Thursday, May 2, 2013

ગુજરાત ક્વિઝ - PART -2: શનિનું જન્મસ્થાન કયું? સોમનાથ ઉપરાંત બીજું કયું જ્યોતિર્લિંગ આપણે ત્યાં છે?



ગુજરાતમાં પણ એવી માન્યતા છે કે ગુજરાત એટલે સોમનાથ, દ્વારકા અને સાપુતારા જ. ગુજરાતીઓ વિશ્વપ્રવાસી ગણાય છે. પરંતુ તેમાંના મોટાભાગના લોકોએ ગુજરાત જ સંપૂર્ણપણે જોયું નથી હોતું. ગુજરાત એટલે માત્ર ધર્મસ્થાનોની ધરતી એવી ઘણાની માન્યતા પ્રવર્તે છે. ખાસ કરીને બિનનિવાસી ગુજરાતીઓ અહીં આવે ત્યારે રાજ્યમાં ક્યાં ફરવું એની પણ દ્વિઘા હોય છે. ગુજરાતની સ્થાનિક પ્રજાને પણ બેચાર દિવસની રજા ગાળવા ક્યાં જવું તે સમસ્યા હોય છે. એટલે જ આ ક્વિઝ  દ્વારા એક અનોખા ગુજરાતનો પરિચય આપવાની ઈચ્છા છે ... ગુજરાત ક્વિઝને અપેક્ષા કરતા વધુ સારો રિસ્પોન્સ મળ્યો છે. સુખદ આશ્ચર્ય એ વાતનું કે, મને જે જવાબો ઈ-મેઈલ દ્વારા મળ્યા છે તેમાંથી ઘણા લોકોના નેવું ટકા જેટલા જવાબ સાચા છે! ગઈકાલે પ્રથમ ભાગમાં અહીં મેં પચ્ચીસ પ્રશ્નો મુક્યા હતા, આજે વધુ 28 સવાલો મૂકી રહ્યો છું. આ ક્વિઝમાં જે પ્રશ્નો છે તેનો જવાબ તમે મને મારા મેઈલ id પર મોકલી શકો છો - જેમના સૌથી વધુ જવાબો સાચા હશે તેવા દસ વાચકોને ઘેરબેઠા ઇનામ પહોંચાડવાની જવાબદારી મારી ....  kinner1@gmail.com


26)   સાબરકાંઠા જંગલ ગુજરાતનો છુપો ખજાનો ગણાય. 
અહીં ગાઢ જંગલની મધ્યે આવેલાં છે મંદિરો. 
એક જ કેમ્પસમાં આવેલાં મંદિરમાંથી જૈન મંદિર હજુ ઘણાં અંશે સુરક્ષિત છે. 
આ તમામ મંદિરો કમસે કમ એક હજાર વર્ષ જૂનાં છે. 
જિલ્લાના વિજયનગર તાલુકામાં છે સારણેશ્વર નામનું શિવાલય. 
તેનો ઘણો ભાગ જમીનદોસ્ત થઇ ગયો હોવા છતાં આવી જિર્ણ હાલતમાં 
પણ એ ભવ્ય લાગે છે. અહીંથી વિરેશ્વર મહાદેવ તો જવું જ રહ્યું.
જંગલ મધ્યે, હરિયાળા ડુંગરની ગોદમાં આવેલાં આ દેવાલયનો 
જિર્ણોદ્ધાર હજુ હમણાં જ થયો છે. અહીંયા પહાડોમાંથી 
જળધારા નિત્ય વહેતી રહે છે. વિજયનગર વિસ્તારમાં જ્યાં જુઓ 
ત્યાં સુંદર કુદરતી દ્રશ્યો દેખાય છે. અને આદિવાસી સંસ્કૃતિ પણ ખરી. 
સવાલ એ છે કે, આ બધા સ્થળો જ્યાં આવેલા છે એ સુંદર જંગલનું નામ શું?






27)   સાબરકાંઠાનું ગામ ગુજરાતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બ્રહ્માજીનું 
મંદિર આવેલું છે. ભારતમાં બ્રહ્માજીનું મંદિર અહીં ઉપરાંત માત્ર રાજસ્થાનના 
પુષ્કરમાં જ છે. કહેવાય છે કે કોપાયમાન થયેલાં બ્રહ્માજીને મનાવવા અહીં 
ભૃગુઋષ્એ તપ કર્યુ હતું. બ્રહ્માજીનું મંદિર હોવાના કારણે જ ગુજરાતનાં 
ધર્મસ્થાનોનાં નકશામાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે. ગામનું નામ?

28)    સાબરકાંઠાને આપણે મંદિરોનો જિલ્લો પણ કહી શકીએ. સાબરકાંઠામાં આવેલાં કેટલાંક મંદિરોની ગણના ગુજરાતનાં સૌથી જૂના મંદિરોમાં થાય છે. હિમ્મતનગરથી 18 કિલોમીટર દૂર આવેલાં સાવ ટચુકડા ગામ રોડા નજીક મળી આવેલાં પાંચેક મંદિરો છેક સાતમી અને આઠમી સદિમાં બંધાયા હતાં. નાનકડું મંદિર પક્ષીઓને સમર્પિત છે, તેમાં પક્ષીઓનાં શિલ્પ સિવાય કોઇ જ મૂર્તિ નથી. સાબરકાંઠાના ધર્મસ્થાનોમાં સૌથી જાણીતું છે શામળાજી. દંતકથા મુજબ સદિઓ પહેલાં કોઇને આ મૂર્તિ જમીનનાં ખોદકામ દરમિયાન મળી આવી હતી. મૂર્તિનો રંગ શ્યામ હોવાનાં કારણે તેનું નામ પડયું શામળાજી. વર્ષો સુધી મૂર્તિ નાનાં એવાં મંદિરમાં રહી અને પછી ઇડરના શાસકોએ નવું બાંધકામ કરાવ્યું. થોડાં વર્ષો પહેલાં ફરી એક વખત તેનો જીર્ણોદ્ધાર થયો છે. શામળાજી મંદિરનું બાંધકામ આકર્ષક છે. તેનાં પર કંડારાયેલા શિલ્પો રામાયણ-મહાભારત તથા દેવો-ગાંધર્વોની અનેક કથા કહે છે. ઇતિહાસમાં શામળાજી મંદિરના ખાસ ઉલ્લેખ મળતાં નથી પરંતુ નિષ્ણાંતો માને છે કે આ મંદિરની સ્થાપના લગભગ ચારસો વર્ષ પહેલાં થઇ હતી. શામળાજી મંદિર ક્યા ભગવાનને સમર્પિત છે?

29)   બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની પુજા થતી નથી પરંતુ વીસાયંત્રની પુજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે. અંબાજી મંદિરમાં તાંત્રોક્ત અને શાત્રોક્ત રીતે યંત્રની પુજા થાય છે. કહેવાય છે કે આ યંત્ર કલ્પવૃક્ષ સમાન છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે માતાજીનું યંત્ર જોવાનો, યંત્ર સ્થાનમાં નિહાળવાનો નિષેધ હોવાથી પુજારી પણ આંખે પાટા બાંધીને પુજા કરે છે. અંબાજી એક મહાતીર્થ છે. શ્વેત આરસપહાણમાંથી બનેલાં આ મંદિરનું સ્થાપત્ય ઉત્તમ કક્ષાનું છે. મંદિરો કે ધર્મસ્થાનો પાછળ થતા ખર્ચાઓ પર હંમેશા ચર્ચાઓ થતી રહી છે. પરંતુ એવી ચર્ચાઓમાં ઉતર્યા વગર માહિતીની વાત કરીએ તો આ મંદિર પર અત્યારે કુલ 358 સુવર્ણકળશો ચમકી રહ્યા છે. ભારતભરમાં અન્ય કોઇ જ શકિતપીઠમાં આટલાં સુવર્ણકળશ નથી. રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે. અહીંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર માતાજીનું પ્રાગટય સ્થાન હોવાની માન્યતા છે. અહીંની અખંડ જ્યોતનાં દર્શન માટે રોપ-વેની વ્યવસ્થા પણ છે. સમય હોય તો અંબાજીમાં વન વિભાગે બનાવેલો સુંદર પાર્ક એક વખત જોવા જેવો છે. અલગ-અલગ રંગની વનસ્પતિઓ થકી બનાવેલો  ૐ હોય કે પછી રાશિ આધારીત વૃક્ષો કે પછી અહીંથી દેખાતો પહાડોના દ્રશ્ય. અહીં પહોîચ્યા પછી ધક્કો વસૂલ થયાનો અહેસાસ થાય. અંબાજીને ગુજરાતનું સૌથી મોટું શક્તિતીર્થ કહેવાય છે. આમ જોઇએ તો એ ભારતભરનું કદાચ સૌથી મહત્વપૂર્ણ શક્તિતીર્થ છે કારણ કે ભારતમાં આવેલી એકાવન શકિતપીઠોમાં તેનું મહત્વ સૌથી વધુ છે કેમ કે આ સ્થળે દેવીસતીનાં શરીરનો ભાગ પડયો હતો. પુરાણો કહે છે કે પિતા દક્ષ રાજાને ત્યાં યજ્ઞ યોજાયાનાં સમાચાર સાંભળી પતિ શંકરનો વિરોધ હોવા છતાં દક્ષની પુત્રી સતીદેવી યજ્ઞ સ્થળે પહોંચી ગયા. પણ ત્યાં પિતાના મુખેથી પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યાગી દીધા. ભગવાન શંકરે સતીદેવીના નિષ્પ્રાણ દેહને જોઇ તાંડવ આદર્યુ અને સતીદેવીના દેહને ખભે નાંખી ત્રણેય લોકમાં ઘૂમવા લાગ્યાં. આખી સૃષ્ટિનો વિનાશ થઇ જશે એવાં ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડી સતીના દેહનાં ટુકડાં કરી નાંખ્યા. આવાં ટુકડાઓ અને સતીનાં આભૂષણો પૃથ્વી પર એકાવન જગ્યાએ પડયા અને આ એકાવન સ્થળો શકિતપીઠ ગણાય છે. અંબાજીમાં પણ  સતીનાં શરીરનો એક ભાગ પડયો હતો. પ્રશ્ન: દેવી સતીના શરીરનું ક્યુ અંગ અહી પડ્યું હતું?

30)    બનાસકાંઠા જિલ્લો પ્રવાસનનાં અનેક આકર્ષણોથી સભર છે. 542 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં બાલારામ-અંબાજી અભયારણ્યમાં મૂલ્યવાન ઔષધિય વૃક્ષો પણ છે અને રીંછ, દિપડા, ઝરખ, નિલગાય જેવાં વન્યજીવો પણ ખરા. અભયારણ્યનું આ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન્ય જીવનની સમજણ આપે છે. અભયારણ્યનું નામ જેનાં પરથી રખાયું છે એ બાલારામ મંદિર ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. મંદિરના શિવલિંગ પર પહાડોમાંથી નીકળતાં જડ વડે નિત્ય અભિષેક થતો રહે છે. બાલારામ મહાદેવની આસપાસનું સૌîદર્ય શ્રાવણ આસપાસ જોવા જેવું હોય છે. મંદિરથી બિલકુલ સામે છે સુવિખ્યાત પેલેસ. ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ. અહીં રજવાડી નવાબી સ્યૂટ પણ છે. અને સુંદર કોટેજની વ્યવસ્થા પણ ખરી. એ ઉત્તમ રીતે જળવાયેલી આકર્ષક પ્રોપર્ટી છે. આ સ્થળે અનેક હિન્દી ફિલ્મોનું શૂટિંગ થઇ ચૂક્યું છે. આ મિલ્કત અગાઉ પાલનપુરનાં નવાબની માલિકીની હતી. પેલેસનું નામ?

31)    બાલારામથી લગભગ ચાલીસેક મિનીટના અંતર પર છે વધુ એક વન્ય પ્રાણી અભયારણ્ય. પણ અહીં સુધી પહોંચતા રસ્તામાં આદિવાસી સંસ્કૃતિથી ધબકતાં અનેક ગામડાંઓમાં જવાનું બને છે. ઇકબાલગઢ નામનું નાનકડું ગામ આદિવાસીઓ માટે ખરીદીનું મથક છે. અહીં તેમના ભાતીગળ ઘરેણાંઓથી લઇ દરેક પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. રંગબેરંગી વત્રોમાં સજ્જ અનેક અલગ-અલગ કોમની આદિવાસી સ્ત્રીઓને તમે અહીં હોંશભેર ખરીદી કરતી જોઇ શકો. ઇકબાલગઢને તમે આ અભયારણ્યનું પ્રવેશદ્વાર પણ ગણી શકો. 180 કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યને અપ્રતિમ સુંદરતા મળેલી છે. ચોતરફ પહાડો અને વચ્ચે આ જળરાશી. પ્રકૃત્તિ શિક્ષણ શિબિરમાં કલરવ કરતા બાળકો. ઇકો ટુરીઝમ માટેની ઉત્તમ સાઇટ. રોકાવા માટે અહીં વન વિભાગે અનેક વિકલ્પો રાખ્યાં છે. પ્રકૃત્તિ શિક્ષણ માટેની કેમ્પ સાઇટ છે અને પહાડોના ખોળામાં આવા કોટેજ પણ છે. મજા એ છે કે વન પરિભ્રમણ માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે. આ બધી વન કેડીઓ માટે તમે ગાઢ અને વણખેડાયેલા જંગલનો આનંદ ઉઠાવી શકો છો. ડુંગર પર આવેલા કેદારનાથ મંદિરનું આ વિસ્તારમાં ભારે મહત્વ છે. લગભગ સાતસો પગથીયા ચડયાં પછી અહીં પહોંચી શકાય છે. અહીંની સુંદરતા દંગ કરી નાંખે એવી છે. એકદમ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલા આ અભયારણ્યનું નામ?







32)    કચ્છની વાત નીકળે એટલે સૌપ્રથમ યાદ આવે કચ્છના દેશદેવી આશાપુરા માતાજી. કચ્છનું સૌથી મહત્વનું આસ્થા કેદ્ર. કહેવાય છે કે સમો બામની નામનાં રાજાએ ઘૂમલી જીત્યા પછી અહીં આશાપુરાની મૂર્તિની સ્થાપના કરી હતી.  દર વર્ષે યોજાતી માતાના મઢ સુધીની પદયાત્રાનું વિશેષ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પદયાત્રીઓ જ નજરે ચડે. જાણે આખો પંથક ભકિતરસમાં તરબોળ બની ગયો હોય એવાં ઞશ્યો જોવા મળે. આશાપુરાનું મંદિર જ્યાં આવેલું છે એ ગામનું નામ શું છે?

33)    માતાનાં મઢથી ફક્ત અઠ્ઠાવન કિલોમીટર દૂર આવેલું છે આ સુપ્રસિદ્ધ તીર્થ. હિન્દુ શાત્રોમાં જે પાંચ પવિત્ર સરોવરો ગણાવાયા છે તેમાં માન સરોવર, પંપા સરોવર અને પુષ્કર તથા બિંદુ સરોવરની સાથે આ  સરોવરની પણ ગણના થાય છે. દેશનાં અડસઠ મહાતીર્થોમાં પણ તેનું સ્થાન છે. ભાગવતના છઠ્ઠા સ્કંધમાં નારાયણ સરોવરનો વિશેષ મહિમા ગવાયો છે. પિતૃકાર્ય માટે જાણીતા આ તીર્થના કાંઠે કચ્છના વાઘેલા વંશના રાજ પરિવારે સાતેક મંદિરો બાંધ્યા હતાં. આ તમામ મંદિરો સરોવરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. સરોવરનું નામ?

34)    અહીંથી ફક્ત દસેક મિનીટના અંતરે આવેલા કોટેશ્વર મહાદેવનું મંદિર અનેક દ્રષ્ટિએ વિશિષ્ટ છે. ભારતમાં સૂર્યનું અંતિમ કિરણ દરરોજ આ મંદિર  પર પડે છે કારણ કે એ ભારતનું પશ્ચિમ દિશાનું છેલ્લું સ્થળ છે. અહીંથી બિલકુલ સામે કરાંચી છે. કોટશ્વરની નોંધ ચીની પ્રવાસી હયુ એન ચાંગે પણ લીધેલી છે. કહેવાય છે કે આ તીર્થ પુરાણોક્ત છે. એક રાક્ષસના તપથી પ્રસન્ન થઇ સ્વયં શિવએ તેમને અદ્ભૂત શિવલીંગ આપ્યું અને કહ્યું  કે આ લિંગ એ જ્યાં મુકશે ત્યાં તેની સ્થાપના થઇ જશે. રાક્ષસની શકિતથી ગભરાઇને દેવતાઓએ છળ કરી આ લિંગ અહીં મૂકાવ્યું. રાવણ જ્યારે પોતાનું શિવલીંગ લેવાં ગયો ત્યારે દેવતાઓની માયાને કારણે તેને કોટિ એટલે કે કરોડો શિવલિંગ દેખાયા. એ ખોટું શિવલિંગ લઇ જતો રહ્યો અને દેવતાઓએ અહીં અસલી શિવલિંગની સ્થાપના કરી. એ રાક્ષસ કોણ?

35)    નારાયણ સરોવર અને કોટેશ્વરનાં રસ્તા પરથી એક માર્ગ ફંટાય છે વન વિભાગનાં આ ઇકો ટુરિઝમ  સેન્ટર તરફ. પ્રકૃત્તિની ગોદમાં રહેવાનો આનંદ માણવો હોય તો અહીં આરામદાયક, સુઘડ હટસ બનાવવામાં આવી છે. અહીંથી સમુદ્રમાં સૂર્યાસ્ત જોવાનો લ્હાવો અનોખો છે. અહીંયા આવેલું ઇન્ટરપ્રિટેશન સેન્ટર જંગલ અને વન્ય જીવો વિશે સમજણ આપે છે. આવી સુવિધાઓ અહીં ઉભી કરવાનું કારણ એ કે નજીકમાં જ છે નારાયણ સરોવર વન્ય પ્રાણી અભયારણ્ય. અહીં લુપ્તપ્રાય થયેલો હેણોતરો અને બીજાં અનેક વન્યજીવોનું રહેઠાણ છે. નજીકમાં નલીયા પાસે આવેલા એક અનોખા અભયારણ્યમાં ભારતનું સૌથી મોટું પક્ષી જોવા મળે છે જેનું વજન 18 કિલો સુધી હોય છે. આ અભયારણ્યનું અને એ પક્ષીનું નામ શું?

36)    ભુજથી ફક્ત આઠ કિલોમીટર દૂર આવેલાં ભુજોડીમાં કચ્છની ધબકતી રસાળ સંસ્કૃતિનો પરિચય મળી જાય છે. અહીંનો હીરાલક્ષ્મી મેમોરીયલ ક્રાફ્ટ પાર્ક પણ એક દર્શનીય સ્થળ છે. આ પાર્ક કચ્છના હસ્તકલાના કારીગરો અને ગ્રાહક વચ્ચે માત્ર એક સેતૂનું કામ કરે છે. અહીં આખા કચ્છમાંથી કલાકારો આવે છે, ચીજવસ્તુઓ બનાવે છે અને તેનું વેચાણ કરે છે. વેચાણની સંપૂર્ણ રકમ કારીગરને ફાળે જાય છે. દરેક કલાકારને તક મળે એ માટે દર મહિને અલગ-અલગ કલાકારોને બોલાવાય છે. તેમની રહેવા-જમવાની સગવડ અને સ્ટાઇપન્ડની વ્યવસ્થા પણ પાર્ક દ્વારા થાય છે. અહીં તમને કચ્છની હસ્તકળાના ઉત્તમ નમૂના જોવા મળે છે. અનેક લોકકળાઓનાં પણ. આ પાર્ક કઈ કોર્પોરેટ કંપની દ્વારા નિર્માણ પામ્યો છે?


HIRALAXMI CRAFT PARK AT BHUJODI 



       
37)    ભાગલાં પછી કરાંચીના વિકલ્પરૂપે વિકસાવાયેલું કંડલા પોર્ટ ભારતનાં સર્વોત્તમ અને સૌથી મોટાં બંદરોમાં સ્થાન પામે છે. કચ્છ એટલે માત્ર લોક સંસ્કૃતિ નહીં પરંતુ સંસ્કૃતિ, સરસ્વતી અને લક્ષ્મીનો ત્રિવેણી સંગમ. ગાંધીધામ નજીક આવેલાં આદિપુરમાં ગાંધીજીની સમાધિ છે. માન્યતા એવી છે કે ગાંધીજીના અસ્થી દિલ્હીનાં રાજઘાટ પર જ પધરાવાયા હતાં પણ હકીકત એ છે કે આદિપુરનાં આ સ્થળે પણ તેમનાં અસ્થી પધરાવવામાં આવ્યા હતાં. ગાંધીધામની સ્થાપનામાં ગાંધીજીએ સીંધીઓને કરેલી મદદનું ઋણ એટલું હતું કે એક સિંધી અગ્રણી અહીં પોતાનાં માથા પર ઉંચકી ગાંધીજીના અસ્થી લાવ્યા હતાં. એ સ્વાતંત્ર્ય સેનાનીનું નામ?

38)    પોરબંદરથી ફક્ત 28 કિલોમીટરના અંતર પર છે જામનગર જિલ્લાનું  હાથલા. શનિ મહારાજનું જન્મસ્થાન. સૌરાષ્ટ્રમાં આવેલું હાથલાનું આ શનિધામ ભારતભરમાં સૌથી પ્રાચિન શનિસ્થળ છે. પનોતી દૂર કરવાં માટે આ સ્થળને ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠતમ્ માનવામાં આવે છે. મહારાષ્ટ્રનું શિગળાપુર કે રાજસ્થાનનું કર્પાસન શનિધામ બારમી સદી પછી અસ્તિત્વમાં આવ્યાં પરંતુ હાથલાનાં આ શનિધામની સ્થાપના સાતમી સદીમાં થઇ હોવાનાં પ્રમાણો મળે છે. સામાન્ય રીતે શનિનું વાહન કાગડો ગણાય છે પરંતુ કહેવાય છે કે મુદ્ગલ ઋષિ ભકિતથી શનિ મહારાજ અહીં અન્ય એક વાહન પર સ્વાર થઇ પધાર્યા હતાં અને તેથી સ્થળનું નામ પડયુઃ હસ્તિન સ્થલ. કાળક્રમે અપભ્રંશ થઇ તેનું નામ ‘હાથલા’ પડયું. આદિ ગ્રંથો કહે છે કે શનિ જ્યારે આ વાહન પર બિરાજમાન હોય ત્યારે સુખ-શાંતિ-બંધુત્વ-સંપત્તિ પ્રદાન કરે છે. આ વાહન કયું?

39)    સૌરાષ્ટ્રને કેટલાંક વિદ્વાનો શનિનો પ્રાંત ગણે છે. હાથલાની નજીક આવેલા બરડાના ડુંગરને શનિની ભૂમિ ગણવામાં આવે છે, તેમનું રહેઠાણ માનવામાં આવે છે. અહીં કાળી જમીન, કાળા પત્થર, કાળા પશુઓ તથા કાળા પંખીઓ અને કાળા વાળવાળા ત્રી-પુરૂષોનું વર્ચસ્વ છે. બરડાનો આ ડુંગર તેની ભિતર અનેક ધર્મસ્થાનો તથા પ્રાકૃત્તિક ખજાનાઓ છુપાવી અડિખમ ઉભો છે. અહીં જ આવેલું છે બરડા વન્યપ્રાણી અભયારણ્ય. દીપડા, હરણ, જંગલી સુવ્વર જેવાં વન્યજીવો ધરાવતાં આ અભયારણ્યમાં ક્યારેક સિંહ પણ આવી પહોîચે છે અને કોઇ વખત કિડીખાંઉ જેવું નષ્ટપ્રાય પ્રાણી પણ જોવા મળે છે. પક્ષીઓમાં જેમને રસ હોય એમનાં માટે બરડાનું આ અભયારણ્ય સ્વર્ગ ગણાય છે. બરડાની ગોદમાં આવેલું એક શિવાલય તેની અપ્રતિમ સુંદરતા ધરાવતું સ્થળ છે. તેની મજા એ છે કે અહીં પહોંચવું ખુબ કઠીન હોવાથી આ સ્થળની સુંદરતા હજુ જળવાઇ રહી છે. ઘટાદાર વૃક્ષોની મધ્યમાં આવેલું આ શિવાલય દ્વારકા કરતાં પણ પ્રાચિન માનવામાં આવે છે. કહેવાય છે કે જરાસંઘ સાથે અઢારમું યુદ્ધ ટાળવા સ્વયં શ્રીકૃષ્ણ અહીં પ્રજા સાથે અજ્ઞાતવાસમાં રહ્યા હતાં. દ્વારિકાની સ્થાપનાનું આયોજન કરવા તેઓ અહીં છ વર્ષ રહ્યા અને દ્વારિકાનાં નિર્માણ દરમિયાન વધારાનાં આઠ વર્ષ અહીં ગાળ્યાં. એ દરમિયાન જ આ સ્વયંભૂ શિવલિંગની સ્થાપના તેમણે કરાવી હતી. આ એક બેહદ આકર્ષક સ્થળ છે. નદી, ઝરણાં. ખીણ. અને ચોપાસ વનરાજી. લગભગ 192 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા આ અભયારણ્યમાં છસ્સો કરતાં વધુ ઔષધિય વનસ્પતિઓ મળી આવે છે. ત્રિકમરાયબાપુનાં વિસ્તાર ગણાતાં આ અભયારણ્યમાં એમનું અલૌકિક મંદિર જંગલના કપુરડી નાકાનાં દરવાજે જ આવેલું છે. આ અભયારણ્યમાં રબારીઓની અનોખી સંસ્કૃતિના દર્શન થાય છે. સવાલ: શ્રીકૃષ્ણએ કોના હસ્તે આ શિવલિંગની સ્થાપના કરાવી હતી? એ મંદિરનું નામ?

40)    બરડાનું બારમી સદીનું નવલખા મંદિર તેનાં અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતું છે. સામે જ પહાડ પર આવેલા મંદિરમાં માતા આશાપુરા બિરાજે છે. ભૂતકાળમાં કચ્છનાં બામણિયાજીએ ઘૂમલી જીતી લીધું એ પછી તેણે અહીં કચ્છના કુળદેવી ગણાતાં માં આશાપુરાની સ્થાપના કરી હતી. બરડા અભયારણ્યનાં અસલી સૌંદર્યનો અનૂભવ કરવો હોય તો સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન અહીં આવવું જોઇએ. બરડાના શિવાલય પાસે આવેલા ઐતિહાસિક મહેલમાં વન વિભાગનું રેસ્ટ હાઉસ છે જ્યાં અગાઉથી બુકીંગ કરાવ્યાં પછી રહી શકાય છે. અભયારણ્યની મધ્યે આખી સભ્યતાનાં અવશેષો મળી આવ્યાં હોય એવું ભારતનું આ એકમાત્ર સ્થળ છે, પ્રશ્ન એ છે કે, આ સંસ્કૃતિ ક્યા નામથી ઓળખાય છે?

41)    બરડા અભ્યારણ્યને સૌરાષ્ટ્રનો છુપો ખજાનો કહી શકીએ તો જામનગરનાં અન્ય વિસ્તારો પણ કંઇ કમ નથી. જામનગર જિલ્લામાં એવાં કેટલાંય સ્થળો છે જે ઓછાં જાણીતાં છે પરંતુ અનોખું મહત્વ ધરાવે છે. જામનગરથી 1પ કિલોમીટર દૂર આવેલું અભ્યારણ્ય આવું જ એક સ્થળ છે. આ પક્ષીઓનું અભયારણ્ય છે અને અભયારણ્યની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અહીં ખારા અને મીઠા એમ બેઉ પાણીનાં પક્ષીઓ જોવાં મળે છે. અહીં કુલ 220 પ્રકારનાં પક્ષીઓ જોવાં મળે છે જેમાંથી એકાદ ડઝન દુર્લભ કહી શકાય એવાં છે. અભયારણ્યનું નામ?

42)    ટાપુ ખરો પણ વાહન છેક સુધી આવી શકે. જામનગર વિસ્તારમાં આવેલાં પિરોટન ટાપુ જવું હોય તો એક આખો દિવસ જોઇએ. પણ જામનગરથી આ ટાપુ પર માત્ર કલાકમાં પહોંચી શકાય છે. અહીં જોવાલાયક એક જ વસ્તુ છેઃ દરિયાઇ જીવસૃષ્ટિ. મરિન લાઇફ.  આ ટાપુ અહીંના કોરલ એટલે કે જીવતા પત્થર માટે વિખ્યાત છે. વિરલ સામુદ્રિક સંપત્તિ ગણાતાં આ કોરલ અહીં ચીક્કાર જોવાં મળે છે. કેટલાંક અદ્ભુત દરિયાઇ જીવોનું આ રહેઠાણ છે. મનુષ્યોને જોઇ પોતે જાણે નિષ્પ્રાણ હોય એવો દેખાવ કરતી માછલીને અંગ્રેજીમાં પફર ફિશ અને ગુજરાતીમાં ઢોંગી માછલી કહે છે. સ્ટારફિશ જેવાં જીવો પણ અહીં જોવા મળે. અને દરિયાઇ ફુલ અથવા તો સી એનેમોન તરીકે ઓળખાતો જીવ એક અનોખી દરિયાઇ જીવસૃષ્ટિની ઓળખ આપે છે.  વાસ્તવમાં આ વિસ્તાર મરિન નેશનલ પાર્કનો એક ભાગ છે. 162 કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલો આ સમુદ્રી પાર્ક એ ભારતનું પ્રથમ દરિયાઇ અભયારણ્ય છે. અહીં ડોલ્ફીન અને શાર્ક જેવાં જીવો પણ વસે છે. ટાપુનું નામ તમને ખ્યાલ છે?

43)    બેટ દ્વારકામાં આવેલી ઇકો ટુરિઝમની અનોખી સાઇટ ‘નંદનવન’ના નામથી ઓળખાય છે. બે એકર કરતાં વધુ જગ્યામાં ફેલાયેલી આ સાઇટ પર ગુજરાતભરમાંથી શાળાનાં બાળકો પ્રકૃત્તિ શિક્ષણ શિબિર કરવા માટે આવે છે. તેનાં સંચાલક હેમુભા વાઢેર અને પર્યાવરણવિદ્દ લવકુમાર ખાચર છેલ્લાં દાયકાઓથી આ મિશન પર કાર્ય કરી રહ્યા છે.  અહીં તેમણે આવી બારેક હટ ઉભી કરી છે. સમુદ્રને આગળ વધતો રોકવા માટે અહીં તેમણે ચેર અથવા તો મેન્ગ્રુવનું વાવેતર કર્યુ છે. આ સાઇટ પર ત્રણ દિવસીય શિબિર સંપન્ન કર્યા પછી દરિયાઇ જીવસૃષ્ટિથી તમે સારા એવાં પરિચિત થઇ જાઓ છો. આવી જ અન્ય એક બેજોડ સાઇટ છેઃ બેટ દ્વારકાનાં સાવ છેડે આવેલી આ અદ્વિતીય સાઇટ સુધી પહોîચવા માટે ચારેક કિલોમીટર પગપાળા જવું પડે છે. સમુદ્રના કાંઠે કાંઠે થતું આ વોકિંગ જેટલું કષ્ટદાયક છે તેનાંથી અનેકગણું આનંદદાયક છે. બીચ બેહદ સુંદર છે. અહીંની મજા એ છે કે આ એક એવો બીચ છે જેની ત્રણ દિશામાં તમને સમુદ્ર જોવા મળે છે. ઓખાથી ખાસ બોટ દ્વારા પણ અહીં આવી શકાય છે. અહીં આગોતરૂં બુકીંગ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરીના અંત દરમિયાન યોજાતી ત્રિદિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનો આનંદ ઉઠાવી શકાય છે. બહુ ઓછી જાણીતી જગ્યા છે પણ એટલું દાવાપૂર્વક કહી શકાય કે અહીંનો બીચ ભારતનાં શ્રેષ્ઠતમ્ બીચમાં સહેલાઇથી સ્થાન પામી શકે. આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીં દરિયાઇ જીવોની ત્રણેય જાતી, મડી એટલે કે કાદવમાં રહેતાં, રોકી એટલે ખડકમાં રહેતાં અને સેન્ડી એટલે કે રેતીમાં રહેતાં જીવો જોવા મળે છે. અહીં ડોલ્ફીન અને ડયુગોન્ગથી લઇ સી કુકુમ્બર તરીકે ઓળખાતા દરિયાઇ કાકડી જેવાં જીવો જોવા મળે છે. દરિયાઇ જીવસૃષ્ટિની દ્રષ્ટિએ આ મરિન નેશનલ પાર્ક એટલો સમૃદ્ધ છે કે કહેવાય છે કે અહીં વિશ્વની લગભગ એંસી ટકા જેટલાં પ્રકારની દરિયાઇ પ્રજાતિઓ જોવા મળે છે. નેક્સ્ટ ડિસેમ્બરમાં તમે અહીં યોજાતી ત્રણ દિવસીય શિબિરમાં અચૂક જજો પરંતુ અત્યારે આ ચોક્કસ સ્થળનું નામ આપો.

JAGAT MANDIR - DWARIKA



       
44)    નાગેશ્વર. ઘણાં લોકો માને છે કે બાર જ્યોતિર્લિંગમાંનું નાગેશ્વર દક્ષિણ ભારતમાં આવેલું છે. તો કેટલાંક લોકો દ્વારકાથી 16 કિલોમીટર નજીક આવેલાં આ શિવાલયને જ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક ગણે છે. પરંતુ શિવપુરાણમાં નાગેશ્વરનું જે વર્ણન છે તે દ્વારકાનાં આ શિવાલયને મળતું આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ સ્થાને આદ્ય શંકરાચાર્યએ પણ મહાદેવનું પુજન-અર્ચન કર્યુ હતું. આ વિસ્તારમાં અગાઉ દારૂકા, શંખ, કુશ જેવાં રાક્ષસી તથા રાક્ષસોનો ત્રાસ હતો પણ કહેવાય છે કે નાગેશ્વર મહાદેવની કૃપાથી જ આ ત્રાસ દૂર થયો. દ્વારકા આવનારાં યાત્રાળુઓ નાગેશ્વરનાં દર્શને આવવાનું ચૂકતા નથી. અહીં સ્થાપવામાં આવેલી આ 8પ ફુટ ઉંચી પ્રતિમા નાગેશ્વરનું અલગ આકર્ષણ છે. શ્રદ્ધાળુઓ માટે મહત્વની વાત એ છે કે ભક્તો અહીં છેક ગર્ભગૃહમાં જઇ જાતે જ મહાદેવની પુજા-અર્ચના કરી શકે છે. પૌરાણિક કાળમાં આ સમગ્ર વિસ્તારને એક રાક્ષસના નામ પરથી ઓળખવામાં આવતો હતો, પુરાણોમાં જણાવેલું એ નામ કયું?

45)    આધ્યાત્મિક ઞષ્ટિએ દ્વારકાનું જેટલું મહત્વ છે એટલું ભારતનાં બહુ ઓછાં તિર્થોનું હશે. હિન્દુ ધર્મનાં ચાર મુખ્ય ધામમાં બદ્રિનાથ, રામેશ્વર વગેરેની સાથે દ્વારકાનું નામ પણ લેવાય છે. સાત પવિત્ર પુરી, 108 દૈવી પીઠ અને અડસઠ મહાતીર્થમાં પણ દ્વારકાની ગણના થાય છે. દ્વારકાનું હાલનું મંદિર 1200 વર્ષ જુનું હોવાનું પુરાતત્વનાં નિષ્ણાંતો માને છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણનાં દેહત્યાગ પછી અસલી દ્વારકા સમુદ્રમાં વિલિન થઇ ગયું હતું. બેટ દ્વારકા અને દ્વારકા આસપાસ સમુદ્રના પેટાળમાંથી હજારો વર્ષ જુની નગરીનાં અનેક અવશેષો મળી આવ્યાં છે જે કેટલીક લોકવાયકાઓને સમર્થન આપે છે. જગતમંદિરના પણ અનેક જિર્ણોધ્ધારની અનેક કથાઓ શંકરાચાર્યજી, વલ્લભચાર્યજી તથા અનેક અલગ-અલગ શાસકો સાથે જોડાયેલી છે. દ્વારકાનું આ મંદિર અને તેમાં બિરાજતાં રણછોડરાય અહીંની પ્રજાની સદૈવ રક્ષા કરે છે. દ્વારિકામાં બિરાજતા શંકરાચાર્ય મુખ્યત્વે પરંપરાગત શેની પૂજા કરે છે?

46)    જરાસંઘના અઢારમા આક્રમણથી બચવા શ્રીકૃષ્ણએ દ્વારકામાં પોતાની રાજધાની સ્થાપી એ દિવસથી દ્વારકાએ અનેક ઉતર-ચડાવ જોયા છે પણ અહીંના રણછોડરાયયી કીર્તિ દિન-પ્રતિદિન વધતી ચાલી છે. દ્વારકાનું મહત્વ અહીં આવેલાં જ્યોર્તિમઠના કારણે પણ છે. આદિ શંકરાચાર્યએ ભારતનાં ચાર ખૂણામાં સ્થાપેલા ચાર મઠમાંથી એક દ્વારકાનો આ મઠ પણ ગણાય છે. અહીં યાત્રાળુઓ મઠનાં દર્શન ઉપરાંત શંકરાચાર્યના પુજાસ્થાનના દર્શન પણ કરી શકે છે. દ્વારકામાં પુજાવિધિ માટે પ્રથમથી જ અહીંના ગૂગળી બ્રાહ્મણો પાસે અધિકાર છે. અન્ય તિર્થસ્થાનથી અલગ અહીં તમને પંડાઓ ક્યારેય ત્રાસ આપે એવું બનતું નથી. પુજાવિધિઓ અને દક્ષિણા માટે કોઇ આગ્રહ કે દુરાગ્રહ નથી. ગૂગળી બ્રાહ્મણોની એક વિશિષ્ટ પરંપરા છે. સંખ્યાની દ્રષ્ટિએ નાની એવી આ જ્ઞાતિ દ્વારકાની શાન ગણાય છે. દ્વારકાની ધ્વજાનું પણ આગવું મહત્વ છે. અલગ-અલગ કાર્યો માટે લોકો અલગ-અલગ રંગની ધજા ચડાવે છે. સવાલ: દ્વારિકામાં ચડાવતી ધજાનું માપ શું હોય છે અને એ એક દિવસમાં કેટલી વખત ચડાવાય છે?

47)    જમીનથી પંદર-વીસ ફૂટ નીચે આવેલી ગુફા પ્રથમ દ્રષ્ટિએ તો બહુ વિશિષ્ટ નથી લાગતી પરંતુ જેમ તમે અંદરના ઞશ્યો જોતા જાઓ તેમ આંખો પહોળી થતી જાય. જાણે મંદ-મંદ એરકન્ડીશન ચાલુ હોય એવું આહ્લાદક વાતાવરણ. છત પરથી ટપકતો ભેજ.  અને એ ભેજ સાથે ટપકતી માટી થકી કુદરતી રીતે જ રચાતા આવા અગણિત શિવલિંગો. આ સ્થળને ઘણાં અમરનાથ સાથે સરખાવે છે, અમરનાથમાં વર્ષે એક બરફનું શિવલિંગ બને છે, અહીંયા સેંકડો-હજારોની સંખ્યામાં શિવલીંગો બનતા રહે છે. અમરનાથનું શિવલિંગ દર વર્ષે ઓગળી જાય છે તો અહીંના લિંગ પણ સમયાંતરે ફરી રેતીમાં ફેરવાઇ જાય છે. જો કે અમરનાથ અને આ સ્થળ વચ્ચે એક મોટો તફાવત છેઃ આ સ્થળ બહુ જાણીતું નહીં હોવાનાં કારણે અહીં અમરનાથ જેટલાં મુલાકાતીઓ આવતા નથી.  પોરબંદર જિલ્લાનાં રાણાવાવ નજીક આવેલું એક અદ્વિતીય સ્થળ. લોકો આ ગુફાને જાંબુવંતના એક પૌરાણિક પ્રસંગ સાથે સાંકળે છે. આ ગુફા એટલી વિશાળ છે કે તેમાં એકસાથે પાંચ હજાર વ્યકિતનો સમાવેશ થઇ શકે છે. ખરા અર્થમાં કહીએ તો  આ ગુફા કોઇ પ્રાકૃતિક અજાયબીથી કમ નથી. ગુફાનું નામ આપો.

48)    ગિરનારનું આધ્યાત્મિક મહત્વ અપ્રતિમ છે. નાથ સંપ્રદાયના લોકો કહે છે કે આ પવિત્ર પર્વત પર નવ નાથના બેસણાં છે. જૈનો માને છે કે આ નેમિનાથનું ધામ છે. અહીં વસ્તુપાળ-તેજપાળએ બંધાવેલા જૈન દેરાસરો છે. ગુજરાત-ભારતનાં અન્ય જૈન તીર્થોની જેમ અહીંના જૈન દેવાલયોનું સ્થાપત્ય પણ ઉત્તમ દરજ્જાનું ગણાય છે. જૈનોનાં બાવીસ તિર્થંકરો અહીં સદૈવ બિરાજતાં હોવાની માન્યતા છે.  જૈનો માટે ગિરનારનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ હિન્દુઓ માટે પણ છે. અંબાજીની ટૂક પર આવેલું અંબાજી મંદિર ભારતની એકાવન શકિતપીઠમાં સ્થાન પામે છે.  કહેવાય છે કે અહીં જૈનોના એક તીર્થંકરએ વર્ષો સુધી તપ કર્યુ હતું. એ તીર્થંકર ક્યા?

49)    હિન્દુ ધર્મના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું અલૌકિક તીર્થ એટલે સોમનાથ. ચંદ્રએ રાજા દક્ષ પ્રજાપતિએ પોતાને આપેલા શ્રાપથી બચવા અહીં શિવની કઠોર આરાધના કરી. મહાદેવે પ્રસન્ન થઇ તેનું સંકટ ટાળ્યું અને પછી અહીં શિવલીંગ સ્વરૂપે બિરાજ્યાં. ચંદ્રના બીજા નામ સોમ પરથી એટલે જ તેઓ સોમનાથ કહેવાયા. સોમનાથનું આ મંદિર સૌપ્રથમ ઇસવીસન 1024માં મહંમદ ગઝનીએ લૂંટયું હતું. તેનાં લગભગ 300 વર્ષ પછી અલાઉદ્દીન ખિલજીના સરદાર અફઝલખાને સંવત 1374માં લૂંટયું. 1390, 1451, 1490, 1511, 1530માં એ વિવિધ મુસ્લિમ આક્રમણખોરો દ્વારા લૂંટાયું. 1701ની સાલમાં ઔરંગઝેબે તેને લૂંટયું. કહેવાય છે કે એક કાળમાં સોમનાથની જાહોજલાલી એવી હતી કે આજે કોઇ કલ્પના પણ કરી ના શકે. અહીં દરરોજ ગંગાજળનો અભિષેક થતો અને કેસરનાં ફુલોથી પુજા થતી. દરરોજ એક હજાર બ્રાહ્મણો અહીં પુજા કરતા. મંદિરમાં પ6 જેટલાં રત્ન જડિત સ્તંભો હતાં અને એ દરેક સ્તંભને ભારતનાં અલગ-અલગ રાજાઓએ સોનાના પતરાથી મઢયાં હતાં. શિવલિંગ દસ ફુટ ઉંચુ અને છ ફુટ પહોળું હતું. અહીનાં સેîકડો ઘંટ નક્કર સુવર્ણથી બનેલાં હતાં અને એ ઘંટ વગાડવાની સાંકળો પણ બસ્સો મણ સોનાથી બનેલી હતી. પણ આક્રમણખોરો અહીંથી બધું જ ઉસેડી ગયાં. આઝાદી મળ્યાં પછી સરદાર વલ્લભભાઇ પટેલે આ મંદિરના નવનિર્માણનો સંકલ્પ કર્યો અને આ અપૂર્વ તિર્થને ફરી વખત નવજીવન મળ્યું. આજે સોમનાથનું આ તિર્થ અને મંદિર ઝડપભેર વધુને વધુ વિકસી રહ્યા છે. સોમનાથ વિશે અનેક કથાઓ અને વાયકાઓ સાંભળવા તથા વાંચવા મળે છે. કહેવાય છે કે, સોમનાથ મહાદેવનું જે સૌપ્રથમ મંદિર બંધાયું તે સંપૂર્ણપણે સુવર્ણથી બનેલું હતું. એ પછી રાવણે ચાંદીનું મંદિર બન્યું. એ પછી  સુખડનું અને એ પછીના શાસકોએ અનુક્રમે કાષ્ઠ અને પત્થર દ્વારા આ મંદિર બાંધ્યું. સવાલ: સુવર્ણ, ચાંદી અને સુખડનું મંદિર કોણે બાંધ્યું હતું?

50)    વિખ્યાત જૈન તીર્થ પાલીતાણા. જૈનોનું કદાચ સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન. કહેવાય છે કે જૈન ધર્મનાં ચોવીસમાંથી બાવીસ તીર્થંકરોને અહીંના શંત્રુજય પર્વત પર જ પરમજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. પાલીતાણા નગરને અડીને આવેલા શત્રુંજય પર્વત પર કુલ 108 જૈન મંદિરો છે અને તેમાં 872 જેટલી નાની દેરીઓ છે.  કુલ નવ ટૂંક ધરાવતા શત્રુંજય પર્વતના જૈન મંદિરો તેનાં બેનમૂન શિલ્પો માટે વિશ્વવિખ્યાત બન્યાં છે. વસ્તુપાળ-તેજપાળએ બંધાવેલા અહીંના દેવાલયોમાં પ્રથમ કક્ષાનું સ્થાપત્ય અને શિલ્પકામ નિહાળી શકાય છે. આમ જોઇએ તો શત્રુંજય પર્વત જૈનોનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવજીનું નિવાસ ગણાય છે. દેશ-વિદેશનાં જૈનો પોતાનાં જીવનકાળમાં એક વખત શત્રુંજયની યાત્રાએ અચૂક આવે છે. આટલાં ઉંચા પહાડો પર, એકસાથે આટલાં મંદિરો જોવા મળતા હોય એવું વિશ્વમાં બીજું કોઇ જ સ્થળ નથી ! જૈનોના એક તીર્થંકરએ આ પર્વતની અનેક વખત પ્રદક્ષિણા કરી હતી. એ તીર્થંકરનું  નામ આપો અને તેમણે કેટલી વખત પ્રદક્ષિણા કરી હતી એ કહો.

51)    ભાવનગરનાં બોટાદ નજીક આવેલું સારંગપુર આમ તો અમદાવાદ જિલ્લામાં ગણાય છે પરંતુ લોકો તેને સૌરાષ્ટ્રનો ભાગ જ સમજે છે. ઇસવીસન 1850માં આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત ગોપાલાનંદજીએ કરી હતી. હનુમાનજીના આ સ્વરૂપનો મહિમા ન્યારો છે. અહીં હનુમાનજી અત્યંત પ્રસન્ન મુદ્રામાં, રાજાનાં સ્વરૂપે બિરાજે છે, પનોતીને તેમણે પોતાનાં પગ તળે કચડી નાંખી છે. આમ અહીં હનુમાનજીનું સ્વરૂપ સ્વયં તેમની પ્રકૃત્તિનું સૂચક છે. સારંગપુરમાં થતી આરતીનો મહિમા વિશિષ્ટ છે. સારંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ મહત્વનું મથક છે. નજીક જ આવેલાં ગઢડા સાથે તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતોનાં સંસ્મરણો જોડાયેલાં છે. સારંગપુરના હનુમાનજીનું સ્વરૂપ ક્યા નામથી વિખ્યાત છે?

52)    વેળાવદર નેશનલ પાર્ક. કાળીયાર અથવા તો બ્લેક બક્સ તરીકે ઓળખાતી હરણની પ્રજાતિ માટે વિખ્યાત આ રાષ્ટ્રીય કક્ષાનું અભયારણ્ય 34 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીંયા અમને કાળીયારનાં ઝૂંડ એકસાથે જોવાં મળે છે. એક સમયે ઠેરઠેર જોવાં મળતાં કાળીયારની સંખ્યા ધીમેધીમે ઘટી ગઇ છે પરંતુ અહીં વેળાવદરમાં બહુ સારી રીતે જળવાયેલાં છે. આ જંગલ વૃક્ષોનું બનેલું નથી પરંતુ ઘાસનું છે ! અહીં જોવા મળતું આ કેડ સુધીનું ઘાસ કાળીયાર માટે ઉત્તમ રહેણાંક પણ બની રહે છે અને તેને કદી ખોરાકની ઉણપ પણ નથી પડતી. અહીં નીલગાયનાં ટોળાંઓ પણ નીર્ભય બની ફરતાં જોઇ શકાય છે. વેળાવદરમાં વરૂ સિવાય કોઇ હિંસક પ્રાણી નથી એટલે અહીંના તૃણાહારીઓ અન્ય જંગલોની સંખ્યાએ વધુ નસીબદાર અને સુખી છે. અભયારણ્યની મધ્યમાં આવેલાં વેટલેન્ડમાં જોવાં મળે છે  કેટલાંક દુર્લભ પક્ષીઓ. એક જ ફ્રેમમાં દેખાતાં પેલીકન્સ, સુરખાબ, પેઇન્ટેડ સ્ટોર્કસ અને વ્હાઇટ સ્ટોર્કસનું ઞશ્ય કોઇપણ પ્રકૃતિપ્રેમીને ધન્ય કરી નાંખે એવું છે. વેળાવદરમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે નેચર એજ્યુકેશન કેમ્પ યોજાય છે તો પર્યટકો માટે સુંદર ગેસ્ટ હાઉસ પણ છે. પક્ષીઓની એક વિશિષ્ટ  પ્રજાતિ માટેની આ વિશ્વની શ્રેષ્ઠતમ્ અને સૌથી સમૃદ્ધ સાઇટ ગણાય છે. પક્ષીઓની આ વિશિષ્ટ કોમ ક્યા નામથી ઓળખાય છે?

53)    મહારાજા ભાગવતસિંહજીના સુશાસન માટે જાણીતા ગોંડલમાં આવેલાં રિવરસાઇડ પેલેસને હોટલમાં કન્વર્ટ કરી દેવાયો છે. આ નાનકડા પેલેસનું ઇન્ટીરિયર રાજાશાહીનાં દિવસોની યાદ અપાવે છે. અન્ય એક મહેલ, ઓર્ચાર્ડ પેલેસમાં પણ હેરિટેજ હોટેલ ચાલે છે. આ જ કેમ્પસમાં રાજ પરિવારનો અલગ પેલેસ છે.  મહારાજા ભાગવતસિંહજીની આ વિશિષ્ટ કાર એક વખત ખાસ જોવા જેવી. ઓર્ચાર્ડ પેલેસમાં રેલવેનું આ સલૂન પણ હોટલના સ્યૂટ તરીકે ઉપયોગમાં લેવાય છે. અગાઉના જમાનામાં રાજાને બહારગામ જવું હોય તો આ ડબ્બાને એન્જિન સાથે જોડી દેવામાં આવતો. આ સલૂનમાં એક યુગલને કે પરિવારને આરામથી રહેવા માટે તમામ સગવડો છે. ત્રીજો મહેલ એટલે નવલખા પેલેસ અથવા તો દરબારગઢ. તેની બાંધણી ધ્યાનાકર્ષક છે. અહીં એક નાનું એવું મ્યુઝિયમ પણ બનાવાયું છે જેમાં ગોંડલ સ્ટેટના સંભારણા સમાન મૂલ્યવાન ચીજવસ્તૂઓ મુકવામાં આવી છે. ભાગવતસિંહજીએ જે મહાન ગુજરાતી શબ્દકોષનું સર્જન કર્યુ હતું એ ઐતિહાસિક ભગવદગોમંડળની પ્રથમ આવૃત્તિ હજુ અહીં સચવાયેલી છે. ગોંડલ સ્ટેટ એક વિશિષ્ટ વસ્તુના કલેક્શન માટે પણ જાણીતું છે. એ જુનવાણી કલેક્શન શેનું છે?








2 comments:

  1. તિર્થસ્થાનો અને એ જે પ્રદેશમા આવેલા છે...એ બન્ને બાબતે સરસ સાચી માહિતી મળે.એ હેતુથી એક નવીન પ્રકારનો આ પ્રયોગ ખુબ ગમ્યો.....વાહ કિન્નરભાઈ

    ReplyDelete