Monday, February 27, 2012

ભારતીય સિનેમાની ટોપ-ટેન ફિલ્મો: બગીચામાંથી અમે ચૂંટ્યા સૌથી સુંદર ફૂલ... !!



બે પ્રકરણની આ લેખમાળાના પ્રથમ પ્રકરણમાં આપણે વીસથી અગિયાર નંબરની ફિલ્મો વિશે વાત કરી, આ પ્રકરણમાં વાત કરીએ ટોપ-ટેન ફિલ્મો અંગે... 


લગભગ ૯૬ વર્ષનો ઇતિહાસ ભારતીય સિનેમાનો. આ દસ દાયકા દરમિયાન ચિત્રપટ ઉદ્યોગે અનેક ધૂપછાંવ નિહાળ્યા. કંઇ કેટલાંય સર્જકો આવ્યાં અને ગયા. કંઇ કેટલીય ફિલ્મો બની. હજ્જારોની સંખ્યામાં. હિન્દી સિનેમા,બંગાળી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ અને તેનાં જેવી વિવિધ ભાષાઓમાં હજારો ફિલ્મોનું નિર્માણ થયું. કોઇ તમનેએમ કહે કે આ હજારો ફિલ્મનાં ઢગલામાંથી સર્વશ્રેષ્ઠ ગણાય એવી વીસ ફિલ્મોનાં નામ કહો. તમારી શી હાલતથાય? બહુ કપરૂં કામ છે. ફુલોનાં એક બગીચામાંથી સૌથી સુંદર વીસ ફુલો શોધવા જેવું જ. પરંતુ આવું કપરૂં કાર્ય હમણાં હાથ ધરવામાં આવ્યું હતું.



ગોવામાં યોજાયેલા ચાલીસમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં T-20 ઓફ ઇન્ડિયન સિનેમાની યાદી જાહેર કરાઇ.આ યાદીમાં ભારતીય સિનેમા (હિન્દી જ નહીં)ની વીસ શ્રેષ્ઠતમ્ ફિલ્મો પસંદ કરવામાં આવી. આ માટે સૌપ્રથમ ૧૦૦ભારતીય ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. જેમાંથી વીસ ફિલ્મો સિલેક્ટ કરવાની જવાબદારી સોંપાઇ કેટલાંકખ્યાતનામ ફિલ્મ સર્જકો તથા વિખ્યાત વિવેચકોને. ફિલ્મ સર્જકોમાં વિશાલ ભારદ્વાજ, નાગેશ કુકુનર, મધુર ભંડારકરજેવાં નિર્દેશકો સાથે બંગાળીના ઙ્ગતુપર્ણો ઘોષ, તમિળના ચેરન, મલયાલમના શ્યામાપ્રસાદ, કન્નડના પી. શેષાદ્રી,અસમીયાના મંજુ બોરા, મરાઠીના ગજેન્દ્ર આહીરે તથા રાહુલ ધોળકીયા જેવાં ચહેરાઓ હતા જ્યારે વિવેચકોમાંકોચીનનાં એન.સી. રાજા નારાયણન, બેંગલોરના રાઘવેન્દ્ર, ગોવાનાં રાજુ નાઇક, દિલ્હીના સૈબલ ચેટરજી, મુંબઇનાઅનૂપમા ચોપરા તથા અશોક રાણે, કલકત્તાના સ્વપન મલ્લીક જેવાં જાણકાર લોકો હતાં.


‘T-20 ઓફ ઇન્ડિયન સિનેમા’ નક્કી કરવા માટે બોક્સ ઓફિસ કલેકશનને બિલકુલ મહત્વ અપાયું નથી. આખી યાદી૧૦૦ ફિલ્મોની હતી. જેમાં બિમલ રોયની ‘દેવદાસ’થી લઇ છેક ‘લગે રહો મુન્નાભાઇ’ સુધીની ફિલ્મો સામેલ હતી.સ્વાભાવિક છે કે આવી યાદી વિશે લોકોમાં એકમત ન જ હોય. કોઇ કહે કે મુન્નાભાઇ તો આ યાદીમાં હોવું જ જોઇએ ને!તો કોઇ વળી કહે કે ‘ઓમકારા’ વગર યાદી અધુરી ગણાય. આ બધાં અભિપ્રાયો વચ્ચે પણ T-20ની આ યાદી એટલીતટસ્થ અને મજબૂત બની છે કે તેનાં તરફ કોઇ ભાગ્યે જ આંગળી ચીંધશે. T-20ની આ યાદી ફિલ્મ રસિકોને ફરી એકવખત યાદ અપાવે છે કે ભારતીય સિનેમા એટલે માત્ર હિન્દી ફિલ્મો જ નહીં! તેમાં બીજું ઘણું બધું આવી જાય છે.  બે પ્રકરણની આ લેખમાળાના પ્રથમ પ્રકરણમાં આપણે વીસથી અગિયાર નંબરની ફિલ્મો વિશે વાત કરી, આ પ્રકરણમાં વાત કરીએ ટોપ-ટેન ફિલ્મો અંગે...  









૧૦
ઘટશ્રાદ્ધ (કન્નડ)
નિર્દેશનઃ ગિરિશ કસરાવલ્લી
કલાકારોઃ અજિત કુમાર, મીના કુટ્ટપ્પા, રામાસ્વામિ અયંગર


૧૯૭૩માં બનેલી ‘ઘટશ્રાદ્ધ’ એક કુરિવાજ પર બનેલી સંવેદનાસભર ફિલ્મ છે. યુ.આર. અનંતમૂર્તિની નવલકથા પરથી બનેલી ‘ઘટશ્રાદ્ધ’માં કર્ણાટકના એક સાવ નાનકડા ગામડાનાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારની વાત છે. ૧૯૨૦ આસપાસનો કાળખંડ દર્શાવતી ‘ઘટશ્રાદ્ધ’ની કથા અનોખી છે. એક બ્રાહ્મણ પિતાની પુત્રી તેમાં બાળ વિધવા થઇ હોય છે. એ પિતાના ઘેર રહે છે. પિતા એક શાળા ચલાવે છે જેમાં અનેક છોકરાંઓ ભણવા આવે છે. પેલી છોકરી પછી શાળાનાં જ એક શિક્ષકના પ્રેમમાં પડે છે અને કાચી વયે જ ગર્ભવતી બને છે. એ જાતે જ પોતાનો ગર્ભપાત કરવાનો અને ત્યાર પછી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ગામડાંના રિવાજ મુજબ તેનાં પિતા તેનું ‘ઘાટશ્રાદ્ધ’ કરે છે. અર્થાત્ તેનો ગામનિકાલ કરે છે. ‘ઘટશ્રાદ્ધ’ એક નિતાંત સંવેદનાસભર ફિલ્મ છે. માત્ર કન્નડ સિનેમા નહીં, ભારતીય સિનેમાના તમામ પંડિતોએ તેની નોંધ લીધી છે.






મધર ઇન્ડિયાઃ
નિર્દેશનઃ મહેબૂબ ખાન
કલાકારોઃ નરગિસ, રાજ કુમાર, સુનિલ દત્ત, રાજેન્દ્ર કુમાર

પરિવારને આર્થિક અને બીજા અનેક સંકટોમાંથી ઉગારતી એક માતાના સંઘર્ષની હૃદયસ્પર્શી દાસ્તાન. ઉત્તમ સંગીત, શ્રેષ્ઠતમ્ નિર્દેશન અને નરગિસનો મજબૂત અભિનય. અને અફલાતૂન સ્ક્રિપ્ટ.
ગરીબીની યાતના જીરવતી એક વિધવા માતા પેટે પાટા બાંધીને પોતાનાં બે સંતાનોને ઉછેરે છે. અને પોતાનાં સિદ્ધાંતો ખાતર એક એવું બલિદાન આપે છે જેની કલ્પના પણ સામાન્ય સ્ત્રી ન કરી શકે. ‘મધર ઇન્ડિયા’ એવી ફિલ્મ છે જેણે નરગિસને એક આગવી ઓળખ આપી, મહેબૂબ ખાનની સર્જનાત્મકતાને તેણે નવી ઉંચાઇએ પહોંચાડી.






ગર્મ હવા (ઉર્દુ)
નિર્દેશનઃ એમ.એસ. સથ્યું 
કલાકારોઃ બલરાજ સાહની, દિનાનાથ ઝુત્શી, ગીતા સિદ્ધાર્થ, 
શૌકત કૈફી, ફારૂક શેખ, જલાલ આગા

ભાગલા સમયે સર્જાયેલી પરિસ્થિતિ પર ભારતમાં અનેક ફિલ્મો બની છે. લાખો પરિવારો મુંઝવણમાં હતાઃ મુસ્લિમ પરિવારો સામે યક્ષપ્રશ્ન હતો કે પાકિસ્તાનમાં જવું કે ભારતમાં રહેવું? આગ્રાનાં એક મુસ્લિમ પરિવારની આવી જ મનોદશાનું ‘ગર્મ હવા’માં અદ્ભુત નિરૂપણ થયું છે.
ઇપ્ટાના સ્ટેજ ડિરેક્ટર સથ્પુની આ પ્રથમ ફિલ્મ હતી. ભાગલા સમયના આગ્રાનું તેમણે તેમાં આબેહૂબ ચિત્રણ કર્યુ છે. ૧૯૭૩માં રિલીઝ થયેલી ‘ગર્મ હવા’માં બલરાજ સાહની છેલ્લી વખત કોઇ મહત્વના પાત્રમાં દેખાયા હતા. ફિલ્મમાં અન્ય કલાકારોનો અભિનય તો સારો છે જ પણ બલરાજ સાહની અહીં પાત્ર જીવી ગયા છે.






ભુવન શોમ  (બંગાળી)
નિર્દેશનઃ મૃણાલ સેન
કલાકારોઃ ઉત્પલ દત્ત, સુહાસિની મૂળે, સાધુ મેહર, શેખર ચેટરજી


‘સ્મોલ ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશન’ દ્વારા નિર્મિત આ ફિલ્મથી મૃણાલ સેનની પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ હતી. ઘણાં લોકો તેને ભારતીય સિનેમાના નવા યુગની શરૂઆત પણ માને છે. બહુ ઓછા લોકોને ખબર છે કે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ સૌરાષ્ટ્રમાં, ભાવનગર પાસે થયું હતું.
સ્વાતંત્ર્યના શરૂઆતમાં વર્ષાની પૃષ્ઠભૂમિ ધરાવતી ‘ભુવન શોમ’ એક વ્યંગાત્મક ફિલ્મ છે. ફિલ્મનું મુખ્ય પાત્ર એવાં એક રેલવે અધિકારી એક ટિકિટ કલેકટરને ગેરરીતિ કરતો પકડે છે અને તેને નોકરીમાંથી કાઢી મુકે છે. આ ઘટના પછી એ રજાઓ માણવા ગુજરાત આવે છે. અહીં સૌરાષ્ટ્રમાં તેની મુલાકાત એક ગામડીયણ સ્ત્રી સાથે થાય છે. બને છે એવું કે એ સ્ત્રી પેલા ટિકિટ કલેકટરની પત્ની હોય છે. રેલવે અધિકારીને એ સ્ત્રી સાથે ખૂબ વાતો કરવાનું બને છે. અને જ્યારે પાછો ફરે છે ત્યારે જીવન પ્રત્યેનો તેનો અભિગમ, તેની દ્રષ્ટિ બદલાઇ ગયા હોય છે. તક મળે તો અવશ્ય જોવા જેવી ફિલ્મ.






પ્યાસાઃ
નિર્દેશનઃ ગુરૂ દત્ત
કલાકારોઃ ગુરૂ દત્ત, વહીદા રેહમાન, માલા સિન્હા, રેહમાન




દિલીપ કુમારની ‘દેવદાસ’ના કારણે જેમ ઘણાં લોકો ડિપ્રેશનનો શિકાર થયા હતા એવી જ રીતે ‘પ્યાસા’એ નિષ્ફળ ગયેલા સર્જકો પર ઘેરી અસર છોડી હતી. ‘પ્યાસા’માં ગુરૂ દત્તએ જે સિનેમેટિક કમાલ કરી છે એ એવા દરજ્જાની હતી કે એ પછી એમની નકલ પણ કોઇ કરી શક્યું નથી. ગુરૂ દત્તની ફિલ્મમાં પાત્રોએ ચહેરા પર હાવભાવ લાવવાનું, આંખોથી અભિનય કરવાનું ફરજીયાત બની જતું. કારણ કે, કલોઝઅપના તેઓ આગ્રહી હતા. એમનું ફિલ્મ મેકિંગ એમનું આગવું, વિરલ અને વિશિષ્ટ રહેતું.
શરદબાબુની નવલકથા ‘શ્રીકાંત’ પરથી બનેલી ‘પ્યાસા’ એક નિષ્ફળ શાયરની કહાની છે. દુનિયા એના સર્જનને સમજી શકતી નથી. પ્રેમિકા એક પબ્લિશરને પરણી ગઇ હોય છે. નાયક પછી હતાશામાં સડકો પર દિવસો વિતાવતો હોય છે જ્યાં તેની મુલાકાત એક વેશ્યા સાથે થાય છે. અને તેનું જીવન પલટાઇ જાય છે. ‘પ્યાસા’નું સંગીત એ તેનું અન્ય એક જમાપાસું હતું.






દો બીઘા ઝમીનઃ
નિર્દેશનઃ બિમલ રોય
કલાકારોઃ બલરાજ સાહની, નિરૂપા રોય, મુરાદ, 
જગદીપ, નાના પાલ્સીકર

બિમલદાની આ ફિલ્મને ‘રિયલિસ્ટિક સિનેમા’નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયો પરંતુ સમાજને કોરી ખાતી ઉધઇઓ અને સોસાયટી પર ચડી બેઠેલા ડાયનોસોરથી મુક્ત નથી થયો. ભારતના લોકો જ્યારે અંગ્રેજો સામે આઝાદી માટે લડી રહ્યાં હતાં ત્યારે એમણે સ્વતંત્ર ભારત વિશે અનેક રંગીન કલ્પનાઓ કરી હતી. કોઇ કાચા કુંવારા યુવકયુવતિ લગ્ન વિશે જેવી કલ્પનાઓ કરે છે એવી જ કંઇક. પણ ભારત આઝાદ થયું અને ઘણાં લોકોના મોહભંગ થઇ ગયો. યે વોહ સુબહ તો નહીં! ચોમેર અવ્યવસ્થા, ગરીબી, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને નિષ્ફળ લોકશાહી... આવી જ સામાજીક વેદનાઓમાંથી સ્વાતંત્ર્યના પ્રથમ વીસ વર્ષમાં અનેક ફિલ્મો સર્જાઇ. ‘દો બીઘા ઝમીન’ આવી જ એક ફિલ્મ.
જમીનદાર અને વ્યાજખોરોની લાલચનો શિકાર બનતો એક નાનો ખેડૂત, તેનાં કારણે નર્ક થઇ જતી તેની જિંદગી, શહેરમાં કાળી મજુરી કરવાની મજબૂરી... આ ફિલ્મ કરૂણ છે પરંતુ વાસ્તવિક છે. બલરાજ સાહનીએ એકલા હાથે ફિલ્મ ઉંચકી લીધી છે એવું કહીએ તો એ બિલકુલ અતિશયોકિત નહીં ગણાય.




શોલેઃ
નિર્દેશનઃ રમેશ સિપ્પી
કલાકારોઃ સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ, અમજદ ખાન, 
જયા ભાદુરી, હેમા માલિની


અસ્સલ બોલીવુડ મસ્સાલા ફિલ્મ. એક જ ફિલ્મમાં શું-શું નથી! દર્દ, બદલો, એકશન, કોમેડી, સંગીત, પ્રેમ... પણ ભેળ એવી બની છે કે કોઇ જ તત્વ તમને વધુ ન લાગે, ન કંઇ ઓછું લાગે. પાત્રાલેખન એવાં કે ઠાકુર, ગબ્બર, જયવીરૂ, સુરમા ભોપાલી તથા અંગ્રેજના જમાનાનાં જેલર અને બસંતી આજે પણ ભૂલાયા નથી. ગબ્બરના ચમચા એવા સામ્ભા અને કાલિયા પણ હજુ લોકોને યાદ છે. સિનેમેટોગ્રાફી અદ્ભુત, સ્ક્રિપ્ટ એકદમ ટાઇટ અને એકટર્સના પરફોરમન્સ આલા દરજ્જાનાં.
‘શોલે’ને એક ફિલ્મ જ નહીં, ઘટના પણ કહેવી પડે. એક એવી ઘટના કે જેણે હિન્દી સિનેમા પર ઘેરો પ્રભાવ પાડ્યો. ‘શોલે’ના કારણે એક આખી પેઢી ફિલ્મ જોતી થઇ અને એક આખી પેઢીમાં તેણે સિનેમા પ્રત્યે આકર્ષણ પેદા કર્યુ.






પથેર પાંચાલી (બંગાળી)
નિર્દેશનઃ સત્યજીત રે
કલાકારોઃ કનુ બેનરજી, કરૂણા બેનરજી, ઉમા દાસગુપ્તા


બિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા પરથી બનેલી, ‘અપુ ટ્રાયોલોજી’ની પ્રથમ ફિલ્મ. અપુ નામનો એક બાળક બંગાળના એક નાનકડા ગામડામાં રહહ છે. પરિવાર ગરીબ છે પણ ભાઇબહેન ગેલગમ્મતામાં જીવન વિતાવે છે. એમની નિર્દોષ વાતો, નિર્ભેળ આનંદ, ગ્રામીણ ભારતનું સૌંદર્ય... બધું જ ફિલ્મમાં સુંદર રીતે કંડારવામાં આવ્યું છે. આ ફિલ્મ થકી ભારતીય સિનેમાને આખા વિશ્વમાં ઓળખ મળી.




ચારૂલતા (બંગાળી)
નિર્દેશનઃ સત્યજીત રે
કલાકારોઃ સૌમિત્ર ચેટરજી, માધબી ચેટરજી, સૈલન મુખરજી


અનેક અદ્ભુત ફિલ્મો બનાવનારા સત્યજીત રેને અંગત રીતે ચારૂલતા સૌથી પ્રિય હતી. રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નોરતો નીર’ પરથી બનેલી ‘ચારૂલતા’ ઓગણીસમીન સદીમાં બંગાળમાં ચાલેલી રિફોર્મ મૂવમેન્ટ પર આધારીત છે. એકલતા, વ્યથા, જુલ્મ અને ન્યાયની વાત કરતી આ ફિલ્મમાં રે બાબુનો સિનેમેટિક ચમત્કાર ઉંચાઇએ પહોંચ્યો છે. તેમની સિનેમા સૂઝ અહીં પુરબહારમાં ખીલી ઉઠી છે.




મેઘે ઢાકા તારા (બંગાળી)
નિર્દેશનઃ ઋત્વિક ઘટક
કલાકારોઃ સુપ્રિયા ચૌધરી, અનિલ ચેટરજી,
 બિજોન ભટ્ટાચાર્ય, ગીતા ડે


ઋત્વિક ઘટકને ઘણાં લોકો સત્યજીત રે કરતાં પણ મહાન ફિલ્મ સર્જક માને છે. ‘મેઘે ઢાકા તારા’ નિશંકપણે તેમનું શ્રેષ્ઠતમ્ સર્જન છે. ‘મેઘે ઢાકા તારા’ એટલે વાદળથી ઢંકાયેલો ચંદ્રમા. અહીં એક પરિવારની એવી પુત્રીની વાત છે જે પોતાના કુટુંબ માટે પોતાની જાત નીચોવી નાંખે છે અને બદલામાં તેને મળે છે જીવલેણ બિમારી. પોતાનાં ભાઇનો કેરિયર બનાવવા, બહેનને આગળ વધારવા અને પરિવારનું ગાડું ગબડાવવા એ તનતોડ મહેનત કરે છે, પોતાનાં તમામ નાનામોટા સુખનું બલિદાન આપે છે. તેનાં પોતાનાં હિસ્સાનું બધું જ એ પરિવારને આપી દે છે. પોતે જેને પ્રેમ કરતી હોય છે એને જ તેની નાની બહેન પણ પ્રેમ કરે છે. અહીં પણ એ જ ત્યાગ કરે છે અને છેવટે તેને ટી.બી. લાગુ પડે છે. સિનેટોરિયમાં દાખલ નાયિકા સબડતી હોય છે. તેની વર્ષોની મહેનત થકી તેનો ભાઇ સંગીતના ક્ષેત્રમાં જામી જાય છે અને નાની બહેનને ત્યાં પુત્રજન્મ થાય છે. પરિવારનાં દુઃખના દહાડા વિતી જાય છે ત્યારે નાયિકા પાસે ઝાઝા શ્વાસ બચ્યા નથી હોતા. સિનેટોરિયમના બિછાને એ ચીલ્લાઇ ઉઠે છે અને કહે છે કે ‘મારે હજુ જીવવું છે!’




*"અકિલા"માં પ્રકાશિત 

3 comments:

  1. આ લીસ્ટ ની ઘણી ફિલ્મ જોયેલ છે અને ઘણી બાકી છે, જે તરત જોવાના લીસ્ટ માં આવી ગઈ છે..ઓસ્કાર ની ફિલ્મો ની સાથે - અટલ.
    આભાર અંગુલી-નિર્દેશ માટે.

    ReplyDelete
  2. સાવ સાચી વાત છે.દરેક માણસની પસંદગીમા વિવિધતા હોય..પણ અહી ક્રમાંકિત ફિલ્મોને યથાસ્થાને બહુ જ કાળજીપુર્વક મુકી છે..સરસ કિન્નરભાઈ

    ReplyDelete
  3. 'શોલે' અને 'મધર ઇન્ડિયા' સિવાય મારા માટે બધું નવું, આ વાંચીને મને મારી ફિલ્મી અજ્ઞાનતાનો ખ્યાલ આવ્યો. કાશ ફિલ્મી ચેનલો પર આવી ફિલ્મો પણ જોવા મળે તો સાસુ વહુ અને સસરા જમાઈની સીરીયલો જોવાતી ઓછી થાય.

    ReplyDelete