Saturday, September 24, 2011

તેરે સુર ઔર મેરે ગીત: મદન મોહનથી જયદેવ અને નૌશાદથી રેહમાન!


૨૮ સપ્ટેમ્બર એટલે લતાનો જન્મ દિવસ. 
આ ખાસ અવસર પર પ્રસ્તુત છે એક ખાસ લેખ...




બ્રિટનની એક હોસ્પિટલમાં સંગીતકાર રાહુલ દેવ ર્બમનનું ઓપરેશન થવાનું હતું. લતા મંગેશકર તેમને મળવા ગયા. છેલ્લાં કેટલાંક દિવસોથી બેચેની અનૂભવતા પંચમદાએ કહ્યું, ‘દીદી, તમે આવી ગયા... હવે હું ઓપરેશન માટે તૈયાર છું.’ ફિલ્મીસ્તાનનાં મુખરજીએ ગુલામ હૈદરની ભલામણથી આવેલી લતાનો અવાજ રિજેક્ટ કરી દીધો... કારણ આપ્યું કે ‘આ છોકરીનો અવાજ બહુ તીણો છે!’ નૌશાદએ મૂકેશ મારફત લતાને પ્રથમ વખત મળવાનું કહેણ મોકલ્યું ત્યારે લતાએ કહ્યું કે, ‘હું ટ્રાયલ નહિ આપું!’....

દાયકાઓથી ફિલ્મોદ્યોગમાં પોતાનાં એકમેવ કંઠ થકી અનેક પેઢીઓને તરબતર કરતા રહેલા લતા મંગેશકરના જીવનમાં આવી અનેક ઘટનાઓ બની હોય એ સ્વાભાવિક છે. વિવિધ ઇન્ટરવ્યૂઝમાં અને બાયોગ્રાફીમાં એમની આવી વાતો બહાર આવતી રહી છે. પરંતુ એમાં તેમણે માત્ર વાતો ‘કહી’ હોય છે, લખી હોતી નથી. હમણાં તેમણે કદાચ પ્રથમ વખત આવા સંસ્મરણો લખ્યા છે. એ પણ કોઇ પુસ્તકમાં નહિં, બલ્કે એક કેલેન્ડરમાં!
વર્ષ ૨૦૧૧નું આ કેલેન્ડર તેમણે જાતે જ પ્રસિદ્ધ કર્યુ છે, જેનું નામ છેઃ ‘તેરે સુર ઔર મેરે ગીત’. આ કેલેન્ડરમાં તેમણે પોતે જે સંગીતકારો સાથે કામ કર્યુ છે તેમાંથી પસંદ કરીને ૨૮ સંગીતકારો સાથેનાં પોતાનાં સંસ્મરણો લખ્યા છે. ભલે એ સ્મૃતિઓ વિશે ટૂંકમાં લખાયું હોય પરંતુ તેનાં પર લતાની મહોર છે એ વાત જ તેને ખાસમખાસ બનાવે છે. ગુલામ હૈદર, શ્યામ સુંદરથી શરૂ કરી એ.આર. રેહમાન સુધીના ૨૮ સંગીતકારો સાથેનાં સંસ્મરણો ધરાવતા આ કેલેન્ડરની ખાસીયત એ છે કે, એ એક ‘કલેકટર'સ આઇટમ’ છે, બજારમાં ક્યાંય જ ઉપલબ્ધ નથી. લતાદીદીએ તેમાં અઠ્ઠાવસી સંગીતકારો વિશેના જે લખાણો લખ્યા છે તેમાંથી અહીં દસ જેટલાં સંસ્મરણો રજૂ કાર્ય છે. ઈચ્છા તો એવી હતી કે, આખા કેલેન્ડરની તમામ વાતો લખવી. પરંતુ કમનસીબે તે હાથ લાગ્યું નહિ. એટલે જ એક સાઈટ પર રજુ થયેલા આ સંસ્મરણો અહી અનુવાદ કરી મુક્યા છે. ... કેલેન્ડર સાથે અપાયેલીછપાયેલી યાદગાર તસવીરો પણ અહીં અપાઇ છે...

ગુલામ હૈદરઃ એમની એ ભવિષ્યવાણી...


૧૯૪૭માં મને એક સંદેશો મળ્યો. મોકલનાર હતાઃ માસ્તરજી, ગુલાબ હૈદર. મેસેજ હતો, ‘એક ગીતના રેકોર્ડિંગ માટે તાત્કાલીક તારી આવશ્યકતા છે, શક્ય એટલી ઝડપથી આવી જવું.’
મને સંદેશો મળ્યો ત્યારે રાત થઇ ગઇ હતી. હું સ્ટુડિયો પર મારા એક સંબંધી સાથે વ્યસ્ત હતી. માસ્તરજી બહું ઉતાવળમાં હતા કારણ કે, તેમને પાકિસ્તાન જવાનું હતું. રેકોર્ડંિગ આખી રાત ચાલ્યું. હું બેન્ચ પર બેઠી હતી... એક ખૂણામાં... મારો વારો આવે તેની રાહ જોઇ રહી હતી. છેવટે, લગભગ પરોઢીયે માસ્તરજીએ મને રેકોર્ડિંગ રૂમમાં બોલાવી. એમણે પિયાનો પર ધૂન છેડી, તેઓ પિયાનો વગાડવામાં ખેરખાં ગણાતા. અને મેં ગીત ગાયું, ‘બેદર્દ તેરે દર્દકો...’ એ વખતે સવારના આઠ થયા હતા. એ જમાનામાં ગાયકોએ આખું ગીત ઓરકેસ્ટ્રા સાથે ગાવું પડતું એ પણ એકેય ભૂલ વગર.
એ પછી માસ્તરજીએ ‘ફિલ્મીસ્તાન’માં મુખરજીને મારી ભલામણ કરી. પણ મુખરજીએ મને રિજેક્ટ કરી, એમ કહીને કે ‘મારો અવાજ બહુ તીણો છે.’ માસ્તરજીએ તેમને કહ્યું, ‘આજે તું આ છોકરીને રિજેક્ટ કરી રહ્યો છે. પણ એક દિવસ એવો આવશે જ્યારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ છોકરીનું લાલ જાજમ પાથરી સ્વાગત કરી રહી હશે.’
માસ્તરજીની ભવિષ્યવાણી સાચી ઠરી. અંદાજ, બરસાત, બડી બહેન, મહલ જેવી ફિલ્મોનાં ગીતો ઝડપભેર હિટ થઇ રહ્યાં હતા. એક દિવસ માસ્તરજીએ મને પાકિસ્તાનથી ફોન કર્યો. તેઓ મને ‘મેમસાબ’ કહી બોલાવતા. ફોનમાં તેમણે કહ્યુંઃ ‘મેમસાબ! મેં તારા વિશે ભવિષ્યવાણી કરી હતી એ મુજબ લોકો તને ક્યારેય ભૂલી શકશે નહિં. અને તું મને ક્યારેય ભૂલી જતી નહિં!’ થોડાં દિવસ પછી મારા પર નૂરજહાંનો ફોન આવ્યો કે માસ્તરજીને કેન્સર છે! સમાચાર સાંભળી મને જબરો આઘાત લાગ્યો. એમનું સ્થાન મારા માટે બહુ વિશિષ્ટ છે. એમની સાથે રેકોર્ડ કરેલું અંતિમ ગીત મને અતિ પ્રિય છે.

શ્યામ સુંદરઃ પંજાબી ગીત તો આમ જ ગવાય!


૧૯૪૬-૪૭ દરમિયાન હું માસ્તર વિનાયકને ત્યાં કામ કરતી હતી, એમની નોકરી પર હતી. એક વખત મને માસ્તર વિનાયકએ પોતાનાં દાદર નિવાસસ્થાને બોલાવી અને કહ્યું કે શ્યામ સુંદર આવ્યાં છે અને તેઓ મને સાંભળવા માંગે છે. મેં એક બંદિશ ગાઇ બતાવી. શ્યામ સુંદરનો ચહેરો ભાવશૂન્ય હતો, કોઇ જ હાવભાવ નહિં. દિવસો વિત્યા. માસ્ટર વિનાયકનું અકાળે અવસાન થયું. મારે કામની સખ્ત જરૂર હતી. એવામાં જ એક દિવસ શ્યામ સુંદરનો મારા પર ફોન આવ્યો.
બસ... એ પછી અમે સાથે ખૂબ કામ કર્યુ. એમણે મારી પાસે અનેક ગીતો ગવડાવ્યા. પણ ફિલ્મ ‘ચાર દિન’ની પેલી કવ્વાલી, ‘હસીનો કી અદાયેં ભી...’ ખરેખર લાજવાબ છે. એ એક જ કવ્વાલીમાં રફી, શિવદયાલ બાતિશ, રાજકુમારી, હમિદા, જોહરાબાઇ, ઇકબાલ જેવાં ગાયકોનો અવાજ હતો. એની સ્વર રચના પણ કપરી હતી.
અમે શ્રેણીબદ્ધ રિહર્સલ કરી રહ્યાં હતાં. એમનું સમગ્ર ધ્યાન મારા તરફ હતું. એમને શંકા હતી કે, હું પંજાબી ગીતો સારી પેઠે પરફોર્મ કરી શકીશ કે કેમ. રેકોર્ડિંગ ખતમ થયા પછી તેમણે કહ્યું કે, ‘પંજાબી ગીત ગાવું હોય તો આ રીતે જ ગાઇ શકાય, આ રીતે જ ગાવું જોઇએ!’ કેટલીક ગેરસમજોનાં કારણે અમે વચ્ચે થોડો સમય જોડે કામ ન કર્યુ. એક દિવસ અચાનક તેમનો ફોન આવ્યો, એમણે મારા માટે ખાસ એક ગીત તર્જબદ્ધ કર્યુ હતું. ‘અલિફ લૈલા’ ફિલ્મનું એ ગીત એટલે ‘તુજકો ભૂલાના મેરે બસ મેં નહિં’ જો કે એમણે તર્જબદ્ધ કરેલું ગીત, ‘સાજન કી ગલીયાં..’ (ફિલ્મઃ બાઝાર) મને એમનાં ગીતોમાંથી સૌથી વધુ ગમે છે.


નૌશાદઃ લતાની એ બહેનપણી
કોણ, જેની નકલ કરવાનું 
લતાને કહેવામાં આવતું?


મેં હજુ ગુલાબ હૈદર, શ્યામ સુંદર અને ખેમચંદ પ્રકાશ સાથે ગાવાનું શરૂ જ કર્યુ હતું ત્યાં મને ગાયક મૂકેશએ એક દિવસ કહ્યું, ‘નૌશાદ સાહેબ તને મળવા માંગે છે.’
મેં કહ્યું કે, ‘હું જઇને એમને મળી લઇશ. હા! પણ હું એમને ટ્રાયલ નહિં આપું!’ હું એક તાલીમબદ્ધ ગાયિકા હતી, ટ્રાયલ આપવાની આવશ્યકતા મને લાગતી ન હતી. મૂકેશ પણ આ વાત સાથે સહમત હતા.
અમે મળ્યા. નૌશાદ સાહેબએ મારા વખાણ કર્યા અને તાજેતરમાં જ મેં જેનું રેકોર્ડંિગ કર્યુ હોય એવી રચનાઓ ગાવાનું કહ્યું. મેં શ્યામ સુંદરની રચના, ‘ઉમ્મિદ કે રંગીન ઝૂલે મેં’ ગાઇ. નૌશાદ બહુ ખુશ થયા. એટલાં ખુશ કે, એમણે મને રૂપિયા છસ્સો (એ સમયે છસ્સો રૂપિયાની કિંમત આજનાં પચાસ હજાર જેટલી હતી!) રૂપિયા આપ્યાં. એ પછી મેં નૌશાદ સાહેબ માટુ જાદુ, દુલારી જેવી ફિલ્મોમાં ગાયું. પણ, અમારી જોડી બરાબર જામી ફિલ્મ ‘અંદાઝ’થી. ‘અંદાઝ’ના ગીતોનાં રેકોર્ડિંગ સમયે એમણે મને કહ્યું, ‘તું આ ફિલ્મનાં ગીતો ગાય ત્યારે તારી બહેનપણીને દિમાગમાં રાખજે!’
‘બહેનપણી? કઇ?’ મેં પૂછ્યું.
‘નૂરજહાં!’ એમણે જવાબ આપયો.
એટલે જ ‘અંદાઝ’ના ગીતો મેં નૂરજહાંની સ્ટાઇલમાં ગાયા છે.
મૃદુભાષી, ઉર્દુ સાહિત્યના જાણતલ. નૌશાદ એકદમ જ પરફેક્શનિસ્ટ હતાં. દરેક ગીતને હિટ બનાવવા સખ્ત મહેનત કરતા. પયગંબરની બંદગી તરીકે ગવાયેલાં તેમનાં ‘નાત’ (પયગંબર માટે ગવાતી આવી રચના) જે ‘મુઘલે આઝમ’ હતાં એ મારા હૃદયની ખૂબ નજીક છે.


મદન મોહનઃ સંગીત ઉપરાંત પણ 
તેમને સૌથી વધુ શાનો શોખ હતો?


મદન મોહન સાથેનો મારો નાતો અતિ વિશિષ્ટ કહી શકાય એવા રહ્યાં. એક ગાયક અને સંગીતકાર વચ્ચે હોય તેનાં કરતાં ક્યાંય વધુ વિશિષ્ટ અમારા સંબંધ ભાઇબહેનનાં હતાં. એક વખત તેમણે મોંઘીદાટ કાર ખરીદી. શો રૂમ પરથી સીધા જ મારા ઘેર આવ્યાં, મને કાર દેખાડી. એ દિવસે રક્ષાબંધન હતી. મારી પાસે એમણે રાખડી બંધાવી. પછી તો એ તેમનો નિયમ બની ગયો. દરેક રક્ષાબંધનના દિવસે મારી પાસે રાખડી બંધાવવા અચૂક પહોંચી જ જાય.
મને બરાબર યાદ છેઃ તેઓ નિયમિતપણે ભારતીય શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં હાજરી આપતા. જો કે, એમનો આત્મા વસતો હતો ગઝલમાં. એમનાં શ્રેષ્ઠતમ્ કમ્પોઝિશન્સ એમણે મારી પાસે ગવડાવ્યા. તેમનું ઘર મારા ઘરથી સાવ નજીક. એકબીજાનાં ઘેર નિયમિત અવરજવર રહેતી. આજે પણ એમનાં પત્ની અને સંતાનો સાથે મારે ગાઢ સંબંધો છે. મ્યુઝિક ઉપરાંત એમને રસોઇમાં પણ એટલો જ રસ. વારંવાર એ કહે, ‘આજે મજેદાર મટન કારેલા બનાવવાનો છું. આવજો!’ એમની પ્રથમ ફિલ્મ ‘આંખે’માં મને ગાવા ન મળ્યું. પરંતુ ‘મદહોશ’ પછી મેં લગભગ દરેક ફિલ્મમાં ગાયું. એમના ગીતોની યાદીમાંથી કોઇ એક ફેવરિટ ગીતનું નામ લેવું મુશ્કેલ છે. પરંતુ એમ છતાં હું કહીશ કે, ‘વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ...’ મારા હૃદયની સૌથી નજીક છે.

સજ્જાદ હુસૈનઃ સરવા કાન અને 
તીક્ષ્ણ સૂઝ ધરાવતા નોખા માનવી!


આ સંગીતકારનું વ્યકિતત્વ, તેમનું સંગીત... બધું જ સાવ અનોખું. ગવાયેલાં એકએક સૂર તેઓ બરાબર પકડી પાડતા. રેકોર્ડિંગ દરમિયાન તેમનાં કાન ભારે સરવા રહેતા. રેકોર્ડિંગ સ્ટુડિયોમાં દરેક વાજિંત્ર બરાબર ટ્યૂન થયેલું છે કે કેમ, દરેક ગાયક તેને આપેલાં સ્કેલમાં ગાય છે કે નહિં એ વિશે તેઓ એકદમ જ સાવધાન રહેતા. મેન્ડોલિન વગાડવાનાં ઉસ્તાદ એવાં આ સંગીતકારનો જન્મ પણ મારી જેમ ઇન્દૌરમાં જ થયો હતો.
એમની સેન્સ ઓફ હ્યુમર ગજબનાક. અમને સૌને તેમની વિનોદવૃત્તિથી ભારે મજા પડતી. એમને પોતાનાં સંગીત વિશે ભારોભાર ગર્વ હતો. અરેબિક સંગીતનો તેમણે સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. અમારી સાથે તેઓ હંમેશા મહેફિલ જમાવી બેસતા. જે કંઇ બોલતા, દિલથી બોલતા.
સજ્જાદનાં નામે બહું ઓછાં ગીતો બોલે છે. પરંતુ જેટલાં છે એ બધાં મોતી જેવાં છે. એમનું સ્વરબદ્ધ કરેલું ‘એ દિલરૂબા નઝરે મિલાં...’ મને ખૂબ ગમે છે.

સલિલ ચૌધરીઃ હૃદયનાથ મંગેશકર જેને 
ગુરૂ માને છે એ સંગીતકારની વાત!


‘દો બીઘા ઝમિં’ માટે મેં પ્રથમ વખત સલિલદાના નિર્દેશનમાં ગાયું. મોહન સ્ટુડિયોમાં બિમલ રોયએ એક કોન્સર્ટનું આયોજન કર્યુ હતું. હું ત્યાં ગઇ હતી અને કલાકારોનાં પરફોમન્સથી દંગ રહી ગઇ. સુકાન્ત ભટ્ટાચાર્યના અવાજમાં મેં ‘રાનાર’ અને ‘અબાક પ્રિથ્વી’ સાંભળ્યું. એકદમ અદ્ભુત. સલિલદાની બહુમુખી પ્રતિભાનો મને આ પ્રથમ પરિચય હતો. લોક સંગીત અને વેસ્ટર્ન કલાસિકલનું તેમનું જ્ઞાન અભૂતપૂર્વ હતું.
અંધેરીના તેમનાં નિવાસસ્થાને તેમણે મને બોલાવી હતી. તેઓ તેમનાં પત્ની અને પુત્રી સાથે રહેતા હતા. ત્યાં બોલાવી તેમણે મને બે બંગાળી ગીતો શીખવ્યા. ‘શાતભઇ ચમ્પા’ અને ‘ના જીઓ ના...’ આ બેઉ ગીતો પછીથી બંગાળીમાં ભારે લોકપ્રિય થયા. દર વર્ષે દુર્ગા પુજાનાં દિવસે એમનાં ઘેર હું બેઉ ગીતો ગાતી હતી. લોકો દર વર્ષે બંગાળમાં આ પ્રસંગની રાહ જોઇને બેસતા...
‘મધુમતી’નાં એમનાં ગીતો ખુબ પ્રશંસા પામ્યા. સલિલદાએ જ મને બંગાળી શીખવ્યું. હૃદયનાથ તો તેમને ગુરૂ માને છે. સલિલદાના મૃત્યુ પછી પુજા ગીતો ગાવાનું મેં બંધ કરી દીધું. આજે છેક વીસ વર્ષ પછી મેં પુજા ગીતો ગાયા છે. એમણે તર્જબદ્ધ કરેલાં બધા ગીતો ઉત્તમ છે પરંતુ મને ‘આનંદ’નું ‘ના જીયા લાગે ના...’ ખુબ ગમે છે.

ચિત્રગુપ્તઃ વાનગીઓની જ્યાફત 
અને મદ્રાસની એ ફેમિલી ટુરની યાદો!


સંગીત નિર્દેશક ચિત્રગુપ્ત એક અત્યંત શિક્ષિત અને સંસ્કારી સજ્જન હતા. મેહબૂબ સ્ટુડિયોમાં રેકોર્ડંિગ સંપન્ન કર્યા પછી એમનાં ઘેર અમારી મહેફિલો જામતી. નિતનવી વાનગીઓની જ્યાફત ચાલે. ખારમાં એમનું ઘર. એમનાં પત્ની અમારા માટે અનેક પ્રકારની વાનગીઓ બનાવે. રમુજહાસ્યની છોળો વચ્ચે બધા ખુબ આનંદ કરે.
મદ્રાસમાં રેકોર્ડિંગ હોય ત્યારે ચિત્રગુપ્ત, પ્રેમ ધવન અને દિલીપ ધોળકિયાના પરિવારો સાથે જાણે અમારી પિકનિક ગોઠવાઇ હોય એવું લાગે. મને એક પ્રસંગ યાદ આવે છેઃ રેકોર્ડિંગ દરમિયાન એમને પગમાં કોઇ તકલીફ હતી. મને ખ્યાલ આવ્યો કે, એમનાં ચંપલ તૂટી ગયા હતા. મેં એમને એ બદલી નાંખવા કહ્યું. ચિત્રગુપ્તએ કહ્યું: ‘મારા માટે આ ચંપલ શુકનિયાળ છે. એ પહેરીને રેકોર્ડિંગ કરીશ તો બધું સમૂસુતરૂં પાર પડી જશે!’ મેં કહ્યું, ‘તો તમને તમારા ગાયકો કરતાં પણ વધુ શ્રદ્ધા તમારા ચંપલ પર છે?’ અમે બહુ હસ્યા. એમણે કમ્પોઝ કરેલું ગીત ‘દિલ કા દિયા જલતે ગયા’ (ફિલ્મઃ આકાશદીપ) મને બહુ પ્રિય છે.

જયદેવઃ એમનાં હિસ્સાનાં પૈસો અને 
પ્રસિદ્ધિ એમને ક્યારેય મળ્યા નહિં!


કમ્પોઝિશનની એમને શૈલી અત્યંત આગવી હતી. જયદેવને હું ત્યારથી ઓળખું જ્યારે તેઓ એસ.ડી. બર્મનના આસિસ્ટન્ટ હતાં.
એમણે તર્જબદ્ધ કરેલાં ગીતો ગાવા એ એક પડકાર જેવું કાર્ય હતું. એમનાં નિર્દેશનમાં અન્ય ગાયકોએ ગાયેલાં પણ અનેક ગીતો મને ગમે છે. એમનાં માટે મેં નેપાલી ગીતો પણ ગાયા છે. અમારાં વચ્ચે કેટલીક ગેરસમજ હતી, જેનાં કારણે થોડો સમય અમે સાથે કામ કર્યુ નહિં. દેવ આનંદની ફિલ્મ ‘હમ દોનો’ માટે એમણે મને ગીતો ગાવા કહ્યું. મેં ના કહી દીધી. પરંતુ દેવ અને તેમનાં ભાઇ વિજય  આનંદએ ખુબ આગ્રહ કર્યો.  તેથી મેં એ ફિલ્મમાં બે ભજન ગાયાજે બહુ લોકપ્રિય થયા. તેનું ‘અલ્લાહ તેરો નામ’ તો આજે પણ લોકો ભૂલ્યા નથી.
જયદેવ એક જન્મજાત ઉત્તમ સંગીતકાર હતા. પણ, મને એ વાતનું દુઃખ છે કે, પૈસો અને પ્રતિષ્ઠા એમનાંથી દૂર જ રહ્યાં. તેઓ ક્યારેય ધનકિર્તી પામી શક્યા નહિં. એટલે સુધી કે, મધ્યપ્રદેશ સરકારએ તેમને મારા નામનો એવોર્ડ આપ્યો ત્યારે તેમણે મારી પાસે આવી કહ્યું, ‘દીદી! તમે તો મને લખપતિ બનાવી દીધો!’ એમનું ‘અલ્લાહ તેરો નામ...’ મારા હૃદયની બહુ નજીક છે.

લક્ષ્મીકાંતપ્યારેલાલઃ લતાની એ 
સલાહનાં કારણે કરિયર બની ગઇ!


હૃદયનાથ અને ઉષા સાવ યુવાન વયના હતાં ત્યારે તેઓ ‘સુરેલ કલા કેન્દ્ર’ નામની સંસ્થા ચલાવતા હતા. યુવાન પ્યારે તેમાં વાયોલિન વગાડતો હતો. દેખાવડો લક્ષ્મીકાંત ત્યારે મેન્ડોલિન વગાડતો. કે.એલ. સાયગલના ભાઇએ તેની મારી જોડે ઓળખાણ કરાવી હતી. મેં આ બેઉને અમારાં આંગણે મોટા થતા નિહાળ્યા. પછીથી તેઓ કલ્યાણજી-આણંદજી સાથે જોડાયા. થોડાં સમય પછી મેં લક્ષ્મીપ્યારેને સલાહ આપી કે, તેમણે સ્વતંત્રપણે કામ કરવાનું શરૂ કરવું જોઇએ.
એમણે મારી વાત માની. પોતાનાં પ્રથમ રેકોર્ડિંગ માટે તેમણ મને બોલાવી ત્યારે મને ૧૦૧/ રૂપિયાનો ચેક આપ્યો. મેં કહ્યું, ‘તમે માત્ર એક રૂપિયો આપશો તો પણ ચાલશે!’ સખ્ત મહેનતનાં અને આવડતનાં પ્રતાપે આ બેઉ સફળ થયા. મેં તેમની સાથે અઢળક કામ કર્યુ. અમારી વચ્ચે હંમેશા ગાઢસ્નેહભર્યા સંબંધો રહ્યાં. ‘સુનો સજના પપિહે ને...’ વાળું તેમનું ગીત મને બેહદ પસંદ છે.

હૃદયનાથઃ મંગેશકર બહેનોનો 
લાડકવાયો ભાઇસંગીતકાર!


અમારાં બધાં ભાઇબહેનોમાં હૃદયનાથ સૌથી નાનો. બધી બહેનો તરફથી તેને માતા જેવો સ્નેહ મળ્યો. એ ખરેખર એક અદ્ભુત સંગીતકાર છે. મારો ભાઇ છે એટલે હું આવું કહું છું એવું નથી.
માત્ર સત્તર વર્ષની ઉંમરે તેણે સંગીતકાર બનવાનું નક્કી કર્યુ. મેં તેના માટે ‘તિન્હી સાન્જે સખે મિલાયા’ ગીત ગાયું. હું તેની સૂઝથી દંગ રહી ગઇ. તેની પ્રથમ મરાઠી ફિલ્મ ‘આકાશગંગા’ બહુ ચાલી નહિં. પરંતુ પાછળથી તેને યુવા પેઢી દ્વારા ઘણું પ્રોત્સાહન, લોકપ્રિયતા મળ્યાં. હૃદયનાથએ મારી નોનફિલ્મી ગાયકીને નવો આયામ આપ્યો. તેણે મારી પાસે મીરા ભજન, ગ્યાનેશ્વરી, ભગવદ્ ગીતા, મરાઠી કવિતા, ગાલિબ... જેવાં અનેક વિષયો પર ગવડાવ્યું. કલાસિકલ મ્યુઝિકનાં તેનાં જ્ઞાનને કારણે મને તેનાં પર સવિશેષ ગર્વ છે. વિવિધ વિષયોનું જ્ઞાન અગાધ છે. ફિલ્મ ‘લેકિન’નું તેનું ગીત ‘સુનિયો જી’માં તેણે કલાસિકલ બંદિશ અને લોક સંગીતનું જાદુઇ મિશ્રણ કર્યુ છે.
============================================
* "અકિલા"માં પ્રકાશિત 

5 comments:

  1. "Shat bhai champa" is nice song n i got it from you tube after this article,thanks kinner ji

    ReplyDelete
  2. A very good collection of old photos of Lata etc. Congrat for great article.
    KP Panchal, Toronto, Canada

    ReplyDelete
  3. Wonderful collection . Great.
    C A Shah D J

    ReplyDelete
  4. this rare collection of lataji is really wonderful for every music lover suuuperb

    ReplyDelete
  5. superb!!!thax a lot............

    ReplyDelete