Saturday, September 10, 2011

એક સફેદ ગેંડાના ચિત્રએ ઓસામા બિન લાદેનનો ખેલ ખતમ કરી નાંખ્યો: ગુપ્તચર તંત્રનો મતલબ પણ ભારતને ખ્યાલ નથી!

લાદેનના ખાત્માની અને અમેરિકન ગુપ્તચર તંત્રની એવી
દિલધડક માહિતી-જે અગાઉ તમે ક્યારેય વાંચી નહિ હોય!

માત્ર વાતોના વડા તળવાથી ત્રાસવાદ ખતમ થતો નથી. તેના માટે દ્રઢ આત્મબળ, ઈચ્છાશક્તિ, તકનિક, કઠોર તાલિમ, અને ચુસ્ત-દુરસ્ત ગુપ્તચર તંત્ર તથા ધગધગતી દેશદાઝ અનિવાર્ય છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી આપને ત્યાં ચિદમ્બરમે એવો બફાટ કર્યો છે કે, "અમારાથી શક્ય હતું એટલું બધું જ અમે કરી ચુક્યા છીએ, આવા હુમલા નહિ થાય એવી કોઈ ખાતરી હું આપીશ નહિ!" એમની વાત સદંતર ખોટી છે, આતંકવાદ રોકવા તેમણે કંઈ જ કર્યું નથી. નાઈન ઈલેવનની ઘટનાની વરસી છે અને દિલ્હીમાં હુમલો થયો છે ત્યારે એક વિશિષ્ટ લેખમાળા... લાદેન ખતમ થયા પછી પ્રથમ જ વખત કેટલીક એવી વિગતો બહાર આવી છે, જેના કારણે અમેરિકાના એ આખા ઓપરેશન વિશે ખ્યાલ આવી શકે. ‘ન્યુયોર્કર’માં પ્રકાશિત થયેલી આ રોમાંચક માહિતી વાંચ્યા પછી ખ્યાલ આવે છે કે, દેશના દુશ્મનોને ખતમ કરવા હોય તો કેટલી હદની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ જોઇએ. ઓબામાએ ગાદી સંભાળી ત્યારથી લઇને લાદેનના ખાત્મા માટેનું આયોજન કેવી રીતે થયું? આખું ઓપરેશન કેવી રીતે ઘડવામાં આવ્યું? તેમાં કઇ વ્યકિતની કેવી ભૂમિકા હતી? બે ભાગની આ લેખમાળા આવી રસપ્રદ વાતો માંડે છે...          
(ભાગ-૧)

મે માસની પહેલી તારીખની એ ઘનઘોર રાત હતી.અમાસની. આકાશમાં ચંદ્ર ક્યાંય નજરે પડતો ન હતો અને ચોતરફ અંધકારનું સામ્રાજ્ય પથરાયેલુ હતું. રાત્રિના ૧૧ પછી પુર્વીય અફઘાનિસ્તાનના જલાલાબાદ એરફીલ્ડ પરથી બે હેલિકોપ્ટર રવાના થયા. એમએચ-૬૦ બ્લેકહોક તરીકે ઓળખાતા આ હેલિકોપ્ટરમાં અનેક ખુબીઓ હતી.  અને કેમ ન હોય! આ હેલિકોપ્ટર એક એવા મિશન પર જઇ રહ્યા હતાં જેના માટે અમેરિકા જેવો દેશ વર્ષોથી પ્રતિક્ષા કરી રહ્યો હતો.
હેલિકોપ્ટરની અંદર અમેરિકાની જાંબાઝ સેના પાંખ ‘નેવી સીલ’ના ૨૩ જવાનો તૈનાત હતાં. અધિકૃત રીતે ‘નેવલ સ્પેશ્યલ વોરફેર ડેવલપમેન્ટ ગ્રુપ’ તરીકે ઓળખાતા આ કમાન્ડોની સાથે એક પાકિસ્તાની અમેરિકન દુભાષીયો હતો અને બેલ્જીયમ નસલનો એક શ્વાન પણ હતો. જેનું નામ છેઃ કૈરો. હેલિકોપ્ટરના પાઇલોટે નાઇટ વિઝન ગોગલ્સ ચડાવેલા હતાં. કારણ કે, રાત ઘનઘોર હતી અને હેલિકોપ્ટરની લાઇટ પ્રગટાવવાની સ્પષ્ટ મનાઇ હતી. રેડિયો કોમ્યુનિકેશન તેના મીનીમમ લેવલ પર રાખવામાં આવ્યુ હતું, જેથી તેના તરંગો પાકિસ્તાનની કોઇ એજન્સી પકડી ન શકે. એરક્રાફ્ટની અંદર મૌન પથરાયેલુ હતું. કેમ કે, પ્લાન અગાઉથી નક્કી હતો અને વધુ ચર્ચા કરવાની મનાઇ હતી.
ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલી આધુનિકતમ ગન, HK -MP7
૧૫ મિનીટની ભીતર જ બેઉ હેલિકોપ્ટર પાકિસ્તાનના પર્વતીય વિસ્તારમાં પ્રવેશી ગયા. પીર પંજાલ પર્વતમાળાના આસમાન પરથી એરક્રાફ્ટ ઉડી રહ્યા હતાં. કાશ્મીર તરફ પાકિસ્તાનને કંઇક વિશેષ ખેંચાણ છે તેથી પાકિસ્તાનની પૂર્વીય સરહદો હંમેશા જડબેસલાક રહેતી હોય છે. પરંતુ અફઘાનિસ્તાન તરફની સરહદો પર પાકિસ્તાની સૈન્ય બહુ ચુસ્તદુરસ્ત નથી હોતી. બીજી તરફ અમેરિકા અને પાકિસ્તાનના સૈન્ય વચ્ચે તથા જાસુસી તંત્ર વચ્ચે એવડો મોટો તફાવત છે કે, અમેરિકા ધારે ત્યારે પોતાના ઇરાદાઓ આસાનીથી પાર પાડી શકે. બેઉ હેલિકોપ્ટર  એવી વિશિષ્ટ ટેકનોલોજીથી બનેલા હતાં કે તેનો અવાજ ઓછામાં ઓછો રહે અને તેની હિલચાલની જાણ પણ સરળતાથી કોઇને થઇ ન શકે. જગતના કોઇપણ રડારને થાપ આપી શકે એવું તેનું અતિ વિશિષ્ટ બોડી હતું. આવા અનેક મુદ્દાઓ અમેરિકાની તરફેણમાં હતાં. આ આધુનિક યુગમાં સામસામી તલવારો ખેંચીને યુદ્ધો થતા નથી. હવે લડાઇઓ ગુપ્તચર તંત્ર દ્વારા અને અતિ વિશિષ્ટતાલીમબદ્ધ જવાનો દ્વારા લડવામાં આવે છે. આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જ્યાં મુંબઇના જુહુ બીચ પર તોસ્તાન જહાજ તણાતુ આવી જાય છે અને પબ્લીક તેને જોવા ભેગી થાય એ પછી ચોવીસ કલાકે ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ જાહેર કરે છે કે, આ શિપ ક્યાંથી આવી ગયું, કેવી રીતે આવી ગયું અને શા માટે આવ્યું તે વિશે તેમને કોઇ જ ખ્યાલ નથી. મુંબઇ પર આટઆટલા હુમલા પછી દેશના ગુપ્તચર તંત્રના આ હાલ છે. અને બેવકુફ દેશભક્તો ‘મેરા ભારત મહાન’ના રાગ ભૈરવી છેડવામાંથી નવરા થતા નથી. સ્વાભાવિક રીતે જ વિશ્વના મહાશકિતશાળી દેશોના જાસુસી તંત્રો ક્યાં પહોંચી ગયા છે અને કેવી રીતે ઓપરેટ કરે છે તે વાત આપણી અક્કલની અને આપણી હેસિયતની બહારની છે.
ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલી સાયલન્સર ચડાવેલી
 સિગ સોઅર P226 મોડેલની લેટેસ્ટ પિસ્ટલ

સીલ કમાન્ડોનું ટાર્ગેટ હતું નાનકડા પર્વતીય નગર એબોટાબાદમાં આવેલું એક મકાન. ઇસ્લામાબાદની ઉત્તરે આવેલું આ નગર ખુબસુરત પીર પંજાલ રેન્જમાં સ્થિત છે. આજે તો ઇસ્લામાબાદના સુખી લોકો હિલ સ્ટેશન ગણીને એબોટાબાદમાં ફરવા જતા હોય છે, પરંતુ તેની સ્થાપના ૧૮૫૩માં બ્રિટીશ મેજર જેમ્સ એબોટએ કરી હતી.  ૧૯૪૭માં પાકિસ્તાનની રચના થઇ એ પછી આ નગરમાં મીલીટરી એકડમીની શરૂઆત થઇ. જો બધુ જ બરાબર ચાલ્યુ જ હોત તો યોજના એવી હતી કે, હેલિકોપ્ટરમાંથી નેવી સીલના જવાનો સીધા જ ઓસામા બિન લાદેનના મકાનમાં ઉતરે અને પોતાનું મિશન ખતમ કરી ઝડપભેર હેલિકોપ્ટરમાં પાછા ગોઠવાઇ જાય. પાકિસ્તાનના ટ્રાયબલ એરીયા મોહમાંડ પરથી પસાર થઇને હેલિકોપ્ટર ઝડપભેર એબોટાબાદ તરફ આગળ વધી રહ્યા હતાં. કમાન્ડર જેમ્સ (કાલ્પનિક નામ) પોતાના દસ સાથીઓ સાથે એરક્રાફ્ટમાં ગોઠવાઇ ગયો હતો.  તેમની સાથે પહેલો દુભાષિયો અને કૈરો પણ હતાં. ૩૫-૩૬ની ઉંમરનો જેમ્સ ગોળાફેંકના કોઇ પહેલવાન જેવું તગડુ શરીર ધરાવતો હતો. તેની પાસે સાયલન્સર ચડાવેલી સિગ સોઅર પી૨૨૬ મોડેલની લેટેસ્ટ પિસ્ટલ હતી, વધારાનો બારૂદ પણ ખરો. સાથે શોર્ટ બેરલની સાયલન્સરવાળી એમ-૪ રાઇફલ પણ તેની પાસે રાખેલી હતી. બાકીના જવાનો પાસે હેકલર તથા કોચ MP-7 બંદુકો હતી. ગ્રેનેડ તથા બીજા અનેક હથિયારો અને સ્વરક્ષણ માટેના વિશિષ્ટ કોસ્ચ્યુમ પણ તેમણે ધારણ કરેલા હતાં. જેમ્સના એક ગજવામાં લાદેનના ઘરનો લેમીનેટેડ નકશો હતો અને બીજા ગજવામાં એવા તમામ લોકોના ફોટોગ્રાફ્સ હતાં જે પેલા ઘરમાં હોવાની શક્યતા હતી.
૯૦ મિનીટની ફ્લાઇટ દરમિયાન જેમ્સ અને તેના સાથીદારોના દિમાગમાં સતત ઓપરેશનનું રિહર્સલ ચાલતુ હતું. ૨૦૦૧થી એ બધા જવાનો અફઘાનિસ્તાન, ઇરાક, યમન અને આફ્રિકાના દેશોમાં જાતજાતના ઓપરેશનોને અંજામ દેતા આવ્યા છે. તેમના સાથીદારોમાંથી ત્રણ તો એવા હતાં જેમણે ૨૦૦૯માં જ સોમાલિયામાં રિચાર્ડ ફિલીપ નામના એક જહાજી કેપ્ટનને સોમાલિયન ચાંચીયાના કબ્જામાંથી છોડાવવા માટેનું દિલધડક ઓપરેશન પાર પાડ્યુ હતું. એ મિશનમાં તેમણે સફળતાપૂર્વક કપ્તાનને મુક્ત કરાવ્યો હતો અને ત્રણ ચાંચીયાઓને ઠાર કર્યા હતાં. એબોટાબાદનું આ મિશન પણ કંઇ પાકિસ્તાનમાં એમનું પ્રથમ જ ઓપરેશન હોય એવું ન હતું. અગાઉ દસથી બાર વખત આજ બધા જવાનો પાકિસ્તાનની ધરતી પર અલગઅલગ સાહસોને અંજામ આપી ચુક્યા હતાં. મોટાભાગના તેમના મિશન ઉત્તર અને દક્ષિણ વજિરિસ્તાનમાં તેમણે કર્યા હતાં. એબોટાબાદ તો અલગ વાત છે. સાવ પાકિસ્તાનના હૃદયમાં ઘુસીને લાદેનને ઠાર કરવાનું કામ આસાન ન હતું. ૨૦૦૧ની સાલ પછી નેવી સીલના જવાનોનું જો કે આ પ્રથમ મેગા ઓપરેશન હતું. ૨૦૦૧ આસપાસ લાદેન ટોરાબોરાના પહાડોમાં કયાંક છુપાઇ ગયો એ પછી સતત એક દાયકા સુધી તેમણે આ ઓપરેશનની પ્રતિક્ષા કરી હતી.
બ્લેક હોકની વિદાય પછી ૪પ મિનિટે જલાલાબાદના એ જ રનવે પરથી એમએચ૪૭ નામના ચાર વધારાના એરક્રાફ્ટએ ઉડાન ભરી. ચિનુક્સ તરીકે ઓળખાતા આ એરક્રાફ્ટ મોકલવાનું અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ સાવ છેલ્લી ક્ષણે નક્કી કર્યુ હતું. ઇન્દિરા ગાંધી પછી દેશમાં વડાપ્રધાનના પદ પર કોઇ મરદ મુંછાળો વડાપ્રધાન આવ્યો નથી. એટલે દેશના વડા કોઇ ઓપરેશનમાં આટલી હદે અંગત રસ લેતો હોય એ ઘટના આપણા માટે બહુ નવાઇની ગણાય.  અહિં તો આતંકવાદી હુમલાના બીજા દિવસે ગૃહમંત્રીથી લઇને વડાપ્રધાન સુધીના લોકો તથા લોકશાહી દેશના એકમાત્ર રજવાડાના રાજકુમારો આપણને કહેતા હોય છે કે, ‘આવું તો જગતમાં બધે જ બન્યા કરે છે.’ જ્યાં સામાન્ય પ્રજા યા તો વધુ પડતા દેશાભિમાનથી ગ્રસ્ત હોય અથવા તો બાકીની પ્રજાને રાષ્ટ્રગૌરવ કઇ બલાનું નામ છે એ જ ખ્યાલ ન હોય  ત્યાં આવા ઓપરેશનની મહત્તા કોઇને સમજાય નહિં એ સ્વાભાવિક છે. આ મિશન પાર પાડ્યા પછી જે નશો અમેરિકાના સત્તાધીશોને તથા તેના સૈન્યને મળ્યો હશે તેની તુલના ખરેખર જગતની બીજી કોઇ ચીજ સાથે થઇ શકે નહિં. જેને આવા નશાની આદત પડી છે એવા જ રાષ્ટ્રો જગતમાં મહાસત્તા બની શકે છે. અને ભારત જેવા દેશોએ હંમેશા સંરક્ષણ અને સ્વરક્ષણ માટે છાલીયુ લઇને મહાસત્તાઓ પાસે આજીજી કરવી પડે છે એ વાતના આપણે સૌ ગવાહ છીએ.
બરાક ઓબામાએ ચિનુક્સ એરક્રાફ્ટ મોકલ્યા તેની પાછળનું કારણ એ હતું કે તેઓ પોતાના એકપણ જવાનનું નુકશાન ન થાય તેવું ઇચ્છતા હતાં. પાકિસ્તાનમાંથી તેઓ ઓપરેશન ખત્મ કરી સલામત રીતે અફઘાનિસ્તાન પરત ફરે એવી ઓબામાને કામના હતી. એટલે જ અફઘાનિસ્તાનથી વધારાના ૨૫ સીલ કમાન્ડોને તેમણે તાત્કાલિક રવાના કર્યા. આ ચાર નવા એરક્રાફ્ટમાંથી બેની ફરજ અફઘાનિસ્તાનની સીમામાં ઉડાઉડ કરવાની હતી, જ્યારે બાકીના બેઉ હેલિકોપ્ટરોએ પાકિસ્તાનની સરહદમાં ઘુસવાનું હતું. ઓપરેશન પાર પાડવામાં છેલ્લી ઘડીના કોઇ અણધાર્યા વિઘ્નો આવે તો તેને ટાળવા અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીનો મુકાબલો કરવા આ ચાર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા.  એક ચિનુક્સમાં વધારાનું ઈંધણ પણ લાદવામાં આવ્યુ હતું, જેથી પેલા બ્લેક હોક્સને ફ્યુઅલની જરૂર પડે તો કોઇ સમસ્યા ન ઉભી થાય. દરમિયાન પેલા બે બ્લેક હોક્સ ઝડપભેર એબોટાબાદ તરફ આગળ વધી રહ્યા હતાં. શહેરની ઉત્તરમાં આવેલા ઉંચા પર્વતોને હવે પાછળ છોડી ચૂક્યા હતાં. પાઇલોટએ દક્ષિણ તરફ હેલિકોપ્ટરને વાળ્યું અને નગરના સેન્ટરમાં આવેલા કેટલાંક બાંધકામો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યુ. એરક્રાફ્ટની અંદર રહેલા સીલ કમાન્ડોએ હાથ મોજા પહેરી લીધા હતાં અને આંખ પર નાઇટ વિઝન ગોગલ્સ પણ ચડાવી દીધા હતાં. બધા કમાન્ડો તેમના ચીફ તરફથી આદેશની રાહ જોઇ રહ્યા હતાં. જેવો ઓર્ડર મળે કે તેઓ લાદેનના પેલા બંગલાના કમ્પાઉન્ડમાં દોરડાનો ઘા કરી ફટાફટ ઉતરી જવા તત્પર હતાં. પરંતુ, પાઇલોટએ એરક્રાફ્ટ એકદમ નીચે લીધું ત્યાં જ તેને ખ્યાલ આવી ગયો કે, એ હવે તેના કાબુની બહાર છે અને હેલિકોપ્ટર ક્રેશ થઇ જાય તેવી પણ પૂરી શક્યતા છે.
 એમએચ-૬૦ બ્લેકહોક તરીકે ઓળખાતા
આ હેલિકોપ્ટરમાં અનેક ખુબીઓ છે 


૨૦૦૮માં અમેરિકી પ્રમુખની ચૂંટણીઓ યોજાઇ ત્યારે બેલમોન્ટ યુનિવર્સિટીમાં બરાક ઓબામા અને તેમના પ્રતિદ્વંદી જ્હોન મેક્કેઇનએ એક ઓપન ડીબેટ કરી હતી. આ ખુલ્લી ચર્ચામાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રમુખપદ માટેના બેઉ દાવેદારોને અનેક પ્રશ્નો પૂછ્યા હતાં. એક વિદ્યાર્થીનીએ ઓડિયન્સમાંથી ઉભા થઇને ઓબામાને સવાલ કર્યો કે, જો અલકાઇદાના લીડરો તથા લાદેન વગેરે પાકિસ્તાનમાં છુપાયા છે એવા સમાચાર ભવિષ્યમાં તેમને મળશે તો તેઓ શું કરશે? ખાસ કરીને, એક મિત્ર રાષ્ટ્ર હોવાના કારણે પાકિસ્તાનના વિસ્તારોમાં ઘુસી ત્યાં સૈન્ય કાર્યવાહી કરવાનું અમેરિકાને પરવડે કે કેમ એ વિશે ઓબામાને વારંવાર સવાલો પુછાતા હોય છે. ઓબામાએ બહુ સ્પષ્ટ કહ્યું કે, ‘જો મને ખ્યાલ આવશે કે ઓસામાબિનલાદેન પાકિસ્તાનમાં છે અને પાકિસ્તાનની સરકાર આ બાબતે કશું કરવા અસમર્થ છે અથવા તો કશું કરવા માંગતી નથી તો તેવા સંજોગોમાં આપણે પોતે પગલાંઓ લેવા પડશે. આપણે બિન લાદેનને ત્યાં જઇને ખત્મ કરીશું અને અલકાઇદાને કચડી નાંખીશું. રાષ્ટ્રીય સલામતીનો વિચાર કરીએ તો આપણું સૌથી પહેલું ધ્યેય તેમને હણવાનું જ હશે.’ ઓબામાના દરેક વચનોને હવાઇ કિલ્લા ગણાવનાર પ્રતિસ્પર્ધી મેક્કેઇન આ બાબતે બહુ પરિપક્વ રીતે વર્ત્યા અને એમણે એટલું જ કહ્યું કે, ‘આ બાબતે તેઓ ઓબામાને ટોકશે નહિં.’ અમેરિકામાં દિગ્વિજયવેડા કે રાહુલવેડા ચાલતા નથી. રાષ્ટ્રીય સલામતીની વાત આવે ત્યારે પણ આપણે તો સમાધાનો કરી લઇએ છીએ, પરંતુ મહાસત્તાઓમાં આવા સમાધાનો ચાલતા નથી. એટલે જ તેઓ મહાસત્તાની કક્ષા સુધી પહોંચ્યા હોય છે. અને આપણે બાદશાહની ખુરશી સુધી નથી પહોંચી શકતા પરંતુ માત્ર દરબારી બનીને સંતોષ માનીએ છીએ.
વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કર્યાના ૪ મહિના વિત્યા હશે ત્યાં બરાક ઓબામા પાસે સી.આઇ.એ.ના ડિરેક્ટર લીઓન પેનેટા પહોંચી ગયા હતાં. તેમની પાસે સી.આઇ.એ.ની છેલ્લામાં છેલ્લી પ્રગતિનો એક અહેવાલ હતો. ઓબામાને એમની વાતમાં બહુ રસ પડ્યો નહિં. તેઓ પેનેટાની વાતથી સંતુષ્ટ ન હતાં. લાદેનને પકડી લેવાનો એક વિગતવાર માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે તેમણે પેનેટાને સુચના આપી. સી.આઇ.એ.ના ડ્રોન હૂમલાના મિશનને પણ ઓબામાએ પુરૂં સમર્થન આપ્યું. એક વાતનો ઉલ્લેખ જરૂરી છેઃ ઓબામા શાસનના પ્રથમ વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં જેટલા ડ્રોન હૂમલા થયા તેટલા જ્યોર્જ બુશના આઠ વર્ષના શાસનકાળ દરમિયાન પણ થયા ન હતાં. ઓગષ્ટ૨૦૧૦માં પેનેટા વ્હાઇટ હાઉસમાં ફરી એક વખત આવ્યા. આ વખતે તેમની પાસે કેટલાંક સારા સમાચારો હતાં. સી.આઇ.એ.ના અધિકારીઓ માનતા હતા કે તેમણે લાદેનના કુરીયર એવા અબુ અહેમદ અલ કુવૈતીની ભાળ મેળવી લીધી છે. માહિતી ત્યાં સુધીની હતી કે કુવૈતી એક એસ.યુ.વી. કાર ચલાવે છે અને તેના સ્પેર ટાયર ઉપર સફેદ ગેંડાની ઇમેજ એમ્બોઝ કરેલી છે. આટલી વિગતો સી.આઇ.એ. માટે પર્યાપ્ત હતી. રો અને સી.આઇ.એ. વચ્ચે તફાવત છે. શકિતનો ફર્ક તો છે જ પણ અભિગમમાં બહુ ઝાઝુ અંતર છે. આપણી પાસે દાઉદ ઇબ્રાહિમનું પોસ્ટલ એડ્રેસ પણ મૌજુદ છે. પડખેના મુઝફ્ફરાબાદમાંજે ભારતની સીમાથી માત્ર ૪-૬ કલાકના અંતરે સ્થિત છે. અવાર નવાર હાફિઝ સઇદ અને મૌલાના મસુદ અઝહર ત્રાસવાદીઓની જાહેરસભાઓ સંબોધતા રહે છે અને આપણા ગૃહમંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ નફ્ફટાઇની હદે ખામોશ થઇને આ તાઇફો નિહાળ્યા કરે છે. આવી સ્થિતપ્રજ્ઞતા બુદ્ધને પણ દુર્લભ હશે. આવો સાક્ષીભાવ ધરાવતા નેતાઓ એવી જ પ્રજાને મળી શકે જેનું આત્મગૌરવ મૃત્યુ પામ્યું હોય. સફેદ ગેંડાની હિન્ટ પરથી સી.આઇ.એ. દ્વારા ખુફિયા પ્રવૃત્તિઓ શરૂ થઇ ગઇ. તમે માની શકશો? અમેરિકન ઉપગ્રહે એબોટાબાદના એક મકાનના કમ્પાઉન્ડમાં પડેલી એ કારનો ફોટોગ્રાફ ખેંચ્યો અને સી.આઇ.એ.ના દફ્તરમાં એ તસવીરને એનલાર્જ કરવામાં આવી ત્યારે પેલો ગેંડો તેમાં દેખાતો હતો.  આપણે કહી શકીએ કે, એક સફેદ ગેંડાએ લાદેનના પ્રાણ હરી લીધા.

સી.આઇ.એ.ને ખ્યાલ આવી ગયો કે કુવૈતી આ જ મકાનમાં રહે છે. એ પછી તેમણે ત્રણ માળની આ હવેલીનું રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ શરૂ કર્યુ. એ મકાન પર ચોવીસેય કલાક સી.આઇ.એ.ની ચાંપતી નજર રહેતી હતી. તસવીરો પરથી તેમને ખ્યાલ આવ્યો કે, મકાનમાં રહેતા લોકો ઘરનો કચરો બહાર ફેંકવાને બદલે ઘરના જ એક ખુણામાં સળગાવી દેતા હતાં. હવેલી જેવડા મકાનમાં ફોનની કે ઇન્ટરનેટની લાઇન ન હતી. કુવૈતી અને તેનો ભાઇ અવરજવર કરતા રહેતા હતાં, પરંતુ ત્રીજા માળે જે માનવાકૃતિ સી.આઇ.એ.ને વિશિષ્ટ ફોટોગ્રાફી વડે દેખાઇ હતી તે ક્યારેય કમ્પાઉન્ડ છોડતી ન હતી. કેટલાંક નિષ્ણાંતોએ એવી શંકા વ્યકત કરી કે, એ ત્રીજી વ્યકિત લાદેન જ છે. પરંતુ કશું જ કન્ફર્મ થતુ ન હતું.
સી.આઇ.એ.ની પ્રગતિથી ઓબામા બહુ રોમાંચિત હતાં. પરંતુ તેઓ મિલીટરી એકશન માટે બહુ ઉતાવળમાં ન હતાં. ત્રાસવાદ સામેની લડાઇ માટેના ઓબામાના સલાહકાર જ્હોન બ્રેનાનએ તમામ ડેટાનો અભ્યાસ શરૂ કર્યો. ગાર્ડીયનના તાજા અહેવાલ મુજબ સી.આઇ.એ. દ્વારા એબોટાબાદમાં એક સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. નામ તો સ્વાસ્થ્ય સંબંધી એન.જી.ઓ.નું હતું, પરંતુ કામ સી.આઇ.એ.નું હતું. પોષણની દવાઓના ડોઝના નામે તેમને લાદેનના પરિવારના ત્યાં ભમતારખડતા સભ્યોના ડી.એન.એ. સેમ્પલ ખપતા હતાં. જો ડી.એન.એ. સેમ્પલ મળી જાય તો બીજી જ ક્ષણે એ વાતના નિષ્કર્ષ પર પહોંચી શકાય કે, એ ત્રીજી વ્યકિત લાદેન જ છે કે કેમ? જો કે, આ પ્રયાસ બહુ સફળ ન થયો. ૨૦૧૦ની આખરમાં ઓબામાએ પેનેટાને બોલાવ્યા અને તેમને લાદેનના ઘર પર મિલીટરી સ્ટ્રાઇક કરવાની યોજના બનાવવા જણાવ્યું. પેનેટાએ સીલના વાઇસ એડમિરલ બિલ મેકરેવનનો સંપર્ક કર્યો. સામાન્ય રીતે આવા ઓપરેશન આર્મી દ્વારા પાર પડાતા હોય છે, પરંતુ પાછા કેટલાંક વર્ષોમાં સીલની પ્રતિષ્ઠા એટલી હદે વધી છે કે, આ જવાબદારી તેમને સોંપવામાં આવી. મેકરેવને પોતાના એક ડેપ્યુટી કમાન્ડરને યોજનાની જવાબદારી સોંપી. બીજા જ મહિને વર્જિનીયામાં આવેલી સી.આઇ.એ.ની એક ખુફિયા કચેરીમાં કેટલાંક ટોચના અધિકારીઓ અને કમાન્ડો એકઠ્ઠા થયા. એબોટાબાદના કમ્પાઉન્ડની સેટેલાઇટ તસવીરોનો તેમની પાસે ઢગલો હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સ્થિત સી.આઇ.એ.ના ત્રાસવાદ વિરોધી દળના અનેક લોકોની મદદ લેવામાં આવી.
સ્પેશ્યલ ઓપરેશન યુનિટ અને સી.આઇ.એ. વચ્ચેના સંબંધો છેક વિયેટનામ યુદ્ધના વખતથી ચાલ્યા આવે છે. પરંતુ ઇરાક અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ઘણી વખત આ બેઉ એજન્સીઓના અધિકારીઓ વચ્ચે તણખા ઝર્યા છે. જો કે, આ પ્રકારનું મિશન જ્યારે હાથમાં લેવાનું હોય ત્યારે આંતરિક મતભેદો અને અહમ ભુલી જવા પડે તેવો તેમને ખ્યાલ જ હતો. માર્ચની ૧૪મી તારીખે ઓબામાએ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને બોલાવ્યા અને તેમની સાથે એબોટાબાદના કમ્પાઉન્ડની હિલચાલ વિશે તથા અમેરિકાના સંભવિત પગલા અંગે ચર્ચાઓ કરી. મુદ્દાઓ એ હતાં કે, એ મકાન પર હવાઇ હુમલા કરવા કે અમેરિકન સૈન્યના જવાનોને ત્યાં મોકલવા કે ઓપરેશનમાં પાકિસ્તાની સૈન્યની મદદ લેવી. ઓબામાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ હતોઃ તેઓ કોઇ સંજોગોમાં આ અંગે પાકિસ્તાનની મદદ લેવા પણ માંગતા નહોતા અને પાકિસ્તાનને જાણ કરવા પણ ઇચ્છતા ન હતાં. બેઠકના અંતે ઓબામાએ મેકરેવનને પોતાનો નિર્ણય જણાવી દીધો. હવે મેકરેવને હવાઇ માર્ગે એબોટાબાદની હવેલી પર ત્રાટકવા માટેનો એક અદ્ભુત પ્લાન તૈયાર કરવાનો હતો. એક એવી યોજના, જેમાં નિષ્ફળ જવાનો પ્રશ્ન જ ઉભો ન થાય અને અમેરિકન સૈન્યના કોઇ જવાને કે કોઇ સીલ કમાન્ડોએ પ્રાણ ગુમાવવા ન પડે.

મેકરેવને બ્રાયન નામના જે અધિકારીને જવાબદારી સોંપી હતી તેણે સીલના કમાન્ડર જેમ્સને બોલાવ્યો અને આવી બાબતના નિષ્ણાંત ગણાતા માર્ક નામના એક કાબેલ અધિકારીને પણ બરકવામાં આવ્યા. ૨૦ દિવસ સુધી મથામણ કરીને તેમણે એક યોજના તૈયાર કરી. સીલ કમાન્ડો જો એબોટાબાદની બહાર ઉતરે અને પગપાળા પેલી હવેલી સુધી પહોંચવાનું હોય તો થાકના કારણે ઓપરેશનમાં તેમના દેખાવ પર અસર થાય. બીજા વિકલ્પ તરીકે એક ટનલ બનાવવાનું વિચારવામાં આવ્યું. એક એવી ટનલ-જે કિલોમીટરો દૂરથી ખોદવાનું શરૂ થાય અને સીધી જ લાદેનના ઘરમાં નીકળે. પરંતુ સેટેલાઇટ તસવીરોથી ખ્યાલ આવ્યો કે, હિલ સ્ટેશન હોવાના કારણે અને ભેજવાળું હવામાન તથા આહ્લાદક વાતાવરણ હોવાથી એબોટાબાદમાં થોડું ખોદાણ કર્યે જ પાણી નીકળે છે.  ટુંકમાં કહીએ તો, ત્યાનું વોટર લેવલ બહુ ઉંચુ હતું. આવા સંજોગોમાં ભોંયરૂ તૈયાર કરીને લાદેનના ઘર સુધી પહોંચવું લગભગ અશક્ય હતું. હવે એક જ વિકલ્પ બચ્યો હતોઃ એર સ્ટ્રાઇકનો. હેલિકોપ્ટર દ્વારા જવાનોને પાકિસ્તાની સીમામાં લઇ જવામાં આવે અને દોરડા વાટે તેઓ સીધા જ લાદેનની હવેલીની અગાસી પર ત્રાટકે એવી યોજના તૈયાર કરવી પડે તેમ હતી. માર્ચની ૨૯ તારીખે મેકરેવન ફરી એક વખત ઓબામા પાસે પહોંચ્યા, પરંતુ ઓબામાના મિલીટરી એડવાઇઝર્સ હજુ દ્વિઘામાં હતાં. સુરક્ષા સચિવ રોબર્ટ ગેટ્સ હેલિકોપ્ટર હૂમલાની સખ્ત વિરૂદ્ધમાં હતાં. તેમણે ૧૯૮૦માં  ઇરાનના તહેરાન ખાતે અમેરિકાએ કરેલા ડેલ્ટા ફોર્સ ઓપરેશનની કડવી યાદો તાજી કરી.
અમેરિકન હોસ્ટેજને છોડાવવા માટે થયેલા એ ઓપરેશનમાં આઠ અમેરિકન જવાનોના મોત થયા હતાં. જ્યારે સેનાના અધિકારી જેમ્સ કાર્ટરાઇટ સૈન્યની અન્ય પાંખ દ્વારા હવાઇ હૂમલાની તરફેણ કરતા હતાં. તેમનું કહેવું હતું કે, અમેરિકન સેનાના બીટુ સ્પિરિટ બોમ્બર્સ દ્વારા આ ઓપરેશન પાર પડવું જોઇએ. આ ટુકડીનું કામ આકાશમાંથી અગનગોળાઓ વરસાવવાનું છે અને તેઓ જમીન પર ઉતરીને ઓપરેશનને અંજામ આપતા નથી. તેમની માંગણી હતી કે, આ રીતે ભયાનક બોમ્બમારો કરી પેલી હવેલી સાફ કરી નાંખવી. ગણતરીઓ માંડવામાં આવી તો ખ્યાલ આવ્યો કે, ૨૦૦૦ પાઉન્ડ વજનનો એક એવા ૩૨ બોમ્બ જો ફેંકવામાં આવે તો તે હવેલી સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ શકે. આટલા બોમ્બ ફેંકાય તો જ હવેલીના ભોંયરા સુધી તેની અસર પહોંચી શકે. પછી બધાને ખ્યાલ આવ્યો કે આટલો દારૂગોળો જો એક સ્થળે ફેંકવામાં આવે તો તેના થકી આખો વિસ્તાર એવી રીતે ધણધણી ઉઠે જાણે કોઇ પ્રચંડ ભૂકંપ આવ્યો હોય. આવડો હોબાળો કરવાનું અમેરિકાને પરવડે નહિં. આવા હૂમલાનો એક બીજો ગેરફાયદો એ પણ હતો કે તેમાં લાદેન હણાયો છે કે કેમ અથવા તો જેટલા મર્યા છે તેમાં લાદેન હતો કે નહિં તેના પુરાવાઓ કદી મળે નહિં. ઓબામાએ થોડું મનોમંથન કર્યુ અને બેઠકનો અંત કરતાં તેમણે મેકરેવનને સીલ કમાન્ડોના હવાઇ હૂમલાની તૈયારીઓ તથા રિહર્સલ કરવા માટે સૂચના આપી દીધી.

(બીજો અને અંતિમ ભાગ વાંચો હવે પછી...)

*બે ભાગની મારી આ લેખમાળા 
સૌરાષ્ટ્રનાં દૈનિક "અકિલા"માં પ્રકાશિત થઇ હતી. 

12 comments:

  1. Dear Kinnarbhai,

    Very detailed and informative article. Hats off sir. very well presented.

    Mitesh Pathak

    ReplyDelete
  2. sir i watched discovery's show for this, but comparison between them & us, u gave is really good.i agree after indira gandhi we didnt get a PM who is concerned for army & intelligence

    ReplyDelete
  3. aama fakra pado to aur moj aave :)

    ReplyDelete
  4. Truely amazing, Your description is too good.

    Sadly we do not have and can't assume in near future any politician concerned with security and safety of the country as a whole and well being of people in general.

    There is no system in politics but there is obviously a politics in our system.

    ReplyDelete
  5. આ હું ગઈ કાલે જ વાંચી ગયો છું, આ ઘટના અંગે અનેક ચેનલો ઉપર અનેક વખત વિગતવાર માહિતી આવી ગઈ છે પણ અહીં એક નવો જ દ્રષ્ટિકોણ છે, કટાક્ષ છે, પીડા છે અને કંઇક અંશે ૧૨૫ કરોડ લોકોની હતાશાનો પડઘો! આ બધા કોક્ટેઇલને લીધે વાંચન તો રસપ્રદ રહ્યું જ ને સાથે સાથે સમજવામાં પણ સહેલું રહ્યું, Kinner Aacharya ને અભિનંદન!

    ReplyDelete
  6. why United States is SUPER POWER and what iis our nation...
    nothing with the comparison with us leave US we are not as like as.
    in our nation we ppl are justifying the terrorist or a gangster in outr film also(ie Once upon time in Mumbai or Vastaav).
    ppl of our nation never stand with police.(IE sohrabuddin is certified gangster but our politician and judiciary justifying the encounter of Sohrabuddin )and just see the repeat telecast of aap ki adalat on india tv with Salman Khurshid who is justifying the kasab and the afzal guru why not committed to Death.

    ReplyDelete
  7. ખુબ સરસ લેખ,મજા આવી ગઈ,કિન્નર આચાર્ય સાહેબને ધન્યવાદ
    મારા વિચારો ટૂંકમાં:
    ૧.વાર્તાના મુખ્ય વિષય સાથે આપે ભારતની વર્તમાન પરિસ્થિતિને બહુ સરસ રીતે વણી લીધી છે!
    ૨.CIA અને સેના ,તથા પ્રમુખ પદના બે દાવેદારો વચ્ચે મતભેદો હોવા છતાં રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દે તેઓ એક થઇ શકે છે,કોઈ બાંધછોડ ચાલતી નથી ત્યારે ભારતમાં બાટલા હાઉસમાં જઈને મોહનચંદ શર્મા આતંકીઓને ભડાકે દે તો ય એમની ઉપર રાજકારણ રમાય છે,ઓસામાનો ખાત્મો થાય તો ય અહીં એને ઓસમાંજી કહેનારા નમૂનાઓ પડ્યા છે અને મીડિયા એવા નમૂનાઓની નોંધ લેવાની કોઈ તક ચૂકતું નથી!
    ૩.પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ તથા,ઇઝરાયેલના ઘણા જાસુસી પરાક્રમો વાંચ્યા છે ,ઘણા દિવસે એવા દિલધડક ઓપરેશન વિષે વાંચવા મળ્યું,ધન્યવાદ અને લેખમાળાના બીજા અંકની ઇંતેજારી રહેશે.

    ReplyDelete
  8. Superb article..really informative its. enjoyed n ashmed on ours system too. One thing i want to tell that our RAW was working very amazingly bt morarji desai cut them wings and then after they r in poor situation. Govt. must expense more on spy activities i think cause after all its matter of our country. now waiting for another part...

    ReplyDelete
  9. કીન્ન્રરભાઈ ખુબ ખુબ અભિનંદન!મૂળ વાત તમારા લેખમાં દેશદાઝ સતત ટપકે છે તે છે!ઘણા વામણા કટારલેખકો નિષ્ફળ નીવડ્યા છે આ વાતમાં.આવા જ સાહસ ના,હિમ્મતના,દેશભક્તિના,મુશ્કેલ કાર્યના વધુ લેખો આપવા નમ્ર+આગ્રહભરી વિનંતી!

    ReplyDelete
  10. kinnar bhai where is the other part?

    ReplyDelete