહાસ પ્રચલિત છે એ પણ બ્રિટનની સંસદમાં (હાઉસ ઓફ કોમન્સ) ૧૮૪૩માં થયેલી ચર્ચાઓ પછી જ અસ્તિત્વમાં આવ્યો છે. પોતાનાં પ્રેઝન્ટેશનમાં રોમિલાએ કનૈયાલાલ મુન્શીને હળાહળ કોમવાદી ગણાવ્યાં છે અને સરદાર પટેલ સાથે મળી મુન્શીએ સોમનાથનાં જિર્ણોદ્ધારનું જે પગલું ભર્યુ હતું એ પણ ગેરવાજબી હતું એવું તેમનું કહેવું છે! કનૈયાલાલ મુન્શી બહુ સ્પષ્ટપણે કહેતા કે, સોમનાથનું જિર્ણશિર્ણ મંદિર અને તેનાં પર થયેલાં આક્રમણો એ હિન્દુઓ માટે આત્મા પરનાં ઝખ્મો સમાન છે. પણ રોમિલા આ આખી વાતને મૂળથી નકારી કાઢે છે! એમનું કહેવાનું છે કે, હિન્દુઓમાં આવો રોષ કદી હતો જ નહીં, આ તો બ્રિટનનાં ‘હાઉસ ઓફ કોમન્સ’માં ચર્ચા થઇ એ પછી હિન્દુઓમાં દ્વેષ ફેલાયો! પોતાનાં મુદ્દાઓ પુરવાર કરવાં તેમણે એવો દાવો પણ કર્યો કે તેમણે કેટલાંક ઐતિહાસિક દસ્તાવેજોમાંજી આ માટેનો આધાર લીધો છે! તેમનો આ વાહિયાત શોધ નિબંધ વર્ષો અગાઉ માર્કસવાદઓનાં સામયિક ‘ફ્રન્ટલાઇન’માં પ્રકાશિત થયો હતો. રોમિલાની બાલિશ થિયરીનો છેદ ઉડાડતા દિર્ઘ શોધપત્રો જ્યારે અરૂણ શૌરી અને એન.એસ. રાજારામ જેવા મેઘાવી લોકોએ લખ્યા ત્યારે રોમિલાએ એવો દાવો કર્યો કે, ‘એ બધા કંઇ ઇતિહાસવિદ્ થોડાં ગણાય!’ કે.એસ. લાલ જેવા સમર્થ ઇતિહાસકારોએ મેગેઝિનને પોતાનાં શોધ નિબંધો - જેમાં રોમિલાને દરેક વાહિયાત દલિલોનો જડબાતોડ જવાબ હતો,  સામયિકને મોકલ્યા તો લુચ્ચા ડાબેરીઓએ તે છાપવાનો ઇન્કાર કરી દીધો! પરંતુ આવી બાબતોમાં સત્ય ઢાંક્યુ કેવી રીતે રહી શકે? રોમિલા થાપરની દરેક દલિલનો મૂળથી છેડ ઉડાડતી ચર્ચાઓ વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત થઇ.


(1) મુહંમદ ગઝનીના સમયના ગઝ્ના નગરનું એક ચિત્ર,
(2) આજે પણ ભારતમાં સેક્યુલારો જેના નામના નિર્દોષતાના પ્રમાણપત્રો ફાડતા રહે છે એ ધર્માંધ લુંટારો - ખુદ ગબ્બર - ગઝની
(3) અફઘાનિસ્તાનમાં આવેલું હાલનું ગઝ્ના નગર 



રોમિલા થાપરએ સતત એવો દાવો કર્યો છે કે, એમનું પ્રેઝન્ટેશન વિવિધ ગ્રંથોના હસ્તપ્રતોનાં આધારે બન્યું છે. પરંતુ ઇતિહાસકારોનાં મનમાં જ્યારે પાપ હોય ત્યારે એ જેતે સ્થળેથી પોતાને ગમતું જ ગ્રહણ કરે છે, અણગમતું છોડી દે છે. પ્રોફેસર વી.વી.એસ. શર્માએ રોમિલાના તમામ દાવાઓનાં ચિંથરા ઉડાડતો એક અદ્દભૂત લેખ લખ્યો છે જેમાં તેમણે આ પૂર્વગ્રહપિડિત પ્રોફેસરને બરાબર વેંતરી નાંખ્યા છે. રોમિલાનો અભ્યાસ એટલી હદે અધુરો છે કે પોતાનાં પ્રેઝન્ટેશનમાં તેમણે એટલી સીધીસાદી વિગતો પણ સમાવી નથી કે સોમનાથનું પ્રથમ મંદિર ક્યારે બંધાયું હતું અને તેનો કેટલી વખત ધ્વંશ થયો હતો. રોમિલા જ્યારે એવો દાવો કરે છે કે એ ‘કદાચ દેવી મનાતનું મંદિર પણ હોઇ શકે’ ત્યારે તેઓ આદિ શંકરાચાર્ય રચિત દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતનો આધાર લેવાનું ભુલી જાય છે. હિન્દુઓને એ યાદ અપાવવાની જરૂર નથી કે એ સ્ત્રોતમાં પ્રથમ ઉલ્લેખ જ સોમનાથ (સૌરાષ્ટ્રે સોમનાથમ્....)નો આવે છે. સોમનાથનું મંદિર ખરેખર દેવી મનાતનું દેવાલય હતું એવું સાબિત કરવા તેમણે એ સમયનાં મુસ્લિમ ક્રોનિકલ્સનો આધાર લીધો છે. એમાં જણાવાયું છે કે, ‘દેવાલયમાં શ્વેત પત્થરની મૂર્તિ હતી તેથી એ મનાતના  હોવાના પ્રમાણો મળે છે.’ ફરી એક વખત રોમિલા થાપર સત્ય સાથે, તથ્યો સાથે બહુ જાગૃતાવસ્થામાં ચેડા કરતા માલુમ પડે છે. એક ભારતીય તરીકે તેમને ખ્યાલ હોવો જોઇએ કે, દરેક શિવાલયમાં અહીં શિવલિંગ  ઉપરાંત દેવી પાર્વતીની મૂર્તિ પણ અચૂક હોય છે.

રોમિલા થાપર બહુ લુચ્ચાઇપુર્વક કેટલાંક જુના જૈન ગ્રંથોને ટાંકે છે અને પોતાની દલિલો સાબિત કરવા હવાતીયાં મારે છે. હકિકત એ છે કે, જૈન નિષ્ણાંતો પોતે જ આવા ગ્રંથોને અધિકૃત ગણતા નથી. જૈન મુનીઓ તો પોતાનાં જુનાં ગ્રંથોનો આધાર લઇ ‘જૈન રામાયણ’ પણ લખી ચૂક્યા છે! એમનાં કહેવા મુજબ સીતાએ જ્યારે પાતાળગમન કર્યુ ત્યારે એ સતત નવકાર મંત્રનો જપ કરી રહી હતી! દ્રૌપદી જૈન હતી તેવું તેમનું કહેવું છે અને બલરામ-વાસુદેવની કુલ નવનવ જોડી પૃથ્વી પર અવતરી હતી એમ પણ તેઓ કહે છે! અમુક જૈન ગ્રંથો મુજબ તો મહાભારતનાં યુદ્ધમાં કૃષ્ણ કદી અર્જુનના સારથી પણ રહ્યાં નહોતાં અને ભગવદ્ ગીતાનો ઉપદેશ પણ કૃષ્ણએ આપ્યો નહોતો. હજુ કંઇ બાકી રહી ગયું હોય તો જુઓઃ ‘બલરામ અને કૃષ્ણએ પોતાનાં એક પિતરાઇ ભાઇ પાસેથી દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું અને એ પિતરાઇ એટલેઃ જૈન તિર્થંકર નેમિનાથ!’

ઇતિહાસ બહુ મજેદાર વિષય છે. તમારે જેને નાયક ચીતરવો હોય તેને ચીતરી શકો. કોઇપણને ખલનાયક ગણાવી શકો. પરંતુ આવા વિષયો પર સંશોધન થઇ રહ્યું હોય ત્યારે સાંયોગિક પુરાવાઓનું મહત્વ પણ ઓછું હોતું નથી. ‘મુસ્લિમ આક્રમણખોરો માત્ર લૂંટ માટે આપણાં પર ચડી આવતા હતા’ એવું કહેવું એ માત્ર અકોણાઇ નથી પરંતુ ઇતિહાસ સાથે ચેડા પણ છે અને આવું કહેનારની ગેરલાયકાતનો પુરાવો પણ છે: ઉત્તર ગુજરાતનાં મોઢેરા અને રૂદ્ર મહાલયથી લઇને તારંગા સુધીનાં ધર્મસ્થાનો આ બાબતનો સાક્ષાત ગવાહી આપે છે. જો આક્રમણખોરો માત્ર લૂંટના ઇરાદે આવતા હતા તો મોઢેરાનાં આઠસો શિલ્પોમાંથી એકપણ શિલ્પ અખંડિત શા માટે નથી રહ્યું? શા માટે રૂદ્ર મહાલયનાં ૧૫૯૦ સ્તંભોનો કચ્ચરઘાણ તેમણે વાળી દીધો? પુરાવાઓ અનેક છે. અભ્યાસની દ્રષ્ટિએ અને પ્રામાણિકતાનાં મુદ્દે કનૈયાલાલ માણેકલાલ મુન્શી આવાં રોમિલા થાપરોથી લાખ્ખો પ્રકાશવર્ષ આગળ છે. તેઓ સંઘને વરેલા નહોતા, ભાજપનું ત્યારે અસ્તિત્વ જ નહોતું. મુન્શી એક કોંગ્રેસી હતા અને સોમનાથ અંગે તેમણે કરેલા અભ્યાસને પડકારવાની કોઇની મગદૂર નથી. સોમનાથ અંગે તેમણે જે કંઇ સર્જન કર્યુ છે, સાહિત્ય રચ્યું છે એમાં આવી અનેક બાબતોની સ્પષ્ટતા છે.

સમસ્યા એ છે કે, ડાબેરીઓને અને દંભી સેક્યુલરવાદીઓને આવું વાંચવું નથી. રોમિલા થાપર એમની આરાધ્ય દેવી અને શુરાપુરા છે નેહરૂ. આ એક એવી પ્રજા છે જેને ગઝનીના પરમ સાથીદાર ‘અલ બેરૂની’નું કથન પણ લક્ષ્યમાં લેવું નથી. અલ બેરૂની એક મહાન સ્કોલર હતો. એ સાહિત્ય, લોકજીવન, લલિત કળાઓથી લઇ વૈદક અને ખગોળરસાયણનો પ્રખર અભ્યાસુ હતો. ગઝની તેને પોતાની સાથે જ હિન્દુસ્તાન લાવ્યો હતો. બેરૂની ઉપરાંત એની સાથે ફિરદૌસી નામનો એક કવિ પણ હતો. અને ઉત્બી નામનો ઇતિહાસકાર પણ ખરો. 


(1) ઇસ્લામિક સ્કોલર અલ બેરુની , (2) અલ બેરુનીનું ઉઝબેકિસ્તાનમાં આવેલું સ્મારક,
(3) અલ બેરુનીની ઐતિહાસિક કિતાબ  - અલ બેરુની'સ ઇન્ડિયા - જે રોમિલા થાપરની પસ્તી કરતા ક્યાંય વધુ ઓથેન્ટિક છે 



ગઝનીનાં અવિરત આક્રમણો પછી પર્શિયન કવિ ફિરદૌસીએ ગઝનીની તમામ બાબતો સમાવી લેતું પુસ્તક ‘શાહનામા’ લખ્યું, ઉત્બીએ ‘કિતાબ-ઉદ-યમની’ નામનો ગ્રંથ લખ્યો અને અલ બેરૂનીએ ‘તહકિક - એ - હિન્દ’ સહિત અનેક પુસ્તકો લખ્યા. ભારતની ખૂબીઓ - ખામીઓમાં તેને જબરો રસ પડ્યો હતો. કેટલાંક સંસ્કૃત ગ્રંથોનો તેણે અરબી - ફારસીમાં અનૂવાદ પણ કર્યો. ભારતની એ પરત ગઝના ગયો ત્યારે ઉંટ પર લાદીને પોતાની જોડે સંસ્કૃત સાહિત્ય લેતો ગયો હતો. અલ બેરૂની ખુદ ગઝનીનો સ્ટાફ પર હતો. તેનાંથી વધુ અધિકૃત રીતે આ આખા ઘટનાક્રમની નોંધ બીજું કોણ રાખી શકે? અલ બેરૂનીના સાહિત્યનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે. ‘અલ બેરૂની‘ઝ ઇન્ડિયા’ નામનાં આ ગ્રંથમાં (વોલ્યુમ - ૧, પૃષ્ઠ ૧૧૭ તથા વોલ્યુમ - ૨ પૃષ્ઠ ૧૦૩) જે વિગતો છે એ જોઇએઃ ‘મંદિરમાંના શિવલિંગના તેણે (ગઝનીએ) ટુકડા કરી નાંખ્યા. જેમાંથી એક ટુકડો ગઝનીના સ્થાનિક સ્ટેડિયમમાં દટાવ્યો, બીજો ટુકડો તેણે એ સમયે નિર્માણ પામી રહેલી વિશાળ મસ્જિદનાં પગથિયાં તળે જડાવ્યો. જેથી બેઉ ટુકડા લોકોનાં પગ તળે કચડાતા રહે’ યાદ રહેઃ  આ નિવેદન કોઇ હિન્દુ સંસ્થાના વડાનું કે હિન્દુ ઇતિહાસકારનું નથી, અલ બેરૂનીનું છે. અને તેની ગણના ઇસ્લામનાં સૌથી વિચક્ષણ સ્કોલર તરીકે થાય છે. વિજ્ઞાનનાં ઇતિહાસ બાબતે જેમનું સ્થાન પિતામહની કક્ષાનું રહ્યું છે એવાં જ્યોર્જ સાર્ટનએ અલ બેરૂનીને ઇસ્લામનો સર્વકાલિન મહાન વૈજ્ઞાનિક અને જીનિયસ ગણાવ્યો છે. તેમણે તો બેરૂની વિશે ત્યાં સુધી કહ્યું છે કે, ‘વિશ્વ ઇતિહાસનાં કેટલાંક શ્રેષ્ઠતમ્ દિમાગમાં અલ બેરૂનીને આસાનીથી સમાવી શકાય.’

વટલાયેલા મિયાજી હંમેશા બે ડુંગળી વધારે ખાય છે એ ન્યાયે આપણે ત્યાં ગઝનીનો બચાવ કરવા આધુનિક ગઝનીઓ ઉતરી પડતા હોય છે. ગળામાં તેમણે રોમિલા થાપર અને અન્ય ડાબેરી ઇતિહાસકારોનાં અટપટા સંશોધનોનાં પાટિયાં લટકાવ્યાં હોય છે, જેનો અર્થ - અનર્થ કેવો થાય છે એ ખૂદ તેમને જ માલુમ હોતું નથી. બીજી તરફ પાકિસ્તાનનાં અનેક ઇતિહાસવિદેએ ગઝનીની ધર્માંધતાનો ખુલ્લેઆમ સ્વિકાર કર્યો છે.

પાકિસ્તાનના સૈન્યની પ્રશસ્તિ - વાહવાહ કરતી વેબસાઇટ (defence.pk) પર સ્પષ્ટપણે કેટલીક સ્ફોટક બાબતો લખવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, ‘શિવલિંગનો એક ટુકડો કાબાનાં પ્રવેશદ્વાર નીચે દાટવા માટે મક્કા મોકલાયો, અન્ય એક ટુકડો પયગમ્બર સાહેબની મદિનાની મસ્જિદ નીચે દટાયો. એક-એક ટુકડો ગઝનીનાં કિલ્લા અને મસ્જિદનાં પ્રવેશદ્વાર નીચે દટાયો’ વધુ ચોંકાવનારી વાત તો હવે આવે છેઃ શું તમે જાણો કે આ વર્ણન ક્યાંથી લેવામાં આવ્યું છે? જાણી લોઃ ખુદ રોમિલા થાપરએ લખેલા પુસ્તક ‘હિસ્ટરી ઓફ ઇન્ડિયા’ (ભાગઃ ૧, પૃષ્ઠઃ ૨૩૨ - ૨૩૩)માંથી! આશ્ચર્ય એ વાતનું છે કે આટલું કબુલ્યા પછી પણ તેઓ ગઝનીને માત્ર લુંટારૂ ગણાવે છે, ધર્માંધ માનવા તૈયાર નથી! લાગે છે એવું કે, અલ બેરૂનીના વર્ણનો પછી ધર્માંધતાની આખી વાતનો છેદ ઉડાવી દેવો એમના અશક્ય કાર્ય હતું એટલે પછી સુ મનાતની ગપગોળા જેવી વાત તેઓ લાવ્યા. આવાં પ્રત્યેક સ્ટેટમેન્ટ માટે મુખ્યત્વે અલ બેરૂનીનાં પુસ્તકોનો આધાર લેવાતો હોય છે. આપણાં સદ્નસીબે તે હિન્દુ, ગુજરાતી નહોતો અને આર.એસ.એસ.નો એ સભ્ય પણ નહોતો. 

લાહૌરની પંજાબ યુનિવર્સિટીમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા ઇતિહાસકાર મંઝુર ઇજાઝએ આ વિષય પર ઘણું લખ્યું છે અને સોમનાથ - ગઝની વિશેનાં તમામ પાકિસ્તાની રિસર્ચમાં - શોધ નિબંધોમાં તેમના઼ સંશોધનોને અવશ્ય ટાંકેલા જોવા મળશે. અલ બેરૂનીને ટાંકીને તેઓ કહે છેઃ ‘ગઝનીનાં સૈન્યએ ઉત્તરમાંપંજાબમાં એવો કાળો કેર કર્યો હતો કે અનેક સ્કોલર્સ પોતાનું વતન છોડી, દક્ષિણ ભારત તરફ નાસી ગયા. મહંમદએ આ દેશની સમૃદ્ધિ એટલી હદે ખેદાન મેદાન કરી નાંખી હતી કે હિન્દુ સાયન્સ અને સંશોધનો પર પણ તેની ઘેરી અસર થઇ. સ્કોલર્સ બધાં દુરદુરનાં વિસ્તારોમાં નાસી ગયા’ સમાજજીવન પર પણ ગઝનીની અસર કેટલી ઘાતક હતી તેની વાત બેરૂનીએ કરી છે. જે ઇજાઝએ પોતાના રિસર્ચમાં ટાંકી છેઃ ‘અગાઉ પંજાબી પુરૂષો કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય અગાઉ પોતાની પત્નીની સલાહ લેતા હતા, પરંતુ ગઝનીની અસર નીચે પછી સમાજમાંથી સ્ત્રીઓનું સ્થાન નિરંતર નીચું થતું ગયું.’ મંજુર ઇજાઝએ ગઝનીની ગુલામ પ્રત્યેની ચાહના અને તેની સજાતીયવૃત્તિ અંગે તથા ક્રુરતા અને લૂંટફાટ અંગે પણ વિસ્તૃત માહિતીઓ આપી છે. સવાલ એ છે કે, રોમિલાને આપણે સાંભળવા શા માટે!



V. S. Naipaul: આર્ટ બુક અને ઇતિહાસની કિતાબોમાં મુસ્લિમોનું ભારતમાં ‘આગમન’ (arrival) જેવા શબ્દોનો ઇસ્તેમાલ થાય છે. જાણે  તેઓ ભારતમાં કોઇ ટુરિસ્ટ બસમાં આવ્યા હોય અને પાછા જતા રહ્યા હોય. ભારત પરના આક્રમણો માટેનો ઇસ્લામિક અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. એમણે આવા આક્રમણોને પોતાની શ્રદ્ધાની જીત ગણાવી છે.



ગઝનીની ધર્માંધતા અને તેની લુંટારૂવૃત્તિ, ધનલાલસા... બધાની સમયાંતરે નોંધ થતી આવી છે. એ કોઇ લોકવાયકા નથી. આવા આતંકખોરોની ધર્માંધતાની ગવાહી પુરતા ખંડેરો આજે પણ ઉભા છે. એ ભલે બિસ્માર હોય, ખખડધજ હોય, પરંતુ એ આપણને કશુંક કહી રહ્યાં છે. ત્યાં જઇને તમે કાન ધરો તો લાગે છે કે જાણે આકાશવાણી થઇ રહી હોયઃ ‘અમારા ઇતિહાસને કદી ભુલશો નહીં, ‘ચાલો ઇતિહાસ ભુલી આગળ વધીએ’ એવી મધમીઠી વાતો કરશો નહીં. અમારો ઇતિહાસ તમને દિમાગમાં રહેશે તો જ ભવિષ્યમાં કોઇ ભવ્યાતિભવ્ય ઇમારતને ખંડેર બનવાની નોબત નહીં આવે. હા! ઇતિહાસ આપણને ઘણું શીખવતો હોય છે!’ એ સમયે વિદેશી મુસ્લિમ આક્રમણખોરોએ કરેલા કૃત્યોનો દોષ આપણે આજનાં ભારતીય મુસ્લિમોને આપીએ તો ગઝની અને આપણી વચ્ચે કોઇ જ તફાવત ન રહે પરંતુ આવી ઇમારતોનો ઇતિહાસ આપણને અવશ્ય યાદ અપાવે છે કે સરહદોનું અને રાષ્ટ્રીય સુરક્ષાનું, આંતરિક સુરક્ષાનું મહત્વ કેટલું છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આપણે ત્યાં તમે આવા ઇતિહાસની વાત કરો એટલે સીધા જ કોમવાદી તરીકે ખપી જાવ છો. સનાતન સત્ય જેવા કેટલાંક તથ્યોની વાત પણ અમુક લોકોને ગળે ઉતરતી નથી. ખરા અર્થમાં કહીએ તોઃ તેઓ ગળે ઉતારવા માંગતા નથી. ઇતિહાસને યાદ રાખવાનું એક મુખ્ય પ્રયોજન એ હોય છે કે, ભવિષ્યમાં આપણે ભુલોના પુનરાવર્તનથી બચી શકીએ. આપણે સંસદ પરના હૂમલો યાદ રાખ્યો હોત તો ગામેગામ ઇન્ડિયન મુજાહિદ્દીને બોમ્બ બ્લાસ્ટ ન કર્યા હોત. એ બોમ્બ બ્લાસ્ટ આપણે ભુલી ન ગયા હોત તો કદાચ મુંબઇ પર આક્રમણ ન થયું હોય. એવી જ રીતે મુંબઇ હુમલાને આપણે સુતાજાગતાઉઠતાબેસતા યાદ રાખ્યો હોત તો કદાચ આપણે પણ અમેરિકા જેવું ઓપરેશન કરીને સરહદ પાર બેઠેલા કેટલાક નામચીન દુશ્મનોનું શીર વાઢીને હિન્દુસ્તાન લાવી શક્યા હોત. પરંતુ આપણે ભ્રમમાં જીવનારી પ્રજા છીએ. ઇન્ટેલિજન્સ અને પ્રચંડ પ્રતિકારનું મહત્વ આજે પણ આપણને સમજાયું નથી. આજની તારીખે પણ આપણી ગુપ્તચર સંસ્થા (રો) કાબેલ અને સક્ષમ નથી ગણાતી, અને આજે પણ દુશ્મનોને પ્રત્યુત્તર આપવાનો સ્પીરીટ આપણામાં નથી. પ્રોફેસર વી.એસ. નાયપોલે ઇતિહાસ ભુલી જવાની આપણી ગંદી મનોવૃત્તિ વિશે અને ડાબેરી ઇતિહાસકારો દ્વારા થતી તોડમરોડ વિશે અનેક વખત, અનેક જગ્યાએ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે. એમના એ લખાણોમાંથી તારવેલી છુટીછવાઇ પર દ્રષ્ટિપાત કરવા જેવું છેઃ "ઇસ્લામિક આતંકના કારણે ભારતની સંસ્કૃતિ પર અનેક ઝખ્મો થયા છે. પાકિસ્તાનને આ વાતનો બરાબર ખ્યાલ છે. ખરેખર તો પાકિસ્તાનીઓએ આ વાત ખુલ્લેઆમ સ્વિકારી પણ છે. માત્ર ભારતના નહેરૂ વંશના રોમિલા થાપર જેવા લોકો ઇસ્લામિક શાસનકાળને કંકુતિલક કરતા રહે છે. આપણે સત્યનો સામનો કરવો જોઇએ. ખ્રિસ્તીઓના શાસન દરમિયાન આપણો સમૃદ્ધ દેશ દારૂણ ગરીબી તરફ ધકેલાયો, જ્યારે મુઘલો વગેરેના શાસનકાળ દરમિયાન આ દેશ જગતની સૌથી સર્જનાત્મક સંસ્કૃતિમાંથી હિંસક વિસ્તાર બની ગયો. ભારત પર ભીષણ હૂમલાઓ થયા અને તેને લૂંટવામાં આવ્યું. માત્ર એક વાર નહીં પરંતુ અનેક વખત વિદેશી આક્રમણો દ્વારા એ લુંટાતુ રહ્યું છે. આશય માત્ર લૂંટ નહોતો પરંતુ આવા લોકો ભયાનક ધાર્મિક કુવિચારો સાથે અને વિધર્મીઓ પ્રત્યેની નફરત લઇને ભારત પર ચડી આવતા  હતાં. ધીમેધીમે ઇસ્લામિક આક્રમણખોરો માટે ભારત એક મોકળુ મેદાન બની ગયું. એમણે ખુલ્લેઆમ લોકોને ગુલામ બનાવ્યા અને અવિરત આતંક મચાવ્યો. આ મિલેનીયમની શરૂઆત જ ભારતમાં ઇસ્લામિક આતંકથી થઇ છે. ઉત્તર ભારતમાં આવેલા હિન્દુબૌદ્ધ સંસ્કૃતિનો તેમણે રકાસ કરી નાંખ્યો. આવી ભયાનક ઘટના માટે પણ આપણે ત્યાં હંમેશા દબાતા સૂરે બોલાતું રહે છે, લખાતુ રહે છે. આર્ટ બુક અને ઇતિહાસની કિતબોમાં મુસ્લિમોનું ભારતમાં ‘આગમન’ (arrival) જેવા શબ્દોનો ઇસ્તેમાલ થાય છે. જાણે  તેઓ ભારતમાં કોઇ ટુરિસ્ટ બસમાં આવ્યા હોય અને પાછા જતા રહ્યા હોય. ભારત પરના આક્રમણો માટેનો ઇસ્લામિક અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. એમણે આવા આક્રમણોને પોતાની શ્રદ્ધાની જીત ગણાવી છે. આસ્થાનો વિજયોત્સવ મનાવ્યો છે. મુર્તિઓ અને મંદિરો ખંડિત અવસ્થામાં આપણે ત્યાં ચોતરફ જોવા મળે છે. ખુલ્લેઆમ લુંટ થઇ છે. લોકોને બળદની જેમ હાંકી જવામાં આવ્યા છે અને તેમને ગુલામ બનાવાયા છે. ઉત્તર ભારતમાં અનેક ભારતીય ધર્મસ્થાનોનો સદંતર વિનાશ થયો છે. આ બધુ તેમણે કબુલ્યું છે અને તેની માટે ખુશીઓ મનાવી છે. બીજી તરફ આપણે છીએ. પરાજિત. હારેલા લોકો કદી ઇતિહાસ લખતા નથી. ઇતિહાસ લખવાનું સૌભાગ્ય હંમેશા વિજય સેનાને મળે છે. આપણા પર આક્રમણો થતા રહ્યા અને આપણે કદી તેનો જવાબ આપ્યો નહીં. એક રાષ્ટ્ર તરીકે  વર્તવાનું આપણને ફાવ્યું નથી. જો આપણે આવું બોલીએ તો પેલા ફેશનેબલ યુરોપિયન શબ્દથી આપણા વિચારોને નવાજવામાં આવેઃ ‘ફાસિઝમ.’ ભારતના બૌદ્ધિકોએ હવે  ઇસ્લામિક માનસ વિશે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. એના વિશે ચર્ચાઓ થવી જોઇએ. હિન્દુ ફન્ડામેન્ટાલિઝમ અથવા તો હિન્દુ કટ્ટરવાદ જેવો શબ્દ બહુ સંભળાય છે આજકાલ. આ શબ્દ જ અસંગત છે, કારણ કે આવા કોઇ કટ્ટરવાદનું અસ્તિત્વ જ નથી. કારણ બહુ સ્પષ્ટ છે કે હિન્દુ ધર્મમાં કોઇ જ નિયમો નથી, કોઇ એવા બંધનો નથી."



ઉત્તર ગુજરાતના અનેક શિલ્પો  - ખંડિત ધર્મસ્થાનો આજે પણ ઇસ્લામિક આક્રમણકારોના જુલ્મની કહાની બયાં કરે છે, ઉપર આપેલી તસ્વીરોમાંથી કીર્તિ સ્તંભ સલામત છે,
રાણ  કી  વાવ બચી ગઈ - કારણ કે, ભૌગોલિક ફેરફારોને લીધે એ દાયકાઓ સુધી જમીનમાં દટાયેલી રહી,  રુદ્ર મહાલયના 1590 સ્તંભનો ધ્વંશ થયો, તારંગા, હાટકેશ્વર ખતમ થઇ ગયા હતા,
મોઢેરાનું મંદિર તેની ગ્લોરી ગુમાવી બેઠું છે - તેના લગભગ એક હજાર શીલ્પ્માંથી
એકપણ અખંડિત નથી! પાટણનું સહસ્ત્ર લિંગ તળાવ તેના કાંઠે આવેલા એક હજાર
શિવલિંગ માટે વિખ્યાત હતું , આજે એક પણ શિવલિંગ ત્યાં નથી ! 



વી.એસ. નાયપોલ એક જબરદસ્ત મેધાવી પ્રતિભા છે. સાહિત્ય માટે બુકર અને નોબેલ પ્રાઇઝ પણ મેળવી ચૂક્યા છે. વિશ્વભરમાં એમની પ્રતિષ્ઠા છે અને રોમિલા થાપરો કરતાં અનેકગણી તેમની વિશ્વસનીયતા છે. દરેક ભારતીયોને તેમણે વિજયનગરના જર્જરીત ખંઢેરો જોવાની અનેક વખત સલાહ આપી છે. આપણે તેમાં ગુજરાતના જર્જરીત ધર્મસ્થાનોનો ઉમેરો કરી શકીએ. સોમનાથ હવે નવું રૂપ ધરી ચૂક્યું છે, પણ અનેક ધર્મસ્થાનોનો જીર્ણોદ્ધાર હજુ થયો નથી. આવા બોલતા પુરાવાઓની હાજરીમાં પણ સળંગડાહ્યા લોકો વધારાના પુરાવાઓ માંગતા રહે છે. એ સમયે વિડીયો કે મુવી કેમેરા નહોતા એ શું આપણો વાંક છે? પરિસ્થિતિ એવી છે કે, ગઝની કે અલ બેરૂનીનું ભુત આવીને ભારતમાં કહે આ બધા કૃત્યો તેમણે કર્યા છે તો પણ કેટલા કાળોતરાઓ એ સ્વિકારવા તૈયાર ન થાય. પેલુ પલીત જો એ સમયના આક્રમણના દ્રશ્યો તમને દેખાડે તો પણ તેઓ પાસે દલિલ હાજર હોયઃ ‘તમારી આ અદ્રશ્ય ટેપ સાથે અદ્રશ્ય ચેડા થયા છે.’ વિદેશી આક્રમણખોરોને આજે પણ આપણે જડબાતોડ જવાબ આપી શકતા નથી. તેના કારણો દુર શોધવા જવાની જરૂર નથી. સમાજની વચ્ચે જ આવા કારણો દ્રશ્યમાન થતા રહે છે. સોમનાથનું મંદિર સદીઓથી આવા દસ મોઢાળા લોકોના કુપ્રચારનો અને આક્રમણોનો ભોગ બનતું રહ્યું છે.


(મારા પુસ્તક : "મહા-ભારતની રામાયણ"માં પ્રકાશિત લેખ)


Maha-Bharat Ni Ramayan - By: Kinner Aacharya 

11 comments:

  1. કિન્નરભાઇ, સુપર્બ લેખ. એક આંખ ઉઘાડનાર. પુસ્તકમાં વાંચ્યા પછી ફરી એક વાર અહીં વાંચ્યા બાદ પણ રૂંવાડાં ઉભા થઈ જાય છે. આ રોમીલા થાપર અને એના જેવા અસંખ્ય રાષ્ટ્ર વિરોધીઓ સરકારી ખર્ચે નભે છે. JNU એ આ પ્રકારના દુષ્પ્રચારની એક તાલીબાની શાળા જ બની રહી છે. અહીં નિષ્ફળતા એ કહી શકાય કે હિંદુ ઈતિહાસને કોઈ જ ઓથેન્ટીક સ્વરૂપ મળ્યું જ નહી. અને છેલ્લા ૬૦ વર્ષોથી આ જવાહરલાલ નહેરૂ યુની.ના છાપેલાં કાટલાં પ્રેરીત ઈતિહાસ આખે આખી ૪ પેઢી ઉપર ઠોકી બેસાડવામાં આવ્યો.

    આજે પણ મોગલ સામ્રાજ્ય અને લોદી ભણાવે જ છે.

    હેટ્સ ઓફફ.

    ReplyDelete
  2. ખૂબ જ ઊંડું સંશોધન---dr. કિન્નર ભાઈ

    ReplyDelete
  3. કિન્નર ભાઈ આ લેખ સાચે જ આપણી આવતી પેઢી ને વંચાવવાની જર્રૂર છે. આ કોંગ્રેસીઓ આપનો ઈતિહાસ આવા બુધિ ના બળદીયા જેવા ઈતિહાસકરો પાંસે બદલાવી રહ્યા છે.

    ReplyDelete
  4. લેખ વાચતા એવું લાગે કે જો કોઈ સામે આવે તો તમે કલમને કોઈ શસ્ત્રમાં બદલાવી સામેવાળા દોષિતને કલમ કરી નાખશો

    ReplyDelete
  5. ઈતીહાસ :

    (૧). માથા વગર ધડ ત્રણ દીવસ લડતું હતું.

    (૨). હાથીનું માથું માણસના ધડ ઉપર લગાડી માણસ જીવતો થયો.

    (૩). મુહમદ ગજનવીએ સોમનાથના મંદીરની ધજાને નીચે પાડી કતલ ચલાવી

    લીંગને પોતાના હાથે તોડી પત્થરના ટુકડા મંદીરના તગડા પુજારીઓને ગુલામ બનાવી એમના હાથે લીંગના ટુકડા ગજની લઈ ગયો.

    (૪). મુહમ્મદ ગોરને પૃથ્વીરાજે હણી નાખ્યો અને કટારથી પૃથ્વીરાજે તથા ચંદ બારોટે આત્મહત્યા કરી.

    (૫). શીવાજીનો ઈતીહાસ લેલે લખ્યો.

    (૬). ખરેખર મુહમ્મદ ગજનવી જીવે છે સોમનાથથી અયોધ્યાની વચ્ચે......

    ReplyDelete
  6. પણ આપણે ત્યાં હંમેશા દબાતા સૂરે બોલાતું રહે છે, લખાતુ રહે છે.

    ReplyDelete
  7. May i know when did thapar say somanath was manat?
    Quoting verbatim from pg 63 of the book 'somnatha the many voices of a history' by romila thapar
    "the icon was obviously not manat but what is curious is that it either seen or hinted at as being manat by a number of people. her importance lies not in judging the validity of her identity with shiva lingum, but in the role that the story played in providing an identity to the turks and linking these central asian muslims to significant events in the life of muhammad in arabia."
    let me say emphathatically that your reading of her book is wrong on manat part..she NEVER said the idol was manat in fact se denied that idol cud be manat as quoted above, instead what she said was that gazni might have 'believed' the idol to be manat. there is a huge huge difference between the two things. But yes given that most of the people never read anything beyond history textbooks your confusion may pass unnoticed.

    ReplyDelete
  8. રૂંવાડા ઉભા કરી નાખે એવો લેખ ... સવાલ એ છે કે હજી પણ આપણે એ ઈતિહાસ તો ઠીક નજીકના ૧૦-૧૫ વર્ષના ઈતિહાસ માંથી પણ કાંઈ શીખવા માગતા નથી ...

    ReplyDelete
  9. Only one word... BRAVO...

    Keep it up..


    @vkvora2001
    What do you mean?
    there is a difference between Itihas and Aastha...

    ReplyDelete
  10. @Kavan ....
    પહેલી વાત: તમે રોમિલા થાપરનો બચાવ કરવા જ આવ્યા હો એવું લાગે છે. જો એવું ના હોય તો રોમીલાના એ લખાણ સામે પણ તમને વાંધો હોવો જોઈએ જેના મુજબ તેઓ એવું કહેવા માંગે છે કે, "ગઝનીને કદાચ એમ હતું કે, એ મનાતનું પુતળું છે!" આવું કોઈ કહી કેવી રીતે શકે?
    શું ગઝની ડફોળ અને મુર્ખ હતો?
    શિવલિંગ અને મૂર્તિ વચ્ચેનો ભેદ નરી આંખે ના નિહાળી શકાય? તેના માટે માઈક્રોસ્કોપ જોઈએ?
    બીજી વાત: અહીં મેં આપેલા - અલ બેરુનીના નિવેદનો અને લખાણો કેમ કોઈને દેખાતા નથી? ખાસ કરી ને તમારા જેવા લોકોને ...
    ત્રીજી વાત: હવે કમેન્ટ કરો ત્યારે તમારા આખા અને સાચા નામ સાથે કરજો

    ReplyDelete
  11. On other points 1. No i am not here to defend thapar. But she is completely justified in saying that the myth of sumanat might have been one of the motivating factors for gazni. Farrukhi and gardizi- gazni's contemporary, equates manat with somnatha lingum, just as al biruni doesnt. And a myth is a myth, there are people who believe ravan had 10 heads, you can call them stupid but cant deny their belief. Similar possibility with gazni.
    2. yes i too find beruni's observations too substantial and explanations given by thapar and others doesnt satisfy me. But you cant say she has avoided biruni's work, she has explained. But yes agree with you on that point.
    3. Vs naipaul, shourie arent historians. Mathu dukhe to doctor ni dava levani k chartered accountant pase javanu? Similarly authors na credentials as experts on a particular field matters. Rajaram is a laughable creature i know what happened to his claim of having deciphered harappan scripts, so would rather throw his book in dustbin than read. On k s lal i admit he is a reputed historian and his views on the issue matters, so please let me know where to find his rejoinder on the issue as i dont know.

    Before you once again charge me with being thapar's lawyer. Here is the link of my critical review of her book written some time ago..
    http://kavanlimbasiya.blogspot.in/2012/02/somnatha-iii.html

    Kavan limbasiya
    Ahmedabad.

    ReplyDelete